ઈમરાન, મરિયમ, ડો. એ.પી.જે. કલામ ને હુસેનભાઈ મીરમાં સાચું ભારત વસે છે
વાત ઈમરાનની છે.
ભારતના ઈમરાનની, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને હવે પોલિટિશિયન એવા ઈમરાન ખાનની નહીં. અલવર જિલ્લાના ખારેડા ગામમાં રહેતો ઈમરાન રાતોરાત પૂરા વિશ્વમાં છવાઈ ગયો. બ્રિટનના પ્રવાસ દરમિયાન લંડનના વેબિલી સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૬૦ હજાર લોકોની માનવભીડ વચ્ચે ઈમરાનની તારીફ કરી અને ઈમરાન કોણ છે તે જાણવા આખા દેશમાં ઉત્સુકતા વધી ગઈ.
ઈમરાન કોણ છે ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના વેબિલી સ્ટેડિયમમાં પ્રવચન કરતી વખતે કહ્યું કે, અલવરના ઈમરાનમાં પૂરું હિંદુસ્તાન વસે છે. ઈમરાન ધર્મથી મુસ્લિમ છે, પરંતુ સંસ્કૃતનો શિક્ષક છે. તેની પાસે કોમ્પ્યુટર કે સોફ્ટવેરની કોઈ ડિગ્રી નથી. આ અંગે તેણે કોઈ તાલીમ પણ લીધી નથી. આમ છતાં પુસ્તકો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરનાર ઈમરાન શિક્ષણમાં ઉપયોગ થઈ શકે તેવાં બાવન એપ્સ બનાવી ચૂક્યો છે.
અભિનંદન વર્ષા
લંડનના એ પ્રવચનનું દેશની તમામ ન્યૂઝ ચેનલોએ જીવંત પ્રસારણ કર્યું અને રાતોરાત ઈમરાન જાણીતો બની ગયો. કેન્દ્રિય મંત્રીઓથી માંડીને બીજા અનેક નેતાઓ દ્વારા ઈમરાનને અભિનંદન આપવા લાઈન લાગી ગઈ. ઈમરાન સ્કૂલમાં ભણતો હતો ત્યારે ગણિત અને વિજ્ઞાનમાં ઊલઝેલો રહેતો હતો. ઈમરાન કહે છે કે તે વૈજ્ઞાનિક બનવા માગતો હતો, પરંતુ વિદ્યાર્થી જીવનમાં ઉચિત અવસર ના મળતાં તેની એ મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ નહોતી. તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. ગામમાં વીજળી પણ નહોતી. ફાનસના અજવાળે જ ભણીને તેણે શિક્ષણ લીધું. એ પછી સંસ્કૃતનો શિક્ષક બની ગયો. હાલ તે સંસ્કૃત માધ્યમિક વિદ્યાલયમાં સંસ્કૃત ભણાવે છે. વડા પ્રધાન દ્વારા લંડનમાં ઈમરાનના ઉલ્લેખ બાદ અલવર જિલ્લાના કલેક્ટરે પણ ઈમરાનને પોતાના ઘરે સન્માનિત કર્યો.ળ૩૦ લાખ ડાઉનલોડ
ઈમરાને જે બાવન એપ્સ બનાવવામાં આવ્યાં છે તેને દેશના ૩૦ લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ ૩ કરોડથી વધુ લોકો આ એપ્સ વિઝિટ કરે છે. ઈમરાન આ એપ્સ પર ૨૦૧૨થી કામ કરી રહ્યો છે. ઈમરાને દેશ અને સમાજના હિતમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન કરતાં વિજ્ઞાન અને ગણિત જ નહીં, પરંતુ સામાન્ય જ્ઞાન અને હિંદી જેવા વિષયોમાં પણ દેશ અને દુનિયાના લોકો માટે એપ્સ ઉપલબ્ધ કરાવરાવ્યાં છે. ઈમરાન દ્વારા આ એપ્સ પર કામ કરવામાં તેમની પુત્રી સાનિયા પણ ખૂબ જ સહાય કરી રહી છે. શરૂઆમાં સાનિયા તેના પિતાના કામથી પરેશાન થતી હોવાની લાગણી અનુભવતી હતી, પરંતુ હવે તેને મજા પડવા લાગી છે. હવે તે ખુદ એપ્સ ડિઝાઈન કરી રહી છે. ઈમરાનની પુત્રી સાનિયા આજે ૧૦મા ધોરણમાં ભણી રહી છે. ઈમરાનના આ કામથી ખુશ થઈને બીએસએનએલએ ઈમરાનના ઘર સુધી ઓપ્ટિકલ ફાઈબર બિછાવી દઈ ઈમરાનને જિંદગીભર વિનામૂલ્યે ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.
