Devendra Patel

Journalist and Author

Date: June 30, 2014

રાતના અંધારામાં યુવાન વિધવા તેમની સામે એકલી ઊભી હતી

બાવન વર્ષની વયના પ્રદીપ ગુપ્તા સેકટર-૭, રોહિણી,દિલ્હી ખાતે રહેતા હતા. તેઓ પરિણીત હતા. પત્ની અને બે પુત્રો સાથે સુંદર જિંદગી બસર કરતા હતા. તેઓ માર્બલનો ધંધો કરતા હતા. ખાધે પીધે સુખી હતા. મતોલપુરી પથ્થર માર્કેટમાં માર્બલની દુકાન હતી.

તેમની દુકાનમાં ઇન્દ્રજીત નામનો નોકર હતો તે તેની ૩૨ વર્ષની સુંદર પત્ની સાથે દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતોે હતો. આખો દિવસ પ્રદીપ ગુપ્તાની દુકાનમાં કામ કર્યા બાદ રાતે ઝૂંપડી પર જતો. અંધારુ થતાં જ દેશી દારૂની પોટલી પી જતો. ખાતો ઓછું અને પીતો વધુ. શરૂઆતમાં બેઉનંુ દામ્પત્ય જીવન સુમધુર રહ્યુ પરંતુ પાછળથી પરિણામ એ આવ્યું કે એક દિવસ તેને ખબર પડી કે તે હવે ગર્ભવતી છે, પરંતુ તેની નજર સમક્ષ જ ઇન્દ્રજીત ગંભીર રીતે બીમાર પડયો. એક દિવસ લીવરની ગંભીર બીમારીથી તે મૃત્યુ પામ્યો.

પત્ની સરોજ ભરયુવાનીમાં વિધવા થઇ. એના ઉદરમાં હજુ એક માસનો ગર્ભ હતો. જેમ તેમ કરીને સરોજે પતિની અંતિમ ક્રિયા કરાવી. પતિના શેઠ પ્રદીપ ગુપ્તાએ થોડી ઘણી મદદ પણ કરી. એ પછી ભલમનસાઇથી પ્રદીપ ગુપ્તાએ વિધવા થયેલી સરોજને ઘર ખર્ચ માટે પૈસા પણ મોકલ્યા. પ્રદીપ ગુપ્તાએ કહ્યું “સરોજ! તું ચિંતા કરતી નહીં. તારી બીજી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી હું તારું ઘર ખર્ચ ઉઠાવીશ, પરંતુ બે-ત્રણ મહિના બાદ તું તારા કામધંધાનું કે પિયર જવાનું વિચારી લેજે.”

સરોજે કહ્યું, “પ્રદીપ શેઠ! તમે તો મારા મતે ભગવાન થઇને ઉતર્યા છો, તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.”

“હું ભગવાન નથી, માણસ છું અને માણસાઇ માટે આ કરું છું.”

પ્રદીપ ગુપ્તાને હતું કે, બે-ચાર મહિના બાદ સરોજ પોતાની આજીવિકાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ સરોજે કોઇ આજીવિકા શોધી નહીં અથવા મળી નહીં. કાયમ માટે એને સરોજનું ખર્ચ ઉઠાવવું પોસાય તેમ નહોતું. એણે સરોજને સમજાવ્યું કે, તેણે હવે પિયર ચાલ્યા જવું જોઇએ, પરંતુ સરોજે કહ્યું : “મારા માતા પિતા જ એટલા ગરીબ છે કે હું તેમના માટે બોજ બનવા માંગતી નથી.”

“તો નોકરી શોધી લે.” પ્રદીપ ગુપ્તાએ કહ્યું

“એ માટે પણ પ્રયાસ કરું જ છું.” સરોજે કહ્યું.

પ્રદીપ ગુપ્તાનો ધંધો હમણાં મંદો હતો. એક દિવસ સરોજ બે હાથ જોડીને તેમની સામે ઊભી રહી : “શેઠ! ઘરમાં અનાજ નથી. સ્ટવ માટે કેરોસીન નથી. થોડી મદદ કરો.”

પ્રદીપ ગુપ્તાએ કહ્યું : “સરોજ! હમણાં મંદી ચાલે છે. મારે પણ બૈરું છોકરાં છે. તું મારી આગળ હાથ લંબાવવાનુ છોડી દે.”

“હું ક્યાં જાઉં શેઠ?” સરોજ બોલી : “મને જેવું કામ મળશે એટલે હું નહીં આવું.”

પ્રદીપ ગુપ્તાએ ફરી એને બે હજાર રૂપિયાની મદદ કરી. સરોજ તેમના પગે પડી જતી રહી.

એક દિવસ રાત્રે આઠ વાગે ફરી સરોજ પૈસા માંગવા પ્રદીપ ગુપ્તા પાસે પહોંચી. એ વખતે પ્રદીપ ગુપ્તા એકલા દુકાનમાં હતા. શટર અડધું પાડેલું હતું. બહાર કંપાઉન્ડમાં માર્બલ ગોઠવેલા હતા. બહાર પણ અંધારુ હતું. પ્રદીપ ગુપ્તા દિવસભરનો થાક ઉતારવા એકલા બેઠા બેઠા વ્હિસ્કી પી રહ્યા હતા. એ કારણથી બહારની બત્તી બંધ કરી દીધી હતી. બરાબર એ વખતે જ સરોજ અડધા ખૂલેલા શટરને ખટખટાવી રહી. એણે બહારથી બૂમ પાડી : “શેઠ!”

પ્રદીપ ગુપ્તાએ શટરને ઊંચકતા જોયું તો રાતના સમયે સરોજ એકલી સામે ઊભી હતી. પ્રદીપ ગુપ્તાએ પૂછયું “બોલ સરોજ! રાતના સમયે અત્યારે કેમ આવી?”

સરોજ નતમસ્તકે બોલીઃ “ભાઇ સાહેબ, મને બે હજાર રૂપિયાની જરૂર છે.”

પ્રદીપ ગુપ્તા દુકાનમાં તેમની ખુરશી પર શાંતિથી બેઠા. સામે પડેલો ગ્લાસ ગટગટાવી દીધો. અગાઉ પણ બે પેગ પીધેલા હતા. શરૂઆતમાં તો સરોજને જોઇને ચીડાયેલા પ્રદીપ ગુપ્તાએ જોયું તો સરોજના દેહ પરથી સાડી સરકી પડી હતી, તે વિધવા હોવા છતાં હજુ આકર્ષક લાગતી હતી. તેના વાળ વીખેરાયેલા હતા છતાં એ કારણથી જ તે વધુ સુંદર લાગતી હતી. સરોજના દેહમાંથી પરસેવાની ગંધ આવતી હતી પરંતુ તે પણ તેમને માદક લાગવા માંડી. જંગલી ફૂલોની પરાગરજ કયારેક વધુ મદહોશ બનાવી દે છે. આ બધું જોયા બાદ પ્રદીપ ગુપ્તાનો મૂડ અચાનક બદલાઇ ગયો.

એમણે કહ્યું : “આવ સરોજ. તું આવી જ ગઇ છે તો બેસ અહીં. આજે તું ખુબ જ સરસ લાગે છે.”

સરોજ સંકોચાઇ, તે લજાતી-શરમાતી બેસી ગઇ. પ્રદીપ ગુપ્તાએ પેગ બનાવ્યો. તે પછી તેઓ બોલ્યા : “તારે બે હજાર રૂપિયા જોઇએ છે ને!”

“હા.” સરોજ દયનીય સ્વરે બોલી : “જુઓ, મારા હાથ એકદમ ખાલી છે ને!”

અને પ્રદીપ શર્માએ ધીમેથી એનો હાથ પકડી લેતા કહ્યું : “તારા હાથ સરસ છે.”

સરોજ ક્ષોભ સાથે હાથ પાછા ખેંચી લેતા બોલી : “તમને ચડી ગઇ છે.”

પ્રદીપ ગુપ્તાએ કહ્યું : “ચાલો એક વાત તો સારી થઇને કે મને ચડી ગઇ છે ત્યારે તો તારી સુંદરતા જોવાનો મોકો મળ્યો.”

સરોજ ખુરશી પરથી ઊભી થઇ ગઇ અને બોલી : “પ્રદીપ શેઠ! મને લાગે છે કે શરાબના નશામાં તમે સારું-નરસું પણ ભૂલી ગયા છો.”?

પ્રદીપ ગુપ્તાએ મૂડ બદલતાં કહ્યું : “મારી વાત ખરાબ લાગતી હોય તો ચાલી જા, અહીંથી. રાત્રે મારી પાસે આવી શા માટે? મને એકલાને શાંતિથી શરાબ પીવા દે.”

સરોજે ધીમેથી કહ્યું “ના ના. એવું નથી હું તો તમારી કસોટી કરવા રાત્રે આવી હતી. મને બે હજાર રૂપિયા આપો કે ના આપો પરંતુ આજ સુધી તમે મને મદદ કરી છે તે માટે હું આપનો આભાર માનું છું. હું કઇ રીતે તમારું ઋણ ચૂકવીશ?”

પ્રદીપ ગુપ્તા ફરી રોમેન્ટિક મૂડમાં આવી ગયા. એમણે કહ્યું: “ઋણ ચૂકવવાના અનેક રસ્તા છે. બેસ મારી પાસે. મારા હાથ-પગ દબાવી આપ. જો સરોજ! આ દુનિયા બડી સંગદિલ છે. પૈસાના બદલામાં કાંઇ ને કાંઇ તો આપવું જ પડે છે.”

સરોજ ખામોશ રહી.

જાણે કે એની સંમતિ હતી. પ્રદીપ ગુપ્તાની આંખો હવે શરારતી બની. સરોજના હોઠ પણ ફફડી રહ્યા હતા. એનો શ્વાસોશ્વાસ વધી ગયો હતો. પૂરા ત્રણ મહિના બાદ કોઇ એને સ્પર્શી રહ્યું હતું. પ્રદીપ ગુપ્તા પોતાના સ્વચ્છ ચારિત્ર્યને ભૂલી શરાબના નશામાં લપસી રહ્યા હતા. તેઓ બોલ્યા : સરોજ! તારા પસીનાની ગંધ જ મને નશામાં તરબોળ કરી રહી છે.!

સરોજ બોલી : “અમારા જેવાં ગરીબો પાસે પસીના સિવાય બીજું છે પણ શું?”

અને દુકાનનું અડધુ શટર બંધ થઇ ગયું.

રાત વીતી ગઇ.
વાત વહી ગઇ.

સવારે શરાબનો નશો ઉતરી ગયો. પ્રદીપ ગુપ્તાને હજુ હેંગઓવર હતું. બીજા દિવસે સવારે નાહી ધોઇને તૈયાર થઇ ફરી માર્બલની દુકાને આવ્યા. રાતની વાત માટે તેમનો અંતરાત્મા દુભાતો હતો. તેમણે જિંદગીમાં પહેલી જ વાર ભૂલ કરી હતી. દુકાનમાં ભગવાનનો દીવો કરી ઇશ્વરની માફી માંગવા લાગ્યા. પૂજા બાદ તેમણે નજર ફેરવી તો ફરી પોલીસ તેમની સામે ઊભી હતી. પ્રદીપ ગુપ્તાએ પૂછયું : “ઇન્સ્પેકટર સાહેબ, ખેરિયત તો છે ને?”

પોલીસે કહ્યું : “તમારા નોકરની પત્ની સરોજ રાત્રે અહીં આવી હતી?”

“હા, કેમ શું થયું?”

“એણે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. એના બ્લાઉઝમાંથી એક ચિઠ્ઠી મળી છે. તેમાં તમારું નામ-સરનામું છે. એણે તમારો આભાર માન્યો છે, પરંતુ આપઘાતનું કારણ જણાવ્યું નથી.

તમારે એને શું સંબંધ હતો? એણે આભાર કેમ માન્યો? એના આપઘાતનું કોઇ કારણ તમે જાણો છો?”

પ્રદીપ ગુપ્તા પાસે કહી શકાય તેવો કોઇ જવાબ નહોતો. તેમને લાગ્યું કે સરોજ ગરીબ હતી પરંતુ બદચલન નહોતી. તેઓ મનોમન બબડયા : “ભૂલ, મારી જ હતી.”

