જૂનાં પુસ્તકો વાંચી, ફાનસનાં અજવાળે રવિ કારખાનામાં મજૂરી કરીને ભણ્યો
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું રાંગણા તુળસુળી ગામ. નિગમની એસ.ટી. બસ હજુએ ગામમાં પહોંચી નહોતી. વીજળીના થાંભલા હજુ ઊભા થયા નહોતા. આવા ગામમાં રવિ કિરણનો જન્મ થયો, ઉછર્યો અને કેરોસીનના દીવા નીચે ભણ્યો. કોંકણના એક ઝૂંપડાંમાં રહ્યો. ફાટેલી છતમાંથી ફેલાતાં સૂર્ય કિરણોનું સ્થાન વરસાદી પાણીની ધારાઓ લેતી. ડાળના પાણીને ઝીલવા નીચે વાસણો મૂકવાં પડતાં.
રવિ કિરણ પહેલા ધોરણમાં હતો ત્યારે એના ઘરથી દૂર બે કિલોમીટર સુધી ચાલીને પ્રાથમિક શાળામાં ભણવા જવું પડતું. બપોરે જમવા ઘરે આવતો. જમીને ફરી સ્કૂલે જતો. એ આ રીતે રોજ એણે આઠ કિલોમીટર ચાલવું પડતું. પાંચમા ધોરણમાં દૂરની સ્કૂલમાં જવા એણે રોજ ૧૪ કિલોમીટર ચાલવું પડતું, જૂનાં પુસ્તકો પણ અડધી કિંમતે બજારમાંથી ખરીદતો છતાં ૭૯ ટકા માર્કસ સાથે પાસ થયો.
રવિ કિરણનો મોટો ભાઈ ઓટોરિક્ષા ચાલક. બીજો ભાઈ ચોકીદાર. ત્રીજો ભાઈ બસ કંડકટર. બધાં જ ભાઈ-બહેનોની ઈચ્છા કે આપણો રવિ ભણે ને મોટો માણસ થાય. ઘરમાં બીજું કોઈ ભણેલું નહોતું. તેના દાદા પણ ઇચ્છતા હતા કે, એક છોકરો તો ભણીને મોટો સાહેબ થાય. કુંડાવની વિજ્ઞાાન કોલેજમાં એણે પ્રવેશ લીધો. આગળ ભણવા એણે ઘર છોડયું. દૂર એક ખાંડનું કારખાનું હતું. ત્યાં ”કમાવ અને ભણો” કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રવિએ ઘરમાં કોઈને કહ્યા વગર ખાંડના કારખાનામાં મજૂરી શરૂ કરી અને તેમાંથી જે કમાય તેની તે ફી ભરતો, પણ તે રકમ પર્યાપ્ત નહોતી તેનો ઓટો રિક્ષાચાલકભાઈ તથા કંડકટર ભાઈ પણ પૈસા મોકલતા. ખૂબ પરિશ્રમ કરીને તે બોટની વનસ્પતિ વિજ્ઞાાનમાં બીએસ.સી. થયો. એ જ રીતે મહેનત કરીને શિવાજી યુનિવર્સિટી દ્વારા એણે એમ.એસસી.કર્યું. આ જ ગાળામાં એક વિક્રમ નોંધાયો. પાણીમાં વૃદ્ધિ પામનાર એક દુર્લભ વનસ્પતિ- ”એપોનોજેટોન બ્રુગેની” શોધાઈ. આ દુર્લભ વનસ્પતિની શોધ રવિકિરણના નામે મૂકવામાં આવી.
પણ એના પેટની આગ હજુ બુઝાઈ નહોતી. એમએસ.સી કરતાં કરતાં એણે ‘ગેટ’ની પરીક્ષા આપી અને પહેલાં પ્રયાસે પાસ થયો. એણે ‘નેટ- સેટ’ની પરીક્ષાની તૈયારી કરવા પૂણેનો માર્ગ લીધો. શરૂઆતમાં એક મિત્રની રૂમ પર રહ્યો. તે પછી એક મંડપવાળાની ઓફિસમાં રહી ભણવા લાગ્યો. કાર્યાલયમાં કોઈ કાર્યક્રમ હોય કે લગ્નનો સરસામાન પ્રવેશે એટલે રવિકિરણે પુસ્તકોના ઉચાળા સાથે બહાર નીકળી જવું પડતું. મેડિકલ કોલેજની લાઈબ્રેરીના કોઈ ખૂણામાં બેસીને વાંચતો. સાથે એ બીક રહેતી કે કોઈ ગમે ત્યારે બહાર કાઢી મૂકશે. આશ્રય વિનાનો હોવા છતાં રવિ કિરણે બાજી મારી. તે સેટ- નેટની પરીક્ષામાં પાસ થયો.
આ સફળતાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો. કોઈ પણ સંસ્થા કે કોલેજમાં તે અરજી કરે એટલે તરત જ નોકરી મળી જાય તેવી આ સફળતા હતી. તેનો ગુણવત્તા ભર્યો બાયોડેટા લઈ ગર્વભેર અનેક સંસ્થાઓમાં ગયો પણ ૪૩ વારના પ્રયાસ છતાં એને કોઈએ પણ નોકરી ના આપી. પોતાને શા માટે નકારવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ એને મળતો નહોતો. તે અસ્વસ્થ થઈ જતો. યુજીસીના નિયમો અનુસાર તે એક માત્ર પાત્ર અને લાયક ઉમેદવાર હતો. તેનો બાયોડેટા જોઈ મુલાકાત લેનારા તેના વખાણ કરતા પણ નોકરી બીજાને આપી દેતા. આ બધું રવિકિરણ માટે આઘાત જનક હતું. ઈન્ટરવ્યૂ લેનારા મોટા માણસો હતા. તેમના ચહેરા તેણે અનેકવાર અખબારોમાં જોયા હતા પરંતુ અહીં તેમના મૂલ્યો કોઈ જુદાં જ હતાં.
રવિકિરણ હવે ભાંગી પડયો હતો. નિરાશાથી તે ઘેરાઈ ગયો હતો. તો તણે પીએચ.ડી.નું પણ એક વર્ષ પૂરું કરી દીધું હતું. પીએચ.ડી. કરવા માટે તેને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચની શિષ્યવૃત્તિ મળી હતી. પીએચ.ડી પૂરું કરવા તે દિલ્હી ગયો. તેણે ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર પુસામાં જેનેટિક એન્જિનિયરિંગ પર સંશોધન શરૂ કર્યું. અહીં તેને એક મિત્ર મળી ગયો. જેનું નામ સુભાષ કાલવે. સુભાષ કાલવે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો. રવિકિરણને યાદ આવી ગયું કે તેના દાદાએ એક વખતે પૌત્રને યુપીએસસીની પરીક્ષા આપવા સલાહ આપી હતી. યુપીએસસીની તૈયારી કેવી રીતે કરવી તે વિષય પર છપાયેલા એક લેખની કતરણ પણ તેના દાદાએ રવિને મોકલી આપી હતી. સુભાષ કાલવેએ રવિકિરણને યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા અને તેની તૈયારી કરવા સલાહ આપી. પરંતુ રવિકિરણ પાસે મોઘાં પુસ્તકો ખરીદવા પૈસાા નહોતા. કલાસીસની મોંઘી ફી માટે પૈસા નહોતા તેમ છતાં સુભાષ કાલવેએ નાણાંની તંગી ભૂલી જઈ રવિકિરણ પાસે જબરદસ્તીથી યુપીએસસીની પરીક્ષાનું ફોર્મ ભરાવરાવ્યું. બજારમાંથી જૂની ચોપડીઓ લઈ આવ્યો. એ વાંચીને બોટનીના વૈકલ્પિક વિષય સાથે રવિકિરણે યુપીએસસીની પૂર્વ પરીક્ષા આપી, અને પાસ થઈ ગયો હવે મુખ્ય પરીક્ષા માટે તૈયારીઓ કરવા માંડયો ૯૫૦ની આસપાસ માર્કસ મળ્યા પણ મુલાકાતનો કોલ ખોવાઈ ગયો હતો. તે ફરી પાછો મુંબઈ પહોંચ્યો.
મુંબઈ પહોંચી એસઆઈ એસીમા પ્રવેશ મેળવ્યો. ટયૂશન કરતો રહ્યો અને બાકીના સમયમાં યુપીએસસીની ફરીથી પરીક્ષા આપવાની તૈયારી કરતો રહ્યો. દરમિયાન મહારાષ્ટ્ર સરકારના જાહેર સેવા આયોગની પરીક્ષા પણ તેણે પાસ કરી લીધી. તેને મામલતદારની નોકરી મળી પણ રવિની આ સફળતા ઈચ્છિત નહોતી.
એ જ વર્ષે એણે ફરી યુપીએસસીની પરીક્ષા આપી. મુખ્ય પરીક્ષામાં પાસ થયો પણ મૌખિક ઈન્ટરવ્યૂમાં ફાવ્યો નહીં! એ દરમિયાન યુપીએસસીની વનસેવા માટેની જાહેરાત પ્રસિદ્ધ થઈ. વન અને વનસ્પતિને તો તે પહેલાંથી તે જાણતો હતો. એણે ધ્યાનપૂર્વક ફોર્મ ભર્યું. એણે પૂરી તૈયારીઓ કરી લીધી. લેખિત મુખ્ય પરીક્ષામાં પાસ થઈ ગયો. મૌખિક મુલાકાતનો કોલ આવ્યો. મૌખિક ઈન્ટરવ્યૂમાં પણ પાસ થઈ ગયો. રવિકિરણની ગોવેકરની ભારતીય વનસેવા આઈ.એફ.એસ. માટે પસંદગી થઈ. એને કેડર પણ મળી મહારાષ્ટ્ર. સફળતાનું પરિણામ આવ્યું ત્યારે તે ખૂબ નાચ્યો. સફળ થતાં થતાં સંઘર્ષ પણ એટલો જ એના ભાગે આવ્યો હતો. પરિવારની ઈચ્છા હતી કે તેમનો રવિકિરણ એક દિવસ ‘સરકારી સાહેબ’ થઈ જાય અને રવિકિરણ તે થઈ ગયો. ખૂબીની વાત એ છે કે રવિકિરણ એના સંઘર્ષની વાત ક્યારેય કોઈને કરતો નહીં.
ભારતીય વનસેવા અધિકારીઓનું પ્રશિક્ષણ ત્રણ વર્ષનું હોય છે તે માટે મસૂરી, દહેરાદૂન જઈ અભ્યાસ અને તાલીમ લેવાના હોય છે. તેમાં વન, વન્યજીવન, વન્યજળ સંબંધી, કાયદા, વનસંવર્ધન, અર્થશાસ્ત્ર, ભૂવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્રથી માંડીને કુલ ૩૩ વિષયોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. ઘોડેસવારી અને તરવાનું પણ શીખવું પડે છે. આંદામાનથી લડાખ સુધી અને કચ્છથી માંડીને અરુણાચલ સુધીના પ્રદેશો પ્રશિક્ષણ દરમિયાન ખૂંદવા પડે છે. યુપીએસસી દ્વારા આઈ.એફ.એસ. થવું એક સન્માનપાત્ર હોદ્દો છે અને રવિકિરણે એ મેળવી લીધો.
આમેય તે વનમાં ઉછરેલો માણસ છે. એક ઝૂંપડાંમાં તે ઉછર્યો છે. ઝૂંપડામાં નીતરતા વરસાદનાં પાણી એણે વાસણોમાં ઝીલ્યાં છે. ફાનસના અજવાળે તે ભણ્યો છે પરંતુ હવે વન, વન્ય જીવન અને વનસ્પતિ નષ્ટ થઈ રહ્યાં છે અને વન પ્રદેશમાં નકસલવાદ વકરી રહ્યો છે ત્યારે આઈ.એફ.એસ. રવિકિરણ આ બધા પ્રશ્નો માટે સાથે જ આશાનું એક કિરણ છે.
ફારુક નાઈકવાડે લિખિત અને મોહન મંદાની અનુવાદિત પુસ્તક ”સ્ટીલ ફ્રેમ’માં સંઘર્ષ કરીને આઈ.એફ.એસ. થયેલા રવિકિરણની વાત સુંદર રીતે કંડારવામાં આવી છે.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "