Devendra Patel

Journalist and Author

Date: June 25, 2014

“શું મારા શીલની કિંમત માત્ર દોઢ લાખ રૂપિયા?”

દિલ્હીથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર “હિન્દુસ્તાન ટાઇમ્સ” એ ‘વેઇક અપ ઇન્ડિયા’ ના ટાઇટલ હેઠળ બળાત્કાર ગુજારતા હેવાનોની હેવાનિયત સામે લોકોને જાગૃત કરવા સુંદર ઝુંબેશ શરૂ કરી છે. આ અખબારમાં પ્રગટ થયેલી ૨૮ વર્ષની એક યુવતીની કથા એના જ શબ્દોમાં :

શું મારા શીલની કિંમત માત્ર દોઢ લાખ રૂપિયા?

“૨૦૦૬ના નવા વર્ષની આગલી સાંજ હતી. મારા લગ્ન થયે માત્ર આઠ જ મહિના થયા હતા. હું મારા પતિને બહુ જ ચાહતી હતી. મારા પતિને એક નાનો સરખો બિઝનેસ હતો.

તા.૩૧મી ડિસેમ્બરે હું અને મારા હસબન્ડ ગાઝિયાબાદમાં આવેલા ઇૅૅડીએમ મોલમાં આવેલા થિયેટરના સાંજના શો મા ફિલ્મ જોવા ગયા હતા. અડધી ફિલ્મ પૂરી થઇ હશે અને મારા પતિએ કહ્યું :’ફિલ્મ કંટાળાજનક છે, ચાલો બહાર નીકળી જઇએ.’

મેં કહ્યું: ‘આપણે પૈસા ખર્ચીને ટિકિટ લીધી છે.’

એ સાંભળી મારા પતિ ગુસ્સે થઇ ગયા. સીટમાંથી ઊભા થતાં મને કહ્યું : “હું ઘેર જાઉ છું. તું ફિલ્મ પૂરી થાય પછી આવજે.”

અમારુ ઘર મોલની બાજુમા જ હતું. હું થિયેટરમાં પૂરેપૂરી ફિલ્મ જોવા બેસી રહી. મને હતું કે એમનો ગુસ્સો ઉતરી જશે એટલે થોડીવારમાં તેઓ પાછા અંદર આવીને મારી બાજુમાં બેસી જશે પણ તેઓ ના આવ્યા. ફિલ્મ પૂરી થયા બાદ હું બહાર નીકળી. બહાર નીકળી ત્યારે અંધારું થઇ ગયું હતું. હું ઓટોરિક્ષાની રાહ જોવા લાગી. એટલામાં એક મોટરકાર મારી પાસે આવીને ઊભી રહી. હું ઓળખી ગઇ. કારચાલક અમિત હતો. તે મારા પતિનો મિત્ર હતો. ઘણીવાર અમારા ઘેર આવી ચૂક્યો હતો. એણે મને મારા હસબન્ડ વિશે પૂછયું. મેં કહ્યું : “એમને ફિલ્મ ના ગમી એટલે ઘેર જતા રહ્યા છે.”

અમિતે મને લિફટ આપવાની ઓફર કરી. મોડું થઇ ગયું હોઇ હા પાડી. હું અમિતની કારમાં બેઠી. ચાલુ કારે અમિતે મને સોફ્ટ ડ્રીંક્સની ઓફર કરી. મેં તો ના પાડી પણ તેણે ખૂબ દુરાગ્રહ કરી મને એક ગ્લાસમાં સોફ્ટ ડિં્રકસ આપ્યું. કારમાં કેટલીક ખાલી બાટલીઓ પડેલી હતી. થોડી વારમાં મને ઘેન ચડયું. મને ઝાંખુ ઝાંખું દેખાવા લાગ્યું. તે પછી મને યાદ નથી કે એ મને ક્યાં લઇ ગયો. મને એટલું જ યાદ છે કે અમિત મને કારમાંથી બહાર ખેંચીને એક નવા જ બંધાઇ રહેલા બિલ્ડિંગના પગથિયા પર ઢસડી રહ્યો હતો. એણે મને ક્રોંકિટના સરફેસ પર સુવાડી દીધી. હું ચીસો પાડતી રહી. પણ એ મારી પર બળજબરી કરતો રહ્યો. મેં ખૂબ પ્રતિકાર કર્યો પરંતુ તે મારાથી વધુ શક્તિશાળી હતો.

મને યાદ નથી એણે કેટલીવાર મારી પર બળાત્કાર કર્યો. તે પછી તે મને તેની કારમાં ઘસડી ગયો. તે પછી મને એટલું જ યાદ છે કે હું કોઇ અજાણ્યા ઘરમાં હતી. એ ઘરમાં પાંચથી છ જેટલા માણસો પહેલેથી જ મોજુદ હતા. અમિતે એ બધાંને બોલાવી રાખ્યા હોય તેમ મારી રાહ જોતા હતા. તે બધાએ વારાફરતી મારી પર બળાત્કાર કર્યો. હું બેભાન થઇ ગઇ.

મને જ્યારે ભાન આવ્યું ત્યારે જ મને ખબર પડી કે હું ઇડીએમ મોલના પગથિયા પર પડેલી છું. એ લોકો મને અહીં મૂકીને જતા રહ્યા હતા. એ વખતે સવાર થઇ ગઇ હતી. હું બેઠી થઇ. એક ઓટો ભાડે કરી હું ઘેર પહોંચી. મારા પતિ ગુસ્સાથી લાલચોળ હતા. એમણે ત્રાડ પાડીને મને પૂછયું : “આખી રાત ક્યાં હતી?”

હું પણ ગુસ્સે થઇ ગઇ. રડી પડી અને સ્વસ્થ થયા બાદ રાત્રે જે કાંઇ બન્યું તે બધું જ મેં એમને કહી દીધું. તે પછી હું અને મારા હસબન્ડ પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ લઇને ગયા. પોલીસે અમારી ફરિયાદ ફાડી નાંખતાં કહ્યું : “તમે તમારી આબરુ અને નામ શા માટે ખરાબ કરવા માંગો છો?”

અમે પોલીસના વલણ સામે વિરોધ કર્યો. અમે ઘેર પાછા ફર્યા પરંતુ મારા હસબન્ડ એક પત્રકારને ઓળખતા હતા. એક ન્યૂઝ ચેનલે મારી સાથે ઘટેલી ઘટના ચેનલ પર પ્રસારીત કરી મીડિયાનું દબાણ વધતાં પોલીસે અમારી ફરિયાદ લીધી, અને મુખ્ય આરોપી અમિત સામે ગુનો દાખલ કર્યો.

તે પછી નવા દુઃખોનો આરંભ થયો. મારે હવે બીજા ૨૨ વર્ષ સુધી એ યાતનાઓ ભોગવવાની હતી. એ ઘટના પછી મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું હતું. મારું જીવન નર્કાગાર જેવું બની ગયું. મારા પતિનો જ બિઝનેસ ફ્રેન્ડ મારી પર બળાત્કાર કરશે અને તેના મિત્રોને પણ બોલાવી સામૂહિક બળાત્કાર કરાવશે તેવી કલ્પના પણ કરવી મુશ્કેલ હતી. મારા પતિ દારૂની લતે ચડી ગયા. મારા પતિ મારી પર જાત જાતના વ્યંગ કરી મને જેમ તેમ બોલવા લાગ્યા. પણ હું જાણતી હતી કે તેઓ હજુ મને ચાહતા હતા. હું એ પણ જાણતી હતી કે, તેઓ મને કદીયે ઘરમાંથી બહાર કાઢી નહીં મૂકે. એમણે એવું કદી ના કર્યું. પરંતુ અમારા સગાઓ, પડોશી અને મિત્રોએ અમારું જીવન યાતનાઓથી ભરી દીધું. બધા મારા માટે જેમ તેમ બોલતા રહ્યા. હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મારી સામે જોઇ રહેતા હતા. અંદરોઅંદર ગુપચૂપ વાતો કરતા હતા. એક તબક્કે તો મને જ લાગ્યુ કે જાણે મેં જ કોઇ ગુનો કર્યો છે. એ લોકો એવું જ કહી રહ્યા કે જાણે કે મેં જ મારી પર બળાત્કાર કરવા એ બધાને નિમંત્ર્યા હતા. પડોશીઓ અને મિત્રોના મહેણાં ટોણાંથી અમે ઇસ્ટ દિલ્હી છોડી દીધું અને બીજે રહેવા જતાં રહ્યાં.

એ સમય દરમિયાન હું સગર્ભા બની. હું એક પુત્રની માતા બની. હવે હું મારા પતિના હરિયાણામાં આવેલા નાનકડા ગામમાં રહેવા જતા રહ્યા. અહીં પણ શાંતિ ના મળી. લોકો મારી પર થયેલા બળાત્કારની વાતો કરી મારી પર ટીકાઓ કરતા રહ્યા. દિલ્હી કરતા અહીં તો સહુથી વધુ વાતો થતી રહી. મેં આપઘાત કરવા વિચાર કર્યો પણ મારા નાનકડા પુત્રનો ચહેરો સામે આવી જતાં હું એમ ના કરી શકી. હું મરી જઇશ તો મારા દિકરાની સંભાળ કોણ લેશે? એવા ખ્યાલથી મેં જીવવાનું નક્કી કર્યું. કેટલાક સમય બાદ ફરી હું બીજા એક પુત્રની માતા બની. પરંતુ હું મારા હસબન્ડને નોર્મલ બનાવી ના શકી. તેઓ વધુને વધુ દુઃખી રહેવા લાગ્યા. તેમની વ્યથા ભૂલી જવા તેઓ વધુ ને વધુ દારૂ પીવા લાગ્યા.

આ તરફ હવે અમિત અને તેના સાગરીતો સામેનો કોર્ટ કેસ શરૂ થયો. અમિતને અગાઉ જામીન મળી ગયા હતા. તે બહાર આવ્યો તે પછી અમને વારંવાર ધમકીઓ મોકલ્યા કરતો હતો. એના પરિવાર તરફથી ભારે દબાણ શરૂ થયું. અમિત તરફથી ધમકીના ફોન ચાલુ જ રહ્યા. હવે હું મારા ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતી નહોતી. કેટલાક આરોપીઓના વાલીઓ મારા ઘરે આવ્યાં અને તેમના દિકરાઓનું જીવન બચાવવા અમને વિનવણી કરવા લાગ્યા. કેસ, લાંબો ખેંચાતો રહ્યો. છેવટે એ લોકોના ભારે દબાણને વશ થવું જ પડયું. અમે કોર્ટની બહાર સમાધાન કરવા સંમત થયા. અમને દોઢ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. મારા શીલની કિંમત માટે દોઢ લાખ રૂપિયા!

એ સમાધાનના થોડા સમય બાદ મારા પતિ ગુજરી ગયા. હવે બધોજ આધાર મારા પર જ હતો. મારે મારા પગ પર જ ઊભા રહેવાનું હતું. હા, મારા માટે માથે છાપરૂ હતું. મેં કામ કરવાનું નક્કી કર્યું. મારા પુત્રોને જીવાડવાનો એ એકમાત્ર વિકલ્પ હતો. મારા સગાંઓ અને મારા સાસરિયા તરફથી ભારે વિરોધ છતાં મેં નોકરી શોધી કાઢી અને કામ કરવાનું શરૂ કર્યું. હવે હું સરકારની એક ઓફિસમાં સુપરવાઇઝર છું. હું કોન્ટ્રાક્ટ પર જોબ કરુ છું. મને જે પૈસા મળે છે તે પૂરતા નથી, પણ હું ચલાવી લઉં છું. હું મારા સંતાનોને જીવાડી શકું છું.