– દેવેન્દ્ર પટેલ

બગદાદનો અદૃશ્ય શેખ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

તાલિબાન અને અલ કાયદાને પણ પાછળ પાડી દે તેવા ખૂંખાર આતંકવાદી સંગઠનનું નામ ISIS છે. તેનું આખું નામ ‘ઇસ્લામી સ્ટેટ ઇન ઈરાક એન્ડ ધી સીરિયા/ લેવેન્ટ’ છે. તે ટૂંકમાં ISIS તરીકે પણ ઓળખાય છે. અત્યાર સુધીમાં ઉદ્ભવેલાં આતંકવાદી સંગઠનો પૈકી આ સંગઠન સૌથી વધુ ખતરનાક અને નિર્દયી સાબિત થયું છે. આ સંગઠન જો તેની કાર્યવાહીમાં સફળ થશે તો માત્ર ઇરાકનું જ અસ્તિત્વ ખતરામાં છે તેવું નથી, આખી દુનિયાનો નકશો જ બદલાઈ જશે. આ સંગઠને ઇરાકમાં ખોફનાક રીતે ૧૭૦૦ જેટલા ઇરાકી સૈનિકોની હત્યા કરી તેની વીડિયો તસવીરો જાહેર કરી આખા વિશ્વને ચોંકાવી દીધું છે. માનવતાનાં તમામ મૂલ્યોને રક્તરંજિત કરી દેવાયાં છે. આખું વિશ્વ એ વાત જાણવા આતુર છે કે આખરે આ આતંકવાદી સંગઠન કોણ છે, જેના કારણે અમેરિકા પણ પરેશાન છે. ઇરાકની સડકો પર મોતનું તાંડવ જોઈ આખી દુનિયામાં ચિત્કાર ઊઠયો છે.

અત્યાર સુધી ઓસામા બિન લાદેન જ વિશ્વનો સૌથી ખૂંખાર આતંકવાદી ગણાતો હતો પરંતુ તેનું સ્થાન હવે અબુ બકર અલ બગદાદીએ લીધું છે. અલ બગદાદી નામનો માણસ જ ISISનો વડો છે. તેની તસવીર ઉપલબ્ધ નથી. તે પોતાના કમાન્ડરો સાથે પણ માસ્ક પહેરીને વાત કરે છે. વા ISISની કમાન સંભાળનાર અલ બગદાદી ઓસામા બિન લાદેનનો પ્રશંસક રહ્યો છે. અમેરિકી સૈનિકો દ્વારા ઓસામા બિન લાદેનની હત્યા બાદ તા.૧૬ મે, ૨૦૧૦ના રોજ ISIS અથવા તેના વડા અલ બગદાદીએ ફક્ત લાદેનની હત્યાનો બદલો લેવાની ઘોષણા કરી હતી, પરંતુ તેણે ઇરાક સહિત બધા જ લેવેન્ટ દેશો એટલે કે સાયપ્રસ, ઇઝરાયેલ, જોર્ડન, લેબેનોન, સીરિયા, પેલેસ્ટાઈન અને તુર્કીને મિલાવી એક નવો જ ઇસ્લામિક દેશ બનાવવાનું પણ એલાન કર્યું હતું. અલ બગદાદી વિશે ખુદ અમેરિકા પણ અંધારામાં હતું. એક સામાન્ય મૌલવી ખતરનાક આતંકવાદી સંગઠનનો વડો કેવી રીતે બની ગયો? એ વિશ્વની ગુપ્તચર સંસ્થાઓ માટે એક કોયડો છે. અમેરિકાના નેતૃત્વ હેઠળ ૨૦૦૩માં ઇરાક પર કરવામાં આવેલા હુમલા સમયે અલ બગદાદી એક મસ્જિદમાં મૌલવી હતો. એ વખતે અમેરિકી સૈનિકોએ આતંકવાદીઓના કેમ્પમાં અલ બગદાદીને ચાર વર્ષ સુધી કેદમાં રાખ્યો હતો. આ કેમ્પમાં અલ કાયદાના કમાન્ડરોને રાખવામાં આવેલા હતા. એ સમયગાળા દરમિયાન જ અલ બગદાદીનો ઝુકાવ આતંકવાદ તરફ વધતો ગયો. ફરક એટલો છે કે, ઓસામા બિન લાદેન અને અલ ઝવાહિરીની જેમ તે તેની વીડિયોગ્રાફી કદી કરવા દેતો નથી. તેની વાસ્તવિક ઓળખ અસ્પષ્ટ છે. એ કારણે તેનું નામ ‘અદૃશ્ય શેખ’ પણ પડયું છે.

ISIS એ ઇરાક યુદ્ધની નીપજ છે. તે અલ કાયદાનું જ ખતરનાક નવું સ્વરૂપ છે. આ સંગઠનના મુઠ્ઠીભર આતંકવાદીઓએ ઇરાકને લોહીલુહાણ કરી દીધું છે. ઇરાકના બીજા નંબરના શહેર તરીકે જાણીતું મોસુલ શહેર પણ આતંકવાદીઓના કબજા હેઠળ આવી ગયું છે. તેલની રિફાઈનરીઓ પર આ સંગઠન કબજો જમાવીને બેઠું છે.

આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ તે માટેનાં કારણો જાણવાં જેવાં છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી દળો પાછાં ખેંચી લેવાની વાત અને શરૂઆત કરી તે પછી આ પ્રશ્નો ઊભા થયા છે. વિશ્વના ઘણા બધા દેશોમાં સમસ્યાઓ ઊભી કરનાર પણ ખુદ અમેરિકા જ છે. જે જે દેશોમાં અમેરિકા પ્રવેશ્યું છે તે તે દેશોમાં આવી જ પરિસ્થિતિ પેદા થઈ છે. ઇરાકને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકાએ એ દેશમાં સૌથી વધુ દરમિયાનગીરી કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ સિનિયર બુશને તેલના રાજકારણ અને ડોલરના રાજકારણમાં રસ હોઈ ઇરાક પર આક્રમણ કર્યું હતું, જે ‘ગલ્ફ વોર-૧’ તરીકે ઓળખાયું તે પછી તેમના પુત્ર જુનિયર જ્યોર્જ બુશે પિતાની ઇચ્છાઓ પૂરી કરવા ઇરાકના એ વખતના વડા સદ્દામ હુસેન પર એવો આરોપ મૂક્યો કે, સદ્દામ હુસેન પાસે વિશ્વનો નાશ કરી દે તેવાં ખતરનાક રાસાયણિક અને પરમાણુ શસ્ત્રો છે. એવા આક્ષેપ સાથે ઇરાક સાથે યુદ્ધ છેડયું. લાખ્ખો ઇરાકીઓને મોતને ઘાટ ઉતાર્યા. પપેટ સરકાર મૂકી સદામ હુસેનને ફાંસી આપી દીધી, પરંતુ ઇરાકમાંથી કોઈ શસ્ત્રો મળ્યા નહીં. સદ્દામ પાસેથી કંઈ ન મળતાં પરેશાન થયેલા અમેરિકાએ લોકતાંત્રિક સરકાર સ્થાપિત કરવાના બહાને જે ષડ્યંત્ર રચ્યું તેનાં પરિણામો બહુ જ ઘાતક નીવડયાં. ISIS અથવા ISIS એ જે નવા ઈસ્લામી રાષ્ટ્રની સાજિશ રચી છે, તે લાખો બેગુનાહ લોકોની અમેરિકા દ્વારા કરવામાં આવેલી કતલનો અંજામ છે.

નોંધપાત્ર વાત એ છે કે, ૨૦૧૧માં અમેરિકાના સૈનિકોએ ઇરાક છોડયું ત્યારે ઇરાકનું તંત્ર પત્તાંના મહેલ જેવું હતું. ઇરાકમાં પહેલેથી જ શિયા અને સુન્નીઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે. આ સંઘર્ષ હવે નાગરિક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અહીં કુર્દ લોકો પણ રહે છે. તેઓ પણ અલગ રાષ્ટ્રીયતા માગી રહ્યા છે. અમેરિકાએ વિદાય લેતી વખતે બગદાદનું શાસન શિયા-સરકારને સોંપ્યું હતું. સરકારના વડા તરીકે નૂરી અલ મલિકી હંમેશાં બિન લોકપ્રિય રહ્યા. લોકોને પાણી, રસ્તા, વીજળી કે શિક્ષણની સવલતો આપવામાં તે નિષ્ફળ રહ્યા. પરિણામ એ આવ્યું કે સુન્ની લોકો અલગ થઈ ગયા અને સુન્નીઓ જ સરકાર સામે બળવાખોર બની ગયા. આ વિદ્રોહીઓ અમેરિકા દ્વારા તાલીમ પામેલા ઇરાકના લશ્કર સામે પણ મેદાને પડયા. રસપ્રદ વાત એ છે કે ઇરાકના લશ્કરમાં શિયા અને સુન્ની બેઉ છે જ્યારે ISIS અથવા ISIS એ સુન્ની આતંકવાદી સંગઠન છે.

આશ્ચર્યની વાત એ છે કે ISISના થોડાક જ આતંકવાદીઓએ રાતોરાત ઇરાકના બીજા નંબરના ઓઈલ- રિચ નગર મોસુલ પર ગણતરીના કલાકોમાં કબજો જમાવી દીધો. તે પછી તિરકીટ જીતી લીધું. તિરકીટ એ સદામ હુસેનનું વતન છે.

ઇરાકમાં ચાલી રહેલા આ ગૃહયુદ્ધના આખા વિશ્વમાં પ્રત્યાઘાત પડે તેમ છે. ભારત તેનું ૮૦ ટકા ક્રૂડ વિદેશોમાંથી આયાત કરે છે. પશ્ચિમ એશિયામાં કોઈ પણ કટોકટી ઊભી થાય તો તેની સીધી અસર ભારત પર પડે છે. ભારત લગભગ ૧૨થી ૧૫ ટકા ક્રૂડ ઇરાકથી મગાવે છે. કેન્દ્ર સરકાર કહે છે કે ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ હકીકતમાં એવું નથી. ખતરાની ઘંટડી ગમે ત્યારે વાગી શકે તેમ છે. હા, ગમે ત્યારે પેનિક બટન દબાવવામાં આવશે અને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તથા ગેસના ઊંચા ભાવ ચૂકવવાની ભારતવાસીઓએ તૈયારી રાખવી પડશે. ભારત સરકારે અન્ય દેશો પાસેથી પણ ક્રૂડ ઓઈલ મેળવવાના વિકલ્પો સત્વરે વિચારવા પડશે.

સૌથી મોટી િંચંતાની વાત એ છે કે, તાજેતરમાં બીજો એક વીડિયો જારી થયો છે. તેમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે,ત્રાસવાદીઓની એક વણઝાર કાશ્મીરને આઝાદ કરાવવા માટે અફઘાનિસ્તાનના માર્ગે આગળ વધી રહી છે. આ વીડિયોઓમાં અલ કાયદાના પાકિસ્તાન સેલ્ટન વડા મૌલાના આસીમ ઉમરે એવી અપીલ કરી છે કે, કાશ્મીરી મુસલમાનોએ તેમના ઇરાકના અને સીરિયામાં રહેણાક ભાઈઓને મદદ કરવા માટે ભારત સામે હિંસક જેહાદ શરૂ કરવાની જરૂર છે. આ વીડિયોની અગત્યતાની ચકાસણી થઈ રહી છે, પરંતુ એણે ભારતીય સલામતી દળોની નીંદ હરામ કરી દીધી છે. અને છેલ્લે એક વાત નોંધવી જોઈએ કે,ઇરાકનો સરમુખત્યાર સદ્દામ હુસેન ભલે એકાધિકારવાદી હતો પણ એણે જ ઇરાકને આધુનિક બનાવ્યું હતું. કટ્ટરપંથીઓને એણે જ દૂર રાખ્યા હતા. ઇરાક પરના યુદ્ધને ખુદ પ્રેસિડેન્ટ બરાક ઓબામા એ જ ‘dumb war’ કહ્યું છે. આ યુદ્ધે જ ઇરાકને છિન્ન ભિન્ન કરી નાખ્યું. આજે ઇરાકમાં ખતરનાક ત્રાસવાદી સંગઠન પેદા થયું છે, જેનું નામ ISIS છે. તેનું અસલ નામ ‘અલ કાયદા ઇરાક’ હતું. આ આતંકવાદી સંગઠનના જન્મની મીડ વાઇવ્સ (દાયણો) જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને ટોની બ્લેર છે.

www. devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén