Devendra Patel

Journalist and Author

Month: December 2015

‘મેડમ, હમારા ભી ચલાન કાટ દો’ : આ કેવી મજાક

દિલ્હીમાં નિર્ભયા કાંડની ઘટનાને ત્રણ વર્ષ પૂરાં થયાં. અગાઉના કાનૂનની મર્યાદાનો લાભ લઈ સગીર અપરાધી છૂટી ગયો. હવે સગીરની વયમર્યાદા બદલાઈ ગઈ. હવે દુષ્કર્મ કરનારાઓ સામેનો કાનૂન કડક બનાવાયો છે. તે અગાઉ કેટલાક સમય પહેલાં સરઘસો નીકળ્યા. મહિલાઓએ મીણબત્તીઓ સળગાવી. મીડિયામાં ખૂબ ચર્ચાઓ થઈ. મેકઅપ અને લિપસ્ટિક લગાવીને આવેલી એક્ટિવિસ્ટ મહિલાઓએ ડાહી-ડાહી વાતો કરી. આ બધું સાચું પણ તે પછી દેશની હાલત શું છે ?

સેક્સ ક્રાઈમ કેટલા ?

લ્યો આ રહ્યા આંકડા. આ રહી કડવી લાગે તેવી હકીકત. નિર્ભયા-કાંડ પછી આજે પણ દેશના પાટનગર દિલ્હીમાં રોજ યુવતીઓ સાથે દુષ્કર્મની કે છેડતીની ૨૬ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. અર્થાત્ દિલ્હીમાં રોજ દર ચાર કલાકે એક બળાત્કારની ઘટના બને છે. આ આંકડા ચોંકાવનારા છે. સાંજ પડયા પછી દિલ્હી આજે પણ સ્ત્રીઓ માટે અસલામત છે. દિલ્હીના આંકડા કહે છે કે પાછલા બે દાયકામાં ગુનાખોરી આજના કરતાં ઓછી હતી. ૧૯૯૮માં દિલ્હીમાં વિવિધ પ્રકારના કુલ ૬૪,૮૮૨ ગુનાઓ નોંધાયા હતા. ૨૦૦૧ આ આંકડો ઘટીને ૫૪,૩૮૪ જેટલો થયો હતો. ૨૦૧૧માં આ આંકડો ઘટીને ૫૩,૩૫૩ જેટલો થઈ ગયો હતો. એ વખતે સ્ત્રીઓ સાથેના ગુના ઓછા હતા.

૨૫૦ ટકાનો વધારો

તા.૧૬ ડિસેમ્બરની નિર્ભયાકાંડની ઘટના બાદ પોલીસને એવી સૂચના આપવામાં આવી કે સ્ત્રીઓ સામેના તમામ ગુનાઓ એફઆઈઆરમાં તબદીલ કરી દેવા.

પરિણામ શું આવ્યું ?

૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન દુષ્કર્મના કેસોમાં ૨૫૦ ટકાનો વધારો થયો. જ્યારે છેડતી વગેરેના કેસોમાં ૭૦૦ ટકાનો વધારો થયો. ૨૦૧૧માં ૫૭૨ દુષ્કર્મના કેસો અને ૬૫૭ છેડતીના કેસો નોંધાયા. આ વર્ષને લાગેવળગે છે ત્યાં સુધી તા.૨જી ડિસેમ્બર સુધીમાં ૨૦૧૭ દુષ્કર્મના અને ૫૦૪૯ કેસો છેડતીના નોંધાયા. દિલ્હીના ગોવિંદપુરી, માલવિયાનગર, ભાલાસવા ડેરી, વસંત વિહાર, મહેરોલી વિસ્તારોમાં આ પ્રકારના કેસોનું પ્રમાણ વધુ છે.

કારણ શું?

નિષ્ણાતો કહે છે કે, જ્યાં વસ્તીની ઘનતા વધુ છે ત્યાં આ પ્રકારના કેસોનું પ્રમાણ વધુ છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પાણી, ગટર,શિક્ષણની પાયાની સવલતો ઓછી છે અને જ્યાં બેકારીનું પ્રમાણ વધુ છે ત્યાં આવા ગુના વધુ નોંધાયા છે. આ ઉપરાંત હવે મોબાઈલ પર પણ પોર્નોગ્રાફી મટીરિયલ સરળતાથી ઉપલબ્ધ છે, જ્યાં સસ્તા દારૂ સરળતાથી ઉપલબ્ધ છે, જ્યાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ છે ત્યાં યુવાનોમાં સેક્સુઅલ ક્રાઈમનું પ્રમાણ વધુ છે. કેટલાક વિસ્તારોના દબંગ કિશોરોને તથા યુવાનોને દુષ્કર્મ સામેના કડક કાનૂનનું જ્ઞાાન પણ નથી અને જાગૃતિ પણ નથી. યોગ્ય શિક્ષણનો અભાવ તે સૌથી મોટું કારણ છે. દિલ્હીમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવાના વચનો રાજનેતાઓ આપતા રહ્યા છે પરંતુ તેવું શક્યું નથી.

મહિલા પોલીસની તંગી

નિર્ભયા સાથેની કમનસીબ ઘટના બાદ એવી જાહેરાત થઈ હતી કે, દિલ્હીમાં મહિલાઓ સાથેના દુરાચારના કેસોની તપાસ હવે માત્ર મહિલા પોલીસ કરશે. આ વાતનો અમલ શરૂ થયો છે પરંતુ જેટલા પ્રમાણમાં મહિલા પોલીસ હોવી જોઈએ તેટલી સંખ્યા દિલ્હી પોલીસ પાસે નથી. દિલ્હીની પોલીસની કુલ સંખ્યાનો નવ ટકા હિસ્સો જ મહિલા પોલીસનો છે અને તેમાંથી પણ માત્ર ૮૦૦ જેટલી મહિલા પોલીસ એવા કેસોની તપાસ કરવાની લાયકાત ધરાવે છે અને દિલ્હીમાં બળાત્કારના કેસોમાં ૨૫૦ ટકાનો વધારો થયો છે. ત્યારે તે બધા કેસોની તપાસ માટે આ સંખ્યા પૂરતી નથી. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે, પોલીસની એક મહિલા ઈન્વેસ્ટિગેશન ઓફિસર પાસે આ પ્રકારના સેક્સુઅલ ક્રાઈમના ૧૫થી ૨૦ કેસો છે. આ સિવાયના બીજા પ્રકારના ગુનાઓની તપાસના કેસો અલગ, જેમાં ચોરી, લૂંટ, ચેઈન સ્નેચિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ મહિલા ઓફિસરોએ ટ્રાફિક નિયમનની કામગીરી પણ બજાવવાની હોય છે. બીજો નોંધપાત્ર આંકડો એ છે કે દિલ્હી પોલીસ વિભાગ આમે ય ૨૦,૦૦૦ પોલીસમેનોની તંગી છે. વળી પોલીસ સ્ટેશનો પર મહિલા પોલીસ માટે જે પાયાની સુવિધાઓ જોઈએ તે પણ બધે ઉપલબ્ધ નથી. પોલીસ ટ્રેનિંગ કોલેજો ઉપલબ્ધ નથી.પોલીસ ટ્રેનિંગ કોલેજો અને સ્કૂલોની પણ તંગી છે.

પોલીસની પણ છેડતી ?

દિલ્હીના ઠગો મહિલા પોલીસને પણ છોડતા નથી. દિલ્હીથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર ‘હિંદુસ્તાન ટાઈમ્સ’એ એક કિસ્સો નોંધ્યો છે આ અહેવાલ અનુસાન એક મહિલા પોલીસ અધિકારી છેલ્લા ૨૦ વર્ષથી દિલ્હી પોલીસમાં ફરજ બજાવે છે. તેમને દિલ્હી ટ્રાફિક નિયમન માટે એક પોઈન્ટ પર જવાબદારી સોંપવામાં આવી હતી. આ મહિલા પોલીસ અધિકારી કહે છે : ‘હું રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી હોઉં ત્યારે રસ્તા પર જાહેરમાં જ કેટલાક લોકો મને પરેશાન કરે છે. કેટલાક મારી મજાક ઉડાવે છે. એક વાર મારી સેન્ટ્રલ દિલ્હી ખાતે ટ્રાફિક નિયમન માટે નિમણૂક થઈ હતી. જે લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હતા તેમને હું પકડતી હતી અને ચલાન આપતી હતી. એક મોટરકારવાળાએ સિગ્નલનો ભંગ કર્યો. મેં એને રોકયો અને હું એ કાર ચાલકને દંડ ભરવાનું ચલાન આપી રહી હતી તે વખતે એક મોટરબાઈક અચાનક જમ્પ કરીને મારી પાસે આવી અને મારી પાછળ ઊભી રહી. મોટરબાઈક બે સવાર હતા. મોટરબાઈકની પાછળ બેઠેલા એક માણસે મોટા અવાજે મને કહ્યું: ‘મેડમ, હમારા ભી ચલાન કાટ દિજીયે.’ એ માણસની વાત સાંભળી હું ક્ષોભજનક પરિસ્થિતિમાં આવી ગઈ. હું યુનિફોર્મમાં હોવા છતાં તે માણસે મારી મજાક કરવા પ્રયાસ કર્યો હતો કારણ કે હું મહિલા હતી. એ મારી મજાક ઉડાવીને ભાગી ગયો. ‘હું કાંઈ જ કરી ના શકી. હું આઘાતમાં હતી.’

છેવટે એ મહિલા પોલીસ ઓફિસરને રોડ પરથી બદલીને ઓફિસમાં કામગીરી સોંપવામાં આવી.

દિલ્હીના બદમાશો મહિલા પોલીસને પણ છોડતા નથી તો આ દેશમાં અન્ય સ્ત્રીઓની હાલત કેવી હશે ?

શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

એક નાનકડું ગામ.

ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા.

વચેટ ભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ હતો. જ્યારે તેની સામે મનોરમા ચંચળ અને રસિક હતી. તેને સરસ રીતે તૈયાર થઈને બહાર જવાનું, ફરવા જવાનું, ફિલ્મ જોવા જવાનું ગમતું હતું. પતિ ગોકુલને એ કશાયમાં રસ નહોતો. મનોરમાને લાગવા માંડયું કે, તેણે એક ગલત પુરુષ સાથે લગ્ન કર્યું છે.

એવામાં બન્યું એવું કે, પડોશમાં મોહનલાલ નામનો એક નવો પડોશી રહેવા આવ્યો. તે ૩૫ વર્ષનો અને પરિણીત હતો. દેખાવમાં રૂપાળો અને હૃષ્ટપુષ્ટ હતો. એક દિવસ મનોરમાની નજર મોહનલાલ પર પડી. મોહનલાલની નજર સાથે નજર મળતાં જ જાણે કે કાંઈક વાત થઈ ગઈ. બંનેએ એકબીજાને સ્મિત આપ્યું. મોહનલાલની પત્નીનુ નામ કાંતા હતું.

દિવસો વીતતાં મનોરમાએ કાંતા સાથે સખીપણા બાંધી લીધાં. એ બહાને તે એના ઘરે જવા લાગી. મનોરમાએ સંબંધોની આડમાં મોહનલાલને ‘જીજાજી’ કહેવાનું શરૂ કર્યું. મોહનલાલ પણ કોઈ મોકાની તલાશમાં હતો.

એક દિવસ બન્યું એવું કે, મોહનલાલની પત્ની કાંતા ખોળો ભરાવીને પ્રથમ પ્રસૂતિ માટે પિયર ગઈ. મનોરમાનો પતિ ગોકુલ સવારથી જ ખેતરમાં જતો રહેતો છેક સાંજે ઘરે આવતો. મનોરમાને ખબર પડતાં જ તેણે મોહનલાલને કહ્યું : “જીજાજી ! આજે તો હું જ તમને જમાડીશ.”

મોહનલાલે કહ્યું : “તમે મને આવું કહો એની જ હું રાહ જોતો હતો.”

એ દિવસે મનોરમા ખુદ મોહનલાલના ઘરમાં ગઈ. એણે મોહનલાલના ઘરમાં જ મોહનલાલને ગમતી રસોઈ બનાવી જમાડયો. આ સંબંધો આગળ વધ્યા, બલકે બેમર્યાદ થયા. પછી તો આ રોજનું થઈ ગયું. થોડા દિવસ બાદ કાંતા પાછી આવી જતાં મનોરમાની મોહનલાલના ઘરમાં અવરજવર બંધ થઈ ગઈ.

મોહનલાલે બીજો રસ્તો શોધી કાઢયો. મોહનલાલને ખબર હતી કે મનોરમાના પતિને ક્યારેક દારૂ પીવાનો શોખ હતો. મોહનલાલે ગોકુલ સાથે દોસ્તી કરી લીધી. એક દિવસ ગોકુલને દારૂ પીવા ઘરે બોલાવ્યો. તે પછી તે ખુદ દારૂની બોટલ લઈ ગોકુલના ઘરે જવા લાગ્યો. ગોકુલને દારૂમાં મસ્ત કરી દઈ તેને અર્ધબેભાન કરી દેતો. આ પરિસ્થિતિનો એણે ગેરલાભ પણ લેવા માંડયો.

પરંતુ આ વાત બહુ છૂપી રહી નહીં. પડોશીઓ બધું જ જોતા હતા. એમણે ગોકુલને ચેતવ્યો કે મોહનલાલ રોજ રાત્રે તારા ઘરમાં આવે છે તે બરાબર નથી. તારી પત્ની તારા કાબૂમાં નથી.

ગોકુલને આ વાત હાડોહાડ લાગી ગઈ. એણે મનોરમાને ખખડાવી નાખી. મનોરમા તેની સામે થઈ ગઈ. તે બોલી : “તમારામાં પત્નીને સાચવવાની તાકાત ના હોય તો કોઈ શું કરે ?”

“એટલે તું શું કહેવા માગે

છે ?”

“તમારે જે સમજવું હોય તે સમજો.”
“તારે આવું કરવું હોય તો ઘરમાંથી નીકળી જા.”

“હું શા માટે જાઉં ? તમારે જવું હોય તો જતા રહો. હું તો અહીં જ રહીશ.” મનોરમા બળવાખોર સ્વરમાં બોલી.

ગોકુલ પોતાની બેબસી પર ચૂપ થઈ ગયો.

એ પછી મનોરમા વધુ બેકાબૂ બની ગઈ. તે પતિની હાજરીમાં જ અવારનવાર મોહનલાલને ઘરમાં બોલાવવા લાગી. મોહનલાલ આવવાનો હોય ત્યારે સજીને શૃંગાર કરતી. સરસ રીતે તૈયાર થતી. જાણે કે મોહનલાલ જ તેનો પતિ હોય તેમ વર્તતી અને પત્નીધર્મ નિભાવતી હોય તેવો વ્યવહાર કરવા લાગી. તેની સામે ગોકુલ નિઃસહાય હતો. લાચાર હતો. એ પછી તો પરિસ્થિતિ એવી આવી કે, મોહનલાલ ઘરમાં આવે એટલે ગોકુલ જ પત્નીની બેશરમી જોવી ન પડે તે માટે ઘરમાંથી બહાર નીકળી જતો.

સમય વીતતો રહ્યો. આખા મહોલ્લાને આ પ્રકરણની ખબર હતી, પરંતુ કોઈ કશું કહેવા તૈયાર નહોતા. મનોરમાને પણ કોઈની પરવા નહોતી. એક દિવસ કોઈ કામસર મનોરમાના જેઠ બપોરના સમયે ગોકુલના ઘરે આવી ગયા. ઘરનું બારણું સહેજ જ આડું હતું. તેઓ બારણાને હડસેલીને અંદર પ્રવેશ્યા. તેમણે જોયું તો ઘરમાં મોહનલાલ જમવા બેઠો હતો અને મનોરમા ખુદ તેના હાથે મોહનલાલને જમાડી રહી હતી. મનોરમાના જેઠ રામચંદ્ર પરિસ્થિતિ પામી ગયા. તેમણે મનોરમાને ખખડાવી નાખી. મનોરમાએ હસીને જેઠને કહ્યું : “મોટાભાઈ, મારા આ જીજાજીની પત્ની કાંતા ખોળો ભરાવીને પ્રસૂતિ માટે પિયર ગઈ છે. એ મહિનાથી આપણા ઘરે જ જમે છે.”

રામચંદ્ર બીજી કોઈ પણ વાત કર્યા વગર ઘરની બહાર નીકળી ગયા. તેઓ નાના ભાઈ ગોકુલને મળવા સીધા ખેતરમાં ગયા. ગોકુલે પોતાની બેબસીની વાત કરી. એણે નાના ભાઈને સાંત્વના આપી. એ પછી એમણે કંઈક યુક્તિપૂર્વકની સલાહ પણ આપી.

એ સાંજે ઘરે ગયા પછી ગોકુલે રાત્રે જ મનોરમાને કહ્યું : “જો મનોરમા, મને આજથી તારા અને મોહનલાલના સંબંધો સામે કોઈ વાંધો નથી. મોહનલાલને બોલાવ. હું તેની સામે જ આ વાત કરવા માગું છું.”

મનોરમાએ રાજી થતાં તેના પ્રેમી મોહનલાલને બોલાવ્યો. મોહનલાલ આવતાં જ ગોકુલે કહ્યું : “મેં તમારા અને મનોરમાના સંબંધોને સ્વીકારી લીધાં છે.”

મોહનલાલે કહ્યું : “ડહાપણનું કામ કર્યું. શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની ના હોઈ શકે ? જો પત્ની ઇચ્છતી હોય તો બીજાને વાંધો ન હોવો જોઈએ. તમારી પત્ની તમારા જ ઘરમાં તેના હાથે મને જમાડે તો તમારે વાંધો લેવો જોઈએ નહીં.”

ગોકુલે કહ્યું : “મનોરમા ઇચ્છતી હોય તો મને વાંધો નથી. બોલ, મનોરમા, તું શું ઇચ્છે છે ?”

“હું તમારી અને મોહનલાલ એમ બંનેની સાથે રહેવા માગું છું” મનોરમા બોલી. “કારણ કે હવે સ્ત્રીઓ સ્વતંત્ર છે. સમય બદલાઈ ગયો છે.”

ગોકુલે કહ્યું, “તારે બેની સાથે રહેવું હોય તો મને વાંધો નથી.”

સમય વહેતો ગયો.

એ દિવસ પછી મોહનલાલા બિનધાસ્ત ગોકુલના ઘરમાં આવતો ગયો.

આ વાતને ત્રણ-ચાર મહિના વીત્યા. હવે તો મોહનલાલની પત્ની કાંતા પણ બાળકને લઈ પાછી આવી ગઈ હતી.

એક દિવસ મોહનલાલ બહારગામ ગયો હતો. તે રાત્રે પાછો ફર્યો. એણે પોતાના ઘરનું બારણું ખટખટાવ્યું. બારણું અંદરથી બંધ નહોતું. બારણું હડસેલ્યું તે અંદર ગયો. લાઈટ કરી સીધો અંદરના રૂમમાં ગયો. એ અંદરનું દૃશ્ય જોઈ આભો બની ગયો. તેના ઘરમાં ગોકુલ જમવા બેઠો હતો અને તેની પત્ની કાંતા ગોકુલને જમાડી રહી હતી. જે કામ તે ગોકુલના ઘરમાં કરતો હતો એ જ દૃશ્ય એણે પોતાના ઘરમાં જોયું. પોતાની જ પત્ની બીજાને પોતાના હાથે જમાડતી હતી. આ દૃશ્ય જોઈને મોહનલાલ સમસમી ગયો.

મોહનલાલે ત્રાડ પાડી : “આ બધું શું છે ?”

ગોકુલ બોલે તે પહેલાં મોહનલાલની પત્ની કાંતા બોલી : “જો પત્ની ઇચ્છતી હોય તો તે બે પુરુષ સાથે કેમ રહી ના શકે ? આ દેશમાં સ્ત્રીઓ હવે સ્વતંત્ર છે.”

મોહનલાલને તેની જ ભાષામાં તેની પત્ની કાંતાએ જવાબ આપ્યો તો સ્તબ્ધ થઈ સાંભળી રહ્યો. કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ઘરની બહાર નીકળી ગયો.

કાંતા બોલી : “ગોકુલભાઈ, જુઓ તમે ઘરે જાઓ. ચિંતા ના કરો. આજનું દૃશ્ય જોયા પછી મારો વર કદી તમારા ઘરે નહીં આવે.”

અને એમ જ બન્યું.

મોહનલાલની સાન ઠેકાણે લાવવા માટે ગોકુલે મોહનલાલની પત્ની કાંતાને વિશ્વાસમાં લઈને માત્ર દેખાવ ખાતર જ એ દૃશ્ય ઉપજાવ્યું હતું. એ દિવસ પછી મોહનલાલ કદીયે ગોકુલના ઘરમાં આવ્યો નહીં.

– દેવેન્દ્ર પટેલ

એક ડોનની રક્ષા પાકિસ્તાન કરે છે તો બીજા ડોનની હિન્દુસ્તાન

વાડોન બનવાના કેટલાક ફાયદા પણ છે. એક ડોન કે જે પાકિસ્તાનમાં છે તેની સુરક્ષા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઈ કરે છે અને બીજો ડોન કે જે દિલ્હીની તિહાડ જેલમાં છે તેની સુરક્ષા ભારત સરકાર કરી રહી છે.

ડોન દાઉદ ઈબ્રાહીમ આમ તો કરાચીના પોશ એવા કિલફટન એરિયાના બંગલોમાં રહે છે પણ ડોન છોટા રાજન પકડાઈ ગયા બાદ આઈએસઆઈ તેને કોઈ સુરક્ષિત સ્થળે લઈ ગઈ છે. પાકિસ્તાનના પ્રધાનને મળવું સરળ છે પરંતુ ડોન દાઉદ ઈબ્રાહીમને મળવું મુશ્કેલ છે કારણ કે તેને પાકિસ્તાન લશ્કરના નિવૃત્ત સૈનિકો ઉપરાંત ઉચ્ચ તાલીમ પામેલા ગાર્ડસના સુરક્ષા ઘેરા હેઠળ સલામત રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન માટે ડોન દાઉદ કોઈ ગુનેગાર નહીં પરંતુ ભારતથી ભાગી ગયેલો એક વીઆઈપી અતિથિ છે. મુંબઈ જેવા શહેરના અંડરવર્લ્ડમાં આજે પણ ડોન દાઉદની હાક છે. મુંબઈમાં ડોન દાઉદની પ્રોપર્ટી ખરીદવા માંગતા પત્રકારને તે પાકિસ્તાનમાં બેઠા બેઠાં ધમકી આપી શકે છે. ખુદ છોટા રાજને કહ્યું છે કે,મુંબઈની પોલીસના કેટલાક અધિકારીઓ આજે પણ દાઉદ ઈબ્રાહીમના પે-રોલ પર છે. આમ પાકિસ્તાન માટે દાઉદ ઈબ્રાહીમ એક એસેટ છે. મુંબઈ જેવા શહેરોમાં બોંબધડાકા કરાવવા માટે પાકિસ્તાન ડોન દાઉદનો ઉપયોગ કરી ચૂક્યું છે.

ડોન છોટા રાજન

ડોન છોટા રાજનને ભારત લાવ્યા બાદ તેને મુંબઈની જેલમાં રાખવાના બદલે દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે પરંતુ તિહાડ જેલમાં તે એક સેલિબ્રિટી હોય તેવી સુરક્ષા ભોગવે છે તે જ્યારે તેના સેલમાંથી બહાર નીકળે છે ત્યારે એક ડઝન પોલીસ ગાર્ડસ તેની આસપાસ ચાલે છે. તે બેઠો બેઠો યોગ કરે છે અને ઊંડા શ્વાસ લઈ શ્વાસ બહાર કાઢે છે ત્યારે પોલીસ કર્મીઓનો શ્વાસ અદ્ધર રહે છે. દિલ્હીની તિહાડ જેલ એશિયાની સૌથી મોટી જેલ છે. આ જેલમાં તેને લાવવામાં આવ્યો ત્યારથી દિલ્હી પોલીસના શ્વાસ અદ્ધર છે. ખુદ છોટા રાજનને પણ ડર છે કે પાકિસ્તાનમાં બેઠેલો ડોન દાઉદ ઈબ્રાહીમ તેને અન્ય કોઈ કેદી મારફતે તિહાડ જેલમાં તો પતાવી નહીં દેને? ભારતની પોલીસને ડોન છોટા રાજનને સુરક્ષિત રાખવો જરૂરી છે કારણ કે તે એક સમયે ડોન દાઉદ ઈબ્રાહીમનો ખાસ માણસ હતો. તે દાઉદ ઇબ્રાહીમ વિષે ઘણી બધી વાતો જાણે પણ છે. અલબત, ભારતની ગુપ્તચર એજન્સીઓ પાસે જે જાણકારી છે તે કરતાં છોટા રાજન વધુ શું જાણે છે તે એક પ્રશ્ન છે. આ કારણથી છોટા રાજન સવારે ર્મોિનગ વોક નીકળે છે ત્યારે એક ડઝન સુરક્ષા ગાર્ડસ તેને એસ્કોર્ટ કરે છે.

બાર ગનમેન

ડોન છોટા રાજનને જે સુરક્ષા આપવામાં આવી છે તેવી સુરક્ષા આજ સુધી કોઈ ગુનેગારને આપવામાં આવી નથી. ડોન છોટા રાજનની સામે ૭૧ જેટલા ગુના નોંધાયેલા છે. આમ છતાં ૧૨ જેટલા બંદૂકધારી પોલીસ ગાર્ડસ તેની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. છોટા રાજન સામે હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર અપરાધોના આરોપો છે. તિહાડ જેલના સૂત્રોના કહેવા પ્રમાણે છોટા રાજન રોજ સવારે વહેલો ઊઠે છે. તે શારીરિક રીતે ફિટ રહેવા કસરત કરે છે તેને ત્રણ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. છોટા રાજનને તિહાડ જેલની જે નં.૨માં પાંચ ફૂટ બાય ૧૦ ફૂટનો સેલમાં રાખવામાં આવ્યો છે તેની સુરક્ષાની જવાબદારી ૧૦ વોર્ડન્સ, એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ અને બે આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટસને સોંપવામાં આવી છે. ખુદ છોટા રાજન તિહાડ જેલ છોડી મુંબઈની જેલમાં જવા માંગતો નથી. તેને મુંબઈની જેલ કરતાં દિલ્હીની તિહાડ જેલ વધુ સુરક્ષિત લાગે છે.

સરપ્રાઈઝ ચેકિંગ

દિલ્હીની તિહાડ જેલમાં બંધ છોટા રાજન શું કરે છે તે જાણવા ઘણાને ઉત્સુકતા છે. જેલ નંબર-૩ના કેટલાક કેદીઓનું માનવું છે કે, છોટા રાજનનો જે જેલમાં રાખવામાં આવ્યો છે તેના ગેટની આસપાસ કોઈનેય ઊભા રહેવા દેવામાં આવતા નથી. અંદરથી કોઈ ફોર વ્હીલર વાહન ઝડપથી બહાર નીકળે તો લોકોને લાગે છે કે તેમાં છોટા રાજન હશે. તિહાડ જેલની બહાર નજીકના રહેતા કેટલાક લોકો તેમના મકાનોની છત પર રહીને છોટા રાજનને જોવા નિષ્ફળ પ્રયાસ કરે પણ છે. એ જ રીતે તિહાડ જેલમાં પ્રવેશતી દરક વ્યક્તિની ઝીણવટપૂર્વક તપાસ કરવા મેઈન ગેટ પર આઈટીબીપી સહિત કેટલાયે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક અમુક અંતરે સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવે છે. જેલની અંદર મોબાઈલ અને સીમ કાર્ડ ઘણી વખત પ્રવેશી જતાં હોય છે તેથી પોલીસને ડર છે કે કોઈ કેદી આવો મોબાઈલ પ્રાપ્ત કરી જેલની અંદરની છોટા રાજનની ગતિવિધિ મોબાઈલ દ્વારા બહાર પણ મોકલી શકે છે. આ કારણથી કેદીઓનું પણ સરપ્રાઈઝ ચેકિંગ થાય છે. એ જ રીતે જેલમાંથી કોઈ વાત કરે તો ફોન ટ્રેક કરવામાં ઉપકરણો પણ દૂરસ્ત કરી દેવામાં આવ્યાં છે. તેના કંટ્રોલ રૂમમાં ૨૪ કલાક કોઈને કોઈ અધિકારીને હાજર રહેવું પડે છે. આ ઉપરાંત જેલની અંદર લગાડેલા સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમમાં પણ ચોવીસે કલાક ટીવી સ્ક્રીન પર નજર રાખવામાં આવે છે. છોટા રાજનને સુરક્ષીત રાખવો જરૂરી છે કારણકે ડોન દાઉદના માણસો ગમે ત્યારે તેની હત્યા કરી શકે છે. ડોન દાઉદ જીવતો રહે તે પાકિસ્તાન માટે જરૂરી છે તો ડોન છોટા રાજન જીવતો રહે તે હિન્દુસ્તાન માટે જરૂરી છે.

ડોનનો બ્રેકફાસ્ટ

૫૫ વર્ષની ઉંમરનો છોટા રાજન બાલીમાંથી પકડાયો ત્યારે ભારતીય એજન્સીઓ સાથે એવી સમજણ થઈ હોવાનું મનાય છે કે તેને ભારતમાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ડોન છોટા રાજને સવારે બ્રેકફાસ્ટમાં વેજીમાઈટ સ્પ્રેડ, બેક્ડ એગ્સ, ચીઝ, બર્ગર અને દૂધ સાથે કોર્નફલેકસ ભાવે છે અને તેને જ બ્રેકફાસ્ટનો આગ્રહ રાખ્યો હતો. વર્ષો સુધી ભારતની બહાર અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં રહેવાના કારણે તેને પાશ્ચાત ભોજનની આદત પડી ગઈ છે. છોટા રાજન લગભગ બે દાયકા ઓસ્ટ્રેલિયા, બેંગકોક, ઇન્ડોનેશિયા અને કેટલાક પશ્ચિમી દેશોમાં રહ્યો છે પરંતુ જેલના સત્તાવાળાઓએ તેને જણાવ્યું હતું કે, જેલમાં આ પ્રકારનો બ્રેકફાસ્ટ આપવો શક્ય નથી. આમ છતાં તેનો મતલબ એ નથી કે તેને બીજી લકઝરીઝ મળતી નથી. તેને ડાયાબિટીસ છે અને કિડનીની તકલીફ છે તેથી તેને તેની પસંદગીની ઈડલી, ઉત્તપમ, દૂધ અને બ્રેડ આપવામાં આવે છે. બીજા કેદીઓને દાળ, રોટલી અને સબજીથી સંતોષ માણવો પડે છો. છોટા રાજનને જેલમાં નરમ ગાદલાવાળો પલંગ અને તેના સેલમાં એક ટીવી પણ આપવામાં આવ્યું છે. બીજા કેદીઓએ ભોંય પર સૂવું પડે છે અને તેમને એક બ્લંકેટ જ આપવામાં આવે છે.

બોલો, છે ને ડોન બનવામાં મજા!

બાજીરાવને ભેટ મળેલી ઉત્કૃષ્ટ પ્રિન્સેસ મસ્તાની

ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે.

બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની શરૂઆત છત્રસાલથી શરૂ થાય છે. છત્રસાલ એક બહાદુર નેતા હતા. ઔરંગઝેબ જ્યારે હિંદુ મંદિરો તોડતો હતો ત્યારે હિંદુ ધર્મ અને બુંદેલોની રક્ષા માટે લોકોએ છત્રસાલને રાજાના સ્વરૂપમાં સ્વીકાર કર્યો. એ કારણે છત્રસાલ મોગલોનો મોટો શત્રુ બની ગયો. મોગલો સાથે સંઘર્ષ દરમિયાન તે જ્યારે મુશ્કેલીમાં આવી ગયો ત્યારે એણેે બાજીરાવ પેશવાની મદદ માંગી. બાજીરાવની સમયસરની મદદના કારણે છત્રસાલ વિજયી થયો અને મોગલોએ ભાગવું પડયું.

બાજીરાવના આ ઉપકારનો બદલો વાળવા છત્રસાલે એક ખૂબસૂરત દરબારી પ્રિન્સેસ કે જે એક ઉત્કૃષ્ટ નર્તકી પણ હતી તે બાજીરાવને ભેટ ધરી. એનું નામ મસ્તાની હતું. તે અત્યંત સ્વરૂપવાન અને ગુણિયલ પણ હતી. તે હિન્દુ પિતા તથા મુસલમાન માતાનું સંતાન હતી. નૃત્ય અને સંગીત ઉપરાંત તેનામાં અન્ય દુર્લભ ખૂબીઓ હતી. શિષ્ટાચારમાં એટલી કુશળ હતી કે કોઈ પણ પુરુષ તેનો દાસ બની જતો. સદ્નસીબે તે બાજીરાવ પેશવાના પ્રેમની આરાધ્ય દેવી બની ગઈ. બાજીરાવ પેશવા તેના પ્રેમપાશમાં બંધાઈ ગયા.

બાજીરાવ મસ્તાનીના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા કે, હવે રાજ્યના કારોબારમાં તેમનું મન જ લાગતું નહોતું. તેઓ મસ્તાનીના સાનિધ્યમાં એશ-આરામમાં જ ડૂબેલા રહેવા લાગ્યા. લોકોને પણ આ વાતનો હવે ખ્યાલ આવી ગયો. મસ્તાની પ્રત્યેની તેમની આસક્તિના કારમે તેમનો યશ-કીર્તિ પણ ધૂમિલ થવા લાગી. મસ્તાનીની વેશભૂષા વાતચીત અને રહેણીકરણી હિંદુ સ્ત્રી જેવી હતી અને એક પતિ-ભક્ત સ્ત્રીની જેમ તે બાજીરાવની સેવા કરતી.

બાજીરાવ અગાઉથી જ પરિણીત હતા. તેમની વિવાહિત પત્ની કાશીબાઈ એક સમજદાર સ્ત્રી હતાં. તેમણે મસ્તાની સાથે દ્વેષ કરવાના બદલે સખી જેવો વ્યવહાર રાખ્યો. તેમની એક માત્ર ઈચ્છા બાજીરાવને ખુશ રાખવાની હતી. પતિની ખુશી માટે એણે મસ્તાની સાથે એક બહેન જેવો સંબંધ રાખ્યો. કેટલાક સમય બાદ કાશીબાઈ અને મસ્તાની એ બંનેને બાજીરાવથી પુત્રરત્ન પેદા થયા. કાશીબાઈના પુત્રનું નામ રાઘોબા અને મસ્તાનીના પુત્રનું નામ શમશેર બહાદુર રાખવામાં આવ્યું. શરૂઆતમાં તો બધું ઠીક રહ્યું, પરંતુ પાછળથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ. રાઘોબાનો ઉપનયન સંસ્કાર થયો, પરંતુ શમશેર બહાદુરને એ અધિકારથી વંચિત રાખવામાં આવ્યો. બાજીરાવને પણ આ ના ગમ્યું. તેમણે ક્રોધ કરી પંડિતો અને બ્રાહ્મણોને સખ્ત ઠપકો આપ્યો. પરંતુ હિંદુ ધર્મના ઠેકેદારો ટસથી મસ ના થયા અને શમશેર બહાદુરને હિંદુ સંસ્કાર વિધિથી વંચિત રહેવું પડયું.

આ ઘટનાની બાજીરાવના દિલોદિમાગ પર ભારે અસર થઈ. તેઓ ફરી એકવાર રાજકાજમાં અરુચિ રાખવા લાગ્યા. એકવાર દુશ્મનો નજીક આવી ગયાના સમાચાર મળ્યા છતાં તેમણે યુદ્ધમાં જવા ઈન્કાર કરી દીધો. મંત્રીઓે અને દરબારીઓએ વિચાર્યું કે આ બધી શિથિલતાઓનું કારણ એકમાત્ર મસ્તાની જ છે. એનાથી બાજીરાવને છુટકારો અપાવવા યોજનાઓ વિચારવામાં આવી.

બાજીરાવને સમજાવીને યુદ્ધમાં મોકલવામાં આવ્યા. પૂનાની મધ્યમાં એક કિલ્લો હતો જે તૂટેલો- ફૂટેલો હતો. મંત્રીઓ બાજીરાવ અને મસ્તાનીને અલગ કરવાના પ્રયત્નમાં અસફળ રહ્યા, ત્યારે તેમણે બાજીરાવની ગેરહાજરીમાં મસ્તાનીનું અપહરણ કરી પૂનાના આ કિલ્લામાં કેદ કરી દીધી. મંત્રીઓએ અને લોકોએ આ પગલું રાજ્યના હિતમાં લીધું હતું, પરંતુ તેની અસર પ્રેમી-યુગલ પર પડી. યુદ્ધમાં વિજયી થઈ બાજીરાવ પાછા આવ્યા ત્યારે તેમણે મસ્તાનીને ના જોઈ. તપાસ કરતા બાજીરાવને ખબર પડી ગઈ કે મસ્તાનીને તેમની ગેરહાજરીમાં હરણ કરી અન્યત્ર કેદ કરવામાં આવી છે. આ જાણ થતાં જ બાજીરાવ બીમાર પડી ગયા.

બાજીરાવ હવે પથારીવશ હતા, પરંતુ ધર્મના રક્ષકોને તેમની હાલતની પણ કોઈ ચિંતા નહોતી. એથી ઊલટું તેમનો ઈલાજ કરાવવાના બહાને દૂરના કોઈ એકાંત સ્થળે લઈ ગયા. બાજીરાવની હાલત હવે વધુ ને વધુ બગડવા લાગી. પતિના કથળેલા સ્વાસ્થ્યની ખબર પડતાં જ તેમની પત્ની કાશીબાઈ બાજીરાવ પાસે ગઈ. પતિની હાલત જોઈ તે વિક્ષુબ્ધ થઈ ગઈ. બાજીરાવ અર્ધબેહોશ હતા. પથારીમાંથી ઊભા થઈ શકે તેમ નહોતા. કાંઈક બોલ બોલ કરતા હતા. તેમણે સંપૂર્ણ ભાન નહોતું. તંદ્રાવસ્થામાં તેઓ કાશીબાઈને મસ્તાની સમજી બેઠા. કાશીબાઈને’મસ્તાની’ કહી બોલાવવા લાગ્યા.

