એનું નામ સ્મિતા.

સ્મિતા બેંગલુરુની એક આઈ.ટી. કંપનીમાં જોબ કરતી હતી. તે કુંવારી હતી અને અત્યંત સુંદર પણ હતી. આઈટી કંપનીનો માલિક સુમન ત્રેહાન અવારનવાર બેંગલુરુના એક મંદિરમાં દર્શન કરવા જતો હતો. તે ર્ધાિમક વિચારવાળો વ્યક્તિ હતો. મંદિરમાં દર્શન કરવા જતી વખતે ઓફિસમાંથી સ્ટાફની એક- બે વ્યક્તિઓને સાથે લઈ જતો હતો. આજે તેની સાથે ધ્વનિ અને સ્મિતા પણ સાથે હતા.

સુમન ત્રેહાને રસ્તામાં એક પેટ્રોલપંપ પર કાર ઊભી રાખી. સાંજના ૬ વાગી ચૂક્યા હતા. પેટ્રોલની ટેંક ફુલ કરાવ્યા બાદ તેણે પેમેેન્ટ કરવા માટે કારના બારીનો કાચ નીચે ઉતાર્યો. એટલામાં જ બે મોટર બાઈક સવારો તેની તરફ ધસી આવ્યા. તેમની પાસે પાંચ લિટરનો એક કેરબો હતો. બાઈકસવાર પૈકી એકે ઝડપથી કેરબામાં ભરેલું પ્રવાહી કારની બારીમાં ફેંક્યું.

સુમન ત્રેહાન કાંપી ઊઠયા. કારમાં તેમની ઉપર તથા અંદર બેઠેલી યુવતીઓ પર તેજાબ ફેંકવામાં આવ્યો હતો. બાઈકસવારો ભાગી ગયા. સુમન ત્રેહાન, ધ્વનિ અને સ્મિતા દાઝી ગયા હતા. તેઓ ચીસો પાડતા કારમાંથી બહાર નીકળી આવ્યા. આ ઘટનાથી પેટ્રોલપંપ પર ધમાલ મચી ગઈ. પોલીસને જાણ કરવામાં આવી. તરત જ પોલીસ આવી ગઈ. પોલીસે ત્રણેય દાઝેલાંઓને હોસ્પિટલમાં દાખલ કરી દીધાં. સૌથી વધુ સુમન ત્રેહાન અને સ્મિતા દાઝી ગયા હતા. ધ્વનિ પાછલી સીટમાં બેઠેલી હોઈ ઓછું દાઝી હતી.

પોલીસે તપાસ શરૂ કરી. પેટ્રોલપંપ પર લગાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કર્યું. પોલીસે સ્મિતાનું, ધ્વનિનું અને સુમન ત્રેહાનનું બયાન લીધું. તેમની વાતચીત પરથી લાગ્યું કે તેજાબ ફેંકવાવાળા બે યુવકો પૈકી એક યુવક સુમન ત્રેહાનની કંપનીમાં જ જોબ કરતો હતો અને તે સ્મિતાનો બોયફ્રેન્ડ કિશોર હોવાનું મનાતું હતું. પોલીસ તપાસમાં માલૂમ પડયું કે, કિશોર સ્મિતાના એકતરફી પ્રેમમાં હતો. એણે અનેેક વાર સ્મિતાને પ્રપોઝ કર્યું હતું પરંતુ સ્મિતાને કિશોર ગમતો નહોતો. સ્મિતાએ કિશોર વિરુદ્ધ બોસને ફરિયાદ કરતાં સુમન ત્રેહાને કિશોરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આ કારણથી બદલો લેવા કિશોરે આ કામ કર્યું હોવાનું લાગતું હતું.

પોલીસે કિશોરને શોધી કાઢયો. કિશોરે કહ્યું, ‘હા, હું સ્મિતાને પ્રેમ કરતો હતો. મારો પ્રેમ એકતરફી હતો પણ મેં તેજાબ ફેંકવાનું કામ કર્યું નથી. હું આજે ય સ્મિતાને પ્રેમ કરું છું. જેને હું ચાહતો હોઉં તેની પર તેજાબ કેવી રીતે ફેંકી શકું ?’

પોેલીસે તપાસ કરી તો ખબર પડી કે જે દિવસે સાંજે તેજાબ ફેંકાયો તે સાજે બેંગલુરુની બીજી એક ફેક્ટરીમાં ફરજ પર હાજર હતો. લાંબી પૂછપરછ કરતાં પોલીસને કિશોર બેકસૂર લાગ્યો. તેની પ્રેમની ભાષામાં પ્રેમ જ હતો. નફરત કે બદલો લેવાની ભાવના નહોતી. પોલીસે કિશોરને ઘેર જવા દીધો.

આ વાતને દિવસો વીત્યા.

એક દિવસે એક બાતમીદાર પોલીસને ખબર આપી કે સુમન ત્રેહાનની કારમાં સુમન ત્રેહાન, સ્મિતા અને ધ્વનિ પર તેજાબ ફેંકવાનું કામ હરદીપ નામના એક શખસે કર્યું છે. સાથે તેનો એક મિત્ર પણ હતો. દારૂના નશામાં હરદીપ કોઈની આગળ તેના કરતૂતો વિશે બોલી ગયો હતો અને અત્યાર સુધી પોલીસના સકંજામાં ના આવવા બદલ ગર્વ અનુભવતો હતો.

બાતમીના આધારે પોલીસ હરદીપના ઘેર પહોંચી ગઈ. પોલીસે હરદીપને પોલીસ સ્ટેશને લઈ આવી. તપાસ કરતાં માલૂમ પડયું કે, હરદીપ બેંગલુરુમાં એક નશામુક્તિ સંસ્થા ચલાવતો હતો. શરૂઆતમાં તો તેણે આનાકાની કરી પરંતુ થર્ડ ડિગ્રીનો અમલ કરતાં હરદીપે કબૂલ કર્યું કે, ‘હા મેં જ મારા મિત્રની મદદથી સુમન ત્રેહાનની કારમાં તેજાબ ફેંકયો હતો.’

‘કારણ?’ પોલીસે પૂછયું.

હરદીપે કહ્યું: ‘મારું નિશાન ના તો સ્મિતા હતી કે ના તો ધ્વનિ.’

‘તો કોણ હતું?’

હરદીપ બોલ્યોઃ ‘મારું નિશાન એક માત્ર સુમન ત્રેહાન હતો.

‘કેમ?’ પોલીસે પૂછયું.

હરદીપ બોલ્યોઃ ‘હું એક નશામુક્તિ કેન્દ્ર ચલાવું છું. એક દિવસે એક યુવતી મારા કેન્દ્ર પર આવી. તેની ફરિયાદ હતી કે તેનો પતિ શરાબની લતે ચડી ગયો છે એ એના પતિને શરાબમાંની લતમાંથી છોડાવવા માગતી હતી. એ મારી મદદ ચાહતી હતી. એ છોકરી અત્યંત ખૂબસૂરત હતી.’

‘કોણ હતી એ?’ પોલીસે પૂછયું.

હરદીપે કહ્યું: ‘ધ્વનિ.’

‘ઓહ !’ પોલીસે પૂછયું: ‘પછી શું થયું ?’

હરદીપ બોલ્યોઃ ‘ધ્વનિ પરિણીત હતી પણ અત્યંત સુંદર હોઈ મને ગમી ગઈ હતી. તે મારી દિલમાં ઊતરી ગઈ હતી. મેં એના શરાબી પતિને મારા નશામુક્તિ કેન્દ્રમાં ભરતી કરી દીધો. એ બહાને ધ્વનિના ઘેર મેં આવવા- જવાનું શરૂ કર્યું. ધ્વનિને આમેય તેનો દારૂડિયો પતિ ગમતો ન હોતો. હું તેની તરફ આકર્ષાયો હતો અને તે પણ મારી તરફ આકર્ષાઈ હતી. અમે એકબીજાને મળવા લાગ્યા હતા.!’

‘તો પછી એની કારમાં તેજાબ કેમ ફેંક્યો?’ પોલીસે પૂછયું.

હરદીપે કહ્યું: ‘મારો ધ્વનિ તરફનો લગાવ વધી ગયો હતો. તે મને રોજ ના મળે તો હું બેચેન થઈ જતો. તેની પર મને માલિકીપણાનો ભાવ થયો હતો. તે મને ના મળે તો મને તેની પર શક થઈ જતો. હું ખાનગીમાં તેની હલનચલન પર નજર રાખતો હતો. ધ્વનિ મોડે સુધી સુમન ત્રેહાનની ઓફિસમાં કામ કરતી હતી મને શંકા હતી કે ધ્વનિ એટલી બધી ખૂબસૂરત છે કે શાયદ તેનો બોસ સુમન ત્રેહાન જ તેની સાથે સંબંધ ધરાવતો હશે.’

‘તે પછી શું થયું?’ પોલીસે પૂછયું.

હરદીપે કહ્યું: ‘એક દિવસ મેં ધ્વનિને સાંજના સમયે એક ચોક્કસ સ્થળે બોલાવી. તેણે આવવાની હા પાડી હતી પણ તે ના આવી. મેં ધ્વનિને ફોન કર્યો તો તેનો ફોન સ્વિચ ઓફ મળ્યો. મારી શંકા મજબૂત બની. હું ધ્વનિની ઓફિસે ગયો. પટાવાળાએ કહ્યું કે ધ્વનિ અને સ્મિતાને લઈ બોસ મંદિરે દર્શન કરવા ગયા છે બસ, મારા મગજ પરનો કાબૂ ગયો. મેં મારા એક મિત્રને કહ્યું: ‘તેજાબનો કેરબો લઈને આવી જા.’ તે નજીકમાં જ રહેતો હતો. તે તેજાબનો કેરબો લઈને સુમન ત્રેહાનની ઓફિસની બહાર આવી ગયો. અમે મંદિરના માર્ગે રવાના થયા. ગમે તે કારણસર એ દિવસે સુમન ત્રેહાન મંદિર પહોંચે તે પહેલાં રસ્તામાં એક ગ્રાહકની ઓફિસે અડધો કલાક રોકાયો હતો. એ દરમિયાન સ્મિતા અને ધ્વનિ કારમાં જ બેસી રહ્યા હતા. મેં દૂરથી રસ્તામાં સુમન ત્રેહાનની કારમાં એ બે જણને જોયા. કેટલીક વાર બાદ સુમન ત્રેહાન કોઈની ઓફિસમાંથી બહાર આવી તેની કારમાં ગોઠવાયો.મેં અને મારા મિત્રએ તેની કારનો પીછો કર્યો. સુમન ત્રેહાન રસ્તામાં કારમાં પેટ્રોલ ભરાવવા એક પેટ્રોલ પંપ પર ઊભો રહ્યો મને આ જ મોકો શ્રેષ્ઠ લાગ્યો. પેટ્રોલ ભરાવી લીધા બાદ પેમેન્ટ કરવા જેવા તેણે કારની બારીનો કાચ ખોલ્યો એટલે મેં ધસી જઈને તેની પર તેજાબ ફેંક્યો તેની બાજુમાં સ્મિતા બેઠેલી હતી. પાછળની સીટ પર ધ્વનિ હતી. મારું નિશાન સુમન ત્રેહાન હતું, સ્મિતા કે ધ્વનિ નહીં આજેય મને શંકા છે કે સુમન ત્રેહાન અને ધ્વનિ વચ્ચે ‘કાંઈક’ છે.

પોલીસે હરદીપની ધરપકડ કરી. તેને સાથ આપનાર તેના સાગરીતની પણ ધરપકડ કરી. લંબાણપૂર્વક તપાસ કર્યા બાદ પોલીસને લાગ્યું કે,સુમન ત્રેહાન અને ધ્વનિ વચ્ચે કોઈ અવૈધ સંબંધો નહોતા. એથી ઊલટું સુમન ત્રેહાન એક ર્ધાિમક વૃત્તિવાળો વ્યક્તિ હતો. અને સ્ટાફને મંદિરે દર્શન કરવા લઈ જવાની તેમની ર્ધાિમક લાગણી તેમને ભારે પડી ગઈ.

તેજાબ ફેંકનાર હરદીપ અને તેના સાથી જેલમાં છે. સુમન ત્રેહાને એક આંખ ગુમાવી દીધી છે. સ્મિતા કદરૂપી થઈ ગઈ છે. ધ્વનિ બચી ગઈ છે પરંતુ ભયંકર આઘાતમાં છે.

શંકા કદીક આવું ભયંકર પરિણામ લાવી શકે છે.

– દેવેન્દ્ર પટેલ