વિજ્ઞાન ભવનમાં પહોંચ્યા
ઈમરાને એપ્સ બનાવતા પહેલાં એક વેબસાઈટ દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરવાનું શરૂ કર્યું હતું. વેબસાઈટ જીકે ટોંક પર તેમણે સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને ઓનલાઈન કર્યા. આ દરમિયાન જિલ્લા કલેક્ટર આશુતોષ પેડણેકરે તેમને પોતાની ઓફિસમાં બોલાવ્યા. ઈમરાન ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે તેમની વેબસાઈટ અંગે કોઈએ ફરિયાદ કરી હશે. ૧૯૯૯માં ઈમરાનની પસંદગી સરકારી સેવામાં થઈ. પહેલી જ વાર તેમણે રાજસ્થાનના કોટામાં સેવા આપવાની શરૂઆત કરી. તે પછી તેમની બદલી અલવર જિલ્લાના ખારેડા ગામની સ્કૂલમાં થઈ. જિલ્લા કલેક્ટરે ઈમરાન ખાનને શિક્ષણમાં સંશોધન માટેના એક પ્રોજેક્ટમાં સામેલ કર્યા. હવે તેઓ સંસ્કૃતના શિક્ષક ઉપરાંત અલવરની પ્રોજેક્ટ એક્તા ટીમના સભ્ય પણ છે. આ ટીમે થોડા વખત પહેલાં જ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આઈટી સંમેલનમાં હાજર રહેતાં એ ટીમ પ્રકાશમાં આવી. કેન્દ્રિય સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભાખંડમાં ઈમરાનને ઊભા કરીને સૌને તેમનો પરિચય કરાવ્યો હતો અને અભિનંદન આપ્યાં હતાં.
ઈમરાન શું કહે છે ?
ઈમરાન કહે છે : “શિક્ષકની ભૂમિકા જ્ઞાન આપવાની છે. હું એ કામમાં જ જોતરાયેલો છું. વડા પ્રધાને આટલા મોટા મંચ પરથી મારા નામનો ઉલ્લેખ કર્યો તે મારા માટે ઇદથી વધુ મોટી ખુશી છે. હવેનો યુગ એ ટેક્નોલોજીનો યુગ છે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેળવણીના ક્ષેત્રમાં થવો જોઈએ. ઓછામાં ઓછા ખર્ચે વધુ ને વધુ લાભ પહોંચાડનારું આ માધ્યમ છે.”
ઈમરાન મુસ્લિમ હોવા છતાં સંસ્કૃત ભણાવે છે તે આશ્ચર્ય અને આનંદની વાત છે. મુંબઈની ૧૩ વર્ષની નાનકડી મરિયમ સિદ્દીકી ભગવદ્ ગીતાના જ્ઞાનની સ્પર્ધામાં ચેમ્પિયન બને છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામ કે જેઓ મિસાઈલ મેન તરીકે જાણીતા હતા તેમના ભારત માટેના યોગદાનને રાષ્ટ્ર હંમેશ યાદ રાખશે. બી. આર. ચોપરા દ્વારા બનાવેલ ‘મહાભારત’ ટી.વી. સિરીયલના સંવાદો ડો. રાહી માસૂમ રઝાએ લખ્યા હતા. આકરુંદ જેવા એક નાનકડા ગામમાં ભગવાન શ્રીરામના મંદિરમાં હુસેનભાઈ મીર નામના એક મુસ્લિમ ટપાલ કર્મચારી હાર્મોનિયમની ધૂન સાથે કદી રામનાં ભજનો ગાતા હતા અને તેઓ ભજન મંડળીના અગ્રેસર હતા. સમાજમાં ઘૃણા ફેલાવનારા એ વાત યાદ રાખે કે ભારતમાં શાંતિપ્રિય, તમામ ધર્મો પ્રત્યે આદર રાખનારા સજ્જન મુસ્લિમ નાગરિકો પણ વસે છે. આ જ છે સાચું ભારત.
ઈમરાન, મરિયમ ડો. એપીજે કલામ અને એક નાનકડા ટપાલ કર્મચારી હુસેનભાઈ મીરમાં જ સાચું ભારત વસે છે.
Comments are closed.