કાશીબાઈ પણ દુઃખી થઈ ગયાં. તે સમજી ગયાં કે આ હાલતમાં પણ તેમના હૃદયમાં મસ્તાની જ વસેલી છે. તેમનું હૃદય ચીરચીર થઈ ગયું. તેમને ખ્યાલ આવી ગયો કે મસ્તાનીના વિરહમાં જ પતિની આવી હાલત થઈ છે, પરંતુ હવે પરિસ્થિતિ ગંભીર હતી. તે લાચાર હતી. તે કાંઈ કરી શકે તેમ નહોતી. પ્રેયસીના વિરહનો આઘાત એટલો ઊંડો હતો કે બાજીરાવે ‘મસ્તાની’ની યાદમાં જ કાયમ માટે આંખો મીંચી દીધી. અલબત્ત, બધી જ વેદના સહન કરીને પણ પત્ની કાશીબાઈ અંતિમ શ્વાસ સુધી પતિની સેવા કરતી રહી. એ વખતે એમનો પુત્ર પણ એમની સાથે હતો. પતિના અંતિમ સંસ્કાર કરી કાશીબાઈ લાંબી તીર્થયાત્રા પર ચાલી ગયાં. આ તરફ પૂનાના કિલ્લામાં કેદ મસ્તાનીની હાલત પણ એટલી જ ખરાબ હતી. બાજીરાવની ગંભીર હાલતના સમાચાર જાણ્યા હતા તે દિવસથી જ તે કેદખાનામાંથી ભાગીને બાજીરાવ પાસે પહોંચી જવા માગતી હતી જેથી તે તેના પ્રિયતમને બીમારીમાં મદદ કરી શકે. એણે એના પહેરેદારને ફોડી નાંખ્યા. બહાર નીકળ્યા બાદ ખૂબ ધન આપવાનો વાયદો કરી એણે એક તેજ ઘોડો પ્રાપ્ત કરી લીધો. એ છલાંગ મારી ઘોડા પર સવાર થઈ ગઈ. એ માહિતીના આધારે બાજીરાવને જે એકાંત સ્થળે રાખ્યા હતા ત્યાં પહોંચી ગઈ પરંતુ ત્યાં પહોંચતાં જ ખબર પડી કે તે ત્યાં પહોંચે તે પહેલાં જ બાજીરાવનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો.

બાજીરાવને અંત સમયમાં ચિકંદના જંગલોમાં રાખવામાં આવ્યા હતા. ચિકંદના જંગલમાં જ પ્રિયતમના મૃત્યુના સમાચાર સાંભળી મસ્તાની ભાંગી પડી. તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી, પણ એનું રુદન સાંભળનારું કોઈ જ નહોતું. તે પ્રિયતમના વિરહથી આમેય અશક્ત થઈ ગઈ હતી. વળી લાંબી યાત્રાના કારણે જબરદસ્ત થાકી ગઈ હતી. પ્રિયતમના મોતનો આઘાત તે સહન ના કરી શકી અને જંગલમાં જ ભોંય પટકાઈ. થોડી જ વારમાં તે ત્યાં જ મૃત્યુ પામી અને આ રીતે બાજીરાવ અને મસ્તાનીની અનુપમ પ્રણય કથાનો અંત આવી ગયો. મસ્તાનીના મૃતદેહને પૂનાથી ૨૦ માઈલ પૂર્વ તરફ પાપલ નામના એક ગામ ખાતે લાવવામાં આવ્યો. અહીં તેને દફનાવવામાં આવી. આ સ્થળે બનેલી એક નાનકડી મજાર અહીંથી આવતાજતા લોકોને મસ્તાનીની યાદ અપાવતી રહે છે.

તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ની કથા અને આ કથા વચ્ચે કેટલોક તફાવત હોઈ શકે છે. બાજીરાવ અને મસ્તાની અંગે એક બીજી પણ કથા છે. બાજીરાવના એક વંશજના ખ્યાલ મુજબ ઈ.સ. ૧૭૨૭થી ૧૭૨૯ દરમિયાન એક મોગલ સેનાપતિએ મહારાજા છત્રસાલ પર હુમલો કરી દીધો હતો. મહારાજા છત્રસાલ હારી જાય તેવી સ્થિતિમાં આવી જતાં તેમણે બાજીરાવની મદદ માગી હતી. સંદેશો મળતા જ બાજીરાવ બુંદેલની લાજ રાખવા છત્રસાલને મદદ કરવા પહોંચી ગયા હતા. આ યુદ્ધ વખતે જ યુદ્ધ મેદાનમાં જ બાજીરાવ અને મસ્તાની વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી જે પાછળથી પ્રેમમાં પરિર્વિતત થઈ હતી. મસ્તાની યુદ્ધકળામાં નિષ્ણાત હતી અને શ્રેષ્ઠ તલવારબાજીમાં નિપૂણ હતી. મસ્તાનીની આ તલવારબાજી જોઈ બાજીરાવ મસ્તાનીના પ્રેમમાં પડી ગયા હતા. મરાઠા સામ્રાજ્ય અંગે બાજીરાવ પેશવાની સાતમી પેઢીના વંશજે લખેલા પુસ્તકમાં ઉપરોક્ત ઉલ્લેખ છે. એ પ્રેમકથા ક્યાંથી શરૂ થઈ એ કરતાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે, બાજીરાવ પેશવા મહાન પ્રેમી, મહાન યોદ્ધા અને મહાન શાસક હતા.

બાજીરાવ પેશ્વા એક યોદ્ધા હતા. ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં તેમને તે રીતે જાહેરમાં નાચતા બતાવવામાં આવ્યા છે તે વિચિત્ર લાગે છે. ચિત્રમાં બાજીરાવનાં પત્ની કાશીબાઈના પાત્રને પણ પૂરો ન્યાય મળ્યો નથી એમ ઘણાને લાગે છે. ફિલ્મ નિર્માતાએ મરાઠા ઇતિહાસને વિકૃત રીતે રજૂ કર્યો હોવાનું પણ કેટલાકને લાગે છે. ફિલ્મનું ‘પિંગા પિંગા’ ગીત પણ મરાઠી અસ્મિતાને બંધ બેસતું નથી. કેટલાકને આ ફિલ્મ પેશવા બાજીરાવ જેવી પ્રતિભા માટે અપમાજનક લાગે છે.

– દેવેન્દ્ર પટેલ

ફિલ્મ ‘ગુલતાન’ના સેટ પર ભાઈજાનનો ઈન્તજાર

ફિલ્મ ‘ગુલતાન’ ના સેટ પર પ્રોડક્શન યુનિટ કોઈના આવવાનો ઈન્તજાર કરી રહ્યું છે. કેમેરામેન તૈયાર છે. સાઉન્ડ રેર્કોિડસ્ટ તૈયાર છે. મેકઅપમેન તૈયાર છે. સ્પોટ બોયસ તૈયાર છે. દિગ્દર્શક તૈયાર છે. હીરોઈન તૈયાર છે પણ હીરોનો ઈન્તજાર છે.

એવામાં એક સ્પોટ બોય દોડતો દોડતો આવે છે. તે મોટેથી બોલે છેઃ ‘આ ગયે. આ ગયે. ભાઈ આ ગયે.’

દિગ્દર્શક પૂછે છેઃ ‘કૌન દાઉદભાઈ આ ગયે ?’

સહદિગ્દર્શક પૂછે છેઃ ‘દાઉદભાઈ કૌન?’

‘અરે, અપુન કી ફિલ્મ કે ફાઈનાન્સર હૈ.’

સ્પોટ બોય કહે છેઃ નહીં સર, બોલે તો અપુન કે અસલી ભાઈજાન હૈ. ખાન સાહબ હૈ.

”કૌન જમાલખાન ?” ડાયરેક્ટર પૂછે છે.

સહ દિગ્દર્શક પૂછે છેઃ ‘યે જમાલખાન કૌન?’

દિગ્દર્શક કહે છેઃ ‘જમાલખાન કો નહીં પહેચાનતે ? ભાઈ કે દોસ્ત, ફોરીન મેં રહેતે હૈ.એક્સીડન્ટ કે બાદ વાપસ નહીં આયે. ઓવરસીઝ રાઈટ્સ ઉન કો દીયેલે હૈ. ભાઈજાન જબભી ગાડી ચલાતે હૈ તો ઈન્ડિયા મેં વહી તો ઉન કે સાથ હોતે હૈ ફિર ગૂમ હો જાતે હૈઃ .

સ્પોટ બોય કહે છે : ‘અરે, યે તો અપને ખાન સાબ હૈ. મીડિયાવાલોં કો ઈન્ટરવ્યૂ દે રહે હૈ’

‘અચ્છા, અપુન કી ફિલ્મ કા પ્રમોશન કર રહે હૈં?’

સ્પોટ બોય : ‘નહીં સાબ. વહ તો કહ રહે થે કે, મુઝે ગરીબો સે બહોત હમદર્દી હૈં ?’

સહદિગ્દર્શક પૂછે છે : ‘અચ્છા, ભાઈ ફૂટપાથ પર સોને વાલો કી ફિકર કરતે હોંગે.’

સ્પોટ બોયઃ ‘ નહીં, સર, વહ તો હ્યુમન હ્યુમન ઐસા કુછ બોલ કર છોટે છોટે બચ્ચો કો હેલ્પ કરને કી બાત કરતે હૈં’

દિગ્દર્શક પૂછે છેઃ ‘અચ્છા, વહ ફૂટપાથ પર મર જાનેવાલેં નુરુલ્લા કે બચ્ચોં કી બાત કરતે હોંગે?’

સ્પોટ બોયઃ ‘નહીં સા’બ, બોલે તો અબ વહ મહિલાઓ કો ન્યાય દીલાને કી બાત કરતે હૈં?’

સહદિગ્દર્શકઃ ‘અચ્છા, ઐશ્વર્યા કે પિતાને એક કમ્પલેન કી થી કી ઉન કી બેટી કો એક દબંગ પરેશાન કર રહા હૈ ઉસકો મદદ કરને કી બાત કરતે હોંગે?’

દિગ્દર્શક તેમના સહ દિગ્દર્શકને ખખડાવે છેઃ ‘ચૂપ બે. ઐશ્વર્યા હમારે ફિલ્મ કી હીરોઈન નહીં હૈ.’

સહ દિગ્દર્શક પૂછે છેઃ ‘તો ફિર માધુરી કી બાત કરતે હોંગે.’

‘બોલ મત. ભાઈ કો માધુરી સે અનબન હૈંૈ.’

સહ દિગ્દર્શક : ‘તો ફિર કેટરીના કી બાત કરતે હોંગે.’

‘બોલા ની, ભાઈ કેટરિના પર ગુસ્સે મેં હૈં. કેટરિના સે કિસી ઓર સે દોસ્તી સે ભાઈજાન બીગડેલે હૈં. ઉસ કા નામ ભી મત લેના વરના ભાઈ તુમ્હે ભી નિકાલ દેંગે.’

‘લેકિન ડાયરેક્ટર તો આપ હૈ. વહ મુઝે કૈસે નિકાલેંગે ?’

‘બોલાની કિ વહ ભાઈ હૈં. વહ મુઝે ભી નિકાલ સકતે હૈ : કહેતાં દિગ્દર્શક સ્પોટ બોયને પૂછે છે : ‘અરે દેખ તો સહી. ભાઈજાન આ રહે હૈં કિ નહીં ?’

સ્પોટ બોય રનિંગ કોમેન્ટ્રી આપતાં કહે છે : ‘ભાઈ પુલીસવાલોં સે મીઠાઈ લે રહે હૈં.’

‘કયું?’

સ્પોટ બોય કહે છે : ‘બોલે તો પુલીસ વાલે કહેતે હૈં કિ ભાઈ મુંબઈ મેં આપ કી બહોત ચલતી હૈં. પુલીસ આપકે ઈશારોં પે ચલતી હૈં. આપ કિસી કા ભી ટ્રાન્સફર કરવા શક્તે હૈં.

‘ઔર…’

સ્પોટ બોય કહે છે : ‘ભાઈ કો પુલીસ કહ રહી હૈ, કિ ભાઈ હમે સંભાલના. હમારા હાલ પુલીસ કોન્સ્ટેબલ જૈસા મત હોને દેના. વહ તો આપકા બોડીગાર્ડ થા ઔર એક્સિડન્ટ કી કંમ્પલેન કરને કે બાદ વૌ ખુદ મર ગયા. વહ બિચારા કૈસે મર ગયા કિસી કો પત્તા નહીં…’

દિગ્દર્શક પૂછે છેઃ ‘અરે દેખ યાર, અબ કયા હો રહા હૈં?’

સ્પોટ બોય કહે છેઃ ‘કોરટ કે લોગ ભાઈ કે પાસ ખડે હોકર તસવીર નીકલવા રહે હૈં.’

‘વહ ક્યું?’

કોરટ કા કલાર્ક કહ રહેલા હૈં ભાઈ કોઈ બી નકલ ચાહિયે તો મુઝે બોલ દેના. દસ મિનિટ મેં નીકલવા દૂંગા.’

દિગ્દર્શક પૂછે છેઃ ‘અબ તો ભાઈ ફ્રી હો ગયે કિ નહીં ?’

