વાડોન બનવાના કેટલાક ફાયદા પણ છે. એક ડોન કે જે પાકિસ્તાનમાં છે તેની સુરક્ષા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઈ કરે છે અને બીજો ડોન કે જે દિલ્હીની તિહાડ જેલમાં છે તેની સુરક્ષા ભારત સરકાર કરી રહી છે.

ડોન દાઉદ ઈબ્રાહીમ આમ તો કરાચીના પોશ એવા કિલફટન એરિયાના બંગલોમાં રહે છે પણ ડોન છોટા રાજન પકડાઈ ગયા બાદ આઈએસઆઈ તેને કોઈ સુરક્ષિત સ્થળે લઈ ગઈ છે. પાકિસ્તાનના પ્રધાનને મળવું સરળ છે પરંતુ ડોન દાઉદ ઈબ્રાહીમને મળવું મુશ્કેલ છે કારણ કે તેને પાકિસ્તાન લશ્કરના નિવૃત્ત સૈનિકો ઉપરાંત ઉચ્ચ તાલીમ પામેલા ગાર્ડસના સુરક્ષા ઘેરા હેઠળ સલામત રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન માટે ડોન દાઉદ કોઈ ગુનેગાર નહીં પરંતુ ભારતથી ભાગી ગયેલો એક વીઆઈપી અતિથિ છે. મુંબઈ જેવા શહેરના અંડરવર્લ્ડમાં આજે પણ ડોન દાઉદની હાક છે. મુંબઈમાં ડોન દાઉદની પ્રોપર્ટી ખરીદવા માંગતા પત્રકારને તે પાકિસ્તાનમાં બેઠા બેઠાં ધમકી આપી શકે છે. ખુદ છોટા રાજને કહ્યું છે કે,મુંબઈની પોલીસના કેટલાક અધિકારીઓ આજે પણ દાઉદ ઈબ્રાહીમના પે-રોલ પર છે. આમ પાકિસ્તાન માટે દાઉદ ઈબ્રાહીમ એક એસેટ છે. મુંબઈ જેવા શહેરોમાં બોંબધડાકા કરાવવા માટે પાકિસ્તાન ડોન દાઉદનો ઉપયોગ કરી ચૂક્યું છે.

ડોન છોટા રાજન

ડોન છોટા રાજનને ભારત લાવ્યા બાદ તેને મુંબઈની જેલમાં રાખવાના બદલે દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે પરંતુ તિહાડ જેલમાં તે એક સેલિબ્રિટી હોય તેવી સુરક્ષા ભોગવે છે તે જ્યારે તેના સેલમાંથી બહાર નીકળે છે ત્યારે એક ડઝન પોલીસ ગાર્ડસ તેની આસપાસ ચાલે છે. તે બેઠો બેઠો યોગ કરે છે અને ઊંડા શ્વાસ લઈ શ્વાસ બહાર કાઢે છે ત્યારે પોલીસ કર્મીઓનો શ્વાસ અદ્ધર રહે છે. દિલ્હીની તિહાડ જેલ એશિયાની સૌથી મોટી જેલ છે. આ જેલમાં તેને લાવવામાં આવ્યો ત્યારથી દિલ્હી પોલીસના શ્વાસ અદ્ધર છે. ખુદ છોટા રાજનને પણ ડર છે કે પાકિસ્તાનમાં બેઠેલો ડોન દાઉદ ઈબ્રાહીમ તેને અન્ય કોઈ કેદી મારફતે તિહાડ જેલમાં તો પતાવી નહીં દેને? ભારતની પોલીસને ડોન છોટા રાજનને સુરક્ષિત રાખવો જરૂરી છે કારણ કે તે એક સમયે ડોન દાઉદ ઈબ્રાહીમનો ખાસ માણસ હતો. તે દાઉદ ઇબ્રાહીમ વિષે ઘણી બધી વાતો જાણે પણ છે. અલબત, ભારતની ગુપ્તચર એજન્સીઓ પાસે જે જાણકારી છે તે કરતાં છોટા રાજન વધુ શું જાણે છે તે એક પ્રશ્ન છે. આ કારણથી છોટા રાજન સવારે ર્મોિનગ વોક નીકળે છે ત્યારે એક ડઝન સુરક્ષા ગાર્ડસ તેને એસ્કોર્ટ કરે છે.

બાર ગનમેન

ડોન છોટા રાજનને જે સુરક્ષા આપવામાં આવી છે તેવી સુરક્ષા આજ સુધી કોઈ ગુનેગારને આપવામાં આવી નથી. ડોન છોટા રાજનની સામે ૭૧ જેટલા ગુના નોંધાયેલા છે. આમ છતાં ૧૨ જેટલા બંદૂકધારી પોલીસ ગાર્ડસ તેની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. છોટા રાજન સામે હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર અપરાધોના આરોપો છે. તિહાડ જેલના સૂત્રોના કહેવા પ્રમાણે છોટા રાજન રોજ સવારે વહેલો ઊઠે છે. તે શારીરિક રીતે ફિટ રહેવા કસરત કરે છે તેને ત્રણ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. છોટા રાજનને તિહાડ જેલની જે નં.૨માં પાંચ ફૂટ બાય ૧૦ ફૂટનો સેલમાં રાખવામાં આવ્યો છે તેની સુરક્ષાની જવાબદારી ૧૦ વોર્ડન્સ, એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ અને બે આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટસને સોંપવામાં આવી છે. ખુદ છોટા રાજન તિહાડ જેલ છોડી મુંબઈની જેલમાં જવા માંગતો નથી. તેને મુંબઈની જેલ કરતાં દિલ્હીની તિહાડ જેલ વધુ સુરક્ષિત લાગે છે.

સરપ્રાઈઝ ચેકિંગ

દિલ્હીની તિહાડ જેલમાં બંધ છોટા રાજન શું કરે છે તે જાણવા ઘણાને ઉત્સુકતા છે. જેલ નંબર-૩ના કેટલાક કેદીઓનું માનવું છે કે, છોટા રાજનનો જે જેલમાં રાખવામાં આવ્યો છે તેના ગેટની આસપાસ કોઈનેય ઊભા રહેવા દેવામાં આવતા નથી. અંદરથી કોઈ ફોર વ્હીલર વાહન ઝડપથી બહાર નીકળે તો લોકોને લાગે છે કે તેમાં છોટા રાજન હશે. તિહાડ જેલની બહાર નજીકના રહેતા કેટલાક લોકો તેમના મકાનોની છત પર રહીને છોટા રાજનને જોવા નિષ્ફળ પ્રયાસ કરે પણ છે. એ જ રીતે તિહાડ જેલમાં પ્રવેશતી દરક વ્યક્તિની ઝીણવટપૂર્વક તપાસ કરવા મેઈન ગેટ પર આઈટીબીપી સહિત કેટલાયે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક અમુક અંતરે સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવે છે. જેલની અંદર મોબાઈલ અને સીમ કાર્ડ ઘણી વખત પ્રવેશી જતાં હોય છે તેથી પોલીસને ડર છે કે કોઈ કેદી આવો મોબાઈલ પ્રાપ્ત કરી જેલની અંદરની છોટા રાજનની ગતિવિધિ મોબાઈલ દ્વારા બહાર પણ મોકલી શકે છે. આ કારણથી કેદીઓનું પણ સરપ્રાઈઝ ચેકિંગ થાય છે. એ જ રીતે જેલમાંથી કોઈ વાત કરે તો ફોન ટ્રેક કરવામાં ઉપકરણો પણ દૂરસ્ત કરી દેવામાં આવ્યાં છે. તેના કંટ્રોલ રૂમમાં ૨૪ કલાક કોઈને કોઈ અધિકારીને હાજર રહેવું પડે છે. આ ઉપરાંત જેલની અંદર લગાડેલા સીસીટીવી કેમેરાના કંટ્રોલરૂમમાં પણ ચોવીસે કલાક ટીવી સ્ક્રીન પર નજર રાખવામાં આવે છે. છોટા રાજનને સુરક્ષીત રાખવો જરૂરી છે કારણકે ડોન દાઉદના માણસો ગમે ત્યારે તેની હત્યા કરી શકે છે. ડોન દાઉદ જીવતો રહે તે પાકિસ્તાન માટે જરૂરી છે તો ડોન છોટા રાજન જીવતો રહે તે હિન્દુસ્તાન માટે જરૂરી છે.

ડોનનો બ્રેકફાસ્ટ

૫૫ વર્ષની ઉંમરનો છોટા રાજન બાલીમાંથી પકડાયો ત્યારે ભારતીય એજન્સીઓ સાથે એવી સમજણ થઈ હોવાનું મનાય છે કે તેને ભારતમાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ડોન છોટા રાજને સવારે બ્રેકફાસ્ટમાં વેજીમાઈટ સ્પ્રેડ, બેક્ડ એગ્સ, ચીઝ, બર્ગર અને દૂધ સાથે કોર્નફલેકસ ભાવે છે અને તેને જ બ્રેકફાસ્ટનો આગ્રહ રાખ્યો હતો. વર્ષો સુધી ભારતની બહાર અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં રહેવાના કારણે તેને પાશ્ચાત ભોજનની આદત પડી ગઈ છે. છોટા રાજન લગભગ બે દાયકા ઓસ્ટ્રેલિયા, બેંગકોક, ઇન્ડોનેશિયા અને કેટલાક પશ્ચિમી દેશોમાં રહ્યો છે પરંતુ જેલના સત્તાવાળાઓએ તેને જણાવ્યું હતું કે, જેલમાં આ પ્રકારનો બ્રેકફાસ્ટ આપવો શક્ય નથી. આમ છતાં તેનો મતલબ એ નથી કે તેને બીજી લકઝરીઝ મળતી નથી. તેને ડાયાબિટીસ છે અને કિડનીની તકલીફ છે તેથી તેને તેની પસંદગીની ઈડલી, ઉત્તપમ, દૂધ અને બ્રેડ આપવામાં આવે છે. બીજા કેદીઓને દાળ, રોટલી અને સબજીથી સંતોષ માણવો પડે છો. છોટા રાજનને જેલમાં નરમ ગાદલાવાળો પલંગ અને તેના સેલમાં એક ટીવી પણ આપવામાં આવ્યું છે. બીજા કેદીઓએ ભોંય પર સૂવું પડે છે અને તેમને એક બ્લંકેટ જ આપવામાં આવે છે.

બોલો, છે ને ડોન બનવામાં મજા!