રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
ગ્રીસ.

વિશ્વનો આ અતિ પ્રાચીન દેશ એના યોદ્ધાઓ, દંતકથાઓ, વિદ્વાનો અને પ્રાચીન સાહિત્ય માટે જાણીતો છે. જેને ભારતમાં લોકો સિકંદર કહે છે તે એલેક્ઝાન્ડર ધી ગ્રેટ ગ્રીસનો હતો. ઈ.સ. પૂર્વ ૩૭૫માં માત્ર ૩૦ વર્ષની વયે એલેક્ઝાન્ડરે પ્રાચીન વિશ્વનું સહુથી મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેનું સામ્રાજ્ય માત્ર ઈરાન સુધી જ નહીં, પરંતુ છેક ભારત સુધી વિસ્તર્યું હતું. ૨૦૦૮ સુધી ગ્રીસમાં જાણે કે પૈસાનો વરસાદ થતો હતો. ૧૯૬૦થી ૧૯૮૦ના દસક સુધી ઉત્તર ભારતીયો પૈસા કમાવા ગ્રીસ દોટ લગાવતા હતા.ળહવે એ જ સિકંદરના દેશ ગ્રીસે દેવાળું ફૂંક્યું છે. વક્ત વક્ત કી બાત હૈ. અબજોનું દેવું તે ચૂકવી શકે તેમ નથી. ગ્રીસની શાખ ખત્મ થઈ ચૂકી છે. અર્થાત્ ગ્રીસની બેન્કો ડૂબી રહી છે અને તેના ચલણનો પ્રભાવ પણ ખતમ થઈ રહ્યો છે. ગ્રીસની જનતા માટે આ એક ત્રાસવાદી અનુભવ છે.

ગ્રીસને ધિરાણ આપવાવાળાઓની શરતો માનવી કે ના માનવી એ અંગે થયેલા જનમત સંગ્રહમાં ગ્રીસના લોકોએ સરકારનો સાથ આપતાં શરતો નહીં માનવાના પક્ષમાં વોટ આપ્યા. આ કારણે તે યુરોઝોનમાંથી બહાર આવી જાય તેવો ખતરો પેદા થયો છે. કોઈ કલ્પના પણ કરી શકતું નહોતું કે અતિ પ્રાચીન આ દેશ આટલો કંગાળ બની જશે. ગ્રીસ યુરોઝોનનો હિસ્સો રહેશે કે નહીં રહે અને તે પોતાના પારંપરિક ચલણ તરફ પાછો ફરશે કે કેમ તે બાબતની અટકળોનો હવે અંત આવી ગયો છે. ભારે બહુમતીથી ગ્રીસના લોકોએ કર્જ આપવાવાળાઓને કહી દીધું છે કે યુરોઝોનના માધાંતાઓ ગ્રીસને પોતાની બિરાદરીમાં રાખવું હોય તો રાખે અને ના રાખવું હોય તો ના રાખે, પરંતુ યુરોપીય દેશોએ તેના પર જે ભયંકર શરતો લાદી છે તે અમને મંજૂર નથી.

ગ્રીસના લોકો માને છે કે યુરોઝોનના મહારથીઓએ જે શરતો ગ્રીસ પર લાદી છે તેના કારણે ગ્રીસ બેહાલ થઈ શકે છે. અહીં ગ્રીસમાં ૫૦ ટકા લોકો બેરોજગાર છે. જેમની પાસે નોકરીઓ છે તેમને પણ અડધો જ પગાર મળે છે. વૃદ્ધોનું પેન્શન ઘટી રહ્યું છે. ગ્રીસમાં નિરાશાનું વાતાવરણ છે. આ પરિસ્થિતિમાં સમાજ કેવી રીતે ટકી શકે?

