પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી સહિત ૧૬ ધારાસભ્યોને આવકવેરાની નોટિસ
રાજકારણીઓ એક નવો વર્ગ છે. રાજકારણ સ્વયં એક અલગ કોમ છે. રાજકારણીઓની એક અલગ જ્ઞાાતિ છે. એકવાર માણસ રાજકારણમાં પ્રવેશે તે પછી ચૂંટણી જીતવા જ્ઞાાતિના કાર્ડનો ઉપયોગ કરે છે. ચૂંટણી જીતી જાય તે પછી પોતાની નાત, જાત, કોમ કે જ્ઞાાતિને ભૂલી જઈ તેની રાજનીતિ પોતાના પરિવાર પૂરતી સીમિત કરી દે છે. દલિતો ગરીબ જ રહે છે અને દલિત નેતાઓ અમીર બની જાય છે. યાદવો ગરીબ રહે છે અને યાદવ નેતાઓ ધનવાન બની જાય છે. બની જાય છે કુર્મીઓ ગરીબ જ રહે છે અને કુર્મી નેતાઓ શ્રીમંત બની જાય છે. પછાત વર્ગના લોકો ગરીબ જ રહે છે, પણ તેમના નેતાઓ અમીર. આ ઉક્તિ ઉચ્ચ અને પછાતવર્ગના નેતાઓથી માંડીને જ્ઞાાતિવાદનું કાર્ડ કાયમ ખેલતાં મોટાભાગના રાજકારણીઓને લાગુ પડે છે.
બિહારની ચૂંટણીમાં નીતીશકુમારને છોડીને બીજા મોટાભાગના નેતાઓએ પરિવારવાદ જ ચલાવ્યો છે. લાલુ પ્રસાદ યાદવે પોતાના બંને પુત્રોને ચૂંટણી લડવા ટિકિટ આપી છે. રામવિલાસ પાસવાને પણ સગાં-સંબંધીઓને ટિકિટ આપી છે. ભાજપે સી. પી. ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકિટ આપી છે. આવા તો અનેક દૃષ્ટાંતો છે. આ તો માત્ર થોડાક નમૂના જ છે. વિધાનસભા કે લોકસભામાં કોઈ એક નેતા એકવાર ચૂંટાઈ જાય તે પછી જે તે મતક્ષેત્ર જે તે નેતાની જાગીર ગણવામાં આવે છે. ટિકિટ મળતાં પહેલાં સ્કૂટર પર ફરનાર નેતા મોટરકારમાં ફરવા માંડે છે. મોટરકારમાં ફરનાર વ્યક્તિ ટિકિટ મેળવ્યા પછી બીએમડબલ્યુ કે ઓડીમાં ફરવા માંડે છે. સુતરાઉ કપડાં રેશમી ઝભ્ભામાં પરિર્વિતત થઈ જાય છે અને વાસ્તવિકતા એ રહે છે કે, જ્ઞાાતિ કે કોમના મતોના સહારે તે ચૂંટાય છે તે જ્ઞાાતિના લોકોની હાલત કેવી હતી તેવી જ બદતર રહે છે.
આવકવેરા ખાતાએ ગઈ ચૂંટણી પછી આજ સુધીમાં જેમની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો છે તેવા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને અને ભારતીય જનતા પાર્ટીના ચાર સાંસદો સહિત ૧૬ લોકપ્રતિનિધિઓને નોટિસો આપી તેમની અચાનક વધી ગયેલી સંપત્તિ વિશે ખુલાસો માગ્યો છે. આ નેતાઓની ગઈ વિધાનસભાની ચૂંટણી પછી આજ સુધીમાં તેમની સ્થાવર અને જંગમ મિલકતોમાં પાંચ ગણો વધારો થયો છે. ૨૦૧૦ની વિધાનસભાની ચૂંટણીઓ અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામાના આધાર પર આ નોટિસો આપવામાં આવી છે. આવકવેરા ખાતાએ ભાજપના સ્ટાર પ્રચારક શત્રુઘ્ન સિંહા, ભોલા સિંહ, હરિ માંઝી અને સુશીલકુમાર સિંહને આવી નોટિસો આપી છે. મનોજકુમાર સિંહ,શ્રવણકુમાર અને નરેન્દ્ર યાદવને પણ આવકવેરા ખાતાએ નોટિસો આપી છે. આ ત્રણેય ધારાસભ્યો બિહાર વિધાનસભામાં મંત્રી છે. આ સિવાય બીજા જે ધારાસભ્યોને નોટિસો આપવામાં આવી છે તેમાં પૂર્ણિમા યાદવ, પ્રેમ રંજન પટેલ, ગુડ્ડી દેવી, મોહંમદ તારીક આલમ, કૃષ્ણનંદન પાસવાન, રમેશ ઋષિદેવ,પન્નાલાલ પટેલવ તથા સુનિલ પાંડેનો સમાવેશ થાય છે. આટલા રાજકારણીઓ ધનવાન કેવી રીતે બની ગયા તેનું સ્પષ્ટીકરણ આવકવેરા ખાતાએ માગ્યું છે.
બિનસરકારી સંગઠન બિહાર ઈલેક્શન વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ અનુસાર નીતીશકુમારના ૨૨ જેટલા સહયોગી મંત્રીઓની સંપત્તિમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ૭૫ ટકા વધારો થયો છે. બિહારના શેરડી-ખાંડ ઉદ્યોગમંત્રી રંજુ ગીતાની સંપત્તિમાં ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૧૭૮ ટકા વધારો થયો છે. બીજા નંબરે બિહારના વાહનવ્યવહાર ખાતાના મંત્રી રમઈ રામ આવે છે. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિ વધીને રૂ. ૧ કરોડ ૩૬ લાખ થઈ ગઈ છે. બિહારમાં ૨૨માંથી ૧૩ મંત્રીઓની જાહેર કરેલી સંપત્તિ એક કરોડ રૂપિયા કરતાં વધુ છે. આ સંસ્થાઓના અહેવાલ અનુસાર બિહારના માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રશાંતકુમાર શાહી પાસે બધા મંત્રીઓ કરતાં સૌથી વધુ સંપત્તિ છે. પ્રશાંતકુમાર શાહીએ તેમની પાસે રૂ. ૭ કરોડ ૨૯ લાખની સંપત્તિ હોવાની જાહેરાત કરી છે. માર્ગ ખાતાના મંત્રી રાજીવ રંજન ઉર્ફે લલ્લન સિંહે રૂ. ૫ કરોડ ૪૦ લાખની સંપત્તિની જાહેરાત કરી છે. અલબત્ત, નેતાઓએ જાહેર કરેલી આ સંપત્તિઓમાં જો કોઈની પાસે બેનામી સંપત્તિ હોય તો તેનો અહીં સમાવેશ થતો નથી. ચાલો, આપણા નેતાઓ પાસે બેનામી સંપત્તિ નહીં જ હોય એમ માની લઈએ તો પણ તેઓ જે જ્ઞાાતિ, જાતિ, વાડ કે કોમમાંથી આવે છે તે જ્ઞાાતિ, જાતિ, વાડ કે કોમના આમઆદમી પાસે એટલી સંપત્તિ ખરી ?
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પણ સતત બે વર્ષ દરમિયાન તેમની સંપત્તિમાં વધારો થયો હોવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નીતીશકુમારે ૨૦૧૨થી ૨૦૧૩ દરમિયાન તેમની સંપત્તિ રૂ. ૭૩ લાખની થઈ હોવાની ઘોષણા કરી છે. નીતીશકુમારની બિહારમાં સ્વચ્છ વ્યક્તિ તરીકેની છાપ છે અને તેમની પર ભ્રષ્ટાચારના કોઈ આરોપ હજી સુધી જોવામાં- સાંભળવામાં આવ્યા નથી. લાલુની બાબતમાં એવું નથી. ઘાસચારા કૌભાંડથી તેમની છબી ખરડાયેલી છે. તેઓ જેલની હવા પણ ખાઈ આવ્યા છે.
બિહાર ઇલેક્શન વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિસ રિફોર્મ્સના અહેવાલ અનુસાર બિહારના પર્યટન મંત્રી જાવેદ ઇકબાલ અન્સારીની સંપત્તિમાં ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૮૮ ટકા ઘટાડો થયો છે. ૨૦૧૦માં અન્સારીની સંપત્તિ રૂ. ૭૫ લાખ ૧૪ હજારની હતી તે ઘટીને ૨૦૧૪માં રૂ. ૮ લાખ ૮૬ હજાર જ થઈ ગઈ છે. આ એક આશ્ચર્યજનક વાત છે.
Comments are closed.