ગોદાવરી નદીની આ બન્ને તસવીરો છે. એક સમયે ખળખળ વહેતી ગોદાવરી આજે સૂકીભઠ્ઠ છે.
કહેવાય છે કે વિશ્વની સભ્યતાઓ નદીઓના કિનારે જ વિકસી. સિન્ધુ નદીના કિનારે વસેલા આર્યોએ હિન્દુ સંસ્કૃતિ વિકસાવી. નાઈલના કિનારે ઇજિપ્તની સંસ્કૃતિ વિકસી. વોલ્ગાના કિનારે રશિયન સંસ્કૃતિ વિકસી હતી. જોર્ડનના કિનારે હિબ્રુ સંસ્કૃતિ વિકસી. યલો રિવરના કિનારે ચાઇનીઝ સંસ્કૃતિ વિકસી. નદીઓના કિનારે મોટાં મોટાં શહેરો પણ વિકસ્યાં. થેમ્સના કિનારે લંડન અને સીન નદીના કિનારે પેરિસ જેવાં શહેરો વિકસ્યાં. એમેઝોનનાં જંગલોમાં પણ વિશ્વની લાંબામાં લાંબી નદી વહે છે. અમેરિકા અને કેનેડાને બે ભાગમાં વહેંચતી નાયગ્રા નદીનો ધોધ એક જબરદસ્ત પ્રાકૃતિક આકર્ષણ છે. વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓને લોકમાતા કહે છે. વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓની પૂજા કરે છે. ગંગામાં ડૂબકી મારવાથી પાપનો નાશ થાય છે તેવી માન્યતા એકમાત્ર હિન્દુ સંસ્કૃતિમાં પણ છે. ભારતની ગંગા, યમુના, સરયૂ અને નર્મદા નદીના કિનારે તીર્થસ્થાનો વિકસ્યાં છે, પરંતુ ચોંકાવનારા સમાચાર છે કે ભારતની નદીઓ લુપ્ત થઈ રહી છે. તેમનો જલપ્રવાહ ઘટી રહ્યો છે. એક સમય એવો આવશે કે ભારતની ઘણી નદીઓ સુક્કીભઠ્ઠ હશે.
હમણાં કેટલાક સમય પહેલાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાયો. દેશના તમામ નેતાઓ, અભિનેતાઓ તથા સાધુ-સંતોએ ત્રિવેણીસંગમમાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન કર્યું, પરંતુ તમે જો ધ્યાનથી જોયું હશે તો એ ત્રિવેણીસંગમનાં જળ પશ્ચિમની નદીઓ જેટલાં સ્વચ્છ નહોતાં. પશ્ચિમના દેશો નદીઓને માતા ગણતા નથી, પરંતુ નદીને પ્રદૂષિત પણ કરતા નથી. યુરોપ અન અમેરિકામાં નદીમાં સિગારેટનું ઠૂંઠું નાંખનારને દંડની સજા થાય છે જ્યારે ભારતમાં તમામ પ્રકારની ગંદકી નદીમાં ઠાલવવામાં આવે છે. ગંગામાં મૃતદેહો વહેતા મૂકી દેવાય છે. યમુનામાં ઝેરી રાસાયણિક પ્રવાહી છોડવામાં આવે છે. અમદાવાદની સાબરમતી નદીમાં ખતરનાક કેમિકલ્સ ઠાલવી દેવામાં આવે છે. લોકમાતાના આવા બૂરા હાલ એકમાત્ર ભારત દેશમાં જ જોવા મળે છે.
ભારતની નદીઓ પ્રદૂષિત પણ થઈ રહી છે અને લુપ્ત પણ થઈ રહી છે. એની ચિંતા મહાકુંભમાં પણ ના થઈ. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૨૭ જેટલી નદીઓ લુપ્ત થઈ જવાની અણી પર છે. આ નદીઓની હાલત એવી છે કે તેમને હવે નદીની વ્યાખ્યામાં મૂકી શકાય તેમ નથી. નદી એને કહેવામાં આવે છે જેનામાં બારે મહિના એક ગતિથી જળ વહેતું હોય. તૃષાતુરને પાણી આપી શકે તેને નદી કહેવામાં આવે છે. દુર્ભાગ્યથી દેશની ઘણી બધી નદીઓ આજે આ શ્રેણીની બહાર આવી ગઈ છે. બંગાળની મહાનંદા નદી ગંગા પછી મોટી નદી ગણાય છે. હજારો ગામોનું જીવન જેની પર નિર્ભર છે તેવી આ નદીનું ભાવિ સંકટમાં છે. અનેક ગ્રામ અને શહેરોનો કચરો આ નદીમાં ફેંકવામાં આવે છે અને તેના પરિણામે આ નદીએ તેનું કદ ગુમાવ્યું છે. આ નદીમાં ભવિષ્યમાં પાણી જ જોવા નહીં મળે. વરસાદના અભાવે આમેય આ નદીમાં પાણીનો અભાવ જોવા મળે છે અને તે સુકાતી જાય છે. મહાનંદા નદી સુકાઈ જશે તો લાખો ખેડૂતો બરબાદ થઈ જશે. પશ્ચિમ બંગાળની બીજી નદીઓની હાલત પણ મહાનંદા નદી જેવી જ છે. કેટલીય નદીઓ દિન-પ્રતિદિન નાની અને સંકોચાતી જાય છે. કેટલીક નદીઓના પટ પર તો ગેરકાયદે બાંધકામો થઈ ગયાં છે. પશ્ચિમ બંગાળની ઢોંક, રમજાન, ડેકન તથા ડાગરા નામની નદીઓની પણ આવી જ હાલત છે. બિહારના પૂર્ણિયા વિસ્તારની મુખ્ય નદીઓ હરદા, કોસી, કરિયાર તથા ગંડગોલા પણ સુકાઈ જવાની તૈયારીમાં છે. ગંડક નદી તો એના ઉદ્ભવસ્થાન પર જ લુપ્ત થતી જોવા મળે છે. આ નદી પર કોઈ જમાનામાં મોટાં જહાજો ફરતાં હતાં. આજે નાનકડી નાવ પણ વહી શકે તેવી પરિસ્થિતિ નથી. આ નદીકિનારે આવેલા અગડિયા ગામના લોકો કહે છે કે કેટલાંક વર્ષો પહેલાં આ નદી પાર કરવી તે એક મુશ્કેલ કામ હતું. આજે તે એક નાળું જ બની ગઈ છે.
ઉત્તર પ્રદેશની નદીઓની હાલત તો એથીયે વધુ ખરાબ છે. વારાણસીની વરુણા તો હવે તે નામને યોગ્ય પણ રહી નથી. શહેરની વચ્ચે થઈને વહેતી આ નદી હવે એક ગંદકીથી ભરેલા નાળા જેવી લાગે છે. અલાહાબાદનો ત્રિવેણીસંગમ હવે પવિત્ર અને શુદ્ધ જળનો સંગમ રહ્યો નથી બલકે તમામ શહેરોના કચરાનો સંગમ બની ગયો છે. આગ્રા, મથુરા અને દિલ્હીને સ્પર્શીને વહેતી યમુના પણ હવે નદી કહેવાને લાયક રહી નથી. દેશની રાજધાની દિલ્હીએ યમુનાને ગંદકીથી તરબતર કરી દીધી છે.
ગંગાને બચાવવા કેટલાક લોકો અભિયાન ચલાવી રહ્યા છે, પણ તેનો કોઈ ઝાઝો અર્થ સરતો હોય એમ લાગતું નથી. ચાણક્યે ૧૧મા અધ્યાયના ચોથા શ્લોકમાં કળિયુગનું વર્ણન કરતાં લખ્યું છે કે, કળિયુગનાં ૧૦,૦૦૦ વર્ષ બાદ ભગવાન વિષ્ણુ વિલુપ્ત થઈ જશે અને ૫૦૦૦ વર્ષ બાદ ગંગા પણ વિલુપ્ત થઈ જશે. તેની સાથે ગ્રામદેવતા પણ.
સાચી વાત એ છે કે શાસ્ત્રો અનુસાર કળિયુગનાં ૫૦૦૦ વર્ષ વીતી ચૂક્યાં છે અને ગંગા પણ ઝડપથી વિલુપ્ત થવાના માર્ગે છે. દેશની બીજી નદીઓની હાલત પણ ખરાબ છે. પાર્વતી, ગોદાવરી અને કાવેરીની હાલત આજે છે તેવી જ રહી તો તે પણ કાળની ગર્તામાં વિલુપ્ત થઈ જશે. એ દુઃખની વાત છે કે નદીઓના કિનારે સભ્યતા ખીલી અને માનવીની અસભ્યતાએ નદીઓને જ ખતમ કરી દીધી. નદીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે હવે બહુ થોડો જ સમય બચ્યો છે. વસ્તી વધી રહી છે, પાણીની માંગ વધી રહી છે, પણ તેની સામે પાણીના કુદરતી સ્રોત સુકાઈ રહ્યા છે. નદીઓ માત્ર સરકારી યોજનાઓથી બચાવી શકાશે નહીં. સમાજે પણ નદીઓને બચાવવા આગળ આવવું પડશે. નદીઓને બચાવવાની જવાબદારી એ કરોડો લોકોની પણ છે જેઓ વર્ષોથી નદીઓનાં જળનો લાભ લેતા રહ્યા છે. નદીઓના ઉદ્ભવસ્થાનથી માંડીને સમુદ્ર સુધી વહેતી નદીઓના કિનારે વસેલા લોકોએ એક સામુહિક ઉત્તરદાયિત્વના રૂપે નદીઓને બચાવવા જવાબદારી સ્વીકારવી પડશે. નદીઓનો અંત એટલે સમગ્ર માનવજાતનો,પ્રકૃતિનો અને પશુ-પક્ષીઓનો પણ અંત એમ સમજી લેવું જોઈએ. www.devendrapatel.in
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "