રશિયામાં પ્રેસિડેન્ટ પુતિનની સિક્રેટ ફેમિલી લાઈફ વિશે લખી શકાતું નથી

અરવિંદ કેજરીવાલ એક કોયડો છે. એ ‘આમઆદમી’નો પ્રતિનિધિ છે એમાં કોઈ શક નથી, પરંતુ એમના વ્યક્તિત્વની ભીતર અરાજકતા અને એમના ‘વ્યવસ્થા પરિવર્તન’ના નારાની ભીતર ‘અંધાધૂંધી’નો ખતરનાક આઈડિયા છૂપાયેલો હોય એવું લાગે છે. નરેન્દ્ર મોદી સામે કે મુકેશ અંબાણી સામે બોલવાની હિંમત ધરાવનાર અરવિંદ કેજરીવાલ કોઈ પોલિટિકલ પાર્ટીના નેતાના બદલે ‘ટોળાંશાહી’ નેતા લાગે છે.

અખબારોની હેડલાઈન્સ હિટલર નક્કી કરતો હતો

મીડિયાવાળાને જેલમાં

તાજેતરમાં તેમણે મીડિયાવાળાઓ પર આક્ષેપ કર્યા અને તેમની વિરુદ્ધ લખનાર કે બોલનાર મીડિયાવાળાઓને જેલ ભેગા કરવાની ધમકી આપી. અરવિંદ કેજરીવાલ એમ જરૃર કરે જો તેમની સરકાર આવે તો. અરવિંદ કેજરીવાલ આવી રહેલી ચૂંટણીના ૭૦ એમ.એમ. થ્રિલરમાં ‘એક્સ્ટ્રા’ કલાકાર જેવા લાગે છે. એક વાત તો ચોક્કસ છે કે, કોંગ્રેસ કરતાં તેઓ વધુ અસરકારક પ્રવચન કરી શકે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં મીડિયાએ તેમની નોંધ પણ લેવી પડે છે. તેઓ જે કાંઈ કરે છે કે બોલે છે તે ન્યૂઝ ચેનલોના કેમેરાઝને નજરમાં રાખીને બોલે છે અથવા કરે છે. એ વાત પણ નોંધવી જોઈએ કે મીડિયા જ્યાં સુધી તેમની પ્રશંસા કરતું હતું ત્યાં સુધી મીડિયા તેમને ગમતું હતું. હવે દિલ્હીમાં તેમના બંગલાનો વિવાદ, બે પોલીસવાળાની બદલી કરાવવા તેમણે કરેલા ધરણાંનો વિવાદ કે તેમના એક પૂર્વ કાનૂનમંત્રીના વિવાદ પર કોઈ વિશ્લેષણ કરે છે તો તેઓ સહન કરી શકતા નથી. મુંબઈમાં પરવાનગી લીધા વિના રોડ શો કરી ટ્રાફિકજામ કરાવી દે છે અને હજારો લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે. તેમની ટીકા કરનાર મીડિયાવાળાને જેલમાં મોકલી દેવાની તેમની વાત ફાસીવાદ, સરમુખત્યારવાદ અથવા રશિયાના સામ્યવાદી શાસનની યાદ અપાવે છે.

મીડિયાના જ ‘હીરો’

કોઈપણ દેશની રાજનીતિમાં કે વ્યવસ્થા પરિવર્તનમાં પ્રચાર માધ્યમોનો ઘણો મોટો ફાળો હોય છે. હવે બધા જ પક્ષો તેનો ઉપયોગ કરે છે. અણ્ણા હઝારેની રેલીઓ સફળ બનાવવામાં પ્રચાર માધ્યમોનોજ મોટો ફાળો હતો. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને આમઆદમી બનાવવામાં પ્રચાર માધ્યમોનો જ મોટો ફાળો હતો. નરેન્દ્ર મોદીને લોકપ્રિય બનાવવામાં પણ પ્રચાર માધ્યમોનો જ મોટો ફાળો છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન પણ આ વાત બરાબર જાણે છે. રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના જીવનનું મોટામાં મોટું સિક્રેટ એ છે કે, તેમનાં અધિકૃત પત્ની લુડમિલા ક્યાં છે તેની કોઈને ખબર નથી અને કોઈને ખબર છે તો તે લખવાની કે છાપવાની રશિયામાં કોઈ હિંમત કરી શકતું નથી. ૨૦૦૮માં ‘મોસ્કોવ્સ્કી કોરસપોન્ડેન્ટ’ નામના અખબારના એક પત્રકારે પ્રેસિડેન્ટ પુતિનના સિક્રેટ ફેમિલી લાઈફ વિશે લખ્યું કે, પ્રેસિડેન્ટ પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા હતા.” આ સમાચાર અપાયા તેના બીજા જ દિવસે એ અખબાર બંધ થઈ ગયું. રશિયામાં તેમના નેતાની ફેમિલી લાઈફ એ ‘સ્ટેટ સિક્રેટ’ ગણાય છે. રશિયાનાં અખબારોને એ વિષય પર લખવાના કોઈ જ અધિકાર નથી.

સરમુખત્યારોના રાજમાં

લોકશાહી હોય કે તાનાશાહી, પરંતુ એનો નેતાઓ પ્રચાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. સરમુખત્યારો પ્રચાર માધ્યમોને કાબૂમાં રાખવા પ્રયાસ કરે છે. કેટલીકવાર જૂઠનો પણ ભયંકર પ્રચાર કરવામાં આવે છે. હિટલરનો પ્રચાર મંત્રી ગોબેલ્સ આવા જુઠ્ઠાણાં માટે જાણીતો હતો. એ કહેતો હતો કે, “છ વાર જુઠ્ઠું બોલો એટલે તે પણ સત્ય બની જાય છે. જૂઠને પણ બહુ સંભાળી સમારીને મૂકવું પડે છે અને તે માટે વર્તમાનપત્રો પર કબજો જરૃરી છે.” હિટલરના શાસનમાં પ્રચાર માધ્યમો પર તેણે કબજો કેવી રીતે કર્યો તેનું વિસ્તૃત વર્ણન ચંદ્રકાંત બક્ષીએ ‘તવારીખ’માં કરેલું છે, જે આ પ્રમાણે છે :

૧૯૨૦માં બદામી ખમીસો પહેરેલા થોડા માથા ફરેલા ઝનૂની માણસોએ જર્મનીમાં એમનું પ્રથમ છાપું કાઢયું. એ લોકો ‘નેશનલ શોઝીઆલિસ્ટીશ્ય ડોઈશ આર્બાઈટરપાર્ટાઈ’ નામનો પક્ષ ચલાવતા હતા. દુનિયા આ પક્ષને નાઝી અથવા નાત્સી નામથી ઓળખે છે. નાઝીઓના છાપાનું નામ ‘પીપલ્સ ઓબ્ઝર્વર’ હતું. મ્યુનિકથી પંદર દિવસે એકવાર નીકળતું હતું. એના ૭૦૦૦ ગ્રાહકો હતા અને એક પૈસો પણ કમાતું ન હતું. એના પ્રકાશકનું નામ હતું એડોલ્ફ હિટલર, જેને જર્મનીમાં ત્યારે ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. એ છાપાંના પ્રથમ પાના પર એક વાક્ય લખેલું હતું : “જર્મનીના નેશનલ સોશ્યાલિસ્ટ આંદોલનનું લડાયક મુખપત્ર.”

મીડિયા પર લગામ

હિટલર સત્તા પર આવ્યો એના ૧૩ વર્ષ પહેલાંની આ વાત. તેણે વાવેલું આ બીજ વધીને નગ્ન પ્રચાર માટે વિશ્વનું સૌથી ભયાનક વિષવૃક્ષ બની ગયું. ૧૯૩૩માં હિટલરે સત્તા સંભાળી તેના ત્રણ જ વર્ષમાં નાઝી પક્ષે જર્મન સમાચાર સૂત્રોના બે તૃતીયાંશ પર કબજો જમાવી લીધો હતો. બાકીનાં પત્રો પર લગામ લગાવી દીધી હતી. સરકારી રજા વિના એક પણ અક્ષર છપાતાં ન હતાં. જર્મન સમાચાર પત્રો કોઈ એક હિટલરની રાહ જોઈ રહ્યા હતા. જર્મનીમાં એ સમયે ઘણાં બધાં વર્તમાનપત્રો હતાં. જેમાંથી મોભાનાં પત્રો બહુ ઓછા હતાં. ઘણાં ખરાં રાજનીતિક દૃષ્ટિએ જાગૃત ન હતાં અને ૧૯૨૨માં દમનનીતિ શરૃ થઈ ચૂકી હતી. રાજનૈતિક છાપાંને અનુશાસનનું મહત્ત્વ બહુ સ્પષ્ટતાથી સમજાવી દેવામાં આવ્યું હતું. હિટલર છાપાંઓની કમજોરીઓ સમજી ગયો હતો. હિટલરનો સમાચારપત્રોનો ‘બોસ’ મેક્સ એમાન નામનો એક ઠીંગણો, જડ, ર્ગિવષ્ઠ માણસ હતો. જે પ્રથમ વિશ્વયુદ્ધમાં એની કંપની સાર્જન્ટ હતો. હિટલર એની પ્લેટુનમાં કોર્પોરોલ હતો. નાઝી પક્ષ સત્તારૃઢ થયો એ પહેલાં એણે ૫૯ દૈનિક કબજે કરી લીધાં હતાં. નાઝીઓને ખુશ કરવા માટે કેટલાક અપક્ષ પત્રો નાઝી પ્રચાર મફત છાપતાં હતાં અને યહૂદીઓની જાહેરાતો છાપતાં ન હતાં. વિજ્ઞાપકો નાઝીઓથી ડરીને નાઝી છાપાંઓમાં જાહેરખબરો આપતા રહ્યા કે જેથી નાઝીઓ એમને હેરાન ન કરે. આને માટે જર્મન પ્રજા પણ જવાબદાર હતી. એમણે હિટલરના વિરોધી, પ્રામાણિક છાપાંઓને મદદ કરી નહીં. ‘હેન્નો વરશ્ચર કુરિયર’ નામના પત્રે ૧૯૩૨મા નાઝીઓના ચૂંટણી વિજયને ‘મૂર્ખતાના વિજય’ કહ્યા પ્રમાણે પંદર દિવસનું એનું ૨૦ ટકા વેચાણ ઘટી ગયું હતું.

હિટલર ચાન્સેલર થયા પછી મેક્સે એનો જુલમ બાકાયદા શરૃ કર્યો. ૧૯૩૩માં કોમ્યુનિસ્ટ અને સોશ્યલ ડેમોક્રેટિક છાપાં જેમની સંખ્યા ૧૫૦ હતી- એકાએક બંધ થઈ ગયાં. બંધ કરવાની ફરજ પાડવામાં આવી. એ જ વર્ષે એક કાનૂન પસાર કરવામાં આવ્યો કે નેશનલ સોશ્યાલિઝમને એક સૂત્ર સમજીને છાપાંઓએ સમાચાર છાપવા. મેક્સે ફરમાન બહાર પાડયું કે, તંત્રીએ અને યહૂદી ન હોવું જોઈએ. જર્મનીના કેથલિક ધર્મનાં પત્રો સામયિકોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યાં. આ બધા કાયદાઓને લીધે જર્મનીનાં લગભગ ૧૫૦૦ દૈનિકો-માસિકો- સામયિકો બંધ પડયાં.

હિટલરનો હુકમ

બચેલાં છાપાં સહકારી ‘હીઝ માસ્ટર્સ વોઈસ’થી પણ બદતર બની ગયાં. ખુદ હિટલરે શિકાયત કરી, “રોજ સવારે ૧૫ છાપાંઓમાં એકની એક જ મેટર વાંચીને મને પણ મજા આવતી નથી.” છાપાંઓના તંત્રીઓને પણ આ બધું છાપવાની મજા આવતી ન હતી,પણ સરકારના માહિતી તથા પ્રચાર ખાતાં તરફથી દિવસમાં બેવાર દરેક છાપાંને એક પરિપત્ર મોકલવામાં આવતો, જેમાં હેડલાઈન શં રાખવી એ વિશે પણ સમગ્ર સૂચના રહેતી અને રુઝવેલ્ટ (અમેરિકાના તત્કાલીન પ્રમુખ) માટે કયાં વિશેષણો વાપરવા એનું પણ માર્ગદર્શન રહેતું. વિશેષણો સામાન્ય રીતે આ પ્રકારનાં રહેતાં : ગુન્ડો, ગુનેગાર, પાગલ ! સરકારી વિભાગો તરફથી છાપાંઓને નિયમિત પરિપત્રો મોકલાતા જેમાં સૂચન રહેતું કે, આ મેટર પહેલા પાનાં પર લેવી !

પ્રચાર એક બહુ મોટો ઉદ્યોગ બની ગયો. નાઝી પક્ષની પ્રકાશન સંસ્થા પર કોઈ કર લેવામાં આવતો ન હતો. લાખો માર્કની કમાણી નાઝી યુદ્ધકોશમાં જીતી, પણ યુદ્ધમાં નાઝીઓ હારતા ગયા અને નાઝીઓના ૨૫૦૦ છાપાં-સામયિકોમાંથી માત્ર ૫૦૦ જ રહ્યાં,જેમાંનાં કેટલાક માત્ર એક જ પાનું છાપતાં હતાં. ૧૭ એપ્રિલ, ૧૯૪૫ને દિવસે ‘પીપલ્સ ઓબ્ઝર્વર’ હિટલરનો અંતિમ મિલિટરી ઓર્ડર છાપ્યો. રશિયનો ર્બિલન પર માર્ચ કરી રહ્યાં છે અને તમારે મર્દાઈથી સામનો કરવાનો છે ! અને બીજે દિવસે હિટલરનો અને તેના મુખપત્રનો અંત આવ્યો. મીડિયાપર લગામ નાખવા માગતા અરવિંદ કેજરીવાલ આમાંથી શીખે.