Devendra Patel

Journalist and Author

Date: December 1, 2014

જ્યાં પુરુષોની વોલિબોલ મેચ જોવી યુવતીઓ માટે ગુનો છે

ઘવામી ધોનચેહ” એક ર્પિસયન નામ છે.

તે એક સુશિક્ષિત યુવતી છે. તે કહે છે : “મારો ઉછેર બ્રિટનમાં થયો છે. મારાં માતા-પિતા ઈરાનથી આવેલા છે. મારી પાસે ઈરાન અને બ્રિટન એ બંને દેશોનું નાગરિકત્વ છે. બચપમાં મેં મારાં મમ્મી-પપ્પા પાસેથી ઈરાન વિશે ઘણું બધું સાંભળ્યું હતું. મારા પપ્પા અવારનવાર તેમના દેશ ઈરાનને યાદ કરતા હતા. એ જ વખતે મેં નક્કી કરી લીધું હતું કે, ભણવાનું પૂરું કરીને હું મારા દેશ પાછી જઈશ. લંડન યુનિર્વિસટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ પૂરો કર્યા બાદ હું ઈરાન ગઈ. મને વતન પાછા ફરવાનું બહુ જ ગમ્યું. જૂના રિશ્તેદારોને અને નજીકના સ્વજનોને મળતા એમ લાગ્યું કે, હું મારા ઘરે પાછી ફરી છું. મેં પહેલી જ વાર ઈરાનની આબોહવાને અનુભવી.

પોતાના સ્વજનો વચ્ચે રહેવું અને તેમને મળવું તે એક સુખદ અનુભવ હતો, પરંતુ એ અહેસાસ જલદી ફિક્કો પડવા લાગ્યો. મેં જોયું કે બ્રિટનમાં જે રીતે યુવતીઓને ભણવાની, ફરવાની અને વસ્ત્રો પહેરવાની આઝાદી છે, તેવી આઝાદી ઇરાનની યુવતીઓ માટે નહોતી. લંડનમાં મોડી સાંજ સુધી છોકરીઓ હરીફરી શકે છે. પોતાના પુરુષ મિત્રો સાથે રેસ્ટોરાંમાં જમવા જઈ શકે છે, ફિલ્મો જોવા જઈ શકે છે અથવા તો નાઈટ શિફ્ટમાં કામ કરી શકે છે. તેવું અહીં કાંઈ જ નથી.  ઈરાનમાં આવી આઝાદીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. આશ્ચર્યની વાત તો એ હતી કે, આવી સ્વતંત્રતાને અહીં કોઈ મહત્ત્વ જ આપતું નહોતું. ઈરાનની યુવતીઓ પણ આવા પ્રતિબંધોનો કોઈ વિરોધ કરતી નથી. જાણે કે આ બધી બંદીશોને એમણે પોતાનું કિસ્મત માની લીધું હતું.

આ બધા વાતાવરણમાં પણ હું એક શૈક્ષણિક મિશનમાં જોડાઈ ગઈ. ઈરાન આવતા પહેલાં મેં નક્કી કરી લીધું હતું કે, હું મારા દેશમાં બાળકો માટે કામ કરીશ. મારા અંતરથી એ ઈચ્છા રહી છે કે, ઈરાનનું પ્રત્યેક બાળક સ્કૂલમાં જાય અને છોકરો હોય કે છોકરી એ બંનેને ભણવાનો પૂરો અધિકાર મળે.

એક દિવસ મને કોઈએ કહ્યું કે, તહેરાનના આઝાદી મેદાનમાં વોલિબોલની મેચ યોજાવાની છે. વોલિબોલ મારી પસંદગીની રમત છે. મેં મેચ જોવાનો નિર્ણય કર્યો, પરંતુ મારી એક સહેલીએ કહ્યું : “તું ત્યાં જઈ શકીશ નહીં.”

મેં પૂછયું : “કેમ?”

એણે કહ્યું : “કારણ કે આ પુરુષોની વોલિબોલ મેચ છે અને ઇરાનમાં યુવતીઓ પુરુષોની મેચ જોઈ શકે નહીં.”

આ સાંભળીને મને આશ્ચર્ય અને આઘાતની લાગણી થઈ. મેં વિચાર્યું કે, આ તો ગેમ છે. એ જોવા પર ઇરાનમાં યુવતીઓ પર પ્રતિબંધનું કારણ શું? મેં નક્કી કરી લીધું કે, જે થવાનું હોય તે થાય, પરંતુ હું તો મેચ જોવા જઈશ જ. મારા પરિવારનાં સભ્યોએ મને   મારી જિદ્દ છોડી દેવા સમજાવી. એમને ડર હતો કે, મારી જિદ્દ મારા જીવન પર ક્યાંક ભારે પડી ના જાય ! એમનો ડર વાજબી હતો. આજ સુધી ઈરાનમાં આવા પ્રતિબંધનો કોઈએ વિરોધ કર્યો નહોતો, પણ હું અડગ રહી. મેં કહ્યું : “હું મેચ જોવા જરૂરથી જઈશ.”

શરૂઆતમાં તો બધા મને ના પાડતાં રહ્યા, પરંતુ પાછળથી કેટલીક યુવતીઓ મારી સાથે મેચ જોવા આવવા સંમત થઈ. અમે બધાં ઇરાનની રાજધાની તહેરાનના આઝાદી ઇનડોર સ્ટેડિયમ પહોંચ્યાં. જૂન, ૨૦૧૪ના દિવસોની આ વાત છે. અમે મેચની ટિકિટો ખરીદી લીધી હતી. સ્ટેડિયમના ગેટની બહાર અમને છોકરીઓને ઊભેલી જોઈ પુરુષ પ્રેક્ષકો વિચારમાં પડી ગયા. એ વાત સાચી કે આજ સુધી પુરુષોની રમતોમાં ઇરાનમાં કોઈ મહિલા દર્શકો જોવા મળી નહોતી. બધાં અમને ધારી ધારીને જોઈ રહ્યા હતા. અમે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ગેટ પર પહોંચ્યા, પરંતુ સુરક્ષા કર્મીઓએ અમને રોકી દીધી. તેમણે કહ્યું : “મહિલાઓને અંદર પ્રવેશવાની મનાઈ છે. સ્ત્રીઓને પુરુષોની મેચ જોવાની પરવાનગી નથી.”

અમે જિદ્દ કરી કે અમને અંદર જવા દો, મારી સાથે આવેલી બીજી છોકરીઓ ગભરાઈ ગઈ. એ બધી બોલી : “ચાલો પાછાં જઈએ.”

પણ હું મક્કમ રહી.

ખાસ વાત એ હતી કે, અમે બધી યુવતીઓએ માથા પર સફેદ રંગનો સ્કાર્ફ બાંધી રાખ્યો હતો. ઇરાનમાં નિયમ એવો હતો કે,મહિલાઓએ ગહેરા રંગનો જ સ્કાર્ફ પહેરવો. અમારી નાફરમાનીથી પોલીસ ગુસ્સે થઈ ગઈ. પોલીસે મારી સાથે બદસલૂકી કરી. એક પોલીસ કર્મીએ મને ગાલ પર થપ્પડ મારી. બીજાએ મારા ખભા પર માર માર્યો. એ પછી મારી ધરપકડ કરવામાં આવી. મારો મોબાઈલ ફોન અને મારું પર્સ જપ્ત કરી લીધાં. કેટલાયે કલાકો સુધી મને કોટડીમાં પૂરી રાખવામાં આવી. આ દરમિયાન મારી સાથે આવેલી યુવતીઓએ મારી ગિરફ્તારીનો જબરદસ્ત વિરોધ કર્યો.

મને જામીન પર મુક્ત કરવામાં આવી. આ ઘટના આખા ઇરાનમાં ચર્ચાનો વિષય બની ગઈ, પણ કોઈએ સ્પષ્ટપણે મને સાથ આપ્યો નહીં.

આ ઘટનાના એક અઠવાડિયા બાદ હું મારો સામાન લેવા પોલીસ સ્ટેશને પહોંચી. મેં મારો મોબાઈલ અને પર્સ માગ્યા. હું કંઈ સમજું એ પહેલાં પોલીસે મને ફરીથી ગિરફ્તાર કરી લીધી. મને જેલમાં પૂરી દેવામાં આવી. જેલમાં પણ મને એક દૂરની કોટડીમાં સાવ એકલી જ રાખવામાં આવી. મેં પૂછયું કે, મને ફરીથી શા માટે જેલમાં પૂરી દેવામાં આવી છે ? તો કોઈએ કોઈ જ કારણ આપ્યું નહીં. હું એકાકી બની ગઈ. આવી એકાકી બેેરેકમાં સામાન્ય રીતે ખતરનાક ગુનેગારોને રાખવામાં આવે છે. મને એ વાત હજી સમજાતી નહોતી કે, મેં એવો કયો કુખ્યાત અપરાધ કર્યો છે ?

થોડા દિવસો બાદ એ લોકોએ મારી પર ઇરાનની સરકારની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ મૂક્યો. મને કહેવામાં આવ્યું કે, મારે એક વર્ષ સુધી કેદમાં જ રહેવું પડશે.

એ લોકોને લાગે છે કે, હું સરકારની વિરુદ્ધ વિદ્રોહ કરી રહી છું. એમને લાગે છે કે, હું સરકાર વિરુદ્ધ બગાવત કરી રહી છું. અરે ભાઈ, કોઈ મહિલા વોલિબોલની મેચ જોવા જાય તે શું સરકાર વિરોધી બગાવત છે ? આખરે મહિલાઓ પર આવી બંદીશ શા માટે? આ સવાલ ઉઠાવવાનો મારો હક છે, પરંતુ જેલમાં મારી વાત સાંભળવાવાળું છે જ નહીં. છેવટે વિરોધ કરવા માટે મેં જમવાનું બંધ કરી દીધું. મેં ભૂખ હડતાળ શરૂ કરી, પણ મારી ભૂખ હડતાળની સરકારને શું ચિંતા ? એ બધાં ભેગા થઈ મને શક્તિહીન બનાવવા પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. મને મારા વકીલ સાથે મળવાની પણ છૂટ નથી. એ લોકોને એવી વાતો કરતાં પણ સાંભળ્યા છે કે, હું શાયદ જ આ જેલમાંથી જીવતી બહાર નીકળીશ !

મારા પરિવારના લોકો બહુ ચિંતામાં છે. ઇરાનની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. છેલ્લી સુનાવણી વખતે કોર્ટમાં મારી મમ્મી અને મારા દાદાજી પણ આવ્યા હતા. એમને મળવાની તક મને મળી હતી, પણ એ મુલાકાત માત્ર થોડીક ક્ષણો માટે પણ હતી. મમ્મી મને ગળે લગાવતી વખતે ભાવુક થઈ ગઈ હતી. હું એનું દર્દ સમજી શકું છું. મને જેલમાંથી મુક્ત કરાવવા મારો ભાઈ ખૂબ દોડાદોડ કરે છે. મેં સાંભળ્યું છે કે, સેંકડો લોકોએ મારી મુક્તિ માટે ઓન લાઈન એક અભિયાન છેડયું છે. હું ઉમ્મીદ કરું છું કે, આ ચળવળ ઇરાનની મહિલાઓના જીવનમાં એક નવી દિશા દર્શાવશે.”

એટલી વાત કરી તે ફરીથી જેલમાં જતી રહી.

૨૧મી સદીના ઇરાનમાં પુરુષની વોલિબોલ મેચ જેવી એ સ્ત્રીઓ માટે અપરાધ ગણાય છે. કેવો દેશ ? કેવું શિક્ષણ ? કેવી સંસ્કૃતિ ? કેવો ઉપદેશ?

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

લોભી, લંપટ અને અપરાધી બાબા, બાપુઓ અને સંતો

આખરે બાબા રામપાલ જેલભેગા થયા.

હરિયાણાના હિસ્સાર ખાતે ૧૨ એકરની વિશાળ જમીન પર મોટા મહેલ જેવા આશ્રમમાં છુપાયેલા સંત રામપાલે પોલીસના હાથે પકડાતાં પહેલાં આખાયે પ્રશાસન અને પોલીસ સામે જે રીતે યુદ્ધ આદર્યું તે જોઈને લોકોને કોઈ યુદ્ધ ફિલ્મની યાદ આવી ગઈ. બાબા રામપાલની ધરપકડ પહેલાં હિસારની ભૂમિ પર જે સ્ટંટ ખેલાયો તે કહેવાતા એક સંત માટે તો શરમજનક છે, પરંતુ હરિયાણાની સરકાર માટે વધુ શરમજનક છે.

૩૦ હજાર પોલીસ

હરિયાણાના આ કહેવાતા સંત સામે ખૂનથી માંડીને બીજા અનેક આક્ષેપો છે. એક ઢોંગી માણસને પકડવા માટે અદાલતે ૪૪ વખત આદેશ આપવો પડે એ હરિયાણાની સરકાર માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી બાબત છે. પોલીસે વધુ વિલંબ કર્યો તેથી બાબા રામપાલને પોતાની સુરક્ષાઘેરો વધારવાનો સમય મળ્યો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પોલીસે જ સંત રામપાલને જાણીબૂજીને મોકો આપ્યો. અદાલતના કડક આદેશ બાદ જ હરિયાણાની સરકાર હરકતમાં આવી અને જે ગુનેગાર આસાનીથી પકડી શકાય તેમ હતો તેને પકડવા ૩૦,૦૦૦નું પોલીસ સૈન્ય મેદાનમાં ઉતારવું પડયું. ૩૦૦થી વધુ બસો પોલીસની હેરાફેરી માટે રોકવી પડી. ગોળીબાર અને ટિયરગેસના પ્રયોગો કરવા પડયા. સંત રામપાલને પકડવાનું હરિયાણા સરકારને રૂ. ૩૦ કરોડનું બિલ આવ્યું. હરિયાણા સરકારની મૂર્ખતા અને સંત રામપાલનો ડ્રામા આખા દેશે ટેલિવિઝન પર નિહાળ્યો. નવી રચાયેલી હરિયાણાની સરકાર પહેલા જ ટેસ્ટમાં ધરાર નાપાસ થઈ. ૧૦૦માંથી ઝીરો માર્ક આપવા પડે.

સંત રામપાલ કોણ છે ?

સંત રામપાલ હરિયાણાના ધનાના ગામમાં તા. ૮ સપ્ટેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલો છે. તે ખેડૂતના ઘરે જન્મેલો છે. તેનું મૂળ નામ રામપાલ સિંહ જતીન છે. હરિયાણા સરકારના સિંચાઈ વિભાગમાં તે જુનિયર એન્જિનિયર તરીકે જોડાયો હતો. ૨૦૦૦ની સાલમાં સ્વામી રામદેવાનંદના પરિચયમાં આવ્યા બાદ તેણે સરકારી નોકરી છોડી દીધી હતી. તે પછી એક તબક્કે તેણે પોતાની જાતને સંત કબીરના અવતાર તરીકે જાહેર કરી દીધી હતી. ૧૯૯૯માં હરિયાણામાં તેણે રોહતક પાસે કરોન્થા ગામ ખાતે સતલોક આશ્રમ શરૂ કર્યો હતો. સંત રામપાલ ટેક્નોસેવી અને સોશિયલ મીડિયા સેવી છે. તેની ફેસબુક પેજ પર ૪૦૦૦ લાઈક્સ જોવા મળે છે. બાબા રામપાલનો સત્સંગ વેબ ઉપર ઉપલબ્ધ છે. તેણે બીજા દેવી-દેવતાઓની પૂજા કરવા તેના અનુયાયીઓ પર પ્રતિબંધ મૂકેલો છે.

આર્યસમાજ સાથે સંઘર્ષ

૨૦૦૬ની સાલમાં તેણે આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી વિશે અભદ્ર ટીકાઓ કરી હતી. એ પછી સંત રામપાલના અનુયાયીઓ અને આર્ય સમાજના સભ્યો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ લડાઈના સંદર્ભમાં પોલીસે સંત રામપાલની ધરપકડ કરી હતી. તેની સાથે બીજા ૧૪ જણાને પણ પકડવામાં આવ્યા હતા, પરંતુ તે તમામને જ જામીન મળી ગયા હતા. સંત રામપાલ સામે તા. ૧૯ જૂન,૨૦૦૬, તા. ૨૧ જુલાઈ, ૨૦૦૬, તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૦૯ અને તા. ૧૩ મે, ૨૦૧૩ના રોજ હુમલાઓ કરવાના, હત્યાના તથા સત લોકઆશ્રમમાંથી ગોળીબાર કરી એક મહિલાની હત્યાના એમ અનેક ગુના નોંધાયેલા છે. ૨૦૦૬ની સાલમાં થયેલી હત્યાનો કેસ હિસ્સારની કોર્ટમાં ચાલતો હતો ત્યારે જુલાઈ,૨૦૧૦માં સંત રામપાલના અનુયાયીઓએ કોર્ટમાં પણ હુમલો કર્યો હતો અને સુનાવણીને ખોરવી નાખવા પ્રયાસ કર્યો હતો. ૨૦૦૮માં સંત રામપાલ જામીન પર છૂટયો તે પછી કોર્ટમાં હાજર થયો નહોતો. તેની સામે હવે હત્યા, ગોળીબાર, કોર્ટનો તિરસ્કાર અને રાષ્ટ્રદ્રોહનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સંત રામપાલ અગાઉ ૧૮ મહિના જેલમાં રહી આવ્યો છે.

સમાજનું વિભાજન

સંત રામપાલની પ્રોફાઈલ નેટ પર ઉપલબ્ધ છે. તેની અધિકૃત વેબસાઈટ દ્ધટ્વખ્તટ્વંખ્તેિેટ્વિદ્બૅટ્વઙ્મદ્ધૈ.ર્ખ્તિ છે. તે કેટલાક હિન્દુ દેવી-દેવતાઓના અસ્તિત્વ સામે જ પડકાર ફેંકે છે. તેના અનુયાયી સમક્ષ પ્રવચન કરતી વખતે આક્રમક ભાષા વાપરે છે. તેનો એવો દાવો છે કે, અત્યારે જે ગુરુઓ પ્રવચન કરે છે તે ઘણું બધું સત્ય છૂપાવે છે. સંત રામપાલના અનુયાયીઓ મોટેભાગે મધ્યમ વર્ગમાંથી આવતા અભણ લોકો છેે. તે કાળા રંગનો યુનિફોર્મ પહેરેલા સશસ્ત્ર પ્રાઈવેટ કમાન્ડોઝ પણ રાખે છે. જાતે જ બની બેઠેલો આ સંત-ગોડમેન સમાજને વિભાજિત કરનાર ‘સંત’ કહેવાય છે. તેના અનુયાયીઓને પેટ્રોલ બોમ્બ કે એસિડ બોમ્બ વાપરવા માટે પણ ઉશ્કેરે છે. તેમના આશ્રમમાંથી ૪૦,૦૦૦ લાઠીઓ, એસિડ અને શસ્ત્રો મળ્યા છે.

સમાંતર સરકાર ?

આવા ખતરનાક સંત રામપાલને પકડવા પહેલાં બાબાના અનુયાયીઓ અને લોકતાંત્રિક દેશની પ્રશાસનિક સંસ્થાઓ વચ્ચે જે ખુલ્લો ટકરાવ જોવા મળ્યો તે અપ્રત્યાશિત અને વરવો જ હતો. ગયા વર્ષે આસારામ બાપુની ધરપકડ વખતે પણ આવો જ ખેલ થયો હતો. આસારામ બાપુ, સંત રામપાલ, નારાયણ સાંઈ કે સ્વામી નિત્યાનંદ જેવા લોકો પોતાને આધ્યાત્મિક ગુરુ કહેવડાવે છે,પણ તેમનું અને તેમના અનુયાયીઓનું આચરણ ધર્મ કે અધ્યાત્મને અનુરૂપ નથી. બાબાઓ, બાપુઓ અને કેટલાક સંતો હત્યાઓ,બળાત્કાર અને જમીનો કબજે કરવાના આક્ષેપો ધરાવે છે. ધર્મના નામે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં આવા લોકો હિંદુ ધર્મને કલંક લગાડી રહ્યા છે. ધર્મના નામે ભોળી પ્રજાને છેતરી રહ્યા છે. ર્ધાિમક સંસ્થાનો પાસે બેસુમાર સંપત્તિ અને હવે પ્રાઈવેટ આર્મી પણ છે તેઓ ભારતીય કાનૂનને માનતા નથી. તેઓ ઝડપથી પકડાતા નથી. તેનું એક કારણ આવા ઢોંગી, ધૂતારા અને ગુનેગાર બાબાઓને રાજનેતાઓનું પણ રક્ષણ હોય છે. રાજકારણીઓને આવા ખતરનાક બાબા-સંતોમાં વોટબેંક દેખાય છે, પરંતુ ‘અપરાધ’ દેખાતો નથી. હવે એ જરૂરી છે કે, દેશના તમામ ધર્મોના સંસ્થાનો, ગુરુઓ, ગાદીપતિઓ અને તેમની સંપત્તિને કાનૂનના દાયરામાં લાવી તેઓ ગુનેગાર જણાય તો કડક હાથે કામ લેવું જોઈએ. ધર્મના નામે જાહેર રાજમાર્ગો પર સરઘસો કાઢી ટ્રાફિક જામ કરનારા, મોટાં લાઉડ સ્પીકરો વગાડી અવાજનું પ્રદૂષણ કરનારા, જમીનો હડપનારા, હત્યાઓ કરનારા અને આશ્રમોમાંથી ગોળીઓ ચલાવનારાઓને ભારતીય ગણતંત્રમાં સમાંતર સરકાર ચલાવવાનો કોઈ હક નથી.

એમને પાઠ ભણાવવો.

ઢોંગી સંત રામપાલને પકડવામાં વિલંબ કરનાર પ્રશાસન પણ નબળું સાબિત થયું

ક્લિયોપેટ્રા : જેણે જુલિયસ સિઝર અને માર્ક એન્ટનીને બરબાદ કર્યા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

ઈસુના જન્મનાં અડતાલીસ વર્ષ પહેલાંની વાત છે. મિસર એટલે કે આજના ઇજિપ્તના રાજા એવિલ્ટીઝનો દેહાંત થયો. સિંહાસન પ્રાપ્ત કરવા માટે બે સગાં ભાઈ-બહેન વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. ભાઈ તેર જ વર્ષનો હતો. તેનું નામ ટોલોમી. બહેન વીસ વર્ષની હતી,તેનું નામ ક્લિયોપેટ્રા.

મિસરના દરબારીઓ એક સ્ત્રીના હાથમાં સત્તાનું સુકાન સોંપવાના પક્ષમાં નહોતા, એટલે ક્લિયોપેટ્રા રાણી બની ન શકી, પરંતુ તે હાર સ્વીકારવા તૈયાર નહોતી. ક્લિયોપેટ્રા બેહદ સુંદર હતી. દરબારીઓએ તેર વર્ષના ટોલોમીને રાજા ઘોષિત કરી દઈ ક્લિયોપેટ્રાને દેશનિકાલ કરી દીધી. તે સીરિયા ચાલી ગઈ. ત્યાં પણ તે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવાની તરકીબો શોધતી રહી. તેણે વફાદાર સૈનિકોની એક ફોજ પણ બનાવી લીધી. અલબત્ત, એક સમય એવો આવ્યો કે તેણે મિસરના શાસક બનવા ફોજનો ઉપયોગ કરવો જ પડયો. એને પોતાના સૌંદર્યનો ઉપયોગ કરવાની તક મળી ગઈ.

વાત એમ બની કે રોમન સામ્રાજ્યનો મહાન શાસક જુલિયસ સિઝર એક પછી એક રાજ્યોને જીતતો મિસર પહોંચ્યો. એ વખતે મિસરની રાજધાની એલેક્ઝાંડ્રિયા હતી. જુલિયસ સિઝરના સૈન્યની તાકાત જોઈને મિસરના યુવાન રાજા ટોલોમીએ તેની સામે હથિયાર ઉઠાવવાને બદલે સિઝરનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા ટોલોમી ખુદ સિઝરના સ્વાગત માટે નગરના દ્વારે ગયો. મહેલને સજાવવામાં આવ્યો. સિઝરને તેના ભવ્ય મહેલમાં ઉતારો આપવામાં આવ્યો. ભાતભાતનો શરાબ પીરસવામાં આવ્યો. કેટલાયે દિવસો સુધી આનંદપ્રમોદ ચાલ્યો.

એક રાત્રે જુલિયસ તેના ખંડમાં અંગત સાથીઓ સાથે ચર્ચા કરતો હતો ત્યારે નજીકની નહેરમાં એક નાનકડા તરાપામાં બેઠેલો એક કદાવર માણસ કાર્પેટમાં વીંટાળેલી કોઈ ચીજ સાથે જુલિયસ સિઝર સમક્ષ ઉપસ્થિત થયો. એણે કહ્યું, “મારી કાર્પેટમાં જે ચીજ છે તે માત્ર સિઝરની આંખો માટે છે.”

સિઝરે તેમના સેનાપતિ અને બીજા સાથીઓને રવાના કર્યા. કદાવર માણસે ફર્સ પર કાર્પેટ મૂકી. કાર્પેટને રગડાવી તો તેમાંથી એક અત્યંત નાજુક સ્ત્રી બહાર આવી. એ સ્ત્રીના સૌંદર્યને જોઈ સિઝર સ્તબ્ધ થઈ ગયો. કદાવર વ્યક્તિએ કહ્યું, “શહેનશાહ! આ નજરાણું આપના માટે છે.”

સિઝેર પૂછયું, “આ સ્ત્રી કોણ છે?”

એણે કહ્યું, “ક્લિયોપેટ્રા. મિસરના રાજા ટોલોમીની બહેન.”

સિઝર ક્લિયોપેટ્રાના સૌંદર્ય પર મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ક્લિયોપેટ્રા ચાલાક પણ હતી. એણે વાક્ચાતુર્યથી સિઝરનું મન જીતી લીધું. સિઝરને એણે બધી જ રીતે જીતી લીધો. થોડાક જ દિવસોમાં એણે તેનો ભાઈ ટોલોમી તેની હત્યા કરવા માગે છે તેવો આરોપ મૂકી સિઝર દ્વારા ક્લિયોપેટ્રાએ સગા ભાઈ ટોલોમીની હત્યા કરી દેવડાવી. સિઝરે ક્લિયોપેટ્રાને મિસરના સિંહાસન પર બેસાડી દીધી.

અલબત્ત, ક્લિયોપેટ્રાની મહત્ત્વાકાંક્ષા મિસરના શાસક બનવા પૂરતી સીમિત નહોતી. તે આખા સંસારની સમ્રાજ્ઞાી બનવા માગતી હતી. ધીમે ધીમે એણે સિઝરને પૂરેપૂરો વશ કરી લીધો. જુલિયસ સિઝરની વય એ વખતે પચાસ વર્ષની હતી, જ્યારે તે પોતે માત્ર વીસ વર્ષની હતી. છતાંયે એણે સિઝરના બાળકની મા બનવાની યોજના અમલમાં મૂકી. સિઝર તો એના સૌંદર્યથી પ્રભાવિત હતો જ. ક્લિયોપેટ્રા સિઝરથી ગર્ભવતી બની. બીજી બાજુ ક્લિયોપેટ્રા અને સિઝરના પ્રેમની ચર્ચાઓ હવે છેક રોમ સુધી પહોંચી. સિઝર આમેય પરિણીત હતો. રોમમાં તેને એક પુત્ર પણ હતો. રોમને પોતાની સેનેટ હતી. જુલિયસ સિઝર ભલે શાસક હતો, પરંતુ સેનેટનો પણ તેની પર અંકુશ હતો. વિશ્વવિજય કરવા નીકળેલો જુલિયસ સિઝર એક સ્ત્રીના સૌંદર્યનો દીવાનો બનીને વિશાળ સૈન્ય સાથે મિસરમાં પડયો રહે તે વાત કેટલાક સેનેટરોને ન ગમી.

આ પરિસ્થિતિમાં ક્લિયોપેટ્રાએ સિઝરને સમજાવી એશિયા માઇનોરના પાંટ્સ નામના રાજ્ય પર આક્રમણ કરાવ્યું. એ રાજ્ય જીતી લીધા બાદ સિઝરે એ પ્રાંત ક્લિયોપેટ્રાને ભેટ આપી દીધું અને મિસરની સીમા વધારી આપી.

ક્લિયોપેટ્રાએ રોમ જવાની ઇચ્છા વ્યક્ત કરી. સિઝરે હા પાડી, પરંતુ ક્લિયોપેટ્રાએ ચાલ ચાલી. તે બોલી, “હું એક દિવસ રોમ તો આવીશ, પરંતુ સિઝરની પ્રેયસી તરીકે નહીં, હું મહારાણી તરીકે જ આવવા માગું છું.”

સિઝરે ક્લિયોપેટ્રાને પત્ની અને સામ્રાજ્ઞાીનો દરજ્જો આપ્યો. ક્લિયોપેટ્રાએ કહ્યું, “આખા વિશ્વનું સામ્રાજ્ય એક છત્ર નીચે હશે. પૂર્વની રાજધાની એલેક્ઝાંડ્રિયામાં અને પશ્ચિમની રાજધાની રોમમાં.”

સિઝરે ક્લિયોપેટ્રાને વિશ્વની સમ્રાજ્ઞાી બનાવવાનું વચન આપ્યું.

એ પછી ક્લિયોપેટ્રા તેની યોજના મુજબ સિઝરના બાળકની માતા પણ બની. ક્લિયોપેટ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. આ વાત રોમ સુધી પહોંચી. લાંબો સમય મિસરમાં રહ્યા બાદ સિઝર તેનું સૈન્ય લઈ રોમ પાછો ફર્યો. રોમના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું, પરંતુ કેટલાક સેનેટરો મિસરની રાણી ક્લિયોપેટ્રા સાથે તેના સંબંધથી અને ક્લિયોપેટ્રાના સિઝરથી થયેલા પુત્રની ઘટનાથી ખુશ નહોતા.

કેટલોક સમય વીત્યા બાદ જુલિયસ સિઝરે રાણી ક્લિયોપેટ્રાને પોતાનાથી થયેલા પુત્ર સાથે રોમ આવવા નિમંત્રણ આપ્યું. ક્લિયોપેટ્રા તેના પુત્ર સાથે રોમ આવી ત્યારે આ બેહદ સુંદર રાણીને જોવા રાજમાર્ગો પર આખું રોમ ઊમટી પડયું. ભવ્ય સ્વાગત વખતે સિઝરની પત્ની અને રોમના સેનેટરો પણ હાજર રહ્યાં. સિઝરે એ જ વખતે જાહેર કર્યું કે, “હવે ક્લિયોપેટ્રા જ રોમની મહારાણી છે.”

સિઝરે ક્લિયોપેટ્રા માટે રોમમાં જ એક અલગ ભવ્ય મહેલ બંધાવી આપ્યો. લોકોને લાગ્યું કે સિઝર હવે રોમમાંથી પ્રજાતંત્રની સમાપ્તિ કરી દેવા માગે છે. એક વિદેશી રાણીને સમ્રાજ્ઞાીનો દરજ્જો આપવાથી કેટલાક સેનેટરો સખત નારાજ હતા. એ વખતે માર્ક એન્ટની સિઝરનો વફાદાર સેનાપતિ હતો, જ્યારે બ્રુટ્સ તેનો વફાદાર સાથી અને મિત્ર સેનેટર હતો. કેટલાક સેનેટરોને લાગ્યું કે, સિઝરને જીવતો રાખીશું તો તે કાયમ માટે સરમુખત્યાર બની જશે અને ભવિષ્યમાં ક્લિયોપેટ્રાનો પુત્ર જ રોમનો શાસક હશે. એ સેનેટરોએ સિઝરના વફાદાર સાથી બ્રુટ્સને વિશ્વાસમાં લઈ સિઝરની સેનેટમાં જ હત્યા કરી નાખવા યોજના બનાવી. સિઝર ખુદ લશ્કરી યોદ્ધો અને પડછંદ કાયા ધરાવતો પ્રતિભાશાળી રાજા હતો. એક વ્યક્તિના હુમલાથી તે ધ્વસ્ત થાય તેમ નહોતો, તેથી બીજા ચાર-પાંચ સેનેટરો વારાફરતી તેને ખંજર ભોંકે તેવી સાજિશ રચવામાં આવી. આ સાજિશમાં બ્રુટ્સ પણ સામેલ હતો, પરંતુ બીજા દિવસે જ પોતાના વફાદાર મિત્રની હત્યામાં તેણે સામેલ થવાનું હોઈ તે ખિન્ન હતો. એ રાત્રે તે તેના મહેલમાં શૂન્યમનસ્ક હતો. એની પત્નીએ તેને કેટલાક પ્રશ્નો પૂછયા, પણ બ્રુટ્સ કંઈ બોલ્યો નહીં. એટલે બ્રુટ્સની પત્નીએ તેની સાથળ પરનું વસ્ત્ર ઊંચકીને એક ખંજરથી પોતાની સાથળ ચીરી નાખી. બ્રુટ્સે આશ્ચર્યચકિત થઈ પૂછયું, “તેં આ શું કર્યું?”

ત્યારે બ્રુટ્સની પત્ની બોલી, “હું આ પીડા સહન કરી શકું છું, પણ તારું મૌન સહન કરી શકતી નથી.”

બીજા દિવસે જુલિયસ સિઝર સેનેટ હોલમાં જવા નીકળ્યો ત્યારે તેને ત્યાં ન જવા એક સ્ત્રીએ ચેતવ્યો, પણ એ ચેતવણીની પરવા કર્યા વિના સિઝર સેનેટ હોલમાં ગયો. અગાઉની યોજના પ્રમાણે તેના વફાદાર સેનાપતિ માર્ક એન્ટનીને વાતચીત કરવાના બહાને સિઝરથી દૂર ખસેડી દેવામાં આવ્યો અને સેનેટ હોલમાં જ ચારથી પાંચ સેનેટરોએ વારાફરતી સિઝરના શરીરમાં ખંજર ભોંકી દીધાં. છેલ્લે બ્રુટ્સે પણ ખંજર ભોંક્યું ત્યારે લોહીલુહાણ સિઝરે પૂૂછયું, “બ્રુટ્સ, તું પણ…?”

અને સિઝર પડી ગયો.

સિઝરની હત્યા બાદ માર્ક એન્ટનીએ એ રાત્રે જ ક્લિયોપેટ્રાને અને તેના પુત્રને ચૂપચાપ મિસર રવાના કરી દીધાં. બીજી બાજુ રોમમાં ગૃહયુદ્ધ છેડાઈ ગયું. એક બાજુ માર્ક એન્ટનીનું જૂથ હતું, બીજી બાજુ વિરોધીઓનું. માર્ક એન્ટની જુવાન હતો, મહત્ત્વાકાંક્ષી પણ હતો. તે પોતાનું લશ્કર લઈ બીજા પ્રદેશો જીતવા નીકળી પડયો. મિસરની સીમા પર પહોંચી એણે રાણી ક્લિયોપેટ્રાને સંદેશો મોકલ્યો કે તે રાણી ક્લિયોપેટ્રાને મળવા માગે છે. ક્લિયોપેટ્રા તો પહેલેથી જ આ મુલાકાત માટે બેચેન હતી. સમ્રાજ્ઞાી બની રહેવાની તેની મહત્ત્વાકાંક્ષા યથાવત્ હતી. માર્ક એન્ટનીની નબળાઈ તે જાણતી હતી. એન્ટનીના માનમાં મિજબાની, નૃત્ય અને ઉત્કૃષ્ટ શરાબની વ્યવસ્થા કરવામાં આવી. શરાબના નશામાં મસ્ત માર્ક એન્ટની પણ ક્લિયોપેટ્રા પર મોહી પડયો. ક્લિયોપેટ્રાએ તેની યોજના મુજબ જ પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા પાર પાડવા માર્ક એન્ટનીને પ્રણયપાશમાં લપેટી લીધો. માર્ક એન્ટની પણ જુલિયસ સિઝરની જેમ હવે મિસરમાં જ રોકાઈ ગયો. માર્ક એન્ટની ક્લિયોપેટ્રાની જાળમાં ફસાઈ ચૂક્યો હતો.

માર્ક એન્ટની અને ક્લિયોપેટ્રાના પ્રણયની વાત હવે રોમ સુધી પહોંચી. એ વખતે રોમની ધુરા ઓક્ટેવિયસ પાસે હતી. એન્ટની ઓક્ટેવિયસનો બનેવી પણ હતો. એનાથી આ સહન ન થયું. માર્ક એન્ટનીએ એની પત્નીને મળવા ઇન્કાર કરી દીધો. માર્ક એન્ટનીની પત્નીનું નામ ઓક્ટેવિયા હતું. પતિને મળવા ગયેલી ઓક્ટેવિયા નિરાશ થઈ રોમ પાછી ફરી. આ ઘટનાથી ઓક્ટેવિયસ ક્રોધે ભરાયો. રોમનો પણ અપમાન મહેસૂસ કરવા લાગ્યા.

આ તરફ માર્ક એન્ટનીની મદદથી ક્લિયોપેટ્રાએ પોતાની નૌસેના મજબૂત કરી લીધી. એન્ટની પૂર્વના દેશો પર આક્રમણ કરતો રહ્યો અને તેનો લાભ ક્લિયોપેટ્રાને મળતો રહ્યો. મિસરની સીમાઓ વધતી જ રહી. ક્લિયોપેટ્રાના કહેવાથી માર્ક એન્ટનીએ તેની પત્ની ઓક્ટેવિયાને છૂટાછેડા પણ આપી દીધા. એન્ટનીના આ વ્યવહારથી ઓક્ટેવિયસે રોમનોને માર્ક એન્ટનીનો વિરોધ કરવા ભડકાવ્યા અને હવે રોમનું શાસન સંપૂર્ણતયા ઓક્ટોવિયસના હાથમાં હતું.

એ જ રીતે ક્લિયોપેટ્રાએ ઓક્ટોવિયસની તાકાતને ખતમ કરી દેવા માર્ક એન્ટનીને ઉકસાવ્યો. માર્ક એન્ટનીએ યુનાન પર પણ આક્રમણ કરી દીધું, પરંતુ એક્ટિયમ નામના સ્થળે તેમની સેના હારી ગઈ. પરાજય બાદ ક્લિયોપેટ્રા અને એન્ટની એલેક્ઝાંડ્રિયા રવાના થઈ ગયાં.

હવે ક્લિયોપેટ્રાના મિસર પર હુમલો કરવા રોમની સેનાઓ સજ્જ હતી. ઓક્ટેવિયસે મોટી સેના સાથે મિસર પર હુમલો કર્યો. ક્લિયોપેટ્રાના કારણે તેના રાજ્યમાં પણ પ્રજા વિદ્રોહી બની ગઈ હતી. તેનું સૈન્ય પણ હવે વેરવિખેર હતું. ઓક્ટેવિયસ હવે એલેક્ઝાંડ્રિયામાં પ્રવેશી ચૂક્યો હતો. ક્લિયોપેટ્રા કે એન્ટની પાસે હવે કોઈ લશ્કર જ નહોતું. માર્ક એન્ટનીએ કેદી બનીને પાછા રોમ જવાને બદલે આત્મહત્યા કરી લેવાનંુ પસંદ કર્યું. એણે જાતે જ પોતાના શરીરમાં તલવાર ભોંકી દીધી. ક્લિયોપેટ્રા પણ કેદી બનીને રોમ જવા માગતી નહોતી. જોકે, ઓક્ટેવિયસે ક્લિયોપેટ્રા આત્મહત્યા ન કરે તે માટે ખૂબ સાવધાની રાખી, પરંતુ એ રાત્રે ક્લિયોપેટ્રાએ સુંદર વસ્ત્રો ધારણ કર્યાં બાદ તેની વફાદાર દાસીને બોલાવી. એને માટીનો સાચવી રાખેલો ઘડો લાવવા કહ્યું. એ ઘડામાં ઝેરી સાપ હતો. ક્લિયોપેટ્રાએ એક સમ્રાજ્ઞાીના જ પરિવેષમાં સજ્જ થઈને એ ઘડામાં હાથ નાખી દીધો. સર્પે દંશ માર્યો અને થોડીક ક્ષણોમાં તે મૃત્યુ પામી. ઓક્ટેવિયસ ક્લિયોપેટ્રાના ખંડમાં આવ્યો ત્યારે મિસરની મહારાણીનો મૃતદેહ જ તેને મળ્યો. એેણે નજીકમાંથી જ એક સર્પને સરકતો જોયો. ક્લિયોપેટ્રાને રોમ લઈ જવાની ઓક્ટેવિયસની મહેચ્છા અધૂરી જ રહી.- આ છે ક્લિયોપેટ્રાની કહાણી.

એક સ્ત્રીની અસાધારણ સત્તાભૂખ અને અસાધારણ મહત્ત્વાકાંક્ષાએ તેને તો ખતમ કરી જ દીધી, પરંતુ રોમના મહાન શાસક જુલિયસ સિઝર અને સેનાપતિ માર્ક એન્ટનીને પણ બરબાદ કરી નાખ્યા. સ્ત્રી, સૌંદર્ય અને સત્તાનું કોકટેલ કેટલું ડેન્જરસ છે તેનું આ ઉદાહરણ છે.            

Powered by WordPress & Theme by Anders Norén