Devendra Patel

Journalist and Author

Date: July 9, 2014

હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય

‘ઈસરો’ અર્થાત્ ભારતીય અંતરિક્ષ એજન્સીએ શ્રીહરિકોટાથી ‘પીએસએલવી સી-૨૩’ નામના રોકેટની મદદથી પાંચ વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકી એક નવો જ વિક્રમ હાંસલ કર્યો. રોકેટ વિજ્ઞાાનના પિતા તો ડો. વિક્રમ સારાભાઇ હતા અને માત્ર ૨૮ વર્ષની વયેજ છેક ૧૯૪૭માં તેમણે અમદાવાદમાં ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. ડો. હોમી જહાંગીર ભાભા ભારતના અણુવિજ્ઞાાન કાર્યક્રમોના પિતા હતા તો ડો. વિક્રમ સારાભાઇ રોકેટ વિજ્ઞાાનના પિતા ગણાય છે. પીએસએલવી સી-૨૩ના પ્રક્ષેપણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરોહર જેવા વૈજ્ઞાાનિક ડો. વિક્રમ સારાભાઇને પણ યાદ કર્યા હતા. ડો. વિક્રમ સારાભાઇએ રશિયાએ પહેલી જ વાર ‘સ્પુટનિક’ ને અંતરિક્ષમાં તરતો મૂક્યો તે પછી તરત જ ડો. સારાભાઇએ ભારતમાં પણ અવકાશ વિજ્ઞાાન પર સંશોધન માટે “ઇસરો” ની સ્થાપના કરવા કેન્દ્ર સરકારને સમજાવી લીધી હતી. આવા ડો. વિક્રમ સારાભાઇ કોણ હતા? સ્કૂલના દરેક બાળકોએ અહીં આ કથા પર નજર નાખવા જેવી છે.

તા.૧૨મી ઓગસ્ટ ૧૯૧૯. રક્ષાબંધનનો દિવસ હતો. કેલીકો મિલના માલિક અંબાલાલ સારાભાઇ પરિવારના બાળકો શાહીબાગ કેમ્પના મેદાનમાં ઘોડેસવારી કરતાં હતાં. સાંજનો સમય હતો. તેમના ઘોડારના એક સવારે દોડતા આવી શુભ સમાચાર આપ્યા કે તેમના કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો છે. બાળકોએ ઘોડા ઘર તરફ વાળ્યાં, બાળકોએ નવા ભાઇને જોવો હતો.

એનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. એક વાર રવીન્દ્રનાથ ટાગોર ‘રિટ્રીટ’ બંગલામાં રહેવા આવ્યા હતા. વિક્રમનું કપાળ જોઇ તેઓ બોલ્યા ઃ ‘કેવું ભવ્ય કપાળ છે એનું. આ બાળક તેજસ્વી બનશે.’

અને એ જ બાળક એક દિવસ દેશનો મહાન વૈજ્ઞાાનિક બન્યો ઃ ‘ડો. વિક્રમ સારાભાઇ.’ નોંધનીય વાત એ છે કે વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઇ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ સારાભાઇના બાળકો માટે ‘રિટ્રીટ’ બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરવામાં આવી હતી. તેમને લાગતું હતું કે એ વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. તે વખતે ઇંગ્લેન્ડમાં ડો. મારિયા મોન્ટેસરીએ આધુનિક શિક્ષણ પર પુસ્તકો લખ્યાં હતાં. અંબાલાલ સારાભાઇને ત્યાં ‘લંડન ટાઇમ્સ’ અખબાર આવતું. તેમણે તેમાં ડો. મોન્ટેસરી વિશે વાંચ્યું હતું. અંબાલાલ સારાભાઇ અને સરલા દેવી પોતે જ ડો. મોન્ટેસરીને મળવા ઇંગ્લેન્ડ ગયાં. પાછળથી એમણે ડો.મોન્ટેસરીને અમદાવાદ બોલાવ્યાં. તેમની મદદથી જ ‘રિટ્રીટ’માં ખાનગી શાળા શરૂ થઇ.

નાનકડા વિક્રમને યંત્રોમાં રસ હતો. બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. વિક્રમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાાન હતું. ૧૯૩૭માં આર.સી.ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી વિક્રમે ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સ્નાતક થયા. ત્યાર બાદ સી.વી.રામને વિક્રમને પોતાના વિદ્યાર્થી તરીકે સ્વીકાર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. ૧૯૪૭માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમભાઇનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી. હવે તેઓ ડો.વિક્રમ સારાભાઇ બન્યા.

ડો. વિક્રમ સારાભાઇએ માત્ર ૨૩ વર્ષની વયે હિમાલય પર પરમેનન્ટ હાઇ ઓલ્ટીટયૂડ લેબોરેટરી સ્થાપવાની ભલામણ કરી. ૧૯૪૭માં કેમ્બ્રિજમાં પાછા ફર્યા બાદ બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રેઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે આધુનિક સંસ્થા સ્થાપવા પોતાના વિચારો અમલમાં મૂક્યા. તેમાંથી અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનો જન્મ થયો. ૧૯૪૭માં એમ.જી.સાયન્સ કોલેજના બે ઓરડામાં જ આ લેબોરેટરી શરૂ થઇ. ડો. કે.આર. રામનાથન જેવા વૈજ્ઞાાનિક તેના પ્રથમ ડાયરેક્ટર બન્યા. વિક્રમભાઇ તેના સહ ડાયરેક્ટર હતા. પીઆરએલ ઊભી થઇ ત્યારે તેના સ્થાપક ડો. વિક્રમ સારાભાઇની વય માત્ર ૨૮ વર્ષની હતી. તેનો સતત વિકાસ થતો રહ્યો. ૧૯૫૪માં પીઆરએલના નવા મકાનનું ઉદ્ઘાટન તે વખતેના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યું.

૧૯૪૭થી ૧૯૭૪ સુધીના ગાળામાં વિક્રમભાઇએ વૈજ્ઞાાનિક સંશોધન ઉપરાંત રાષ્ટ્રઘડતરના કાર્યમાં પણ ઝંપલાવ્યું. આ વર્ષો દરમિયાન તેમણે ૩૫થી વધારે સંસ્થાઓ સ્થાપી. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઇ લાલભાઇનો સાથ સહકાર મળ્યો. વિક્રમભાઇ રત્ન હતા તો ક્સ્તૂરભાઇ હીરાપારખુ હતા. તે વખતે અમદાવાદ મિલોથી ધમધમતું શહેર હતું. કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે કસ્તૂરભાઇના સાથ સહકારથી ‘અટીરા’ ની સ્થાપના કરી. ‘અટીરા’ની કામચલાઉ લેબોરેટરી પણ પહેલાં તો એમ.જી.સાયન્સ કોલેજના ‘પીઆરએલ’ ના ઓરડાની બાજુના ઓરડામાં જ શરૂ થઇ હતી. ડો. વિક્રમ જ ‘અટીરા’ ના પહેલા નિયામક બન્યા.

ડો.સારાભાઇ આટલેથી અટક્યા નહીં. ત્યાર બાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના કરી. આઇઆઇએમના મકાનના ઉદ્ઘાટન માટે તેમણે વિશ્વવિખ્યાત સ્થપતિ લુઇ કહાનને નિમંત્ર્યા. આજે પણ અમદાવાદમાં આઇઆઇએમનું મકાન સ્થાપત્યનો અજોડ નમૂનો છે, જે ડો. સારાભાઇની ભેટ છે. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નેહરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ઇસરો-અમદાવાદ, શ્રી હરિકોટા રોકેટ રેન્જ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી, ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ, ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ડો. વિક્રમ સારાભાઇએ સ્થાપી.

તેઓ ઇસરોના અધ્યક્ષ તરીકે રહ્યા. ઇન્દિરાજીએ હોમીભાભાના અવસાન પછી ડો. સારાભાઇને ભારતીય અણુપંચના અધ્યક્ષ બનાવ્યા. ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ડો. વિક્રમ સારાભાઇના માર્ગદર્શન હેઠળ પીએચ.ડીની ડિગ્રી પ્રાપ્ત કરી. ૮૫ જેટલા વૈજ્ઞાાનિક સંશોધન લેખો લખ્યા. ભારતના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ‘મિસાઇલ મેન’ ગણાય છે પરંતુ ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડો. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ડો. કલામ પણ ડો. સારાભાઇને ભારતીય અવકાશ કાર્યક્રમ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા ગણાવે છે.

૧૯૭૧માં ભારત-પાક યુદ્ધ વખતે તે વખતનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કરી નાંખી બાંગ્લાદેશને આઝાદ કરવાની યોજના બનાવી હતી. તે વખતે પાકિસ્તાનને દહેશત હતી કે બંગલાદેશમાં યુદ્ધની પરિસ્થિતિનો લાભ ઉઠાવી ભારત પશ્ચિમ પાકિસ્તાન પર આક્રમણ કરી દેશે. આમ ના થાય તે માટે પાકિસ્તાને અમેરિકાને ભારત પર દબાણ લાવવા વિનંતી કરી હતી. અમેરિકાના પ્રમુખ નિકસને તરત જ તેમના સલાહકાર કિંસીજરને ભારત મોકલ્યા હતા. કિસીંજર ઇન્દિરાજીને મળવા ગયા ત્યારે ઇન્દિરાજીએ કહ્યું ઃ ‘તમે ડો. વિક્રમ સારાભાઇને મળી લો.’ ત્યારબાદ કિસીંજર ડો. વિક્રમ સારાભાઇને મળ્યા અને ડો. સારાભાઇએ વડાપ્રધાનના ખાસ પ્રતિનિધિ તરીકે કિસીંજર સાથે મંત્રણા કરી હતી. ડો. સારાભાઇએ કોણ જાણે શું કહ્યું કે કિસીંજર એક સંતોષ સાથે અમેરિકા જવા રવાના થઇ ગયા હતા. યાદ રહે કે એ વખતે ડો. વિક્રમ સારાભાઇ અણુશક્તિ પંચના અધ્યક્ષ હતા.

ઉપગ્રહ દ્વારા દેશના ખૂણે ખૂણે હજારો ગામડાંઓમાં સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડો. સારાભાઇનું સ્વપ્નુ હતું. આજે તે સાચું પડયું છે.

ડો. વિક્રમભાઇને શારીરિક રીતે કોઇ ગંભીર વ્યાધિ નહોતી, લોહીનું દબાણ થોડું વધું જણાતું. આથી તેઓ તેની દવા લેતા હતા અને નિયમિત રીતે તબિયત તપાસાવતા હતા. તા.૨૬-૧૨-૧૯૭૧ના દિવસે સાંજના પ્લેનમાં મુંબઇ ગયા. ત્યારે સંદેશો મળ્યો કે તા.૨૭-૧૨ના દિવસે મહત્ત્વની મિટિંગ માટે નવી દિલ્હી પહોંચવું. હજુ બે દિવસ પહેલાં જ દિલ્હી ગયા હતા ત્યારે આવી કોઇ મિટિંગ નક્કી નહોતી. તેઓ બીજે દિવસે થુમ્બા જવાનું રદ કરીને સવારે તા.૨૭-૧૨ના દિવસે દિલ્હી ગયા. સાંજે ખૂબ જ થાકીને પાછા ફર્યા. તા.૨૮-૧૨ના દિવસે થુમ્બા જવા વહેલી સવારે નીકળવાનું હતું. થુમ્બા રેલવે સ્ટેશનમાં શિલાન્યાસ કાર્યક્રમમાં રેલવે પ્રધાન શ્રી હનુમંતૈયા આવવાના હોવાથી ત્યાં જવું જ પડે એમ હતું. વળી તે વખતે તો ડાકોટા પ્રકારના નાનાં પ્લેન હતા. આથી ત્રિવેન્દ્રમ જવા વાયા બેંગલોર થઇને જવું પડતું હતું. ત્રિવેન્દ્રમ પહોંચીને તુરત જ ખૂબ ઝડપે કારમાં નજીકની હોટલમાં જઇને કપડાં બદલાવ્યાં અને ઝડપથી ત્રિવેન્દ્રમના અવકાશ મથક નજીકના થુમ્બા રેલવે સ્ટેશનના સ્થળે પહોંચ્યા અને તે જ વખતે રેલવે પ્રધાન પણ પહોંચ્યા. થુમ્બા રેલવે સ્ટેશનની શિલાન્યાસ વિધિ સમયસર થઇ ગઇ. બાદમાં, નિયમ મુજબ સાથી વિજ્ઞાાનીઓ સાથે મિટિંગો ચાલી. બીજા દિવસે તા.૧૯-૧૨ના દિવસે ફરી મિટિંગો શરૂ થઇ. બીજા દિવસે મુંબઇ જવાનું હોવાથી, રાત્રે વિજ્ઞાાનીઓને પોતાની સાથે જવા માટે કોવાલમ હોટેલમાં બોલાવ્યા અને ચર્ચાનો દોર જમતાં જમતાં ચાલુ રહ્યો. લગભગ ૧-૦૦ વાગ્યે બધા છૂટા પડયા. વિક્રમભાઇ બધાને ગુડ નાઇટ કહી સૂવા પોતાના રૂમમાં ગયા. સવારે ૫-૦૦ વાગે હોટેલના બેરરે કોફી લઇને દરવાજો ખટખટાવ્યો. પણ જવાબ ન મળ્યો. આથી તેણે માન્યું કે રાત્રે મોડે સુધી જાગ્યા હોવાથી થોડીવાર પછી તેઓને ઉઠાડવા. ૧૫-૨૦ મિનિટ બાદ ફરીથી પ્રયત્ન કર્યો. પરંતુ જવાબ ન મળ્યો. આથી નજીકમાં રહેતા તેમના અંગત સચિવ તથા સાથીને તુરત જ બોલાવ્યા અને બધાએ સાથે મળીને દરવાજાના વેન્ટિલેશનમાં હાથ નાખીને દરવાજો ઉઘાડયો અને જોયું કે, પથારીમાં વિક્રમભાઇ ચિરનિદ્રામાં સૂતા હતા. તુરત જ ડોકટરને બોલાવ્યા. ડોકટરે તેઓને તપાસીને કહ્યું કે, છેલ્લા ૩-૪ કલાકમાં તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો જેથી તેઓનું અવસાન થયું છે.’

સામાન્ય રીતે તેઓ સૂતા પહેલા અખબાર લેતા. થોડીવાર વાંચી ઘડિયાળ કાઢી બહારના ટેબલ પર મૂકતા,સાથે અખબાર મૂકતા. ત્યાર બાદ પાણી પીને સૂઇ જતા. પરંતુ જ્યારે વિક્રમભાઇનો રૂમ ખોલવામાં આવ્યો ત્યારે ઘડિયાળ અને અખબાર પથારીમાં જ હતા પરંતુ લાઇટ બંધ હતી.

વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીનું તાસ્કંદમાં હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું ત્યારે તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં જે વિશે અનેક ટીકા થઇ હતી. તેમ ડો. વિક્રમભાઇનું ઓચિંતુ કોઇપણ રોગ ન હોવા છતાં, ઊંઘમાં અવસાન થયું. તેમ છતાં તેમનું પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં અને તેઓના આ પ્રકારના અવસાને અનેક શંકાને જન્મ આપ્યો.

તેઓએ કહ્યું હતું ઃ ‘મારા જીવનમાં મેં ત્રણ પ્રકારની ભૂમિકા ભજવી છે- વિજ્ઞાાની, ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી, હું ઇચ્છું છું કે, મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષક તરીકેની હોય.’

ડો. વિક્રમ સારાભાઇને અમદાવાદ શહેર માટે અપાર પ્રેમ હતો. પરંતુ અત્રે નોંધનીય છે કે ગુજરાત યુનિર્વિસટીનું આધુનીકરણ કરવા ઇચ્છતા સ્વપ્નદૃષ્ટા ડો. વિક્રમ સારાભાઇને કુલપતિની ચૂંટણીમાં રાજકારણીઓને હરાવી દીધા હતા. ડો.વિક્રમ સારાભાઇ થોડાંક વર્ષ માટે પણ કુલપતિ બન્યા હોત તો આજે ગુજરાત યુનિર્વિસટીનું સ્વરૂપ કેવું હોત?

 
– દેવેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બીબીસીને હજુ પણ પૂર્વગ્રહ

વિશ્વના અતિવિકસીત ગણાતા પશ્ચિમના દેશોએ ભારતની જટિલ રાજનીતિને સમજવામાં ભૂલ કરી એ પછી મોડે મોડે સુધારી પણ ખરી. ગોધરા પછીની ઘટનાઓ બાદ અમેરિકાએ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવા ઇન્કાર કરી દીધો હતો. પરંતુ હવે પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા હાંસલ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખુદ અમેરિકાએ જ રેડકાર્પેટ પાથરવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. યુ.કે.એ તો આ ભૂલ વહેલાં સુધારી લીધી હતી. અમેરિકાએ ભૂતકાળની ચર્ચામાં પડયા વગર જ વડાપ્રધાન મોદીને વોશિંગ્ટનમાં આવકારવા તૈયારીઓ કરી લીધી છે. ભારત એક વિશાળ જનસંખ્યા ધરાવતો લોકતાંત્રિક દેશ છે અને અમેરિકા જેવો એક લોકતાંત્રિક દેશ બીજા દેશના એક રાજ્યમાં લોકતાંત્રિક પદ્ધતિએ ચૂંટાયેલા જનપ્રતિનિધિને વિઝા ના આપવાનો નિર્ણય કરીને લોકતંત્રને જ આદર કરવાનું ભૂલી ગયો હતો. અમેરિકી સરકારને ભારતના ભીતરી હવામાનથી વાકેફ નહીં કરવાની ભૂલ બદલ ભારત ખાતેના અમેરિકી રાજદૂત નેન્સી પોેવેલનો ભોગ લઇ એ ભૂલ સુધારી લીધી હતી.

અમેરિકા આત્મખોજ કરે

ગોધરાની ઘટનાઓ બાદ ગુજરાતમાં થયેલા હત્યાકાંડને માનવ અધિકારનો મુદ્દો બનાવી અમેરિકા નરેન્દ્ર મોદીને વિઝા આપવા ઇન્કાર કરતું હતું. પરંતુ અમેરિકા જે માનવહક્ક માટે મોદીને જવાબદાર ઠેરવતું હતું તે અમેરિકા ખુદ એ વાત ભૂલી જાય છે કે ગોધરાકાંડ પછીની ઘટનાઓ માટે મોદીને ક્લીન ચીટ મળેલી છે. જ્યારે અમેરિકા એ વાત પણ ભૂલી જાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર હાઇડ્રોજન બોમ્બ ફેંકીને થોડીક જ મિનિટોમાં ૧૦ લાખ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાંખી હતી. તે પછી વિયેતનામમાં તેવા બોમ્બ ઝીંકીને હજારો નિર્દોષ નાગરિકોને મારી નાંખ્યા હતા. અમેરિકી સૈનિકોએ સેંકડો વિયેતનામી સ્ત્રીઓને ગર્ભવતી બનાવી દીધી હતી. અમેરિકાએ બે-બે વાર આક્રમણ કરીને લાખો ઇરાકીઓની હત્યા કરી નાંખી હતી. એ અમેરિકાને માનવ અધિકારોની વાત કરવાનો અધિકાર કોણે આપ્યો?

અમેરિકાનો વેપાર
ખેર!

અમેરિકાને ભારત સાથે સંબંધ સુધારવામાં હવે રસ એટલા માટે પડયો છે કે ભારત તેના માટે એક મોટું બજાર છે. ભારતના લોકો રોજ લાખ્ખો લીટર કોકાકોલા, પેપ્સી કે જે અમેરિકન પીણું છે તે ગટગટાવે છે. અમેરિકાને વોલ માર્ટ ભારતમાં ઘૂસાડવું છે. અમેરિકાને ફોર્ડ જેવી મોટરકારો ભારતમાં વેચવી છે. તેની ન્યુક્લિયર ઉર્જા ટેકનોલોજી અને શસ્ત્રો ભારતને વેચવા છે. અમેરિકાનું આખું અર્થતંત્ર જ યુદ્ધ પર નભે છે. અમેરિકાને તેના શસ્ત્રો વેચવા કોઇને કોઇ દેશમાં યુદ્ધ જારી રહે તે જરૂરી છે. ધંધાની બાબતમાં અમેરિકા એક ખંધો દેશ છે. ભારતના લાખ્ખો લોકો આજે પણ અમેરિકામાં રહી અમેરિકાના અર્થતંત્રમાં યહૂદીઓ પછી સહુથી મોટું યોગદાન આપે છે. તેમ છતાં મુંબઇની વિઝા કચેરી પર ભારતનો અને ખાસ કરીને ગુજરાતનો યુવાન અને તે પણ જો તે ‘પટેલ’અટક ધરાવતો હોય તો તે સહુથી વધુ ઉપેક્ષીત અને અપમાનીત થાય છે. યુએસ ઇમિગ્રેશન ડેસ્ક પર બેસતા અધિકારીઓ પોતાની મરજી મુજબ વિઝા આપે છે અથવા ઇન્કાર કરે છે. એ એક વિચિત્રતા છે કે અમેરિકા ભૂતકાળમાં પરવેઝ મુશર્રફ જેવા સરમુખત્યારને આવકારી ચૂક્યું છે પરંતુ ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રીને વિઝા આપવાનો ઇન્કાર કરી ચૂક્યું છે. પણ હવે સમય બદલાયો છે. આ જ ટ્રીટમેન્ટ હવે “અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓ અને ભારતમાં વેપાર કરવા માંગતી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે થવી જોઇએ. ભારતના નાનામાં નાના ગામના યુવાનનું અપમાન કરવાનો અધિકાર કોઇને નથી.

બ્રિટિશ વડાપ્રધાન

બીજી નોંધનીય વાત એ છે કે, બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોને ગ્લાસગો તા.૨૩ જુલાઇથી બ્રિટનમાં શરૂ થનારા આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાય છે. વડાપ્રધાન મોદીએ હજુ આ આમંત્રણ અંગે કોઇ પ્રતિભાવ આપ્યો નથી. એ યાદ રહે કે, લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ તા.૧૬મી મે ના રોજ નરેન્દ્ર મોદીને સહુ પ્રથમ અભિનંદન આપનારા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન હતા. એ જ રીતે ૨૦૦૨ની ગોધરાની ઘટનાઓ બાદ નરેન્દ્ર મોદી સાથે સહુથી પહેલાં વાર્તા સેતુ સ્થાપનાર પણ બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરોન હતા. મોદી સાથેના બોયકોટનો અંત તેમણે જ સહુથી પહેલાં આણ્યો હતો. યુ.કે.ના નવી દિલ્હી ખાતેના હાઇકમિશનર જેમ્સ લેવાન પણ ૨૦૧૨માં એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગાંધીનગર આવ્યા હતા.

બીબીસીનું વલણ

અલબત્ત, એ જ બ્રિટનમાં જ્યારે નરેન્દ્ર મોદીના ઉદયની કથાનું ન્યૂઝ કવરેજ કરવામાં આવે છે ત્યારે આ આખીયે વાતને સંવેદનશીલ બનાવવા માટે બીબીસી ઇરાદાપૂર્વક પ્રયત્નશીલ રહે છે. એ કાર્યક્રમનું એન્કરીંગ યુવાન, સુંદર, મુસ્લિમ યુવતીઓને સોંપે છે. ‘ધી ટેલિગ્રાફ’ ના એક અહેવાલમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અહેવાલ પ્રમાણે ગયા એપ્રિલ માસમાં ચૂંટણી ઝુંબેશ એની પરાકાષ્ઠાએ હતી ત્યારે અત્યંત સંવેદનશીલ એવા ઉત્તર પ્રદેશમાંથી બીબીસી માટે મિશેલ હુસેન નામની મુસ્લિમ યુવતી રિર્પોિંટગ કરતી હતી. એ વખતે બીબીસીએ લંડનના સ્ટુડિયોથી જાહેરાત કરી હતી કે “ધીસ ઇઝ બીબીસી. મિશેલ હુસેન રિપોર્ટસ ઇન્ડિયાઝ મોસ્ટ પોપ્યુલર સ્ટેટ, ઉત્તરપ્રદેશ, ઓન હાઉ ઇન્ડિયાઝ મુસ્લિમ વોટ કુડ અફેક્ટ ધી ઇલેક્શન” મિશેલ હુસેન બીબીસીની માનીતિ પત્રકાર છે. એ જ રીતે ચૂંટણીના પરિણામો પછી પણ મોદીના વિજય વૃત્તાંતોનું કવરેજ યાલ્દા હકીમ નામની બીજી એક સુંદર મુસ્લિમ યુવતીને સોંપવામાં આવ્યું હતું. તેણે બીબીસી ૨ ના “ન્યૂઝનાઇટ” પ્રોગ્રામ માટે રિર્પોિંટગ કર્યું હતું. તેણે નરેન્દ્ર મોદીને ચૂંટાયા બાદ પણ વિવાદાસ્પદ વ્યક્તિ કહ્યા હતા અને અગાઉ બ્રિટનમાં રહેતા કેટલાક મોદી વિરોધી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કર્યા હતા. બીબીસીના આ અભિગમ સામેે બ્રિટનમાં જ રહેતા મૂળ ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે વિરોધ કર્યો છે. તેમણે બીબીસીના નરેન્દ્ર મોદી માટેના વલણ વિશે બીબીસી ડાયરેક્ટર જનરલ ટોની હોલને એક પત્ર લખી બીબીસીના ટોનનો વિરોધ કર્યો છે. બીબીસીના ‘ન્યૂઝ નાઇટ’ કાર્યક્રમના એડિટરે શ્રીમતી પ્રીતિ પટેલના પત્રનો લાંબો જવાબ આપી તેમણે કરેલા આક્ષેપોને ફગાવી દીધા છે. આ જવાબથી નારાજ શ્રીમતી પ્રીતિ પટેલ ઈગ્લેન્ડમાં રહેતા ભારતીયોને હાકલ કરી બીબીસીના વડાને પત્રો લખીને નરેન્દ્ર મોદી પ્રત્યેના બીબીસીના વલણનો વિરોધ કરવા જણાવ્યું છે.

લોકતંત્રનું અપમાન

શ્રીમતી પ્રીતિ પટેલે જણાવ્યું છે કે બીબીસીએ તેના નિમ્ન કક્ષાના પત્રકારત્વ માટે શરમાવું જોઇએ. વળી બીબીસીએ જે રીતે મને જવાબ આપ્યો છે તે વિશ્વના એક મોટામા મોટા લોકતાંત્રિક દેશને જે રીતે ચીતરવામાં આવી રહ્યો છે તે એક રીતે લોકતંત્રનું જ અપમાન છે. બીબીસી પર ભારતની ચૂંટણીઓનું કવરેજ કરનાર યાલ્દા હકીમ ૩૧ વર્ષની વયની અફઘાન યુવતી છે. તેનું પરિવાર અફઘાનથી ભાગીને પાકિસ્તાન જતું રહ્યું ત્યારે તે નાનકડી બાળકી હતી. તે પછી તેનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો. અહીં યાલ્દા હકીમે પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને હવે તે બીબીસીની પત્રકાર છે. યાલ્દાએ તેના કવરેજમાં મોદી વિરુદ્ધ સહી કરનાર અને બ્રિટનમાં રહેતા અનેક લોકોના ઇન્ટરવ્યૂઝ કર્યા હતા જેથી તેઓ મોદીની છબી બગાડી શકે. બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલ કહે છે કે, “યાલ્દા હકીમ ભારત માટેની નિષ્ણાત છે જ નહીં.” આવા સમાચારોની બાબતમાં બીબીસી ખુદ વિવાદાસ્પદ રહ્યું છે. ગમે તે કારણોસર વર્ષોથી ‘ફ્રીડમ ઓફ પ્રેસ’ ના નામે તે ભારતની છબી ખરડવા પ્રયત્નશીલ રહ્યું છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન મોદીને મિત્ર બનાવવા થનગને છે ત્યારે એ જ દેશનું સ્વતંત્ર કોર્પોરેશન ગણાતું બીબીસી જુદો જ રાગ આલાપી રહ્યું છે. આને ફ્રીડમ ઓફ પ્રેસ કહેવું કે ફ્રીડમ ફોર પ્રેજ્યૂડાઇસ?’

રાજ્યપાલો ને રાજભવનો હવે આઉટઓફ ડેટ છે ?

હોળીની રજાઓમાં રાજસ્થાનથી આવેલો એક મજદૂર વતન જવા માટે એસ.ટી.બસ સ્ટેશને કલાકોથી કતારમાં ઊભો રહે છે. એસ.ટી.બસમાં ઊભો ઊભો વતન પહોંચે ત્યારે સાવ નંખાઇ ગયો હોય છે. બીજી બાજુ ગુજરાતના એક પૂર્વ રાજ્યપાલ ઘણા વર્ષો પહેલાં મધ્યપ્રદેશ ખાતે તેમના વતન જવા માટે છાસવારે ગુજરાત રાજ્યના હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા. ગુજરાતમાં રહી ચૂકેલા એક બીજા પૂર્વ રાજ્યપાલને ખુશ્બુદાર પાનનો શોખ હતો. રાજભવનથી લકઝુરિયસ કારમાં બેસે ત્યારે જ તેમના પગની બાજુમાં ‘પાકિઝા’ ફિલ્મમાં જોવા મળે છે તેવી પિત્તળની ચમકતી પાનદાની ગોઠવી દેવામાં આવતી હતી.

રાજભવનમાં લીલા?

ચાલો , આ તો ઠીક છે. આજથી પાંચ વર્ષ પહેલા ગુજરાત બહારના એક રાજ્યના પૂર્વ રાજ્યપાલ ૮૩ વર્ષની વયે ત્રણ યુવતીઓ સાથે સેક્સ માણતા કેમેરા સામે ઝડપાયા હતા. દેશના લોકો અને ખુદ પ્રશાસન પણ એ વખતે ચોંકી ગયુ હતું. કદાચ એ સમય જ યોગ્ય હતોે જ્યારે આ દેશમાં રાજ્યપાલો નીમવાની પ્રથાનો અંત લાવી રાજભવનોને મ્યુઝિયમ, હોસ્પિટલ, સ્કૂલ કે પ્રશાસન અધિકારીઓ માટેના તાલીમ કેન્દ્રોમાં ફેરવી નાંખવાની જરૂર હતી. આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં એનડીેની સરકાર સત્તા પર આવી છે અને તેમણે કેટલાક રાજ્યપાલોને બદલવાની કાર્યવાહી હાથ કરી છે ત્યારે કેટલાક પોલિટિક્લ પંડિતો રાજ્યપાલોને બદલવા જોઇએ કે બદલવા ના જોઇએ તેની પરિણામ વગરની એબ્સર્ડ ચર્ચા કરી રહ્યા છે.

પ્રજાને કોઇ ફાયદો નથી

એ વાત સુનિશ્ચિત છે કે ભારતે બ્રિટિશ બંધારણની શૈલી અપનાવી છે. ભારતમાં સંસદીય લોકશાહી છે. લોકસભામાં ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાન નક્કી કરે છે. દરેક રાજ્યમાં એક ગવર્નર હોય છે અને ગવર્નર ચૂંટાયેલા મુખ્યમંત્રી તથા મંત્રીઓને સોગંદ લેવડાવે છે. રાજ્યપાલ રાજ્યની યુનિર્વિસટીઓના ચાન્સેલર ગણાય છે. પરંતુ આ બધાં જ કાર્યોમાં તેમની કોઇ અસરકારક ભૂમિકા હોતી નથી. બ્રિટિશ બંધારણ કે જેની આપણે નકલ કરી છે તે બ્રિટિશ બંધારણ હકીકતમાં અલિખિત છે. અમેરિકા કે ફ્રાન્સની પ્રમુખશાહી પદ્ધતિ એ લોકતંત્રનું આધુનિક સ્વરૂપ છે. અમેરિકામાં રાજ્યોના વડા તરીકે ચૂંટાયેલી વ્યક્તિ ગવર્નર ગણાય છે. ભારતમાં ચૂંટાયેલી વ્યક્તિ મુખ્યમંત્રી ગણાય છે. જ્યારે ગવર્નરોની નિમણૂક કેન્દ્ર સરકારની ઇચ્છા અનુસાર રાષ્ટ્રપતિશ્રી કરે છે. વિશ્વના બીજા આધુનિક લોકતંત્ર ધરાવતા દેશોમાં રાજાશાહી પદ્ધતિ જેવા રાજ્યપાલોના પદ જ નથી. જ્યારે ભારત જેવા ગરીબ દેશમાં રાજ્યપાલોની આઉટ ઓફ ડેટ પ્રથા ચાલુ રાખવામાં આવી છે. રાજભવનોનો નિભાવ ખર્ચ, વાહન વ્યવહાર ખર્ચ, સુરક્ષા ખર્ચ, તબીબી ખર્ચ, તથા એડીસીથી માંડીને સ્ટાફનો ખર્ચ પ્રજાના કરમાંથી ચૂકવવામાં આવે છે અને રાજ્યપાલોથી પ્રજાના જીવનમાં ફાયદો થાય એવો કોઇ ફાળો રાજ્યપાલોનો હોતો નથી.

રાજભવનો-વૃદ્ધાશ્રમો

દેશના મોટાભાગના રાજભવનો વૃદ્ધાશ્રમ જેવાં હોય છે. રાજકારણમાં ફેંકાઇ ગયેલા અથવા જેમને ઠેકાણે પાડવા જરૂરી છે તેવા વૃદ્ધ નેતાઓ માટે આ પદોનો ઉપયોગ થાય છે. વળી કેટલીકવાર કેન્દ્રમાં સત્તા પર બેઠેલા શાસકે રાજ્યોમાં જો તેમની વિરોધી સરકાર હોય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવા રાજ્યપાલોનો એક ઇન્સ્ટ્રુમેન્ટની જેમ ઉપયોગ કરે છે. કારણકે રાષ્ટ્રપતિ શાસન લાદતા પહેલાં કેન્દ્ર સરકાર જે તે રાજ્યની પરિસ્થિતિ અંગે રાજ્યપાલનો રિપોર્ટ મંગાવે છે. ભૂતકાળમાં એક ગવર્નરે આંધ્રમાં એન.ટી.રામારાવની સરકારને ઘરભેગી કરી હતી અને નન્દેલા ભાસ્કર રાવને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. ૧૯૮૪માં તેમની સરકાર માત્ર ૩૧ દિવસ જ ચાલી હતી. એ વખતથી જ રાજ્યપાલોની ગરીમાના અંતનો આરંભ થઇ ચૂક્યો હતો. ૧૯૯૭માં ગવર્નરે રોમેશ ભંડારીએ પણ યુ.પી.માં કલ્યાણસિંહની સરકારને ડીસમીસ કરવા અને તેમણે જગદંબીકા પાલને મુખ્યમંત્રી બનાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટની દરમિયાનગીરી અને મીડિયાની જાગૃતિના કારણે એ પેરવી નિષ્ફળ નીવડી હતી. આ દેશની પ્રજાએ જોયું છે કે દેશના કેટલાક રાજ્યોમાં રાજ્યપાલો કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના એજન્ટ તરીકે વર્તવા પ્રયાસો કર્યા છે. આમ રાજભવનો ખુદ રાજનીતિના અખાડા બની રહ્યાં હોવાના કેટલાંયે ઉદાહરણો છે.

ચીફ જસ્ટિસને સોંપો

કેન્દ્રમાં હવે નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે દેશની પ્રજાને તેમની પાસેથી અનેક ઉમ્મીદો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓના સમૂહની બનેલી કેટલીક કમિટિઓ વિખેરી નાંખી તે રીતે હિંમતપૂર્વક રાજ્યપાલો નીમવાની પ્રથા નાબૂદ કરી ભારતીય લોકતંત્રને વધુ ગતિશીલ બનાવવાની જરૂર છે. એ વાત સુવિદિત છે કે કેટલીકવાર રાજ્યમાં જે પક્ષની સરકાર હોય તે પક્ષ કરતાં અન્ય પક્ષની સરકારે નીમેલા રાજ્યપાલ હોય તો ઘણાં બિલો પુનઃવિચારણાના નામે પાછાં મોકલી નિર્ણયો લેવામાં વિલંબ કરાવે છે. છેવટે તેમાં પ્રજાનું જ અહિત થાય છે. આ બિનજરૂરી પ્રજાને આર્િથક બોજ આપનારી રાજ્યપાલો નીમવાની પ્રથાનો અંત લાવવાની હિંમત દાખવવાની જરૂર છે. ગવર્નરો પાસે જે બંધારણીય કાર્યભાર છે તે જે તે રાજ્યોની હાઇકોર્ટના વડા ન્યાયર્મૂિતઓને સોંપી દેવો જોઇએ. મુખ્યમંત્રીઓ અને તેમના મંત્રીઓેને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જ સોગંધ લેવરાવે તે વધુ ઉચિત લાગશે. દેશના રાજભવનો તે બ્રિટિશ રાજની જરીપુરાણી શૈલીના પ્રતીક છે. રાજભવનોને જોઇએ છીએ ત્યારે હજુ પણ અંગ્રેજોની માનસિક ગુલામી ભોગવતા હોઇએ એવું લાગે છે. કોઇવાર સત્તા માટે વિવિધ પક્ષો તરફથી વિવિધ દાવા થાય તો ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવે છે. આ કામ વિધાનસભાના અધ્યક્ષને સોંપી શકાય. જે તે પક્ષ ગમે તે દાવો કરે પણ બહુમતી તો વિધાનસભાના ફલોર પર જ નક્કી કરવી પડે છે. ટૂંકમાં બ્રિટિશરોએ આપેલી રાજાશાહીના આ પ્રતીકનો હવે અંત લાવી દેવો જોઇએ. રાજભવનો તે જે તે પક્ષના બેકાર કે વૃદ્ધ કે અશક્ત થઇ ગયેલા રાજનેતાઓની નિવૃત્તિનું આરામગૃહ કે વૃદ્ધાશ્રમ નથી. તા.૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવો હોય તો સમાજના સહુથી ગરીબ વ્યક્તિ પાસે તેકામ કરાવો. કોઇ કવિ, કોઇ કલાકાર, કોઇ શિક્ષક કે કોઇ દાર્શનીક દ્વારા ફરકાવો. દેશના ૪૦ કરોડ લોકો ગરીબી અને ભૂખમરામાં સબડે છે ત્યારે બ્રિટિશરોએ આપેલા કોલોનિયલ યુગની રાજ્યપાલોની પ્રથાના અંતની જરૂર છે. રાજ્યપાલોનુ પદ આદરણીય હતું પરંતુ એન.ડી.તિવારી જેવા રાજ્યપાલોએ એ પદની ગરીમા ખત્મ કરી નાંખી હતી એ જ દિવસે આ નિર્ણય લેવાની જરૂર હતી.

શ્રેષ્ઠ રાજ્યપાલો

હા, અત્રે એ વાત નોંધનીય છે કે, ગુજરાતને સદભાગ્યે એકંદરે ઉત્કૃષ્ટ રાજ્યપાલો મળ્યાં છે તે પૈકી મહેંદી નવાઝ જંગ એક ઉમદા વ્યક્તિ હતા. તેઓ સામાજિક કાર્યોમાં રત રહેતા. ગુજરાતના હાલના ગવર્નર શ્રીમતી ડો. કમલાજી પણ એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના પરિવારનું યોગદાન યશસ્વી રહેલું છે. ડો. શ્રીમતી કમલાજીએ ૧૯૩૮માં ‘કેપ્ટન ઓફ ગર્લ’તરીકે આઝાદીના સંગ્રામમાં ભાગ લીધો હતો. ૨૦૦૧માં તેમને લાલબહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ તરફથી ‘વાચસ્પતિ ડી-લીટ’ની પદવી આપવામાં આવી હતી. એ જ વર્ષમાં અમેરિકન બાયોલોજિકલ ઇન્સ્ટિટયૂટ તરફથી તેમને ‘વુમન ઓફ ધ યર’ નો એવોર્ડ અપાયો હતો.તેમની સાદગી દેશના તમામ રાજ્યપાલોમાં એક અલગ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી ડો. કમલા વિશે એક સાવ અજાણી વાત જાણવા જેવી છે. તે સમયે બરકતુલ્લાખાન રાજસ્થાનના મુખ્યમંત્રી હતા. તેના મંત્રીમંડળમાં શ્રીમતી કમલા ગૃહસૂચના અને જનસંપર્ક રાજ્યમંત્રી હતા. બાદમાં તે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બન્યા. તે સમયે પોલીસ મહાનિરીક્ષક હતા સ્વ. સુલ્તાનસિંહ. પોલીસ મહાનિરીક્ષક કોઇ કામ માટે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી શ્રીમતી ડો. કમલાજીને મળવા પહોંચ્યા. તેણે જોયું કે ત્યાં નાનકડો મંડપ લગાવાયો છે. મંડપ એકદમ ખાલીખમ હતો. કેટલીક ખુરશીઓ પાથરેલી હતી. પોલીસ મહાનિરીક્ષકે ત્યાં હાજર કમલાજીના નોકરોને પૂછયુ કે “આ મંડપ શા માટે લગાવાયો છે?” ત્યારે જવાબ મળ્યો કે “આજે કમલાજીની પુત્રીના લગ્ન છે.”

તત્કાલીન પોલીસવડાને આંચકો લાગ્યો.

આ જવાબ સાંભળીને તત્કાલીન સમયે રાજ્યના સૌથી મોટા પોલીસ અધિકારી હતપ્રભ થઇ ગયા. તેને થયું કે “હું રાજ્યનો પોલીસવડો છું અને કમલાજીએ મને જ આમંત્રણ ન આપ્યું.” પોલીસ મહાનિરીક્ષક ઘરે પરત આવ્યા.તેણે પોતાના પીએને કહ્યું કે “તપાસ કરો કે શું કમલાજી પોતાની પુત્રીના લગ્નનું આમંત્રણકાર્ડ મને મોકલવાનું ભૂલી ગયા કે શું?” પોલીસ મહાનિરીક્ષકના પીએએ કમલાજીના પીએને ફોન કર્યો.

શ્રીમતી ડો. કમલાજીના પીએએ જવાબ આપ્યો કે ‘કાર્ડ તો છપાવ્યા જ નથી. માત્ર ૧૨ જ જણા જાનમાં આવવાના છે અને બાકીના ઘરના સભ્યો જ હશે.”

આ જવાબ સાંભળી તત્કાલીન પોલીસવડા તો છક થઇ ગયા. આવાં છે ગુજરાતના રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજી. સાદગીનું આવું ઉત્કૃષ્ટ ઉદાહરણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે.

મેન સ્ટ્રીટ’ બીમાર હોય તો ‘વોલ સ્ટ્રીટ’ પર ચળકાટ હોઇ શકે નહીં

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

અમેરિકાની ચૂંટણીઓ સમગ્ર વિશ્વ માટે એક ઈવેન્ટ હોય છે. વિશ્વભરનાં પ્રચાર માધ્યમોને અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં રસ રહે છે. પ્રમુખપદ માટે ટિકિટ મેળવવી અને ચૂંટણી જીતવી એ બહુ મોટો ઉત્સવ હોય છે. અત્યાર સુધીમાં ફક્ત ૪૩ વ્યક્તિઓ માટે જ આ શક્ય બન્યું છે. અહીં પણ પૈસાની રમત તો હોય છે જ. અમેરિકાના લોકો ભલે ગમે તેટલા ઉદારમતવાદી હોય પરંતુ ભીતરથી સનાતન મૂલ્યોને જ મહત્ત્વ આપે છે. ચૂંટણી ઝુંબેશ ચાલુ હોય ત્યારે ઉમેદવારે પોતાની છબીનું કાળજીપૂર્વક જતન કરવું પડે છે. વળી, નોંધપાત્ર વાત એ છે કે અમેરિકામાં કોઈ એક વ્યક્તિ પ્રમુખ બની જાય તો તે ગમે તેટલી લોકપ્રિય હોય તોપણ બે ટર્મથી વધુ પ્રમુખપદે રહી શકતી નથી. એક ટર્મ ચાર વર્ષની હોય છે. બરાક ઓબામાની આ બીજી ટર્મ છે. તેઓ જીતી શકે તેમ હોય તોપણ આગામી ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરે. ભારતમાં લોકો હાંકી કાઢે નહીં ત્યાં સુધી નેતાઓ નિવૃત્ત થતા નથી. વડાપ્રધાનપદ માટે ૮૭ વર્ષની વયના નેતાઓ પણ અહીં રિસાતા જોવા મળે છે.

ભારતમાં રાજનીતિની પેટર્ન બદલાઈ છે ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં વિશ્વના સહુથી વધુ શક્તિશાળી દેશ-અમેરિકા પાસેથી શીખવા જેવું છે. અમેરિકા એટલે અમેરિકાનું અર્થકારણ. અમેરિકા એટલે અમેરિકાનો જબરદસ્ત મોટો ઉદ્યોગ સમૂહ અને અમેરિકા એટલે ન્યુક્લિયર પાવર, અમેરિકા એટલે તેની લેટેસ્ટ આર્મી. અમેરિકા એટલે લેટેસ્ટ ટેક્નોલોજી. બધું હોવા છતાં અમેરિકા આર્થિક રીતે પડી ભાગ્યું. જબરદસ્ત મંદી આવી. મિલકતો અડધી કિંમતે વેચાવા લાગી. દુનિયાનો એક પણ એવો દેશ નથી જ્યાં અમેરિકાનો હસ્તક્ષેપ ન હોય. દુનિયાનું એક પણ યુદ્ધ નથી કે જેમાં અમેરિકાનો હસ્તક્ષેપ ન હોય. આ બધું જ હોવા છતાં પ્રેસિડેન્ટ બરાક ઓબામા અમેરિકાને આર્થિક મંદીમાંથી બહાર કાઢી શક્યા નથી. ચૂંટણી પૂર્વે’ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ અખબારે તો એમની ઠેકડી ઉડાડતાં લખ્યું હતું કે, “ઓબામા ભૂલથી રાજકારણી થયા છે. તેમણે કવિ કે નવલકથાકાર તરીકે તેમની કારકિર્દી બનાવવી જોઈતી હતી.” આવી મજાક છતાં ઓબામાને ટિકિટ મળી હતી અને આઠ વર્ષથી પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટનના ‘વ્હાઈટ હાઉસમાં’ ધામા છતાં ડેમોક્રેટિક પાર્ટીએ બરાક ઓબામાને પ્રમુખ પદ માટે ટિકિટ આપી હતી અને તેઓ બે વાર વિજયી બન્યા હતા. 

પરંતુ પરિણામ?

પરિણામ લોકોની સમક્ષ છે. જે અમેરિકાએ ગોધરાકાંડની ઘટનાઓ માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી અમેરિકામાં પ્રવેશવા વિઝા આપ્યા નહોતા તે જ અમેરિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટનમાં સત્કારવા થનગની રહ્યું છે. રખે કોઈ એમ માને કે અમેરિકા નરેન્દ્ર મોદીથી ડરે છે. ખરી વાત એ છે કે અમેરિકાને તેનાં ઉત્પાદનો વેચવા મોટું બજાર જોઈએ છે. ચીનને પણ પોતાની પ્રોડક્ટસ વેચવા મોટું બજાર જોઈએ છે અને તે ભારત છે. ભારતમાં એમની ચીજવસ્તુઓ ખરીદવા ૧૨૫ કરોડ ગ્રાહકો છે. અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓને ભારતમાં કન્ઝ્યુમર ગુડસ વેચવા છે. શસ્ત્રો અને ન્યુક્લિયર ઉપકરણો વેચવાં છે. ઉતારુ વિમાનો અને પેસ્ટિસાઇડ્સ પણ વેચવાં છે અને તે માટે બરાક ઓબામા પણ નરેન્દ્ર મોદી માટે રેડ કાર્પેટ પાથરી રહ્યા છે.

આ વાતને જરા અલગ દૃષ્ટિકોણથી જોઈએ. બરાક ઓબામા એક સજ્જન વ્યક્તિ છે, તેમાં કોઈ ઇનકાર નથી. તેઓ ઉત્કૃષ્ટ વક્તા છે. તેઓ સ્વપ્નદૃષ્ટા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે માર્ટીન લ્યુથર કિંગના શબ્દો વાપરીને કહ્યું હતું:

Yes, I have a dream. એક દિવસ એવો ઊગશે કે, અમેરિકામાં કાળા- ગોરા સર્વ માણસો સમાન હશે. ગૌર-વંશવાદનો નાશ થશે, એક દિવસ કાળા અને ગોરા કે કેથલિક અને પ્રોટેસ્ટન્સ, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ એક થઈ બંધુત્વનો ભાવ કેળવશે. એક વાર કોઈએ મને પૂછયું હતું: “તમારા જીવનની મૂળભૂત પ્રેરણા કઈ?”- તો મેં જવાબ આપ્યો હતોઃ “એક નદીની જેમ જીવતા રહેવું અને એવી રીતે વહેવું કે આસપાસનો વિસ્તાર લીલોછમ કરવાની આપણી ક્ષમતા વધતી જાય.”

પણ બરાક ઓબામાનું આ સુંદર સ્વપ્ન સાકાર થયું છે ખરું?

 બરાક ઓબામા એક સજ્જન વ્યક્તિ હોવા છતાં તેઓ I have a dream’નું સૂત્ર આપ્યા બાદ શું તેમનું એ સ્વપ્ન અમેરિકાને ફળ્યું છે ખરું? આ પ્રશ્નોના જવાબ અમેરિકાની પ્રજા જ આપી શકે.

પ્રેસિડેન્ટ બરાક ઓબામા માત્ર સ્વપ્નોના સોદાગર નથી તેઓ વાસ્તવવાદી પણ છે અને તેઓ પરિચય તેઓ પહેલી જ વાર પ્રમુખ બન્યા ત્યારે જ આપી દીધો હતો. તેઓ પહેલી જ વાર અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા તે પછી વિજય રેલીને સંબોધતાં પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું હતું: “હું જાણું છું કે આ કાર્ય તમે કેવળ ચૂંટણી જિતાડવા માટે કર્યું નથી. તમે મારા માટેય કર્યું નથી. તમે આમ કર્યું, કારણ કે આપણી સમક્ષ કેટલો મોટો પડકાર છે તેની તમને ખબર છે. આજે આ વિજયની રાત આપણે ઊજવીએ છીએ પરંતુ તે ઉજવણીમાં પણ આવતી કાલના પડકારોની કલ્પનાઓ છુપાયેલી છે. આપણી સમક્ષ મોટાં આહ્વાનો છે. બે યુદ્ધો. ભયગ્રસ્ત માનવ સમુદાય, સદીનું સૌથી ભયંકર આર્થિક સંકટ એ બધા પડકારોની વચ્ચે આપણે આ વિજયની રાત ઊજવી રહ્યા છીએ. ઇરાક અને અફઘાનિસ્તાનના પહાડોમાં આપણા સૈનિકો પોતાના જીવનને સંકટમાં નાંખીને ઊભા છે. આજે કેટલાંય માતા-પિતા એવાં છે કે જેઓ રાત્રે નાનાં બાળકોને ઉંઘાડીને તેમના ઓશિકા પાસે બેસી તેમનાં બાળકોની સ્કૂલ-ફીની અને ડોક્ટરનાં બિલની િંચંતા કરતાં હોય છે. આપણે નવી ઊર્જા મેળવવી પડશે. નવા રોજગાર ઉપલબ્ધ કરવા પડશે. નવી શાળાઓ બાંધવી પડશે. આ બધું શક્ય નથી. સરકાર બધા જ પ્રશ્નો ઉકેલી શકતી નથી. આ વિજય એ જ ‘પરિવર્તન’ નથી. સત્ય એ છે કે આપણી સમક્ષ રહેલા પડકારો બાબતે હું તમારી સાથે પ્રામાણિક રહીશ. હું તમને જવાબ આપવા બંધાયેલો છું. મારો નિર્ણય તમને ગળે ન ઊતરે તો હું તમારી વાત સાંભળીશ.”

એક શક્તિશાળી પ્રેસિડેન્ટની કેવી વાસ્તવવાદી વાત?

આ તો ઠીક પણ પ્રેસિડેન્ટ ઓબામાએ વિજય રેલીને પ્રવચન કરતાં કહેલી એક વાત માત્ર અમેરિકાને જ નહીં, પરંતુ ભારત સહિત આખા વિશ્વને લાગુ પડે છે. તેમણે કહ્યું હતું કે, “આ આર્થિક સંકટે આપણને એ જ શીખવ્યું છે કે, ‘મેન સ્ટ્રીટ’ અસ્વસ્થ હશે તો ‘વોલ સ્ટ્રીટ’ પર ચળકાટ હોઈ શકે નહીં અને હોય તો તેનો કોઈ અર્થ નથી.” મતલબ એ કે અમેરિકાનું શેરબજાર કે જે ‘વોલ સ્ટ્રીટ’ તરીકે ઓળખાય છે તેની પર ચળકાટનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ‘મેન સ્ટ્રીટ’ અને માનવીઓની શેરી સ્વસ્થ ન હોય.

ભારતનું શેરબજાર ચળકાટમાં છે અને સેન્સેક્સ આસમાનને સ્પર્શી રહ્યો છે, પરંતુ તેથી દેશની ૪૦ કરોડથી વધુ ગરીબ પ્રજાનું કોઈ દળદળ ફીટતું નથી, આ કડવું સત્ય છે. સેન્સેક્સને અને ગરીબ પ્રજાને મોંઘવારીનો અને બેકારીનો કોઈ સંબંધ નથી. સેન્સેક્સ ઊંચે જવાથી ગરીબી, મોંઘવારી કે બેરોજગારી ઘટતી નથી. સેન્સેક્સનો ચળકાટ એ દેશની ૧૨૫ કરોડની વસતીનો ચળકાટ નથી. સેન્સેક્સનો ચળકાટ એ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ અને શેરબજારિયાઓનો જ ચળકાટ છે. સેન્સેક્સ વધવાથી નવી સ્કૂલો, નવી નહેરો,નવા પાતાળકૂવા કે નવાં શૌચાલયો ઊભાં થતાં નથી. સેન્સેક્સને દેશની પ્રગતિ માની લેનારાઓને સેન્સેક્સ જ ડુબાડશે. સેન્સેક્સ એ મૂડીપતિઓની નાડી છે, આમ પ્રજાની નહીં.

સેન્સેક્સ વધવાથી ગરીબીમોંઘવારી અને બેરોજગારી દૂર થતી નથી

www. devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén