ચૂંટણીઓ હવામાં ઘૂમરાઈ રહી છે. દેશનાં મોટાં મોટાં શહેરોમાં અત્યારથી જ હોર્ડિંગ્સ લાગી રહ્યાં છે. મોટી મોટી પ્રચાર સભાઓ યોજાઈ રહી છે. વડાપ્રધાનપદના સંભવિત ઉમેદવારો દેશભરમાં ફરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ પ્રચાર અને પ્રહારનો મારો થઈ રહ્યો છે. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં નોંધપાત્ર વાત એ છે કે આવનારી લોકસભાની ચૂંટણી માટે જેઓ રાજનીતિમાં નથી, પરંતુ બીજી રીતે જાણીતી પ્રતિભાઓ છે તેમની પણ ખોજ થઈ રહી છે. વિવિધ રાજકીય પક્ષો આવી વ્યક્તિઓને તેઓ આગામી ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતારવા માગે છે.
નંદન નિલેકણી ઇન્ફર્મેશન ટેક્નોક્રેટ છે. આમ તો તેઓ પહેલાં ઇન્ફોસિસ સાથે સંકળાયેલા હતા. તે પછી તેમને ‘આધાર કાર્ડ’બનાવવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી તેમને બેંગલુરુમાંથી ચૂંટણી લડાવવા માગે છે. વી.કે. સિંહ ભારતીય લશ્કરના નિવૃત્ત વડા છે. તાજેતરમાં જ તેઓ નરેન્દ્ર મોદી સાથે મંચ પર દેખાયા હતા. એવી જ રીતે કૃષ્ણા પુનિયા એક એથ્લીટ છે. તેમને પણ કોંગ્રેસ ટિકિટ આપવા માગે છે. વિશ્વ ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર રાજ્યવર્ધનસિંહ રાઠૌર પણ ભારતીય લશ્કરમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ૪૩ વર્ષના રાઠૌર કહે છે : “રાજનીતિ મારા જીવનને સંપૂર્ણ બનાવશે.”
રાજનીતિ અને સેલિબ્રિટીઝનો સંબંધ પુરાણો છે. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.જી. રામચન્દ્રન એક જમાનાના મશહૂર તમિલ અભિનેતા હતા. તે પછી તેઓ રાજનીતિમાં આવ્યા હતા. તામિલનાડુનાં હાલનાં મુખ્યમંત્રી જયલલિતા પણ એક જમાનામાં તમિલ અભિનેત્રી હતાં અને એમ.જી. રામચન્દ્રનના આશીર્વાદથી જ રાજનીતિમાં આવ્યાં હતાં. એ જ પ્રમાણે આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવ પણ મશહૂર એકટર હતા. તેઓ રામનો રોલ કરતા હતા. તે પછી રાજનીતિમાં આવ્યા હતા. ચન્દ્રાબાબુ નાયડુ તેમના જમાઈ થાય છે. બોલિવૂડના જાણીતા અભિનેતા સુનીલ દત્ત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી લોકસભામાં ચૂંટાયા હતા. એ સિવાય વિનોદ ખન્ના, ગોવિંદા, ધર્મેન્દ્ર, રાજ બબ્બર, શત્રુઘ્ન સિંહા, કીર્તિ આઝાદ અને મોહંમદ અઝરુદ્દીન જેવી જાણીતી પ્રતિભાઓ પણ રાજનીતિમાં પ્રવેશીને તેનો સ્વાદ ચાખી ચૂક્યાં છે. રાજેશ ખન્નાને કોંગ્રેસે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. ફિલ્મમેકર પ્રકાશ ઝા પણ રામવિલાસ પાસવાનની પાર્ટીમાંથી ટિકિટ લઈને પરાજય પામી ચૂક્યા છે. એ ચૂંટણીમાં હાર્યા બાદ પ્રકાશ ઝા હવે ફરી ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા છે.
ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ભાજપમાંથી ચૂંટાઈને ગુજરાત વિધાન સભામાં પ્રવેશ્યા હતા. તેમના ભાઈ અને ‘મહાભારત’ ટીવી સિરિયલમાં રાવણનો રોલ કરનારા એકટર અરવિંદ ત્રિવેદી પણ ભાજપની ટિકિટ પર ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. રામાયણમાં સીતાનો રોલ કરનાર દીપિકા ચીખલિયા પણ ચૂંટણી લડી ચૂક્યાં છે. ગુજરાતની જાણીતી સંગીતબેલડી મહેશકુમાર અને નરેશકુમાર પણ સફળતાપૂર્વક ચૂંટણી લડી ચૂક્યા છે. આજે બક્ષીપંચની ઠાકોર જ્ઞાતિની બહુમતી વસ્તીવાળા મતવિસ્તારમાંથી વિક્રમ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તો ગુજરાતનો એક પણ નેતા તેમની સામે જીતી શકે નહીં. અલબત્ત,બધા જ કલાકારો ચૂંટણી જીતે છે એવું નથી. ગુજરાતનાં જાણીતાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ ચૂંટણી હારી ગયાં હતાં. ‘સાસ ભી કભી બહૂ’થી નામની ટેલિવિઝન શ્રેણીનાં જાણીતાં અભિનેત્રી સ્મૃતિ ઈરાની ભાજપમાં જોડાયાં છે. તેમને ૨૦૦૪માં દિલ્હીમાંથી ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કપિલ સિબ્બલ સામે હારી ગયાં. ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો વખતે નરેન્દ્ર મોદીની ટીકા કરનાર સ્મૃતિ ઈરાની આજકાલ મોદીનાં પ્રશંસક બની ફરી ટિકિટ લેવા માગે છે. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર વધુ ને વધુ ઉગ્રતાપૂર્વક ચર્ચા કરતાં જણાય છે.
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ગાંધી પરિવારની ખૂબ નિકટ હતા. રાજીવ ગાંધી સાથે તેમને મૈત્રી હતી. અમિતાભ બચ્ચન પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટયૂટ દ્વારા અભિનયની તાલીમ લઈને બહાર આવી સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ કે. અબ્બાસ નામના મશહૂર લેખક અને ફિલ્મમેકરને ભલામણ કરી અમિતાભ બચ્ચનને ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં કામ અપાવ્યું હતું. પાછળથી રાજીવ ગાંધી તેમને કોંગ્રેસ તરફથી ટિકિટ આપી અલાહાબાદ મતક્ષેત્રમાંથી ચૂંટણી લડાવી લોકસભામાં લઈ આવ્યા હતા. પાછળથી અમિતાભના ગાંધી પરિવાર સાથે સંબંધો બગડી ગયા હતા અને બચ્ચન પરિવાર અમરસિંહ સાથેની દોસ્તીના કારણે મુલાયમસિંહની પાર્ટીનો સમર્થક બની ગયો હતો. આજે જયા બચ્ચન મુલાયમસિંહના આશીર્વાદથી રાજ્યસભામાં છે અને તેમને મુલાયમસિંહ સાથે દોસ્તી કરાવનાર અમરસિંહ મુલાયમસિંહની પાર્ટીમાંથી આઉટ થઈ ગયા છે. એ જ રીતે અમિતાભ બચ્ચન સાથે ‘શરાબી’ ફિલ્મમાં રોલ કરનાર અભિનેત્રી જયાપ્રદા પણ અમરસિંહને કારણે રાજનીતિમાં છે. અમિતાભ બચ્ચન પર જેમના અનેક ઉપકાર છે તેવા ગાંધી પરિવારને છેહ દેવાની ઘટના બાદ યુપીએ સરકારે અભિનેત્રી રેખાને રાજ્યસભામાં નિયુક્ત કરી મોટી સોગઠી મારેલી છે.
જેઓ રાજનીતિમાં નહોતા છતાં રાજનીતિમાં આવ્યા હોય તેવું સહુથી મોટું ઉદાહરણ હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ખુદ છે. તેઓ અર્થશાસ્ત્રી છે. તેઓ અગાઉ ભારતની રિઝર્વ બેન્કના ગવર્નર હતા. તેમને રાજનીતિમાં લાવવાનું કામ પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવે કર્યું હતું. ભાજપના યશવંત સિંહા ખુદ એક આઈએએસ ઓફિસર છે અને બ્યુરોક્રસીમાંથી આવેલા છે. ભાજપના જસવંતસિંહ આર્મીમાંથી આવેલા છે. કોંગ્રેસના શશી થરૂર રાજનીતિમાં આવતા પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં ન્યૂ યોર્ક ખાતે મહત્ત્વપૂર્ણ ફરજ બજાવતા હતા. ભાજપનાં મહિલા પ્રવક્તા નિર્મલા સીતારામન રાજકારણમાં આવતા પહેલાં લંડનના એક ઔદ્યૌગિક ગૃહમાં મોટો હોદ્દો ધરાવતાં હતાં. ભાજપના નવજોતસિંહ સિદ્ધુ ક્રિકેટર હતા. આજકાલ રાજનીતિમાં વિદૂષકનો રોલ ભજવે છે.
ફિલ્મ કલાકારોની લોકપ્રિયતાથી લોકોની ભીડ એકત્ર કરી શકાય છે, પરંતુ દરેક વખતે એ માનવ ભીડને મતમાં પરિવર્તિત કરી શકાતી નથી. દા.ત. એકટર ચિરંજીવી આંધ્રમાં ૨૦૦૯ની ચૂંટણી લડયા હતા. તેમની જાહેરસભામાં લાખોની માનવભીડ એકત્ર થતી હતી, પરંતુ આંધ્ર વિધાનસભાની કુલ ૨૯૪ બેઠકોમાંથી તેમની પ્રજારાજ્યમ્ પાર્ટીને માત્ર ૧૮ બેઠકો જ મળી શકી હતી. વળી આવી સેલિબ્રિટીઝ ઘણી વાર વિધાનસભા કે લોકસભા- રાજ્યસભામાં માત્ર શો-પીસ જ બની રહે છે. કેટલાક તો ચર્ચામાં ભાગ્યે જ ભાગ લે છે, કારણ કે વિવિધ રાજકીય પાર્ટીઓ ચૂંટણીઓ દરમિયાન તેમની લોકપ્રિયતા વટાવવા જ તેમને ટિકિટ આપે છે. કેટલાક સભ્યો તો પાર્લમેન્ટમાં દેખાતા જ નથી. કેટલાંક દેખાય છે તો ભાગ્યે જ કોઈ પ્રશ્નો પૂછે છે. કેટલાક પ્રશ્નો પૂછે છે તો ભાગ્યે જ ચર્ચામાં ભાગ લે છે. અલબત્ત, વિવિધ ક્ષેત્રોમાંથી સારા માણસો રાજનીતિમાં આવે તે જરૂરી છે.
Comments are closed.