Devendra Patel

Journalist and Author

Tag: Devendra patel

સરદારે રાજાઓને એક કર્યા આજના નેતાઓ એક થતાં નથી

સરદારની અસલી વિરાસત શું હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્મૃતિ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કાશ, સરદાર સાહેબ દેશના પ્રથમ વડા પ્રધાન હોત તો દેશની તસવીર અને તાસીર આજે કાંઈક ઓર જ હોત.” તે પછી વડા પ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું કે, “સરદાર પટેલ પૂરેપૂરા ધર્મનિરપેક્ષ હતા અને સરદાર પટેલ જે પાર્ટીમાંથી આવતા હતા તે જ રાજકીય પક્ષનો હું સભ્ય છું તેનો મને ગર્વ છે.”

સરદારે રાજાઓને એક કર્યા આજના નેતાઓ એક થતાં નથી

આ બંને વિધાનોનું દેશના મીડિયાએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યું. તે પછી કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના શિલાન્યાસ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું : “હું સરદાર સાહેબની જ ધર્મનિરપેક્ષતામાં જ માનું છું. સરદાર સાહેબ કોઈ એક પક્ષના નહીં, પરંતુ સમગ્ર દેશના હતા.

નેતાઓ બાખડયા

લાગે છે કે, સરદાર સાહેબની વિરાસત માટે યુદ્ધ છેડાઈ ગયું છે. સરદાર સાહેબ દેશનાં ૫૦૦થી વધુ રજવાડાંઓને એક કરી શક્યા, પરંતુ આજના નેતાઓને એક કરી શકતા નથી. જનતાદળ (યુ)ના નેતા શરદ યાદવ કહે છે કે, “આ દેશ બાવલાઓનું કબાડખાનું બની ગયો છે.” એનસીપીના નેતા શરદ પવારે પણ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, ૬૫ વર્ષ બાદ ભાજપાને સરદાર સાહેબ કેમ યાદ આવ્યા ?” તેની સામે ભાજપાનો આક્ષેપ છે કે, “કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કરવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. વાત આટલેથી અટકતી નથી. કોંગ્રેસ પૂછે છે કે, “ગાંધીજીની હત્યા બાદ સરદાર સાહેબે દેશના ગૃહમંત્રી તરીકે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો, તમે સરદાર સાહેબની એ વિચારધારા સાથે સંમત છો ?” તેની સામે ભાજપાનો જવાબ છે કે, સત્યની ખાતરી થયા બાદ સરદાર સાહેબે જ એ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને ગાંધીજીની હત્યામાં સંઘનો કોઈ હાથ નથી તેમ કહ્યું હતું.” અલબત, ઇતિહાસના નિષ્ણાતોનો મત છે કે, ‘સરદાર સાહેબે આરએસએસ પાસે એવી બાંહેધરી માંગી હતી કે તેમનું સંગઠન રાજનીતિમાં ભાગ નહી લે. અને આવી સંઘે આપેલી એ ખાતરી બાદ જ સરદાર સાહેબે આરએસએસ પરનો પ્રતિબંધ ઉઠાવ્યો હતો. હવે આજે આરએસએસ ખુલ્લી રીતે ભાજપના નામે રાજનીતિમાં તરબતર છે અને સંઘે સરદાર સાહેબને આપેલી ખાતરીનું ઉલ્લંઘન કર્યું છે.’ આમ, આ આખો પ્રશ્ન એક ચર્ચાનો વિષય છે.

નહેરુ અને સરદાર

આ વિવાદને બાજુએ રાખીએ તો પણ એક નક્કર હકીકત એ છે કે, દુનિયાના નક્શા પર ભારતને શક્તિશાળી દેશનો દરજ્જો અપાવનાર સરદાર સાહેબ જ હતા. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર સાહેબ વાતચીત કરવામાં અત્યંત મૃદુ હતા. તેઓ નિર્ણયોના મજબૂત હતા. સરદાર સાહેબે લશ્કર મોકલી હૈદરાબાદના નિઝામને નમાવી દીધા હતા અને જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડયું હતું. ભારતના ભાગલાની જાહેરાત પછી પાકિસ્તાનની સેનાએ કબાલિયોનો સાથ લઈને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી, ત્યારે ભારતીય સેનાએ તે વખતના લશ્કરી જનરલ રાજેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ કાશ્મીરમાં જઈ પાકિસ્તાની સેનાને ભગાડી મૂકી હતી.

નહેરુના પિતા મોતીલાલ નહેરુ એમના જમાનાના એરિસ્ટોક્રેટ હતા. તેમની પાસે સેંકડો પેઢીઓ ચાલે તેટલી સંપત્તિ હતી. આઝાદી પહેલાં અંગ્રેજો પણ તેમના અતિથિ બનતા. આઝાદી પહેલાં જમ્મુ-કાશ્મીરમાં એક નહેર ખોદવાની જરૂર પડી. એ નહેર મોતીલાલ નહેરુની જમીનોમાં થઈ પસાર થતી હતી. પંડિત મોતીલાલ નહેરુએ એ નહેર ખોદવાની પરવાનગી આપી. અંગ્રેજોએ તે નહેર માટે જે કર ભરવાની વ્યવસ્થા કરી તેના કારણે ગામ લોકો નહેરવાળા મોતીલાલને ‘નહેરુ’ તરીકે ઓળખવા લાગ્યા. આવા મોતીલાલ નહેરુએ પણ તેમના પ્રિય પુત્ર જવાહરલાલ નહેરુને ગાંધીજીના સાંનિધ્યમાં દેશ માટે સમર્પિત કરી દીધો અને જવાહરલાલ નહેરુએ પણ તમામ ઐશ્વર્ય છોડી આઝાદી માટે અનેકવાર જેલમાં જવાનું પસંદ કર્યું. એમણે પોતાની કોઈ સંપત્તિ રાખી નહીં, જે હતું તે તમામ દેશને અર્પણ કરી દીધું. સરદાર સાહેબે પણ એ જ કર્યું. નહેરુએ તેમના વ્યક્તિત્વથી લોર્ડ માઉન્ટ બેટનથી માંડીને અનેક અંગ્રેજોને પ્રભાવિત કર્યા હતા. સરદાર સાહેબે તેમની કુનેહથી ૫૦૦થી વધુ રજવાડાંઓને ભારતમાં વિલીન કરાવી દીધા હતા. સરદાર સાહેબ પાસે પણ પોતાની કોઈ સંપત્તિ નહોતી. બેંક બેલેન્સ માત્ર ૨૬૨ રૂપિયા, બે જોડી કપડાં અને ચંપલ સિવાય તેમની પાસે કાંઈ જ નહોતું. ખુદ ગાંધીજીએ તેમના માટે કહ્યું હતું : “વલ્લભભાઈ મને મળ્યા ના હોત તો જે કામ થયું તે ન થાત.” પંડિત જવાહરલાલ નહેરુએ તેમના માટે કહ્યું હતું : “સરદાર વલ્લભભાઈનું જીવન એક મહાન ગાથા છે… ઇતિહાસનાં પાનાંઓમાં તેની નોંધ લેવાશે.” લોર્ડ માઉન્ટ બેટને તેમના માટે કહ્યું હતું : “પટેલનો સાથ મળે તો ઘણું ભારે કામ પણ સરળ થાય, પણ વિરોધ કરે તો કોઈપણ કામ થવાની આશા રાખી ન શકાય.” એક અંગ્રેજ પત્રકાર અને લેખક બ્રેશરે ૧૯૫૦માં નોંધ્યું હતું કે : “સરકારના વડા નહેરુ છે, પણ સરકાર તો સરદાર પટેલ જ ચલાવે છે.”

સરખામણી શા માટે ?

સરદાર અને નહેરુની સરખામણી અને હવે વિવાદ સાવ અપ્રસ્તુત છે. બંને એકબીજાના પૂરક હતા. ભારતને આઝાદી મળે તે માટે બંનેએ સંઘર્ષ કર્યો છે. બેઉ ગાંધીજીના અનુયાયી હતા. સાચી વાત એ છે કે, ગાંધી-નહેરુ- સરદારની ત્રિપુટીએ જ અંગ્રેજોને હાંકી કાઢવા એકબીજાના પૂરક બની એક ‘ત્રિદેવ’ જેવી તાકાત ઊભી કરી હતી. હવે આ બધાની એકબીજા સાથેની સરખામણી આજના સમયે અર્થપૂર્ણ નથી. એમ કરવાથી આપણે કોઈ એકને જાણે અજાણે અન્યાય કરી બેસીએ છીએ. નહેરુ અને સરદાર બંને ગાંધીજીના નેતૃત્વ હેઠળના સ્વાતંત્ર્ય સંગ્રામના અપ્રતિમ સાથી હતા. બંનેએ ગાંધીજીને પોતાના ગુરુ માન્યા હતા. નહેરુએ ૧૯૧૮માં અને સરદારે ૧૯૧૭માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. આયુષ્યમાં નહેરુ ગાંધીજીથી ૨૦ વર્ષ નાના અને સરદાર ગાંધીજીથી ૬ વર્ષ નાના હતા. ગાંધીજી નહેરુને પુત્રવત્ અને સરદારને નાના ભાઈ જેવા ગણતા. નહેરુ સરદાર કરતાં ૧૪ વર્ષ નાના હતા. ઉંમર, ઉછેર અને વિચારમાં બંને વચ્ચે અંતર હોવા છતાં બેઉ એકબીજાની શક્તિ અને સીમાઓથી પરિચિત હતા. બંને વચ્ચે કેટલીક બાબતોમાં ભિન્ન વિચારો હોવા છતાં બેઉ એકબીજાની આમન્યા રાખતા. આજે વૈચારિક મતભેદો કોની વચ્ચે નથી ? કોંગ્રેસ અને ભાજપા વચ્ચે નથી ? કોંગ્રેસની ભીતર સોનિયા ગાંધી અને મનમોહનસિંહ વચ્ચે નથી ? ભાજપાની ભીતર નરેન્દ્ર મોદી અને એલ. કે. અડવાણી વચ્ચે નથી ? શિવસેના, એનસીપી, ડાબેરીઓ કે જનતાદળ (યુ)ની અંદર પણ મતભેદો નથી ? નહેરુ અને સરદાર વચ્ચે રાજકીય મતભેદો હોવા છતાં બેઉનું એકબીજા પ્રત્યેનું સન્માન અને ગૌરવ આજના રાજકારણીઓને નહીં સમજાય. નહેરુ અને સરદારની સરખામણી એ બંને ઉત્કૃષ્ટ નેતાઓને અન્યાય કરનારી બની રહેશે.

સરદારની વિરાસત

સરદારની વિરાસત માટે આજે નેતાઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. પણ હકીકત એ છે કે, સરદાર માત્ર પટેલોના, માત્ર ગુજરાતના, કે માત્ર કોંગ્રેસના નેતા નહોતા. સરદાર કોઈ કોમના કે કોઈ સમુદાયના નેતા નહોતા. સરદાર સાહેબ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. સરદાર વગર નહેરુ જ નહીં, પરંતુ ગાંધીજી પણ અધૂરા હતા. ખુદ ગાંધીજીએ કહ્યું છે કે, “સરદાર ના હોત તો જે કામ થયું છે તે થયું ના હોત.” રાષ્ટ્રના એક મહાન સપૂતની વિરાસત માટે આજે નેતાઓ ઝઘડે છે, પરંતુ સરદાર સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર રૂ. ૨૬૨ હતું. આજે દેશના એક પણ નેતાની હિંમત છે કે તેઓ પોતાની વિરાસત-સંપત્તિની જાહેરાત કરે ! કોંગ્રેસ અને ભાજપાના નેતા પૈકી એકની પણ તાકાત છે કે, જે છાતી ઠોકીને કહે કે, “રાજનીતિ કરતી વખતે હું મારી સંપત્તિ નહીં વધારું. મારા પુત્ર-પુત્રીઓ, જમાઈઓની પરવા નહીં કરું !” સરદાર સાહેબનાં પુત્રી મણિબહેન પટેલ તો જિંદગીભર અમદાવાદમાં એક ભાડાંના મકાનમાં રહ્યાં અને રિક્ષામાં જ ફર્યાં. સરદાર સાહેબની વિરાસત અપનાવવી હોય તો સરદાર સાહેબની સાદગીની, રાષ્ટ્રપ્રેમની, અકિંચનપણાની અને સર્વધર્મસમભાવની અપનાવો. સરદારની અસલી વિરાસત આ હતી.

સરદારે દેશના ૫૦૦ રાજાઓને એક કર્યા. આજે દેશના નેતાઓ સરદારના નામે પણ એક થઈ શકતા નથી. કેવી વક્રતા ?

ગેઇમ ચેન્જર, રિબેલ્યન એન્ડ ‘ધ બોસ’

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

યુપીએ -૨ સરકારે કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓને બચાવવા માટે તૈયાર કરેલો વટહુકમ પાછો ખેંચાવવા માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ‘ગેઇમ ચેઇન્જર’ સાબિત થયા. યુપીએ -૨ સરકારના પોતાના જ સાથી લાલુ પ્રસાદના ટેકાની કે પોતાની સરકારના અસ્તિત્વની પરવા કર્યા વિના રાહુલ ગાંધીએ દિલ્હી પ્રેસ ક્લબમાં જઈ જે ટૂંકું પણ ક્રાંતિકારી વક્તવ્ય આપ્યું તેથી આખી બાજી બદલાઈ ગઈ. પરિણામે લાલુ આજે જેલમાં છે અને તેમનું સંસદસભ્ય પદ હવે સમાપ્તિના આરે છે.

ગેઇમ ચેન્જર, રિબેલ્યન એન્ડ 'ધ બોસ'

નિખાલસ રાજકારણી એ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહેલી જ વાર ગુજરાતમાં આવ્યા. ગુજરાતના વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ અને અખબારોના માલિકો સાથે નિર્ધારિત થયેલી કુલ ૪૦ મિનિટને બદલે પોણા બે કલાક સુધી ખુલ્લા દિલે વાતો કરી. વિદાય લેતી વખતે તમામ પત્રકારો સાથે હાથ મિલાવ્યા. રાહુલ ગાંધીએ આજ સુધી દિલ્હીમાં પણ જે કર્યું નથી તે તેમણે ગુજરાતમાં કર્યું. શરૂઆતમાં બહુ થોડું જ વક્તવ્ય રજૂ કરી સામેથી જ બોલ્યા, “તમે જ પ્રશ્નો પૂછો.” ઘણાંને એમ હતું કે, રાહુલ ગાંધી એક રિલક્ટંટ પોલિટિશિયન છે. એટલે કે ઇચ્છા વગર રાજનીતિમાં આવેલા રાજકારણી છે, પણ તેઓ જે કંઈ બોલ્યા તે પરથી જે પ્રતિક્રિયા આવી તે પરથી એમ લાગ્યું કે (૧) રાહુલ ગાંધી ટિપિકલ અને રિલક્ટંટ રાજકારણી પણ નથી.

(૨) સત્તાપ્રાપ્તિની તેમને કોઈ જ ઉતાવળ નથી. (૩) વડાપ્રધાન પદ હાંસલ કરવું એ જ એમનું લક્ષ્ય નથી. (૪) વ્યંગ કે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નથી. (૫) કોઈનીયે પર વ્યક્તિગત આક્ષેપો કરતા નથી. (૬) ખાદીનાં વસ્ત્રોની સાદગી દેખાવ માટે નહીં પણ સાચુકલી છે. (૭) કોઈ પણ પ્રશ્નના જવાબમાં હૃદયની લાગણી છુપાવતા નથી. તેઓ જેવા છે તેવા જ પ્રગટ થાય છે. (૮) લાંબું ભાષણ કરવામાં માનતા નથી. (૯) પોતાના પ્રવચન કરતાં બીજાઓને સાંભળવામાં તેમને વધુ રસ છે. (૧૦) પબ્લિસિટીની ઘેલછા નથી. તેમની સાથેના સંવાદ બાદ અમદાવાદના એક અંગ્રેજી અખબારે રાષ્ટ્રીય કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ માટે હેડિંગ કર્યું , THE WISE PRESIDENT રાહુલ ગાંધીને નજીકથી મળ્યા બાદ મીડિયાનો અભિપ્રાય જ બદલાઈ ગયો. ન કોઈ ગુમાન, ન કોઈ ઘમંડ.

મુઠ્ઠીભર લોકો પાસે સત્તા

રાહુલ ગાંધી કહે છે કે, Sorry. I am not the reluctant politician you would want to portray me as. હું બળવાખોર છું અને ફાઇટ આપીશ. પછી ભલે મારે મારી જ પાર્ટી સામે બળવો કરવો પડે. મને મારો અભિપ્રાય ઉચ્ચારવાનો અધિકાર છે જે અધિકાર દેશમાં બીજાઓને પણ છે. આપણને બધાને પરિવર્તન જોઈએ છે અને તેની શરૂઆત હું મારી જાતથી અને મારી પાર્ટીથી જ કરીશ.

ભ્રષ્ટ રાજકારણીઓને બચાવી શકાય તેવા યુપીએ -૨ સરકારે જ તૈયાર કરેલા વટહુકમને ફાડીને ફેંકી દેવાની તેમની વાત એ તેમની જ સરકાર સામેનો પહેલો બળવો હતો. દિલ્હી પ્રેસ ક્લબના એ હાઈ વોલ્ટેજ એપિસોડ બાદ રાહુલ ગાંધીએ પહેલી જ વાર ગુજરાતનાં મીડિયાને સંબોધતાં જે પહેલું વાક્ય ઉચ્ચાર્યું તે એથી વધુ ગંભીર હતું. તેઓ બોલ્યા, “વર્ષોથી આ દેશની સરકાર અને વિધાનસભા મુઠ્ઠીભર માણસો ચલાવે છે. રાજકીય પક્ષોનું સંચાલન પણ મુઠ્ઠીભર માણસોના હાથમાં છે. તેમાં કોંગ્રેસ અને ભાજપ બેઉ આવી ગયાં. બહુજન સમાજપાર્ટી (માયાવતીની પાર્ટી) તો એક જ વ્યક્તિ ચલાવે છે. સત્તાનું કેન્દ્રીકરણ થયેલું છે. હું આ પદ્ધતિ તોડવા માગું છું. પક્ષ કે સરકારની સત્તા છેલ્લામાં છેલ્લા માણસ-સરપંચ સુધી પહોંચાડવા માગું છું.” રાહુલ ગાંધીનું આ વિધાન આશ્ચર્યજનક એટલા માટે હતું કે આ દેશમાં ૫૦ કરતાં વધુ વર્ષ તો એકંદરે કોંગ્રેસે જ રાજ કર્યું છે અને તેમ છતાં તેમણે હિંમતપૂર્વક કહ્યું કે, “આ દેશ થોડા માણસો જ ચલાવે છે.”

હું યુવાન છું માટે

ભ્રષ્ટ રાજકારણીઓનું રાજકારણ બચાવે તેવા પોલા વટહુકમને ફાડી નાંખવાની અને એ વટહુકમને બકવાસ કહેવાની વાતનો તેમને કોઈ અફસોસ નથી. તેઓ બોલ્યા, “મારી માતાએ મને કહ્યું હતું કે મારા શબ્દો કઠોર હતા, એ વાત સાચી પણ મારી લાગણીઓ સાચી હતી. હું યુવાન છું. મને જ્યારે પણ જે લાગણીઓ જન્મે છે તેને અભિવ્યક્ત કરી દેવામાં માનું છું. મોટા ભાગના કોંગ્રેસીઓ પણ આ વાત સાથે સંમત થશે.” ઘણાંને લાગતું હતું કે રાહુલ ગાંધી સ્વયં દ્વિધાથી ભરેલું વ્યક્તિત્વ છે, પરંતુ પોણા બે કલાકના એ બ્રેન ર્સ્ટોર્ષિંમગ સેશન બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ તેમની વિચારધારામાં સ્પષ્ટ છે. યુવાનો માટે તેમણે કહ્યું, “બીજા અનેક યુવાનોની જેમ હું પણ આ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત બનાવવા માગું છું. ૧૨૦ કરોડ ભારતીયોનું ભવિષ્ય ૫૦૦ મુઠ્ઠીભર માણસોના હાથમાં સોંપી શકાય નહીં. આ કામ હું મારી પાર્ટીમાં સુધારા લાવીને શરૂ કરીશ.”

નો પોલરાઇઝેશન તમારા જાહેરજીવનની પ્રથમ અગ્રતા કઈ છે? એ પ્રશ્ન અંગે પણ તેમનો મત સ્પષ્ટ હતો, “મને સૌથી મોટી ચિંતા આ દેશને બહુમતી અને લઘુમતીમાં વહેંચી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે છે. જ્યારે જ્યારે આ દેશને હિન્દુ અને મુસલમાનોની વચ્ચે વહેંચી દેવાનો પ્રયાસ થયો છે ત્યારે ત્યારે પાકિસ્તાન મજબૂત થયું છે. ભારતનો હિન્દુ અને મુસલમાનોને અલગ કરવાનો પ્રયાસ આ દેશની એકતા અને એખલાસના મૂળ હાર્દને ભારે નુકસાન પહોંચાડે છે. પાકિસ્તાન સરહદ પારથી શસ્ત્રો, આતંકવાદીઓ અને ડ્રગ્સ ભારતમાં મોકલી શકે છે. હું તેમ કરી શકું તેમ નથી. આપણે જો એક રહીશું તો પાકિસ્તાનને હરાવી શકીશું. ભારતે તેની સૌથી વધુ શક્તિશાળી તાકાતનું પ્રદર્શન સ્વતંત્રતાના સંગ્રામ વખતે કર્યું. તેની સફળતાનું રહસ્ય એક જ હતું અને તે આપણી વિવિધતામાં એકતા.”

ભ્રષ્ટાચાર અંગે

દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની બાબતમાં અણ્ણા હજારેની ફોર્મ્યુલા સાથે તેઓ સ્પષ્ટ રીતે અસહમત છે. તેઓ કહે છે, “અણ્ણાની સૂઝ સરકાર પર સુપર મોનિટર (લોકપાલ) મૂકવાની વાત કરે છે, પણ તેથી કોઈ સ્વચ્છતા નહીં આવે. એમ કરવાથી તો સુપર મોનિટર પોતે જ વધુ ભ્રષ્ટ થઈ જશે. એક જમાનામાં ટેલિફોનનું જોડાણ લેવા માટે પણ લાંચ આપવી પડતી હતી અથવા એમપીના કોટામાંથી ફોન લેવા સાંસદ પાસે જવું પડતું હતું, પરંતુ અમે જ્યારે અનેક પબ્લિક ટેલિકોમ બુથ ખોલી આખી સિસ્ટમને જ ઉઘાડી કરી દીધી છે અને મોબાઇલ લાવી દીધા. હવે કોઈએ ફોન માટે લાંચ આપવી પડતી નથી. પોલિટિકલ સિસ્ટમ વર્ષો પહેલાંની ટેલિકોમ સિસ્ટમ જેવી છે. હવે તમારે મુઠ્ઠીભર માણસોનો કંટ્રોલ જવા દઈ વધુ ને વધુ માણસોને પોલિટિકલ સિસ્ટમમાં જોડવા જોઈએ. હું નથી કહેતો કે એમ કરવાથી બધું સ્વચ્છ થઈ જશે, પરંતુ પરિસ્થિતિમાં સુધારો તો જરૂર થશે.”

ગાંધીજીમાં વિશ્વાસ

મોટા ગજાના નેતાઓ હાથમાં મોબાઇલ રાખવામાં નાનમ અનુભવે છે. તેમના મોબાઇલ તેમના અંગત સચિવો પાસે હોય છે,પરંતુ રાહુલ ગાંધી મીડિયાના તંત્રીઓ, માલિકો અને પત્રકારો સામે પોતાનો મોબાઇલ લઈને જ આવ્યા. તેમના જીવનની અગ્રતા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાનો મોબાઇલ ખોલી ગાંધીજીના સાબરમતી આશ્રમમાં તેમણે જ લીધેલી એક તસવીર દર્શાવતાં કહ્યું, “જુઓ, આ સર્કલના કેન્દ્રમાં સત્ય અને અહિંસા છે. તેની આસપાસ જ્ઞાન, અન્ન, શક્તિ અને પ્રેમ છે. આમ તો આ એક પુરાણું મોડલ છે, પરંતુ મને તે રસપ્રદ લાગ્યું.”

બળવાખોર પરિવાર

ગુજરાતનાં સમગ્ર મીડિયાને લાગ્યું કે, રાહુલ ગાંધીને સત્તાપ્રાપ્તિની દોડ કરતાં દેશની સરકારની અને પોતાની જ પાર્ટીની સિસ્ટમમાં આમૂલ પરિવર્તનની ચિંતા છે. તેઓ મેનિપ્યુલેટર નહીં, પરંતુ વિચારશીલ રાજકારણી છે. વાતચીત, વાણી અને વ્યવહારમાં નહેરુ ગાંધીમાં પરિવર્તનની ગરિમા છલકે છે. હા, બળવાખોર પ્રકૃતિ જરૂર છે જે તેમને વારસામાંથી મળેલી છે. તેમના ગ્રેટ ગ્રાન્ડ ફાધર જવાહરલાલ નહેરુ વર્ષો પહેલાં અમદાવાદમાં એક ઇમારતના શિલારોપણ માટે આવેલા હતા. ખાતમુહૂર્ત પહેલાં એક બ્રાહ્મણે લાંબા લાંબા શ્લોક બોલવાનું શરૂ કરતાં જવાહરલાલ નહેરુએ તેમને રોકતાં કહ્યું હતું, “વડાપ્રધાનનો સમય આ રીતે વેડફવા માટે નથી. શ્લોકો બંધ કરી દો.” જવાહરલાલ નહેરુને એક વખત તેમના જ મતવિસ્તારનું એક પ્રતિનિધિમંડળ મળવા આવ્યું ત્યારે તે પ્રતિનિધિમંડળને મળવાનો ઇન્કાર કરી દેતાં તેમણે કહ્યું હતું, “હું આ દેશનો વડાપ્રધાન છું. બીજા ૫૦૦ સાંસદો પૈકીનો એક નથી કે જેણે પોતાના જ મત વિસ્તારની ચિંતા કરવાની હોય.”

રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે પત્રકાર પરિષદ વખતે જ વિદેશ સચિવને પાણીચું આપી દીધું હતું. તેમનાં દાદી ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી સામે બળવો કરી વી.વી. ગીરીને મેદાનમાં ઉતાર્યા હતા અને વી.વી.ગીરીને જિતાડી દીધા હતા. તેમનાં માતા સોનિયા ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ સીતારામ કેસરીને હટાવી કોંગ્રેસની કમાન સંભાળી લીધી હતી. હવે રાહુલ ગાંધી પણ એ જ માર્ગે છે. ડો. મનમોહનસિંહની કેબિનેટે પસાર કરેલા વટહુકમને પાછો ખેંચવાની ફરજ પાડી રાહુલ ગાંધીએ એ વાત પણ સાબિત કરી દીધી છે કે, ‘I am the boss, of course rebellion Boss. રાહુલ ગાંધી પાસે હજુ આવા અનેક બળવાઓની અપેક્ષા છે. જૂથબંધી એ કોંગ્રેસનું કેન્સર છે. મોંઘવારી આ દેશની સમસ્યા છે. ગરીબી આ દેશમાં અભિશાપ છે. ભ્રષ્ટાચાર આ દેશના લોહીમાં વણાઈ ગયો છે. કોમવાદ એ રાજકારણીઓની ભેટ છે. ત્રાસવાદીઓથી જનતા આતંકિત છે. કેટલાક અપરાધીઓથી લોકસભા અને વિધાનસભાઓ ભરેલી છે. રાજકારણ એક ધંધો છે. રાજનીતિ કાવાદાવાઓથી ભરેલી છે. આ બધી વિટંબણાઓનો અંત ક્યારે, એંગ્રી યંગમેન?

રામાયણ માત્ર ગ્રંથ કે હકીકત?

ભાજપ રામના સહારે પણ ડીએમકે રામ વિરોધી

ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર હિન્દુત્વના અને અયોધ્યામાં રામ મંદિરના એજન્ડાને લઈને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં જવા માંગે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે નરેન્દ્ર મોદી સિવાય હિન્દુત્વનો બીજો કોઈ ચહેરો નથી. દેશની ટોપ જોબ માટે એલ. કે. અડવાણી પસંદ થઈ શક્યા હોત, પરંતુ પાકિસ્તાનમાં મહંમદ અલી ઝીણાની કબર પર મસ્તક ઝુકાવવાના કારણે સંઘે અડવાણીને નાપાસ કરી દીધા છે. મહાકુંભમાં સંતોની નરેન્દ્ર મોદી માટેની પસંદગી એ એક રીતે હિન્દુત્વ અને રામમંદિરના અસલી એજન્ડાને ઉજાગર કરનારી છે.

ભગવાન શ્રીરામ દેશના ૭૦ કરોડ હિન્દુઓના અધિષ્ઠાતા દેવ છે, પરંતુ સાથે સાથે એ વાત પણ જાણી લેવી જોઈએ કે દક્ષિણ ભારતમાં વસતા ઘણા લોકો હિન્દુ વિરોધી લાગણી ધરાવે છે. ખાસ કરીને દ્રવિડ રાજનીતિ હિન્દુત્વની તરફેણ કરતી નથી.

દક્ષિણના ઘણા લોકો રામની નહીં પરંતુ રાવણની પૂજા કરે છે. કેટલાકને તો રામના નામની એલર્જી છે. દા.ત. થિરૂમાવલમ નામના એક સંસદ સભ્યે તેના પિતાનું નામ રામાસામી હતું તે બદલીને થોલ્કાપિયન કરી નાંખ્યું છે. હિન્દુત્વ અને રામાયણ પ્રત્યે તિરસ્કાર દર્શાવવા તેમણે આમ કર્યું હોવાનું મનાય છે. એ જ રીતે ડીએમકેના વડા એમ. કરુણાનિધિ પણ હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડવાની એક પણ તક છોડતા નથી. દક્ષિણની પ્રાદેશિક પાર્ટીઓની માન્યતા છે કે રામાયણ અને મહાભારત એ ઉત્તરમાંથી આવેલા આર્યોએ આપેલું સાહિત્ય છે. આર્યોને તેઓ આક્રમણખોરો કહે છે. રામાયણ અને મહાભારતની નિંદા કરે છે. કરુણાનિધિના એક પુત્રનું નામ સ્ટેલિન છે.

અલબત્ત, તામિલનાડુમાં રામના નામે સાવ પડદો પાડી દેવામાં આવ્યો છે તેવું નથી. તાજેતરમાં જ ચેન્નાઈમાં રામાયણ ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું છે. પૂરા એક મહિના સુધી તે પરિષદ અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલવાના છે. તેમાં રામાયણ પર વિવિધ સંશોધનો હજુ થવાનાં છે. કેટલાક વૈજ્ઞાનિકો, વનસ્પતિ શાસ્ત્રીઓ, પુરાતત્ત્વવિદો તથા ઇતિહાસકારોએ દાયકાઓથી કરેલાં રામાયણ પરનાં સંશોધનો હજુ જાહેર કરવામાં આવશે. દા.ત. અમૃતલીંગમ નામના એક વનસ્પતિ-શાસ્ત્રીએ અયોધ્યાથી લંકા સુધી પ્રવાસ ખેડી ભગવાન શ્રીરામે જ્યાં જ્યાં વનવાસ કર્યો હતો તે યાત્રામાર્ગોની આસપાસ આવેલી વનસ્પતિ, વૃક્ષો, ફળો અને ફૂલોનો અભ્યાસ કર્યો છે. વાલ્મીકિએ રામાયણમાં જે વનસ્પતિ અને વૃક્ષો તથા ભૂમિનું વર્ણન કર્યું હતું તેની સાથે તેનો તાલમેલ બરાબર બેસે છે તેમ તેમનું માનવું છે. તેઓ કહે છે રામાયણમાં જે ફળફૂલનું વર્ણન છે તે આજે પણ એ વનવિસ્તારમાં ઉપલબ્ધ છે. પર્વતો, ભૂમિ, નદીઓનો પણ રામાયણમાં કરાયેલા વર્ણન પ્રમાણે જ તાલમેલ છે. રામાયણ લખાયું ત્યારે નૈમિષારણ્ય, ચિત્રકૂટ, દંડકારણ્ય અને પંચવટી વિસ્તારમાં ગામ છે. જંગલો હતાં. રામાયણના કિષ્કિન્ધાકાંડમાં ભૂમિનું જે વર્ણન છે તથા જે વનસ્પતિનું વર્ણન છે તે બધું જ બંધ બેસે છે.

એવા જ બીજાં એક વૈજ્ઞાનિક ડો. નંદિતા ક્રિશ્ના કહે છે કે અયોધ્યા છોડયા બાદ ભગવાન શ્રીરામે વનમાં જે સ્થળે રહેવાનું પસંદ કર્યું હતું તે સ્થળ વનસ્પતિ અને વૃક્ષોથી સમૃદ્ધ હતું. વાલ્મીકિએ રામાયણમાં વાઘ અને સિંહોનું વર્ણન કરેલું છે પણ સામાન્ય રીતે આ પ્રાણીઓ સાથે રહી શકતાં નથી. એકમાત્ર મધ્યપ્રદેશમાં ભીમબેડકા ગુફા વિસ્તારમાં કેટલાંક વર્ષોજૂનાં ચિત્રોમાં વાઘ અને સિંહો સાથે સાથે રહેતાં હોવાનાં દૃશ્યો છે. આ ગુફાઓની દીવાલો ૧૦ હજાર વર્ષ જૂની છે તેથી કોઈ જમાનામાં વાઘ અને સિંહ સાથે રહેતા હોવા જોઈએ.

ચેન્નાઈ ખાતેના આ સેમિનારમાં દેશભરમાંથી આવેલા ચિત્રકારો રામાયણની ઘટનાઓ પરનાં ચિત્રો પણ પ્રર્દિશત કરી રહ્યા છે. તેમાં રાજા રવિવર્માનાં ચિત્રોથી માંડીને બીજી સદીના પથ્થર યુગના કેટલાંક ચિત્રોને પણ સ્થાન છે.

આ પરિષદના આયોજકોનું કહેવું છે કે આ સેમિનાર ચેન્નાઈમાં યોજવાનો અમારો ઉદ્દેશ એ છે કે અમે તામિલનાડુની પ્રજાને કહેવા માંગીએ છીએ કે રામાયણ એ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિક ઘટના છે. રિઅલ લાઈફ સ્ટોરી છે. ભગવાન શ્રીરામ થઈ જ ગયા છે. તેમનું અસ્તિત્વ હતું જ અને તે માટે અમારી પાસે વૈજ્ઞાનિક તથા પુરાતત્ત્વના શાસ્ત્રીય પુરાવા છે. રામાયણ મહાકાવ્યમાં વર્ણવવામાં આવેલાં વૃક્ષો, વનસ્પતિ, ફળફૂલ અને ભૂમિ એ બધું જ સત્ય છે. રામાયણ એક પુસ્તકથીયે વિશેષ છે.

એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન સેન્ટરનાં વૈજ્ઞાનિક અમૃતલીંગમ તથા ડો. નંદિતા ક્રિશ્નાએ રામાયણમાં આવતા સંજીવનીના પ્રસંગ અને ભૂમિ પર પણ સંશોધન કર્યું છે. શ્રીલંકાના ટ્રોપિકલ ફોરેસ્ટ પરની એક ઊંચી ટેકરી તેમણે શોધી કાઢી હતી જ્યાંથી સંજીવની લાવવામાં આવી હતી. આ પર્વત પરથી કેટલીયે ઔષધીને લગતી વનસ્પતિ મળી આવી છે. હનુમાનજી આ ટેકરી પરથી સંજીવની લઈ આવ્યા હતા.

રાવણ સીતાજીને ઉપાડીને લંકા લઈ ગયો ત્યારે ભગવાન શ્રીરામે દરિયો પાર કરવા માટે રામસેતુ તૈયાર કરાવડાવ્યો હતો. આ રામસેતુ અંગેની એક અપ્રાપ્ય બુક પણ આ પ્રસંગે પુનઃ પ્રગટ થઈ રહી છે. અત્રે એ જાણી લેવું જરૂરી છે કે ડીએમકે(દ્રવિડ મુન્નેત્ર કઝગમ)ના વડા એમ. કરુણાનિધિ લંકા સાથેના દરિયાઈ માર્ગોને સરળ બનાવવાના નામે રામસેતુને તોડી નાખવાની તરફેણ કરી રહ્યા છે. આ તેમની હિન્દુ વિરોધી લાગણીનો નમૂનો છે. ૧૯૨૯ની સાલમાં એ વખતના રામનાદ શન્મુગાના રાજા રાજેશ્વરા નાગનાથ સેથુપથીની ઇચ્છાથી એન. વનમમલાઈ પિલ્લાઈએ ધી સેતુ ઓફ રામેશ્વરમ્ નામનું પુસ્તક લખ્યું હતું. કહેવાય છે કે ભગવાન શ્રીરામે રામનાદના રાજાને રામસેતુ સાચવવાનું કામ સોંપ્યું હોઈ એ રાજા સેથુપથી કહેવાય છે.

આ સેમિનારમાં ભારતીય જનતા પાર્ટીને ગમે તેવી એક વાત પણ છે. આ સેમિનારમાં જે સંશોધન પેપર્સ રજૂ થઈ રહ્યાં છે તેમાં એક પેપર એવું પણ છે કે જે અયોધ્યામાં રામમંદિર હતું જ તેવા વૈજ્ઞાનિક અને પુરાતત્ત્વ શાસ્ત્ર આધારિત પુરાવા દર્શાવી રહ્યું છે. ટૂંકમાં અયોધ્યાની એ વિવાદિત ભૂમિ પર કોઈ જમાનામાં રામમંદિર હતું જ તેવી વાત એ સંશોધનમાં જણાવાઈ છે.

ચેન્નાઈના સરસ્વતી રિસર્ચ સેન્ટરના ઇન્ડોલોજિસ્ટ રામ મોહન કહે છે, તામિલનાડુની પ્રજા માટે રામાયણ કોઈ અજાણી વાત નથી. તામિલનાડુના પ્રાચીન સાહિત્યમાં પણ રામાયણ અને મહાભારતની કેટલીક ઘટનાઓની વાતનો ઉલ્લેખ આવે જ છે. માત્ર રાજકારણીઓ જ તેમની વોટબેંક માટે રામ અને કૃષ્ણની ટીકા કરે છે અથવા વોટબેંક ઊભી કરવા માટે રામના નામનો ઉપયોગ કરે છે. રાજકારણીઓ રામના નામની ગમે તેટલી ટીકા કરે પણ કરોડો હિન્દુઓનાં હૃદયમાંથી રામને દૂર કરી શકાશે નહીં.

www.devendrapatel.in

ખૂબસૂરત સ્ત્રીઓ સાથેનું ડેન્જરસ લાયેઝન

લગ્નબાહ્ય સંબંધોએ ઘણાં પબ્લિક ફિગરની કારકિર્દી રોળી નાખી

રાજકારણીઓના જીવનમાં જ્યારે લગ્ન બાહ્ય સંબંધો ધરાવતી સ્ત્રીઓ આવે છે ત્યારે તે ડેન્જરસ લાયેઝન બની જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના જીવનમાં એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલીન મનરોના પ્રવેશને કારણે કેનેડી પરિવાર માટે મોટું જોખમ ઊભું થઈ ગયું હતું. પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના જીવનમાં મોનિકા લેવેન્સ્કીના પ્રવેશને કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો અને બિલ ક્લિન્ટને માફી માગવી પડી હતી.

 

 

ડેવિડ પેટ્રીયાસ

થોડા મહિનાઓ પહેલાં અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા ડેવિડ પેટ્રીયાસના જીવનમાં તેમની જ બાયોગ્રાફી લખનાર પાઉલા બ્રેડવેલના પ્રવેશની માહિતી બહાર આવી જતાં તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડયું છે. ડેવિડ સીઆઈએ(સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સી)ના વડા હોઈ તેમની પાસે ઘણી સંવેદનશીલ માહિતી હતી અને તે કોઈ સ્ત્રીના આંખ-કાન સુધી પહોંચે તો સમગ્ર દેશ માટે જોખમ ઊભું થઈ શકે છે. ડેવિડ પેટ્રીયાસ હજુ વધુ ઊંચા હોદ્દા પર જઈ શક્યા હોત પણ તેમના પાઉલા બ્રેડવેલ સાથેના આડા સંબંધો બહાર આવી જતાં તેમની કારકિર્દી પર પાણી ફરી વળ્યું છે.

ગેરી હાર્ટ

એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે અનેક લોકોની કારકિર્દી રોળાઈ ગઈ હોય તેવાં અનેક ઉદાહરણો છે. ૧૯૮૭માં ગેરી હાર્ટને અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવવાનું નક્કી હતું, પરંતુ તેમણે મીડિયાને પડકાર ફેંક્યો કે મારા જીવન પર કોઈ ડાઘ હોય તો શોધી કાઢો. મીડિયાએ તેમનું લફરું શોધી કાઢયું અને ગેરી હાર્ટને પ્રમુખપદની ચૂંટણી લડવા ટિકિટ ન મળી. ગેરી હાર્ટની ડોના રાઈસ નામની સ્ત્રી સાથેની એક અજુગતી તસવીર મીડિયાએ શોધી કાઢી હતી.

જ્હોન એડવર્ડ

ગેરી હાર્ટ જેવું જ અમેરિકાના સેનેટર જ્હોન એડવર્ડની બાબતમાં થયું. તેમનાં પત્ની કેન્સરથી પીડાતાં હતાં અને કેન્સર છેલ્લા તબક્કામાં હતું. ૨૦૦૮માં તેઓ પણ અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ માગી રહ્યા હતા. તેમને હિલી હંટર નામની એક ફિલ્મ નિર્માત્રી સાથે સંબંધ હતો અને તેમનાથી હિલીને બાળક પણ પેદા થયું હતું. એ વાત બહાર આવી જતાં ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ટિકિટ આપવા ઇનકાર કરી દીધો. અને એ ટિકિટ બરાક ઓબામાને મળી.

સ્ટ્રોસ કાન

ફ્રાન્સને લાગેવળગે છે ત્યાં સુધી ફ્રેન્ચ લોકો તેમના રાજકારણીઓ ચાર દીવાલો વચ્ચે શું કરે છે તેની બહુ ચિંતા કરતા નથી, પરંતુ ફ્રેન્ચ નેતા સ્ટ્રોસ કાન બિચારા ફસાઈ ગયા. અમેરિકાની એક હોટેલમાં કામ કરતી ૩૨ વર્ષની નફિસા તોઉ નામની મહિલા નોકરે ફરિયાદ કરી કે સ્ટ્રોસે મારી સાથે છેડતી કરી છે અને સ્ટ્રોસ ફસાઈ ગયા. તેઓ ફ્રાન્સના પ્રમુખપદના ઉમેદવાર બનવાના હતા પણ હોટેલની મેઈડની ફરિયાદ બાદ તેઓ પણ પ્રમુખપદની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા.

સિલ્વિયો બર્લુસ્કોની

ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનો કેસ સહેજ જુદો છે. ઈટાલીમાં ૧૮ વર્ષ કરતાં વધુ ઉંમરની સ્ત્રી પ્રોસ્ટિટયુટ સાથેના સંબંધો કાયદેસર ગણાય છે, પરંતુ સિલ્વિયા પર ૧૮ વર્ષ કરતાં ઓછી વયની યુવતી સાથે સેક્સ માણવાનો આરોપ થયો. તેમાં મોરોક્કોની નાઇટ ક્લબની કેમિની નામની એક ડાન્સર સાથેના સંબંધોની વાત બહાર આવી. સિલ્વિયાએ જાહેરજીવન છોડવું પડયું, પરંતુ ઇટાલિયનો તેમના નેતાના પાવરના પ્રશંસક રહ્યા છે.

રોબિન કુક

લંડન આડા સંબંધો માટે યુરોપનું કેપિટલ કહેવાય છે. ઘણા સંસદસભ્યો તેમના ઘરથી દૂર તેમની મહિલા સેક્રેટરીઓ સાથે સમય પસાર કરતા હોવાનું ભૂતકાળમાં જણાયું છે. ઇંગ્લેન્ડના પૂર્વ શ્રમમંત્રી રોબિન કુક તેમની મહિલા સેક્રેટરી ગેનોટ રેગન સાથે ક્યાંક સમય પસાર કરી રહ્યા હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરના પ્રેસ સેક્રેટરી એલેસ્ટર કેમ્પબેલે રોબિન કુકનાં પત્ની માર્ગારેટ કુકને ફોન કરી એ માહિતી આપી દીધી હતી. એ પછી ઘરમાં મોટું તોફાન સર્જાયું હતું. લગ્ન તૂટી ગયું હતું અને માર્ગારેટ કુકે એક પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે મારો હસબન્ડ છ જેટલી પ્રેયસીઓ ધરાવતો હતો અને ખૂબ દારૂ પીતો હતો.

જ્હોન મેજર

૨૦૦૨માં બ્રિટનનાં એડવિના કેરી નામનાં એક મહિલા મંત્રીએ ‘ધી ટાઇમ્સ’માં એક શ્રેણી લખીને ખળભળાટ મચાવી દીધો હતો. તેમાં એડવિનાએ લખ્યું હતું કે ૧૯૮૪થી ૧૯૮૮ દરમિયાન મારે જ્હોન મેજર કે જેઓ પરણેલા હતા તેમની સાથે સંબંધો હતા. આ સમાચારથી આખા ઇંગ્લેન્ડમાં નવી જ પ્રકારની સનસનાટી પેદા થઈ, કારણ કે જ્હોન મેજર એક શુષ્ક વ્યક્તિ ગણાતા હતા પણ એડવિનાની કેફિયત બાદ જ્હોન મેજર રાતોરાત લોકપ્રિય થઈ ગયા અને માર્ગારેટ થેચર પછી જ્હોન મેજર બ્રિટનના વડાપ્રધાન બની ગયા. આમ, મેજરને લફરું ફળ્યું હતું!

જ્હોન પ્રોફ્યુમો

ઇંગ્લેન્ડ સેક્સ સ્કેન્ડલ માટે જૂનું અને જાણીતું બ્રાન્ડનેમ ધરાવે છે. ૧૯૬૩માં ઇંગ્લેન્ડમાં જ્હોન પ્રોફ્યુમો નામના સંરક્ષણ મંત્રી હતા. તેઓ હેરોલ્ડ મેકમિલન નામના વડાપ્રધાનની કેબિનેટના સભ્ય હતા. જ્હોન વેલેરી નામની ખૂબસૂરત અભિનેત્રી સાથે પરણેલા હતા. જ્હોન ઇંગ્લેન્ડના ડિફેન્સ મિનિસ્ટર હોવાને કારણે ઘણી સંવેદનશીલ માહિતી ધરાવતા હતા. વળી એ વખતે રશિયા ઘણું શક્તિશાળી હતું. જ્હોન એ જમાનાની મશહૂર કોલગર્લ ક્રિસ્ટાઇન કિલર સાથે સૂતેલા પકડાઈ ગયા હતા અને વાત બહાર આવી ગઈ હતી. મોટામાં મોટી સમસ્યા એ હતી કે ક્રિસ્ટાઈન કિલરને લંડન ખાતેની રશિયન એલચી કચેરીના એક રશિયન અધિકારી તથા બીજા એક ડ્રગ ડીલર સાથે પણ આડા સંબંધો હતા. આખું પ્રેમપ્રકરણ બહાર આવી જતાં જ્હોન પ્રોફ્યુમોએ ઇંગ્લેન્ડના ડિફેન્સ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દેવું પડયું હતું. શંકા એવી હતી કે રશિયા ક્રિસ્ટાઈન કિલરને જ્હોન સાથે સુવરાવીને ઇંગ્લેન્ડનાં ન્યૂક્લિઅર સિક્રેટની માહિતી કઢાવી રહ્યું હતું. ક્રિસ્ટાઈન કિલર અને જ્હોન લોર્ડ એસ્ટર નામના એક રાજકારણીના ભવ્ય નિવાસસ્થાનમાં મજા માણતાં હતાં. આ નિવાસસ્થાનમાં એક સ્વિમિંગ પુલ હતો અને તેમાં જ્હોન એકલા જ નહીં પણ પાકિસ્તાનના પૂર્વ ફીલ્ડમાર્શલ ઐયુબ ખાને પણ નગ્ન સ્ત્રીઓ સાથે છબછબિયાં કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણ બહાર આવ્યા બાદ આખી મેકમિલન સરકારે રાજીનામું આપી દેવું પડયું હતું.

પામેલા સિંહ

આવો જ ખળભળાટ પામેલા સિંહે મચાવ્યો હતો. પામેલા ૧૮૮૮-૮૯ દરમિયાન ભારતમાં મિસ ઇન્ડિયા બની હતી. તે પછી તે ઇંગ્લેન્ડ ગઈ હતી. ત્યાં તે પામેલા બોર્ડેસ તરીકે જાણીતી હતી. એ વખતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કોલિન મોઈની હાન પાસેથી કેટલીક ફેવર મેળવી હતી. તેણે અખબારોના કેટલાક તંત્રીઓ પર પણ નજર માંડી હતી. તે ફ્રીલાન્સ કોલગર્લ તરીકે કામ કરતી હતી. તે એક રાતના ૫૦૦ પાઉન્ડ લેતી હતી.હમણાં હમણાં જ ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ નામના અખબારના તંત્રી રેબેકાના કેટલાક પોલિટિશિયનો સાથેના સંબંધો ચર્ચામાં આવી જતાં ઈંગ્લેન્ડની હાલની આખી સરકાર ધ્રૂજી ગઈ હતી.

જ્હોન ટેરી અને બીજા

ઈંગ્લેન્ડનો જાણીતો ફૂટબોલ કેપ્ટન જ્હોન ટેરી પણ જાણીતી મોડલ વનેસા પેરોન્સેલ સાથે આડા સંબંધો ધરાવતો હોવાની વાત બહાર આવી હતી. એ જ રીતે ૨૦૦૪માં ફારિયા આલમ નામની એક બંગલાદેશી યુવતી કે જે યુકે ફૂટબોલ એસોસિયેશનની સેક્રેટરી હતી. ફારિયા તેના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક પોલઓઈ અને તે પછી ઇંગ્લેન્ડના ફૂટબોલ મેનેજર સ્વેન ગોરાન એરિક્સન સાથે રાત ગાળી હતી. આ આખીયે ઘટના રૂપિયા ૨,૫૦,૦૦૦ પાઉન્ડમાં પબ્લિશ કરવા માટે ફારિયાએ એક પીઆર(પબ્લિક રીલેશન) એજન્સીને વેચી હતી.

હવે છેલ્લે છેલ્લે અમેરિકાની સીઆઈએના ડાયરેક્ટર ડેવિડ પેટ્રીયાસ આવા જ એકસ્ટ્રા મેરિટલ એફેરમાં ફસાયા છે. આ ઘટના ઈંગ્લેન્ડમાં બની હોત તો ડેવિડ પેટ્રીયાસની પ્રેયસી પાઉલા બ્રેડવેલ તેની સ્ટોરી કદાચ ‘કિસ એન્ડ ટેલ’ના નામે લાખો પાઉન્ડમાં વેચી શકી હોત પણ પાઉલા બ્રેડવેલ ડેવિડને સાચુકલો પ્રેમ કરે છે તેથી તે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. પાઉલા પ્રોફેશનલ નહીં પરંતુ સાચુકલી પ્રણયભગ્ન છે.

www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén