Devendra Patel

Journalist and Author

Date: March 16, 2015

પાંખો આવી, ફફડાવી મારે ઊડવું હતું ગગનમાં પણ -!

એ નું નામ શ્રદ્ધા છે.

તે શાયદ પન્નાલાલ પટેલના વતન માંડલી જેવા એક સાવ નાનકડાં ગામમાં જ જન્મેલી છે. ભણવાની ખૂબ તમન્ના હતી પરંતુ સંજોગોના કારણે તે માત્ર ૧૦માં ધોરણ સુધી જ ભણેલી છે. એણે યુવાની હજુ હમણાં જ વટાવી છે. હવે તે પરિણીત છે. તે પહેલાં એટલે કે કૌમાર્યાવસ્થામાં કોઈ આધેડની બૂરી નજરથી દાઝેલી છે. એના એ અનુભવે જ તેને કવયત્રી બનાવી દીધી છે. તેનાં કાવ્યો હજુ સુધી કોઈ મેગેઝિન કે પુસ્તકમાં છપાયાં નથી. એ જરૂરી નથી કે જેમની કૃતિઓ છપાય છે તે જ સાહિત્યકારો છે. આ ગ્રામ્ય કવયત્રીને પાંખો આવતાં જ ઊડવું હતું આકાશમાં પણ સમાજના થપાટાએ એની પાંખો કાપી નાંખી.

કેમ?
કેવી રીતે?
વાંચો એના જ શબ્દોમાં:

મારો જન્મ ગુજરાત નજીક રાજસ્થાનના એક નાનકડા ગામમાં થયો હતો. મારા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અમારો ઉછેર પણ સારી રીતે કરી શકતા ન હતા. મજૂરી કરીને અમને ભણાવવા તત્પર હતા. ધંધાર્થે વારંવાર બદલીથી મારા અભ્યાસ ઉપર અસર પડતી હતી. છતાં હું ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેથી શિક્ષક મિત્રોના મારા ઉપર ચાર હાથ હતા. દર વખતે પહેલા નંબરે આવી. દસમાં ધોરણ સુધી ભણી. પપ્પાને ધંધાર્થે દક્ષિણ ગુજરાતમાં આવવાનું થયું. સુરતમાં નવી સ્કૂલ તથા નવો માહોલ છતાં ફરી અભ્યાસ શરૂ કર્યો.

હવે પપ્પાની આર્થિક સ્થિતિ સારી હતી. હું ૧૯૮૫માં સ્કૂટર લઈને સ્કૂલે જતી હતી. પપ્પા મુક્ત વિચારના હોવા છતાં અકસ્માતની બીકે સ્કૂટર લઈ જવા સામે તેમનો વિરોધ હતો. એક દિવસ એવું જ બન્યું મને નાનો એવો અકસ્માત નડયો. પગમાં વાગ્યું અને સ્કૂટરને નુકસાન થયું. પપ્પા ખૂબ ગુસ્સાવાળા હોવાથી હું સ્કૂટર રિપેર કરાવી અને પગમાં પાટા-પીંડી કરાવી ઘરે પહોંચી. ‘પથ્થર વાગ્યો છે’ એવું કહી અકસ્માતની વાત મેં છુપાવી.

મારા પપ્પાના એક પરિચિત ડોક્ટરની હોસ્પિટલમાં હું પાટો બંધાવા જતી હતી. એણે સતત પંદર દિવસ ડ્રેસિંગ માટે આવવા કહ્યું. આ દરમિયાન હું સ્કૂલ જતી વખતે હંંમેશા પાટો બંધાવી આવતી. તે દરમિયાન મેં ડોક્ટરની નજર પારખી લીધી. હું સાવચેત રહેવા લાગી. મને નવાઈ લાગી કે શહેરનો હોશિયાર ડોકટર એમ.એસ.ની ડિગ્રી ધરાવતો અને બે બાળકોના પિતા આવો હોઈ શકે? મને જોયા પછી તેણે અમારા ફેમિલી રિલેશન વધારી દીધા. જ્યારે પણ મોકો મળે. મારા ખૂબ વખાણ કરી નજીક આવવાના પ્રયત્ન શરૂ કર્યા.

થોડા દિવસ પછી અમારા પરિવાર ઉપર આફત આવી. મારા મમ્મીને પેટમાં દુખાવો ઉપડયો અને એ જ લંપટ ડોક્ટરની હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરાવું પડયું. મમ્મીની સાથે રહેનાર કોઈ ન હોવાથી, ભાભી ઘરે કામ કરે, તેથી હું મમ્મી સાથે રહેવા લાગી. ફરી ડોક્ટર મોકાની રાહ જોવા લાગ્યો. ઓપરેશન પછી પણ મમ્મી જલ્દી સાજી થતી ન હતી તેથી પપ્પા ટેન્શનમાં હતા. મમ્મી- પપ્પાને કહેવાનું મને ઠીક ન લાગ્યું. ડરી ડરીને મેં દવાખાનામાં અને સ્કૂલે આવવાજવામાં દશ દિવસ કાઢયા. મમ્મીને ઘરે લાવવાનો સમય આવ્યો.ડોક્ટરે દવા લખવાના બ્હાને મને અંદર બોલાવી. મેં કમ્પાઉન્ડરને ઈશારો કર્યો. એ મારી સાથે અંદર આવ્યો પરંતુ તેને અંદર ન આવવા દેવાનું પણ ડોક્ટરના હાથમાં હતું. મને ખૂબ પ્રેમથી ડોક્ટર સમજાવવા લાગ્યો. ન શોભે એવા અડપલા શરૂ કર્યા. હું ગુસ્સે થઈ ગઈ. મારો હાથ પકડી કહેવા લાગ્યોઃ ”હું તને આજથી દવાખાનામાં સારા પગારથી નોકરી આપીશ.” મેં હાથ છોડાવી એક લાફો ઝીંકી દીધો. મેં બુમાબુમ કરતાં એ ગભરાઈ ગયો. તમાશો થશે એ બીકે માત્ર એટલું બોલ્યો, ” આનું પરિણામ સારું નહીં આવે.” મેં કહ્યું ”હું તને ખુલ્લો પાડી દઈશ. બજારમાં તારા આવા કરતૂતના પોસ્ટર લગાવી દઈશ. તારી પ્રેક્ટિસ ધૂળમાં મળી જશે.” તેણે મને લાલ આંખ કરી કહ્યું: ”એ પહેલાં હું તને પીંખી નાંખીશ તને ક્યાંયની નહીં રહેવા દઉં.” હું સાંભળ્યું ન સાંભળ્યું કરી સડસડાટ ચાલી ગઈ.

મમ્મીને લઈ અમે ઘરે આવી ગયા. મમ્મી બીમાર હોવાથી તેને આ વાતની જાણ કરવાનું ઠીક ન લાગ્યું. એકલી પહોંચી વળીશ એવી મનમાં ગાંઠ વાળી. છતાં ખૂબ ડરી ગઈ હતી. રાત્રે ઊંઘ આવતી ન હતી. અભ્યાસમાં મન લાગતું ન હતું. એ નાલાયકને ખુલ્લો પાડી દેવા મન કહી રહ્યું હતું. જો એમ કરીશ તો ઘણી બધી બેન-દીકરીની આબરૂ બચશે. પોલીસ ફરિયાદ કરવામાં સંકોચ થતો હતો. વિચારમાંને વિચારમાં આઠ દિવસ નીકળી ગયા. નવમા દિવસે સમાચાર મળ્યા કે એ જ ડોક્ટર પોતાની પત્ની અને બાળકોને રઝળતા મૂકીને પોતાની હોસ્પિટલમાં કામ કરતી તેની જ નર્સ સાથે ભાગી ગયો. અને બે મહિના પછી જાણવા મળ્યું કે બંને અમેરિકા ચાલ્યા ગયાં છે.

મારે એની સાથે બદલો લેવો હતો. એણે મારી લાગણીઓ પર ઘા કર્યો હતો. બે મહિના સુધી હું અંદરથી બળતી રહી. સમસમીને બેસી રહી. એણે મને પીંખી નાંખવાની વાત કરી હતી. એ એમ કરે તે પહેલાં હું તેને સમાજમાં ઉઘાડો પાડી દેવા માગતી હતી. મારા મનમાં પ્રજ્વેલીએ આગના કારણે ભણવામાં મારું ચિત્ત ચોંટયું નહીં. એ તો મને વિચલીત કરીને જતો રહ્યો. મારા દિલોદિમાગમાં એક ઝંઝાવાત પેદા કરીને જતો રહ્યો અને હું અત્યંત સંવેદનશીલ હોવાના કારણે આઘાતમાં સરી પડી અને આગળ ભણી ના શકી. એ બે મહિના મારામાં વેરની આગનો ભડકો બળતો રહ્યો. અભ્યાસમાં મન ન લાગ્યું. હવે મને ન ભણવાનો ખૂબ પસ્તાવો થાય છે. હું એનું કશું જ બગાડી ન શકી અને કારકિર્દી વેર-વિખેર થઈ ગઈ. હવે કારકિર્દી બનાવવાના દિવસો હાથમાંથી જતા રહ્યા છે. મનમાં ગુસ્સો હોવા છતાં મન વાળી લઉં છું કે સમાજમાંથી એક કાળમીંઢ પથ્થર હટી ગયો.

આ એક ઉદાહરણથી બધા ડોક્ટરોને દોષ દેવો યોગ્ય નથી. દરેક પુરુષમાં શંકા કરવી એ પણ બરાબર નથી. વાત નાની છે પરંતુ મેં ઘણું બધું ખોઈ નાખ્યું છે. ભણવા સિવાય મારામાં ખૂબ ટેલેન્ટ છે. હું હાલ સુરતમાં જ રહું છું. છતાં ઘણી પ્રવૃત્તિઓમાં રસ લઉં છું. કવિતાઓ પણ લખું છું. જાતે નાટકોે બનાવી અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરું છું.   હું આવા જ એક વિશાળ કુટુંબનો હિસ્સો છું. ઘરકામ સિવાય અન્ય પ્રવૃત્તિઓેમાં ભાગ લેવા સામે પરિવારનો સખત વિરોધ છે. એક માત્ર મારા પતિનો સપોર્ટ છે. એ પણ સંયુક્ત કુટુંબમાં રહીને મજબુર છે. મા-બાપની મર્યાદા તોડી અલગ થવું ઠીક નથી લાગતું. આર્થિક રીતે સદ્ધર છીએ. પરંતુ માનસિક અને શારીરિક રીતે દુઃખી છીએ. હું હીઝરાયેલી છું. કૌમાર્યવસ્થામાં છેડછાડનો ભોગ બનેલી છું.   એક આધેડ દ્વારા અપમાનિત થયેલી છું. આ સંજોગોની વચ્ચે હું મારા લેખન અને વાંચનના શોખને આગળ લઈ જઈ શક્તી નથી. આટલા વર્ષો મેં બાળકોના ઉછેર અને અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા. મારા બાળકો ખૂબ હોશિયાર છે. બાળકો અને મારા પતિ   તેમજ તેમના મિત્રો મને નવું લખવા માટે પ્રેરે છે. પરંતુ સમયના અભાવે કંઈ જ થતું નથી. કામના બોજના કારણે શરીર પણ સાથ નહીં આપતું. મારી ઉંમર ૪૫ વર્ષ છે. દશમાં સુધી ભણી છું. આ લખવા પાછળનો ખાસ હેતુ માત્ર મારા મનને સંતોષ થાય કે એક અખબારને મારી મનોવ્યથા જણાવું છું.

”પાંખો આવી, ફફડાવી

ઊડવું હતું ગગનમાં
ત્યાં જ પાંખો વીંધાઈ

ઘવાઈ, મૂરઝાઈ,

પડી રહી હું જળની પ્યાસી
કોઈ સવારે ઘાવ આવી
ત્યાં તો વાગી
અંત સમયની શહનાઈ.”

– અને શ્રદ્ધા તેણે જ લખેલી કાવ્યપંક્તિઓ દ્વારા તેની વાત પુરી કરે છે.

– દેવેન્દ્ર પટેલ

સ્કૂલનો શાંત વિદ્યાર્થી વિશ્વનો ખતરનાક ટેરરિસ્ટ કેમ બન્યો

આતંકવાદનો એક ડરામણો ચહેરો દુનિયાને ધ્રુજાવી રહ્યો છે, અને તેનું નામ છેઃ ”જેહાદી જ્હોન”

સૌથી પહેલાં ગયા ઓગસ્ટમાં અમેરિકન પત્રકાર જેમ્સ કોલીને બંધક બનાવી તેનું માથું કાપતો વીડિયો જારી કર્યો. તે પછી બીજા અમેરિકન પત્રકાર સ્ટીવન જે. સોટલોફ, અને બ્રિટિશ એઈડ વર્કર ડેવીડ કોથોન તથા બ્રિટિશ ટેક્સી ડ્રાઈવર એલન હેનિંગના ગળા કાપતો વીડિયો જારી કરી પશ્ચિમના દેશોને ડરાવી દીધા. ગયા મહિને તેણે બે જાપાનીઓેના ગળા કાપી નાખ્યા. તે પછી બીજા ૩૦ જણાના ગળા કાપી નાંખ્યા. એ સિલસિલો હજુ જારી જ છે.

અત્યાર સુધી પેદા થયેલા આતંકવાદીઓમાં બંધકોના માથાં કાપી તેની વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેનાર આઈએસના આ ખતરનાક આતંકવાદી જેહાદી જ્હોને યુરોપ- અમેરિકા સહિત સમગ્ર વિશ્વને સહુથી વધુ ભયભીત કરી દીધું છે. જેહાદી જ્હોન તેના ચહેરા ઉપર કાળો નકાબપોશ પહેરી રાખે છે. શરીર પર કાળાં વસ્ત્રો પહેરે છે. તેના હાથમાં ધારદાર ચાકુ અને ડોક સહેજ નમેલી હોય છે. પશ્ચિમી હાવભાવ અને ઉચ્ચારણોના કારણે તે જેહાદ્દી જહોન તરીકે ઓળખાય છે. તેનું સાચું નામ મોહમ્મદ એમવાઝી છે.

મોહમ્મદ એમવાઝી હાલ ૨૬ વર્ષની વયનો છે. તેનો જન્મ કુવૈતમાં થયો હતો. તેના પિતા જાસેન (૫૧) અને માતા ધાનેવા (૪૭) ૧૯૯૩માં લંડન આવ્યા હતા. પહેલાં ગલ્ફ વોર બાદ તેમણે કુવૈત છોડી દીધું હતું. એ વખતે મોહમ્મદ એમવાઝી માત્ર છ વર્ષની વયનો હતો. એમવાઝી એક અસામાન્ય નામ છે. યુ.કે. માં આ એક જ આવું નામ છે. મોહમ્મહ એમવાઝીનો ઉછેર પશ્ચિમ લંડન પાસે આવેલા ક્વીન્સ પાર્ક વિસ્તારમાં થયો હતો. તેણે યુનિર્વિસટી ઓફ વેસ્ટ મિન્સ્ટર દ્વારા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધેલી છે. તેના પિતા જાસેન ટેક્સીઓ ચલાવવાની કંપની ધરાવે છે જ્યારે માતા બાળકોનો ઉછેર કરવામાં વ્યસ્ત રહેતી હતી. બધા મળીને તેને છ સંતાનો છે.

૧૯૯૬-૯૭ સુધી મોહમ્મદ એમવાઝીનું પરિવાર ત્રણ બેડરૂમના ફલેટમાં રહેતું હતું. ત્યારપછી તેઓ ડેસબરો ક્લોઝ વિસ્તારના એક મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા. એ નાનકડા ઘરમાં તેઓ ચાર વર્ષ રહ્યા પરંતુ તેમને પડોશીઓ પણ બરાબર જાણતા નહોતા. તે પછી તેઓ સ્થાનિક સ્કૂલમાં ભણવા ગયા હતા. મોહમ્મદ એમવાઝીની બહેન આસરાને સ્કૂલમાં ૨૦૦ પાઉન્ડનું ઈનામ પણ મળ્યું હતું. મોહમ્મદ એમવાઝી જ્યારે નાનો હતો ત્યારે એક શરમાળ છોકરો હતો. નમ્ર અને વિવેકી પણ હતો. તેને ફૂટબોલની રમત ગમતી હતી. તે બધાની સાથે મૈત્રી કેળવવા કોશિશ કરતો હતો. સ્કૂલમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ, પાકિસ્તાની વિદ્યાર્થીઓ અને વિવિધ ધર્મોના વિદ્યાર્થીઓ સાથે પણ ભળતો હતો અને એ વખતે કોઈ ર્ધાિમક કટ્ટરતા તેનામાં દેખાતી નહોતી. એક શાંત અને ડાહ્યા વિદ્યાર્થી તરીકે તેનામાં જે ગુણ હોવા જોઈએ એ બધા જ તેનામાં હતા.

ક્વીન ટીન કિન્સ્ટન સ્કૂલમાં તેની સાથે ભણનાર એક પૂર્વ વિદ્યાર્થીએ પોતાનું નામ ના આપવાની શરતે કહ્યું: ” આ છોકરો અનેક લોકોના માથા વાઢી નાંખતો હશે તે જાણીને હું ધ્રુજી ઊઠું છું. એ અમારી સાથે ભણતાો હતો ત્યારે તો તે આવો ખતરનાક આતંકવાદી બની જશે એવી કોઈ કલ્પના પણ નહોતી. હા, મને એટલી ખબર છે કે તે   અવારનવાર નજીકની એક મસ્જિદમાં જતો હતો અને નમાઝ પઢતો હતો. પરંતુ એવું તો બીજા બાળકો પણ કરતાં હતા. એ સ્કૂલમાં હતો ત્યારે એનામાં હિંસકવૃત્તિ દેખાતી ન હોતી.તે શાંત અને શરમાળ વિદ્યાર્થી હતો.”

મોહમ્મદ એમવાઝી એ સ્કૂલમાં ભણતો હતો તે દરમિયાન જ એમવાની પરિવારે ફરી એકવાર ઘર બદલ્યું હવે એ પરિવાર લોર્ડઝ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકના એક આધુનિક એપાર્ટમેન્ટમાં રહેવા ગયું. અહીં રહેતા તેમના પડોશીઓ કહે છેઃ ”એમવાઝી  પરિવાર અન્ય પરિવારો સાથે બહુ ભળતું નહોતું. એ લોકો ભાગ્યે જ કોઈની સાથે વાત કરતા.

એ પછી ફરી એક વાર એમવાઝી પરિવારે ઘર બદલ્યું હવે તેઓ એડર્વાિડયન મેેન્શન બ્લોક કે જે બ્લુમફીલ્ડ હાઉસ તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા. આ વિસ્તારના રહીશો એ જાણીને સ્તબ્ધ થઈ ગયા છે કે અનેક લોકોના ગળા કાપનાર જેહાદી જ્હોન ૨૦૦૮ સુધી તેમનો પડોશી હતો.

૨૦૦૬માં મોહમ્મદ એમવાઝીએ ‘એ’ લેવલ પ્રાપ્ત કરીને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કોર્સ માટે યુનિર્વિસટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે આ યુનિર્વિસટીના ધ્યાન પર એ વાત આવી કે વિદ્યાર્થી યુનિયન અને કેટલાક કટ્ટરવાદીઓ વચ્ચે સાંઠગાંઠ છે. દા.ત. ૨૦૧૧માં યુનિર્વિસટીનો એક વિદ્યાર્થી કે જે ”હિઝબ ઉર- તહેરીર” નામના ઉદ્દામવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો તે યુનિર્વિસટી ઓફ વેસ્ટમિન્સ્ટરના વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાયો. બ્રિટનની ગુપ્તચર એજન્સીઓ એ વાતની તપાસ કરી રહી છે કે, શાયદ આ કોલેજ કાળમાં જ મોહમ્મદ એમવાઝી કેટલાક કટ્ટરવાદી તત્ત્વોના સંપર્કમાં આવ્યો હોવો જોઈએ.

યુનિર્વિસટીના પ્રવક્તાએ હવે એવો ખુલાસો કર્યો છે કે મોહમ્મદ એમવાઝી છ વર્ષ પહેલાં યુનિર્વિસટી છોડી ગયો છે અને હવે અમારી જ કોલેજનો વિદ્યાર્થી જેહાદ્દી જ્હોન હોય તો તે આઘાતજનક વાત છે. અમને આ જાણીને દુઃખ થયું છે. અમારી લાગણી જેહાદી જ્હોનના ભોગ બનેલા તમામ લોકો સાથે છે.”

”ધી વોશિંગ્ટન પોસ્ટ” અખબારના જણાવ્યા અનુસાર મોહમ્મદ એમવાઝી ગ્રીનવીટ ખાતે આવેલી એક મસ્જિદમાં અવારનવાર જ જતો હતો. અલબત્ત, એ વિસ્તારના લોકોને મોહમ્મદ એમવાઝી વિશે કશું યાદ નથી. ૨૦ વર્ષની વય પછી તે ગ્રેજ્યુએટ થયો અને કોલેજમાં જે મિત્રો તેને જાણતા હતા તેઓ કહે છેઃ મોહમ્મદ એમવાઝી એક નમ્ર યુવાન હતો. તેને પાશ્ચાત વસ્ત્રો પહેરવાનો શોખ હતો. અલબત્ત, એ પછી તેની ઈસ્લામમાં આસ્થા વધતી ગઈ હતી. તેણે દાઢી વધારવાની શરૂઆત કરી હતી. તે પછી કોઈ પણ સ્ત્રી સાથે ખૂબ વિચારીને આંખ મીલાવતો હતો. પાછળથી તે બદલાતો હોય એમ લાગતું હતું.”

એ પછી તે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બે મિત્રો સાથે તાન્ઝાનિયા ગયો હતો. જેમાં એક જર્મન વિદ્યાર્થી હતો. તેણે ધર્મ પરિવર્તન કરી પોતાનું નામ ઓમર રાખ્યું હતું. બીજા વિદ્યાર્થીનંુ નામ અબુ તાલિબ હતું.

આવો એક સામાન્ય સ્કૂલનો સામાન્ય વિદ્યાર્થી વિશ્વનો સૌથી વધુ ટેરરિસ્ટ બની જશે તેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય, તેના માતા-પિતાએ પણ નહીં.

સ્કૂલ અને કોલેજમાં બાળક શું ભણે છે તેની સાથે તેના મિત્રો કોણ છે ? તે ક્યાં જાય છે, તે કોની અસર નીચે છે તે જાણવાની કોશિશ દરેક માતા-પિતાએ કરવી જોઈએ.

મોહમ્મદ એમવાઝી લંડનથી ક્યારે સિરિયા ભાગી ગયો ક્યારે ખતરનાક આતંકવાદી બની ગયો અને જે પાશ્ચાત સંસ્કૃતિમાં તે ભણ્યો હતો તે જ સંસ્કૃતિના લોકોના માથા વાઢનાર કેમ બની ગયો તે એક સામાજિક, રાજકીય તથા મનોવૈજ્ઞાાનિક કોયડો છે.

– દેવેન્દ્ર પટેલ

બળાત્કાર કર્યા પછી પણ હેવાનનું ક્રૂર અટ્ટહાસ્ય !

બીબીસી-ચેનલ-૪ના મહિલા પત્રકાર લેસ્લી ઉડવીને દિલ્હીની તિહાડ જેલમાં જઈને નિર્ભયા પર બળાત્કાર કરનાર એક આરોપી બસ ડ્રાઈવર મુકેશ સિંહની મુલાકાત લઈ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી,જેનું શીર્ષક છે : ‘ઇન્ડિયાઝ ડોટર.’ એ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતાં પહેલાં મહિલા પત્રકારે તમામ જરૂરી મંજૂરીઓ લીધી હતી. આ ડોક્યુમેન્ટરીમાં આરોપી મુકેશ સિંહે જે વિધાનો કર્યાં છે તેના કારણે દેશભરમાં બબાલ મચી ગઈ છે. કેન્દ્ર સરકારે એ ડોક્યુમેન્ટરી ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફિલ્મ બનાવનાર સામે કાનૂની કાર્યવાહી પણ હાથ ધરી છે. એ બધાની પરવા કર્યા વિના બીબીસી ચેનલ-ફોરે એ ફિલ્મ ટેલિવિઝન પર પ્રસારિત કરી દીધી. આ ફિલ્મના પ્રસારણની વિરોધમાં અને તરફેણમાં એમ બંને બાજુનાં મંતવ્યો આવી રહ્યાં છે.

મુકેશે શું કહ્યું?

બીબીસીની મહિલા પત્રકાર સાથેના ઈન્ટરવ્યૂમાં આરોપી મુકેશ સિંહે કહ્યું હતું કે, “રાતના સમયે ઘરેથી બહાર નીકળતી મહિલાઓ પર અગર છેડતી કરવાવાળા પુરુષોનું ધ્યાન જાય છે તો તેના માટે માત્ર અને માત્ર મહિલાઓ જ જવાબદાર છે. બળાત્કાર માટે એક પુરુષ કરતાં છોકરી જ વધુ જવાબદાર છે. નિર્ભયા પર બળાત્કાર થઈ રહ્યો હતો ત્યારે જો એ છોકરી અને તેના મિત્રએ સામનો કર્યો ના હોત તો બળાત્કાર કરવાવાળાઓએ તેની બેરહમીથી પીટાઈ કરી ન હોત અને તેનું મૃત્યુ નીપજ્યું ના હોત. જ્યારે તેની પર બળાત્કાર થઈ રહ્યો હતો ત્યારે તેણે તેનો વિરોધ કરવાની જરૂર નહોતી. એ વખતે એણે મૌન રહેવાની જરૂર હતી અને બળાત્કાર થવા દેવો જોઈતો હતો. એમ થયું હોત તો તે પછી એ છોકરીને આગળ ક્યાંક બસમાંથી ઉતારી દીધી હોત અને મોતમાંથી બચી ગઈ હોત.”

ક્રૂર અટ્ટહાસ્ય

એક હેવાનનું આ વિધાન હેવાનિયત પછીના ક્રૂર અટ્ટહાસ્ય જેવું લાગે છે. મુકેશ સિંહના બીબીસી પરના આ બયાન બાદ પીડિતાની માતાએ કહ્યું છે કે, “મારી પુત્રીના ગુનેગાર મુકેશનું આ બયાન બેહદ શરમજનક અને કાનૂનની મજાક ઉડાવનારું છે.આ તો કાયદામાં રહેલી નબળાઈનું પરિણામ છે કે જે ગુનેગાર જેલમાં બંધ છે તે માણસ જેલમાં રહીને પણ પોતાની અધમ હરકતને વાજબી ઠેરવવા કોશિશ કરે છે. અમારી દીકરી પર બળાત્કાર કરનાર આરોપીઓને કરવામાં આવેલી સજાનો તરત જ અમલ થયો હોત તો મુકેશ આવી વાત કરવાની હિંમત કરી શક્યો ના હોત.”

આ ફિલ્મ અંગે બળાત્કારનો ભોગ બન્યા પછી મૃત્યુ પામનાર નિર્ભયાના પિતાએ કહ્યું છે : “દરેકે આ ફિલ્મ જોવી જોઈએ જેથી બધાને એ વાતની ખબર પડે કે, એક માણસ જેલમાં હોવા છતાં આવું બોલી શકે છે, તે બહાર હોય તો શું બોલત ?”

હેવાનો થંભ્યા નથી

એ વાત ફરી સમજી લેવાની જરૂર છે કે, દિલ્હીમાં એ રાત્રે નિર્ભયા જે બહાદુરીથી બળાત્કારીઓનો મુકાબલો કરતી રહી, મોતની આગોશમાં જતાં પહેલાં જે રીતે તે જીવન માટે સંઘર્ષ કરતી રહી, મોત પછી સમગ્ર દેશમાં નિર્ભયાના મામલે જે રીતે પ્રતિરોધ વધતો ગયો, એ જ રીતે બળાત્કારીની પણ હેવાનિયત વધતી રહી છે. નિર્ભયા સાથેના હિંસક વ્યવહારની વાતો સાંભળીને લોકોના આત્મા કાંપી ઊઠયા, પણ હેવાનો આજ સુધી થંભ્યા નહીં. સમાજમાં આવી પ્રવૃત્તિ એટલી હદે વધી રહી છે કે, હવે તેમને ના તો કાનૂનનો ડર છે કે ના તો સમાજનો. નિર્ભયા પરના બળાત્કાર બાદ કાનૂનમાં સખ્તી લાવ્યા છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓ વધતી રહી છે. વળી આવા દુષ્કૃત્યો કરનારાઓમાં દરેક વર્ગના લોકોના નામ સામે આવી રહ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે,નિર્ભયા પરના બળાત્કારના આરોપી મુકેશે બીબીસી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું છે કે, “બળાત્કાર કરનારને મોતની સજાના કારણે છોકરીઓ પર જોખમ વધી જશે. હવે કોઈ બળાત્કાર કરશે તો બળાત્કાર કરનાર પુરુષ તે છોકરીને જીવતી છોડશે નહીં, જે અમે કર્યું હતું.”

આરોપી મુકેશની આ વાતો સાંભળ્યા પછી તો એમ લાગે છે કે, મુકેશને પોતે કરેલ કૃત્યનો કોઈ પસ્તાવો નથી. મુકેશના વિધાનો પરથી એ સમજાય છે કે, આપણી કાનૂની વ્યવસ્થા, તેનો અમલ અને ન્યાય પ્રણાલીમાં ક્યાંક કમજોરી છે. આવા હવસખોર દરિંદાઓને કાનૂનનો પણ ભય નથી. કાનૂન માત્ર કાગળ પર જ હોય તેવું તેનું વિધાન છે. અપરાધીને ત્વરિત ગતિએ સજા કરવામાં અને તમામ પ્રક્રિયાઓ ઝડપથી પાર પાડવામાં આપણી વ્યવસ્થા અસફળ રહી છે. એક વાર બળાત્કારીને ઝડપથી સજા મળે તો બીજાઓ પણ તેમાંથી સબક લે, પણ ગમે તે કારણે તેમ થયું નથી. ભારતમાં ન્યાય પ્રણાલી મજબૂત અને ગૌરવપૂર્ણ છે પણ ન્યાયપ્રક્રિયા ધીમી છે.

બીબીસીની ફિલ્મ

નિર્ભયા પર બળાત્કારના આરોપી મુકેશનો ઇન્ટરવ્યૂ કરનાર બીબીસીની ફિલ્મ જેમણે જોઈ છે તે બધા એક વાત સાથે તો સંમત છે કે ફિલ્મમાં અસલ ઇન્ટરવ્યૂ જેમને તેમ દર્શાવવામાં આવ્યો છે. અલબત્ત, ફિલ્મ અંગે પણ મતમતાંતર છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ રંજીતા રંજને કહ્યું છે કે, “હર હાલમાં આ ઇન્ટરવ્યૂનું પ્રસારણ અટકાવવું જોઈએ. બીબીસીએ એક અપરાધીનો ઇન્ટરવ્યૂ લીધો તે દુઃખદ છે અને આરોપીની વાત એણે એ રીતે રજૂ કરી છે કે જેથી આવી હેવાનિયત કરનારાઓને પ્રોત્સાહન મળશે.

સત્ય સામે આંખો બંધ કેમ ?

આ વિધાનની સામે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ ટી. એ. સીમાએ કહ્યું છે કે, “હા, સચ્ચાઈ એ છે કે, એ અપરાધીએ ઈન્ટરવ્યૂમાં જે કહ્યું છે તે ભારતના કેટલાયે પુરુષોની માનસિકતા છતી કરે છે. આપણે સત્યથી આંખો કેમ બંધ કરી દઈએ છીએ?”

રાજ્યસભાના સાંસદ જાવેદ અખ્તરે કહ્યું છે કે, “એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પર પ્રતિબંધ લાવવાથી શું થશે ? કારણ કે મહિલાઓની બાબતમાં પુરુષોની માનસિકતા આવી જ છે. આ માનસિકતા બદલવાની જરૂર છે. સારી વાત એ છે કે, આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી, જેના કારણે આપણી આસપાસના એવા કેટલાય લોકોને એ વાતની તો ખબર પડી જ હશે કે તેઓ પણ બળાત્કારીઓ જેવી જ વિચારધારા ધરાવે છે !”

સુપ્રસિદ્ધ બ્રિટિશ લેખક જેફ્રી આર્ચર આજકાલ ભારતમાં છે. તેમણે કહ્યું છે કે, “લોકતાંત્રિક દેશમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ પરનો પ્રતિબંધ યોગ્ય નથી. હવે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે.”

(ચિત્ર પ્રતીકાત્મક છે)

બીબીસી-ફોરની ડોક્યુમેન્ટરી ફિલ્મે દેશના પુરુષોની માનસિકતા છતી કરી કે બીજું કંઈ ?

ધર્મયુદ્ધ નહીં, પરંતુ ધર્મના નામે યુદ્ધ વિનાશ નોંતરશે

એકવાર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ પાસે એક મહિલા પોતાના બાળકને લઈને ગઈ. મહિલાએ કહ્યું : “મારા દીકરાને ગોળ ખાવાની ટેવ પડી ગઈ છે. તે સતત બીમાર રહે છે. હકીમનું કહેવું છે કે, ગળપણ જ તેની બીમારીનું કારણ છે. એને ગોળ ખાવાનું બંધ કરાવી દો. હું એને આપની પાસે લઈને આવી છું. આપ જ એનો કોઈ ઉપાય કરો.”

હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ થોડીક ક્ષણો માટે વિચારમાં પડી ગયા. થોડી વાર પછી બોલ્યા : “એક કામ કરો, બહેન ! એક અઠવાડિયા પછી આવજો.”

મહિલા પોતાના બાળકને લઈ પાછી ઘરે જતી રહી. તેનો પુત્ર સતત બીમાર રહેતો હતો તેથી તે ભારે ચિંતામાં રહેતી. એક અઠવાડિયા પછી તે મહિલા ફરી તેના દીકરાને લઈને હઝરત મોહંમદ પયગંબર સાહેબ પાસે ગઈ. હઝરત મોહંમદ પયગંબર સાહેબે એ બાળકના માથા પર હાથ મૂકતાં કહ્યું : “બેટા ! આજથી તું ગોળ ખાવાનું બંધ કરી દેજે. તું સાજો થઈ જઈશ.”

તે પછી એમણે મહિલાને કહ્યું : “બહેન ! તમે એને ઘરે લઈ જાવ. તમારો પુત્ર ઠીક થઈ જશે.”

મહિલા વિચારમાં પડી ગઈ. એણે હઝરત મોહંમદ પયગંબર સાહેબને પૂછયું : “આટલી જ વાત હતી તો એક અઠવાડિયા સુધી મને રાહ કેમ જોવડાવી ?”

હઝરત મોહંમદ પયગંબર સાહેબે કહ્યું : “સાચી વાત એ છે કે, મને જ ગોળ ખાવાની ટેવ હતી. પહેલાં હું ગોળ ખાવાની ટેવ છોડી ના દઉં ત્યાં સુધી બીજાને કેવી રીતે કહી શકું. આદત છોડવી મુશ્કેલ છે. મેં એ મુશ્કેલીનો અનુભવ કર્યો. મેં ગોળ ખાવાની આદત એ જ દિવસથી છોડી દીધી જે દિવસે તમે તમારા પુત્રને લઈને આવ્યાં હતાં. હવે હું તેને કહી શકું તે પરિસ્થિતિમાં આવતાં તેને સલાહ અને આશીર્વાદ આપ્યા છે.”

મહિલા રાજી થઈને પોતાના સંતાન સાથે ઘરે ગઈ.
આજના ઉપદેશકો

આ બોધકથા અહીં એટલા માટે પ્રસ્તુત કરાઈ છે કે, આખા દેશમાં ઠેરઠેર ઉપદેશક કેટલાક સાધુ-સંતો, કેટલાક કટ્ટરપંથીઓ, બાવા,બાપુઓ અને કથાકારોની એક ભીડ લાગી ગઈ છે, પરંતુ તેમના ઉપદેશની કોઈ જ અસર સમાજ પર થતી નથી. ગલી ગલીમાં,નગર નગરમાં ઉપદેશકો છે, પણ બીજાને ઉપદેશ આપનારાઓનું સ્વયં જીવન સદાચારથી ભરેલું નથી. ઉપદેશકો જે સિદ્ધાંતોનો મહિમા ભાવપૂર્વક કહે છે તે સિદ્ધાંતોની સુગંધ તેમના જ જીવનમાંથી ગાયબ છે.   કેટલાક સાધુ-સાધ્વીઓ તથા ભગવાં વસ્ત્રધારી નેતાઓ હિંદુ સ્ત્રીઓને ચાર ચાર બાળકો પેદા કરવાની સલાહ આપે છે. સ્ત્રીઓને તેઓ બાળકો પેદા કરવાની ફેક્ટરી સમજે છે. શું ભારતની વસતી ૫૦૦ કરોડ સુધી લઈ જવી છે ? તેમના માટે અન્ન-પાણી લાવશે કોણ ? બાળકો કેટલાં પેદા કરવા તે જે તે સ્ત્રીની ઇચ્છાની વાત અને સ્ત્રીનો અધિકાર છે. જેમણે પોતે જ સંસાર છોડીને સંન્યાસ લેવાનું પસંદ કર્યું છે તેઓ સંસારીઓને સાંસારિક ઉપદેશ આપે છે.

કેવું વિચિત્ર ?
કથાકારોની ભીડ

તે પછી હવે કથાકારોની વાત. ભગવાનની કથા કરનારા કેટલાક કથાકારો ધનવાનોના કથાકારો હોય તેવા લાગે છે. ૫૦ લાખથી ઓછી રકમ હોય તો તેમની કથાઓનું આયોજન શક્ય નથી. ભગવાન શ્રી વેદવ્યાસના પુત્ર શુકદેવજી વનમાં એક સાદા આસન પર બેસી કથા કરતા હતા અને રાજા પરીક્ષિત તથા બીજા ઋષિમુનિઓ તેમની સામે નીચે બેસી કથા સાંભળતા હતા. કેટલાક કથાકારો સ્ટેજ પર નાચતા જોવા મળે છે, સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હોય તે રીતે માથે મુગુટ પહેરી સ્ટેજ પર ભાતભાતનાં નખરાં કરતાં જોવા મળે છે યા સ્ત્રીઓ પર ફૂલો ફેંકતા જોવા મળે છે. પસંદ પડેલી સ્ત્રીને રાત્રે પોતાની કુટિયામાં સેવા કરવા બોલાવતા નજરે પડે છે. સગીરાઓનું શિયળ લૂંટી ધન્યતા બક્ષતા હોવાનો દાવો કરતાં નજરે પડે છે. અબજોના આશ્રમો ઊભા કરતાં જોવા મળે છે. છેવટે જેલમાં પહોંચી ગયેલા જોવા મળે છે. કેટલાક સંતો પોલીસ સામે યુદ્ધ કરવા પ્રાઈવેટ કમાન્ડો રાખતા જોવા મળે છે. આશ્રમોના ભવ્ય મહેલો બાંધતા જોવા મળે છે. આશ્રમમાંથી લાઠીઓ અને બંદૂકો રાખતાં જોવા મળે છે.

જો આવા જ ઉપદેશકો હોય તો સમાજ પર તેની અસર ક્યાંથી થાય ?
૨૦૦૦ કરોડના બાબા

કેટલાક બાબાઓ તો માત્ર સાધુના ભગવાં વસ્ત્રો જ પહેરે છે, પરંતુ ભીતરથી રાજકારણીઓ છે. જે વ્યક્તિ સંસારની તમામ ભૌતિક ચીજવસ્તુઓનો ત્યાગ કરે તે સાધુ, પરંતુ સ્કોટલેન્ડમાં અબજોનો ટાપુ ધરાવે તેને ત્યાગી સાધુ કેવી રીતે કહી શકાય ? એ બાબાની કંપનીઓ પાસે ૨૦૦૦ કરોડની સંપત્તિ છે. ટેલિવિઝન ચેનલનો માલિક હોય તેને સાધુ કહેવો કે કોર્પોરેટ કંપનીનો માલિક? ચૂંટણી પહેલાં ‘કાલા ધન’ લાવવાનાં પ્રવચનો કરતો અને ચૂંટણી પછી મૌન થઈ જનાર સાધુને સાધુ કહેવો કે રાજકારણી ? સરકારી જમીનો પચાવી પાડનારને સાધુ કહેવો કે માફિયા ? આ વાત માત્ર કેટલાક હિંદુ સંતોને લાગુ પડે છે તેવું નથી. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના કેટલાક ઉપદેશકોને પણ લાગુ પડે છે. વિદેશમાંથી અબજોનું ધન લાવી, લોકોને લલચાવી, પૈસા આપી જેઓ ધર્માંતરણ કરાવે છે તેઓ પણ સાધુ ઓછા અને ચળવળિયા-એક્ટિવિસ્ટ વધુ છે.

કટ્ટરપંથીઓ

એવું જ કટ્ટરપંથીઓનું છે. સિરિયામાં કાર્યરત આઈએસના આતંકવાદી સંગઠને યેઝદી ધર્મની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાની બાબતને યોગ્ય ઠેરવી લોકોને ગુમરાહ કર્યા છે. એ લોકો ખ્રિસ્તીઓના ગળા કાપી નાખે છે. એમના સંગઠનમાં જોડાયેલી મહિલાઓને અને આતંકવાદીઓની શૈયા સંગિની બનાવવા ફરજ પાડે છે અને આ બધું જ ધર્મના નામે. તાલિબાનો પણ ધર્મના નામે દીકરીઓને સ્કૂલમાં ભણવા જવા પર પ્રતિબંધ મૂકે છે. કોઈ વિરોધ કરે તો મલાલા જેવી કન્યા પર ગોળીઓ ચલાવે છે અને તે પણ બધું જ ધર્મના નામે. જે આતંકવાદીઓ પોતાના જ ધર્મનાં નિર્દોષ બાળકોના માથામાં ગોળીઓ મારી બાળસંહાર આચરે છે તેઓ શયતાન છે, ધર્મગુરુઓ નહીં. ત્રાસવાદીઓને કોઈ ધર્મ હોતો નથી. ત્રાસવાદ એ આજના સમયની મનોવિકૃતિ છે. મોહંમદ પયગંબર સાહેબે કદીયે કોઈનું વેર લેવા કે બાળકોની હત્યા કરવાનું કહ્યું નથી. અન્ય ધર્મની સ્ત્રીને ભોગવવાનું અને તે શરણે ના આવે તો તે બધી સ્ત્રીઓની સામૂહિક હત્યા કરવાનું કોઈ ધર્મમાં કહેવામાં આવ્યું નથી.

ધર્મ અને જેહાદના નામે વિશ્વમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે ભયાનક પરિણામો લાવી શકે છે. લાગે છે કે, વિશ્વના કેટલાક ધર્મોના ધર્મગુરુઓ, બાવા, બાપુ, તાલિબાનો અને કટ્ટરપંથી આતંકવાદીઓ નિર્દોષ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. વિશ્વ એક જ્વાળામુખી પર બેઠું છે અને રાજકારણીઓ વોટબેંક ખાતર તેમાં પેટ્રોલ છાંટવાનું કામ કરી રહ્યાં છે.

બધા જ ધર્મોના ઉપદેશકોનું સ્વયં જીવન તેમના ઉપદેશો અનુસાર જણાતું નથી

આઇએસ હવે ઐયાશ બને છે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

આતંકવાદ હવે માત્ર આતંકવાદ રહ્યો નથી, બલકે તે વિકૃત સ્વરૂપ ધારણ કરતો જાય છે. જર્મન મનોવૈજ્ઞાાનિક ડો.સિગમંડ ફ્રોઈડે કહ્યું છે કે, “માનવીની બધી જ પ્રવૃત્તિઓનાં મૂળમાં સેક્સ છે.” ડો.ફ્રોઈડની આ થિયરી પર અનેક મીમાંસાઓ થયેલી છે. આમ છતાં તેઓ મનોવિજ્ઞાાનના પિતા ગણાય છે. ઈસ્લામિક સ્ટેટ અર્થાત્’આઈએસ’ના નામે સીરિયા અને ઈરાકમાં એ ખતરનાક સંગઠન દ્વારા જે કંઈ કૃત્યો આચરવામાં આવી રહ્યાં છે, તેણે ઓસામા બિન લાદેન,ઓમર મુલ્લા અને અલ ઝવાહિરીને પણ પાછળ પાડી દીધા છે. કાળો બુરખો ઓઢીને અન્ય ધર્મીઓનાં ગળાં કાપતાં આઈએસના આતંકવાદીઓ હવે સેક્સ મેનિયાક પણ બની રહ્યા છે. એ સંગઠનમાં જોડાઈ રહેલી મહિલાઓ સાથે જે વર્તન કરે છે તે કોઈ પણ સભ્ય સમાજને સ્વીકાર્ય નહીં હોય.

આઈએસ નામનું આ સંગઠન આખા વિશ્વમાં ભય ફેલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સ્ત્રીઓને જન્નતમાં લઈ જવાની લાલચો આપી સ્ત્રીઓને આઈએસમાં જોડાવા નિમંત્રણ આપે છે. આ કામ ઈંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં રહેતા આઈએસના સમર્થક લોકો જ કરી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ પ્રકારની લાલચથી કેટલીક મુસ્લિમ યુવતીઓ ઈંગ્લેન્ડ છોડી સીરિયા કે ઈરાક ગઈ હતી. એક વાર ત્યાં ગયા પછી જે કડવા અનુભવોને લઈ તે પાછી ફરી તે દરેકની પાસે કહેવા માટે કોઈ ને કોઈ હોરર સ્ટોરી છે. આઈએસની જાળમાં ફસાયા બાદ છટકીને પાછી ફરેલી કેટલીક મહિલાઓ ગર્ભવતી હતી. આઈએસએ દુનિયાભરમાંથી મહિલાઓની ભરતી માટે અભિયાન ચલાવેલું છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અપાયેલી લાલચોથી આર્કિષત થઈને બ્રિટનની ત્રણ યુવતીઓ તુર્કીના રસ્તે થઈ સીરિયા પહોંચી ગઈ હોવાના ખબર છે.

બ્રિટનની પોલીસના અહેવાલ મુજબ ૧૫ વર્ષની શમીમા બેગમ અને અમીરા અબેસ તેની ૧૬ વર્ષની સખી ખદીજા સુલતાનાની સાથે લંડનથી તુર્કી જવા નીકળી ગઈ છે. એમણે બહાર નીકળતાં પહેલાં તેમના પરિવારજનોને એમ કહ્યું હતું કે, તેઓ એક દિવસ માટે એક સખીના ઘરે રહેવા જઈ રહ્યાં છે, પરંતુ બીજા દિવસે તે પાછી ઘરે આવી જ નહીં. ઘરવાળાઓએ પોલીસને તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. બ્રિટિશ પોલીસને તપાસના આધારે માલૂમ પડયું કે આ ત્રણેય છોકરીઓ તુર્કીના માર્ગે સીરિયાની સીમામાં દાખલ થઈ આતંકવાદી સંગઠન- આઈએસમાં સામેલ થઈ ગઈ છે.

શમીમા બેગમના પરિવારે પોતાની દીકરીને અપીલ કરતાં જણાવ્યું છે કે, “બેટા, સીરિયા ખતરનાક જગ્યા છે. તું ત્યાં જાય તેવું અમે ઇચ્છતાં નથી. તું જલદી પાછી આવી જા. તું પાછી આવીશ તો તને કોઈ ેલડશે નહીં.”

બ્રિટનમાં રહેલી ટીનેજ કિશોરીઓ એકલવાયા જીવન અને અસમાનતાને કારણે આઈએસ પ્રત્યે આર્કિષત થઈ રહી છે. કેટલીક વખતે ખતરનાક આતંકવાદીઓ તેમને ‘હીરો’ જેવા ભાસે છે. તેમની સાથે રોમાન્સ કરવાની છૂપી લાગણીથી પણ તે કિશોરીઓ અબુધ અવસ્થામાં આઈએસ પ્રત્યે આકર્ષાઈ રહી છે. કેટલીક યુવતીઓને આસપાસના વાતાવરણમાં અસમાનતા જોઈ જેહાદી જૂથમાં સામેલ થઈ જવાની ઇચ્છા પ્રગટે છે. કેટલીક યુવતીઓને ‘થ્રિલ’ જોઈએ છે. સોશિયલ મીડિયા દ્વારા આતંકી સંગઠન તેમનો ઓનલાઈન સંપર્ક કરે છે. ફેસબુક પર તેઓ આતંકવાદીની ફેન બની જાય છે તે પછી આતંકવાદી તેની સાથે લગ્ન કરવાની ઓફર કરે છે. આવી ઓફર મળતાં જ કેટલીક નિર્દોષ છોકરીઓ રોમાંચ અનુભવે છે. કેટલીક યુવતીઓ પોતાનો એક દેશ બને તેવી ઇચ્છાથી આઈએસમાં જોડાઈ રહી છે. તેમને કહેવામાં આવે છે કે વિશ્વમાં એક ઈસ્લામિક રાષ્ટ્ર બને તે માટે મહિલાઓએ પણ પોતાનું યોગદાન દેવું જોઈએ.

આઈએસ સંગઠનમાં ગળાં કાપવા માટે જે આતંકવાદી કુખ્યાત છે તેનું નામ જ્હોન છે. તે મૂળ બ્રિટનનો રહેવાસી છે. તે મુસ્લિમ છે અને જ્હોન તેનું ઉપનામ છે. તેણે સીરિયા તથા ઈરાકમાં યઝદી સમુદાયના લોકોની ઠંડા કલેજે કત્લ કરી છે. કેટલીયે યઝદી સ્ત્રીઓનાં અપહરણ કરાવ્યાં છે. અપહૃત સ્ત્રીઓ પર આઈએસના આતંકવાદીઓએ સામૂહિક બળાત્કાર કર્યા છે. સામૂહિક બળાત્કાર કર્યા બાદ તે સ્ત્રીઓની હત્યા કરી નાંખી છે. આ બધામાં નોંધપાત્ર વાત એ છે કે આઈએસના આતંકવાદીઓએ સ્ત્રીઓના સેક્સુઅલ એક્સપ્લોઇટેશન માટે એક જેહાદ શરૂ કરી છે અને તેને ‘જેહાદ-અલ-નિકાહ’ એવું નામ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, આઈએસની એક શાખા- ‘અલ ફારુક’ને આઈએસના આતંકવાદીઓને સેક્સ માણવા માટે સ્ત્રીઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કામ માટે તેમણે ધર્મની આડ લીધી છે. તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઈ મહિલા વિવાહિત હોય, પરંતુ તે જો કોઈ જેહાદી સાથે શારીરિક સંબંધ બાંધે છે તો તે વાજબી છે અગર તે નિકાહ વગર પણ કોઈ જેહાદી સાથે સંબંધ બાંધે છે તો તે પણ વાજબી છે. તેને ‘જેહાદ-અલ-નિકાહ’ એવું નામ આપવામાં આવ્યું છે. આ સંગઠન આવી મહિલાઓને મુજાહિદ કહીને આમંત્રણ આપે છે.

આવા આમંત્રણથી આર્કિષત થઈને ટયુનિશિયા સહિત કેટલાંયે આફ્રિકી દેશો, એશિયાઈ દેશો તથા યુરોપના દેશોમાંથી કેટલીયે મહિલાઓ આઈએસની જાળમાં ફસાઈને સીરિયા પહોંચી. સીરિયા પહોંચીને ચોવીસ જ કલાકમાં તે સ્ત્રીઓને આઈએસના લડવૈયાઓ સાથે શારીરિક સંબંધો બાંધવાનું કહેવામાં આવ્યું. તેમના માટે એક સમયપત્રક બનાવી દેવામાં આવ્યું કે કઈ યુવતીએ કયા આતંકી સાથે કેટલો સમય વિતાવવાનો. આ મહિલાઓ સાથે ૨૦થી ૧૦૦ વખત આતંકીઓએ દુષ્કર્મ કર્યું. જે મહિલાઓએ વિરોધ કર્યો તેમની હત્યા કરી દેવામાં આવી. દુષ્કર્મ બાદ કેટલીક સ્ત્રીઓને વેચી દેવામાં આવી. કેટલીકને તેમના દેશ પાછા ભાગી જવાની તક મળી. જેઓ પાછી ફરી તેમાંથી મોટાભાગની યુવતીઓ ગર્ભવતી હતી.

આઈએસની આ જેહાદ-અલ-નિકાહમાં સહુથી વધુ સ્ત્રીઓ ટયુનિશિયાની છે. ટયુનિશિયામાં ગરીબી વધુ છે. આ બધી સ્ત્રીઓ સોશિયલ મીડિયા પર આઈએસ સંગઠને ફેલાવેલી જાળનો ભોગ બની હતી. તેમને બહેતર જીવનની લાલચ આપવામાં આવી હતી. અલબત્ત, કેટલીક મહિલાઓ ખુશ થઈને પણ આઈએસને મદદ કરી રહી છે. તે યુવતીઓ સીરિયાની બહારના દેશોમાં જઈ વિવિધ દેશોની યુનિર્વિસટીઓમાં જાય છે. યુનિર્વિસટીમાં ભણતી યુવતીઓને ભોળવી તેમને બહેતર જિંદગી માટે આઈએસમાં જોડાવા અને સીરિયા જવા લલચાવે છે. જે છોકરીઓ સીરિયા જવા તૈયાર થઈ જાય છે તેમને સીરિયા પહોંચાડવાનો ઇંતજામ પણ કરે છે. આઈએસની આ પ્રવૃત્તિ જોઈ ટયુનિશિયન સરકાર પણ ચોંકી ઊઠી છે. ટયુનિશિયાની સરકાર જેહાદ-અલ-નિકાહના સંદર્ભમાં સીરિયા ભાગી જવા માંગતી યુવતીઓને રોકવા યોજના બનાવી રહી છે.

આતંકવાદીઓનું આ સેક્સ કનેક્શન મહિલાઓ માટે અને વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે’- એવા ભારતમાં હજ્જારો બાળકીઓની હત્યા કેમ?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
આજે મહિલા દિન છે.

ભારતીય સંસ્કૃતિનું એ સુપ્રસિદ્ધ વિધાન છેઃ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ

વિશ્વની કોઈ પણ સભ્યતા કે સંસ્કૃતિમાં સ્ત્રીને આવું સ્થાન આપવામાં આવ્યું નથી કે, જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે, પ્રસન્ન થાય છે. તે શ્લોક પછીના ભાગમાં કહેવામાં આવ્યું છેઃ યત્રૈ તાસ્તુ ન પૂ્જ્યન્તે સર્વાસ્ત્રા ફલાક ક્રિયાઃ અર્થાત્ જ્યાં સ્ત્રીઓનું સન્માન થતું નથી ત્યાં યજ્ઞાયાગ વગેરે સર્વ કર્મક્રિયાઓ નિષ્ફળ જાય છે.

આ વાતનું સૌથી મોટું પ્રમાણ શિવપુરાણમાં છે. એક વાર શિવ અને પાર્વતીજી બેઠેલાં હતાં. એ વખતે આકાશમાં વિમાનો ઊડતાં દેખાયાં. પાર્વતીજીએ શિવને પૂછયું: “આટલા બધા દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે?”

વારંવાર પૂછતાં છેવટે શંકર ભગવાને કહ્યું, “સતી! તમારા પિતા દક્ષરાજે એક મોટા યજ્ઞાનું આયોજન કર્યું છે અને બ્રહ્માજીને પ્રજાપતિ નાયક બનાવ્યા છે. આ બધા દેવતા ત્યાં જઈ રહ્યાં છે. મને અને તમને નિમંત્રણ નથી.”

પાર્વતીજીએ કહ્યું:”ભલે નિમંત્રણ ન હોય પણ એ યજ્ઞા તો મારા પિતાએ યોજ્યો છે. પિતાના ઘરે જવા નિમંત્રણની જરૂર હોતી નથી.”

શિવની ના છતાં સતીએ હઠ પકડી. તેઓ પિતાના ઘર તરફ જવા નીકળ્યાં. આ તરફ દક્ષરાજાએ પહેરગીરોને કડક સૂચના આપી હતી કે,”મેં શંકરને આમંત્રણ આપ્યું નથી, તેથી તેઓ નહીં આવે, પરંતુ મારી પુત્રી આવે તો તેનું સન્માન કરવું નહીં.”

સતી પિતાના મહેલના દ્વાર પાસે પહોંચ્યાં. બધાએ તેમને જોઈ મોં ફેરવી લીધું. બહેનો પણ સતીનો વ્યંગ કરવા લાગી. એકમાત્ર માતાએ પુત્રીને આશ્વાસન આપ્યું. પિતા દક્ષરાજા તો અભિમાનથી બેઠા હતા. ઋષિમુનિઓ યજ્ઞામાં આહુતિ આપતા હતા. પાર્વતીજીએ જોયું તો યજ્ઞાશાળામાં પતિ માટે કોઈ સ્થાન, આસન કે ભાગ નહોતાં. શિવભાગ કાઢયા વિના વૈદિક નિયમ મુજબ કોઈ યજ્ઞા થઈ શકે નહીં, પરંતુ ઋષિઓ કંઈ બોલ્યા નહીં. પતિ શિવનું આવડું મોટું અપમાન જોઈ સતીને ક્રોધ થયો અને તેઓ બોલ્યાં: ” જે લોકોએ શિવની નિંદા કરી છે અને સાંભળી છે તેનું ફળ તેમને તરત જ મળશે. મારાં માતા-પિતાને પણ પશ્ચાતાપ થશે. મારા પિતા જગતપતિ એવા શિવનું અપમાન કરે છે તેથી દક્ષની પુત્રી તરીકે હું મારો દેહ ટકાવી રાખવા માંગતી નથી. હું ચન્દ્રમૌલેશ્વર ભગવાન શંકરને મારા હૃદયમાં ધરીને આ શરીરનો ત્યાગ કરું છું.”

એમ કહી સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાં યોગથી અગ્નિ પ્રગટ કરી પોતાના દેહને અગ્નિમાં ભસ્મીભૂત કરી દીધો. યજ્ઞામંડપમાં હાહાકાર મચી ગયો. સતીના અગ્નિસ્નાનની ખબર પડતાં જ ભગવાન શંકરને ક્રોધ ચડયો. તેમણે તાંડવ કર્યું. તેમના મુખ્ય ગણ વીરભદ્રને યજ્ઞાભૂમિ પર મોકલ્યો અને તેણે યજ્ઞાનો નાશ કર્યો. દક્ષરાજની દુર્ગતિ થઈ.

આ તો સુપ્રસિદ્ધ પુરાણકથા છે. પ્રાચીનકાળથી ભારતભૂમિ પર જન્મેલી સ્ત્રીઓ પ્રતાડિત થતી આવી છે. અપમાનિત થતી આવી છે,ઉપેક્ષિત થતી આવી છે. પ્રાચીનકાળના દક્ષરાજા જેવા એક પિતાએ પુત્રી અને જમાઈ બેઉને અપમાનિત કર્યાં હતાં. મહાભારતમાં દ્રૌપદીની પણ એ જ હાલત થઈ હતી. પાંડવોએ પોતાની પત્નીને જ જુગારમાં મૂકી દીધી હતી તે એક સ્ત્રીનું પહેલું અપમાન હતું. તે પછી ભરીસભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું તે બીજું અપમાન હતું. કુળવધૂનાં ચીર ખેંચાતાં હતાં ત્યારે ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર,દ્રોણાચાર્ય જેવા વડીલો ચૂપ બેસી રહ્યા હતા. એકમાત્ર વિદુરજી જ કંઈક બોલ્યા હતા. છેવટે દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા હતા અને ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવી હતી. પાંચેય પતિઓ અને પિતામહો એક સ્ત્રીના અપમાન વખતે મૌન હતા. રામાયણમાં પણ લંકાવિજય પછી પાછા આવેલાં ભગવાન રામ-સીતા અને લક્ષ્મણને અયોધ્યામાં આવકારવામાં આવ્યાં હતાં, પરંતુ એક સામાન્ય માનવીએ સીતા સતીના વિશે શંકા-કુશંકા કરી સતીનું અપમાન કર્યું હતું અને સીતાએ પોતાના સતીત્વનું પ્રમાણ આપવા મા પૃથ્વીને વિનંતી કરવી પડી હતી કે, “હું પવિત્ર હોઉં તો મને માર્ગ આપ અને તારામાં સમાવી લે.” છેવટે પૃથ્વીએ એક મોટી તિરાડ ઊભી કરી ને સતી સીતા તેમાં સમાઈ ગયાં.

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને અપમાનિત કરવાનો સિલસિલો પુરાણો છે. તત્કાલીન કાળના પિતાઓએ પુત્રીને અપમાનિત કરી છે. પિતામહો કુળવધૂને અપમાનિત થતાં જોઈ રહ્યાં છે. અયોધ્યાના સામાન્ય માનવીએ પણ સતી સીતાને અપમાનિત કરવાનું કામ કર્યું છે. સ્ત્રીઓને અપમાનિત કરવાનાં ફળ એમણે ભોગવવાં પણ પડયાં છે. પાર્વતીજીને અપમાનિત કરવાથી દક્ષ રાજાનો નાશ થયો. દ્રૌપદીનું અપમાન કર્યાં બાદ મહાભારતનું યુદ્ધ થયું અને કૌરવોનો નાશ થયો. સીતાજીને ઉપાડી જનાર રાવણનો અંત આવ્યો. છેવટે તો ધર્મ અને નીતિનો જ વિજય થયો છે.

ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિનું જે મહત્ત્વપૂર્ણ સ્થાન છે તેવું બીજી કોઈ સંસ્કૃતિમાં નથી. મહાભારતમાં પાંડવોની માતા કુંતીનું પણ એક આગવું મહત્ત્વ હતું. ભીષ્મ પિતામહ હંમેશાં ગંગાપુત્ર તરીકે જ ઓળખાયા. બાલકૃષ્ણ હંમેશાં તેમનાં પાલક માતા જશોદાજીના નામે જશોદાનંદન તરીકે ઓળખાયા. ભગવાન શ્રી રામને વનમાં જવું પડયું ત્યારે સીતાજીએ પણ મહેલનો ત્યાગ કરી પતિ સાથે વનમાં જવાનું પસંદ કર્યું. જેના નામથી આ દેશનું નામ ‘ભારત’ પડયું તે રાજા ભરત પણ સ્વર્ગની અપ્સરા મેનકાની પુત્રી શકુન્તલાનો પુત્ર હતો. શકુન્તલાના પિતા વિશ્વામિત્ર હતા. શકુન્તલાની કથા પરથી મહાકવિ કાલિદાસે ‘શાકુન્તલમ્’ ની રચના કરી.

પ્રાચીનકાળથી આજ દિન સુધી ભારતીય સમાજ, સંસ્કૃતિ અને સભ્યતામાં સ્ત્રી હંમેશાં કેન્દ્રસ્થાને રહી છે. અલબત્ત, દરેક વખતે સ્ત્રીઓનું સન્માન થયું છે તેવું નથી બન્યું. ભારતીય સંસ્કૃતિમાં એક કાળે સતીપ્રથા જેવા કુરિવાજો પણ હતા. પતિ મૃત્યુ પામે એટલે સ્ત્રીએ પણ જીવતેજીવત ચિતા પર ચઢી જવું પડતું. હવે એ પ્રથાનો અંત આવ્યો છે. આજે પણ કેટલાંક સમાજમાં વિધવા સ્ત્રીઓનાં પુનર્લગ્ન પર પ્રતિબંધ છે. કાશીમાં હજારો વિધવા નારીઓ દુઃખદાયક જીવન જીવી રહી છે. એક જમાનામાં બાળકીને જન્મતાં સાથે તેને દૂધ પીતી કરી દેવાતી, અર્થાત્ દૂધના મોટા પાત્રમાં ડુબાડી દેવાતી કે પછી નદીમાં ફેંકી દેવાતી. આજે જન્મ પહેલાં જ બાળકીની ઉદરમાં હત્યા કરી દેવાય છે. આ દેશમાં એક સમયે દેવદાસી પ્રણાલિકા પણ હતી. યુવાન સ્ત્રીઓને દેવદાસી બનાવી મંદિરોના પૂજારીઓની દયા પર છોડી દેવામાં આવતી. એક કાળે બહુપત્નીત્વ પણ હતું. પુરુષો એક કરતાં વધુ પત્નીઓ રાખતા. આજે પણ કહેવાતા સુધરેલા સમાજમાં દહેજપ્રથા છે. કન્યાવિક્રય થાય છે. એક યુવતી બીજી જ્ઞાાતિમાં પરણે તો તેનો સામાજિક બહિષ્કાર થાય છે, સજા કરવામાં આવે છે. એવી યુવતીઓની હત્યા કરી દેવામાં આવે છે. એક જમાનામાં ‘બૂધેમાર સીધી’ જેવી સ્ત્રીઓને અપમાનિત કરનારી કહેવતો પ્રચલિત હતી. ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી’ એ પણ સ્ત્રીના ગૌરવનું અપમાન કરનારી કહેવત છે. દેશ ૨૧મી સદીમાં પ્રવેશ્યો પણ જે દેશમાં એક મહિલા વડાપ્રધાન બન્યાં, જે દેશમાં એક મહિલા રાષ્ટ્રપતિ બન્યાં, જે દેશમાં અનેક મહિલાઓ મુખ્યમંત્રી બની, જે દેશની માતાઓએ છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ,સરદાર પટેલ જેવી વિભૂતિઓ આપી તેની જ રોજ ભ્રૂણહત્યા થાય છે, દેશમાં છાશવારે સ્ત્રીઓ પર બળાત્કાર થાય, દહેજને કારણે સ્ત્રીની હત્યા થાય કે સ્ત્રીઓ અપમાનિત થાય તે કેવું?

શું ભારતમાં સ્ત્રીઓનો આદર થાય છે ખરો?
ભારતીય સ્ત્રીઓ સુરક્ષિત છે ખરી?
જવાબ તમારી આસપાસ જ છે.

Powered by WordPress & Theme by Anders Norén