તેની સામે જર્મની તથા ફ્રાન્સ જેવી યુરોઝોનની મહાસત્તાઓનું કહેવું છે કે, કર્જ લઈને તેને હજમ કરી જવું તે કોઈ રીતે યોગ્ય નથી. ગ્રીસે તેના ટેક્સમાં વધારો કરીને સરકારી ખર્ચાઓમાં ઘટાડા કરીને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તથા યુરોપિયન કોર્મિશયલ બેન્કોમાંથી લીધેલા કર્જને અદા કરે અથવા તો પોતાની જાતને નાદાર અને દેવાળિયું જાહેર કરીને પોતાની રીતે જીવતા શીખે. જર્મની તથા ફ્રાન્સની આ ધમકી ગ્રીસથી હજમ થઈ નહીં. એ ધમકી પછી ગ્રીસના લોકોએ નક્કી કરી નાખ્યું કે, આગળ ઉપર જે થવાનું હોય તે થાય, પરંતુ અત્યારે આર્થિક સંકટોનો સામનો કરીને પણ પોતાનું આત્મસન્માન બચાવી રાખવું, જેના કારણે ગ્રીસનાં બાળકો અમીરીમાં નહીં તો છેવટે ગરીબીમાં પણ પોતાનું માથું ઊંચું રાખીને જીવી શકશે.

ગ્રીસના લોકોનું કહેવું છે કે, કર્જની ગાડીઓ, કર્જનાં ઘર, કર્જનું ર્ફિનચર વગેરે તેઓ સામેથી માગવા તો નહોતા ગયાને? ધનવાન યુરોપિયન દેશોએ પોતાની જ યોજનાના ભાગરૂપે ગ્રીસ અને કમજોર અર્થવ્યવસ્થાવાળા અન્ય દક્ષિણ યુરોપિયન દેશોને સસ્તું ધિરાણ ઉપલબ્ધ કરાવ્યું હતું, જેથી તે ધનવાન દેશો તેમનો માલસામાન વેચી શકે. આ ચમકીલી યોજનાનું નામ જ યુરોઝોન છે. એનું પરિણામ એ આવ્યું કે, પૂરી કુશળતાથી મહેનત કરવાવાળા બિચારા ગ્રીસના લોકો મોટાં મોટાં દેવાં હેઠળ ડૂબી ગયા. ગ્રીસની પ્રજા આ કર્જ ચૂકવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી.

ગ્રીસના આ સ્પષ્ટ જનાદેશ બાદ એક રસ્તો એ છે કે ગ્રીસને યુરોઝોનમાંથી બહાર કરી દેવું, પરંતુ જો આમ થાય તો આ દેશની મોટાભાગની બેન્કો બેસી જશે અને હવે પછીનાં ઘણાં વર્ષો સુધી તેની અર્થવ્યવસ્થાને પોતાના પુરાણા નિયમોથી ચલાવવી પડશે. આ કારણે યુરોઝોન પણ તેનું ગ્લેમર ગુમાવશે. ગ્રીસ યુરોઝોનમાંથી બહાર નીકળી જાય તો હવે પછી આર્થિક તબાહી કોણે ભોગવવી પડશે એના પર પણ અટકળો લગાવવામાં આવી રહી છે. દા.ત. ગ્રીસ પછી તેના જેવા જ હાલ બલ્ગેરિયા, રોમાનિયા, મેસેડોનિયા, સ્પેન, પોર્ટુગલ તથા ઇટલીના થઈ શકે છે. તેમને બચાવવાનો એક જ ઉપાય છે કે ગ્રીસને યુરોઝોનમાં રાખવું અને કડક શરતો હળવી કરવી, પણ એ શક્ય છે કે કેમ તે આવનારો સમય જ નક્કી કરશે.

ગ્રીસની આ હાલત કેમ થઈ તેનાં બીજાં પાસાં પણ છે. ભારતમાં એક પુરાણી કહેવત છે કે દેવું કરીને ઘી પીવું. ગ્રીસની હાલત પણ આ જ કારણથી થઈ. યુરોપના શક્તિશાળી દેશોએ મફતના દરે લોન આપીને તેમનો માલસામાન ગ્રીસમાં ઉતાર્યો, પરંતુ લોન લેવાવાળાઓએ કોઈ કચાશ રાખીશ નહીં. વળી, બીજું મહત્ત્વનું કારણ એ છે કે, ગ્રીસ સરકારનાં નાણાં વિભાગના મોટાભાગના અહેવાલ ગોટાળાવાળા હતા. અસલી નુકસાન છુપાવીને ગ્રીસ કર્જ લેતું રહ્યું અને દેશની હાલત બગડતી ગઈ. ગ્રીસની ડાબેરી સરકાર દ્વારા જનતાને મફતમાં વીજળી અને સ્કૂલોમાં ફ્રી ફૂડ કુપન્સ આપવાની સસ્તી લોકપ્રિયતાવાળી ઘોષણાઓ થતી રહી. એ કારણે આર્થિક બોજ વધ્યો. આ ઉપરાંત બીજું મહત્ત્વનું કારણ તેનું લશ્કર છે. કોઈ પણ જાતના કારણસર અથવા કારણ વગર ગ્રીસના પડોશી રાષ્ટ્રો સાથે સારા સંબંધો નથી. ગ્રીસ પાસે તેની આર્થિક ક્ષમતા કરતાં અનેકગણું મોટું લશ્કર છે જે તે નિભાવી શકે તેમ નથી. કોઈ પણ દેશે પ્રગતિ સાધવી હોય તો પડોશી રાષ્ટ્રો સાથે સંબંધો મિત્ર તરીકેના હોવા જોઈએ, જેથી અબજોના લશ્કરી ખર્ચામાંથી બચી શકાય. ભારતે પણ ગ્રીસની કટોકટીમાંથી પાઠ શીખવાની જરૂર છે.

અત્રે એ જાણી લેવું જરૂરી છે કે યુરોપિયન યુનિયનમાં ૨૮ સભ્યો છે. તેમાંથી ૧૯ દેશો હાલ યુરોઝોનમાં છે. એટલે કે આ ૧૯ દેશોમાં તેમનું ચલણ યુરો છે. તા.૧ જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ યુરોઝોનનો પાયો નાખવામાં આવ્યો હતો. તેનાં બે વર્ષ બાદ એટલે કે તા. ૧ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગ્રીસ યુરોઝોનમાં દાખલ થયું. તા. ૧લી જાન્યુઆરી ૨૦૦૨ના રોજથી યુરોઝોનના સભ્ય દેશોએ યુરોને તેમના ચલણ તરીકે સ્વીકાર્યો. યુરોપિયન યુનિયનનો એક શક્તિશાળી દેશ બ્રિટન યુરોઝોનમાં નથી. બ્રિટનમાં આજે પણ તેના ચલણ તરીકે પાઉન્ડ છે, યુરો નહીં. બ્રિટનમાં તો યુરોપિયન સંઘમાંથી બહાર નીકળી જવું જોઈએ તેમ માનનારો એક મોટો વર્ગ છે.

આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભય એ વાતનો છે કે જો ગ્રીસ યુરોઝોનમાંથી બહાર નીકળી જાય તો સ્પેન અને પોર્ટુગલ પણ એ જ માર્ગે જઈ શકે છે. તે પછી યુરોના અવમૂલ્યનની શરૂઆત થઈ શકે છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્ક તેનો વ્યાજદર વધારી શકે છે. અમેરિકાની નિકાસને નુકસાન પહોંચી શકે છે. અમેરિકા યુરોપનો બીજો સહુથી મોટો વેપારી સહભાગી છે. યુરોઝોનથી ગ્રીસ બે વાર બેલ આઉટ થઈ ચૂક્યું છે. ગ્રીસને કર્જ આપવાવાળા દેશોને ડર છે કે, ગ્રીસની દેવાળું ફૂંકવાની જાહેરાતની સાથે જ તેમના પૈસા પણ ડૂબી જશે અને તેમના રોકાણકારો બરબાદ થઈ જશે.

યુરોપિયન દેશોને ભય એ વાતનો પણ છે કે, આવનારા દિવસોમાં રશિયા ગ્રીસમાં પ્રવેશી જાય તો આ ક્ષેત્રની ભૂ-રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. વ્લાદિમીર પુતિન ઘણા સમયથી ગ્રીસમાં પ્રવેશ કરવાની ફિરાકમાં છે. રશિયા, તુર્કી અને બીજા કેટલાંક દેશોએ ગ્રીસને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

આવનારા દિવસો કાફી ઊથલપાથલના હશે.