ભારતીય સંસ્કૃતિમાં જ લક્ષ્મીજીની પૂજા થાય છે. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે. વેદ-પુરાણો, ઉપનિષદોમાં ભવ્ય હિંદુ સંસ્કૃતિની અનેક પુરાણ કથાઓ પડેલી છે. તેમાં એક કથા સમુદ્ર મંથનની છે. સમુદ્ર મંથન દરમિયાન દરિયામાંથી જે રત્નો બહાર નીકળ્યા તેમાં સૌથી વિશિષ્ઠ રત્ન લક્ષ્મીજી હતા. આ અનુપમ, સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદા, શુભા અને ક્ષમાશીલ એવા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતા. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવી દીધું હતું. અને એટલે જ હિંદુઓ પ્રતિવર્ષ દીપમાળાઓ પ્રજ્વલિત કરીને મહાલક્ષ્મીજીનું સ્વાગત કરે છે.
પરંતુ ઘણીવાર અતિ ધન કમાવાની લાલસામાં લોકો લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. કહેવાય છે કે ભગવાનને લક્ષ્મીજી વગર ચાલતું હતું પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નહોતું : જે ઘરમાં નારાયણ નથી તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી. જે ઘરમાં કજિયા છે તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી. જે ધનવાનો ‘હું બહુ ધનવાન છું ? તેવો ગર્વ કરે છે તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી. લક્ષ્મીજીના માલિક બનવાના બદલે મહાલક્ષ્મીને માતા તરીકે સ્વીકારનારના ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરે છે. લક્ષ્મી નામનો અર્થ છે સુલક્ષણાવાળી સ્ત્રી. જે ઘરમાં સુલક્ષણાવાળી સ્ત્રી ના હોય તે ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી. ઘરની પત્ની પણ સાક્ષાત લક્ષ્મીની છાયા છે તેથી તેને ગૃહલક્ષ્મી કહેવાય છે. જે ઘરમાં સ્ત્રીનો આદર થતો નથી તે ઘરમાં પણ લક્ષ્મીજી ટકતાં નથી. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ પણ રમે છે. અલબત્ત ધનતેરશ કે દીપાવલીને માત્ર લક્ષ્મીપૂજન તરીકે જ ના સમજતા લક્ષ્મીના આધ્યાત્મિક અર્થને પણ સમજવો જરૂરી છે. ધનતેરશ સદીઓથી દિવાળીના બે દિવસ પહેલાં આવતું પર્વ છે. દેશના કેટલાયે વિસ્તારોમાં આ દિવસે લોકો શુકન માટે વાસણો ખરીદે છે. ધનતેરશનો અર્થ છે ‘ધન્વંતરિ જયંતી.’ ભગવાન ધન્વંતરિ માનવ સ્વાસ્થ્યની માટે પ્રચલિત આયુર્વેદના દેવ છે. ધન્વંતરિ જયંતીનો અર્થ છે આયુર્વેદ વિદ્યાનું પૂજન અને આયુર્વેદ વિદ્યાના પૂજનનો અર્થ છે- પ્રકૃતિ ઔષધિ, વનસ્પતિ અને પ્રકૃતિની કૂખમાંથી પેદા થયેલ સમસ્ત પ્રાકૃતિક નિધિઓનું પૂજન. આ પૃથ્વી પર વસતા તમામેતમામ જીવો પર પ્રકૃતિની જે અસીમ કૃપા છે તેની તરફ કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો આ દિવસ છે.
દિવાળીની પૂર્વે આવતી તેરશની તિથિને લોકો લક્ષ્મીપૂજનનો શુભ આરંભ માને છે. દીપાવલી પૂર્વેની તેરશને લક્ષ્મીવૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે. આ પરંપરા અનુસાર ધન શું છે? ધનની પૂજાનો અર્થ શું છે ?
આજની ભારતીય સંસ્કૃતિમાં રૂપિયા- પૈસાને ધનનું જડ સ્વરૂપ માની લેવામાં આવ્યું છે, પરંતુ ભારતના વેદ-ઉપનિષદોમાં વાસ્તવિક ધનનો અર્થ ‘સ્વાસ્થ્ય’ને માનવામાં આવ્યું છે. સ્વાસ્થ્યના પણ બે સ્વરૂપ છે. એક તો શારીરિક સ્વાસ્થ્ય અને બીજું માનસિક સ્વાસ્થ્ય. આયુર્વેદમાં માનસિક સ્વાસ્થ્યને આંતરિક સ્વાસ્થ્ય પણ કહેવામાં આવે છે. ધન ભોગ કરી શકતું નથી તેથી મહાલક્ષ્મી અને મહાકાળીનું પૂજન રાખવામાં આવે છે. ધનતેરશનોે દિવસ ખરેખર તો ભગવાન ધન્વંતરિનો જ મહિમા છે. દીપાવલીના આ દિવસો વર્ષાઋતુની સમાપ્તિ બાદ આવે છે. વરસાદ પછી પ્રકૃતિ ખીલી ઊઠી હોય છે. વૃક્ષો અને વેલાઓ નવપલ્લિત થઈ ગયા હોય છે. ડુંગરો લીલાંછમ થઈ ગયા હોય છે. નદીનાળાં ખળખળ વહેતાં હોય છે. તળાવો જળથી ભરાઈ ગયાં હોય છે. જંગલોમાં નવી ઔષધિઓ ખીલી ઊઠી હોય છે અને તે બધાં જ પ્રકૃતિનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. આ નવીન ઔષધિઓના પૂજનનું એક આગવું માહાત્મય છે. વર્ષોથી ર્પૂિણમાના દિવસે સોમ-પાન, અમૃત પાનને ખીરના સ્વરૂપમાં ખાવામાં આવે છે. એ રીતે જ શરૂ થયેલો પ્રક્રિયા છેક દીપાવલી સુધી ચાલે છે. પ્રચલિત પરંપરામાં કાલીની મૂળ પ્રતિષ્ઠા ઔષધિઓમાં માનવામાં આવી છે. તંત્રમાં એનું વિશુદ્ધ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન તાંત્રિકોએ તો વિભિન્ન રસાયણો દ્વારા ઔષધિ બનાવવાનું જ્ઞાાન પણ આ જ સમયગાળા દરમિયાન પ્રાપ્ત કર્યું હતું. ધનતેરશથી માંડીને અમાવસ્યા દિવાળીના દિવસ સુધીનો સમય કાલીપૂજનનો સમયગાળો છે.
જે પ્રકૃતિની દયાની માનવીને જરૂર છે તેનાં બે સ્વરૂપ છે. એક છે જીવન સંજીવની અને કાલની સિદ્ધિનાં અધિષ્ઠાત્રી મહાકાળી અને બીજાં છે સમૃદ્ધિ, વૈભવ,ભૌતિક સંપન્નતા તથા શ્રીનાં અધિષ્ઠાત્રી મા લક્ષ્મી. આ બંનેના સહયોગથી માનવજીવનને સુખ, શાંતિ અને પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. આ જ કારણથી મા લક્ષ્મીના પૂજનની સાથે સાથે આયુર્વેદ વિદ્યાના ભગવાન ધન્વંતરિની જયંતી પણ મનાવવામાં આવે છે. વેદ- ઉપનિષદો કહે છે કે ભગવાન વિષ્ણુનું સહચર્ય પ્રકૃતિ સાથે છે અને લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ છે. મહાકાળીનું વત્સલ રૂપ વિષ્ણુની સાથે જ રચાય છે અને શ્રીની સાથે વિષ્ણુ સ્વરૂપ બિરાજમાન જ હોય છે. ભગવાન ધન્વંતરિ સ્વયં વિષ્ણુના અવતાર મનાયા છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલક છે, રક્ષક છે, લક્ષ્મીના પતિ છે. શ્રીની સાથે સ્વાસ્થ્ય પણ સારું અને તંદુરસ્ત હોવું જોઈએ અને સ્વસ્થ રહેવા માટે ઔષધિ પણ જોઈએ. ‘સ્વાસ્થ્ય’નો અર્થ છે લાંબું નિરોગી આયુષ્ય અને ‘શ્રી’નો અર્થ છે પુરુષાર્થનું તેજ.ધન્વંતરિ જે અમૃત-ઘટની સાથે અવતર્યા હતા તેમાં આ બધાંનો સમન્વય છે. આમ તો ત્રણ ધન્વંતરિ થયા. એક તો સમુદ્રમંથનમાં અમૃત-ઘટમાં થયા. બીજા ધન્વંતરિ જેમણે અમૃતને મૃત્યુલોકમાં પ્રાણીઓ માટે સુલભ બનાવ્યું. ત્રીજા ધન્વંતરિને આપણે વધુ ઓળખીએ છીએ, જે શલ્ય ચિકિત્સા માટે વધુ પ્રસિદ્ધ છે. આ પરંપરા વંશપરંપરા ચાલતી રહી. આ કુળમાં ધન્વંતરિ દિવોદાસ થયા અને તેમના શિષ્ય સુશ્રુત આર્યુિવજ્ઞાાનમાં અત્યંત જાણીતા છે.
ધનતેરશને ધન્વંતરિ જયંતી તરીકે આ જ કારણોસર મનાવવામાં આવે છે. એક કારણ એ કે, ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર છે. દીપાવલી મહાકાળી અને મહાલક્ષ્મીની પૂજાનું પર્વ છે. ધનતેરશના દિવસે ધન્વંતરિની જયંતી અને અમાવસ્યાના દિવસે મહાકાળીનું પૂજન ઉપરોક્ત ધારણાનું જ પ્રતીક છે. ધનેતરશથી માંડીને છેક ભાઈબીજ સુધીનું સપ્તાહ એક રીતે ધનલક્ષ્મી સ્વાસ્થ્ય (ધન્વંતરિ), ઔષધિ (કાળી), અન્નકૂટ (અન્નપૂર્ણા, યમ દ્વિતીયા) અને યમની પૂજા-આરાધનાનું સપ્તાહ છે. ધનતેરશનો વાસ્તવિક અર્થ આ છે. એક વાત યાદ રહે કે ધનતેરશથી માંડીને દીપાવલી સુધી મા લક્ષ્મીનું પૂજન કરવાથી એમ માની લેશો નહીં કે ભવ્ય પૂજા કરવાથી ઘરમાં ધનનો વરસાદ થઈ જશે. કાળા કુકર્મો અને ભ્રષ્ટાચારથી એકત્ર કરાયેલું ધન એને એ જ માર્ગે જતું રહે છે. ભવ્ય પૂજા-વિધિ અને ફળોના કરંડિયા મૂકવાથી મા લક્ષ્મી કદી રિઝતાં નથી. મા લક્ષ્મીને મીઠાઈ ઓની લાલચ આપવાથી તેઓ રાજી થતાં નથી. સાધનશુદ્ધિથી કમાયેલું ધન જ ટકે છે અને માનવજીવનને સુખ-શાંતિ આપે છે. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સ્વચ્છ હૃદય અને સંગીન પુરુષાર્થ જ જોઈએ.
– દેવેન્દ્ર પટેલ
Comments are closed.