સ્પોટ બોય કહે છેઃ ‘અભી રાજસ્થાનકા કોઈ પત્રકાર ભાઈ સે ઈન્ટરવ્યૂ ચલ રહા હૈ…’

‘રાજસ્થાન કા ક્યું? જયપુર- જોધપુર મેં તો હમારા કોઈ શૂટિંગ હૈં નહીં.’

સ્પોટ બોય કહે છેઃ ‘નહીં નહીં સર, બોલે તો ભાઈજાન બોલ રહે હૈં કિ ઉનકો એનિમલ સે બહોત હમદર્દી હૈં. સર, યે એનિમલ કયા ચીજ હૈ?’

દિગ્દર્શક કહે છે : ‘ભાઈજાન કે લિયે મેં ઔર તું એનિમલ હૈં. બસ, જ્યાદા મત પૂછ. ઈતને મેં સમજ લે. ભાઈ કે સામને કાલા હીરન શબ્દ બોલના ભી મત, વરના તું તો ગયા. ભાઈ કો શિકાર કા બહોત શોંખ હૈં, તું દીખતા ભી હૈં કાલા, હીરન જૈસા?’

‘નહીં બોલુંગા સર, મુઝે મેરી જાન પ્યારી હૈં.’
‘અબ કિતની દૈર હૈં?’

સ્પોટ બોય કહે છેઃ ‘સર, બોલે તો અબ તો ભાઈજાન કા આના મુશ્કીલ લગતા હૈ’.

‘કયું’ બે, કયા હુઆ?’
‘સર, બોલે તો ભાઈજાન કે ફેન્સ આ ગયે. ભાઈજાન કો ઘેર લિયા હૈં. મૈં મદદ કરને જાઉં ? ભાઈ તકલીફ મેં આ જાયેગેં.’

‘બેવકૂફ, ભાઈ કો કિસી સે કભી કોઈ તકલીફ નહીં. તકલીફ તો ભાઈજાન સે દૂસરો કો હોતી હૈં. પૂછ માધુરી કો, પૂછ ઐશ્વર્યા કો, પૂછ નુરુલ્લા ઔર પૂછ કાલે હીરન કો. પૂછ ફૂટપાથ પર સોને વાલે કો. ભાઈ કે પાસ બાઉન્સર હૈં. ભાઈ કે પાસ બોડી હૈ. ભાઈ કે પાસ પૈસા હૈ, ભાઈ કે પાસ જમાલ ખાન હૈં. ભાઈ કે પાસ પુલીસ હૈ. ભાઈ કે પાસ બડે બડે બકીલ હૈ. ભાઈ કે પાસ ગફાર જાફરવાલા હૈં.’

‘સર, આપને નામ કોઈ ઊલટા નામ બોલ દીયા. યે ગફાર જાફરવાલા કૌન હૈં?’

‘બસ, સમજ લે કે અપુન કે ગુલતાન કે તાકાતવર દોસ્ત હૈં?’

સ્પોટ બોય પૂછે છે : કોઈ અંડરવર્લ્ડ આદમી હૈ ? કોઈ બડા આદમી હોગા?’

દિગ્દર્શક કહે છેઃ ‘આજ પૂરે મુંબઈ મેં અપુન કે ભાઈજાન સે બડા કોઈ નહીં. પુલીસ ભી નહીં ઔર કાનૂન ભી નહીં. સમજા ?’

એટલામાં બીજો સ્પોટ બોય દોડતો આવે છે : સર, ગરબડ જાલા’

દિગ્દર્શક પૂછે છે : ‘કાય ગરબડ જાલા ?’

‘સર, કોઈ નઈ લડકી આયી. બડી ખૂબ સૂરત લગતી થી. કહેતે હૈં લુલિયા ઉસ કા નામ હૈં. ભાઈજાન ઉસ કી ગાડી મેં બૈઠ કર ચલે ગયે’ સ્પોટ બોયે કહ્યું.

ચાર કલાકથી મેકઅપ કરીને બેઠેલી હીરોઈને પૂછયું: ‘સર, યે લુલિયા કૌન હૈ?’

‘લુલિયા એક રોમાનિયન હીરોઈન હૈ, સુના હૈં ભાઈજાન કે સાથ આજકલ ઉસ કી અચ્છી દોસ્તી ચલ રહી હૈં.’

‘તો મેરા ક્યા હોગા?: હીરોઈન પૂછે છેઃ
‘તું ભી અબ ગઈ સમજ.’

‘ઓહ માય ગોડ! પ્લીઝ હેલ્પ મી’ હીરોઈન બબડે છે.

સ્ટંટ ડાયરેક્ટર ધીમેથી બોલે છે : ‘તેરા હાલ ફૂટપાથ વાલે સોનેવાલોં જૈસા તો નહીં હુઆ ન. ઘર જાઓ ઔર દુઆ કર.’

દિગ્દર્શક કહે છે : ‘ચલો આજ કા શૂટિંગ બંધ. પેક અપ.’

એક અંગ્રેજ કે જેણે ભારતને જ પોતાનું વતન બનાવી દીધું

રસ્કિન બોન્ડ.

વારસાથી અંગ્રેજ છે, પરંતુ બીજી બધી જ રીતે તેઓ ભારતીય છે. તેમની રગેરગમાં ભારતીય ભાવનાનું રક્ત વહે છે. તેઓ ગોરા અંગ્રેજી હોવા છતાં ભારતમાં જન્મ્યા છે, ભારતની ભૂમિનું અન્ન ખાધું છે, ભારતની આબોહવામાં જ ઊછર્યા છે. એક અંગ્રેજ ભારતીય એવા રસ્કિન બોન્ડ શ્રેષ્ઠ લેખક પણ છે.

રસ્કિન બોન્ડનો જન્મ ૧૯૩૪માં હિમાચલ પ્રદેશના કસૌલીમાં થયો હતો. એ વખતે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. તેમના પિતા રોયલ એરફોર્સમાં હતા. તેમની વય ચાર વર્ષની હતી ત્યારે જ તેમના માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ ગયા. તેમની અંગ્રેજ માતાએ એક પંજાબી-હિંદુ સાથે લગ્ન કરી લીધું. નાનકડું બાળક હવે પિતા સાથે રહેવા લાગ્યું. તેમના બચપણના કેટલાક દિવસો સીમલા અને ગુજરાતના જામનગરમાં વીત્યા. તેઓ દસ વર્ષના થયા અને અચાનક પિતા ગુજરી ગયા. તેમને મેલેરિયા થયો હતો. પિતાના અવસાન બાદ તેઓ તેમની દાદી સાથે રહેવા દહેરાદૂન ગયા. માતા-પિતાના અભાવે તેઓ એકાકી બની ગયા. એ એકલવાયાપણું દૂર કરવા તેમણે પુસ્તકોનો સહારો લીધો. કલાકોના કલાકો સુધી તેઓ પુસ્તકોમાં ખોવાયેલા રહેતા. વાંચી વાંચીને થાકી જવાય એટલે કાગળ અને પેન લઈ લખવા બેસી જતા.

તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું ત્યારે તેઓ ૧૨ વર્ષના હતા. એ દિવસોમાં તેઓ સીમલામાં બિશપ કોરન સ્કૂલમાં ભણતા હતા. ૧૫મી ઓગસ્ટે સ્કૂલમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. શિક્ષકે કહ્યું કે, દેશ હવે આઝાદ થઈ ગયો છે. બાકીનાં બાળકોની સાથે બાળક રસ્કિન પણ આઝાદીના જશ્નમાં સામેલ થઈ ગયો. એક અંગ્રેજ બાળક પણ હાથમાં ત્રિરંગાને લહેરાવી રહ્યો હતો એ દૃશ્ય અન્ય લોકો માટે પણ હૃદયંગમ હતું.

સ્કૂલમાં એક દિવસ લેખન સ્પર્ધા યોજવામાં આવી. ૧૬ વર્ષની વયે તેમણે પહેલી કહાણી લખી : ‘અનટચેબલ.’ એમની વાર્તાને ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ.

રસ્કિન હવે વયસ્ક બન્યા. ૧૯૫૨માં ભારતમાં જ તેઓ ગ્રેજ્યુએટ થયા. હવે મોટાભાગના અંગ્રેજો ઇંગ્લેન્ડ પાછા જતા રહ્યા હતા, તેમાં રસ્કિનના સગાં-સંબંધીઓ પણ હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ રસ્કિન પણ ઇંગ્લેન્ડ ગયા. લંડનમાં તેમણે પહેલી નવલકથા લખી : ‘રૂમ ઓન રૂફ.’ આ પુસ્તકમાં એક એંગ્લો-ઇન્ડિયન યુવક રસ્ટીની કથા હતી. કહેવાય છે કે, રસ્ટીનું પાત્ર પોતાના જ જીવન પર આધારિત હતું. આ નવલકથા માટે રસ્કિનને બ્રિટનનો પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘જોન લીવિલિયન રાઈસ એવોર્ડ’ આપવામાં આવ્યો.

રસ્કિન કહે છે કે, “મેં જ્યારે મારી પહેલી નવલકથા હાથમાં લીધી ત્યારે હું માનવા જ તૈયાર નહોતો. પુસ્તક હાથમાં લેતાં જ મારા હાથ કાંપવા લાગ્યા હતા. પહેલું પાનું ખોલ્યું તો હૃદયના ધબકારા વધી ગયા. એ એક અદ્ભુત રોમાંચ અને અનુભૂતિ હતાં.”

રસ્કિન હવે ઇંગ્લેન્ડમાં રહેતા હતા, પરંતુ તેમનું દિલ ભારતમાં હતું. બ્રિટનમાં અનેક પ્રકારની સુવિધાઓ હતી, ઐશ્વર્ય હતું, આન, બાન અને શાન હતી, પરંતુ તેમનું મન માનતું નહોતું. તેમને ફરી ભારત આવી ભારતમાં જ સ્થિર થવાની ઇચ્છા હતી. સગાં-સંબંધીઓ આગળ તેમણે ભારત જવાની ઈચ્છા વ્યક્ત કરી. બધાએ તેમને ભારત જવાની ના પાડી, પણ રસ્કિન મનથી મકકમ હતા. ઇંગ્લેન્ડ ગયાના ચાર વર્ષ બાદ તેઓ બધાંની સલાહને અવગણીને ભારત પાછા આવ્યા.

ભારત આવ્યા બાદ તેઓ પત્રકારત્વના વ્યવસાયમાં જોડાયા. અલબત્ત, ભારત પાછા આવ્યા બાદ જિંદગી આસાન નહોતી. આ દિવસોમાં લેખકોની કમાણી નહીંવત્ હતી. માત્ર પુસ્તકો લખીને જ જીવનની જરૂરિયાતો પૂરી કરી શકાય તેમ નહોતું. જોકે, રસ્કિનને કોઈ વૈભવી એશ-આરામની જરૂરત પણ નહોતી. એ બધું તો ઇંગ્લેન્ડમાં હતું જ. એ બધું છોડીને જ તેઓ ભારત આવ્યા હતા. તેમને ભારત પ્રત્યે લગાવ હતો. તેઓ તો બચપણની સ્મૃતિઓ માણવા ભારત આવ્યા હતા. તેમને મન તો એ જ મોટી સાંત્વના હતી.

રસ્કિન કહે છે : ‘૬૦ અને ‘૭૦ના દાયકામાં મારા બેંક ખાતામાં ઝાઝા પૈસા નહોતા, પરંતુ મને વધુ પૈસાની જરૂરિયાત પણ નહોતી. મારી પાસે જે કાંઈ અલ્પ હતું તેથી જ હું ખુશ હતો.

રસ્કિન કેટલાક દિવસો દિલ્હીમાં રહ્યા. કેટલોક સમય દહેરાદૂનમાં વીતાવ્યો. તે પછી તેઓ મસૂરી જતા રહ્યા. આ દરમિયાન તેમના નાના ભાઈ વિલિયમ ભારત છોડીને કેનેડા જતા રહ્યા. તેમની બહેન ઇર્લેન પણ ભારતમાં જ તેમના એક સગાના ઘરે રહેવા જતી રહી. રસ્કિન હવે એકલા હતા. તેમણે બચપણની યાદોને અને એકાકીપણાને પુસ્તકોમાં ઢાળી દીધાં. તેમણે લખવાનું શરૂ કર્યું. તેઓ ખુદ રવિન્દ્રનાથ ટાગોર,રૂડયાર્ડ કિપલિંગ તથા ચાર્લ્સ ડિકન્સના ચાહક હતા. જોતજોતામાં તેમણે ૫૦૦થી વધુ વાર્તાઓ, નવલકથાઓ, સંસ્મરણ અને કવિતાઓ લખી નાખી. એમનાં આ બધાં પુસ્તકો પૈકીનાં ૩૦ પુસ્તકો તો માત્ર બાળકો માટે છે. તે તેમની ટૂંકી વાર્તાઓનું સંકલન કે જે ‘અવર ટ્રીજ સ્ટિલ ગ્રો’ના નામે મશહૂર છે તે સૌથી વધુ લોકપ્રિય બન્યું. એ બધી વાર્તાઓમાં તેમના જ બચપણની ઝલક જોવા મળે છે. તેમની જાણીતી વાર્તા’ઘોસ્ટ ઇન ધ વારંડા’ બીબીજીના નામનું એક પાત્ર છે. એ પાત્ર તેમની ઓરમાન માતાથી પ્રેરિત હોવાનું મનાય છે. રસ્કિન કહે છે કે, “તે મારા ઓરમાન પિતાની પહેલી પત્ની હતી. તેમના મનમાં મારા પ્રત્યે કોઈ જ કડવાશ નહોતી. તેમની સાથે મારો સંબંધ અત્યંત સ્નેહપૂર્ણ હતો.”

રસ્કિનને પ્રકૃતિ પ્રિય છે. એ કારણે જ એમણે મસૂરી પસંદ કર્યું. મસૂરીમાં જ ઘર બનાવ્યું. એ સુંદર ઘરની બારીઓમાંથી મસૂરીની પહાડીઓ,વૃક્ષો અને સડકો પર આવનજાવન કરતાં સહેલાણીઓને તેઓ જોતા રહે છે. એમાંથી જ એમને લખવાની પ્રેરણા મળે છે.

૧૯૭૮માં શ્યામ બેનેગલે તેમની નવલકથા ‘અ ફ્લાઈટ ઓફ પિજંસ’ પરથી ‘જુનૂન’ ફિલ્મ બનાવી. તેમની જ એક બીજી નવલકથા ‘સુજેન્સ સેવન હસબન્ડ્સ’ પરથી વિશાલ ભારદ્વાજે ‘સાત ખૂન માફ’ ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાલ સાહિત્યના ક્ષેત્રમાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ રસ્કિનબોન્ડને ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મ શ્રી’ એવોર્ડ એનાયત થયો.

રસ્કિન બોન્ડે લગ્ન કર્યું નથી. તેમણે રાકેશ નામના એક બાળકને દત્તક લીધો છે. તો પછી એમના દત્તક પુત્રનુ મીના નામની એક યુવતી સાથે લગ્ન કરાવડાવ્યું.

કોઈએ તેમને પૂછયું, “તમે કેમ લગ્ન ના કર્યાં ?”

રસ્કિન કહે છે : “હું યુવાન હતો ત્યારે જે પણ યુવતી મારી સાથે સારો વ્યવહાર કરતી હતી તેની સાથે મને પ્રેમ થઈ ગયો હતો, પરંતુ લગ્ન કોઈની યે સાથે થઈ શક્યું નહીં.”

રસ્કિન બોન્ડ હવે ૮૧ વર્ષના છે. તેઓ પોતાના દત્તક પુત્ર અને એમનાં પૌત્ર-પૌત્રીઓ સાથે મસૂરીમાં રહે છે. તેઓ માત્ર અંગ્રેજી જ નહીં,પરંતુ હિંદી પણ સારી રીતે બોલી શકે છે. મસૂરીની કોઈ બૂકશોપ પર કે ટી-સ્ટોલ પર ઘણી વાર સાહેલાણીઓ સાથે તેમને વાતો કરતા નિહાળી શકાય છે.

તેઓ કહે છે : “મારા મનમાં કદીયે મહાન લેખક બનવાની ખ્વાહિશ નહોતી. હું તો માત્ર નિજાનંદ માટે લખવા માગતો હતો. મેં કદી વિચાર્યું જ નહોતું કે ભારતના લોકો મને આટલો બધો પ્રેમ આપશે. સાચું કહું ? મારી અપેક્ષા કરતાં મને વધુ માન-સન્માન મળ્યા છે. આજે પણ રોજ બે-ત્રણ પાનાં લખું છું. લખ્યા વિના હું રહી શકતો નથી.”

– દેવેન્દ્ર પટેલ

તેઓ મુસ્લિમ છે, સંસ્કૃત ભણાવે છે અને એપ્સ પણ બનાવે છે !

ઈમરાન, મરિયમ, ડો. એ.પી.જે. કલામ ને હુસેનભાઈ મીરમાં સાચું ભારત વસે છે

વાત ઈમરાનની છે.

ભારતના ઈમરાનની, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને હવે પોલિટિશિયન એવા ઈમરાન ખાનની નહીં. અલવર જિલ્લાના ખારેડા ગામમાં રહેતો ઈમરાન રાતોરાત પૂરા વિશ્વમાં છવાઈ ગયો. બ્રિટનના પ્રવાસ દરમિયાન લંડનના વેબિલી સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૬૦ હજાર લોકોની માનવભીડ વચ્ચે ઈમરાનની તારીફ કરી અને ઈમરાન કોણ છે તે જાણવા આખા દેશમાં ઉત્સુકતા વધી ગઈ.

ઈમરાન કોણ છે ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના વેબિલી સ્ટેડિયમમાં પ્રવચન કરતી વખતે કહ્યું કે, અલવરના ઈમરાનમાં પૂરું હિંદુસ્તાન વસે છે. ઈમરાન ધર્મથી મુસ્લિમ છે, પરંતુ સંસ્કૃતનો શિક્ષક છે. તેની પાસે કોમ્પ્યુટર કે સોફ્ટવેરની કોઈ ડિગ્રી નથી. આ અંગે તેણે કોઈ તાલીમ પણ લીધી નથી. આમ છતાં પુસ્તકો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરનાર ઈમરાન શિક્ષણમાં ઉપયોગ થઈ શકે તેવાં બાવન એપ્સ બનાવી ચૂક્યો છે.

અભિનંદન વર્ષા

લંડનના એ પ્રવચનનું દેશની તમામ ન્યૂઝ ચેનલોએ જીવંત પ્રસારણ કર્યું અને રાતોરાત ઈમરાન જાણીતો બની ગયો. કેન્દ્રિય મંત્રીઓથી માંડીને બીજા અનેક નેતાઓ દ્વારા ઈમરાનને અભિનંદન આપવા લાઈન લાગી ગઈ. ઈમરાન સ્કૂલમાં ભણતો હતો ત્યારે ગણિત અને વિજ્ઞાનમાં ઊલઝેલો રહેતો હતો. ઈમરાન કહે છે કે તે વૈજ્ઞાનિક બનવા માગતો હતો, પરંતુ વિદ્યાર્થી જીવનમાં ઉચિત અવસર ના મળતાં તેની એ મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ નહોતી. તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. ગામમાં વીજળી પણ નહોતી. ફાનસના અજવાળે જ ભણીને તેણે શિક્ષણ લીધું. એ પછી સંસ્કૃતનો શિક્ષક બની ગયો. હાલ તે સંસ્કૃત માધ્યમિક વિદ્યાલયમાં સંસ્કૃત ભણાવે છે. વડા પ્રધાન દ્વારા લંડનમાં ઈમરાનના ઉલ્લેખ બાદ અલવર જિલ્લાના કલેક્ટરે પણ ઈમરાનને પોતાના ઘરે સન્માનિત કર્યો.ળ૩૦ લાખ ડાઉનલોડ

ઈમરાને જે બાવન એપ્સ બનાવવામાં આવ્યાં છે તેને દેશના ૩૦ લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ ૩ કરોડથી વધુ લોકો આ એપ્સ વિઝિટ કરે છે. ઈમરાન આ એપ્સ પર ૨૦૧૨થી કામ કરી રહ્યો છે. ઈમરાને દેશ અને સમાજના હિતમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન કરતાં વિજ્ઞાન અને ગણિત જ નહીં, પરંતુ સામાન્ય જ્ઞાન અને હિંદી જેવા વિષયોમાં પણ દેશ અને દુનિયાના લોકો માટે એપ્સ ઉપલબ્ધ કરાવરાવ્યાં છે. ઈમરાન દ્વારા આ એપ્સ પર કામ કરવામાં તેમની પુત્રી સાનિયા પણ ખૂબ જ સહાય કરી રહી છે. શરૂઆમાં સાનિયા તેના પિતાના કામથી પરેશાન થતી હોવાની લાગણી અનુભવતી હતી, પરંતુ હવે તેને મજા પડવા લાગી છે. હવે તે ખુદ એપ્સ ડિઝાઈન કરી રહી છે. ઈમરાનની પુત્રી સાનિયા આજે ૧૦મા ધોરણમાં ભણી રહી છે. ઈમરાનના આ કામથી ખુશ થઈને બીએસએનએલએ ઈમરાનના ઘર સુધી ઓપ્ટિકલ ફાઈબર બિછાવી દઈ ઈમરાનને જિંદગીભર વિનામૂલ્યે ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.

વિજ્ઞાન ભવનમાં પહોંચ્યા

ઈમરાને એપ્સ બનાવતા પહેલાં એક વેબસાઈટ દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરવાનું શરૂ કર્યું હતું. વેબસાઈટ જીકે ટોંક પર તેમણે સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને ઓનલાઈન કર્યા. આ દરમિયાન જિલ્લા કલેક્ટર આશુતોષ પેડણેકરે તેમને પોતાની ઓફિસમાં બોલાવ્યા. ઈમરાન ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે તેમની વેબસાઈટ અંગે કોઈએ ફરિયાદ કરી હશે. ૧૯૯૯માં ઈમરાનની પસંદગી સરકારી સેવામાં થઈ. પહેલી જ વાર તેમણે રાજસ્થાનના કોટામાં સેવા આપવાની શરૂઆત કરી. તે પછી તેમની બદલી અલવર જિલ્લાના ખારેડા ગામની સ્કૂલમાં થઈ. જિલ્લા કલેક્ટરે ઈમરાન ખાનને શિક્ષણમાં સંશોધન માટેના એક પ્રોજેક્ટમાં સામેલ કર્યા. હવે તેઓ સંસ્કૃતના શિક્ષક ઉપરાંત અલવરની પ્રોજેક્ટ એક્તા ટીમના સભ્ય પણ છે. આ ટીમે થોડા વખત પહેલાં જ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આઈટી સંમેલનમાં હાજર રહેતાં એ ટીમ પ્રકાશમાં આવી. કેન્દ્રિય સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભાખંડમાં ઈમરાનને ઊભા કરીને સૌને તેમનો પરિચય કરાવ્યો હતો અને અભિનંદન આપ્યાં હતાં.

ઈમરાન શું કહે છે ?

ઈમરાન કહે છે : “શિક્ષકની ભૂમિકા જ્ઞાન આપવાની છે. હું એ કામમાં જ જોતરાયેલો છું. વડા પ્રધાને આટલા મોટા મંચ પરથી મારા નામનો ઉલ્લેખ કર્યો તે મારા માટે ઇદથી વધુ મોટી ખુશી છે. હવેનો યુગ એ ટેક્નોલોજીનો યુગ છે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેળવણીના ક્ષેત્રમાં થવો જોઈએ. ઓછામાં ઓછા ખર્ચે વધુ ને વધુ લાભ પહોંચાડનારું આ માધ્યમ છે.”

ઈમરાન મુસ્લિમ હોવા છતાં સંસ્કૃત ભણાવે છે તે આશ્ચર્ય અને આનંદની વાત છે. મુંબઈની ૧૩ વર્ષની નાનકડી મરિયમ સિદ્દીકી ભગવદ્ ગીતાના જ્ઞાનની સ્પર્ધામાં ચેમ્પિયન બને છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામ કે જેઓ મિસાઈલ મેન તરીકે જાણીતા હતા તેમના ભારત માટેના યોગદાનને રાષ્ટ્ર હંમેશ યાદ રાખશે. બી. આર. ચોપરા દ્વારા બનાવેલ ‘મહાભારત’ ટી.વી. સિરીયલના સંવાદો ડો. રાહી માસૂમ રઝાએ લખ્યા હતા. આકરુંદ જેવા એક નાનકડા ગામમાં ભગવાન શ્રીરામના મંદિરમાં હુસેનભાઈ મીર નામના એક મુસ્લિમ ટપાલ કર્મચારી હાર્મોનિયમની ધૂન સાથે કદી રામનાં ભજનો ગાતા હતા અને તેઓ ભજન મંડળીના અગ્રેસર હતા. સમાજમાં ઘૃણા ફેલાવનારા એ વાત યાદ રાખે કે ભારતમાં શાંતિપ્રિય, તમામ ધર્મો પ્રત્યે આદર રાખનારા સજ્જન મુસ્લિમ નાગરિકો પણ વસે છે. આ જ છે સાચું ભારત.

ઈમરાન, મરિયમ ડો. એપીજે કલામ અને એક નાનકડા ટપાલ કર્મચારી હુસેનભાઈ મીરમાં જ સાચું ભારત વસે છે.

દયારાની એક કિન્નર હતી ને સમાજસેવિકા પણ હતી

દયા રાની. એ હતી કિન્નર.

એક ભવ્ય આવાસમાં રહેતી હતી. કિન્નર હોવા છતાં તેની પાસે પુષ્કળ પ્રોપર્ટી હતી. ઘરમાં અને બેંકમાં લાખો રૂપિયા પડયા રહેતા. એના ઘરમાં તેની સાથે બીજાં ત્રણ જણ રહેતાં હતાં. તેની ભત્રીજી સ્મિતા, તેની શિષ્યા કાવેરી અને તેની ભત્રીજીનો પુત્ર સુનિલ.

દયારાની શહેરનું જાણીતું નામ હતું. તે અત્યંત રૂપાળી હતી. તે સામાજિક કાર્યકર્તા પણ હતી. તે લોકસભાની અને વિધાનસભાની તથા શહેરના મેયરપદની ચૂંટણી લડી પણ હતી. ૨૦૦૯માં તે ગાઝિયાબાદની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અલબત્ત, તે એ ચૂંટણી હારી ગઈ હતી. લોકોને તેનો સ્વભાવ ગમતો હતો. તે ગરીબોને મદદ કરતી હતી. સ્થાનિક લોકો માટે તે વીજળી-પાણીના મુદ્દે લડત ચલાવતી હતી. ૨૦૧૧માં ૭ મિનિટ અને ૨૭ સેકન્ડની બનેલી ફિલ્મ ‘મૈં હીજડા હું’ નામની ફિલ્મમાં તેનાં સારાં કામોને દર્શાવવામાં આવ્યાં હતાં. એ ફિલ્મને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ તરીકેનો એવોર્ડ પણ મળ્યો હતો.

દયા રાની આમ તો કિન્નર સમાજની સભ્ય હતી, પરંતુ પોતાના સગાં-સંબંધીઓ સાથે પણ સંબંધ રાખતી હતી. એક દિવસ તેની ભત્રીજી સ્મિતા તેના નાનકડા બાળકને લઈ તેના ઘરે આવી પહોંચી. સ્મિતા રડતી હતી. દયારાનીએ પૂછયું, “બેટા! કેમ રડે છે ?”

સ્મિતાએ કહ્યું, “મારો પતિ મારી સાથે મારઝૂડ કરે છે. મારી પર વહેમાય છે. આજે પણ તેણે મને મારી છે.”

દયારાનીએ એની ભત્રીજીને કહ્યું, “બેટા! કોઈ ચિંતા ના કર. તું મારી દીકરી જેવી છે. તું અને તારો પુત્ર કાયમ માટે મારા ઘરમાં રહી શકો છો.”

એ દિવસથી દયારાનીની ભત્રીજી સ્મિતા અને તેનો પુત્ર તેના ઘરમાં રહેવા આવી ગયા. દયારાની પાસે એક મોટરકાર પણ હતી. તે ડ્રાઈવર પણ રાખતી હતી. ડ્રાઈવરનું નામ સમીર જે દયારાનીનો વિશ્વાસુ ડ્રાઈવર હતો. કેટલાક સમય બાદ દયારાનીએ તેની ભત્રીજી સ્મિતા અને તેના પતિ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કર્યો, પણ તેમાં સફળતા મળી નહીં. છેવટે તેણે એ બેઉ વચ્ચે છૂટાછેડા કરાવી આપ્યા. હવે તેની ભત્રીજી અને તેનો પુત્ર કાયમ માટે દયારાનીના પરિવારનો હિસ્સો બની ગયાં.

આ વાતને કેટલાક મહિના વીત્યા.

એ દિવસે સવારે સ્મિતાની આંખ ખૂલી તો ઘરમાં સન્નાટો હતો. રોજ તો દયારાની વહેલી ઊઠી જતી હતી, પરંતુ આજે તો દયારાનીના બેડરૂમનું બારણું ખૂલ્યું જ નહોતું. સ્મિતા દયારાનીના બેડરૂમમાં ગઈ. બારણું ખોલ્યું અને તે ચીસ પાડી ઊઠી. દયારાનીનું શરીર લોહીથી લથપથ હતું. તેની હત્યા થઈ ચૂકી હતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા. સ્મિતા રડવા લાગી. “ભગવાન જાણે કોઈએ મારી ફોઈને મારી નાખી.”

પોલીસ આવી ગઈ.

પોલીસે જોયું તો દયારાની પર કોઈએ ગોળી છોડી એની હત્યા કરી નાખી હતી. દયારાનીના બેડરૂમની એક બારી રોજની જેમ ખુલ્લી હતી. પૂછપરછમાં સ્મિતાએ કહ્યું, “રાત્રે આઠ વાગે જમીને તેઓ તેમના બેડરૂમમાં જતાં રહ્યાં હતાં. બેડરૂમની બારી તેઓ હંમેશાં ખુલ્લી રાખતાં.”

પોલીસને ખ્યાલ આવી ગયો કે કોઈકે બારીમાંથી ગોળી મારી દયારાનીનું ખૂન કરી દીધું છે, પણ આશ્ચર્ય એ વાતનું હતું કે કોઈએ ગોળીનો અવાજ સાંભળ્યો નહોતો. દયારાનીના ઘરની બાજુમાંથી એક રેલવે લાઈન પસાર થતી હતી. બહારથી કોઈ ગોળી મારીને ભાગી ગયું હોય તેમ જણાયું.

દયારાની આર્થિક રીતે સંપન્ન હતી. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. ઘરમાંથી તો કોઈ લૂંટ થઈ જ નહોતી તો પછી દયારાનીની હત્યા કોણે કરી ? કેમ કરી ? પોલીસ માટે આ એક મૂંઝવતો કોયડો હતો. દયારાનીએ તેના ઘરની બહાર એક સીસીટીવી કેમેરા લગાવેલો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા તો કરીબ રાતના અગિયાર વાગે ત્રણ માણસોની છાયા દયારાનીના ઘરની બહાર નજર આવી. કેમેરાથી બચવા એ ત્રણેય જણે દીવાલનો સહારો લીધો હતો. કેટલીક ક્ષણો બાદ એક મોટર સાઈકલ પણ ત્યાંથી જતી દેખાઈ. સંદિગ્ધોના ચહેરા સ્પષ્ટ નહોતા. મોટર બાઈકનો નંબર પણ દેખાતો નહોતો.

પોલીસે દયારાનીની હત્યાનું રહસ્ય ઉકેલવા હવે બાતમીદારોનો સહારો લીધો. એક બાતમીદારે પોલીસને જણાવ્યું કે, દયારનીને પડોશમાં કોઈનીયે સાથે ઝઘડો નહોતો, પરંતુ દયારાનીની ભત્રીજી સ્મિતા કે જે તેના ઘરમાં જ રહે છે તેને કોઈની સાથે પ્રેમ પ્રકરણ હતું. એક બે વાર દયારાનીએ સ્મિતાને સખત ઠપકો આપ્યો હતો. પોલીસે આ માહિતીના આધારે હવે સ્મિતાની પશ્ચાદ્ભૂમિકા પર તપાસ શરૂ કરી. પૂછપરછ કરતાં ખબર પડી કે, સ્મિતાનો વિવાહ તેમના જ સમાજના એક યુવાન સાથે થયો હતો, પરંતુ સ્મિતા ચંચળ સ્વભાવની હોઈ તેના પતિને તેની પર શંકા હતી. વિખવાદ વધતાં સ્મિતા દયારાની પાસે તેના પુત્ર સાથે આવી ગઈ હતી. પાછળથી સ્મિતાના તેના પતિથી છૂટાછેડા પણ દયારાનીએ જ કરાવી આપ્યા હતા.

પોલીસે હવે દયારાનીના અને સ્મિતાના ફોનની કોલ ડિટેઈલ્સ કઢાવી. દયારાનીના ફોનની કોલ ડિટેઈલ્સમાંથી તો કાંઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ નહીં, પરંતુ સ્મિતાના ફોનની કોલ ડિટેઈલ્સમાંથી માલૂમ પડયું કે, સ્મિતા એક ચોક્કસ નંબર પર રોજ રાત્રે કલાકો સુધી વાત કરતી હતી. જે રાત્રે દયારાનીની હત્યા થઈ ગઈ તે રાત્રે પણ રાતના ૧૧ પહેલાં અને રાતના ૧૨ વાગ્યા બાદ સ્મિતાએ એક ચોક્કસ નંબર પર ખૂબ લાંબી વાત કરી હતી. પોલીસે તપાસ કરી તો સ્મિતા જે નંબર પર હત્યાની રાતે વાત કરતી હતી તે નંબર વારિસ નામના એક યુવકનો હતો.

પોલીસે શંકાના આધારે સ્મિતાને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને પૂછયું કે, “આ વારિસ કોણ છે ?”

સ્મિતા સ્તબ્ધ થઈ ગઈ. તેણે કહ્યું કે, “વારિસ મારો પ્રેમી છે.”

“હત્યાની રાતે તેં વારિસ સાથે શું વાત કરી ?” પોલીસે સખ્તાઈથી પૂછયું.

અને સ્મિતા ભાંગી પડી. તે રડવા લાગી. પોલીસે પૂછયું, “તું વારિસને કેવી રીતે ઓળખે છે ?”

સ્મિતાએ કહ્યું, “દયારાનીનો એક ડ્રાઈવર છે સમીર. વારિસ સમીરનો દોસ્ત છે. તે સમીરને મળવા આવતો હતો. એ મને ગમી ગયો હતો. દયારાની ઘરમાં ના હોય ત્યારે પણ તે મને મળવા આવતો હતો. અમે બહાર મળવા લાગ્યા હતા. અમે રોજ એકબીજા સાથે વાતો કરતાં હતાં.”

“પછી ?” પોલીસે કહ્યું, “જો સ્મિતા, તું સાચું કહી દે. તું સાચું બોલીશ તો અમે તને બચાવી લઈશું.”

સ્મિતા પોલીસની વાતમાં આવી ગઈ. એણે કહ્યું, “સાહેબ, સાચું કહું ? હું સમીર વગર રહી શકતી નહોતી. એક વાર દયારાનીની ગેરહાજરીમાં સમીર આવ્યો હતો. અમે બે એકલા જ ઘરમાં હતાં. દયારાની અચાનક આવી ગયાં. અમને જોઈ ગયાં. અમને ખૂબ ખખડાવ્યાં. સમીરને લાફો મારીને કાઢી મૂક્યો. ફરી હું સમીર સાથે ભાગી ગઈ. સમીર મારી સાથે લગ્ન કરવા માગતો હતો, પણ એણે બહાના બતાવ્યા. સમીરે મને કહ્યું હતું કે, “વગર પૈસે લગન કરીને શું કરીશું ? શું ખાઈશું ? એમ કહી સમીરે મને કહ્યું કે તારા ફોઈ દયારાની પાસે ઘણા રૂપિયા છે. તેની પાસે તું પાછી જા. તે તને બહુ ચાહે છે. તેની તું વારીસ બની જા. તે પછી હું તેની હત્યા કરી નાખીશ અને આપણે બેઉ કરોડોની સંપત્તિના માલિક બની જઈશું. સમીરના કહેવાથી તેની યોજના પ્રમાણે હું પાછી દયારાની પાસે આવી ગઈ. તેમના પગે પડી. મેં તેમની માફી માગી લીધી. દયારાની ખરેખર દયાળુ હતાં. તેમણે મને માફ કરી દીધી અને ફરી મને તેમની પાસે રાખી લીધી. કેટલાક દિવસો બાદ મેં તેમને કહ્યું : “મને તમારી વારસદાર બનાવી દો.” તો એમણે કહ્યું, “બેટા, તું મારી વારસદાર જ છે. આ બધું તારું જ છે ને.”

પોલીસ એક ચિત્તે સ્મિતાની કેફિયત સાંભળતી રહી. પોલીસે પૂછયું : “તે પછી શું થયું ?”

સ્મિતા બોલી : “મને લાગ્યું કે દયારાનીએ મને વારસદાર બનાવી જ દીધી છે. એક દિવસ તેમણે જ મને ૨૫ લાખ રૂપિયા કબાટમાં મૂકવા આપ્યા. પૈસા.. ક્યાં હતા તેની મને હવે ખબર હતી. મેં સમીરને વાત કરી કે દયારાનીની મિલકત ક્યાં છે તે હું જાણું છું. તું તારું કામ પતાવી દે તે પછી તું જ આ ઘરમાં રહેવા આવી જા. મેં સમીરને કહ્યું : “દયારાની તેમના બેડરૂમની બારી ખુલ્લી રાખે છે. તારે જે કરવું હોય તે કરી નાખ.”

“પછી ?”

સ્મિતા બોલી : “તે પછી એ રાત્રે સમીર એના બે મિત્રો સાથે લઈને દયારાનીના ઘરે રાત્રે આવ્યો. તેની પાસે ૩૧૫ બોરનો એક તમંચો હતો. તમંચાનો અવાજ ના થાય તે માટે મેં તેને કહ્યું હતું કે, રાત્રે ખૂબ ટ્રેનો પસાર થાય છે. ટ્રેનના હોર્નના અવાજ વખતે જ તમંચો ચલાવજે.” એણે એમ જ કર્યું.

પોલીસે તપાસમાં શોધી કાઢયું હતું કે, હત્યાની રાત્રે ૧૧ વાગ્યાના એક કલાકમાં એ રેલવે લાઈન પરથી પંદર ટ્રેનો પસાર થઈ હતી. સમીરે ટ્રેનના હોર્નના અવાજ વખતે જ બેડરૂમની બારીમાંથી પલંગમાં સૂતેલી દયારાની પર ગોળી ચલાવી હતી. તે પછી તે તેના મિત્રો સાથે મોટર બાઈક પર ભાગી ગયો હતો.

પોલીસે સ્મિતાના બયાનના આધારે સમીરને પકડયો. સ્મિતાની પણ ધરપકડ કરી. બીજા બે સાગરીતોની પણ ધરપકડ કરી. સમીરે દયારાનીની હત્યા કરી હોવાનું કબૂલ કરી લીધું.

દયારાની દયાળુ હતી, પરંતુ આજના સમયમાં કોઈની પર દયા કરવા જેવું છે ખરું ?

– દેવેન્દ્ર પટેલ

દેશમાં અબજો કમાયા પછી દેશ છોડવાનું કેમ સૂઝયું ?

દેશમાં અબજો કમાયા પછી દેશ છોડવાનું કેમ સૂઝયું ?આમિર ખાન સ્ક્રીન પર બોલે છે તે એક્ટિંગ છે પણ એવોર્ડ ફંક્શનમાં બોલ્યા તે અસલિયત છે

જેએક્ટરને આ દેશે સુપરસ્ટાર બનાવ્યો તે તેની પત્નીનો હવાલો આપીને કહે છે કે, આ દેશ રહેવાને લાયક નથી.

નોનસેન્સ.

આમિર ખાનની આ વાત માત્ર બેબુનિયાદ જ નહીં, પરંતુ નોનસેન્સ છે. તેમાં કોઈ જ સેન્સ સમાયેલી નથી. તાજેતરમાં બોલિવૂડ એક્ટર આમિર ખાને ‘એવોર્ડ વાપસી’ને આડકતરી રીતે અનુમોદન આપતાં કહ્યું કે, “એક દિવસ મારી પત્ની કિરણે એક જબરદસ્ત સ્ટેટમેન્ટ કર્યું કે, આ દેશમાં મને હવે ડર લાગે છે. આ દેશમાં મને આપણાં બાળકોની સલામતીની ચિંતા થાય છે.”

બોમ્બ ધડાકા વખતે ?

બહેન કિરણ, તમને પૂછવાનું મન થાય છે કે, પાકિસ્તાનમાં વસતા ડોન દાઉદ ઇબ્રાહિમના ઇશારે મુંબઈમાં બોમ્બ ધડાકા થયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? કરાંચી બંદરથી બોટમાં આવેલા કસાબે મુંબઈમાં અનેક લોકોની હત્યા કરી નાખી ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? ગાંધીનગરના અક્ષરધામમાં આતંકવાદીઓએ લોહીના ફુવારા ઉડાડયા ત્યારે તમને અસલામતી લાગી નહોતી ? કાશ્મીરમાં રહેતા ૨૦,૦૦૦ કાશ્મીરી પંડિતોના ઘર સળગાવી દેવામાં આવ્યા ત્યારે તમને આ દેશથી કોઈ ડર લાગ્યો ન હતો ? તમે હિંદુ હોવા છતાં એક મુસલમાનને પરણ્યાં છો અને આખો દેશ તમને સન્માન આપે છે તે શું સહિષ્ણુતા નથી ? શાહરુખ પણ એક હિંદુ યુવતી-ગૌરીને પરણ્યા છે અને છતાં મુંબઈના લેન્ડ એન્ડસ ખાતે આવેલા શાહરુખ ખાનના’મન્નત’ બંગલોની બહાર તમામ ધર્મનાં યુવક-યુવતીઓ બંગલા પાસે ઊભા રહી તસવીરો પડાવે છે તે શું અસહિષ્ણુતા છે ? એક્ટર સલમાન ખાના પિતા સલિમ ખાન એક હિંદુ સ્ત્રીને પરણ્યા છે છતાં આખો દેશ એક હિંદુ સ્ત્રી અને મુસલમાન પિતાથી પેશ થયેલા સલમાન ખાનનો ફેન છે તે શું અસહિષ્ણુતા છે ? હિંદુ બહુમતીવાળા દેશમાં ત્રણ ખાન આજે સુપરસ્ટાર છે તે શું અસહિષ્ણુતા છે ?

અબજો ક્યાંથી કમાયા ?

કિરણ અને તેમના પત્ની આમિર ખાન એ વાત ભૂલી જાય છે કે, શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન આજે અબજોની સંપત્તિમાં આળોટે છે તો તે સંપત્તિ તમે ભારતમાં જ કમાયા છો. આમિર ખાન એ વાત ભૂલી જાય છે કે, તેમની પાસે જે કિંમતની મોટરકારો છે અને જેટલા સુરક્ષા કમાન્ડો છે એટલી સુખ-સુવિધા અને સુરક્ષા આ દેશના એક ટકા લોકો પાસે પણ નથી. મુંબઈના ડોંગરી કે ધારાવીમાં જઈ જોઈ આવો કે એક ગરીબ હિંદુ અને એક ગરીબ મુસલમાન કેવા ભાઈચારાથી જીવે છે. આમિર ખાન એક ઉત્કૃષ્ટ એક્ટર છે. તેમની કેટલીક ફિલ્મો સુંદર સંદેશો લઈને આવે છે. ‘તારે જમીન પર’ કે ‘લગાન’થી તેઓ નામ કમાયા છે, પરંતુ એક એવોર્ડ ફંક્શનમાં તેઓ જે બોલ્યા તે પરથી તો એમ જ લાગે છે તેઓ એક સ્ક્રીન પર જ એક સારા એક્ટર છે, અંદરના વ્યક્તિત્વનું પોત તેમણે અનાયાસે જ પ્રગટ કરી દીધું. ‘રાજા હિંદુસ્તાની’ માત્ર સ્ક્રીન પર જ છે. ભીતરથી તેઓ ભારતને રહેવા લાયક દેશ નથી એમ કહીને તેઓ બીજાઓને ડરાવે પણ છે. તેમનું’સત્યમેવ જયતે’ માત્ર સ્ક્રીન પર સમાજસેવક તરીકે પોતાનું માર્કેટિંગ કરવા માટે જ છે. ભીતરનું સત્ય કાંઈક બીજું જ છે. અમેરિકાના રાજદૂતે જે દિવસે એમ કહ્યું કે, ભારત સૌને સમાવિષ્ટ કરનારો દેશ છે તે જ દિવસે આમિર ખાન બોલ્યા કે ભારત રહેવા લાયક દેશ નથી. આમ કહીને તેમણે દેશની સેવા કરી કે દેશની કુસેવા કરી? આમિર ખાનનો આ સંદેશ પછી ભારતને બહારના પ્રવાસીઓ મળશે કે ભારત પ્રવાસીઓ ગુમાવશે ? આમિર ખાનના આ વિધાનથી ભારતમાં બહારનું મૂડીરોકાણ વધશે કે ભારત એ તક ગુમાવશે ?

તમે ક્યાં જશો ?

આમિર ખાન કહે છે કે, મારી પત્ની કિરણ કહે છે કે, આપણાં બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આપણે બીજા કોઈ દેશમાં ચાલ્યા જઈએ.

બહેન કિરણ, જઈ જઈને ક્યાં જશો ? પાકિસ્તાન જશો કે જ્યાં બાળકીઓને ભણાવવાની તરફેણ કરતી મલાલા નામની મુસ્લિમ બાળાના ચહેરા પર ગોળી મારી દેવામાં આવે છે ? પાકિસ્તાનની જ એક મિશનરી સ્કૂલમાં બાળકો પર ગોળીબાર કરી દેવામાં આવે છે. લોકોના મતથી ચૂંટાયેલા જે દેશમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને એક સરમુખત્યાર ફાંસીએ ચડાવી દે છે તે પાકિસ્તાનમાં એક વાર પનાહ લો તો તમને ખબર પડે કે, સલામતી ક્યાં છે ? તમારા માટે બીજો દેશ છે અફઘાનિસ્તાન, જ્યાં તાલિબાનોએ ગીત-સંગીત રેડિયો અને ટેલિવિઝન પર પ્રતિબંધ મૂક્યો છે. એ દેશમાં જઈ આમિર ખાન તેમની એક્ટિંગ અને નાચગાનના કરતબ બતાવે તો ખરા ? હિંદુસ્તાન તમને ભયજનક લાગતું હોય તો તમે સિરિયા અને ઇરાક જાવ, જ્યાં બુરખો ના પહેરનારની કતલ કરી દેવાય છે. એટલું જ નહીં, પરંતુ ત્યાં એક જ ધર્મના લોકો પોતાના જ ધર્મની અન્ય સ્ત્રીઓ પરના બળાત્કારને અધિકાર સમજે છે. ત્યાં ના જવું હોય તો ચીન, રશિયા, જાપાન, યુરોપ કે અમેરિકા જાવ એટલે તમેન ખબર પડે કે, ત્યાં તમારી કેટલી કદર થાય છે !

નીંદનીય ઘટનાઓ

અલબત્ત, અત્રે એક વાત નોંધવી જોઈએ કે છેલ્લા કેટલાક સમય દરમિયાન દેશમાં જે ઘટનાઓ ઘટી છે તે નીંદનીય છે. દાદરીમાં એક ગરીબ મુસલમાને બીફ ખાધું છે તેવી અફવાના કારણે એ મુસલમાનને મારી નાખવામાં આવ્યો તે ઘટના અત્યંત ઘૃણાસ્પદ હતી. એક કન્નડ લેખકની અને મંત્રતંત્રનો વિરોધ કરનાર એક રેશનાલિસ્ટની પૂનામાં હત્યા કરી દેવામાં આવી તે ઘટના તિરસ્કારને પાત્ર હતી. પાકિસ્તાનના ગઝલ ગાયક ગુલામ અલીને મુંબઈમાં કાર્યક્રમ યોજવા દેવામાં ના આવ્યા તે ઘટના અયોગ્ય હતી. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીના પુસ્તકના લોકાર્પણનો કાર્યક્રમ યોજનાર સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર કાળી શાહી લગાડવામાં આવી તે ઘટના પણ નીંદનીય હતી. આ ઘટનાઓ અંગે બેજવાબદારીપૂર્વક નિવેદનો કરનાર સાધ્વી પ્રાચી, યોગી આદિત્યનાથ કે શિવસેનાના પ્રવક્તા એ આ દેશની આમ પ્રજાના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતાં નથી. એવી જ રીતે સમય આવે એવોર્ડ પાછો આપી દઈશ એવું કહેનાર શાહરુખ ખાન અને મારાં બાળકો સલામત નથી એવું કહેનાર કિરણ આમિર ખાન પણ આ દેશની ૧૨૫ કરોડની જનતાનું પ્રતિનિધિત્વ કરતાં નથી. જેવી રીતે આમિર ખાને કે શાહરુખ ખાને પોતાની જીભ પર કાબૂ રાખવાની જરૂર છે તે રીતે ભાજપના કટ્ટરવાદી નેતાઓએ પણ પોતાની જીભ પર લગામ રાખવાની જરૂર છે. કેટલાક નેતાઓ અને કેટલાક એક્ટર્સ આ દેશની છબીને ખરાબ કરી રહ્યા છે.

ભારત સહિષ્ણુ છે

યાદ રહે કે ભારત એક ભૂમિ છે કે જેણે પહેલાં આર્યોને સ્વીકાર્યા, ત્યાર પછી હૂણ, તાતાર અને મોગલોને પણ સ્વીકાર્યા. એ પછી ખ્રિસ્તીઓ,પારસીઓ અને ફિરંગીઓને પણ સ્વીકાર્યા. મોહંમદ ગઝનીએ તો અનેકવાર હિંદુ મંદિરો લૂંટયા છતાં આ દેશની ધરતી મુસલમાનોની પણ માતૃભૂમિ બની રહી છે. એ વાત યાદ રહે કે, આ દેશના લોકો શહેનશાહ અકબરના શાસનને યાદ કરે છે. શાહજહાંએ બનાવેલા તાજમહાલને જોતી વખતે એક હિંદુ એમ નથી વિચારતો કે આ કોઈ મુસલમાન બેગમની કબર છે. અજમેરની દરગાહ પર હિંદુઓ પણ મસ્તક ઝૂકાવે છે. મોહંમદ રફી, દિલીપ કુમાર, નરગીસ, મુબારક બેગમ, તલત મહેમૂદ,શમશાદ બેગમ અને એ.આર. રહેમાન આજે પણ કરોડો હિંદુઓના હૃદયમાં આદરપૂર્વકનું સ્થાન ધરાવે છે. ડો. એ.પી.જે. કલામ અને મૌલાના અબ્બુલ કલામ આઝાદ આજે પણ દેશના કરોડો લોકોના સન્માનનાં પ્રતીક છે ત્યારે મિ. આમિર ખાન તમે ‘ગજની’ બનવાનો પ્રયાસ ના કરો.

અમે તમારું એક સારા એક્ટર તરીકે સન્માન કરીએ છીએ પણ હવે એક સારા ભારતીય તરીકે પણ તમારું સન્માન કરીએ તેવું બોલો અને કરો.

Powered by WordPress & Theme by Anders Norén