૨૦૦૬ની ……. એ આગલી કાળરાત્રી પછી મેં મારી યાતનાભરી જિંદગીની એક લાંબી સફર તય કરી છે. મને એ વાતનો આનંદ છે કે હવે હું શક્તિશાળી બની છું.હવે કોઇની તાકાત નથી કે મારી સામે આંખ ઉઠાવીને જોઇ શકે. હવે હું કોઇને મારી આંખમાં આંખ મિલાવવા પણ દેતી નથી. મારી પાસે હવે નોકરી છે. મારા દિકરાઓ સ્કૂલે ભણવા જાય છે. મારી પાસે હવે જીવવાનું કારણ છે. મારા પુત્રો મારી આશા છે. હા, કોઇવાર રાત્રે મને બિહામણાં સ્વપ્ના આવે છે પણ ધીમે ધીમે એ દુઃખ હું ભૂલી રહી છું. પણ મારો ક્રોધ હજુ શમ્યો નથી.”

(સૌજન્ય : હિન્દુસ્તાન ટાઇમ્સમાં માનસી દાસગુપ્તા નામના મહિલા પત્રકાર દ્વારા લખાયેલી કથા પર આધારીત. પીડિતાનું નામ તેની ઓળખ છૂપાવવા માટે લખવામાં આવ્યું નથી. તસ્વીર પ્રતીકાત્મક છે.)

– દેવેન્દ્ર પટેલ

બીડીના શોખીન નેતાએ જ્યારે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પીઢ નેતા ઠાકોરભાઇ દેસાઇ ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાંથી ૧૯૬૨ની ચૂંટણી હાર્યા અને ૧૯૬૭માં તે જ મત વિસ્તારમાંથી ફરી ચૂંટણી લડયા. આ વખતે તેમની જીત થઇ. આગલી સરકારમાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના વિમાની અકસ્માત બાદ હિતેન્દ્રભાઇ દેસાઇ મુખ્યમંત્રી થયા હતા. તેઓ ૧૯૬૭માં પણ મુખ્યમંત્રીપદે ચાલુ રહે તે સ્વાભાવિક હતું. પરંતુ ઠાકોરભાઇ દેસાઇના કાર્યકરોએ કહી નાંખ્યુ કે “આપણે કાંઇ વિધાનસભાનો એક સભ્ય ચૂંટીને મોકલતા નથી, આપણા ગુજરાતનો મુખ્યમંત્રી ચૂંટીને મોકલીએ છીએ.”

બીડીના શોખીન નેતાએ જ્યારે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું

ઠાકોરભાઇ દેસાઇ પણ સહજ આનંદમાં હતા. તેમણે પેલા કાર્યકર્તાની વાત ટાંકીને કહ્યું : “હું મુખ્યમંત્રી થાઉં કે ના થાઉં એ વાત જુદી છે, પણ મુખ્યમંત્રી બને તેવા સંભવીત નામોમાં મારી ગણના થાય છે.”

ઠાકોરભાઇ દેસાઇનું આ વિધાન સાંભળ્યા બાદ હિતેન્દ્રભાઇ દેસાઇના હિતેચ્છુઓને ફાળ પડી અને ઠાકોરભાઇ ખરેખર શું બોલ્યા હતા તે જાણવા દોડાદોડી કરી મૂકી. ઘણા કાર્યકર્તાઓએ ઠાકોરભાઇને કહ્યું: “એકવાર તમે મુખ્યમંત્રી બનવા હા પાડો બસ પછી અમે બધું સંભાળી લઇશું.”

“ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું : “મુખ્યમંત્રી તરીકે બધા મને પસંદ કરે તો પણ એ કરવા જેવંુ નથી. કારણ કે એમ કરવાથી કોંગ્રેસની શિસ્ત તૂટી જાય. અને બીજું કેન્દ્રમાં મોરારજીભાઇનું સારું ના દેખાય. હું વિધાનસભામાં માત્ર સભ્ય તરીકે બેઠો હોઉં તે જ પૂરતું છે.

બેંક એકાઉન્ટ નહોતો

તે પછી હિતેન્દ્રભાઇ દેસાઇ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ઠાકોરભાઇ દેસાઇને પંચાયત, સહકાર, ખેતી ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા. ૧૯૫૨ થી ૧૯૭૧ સુધી ઠાકોરભાઇ દેસાઇ અમદાવાદમાં રહ્યા. ૧૯૬૭ સુધી અમદાવાદની કોઇપણ બેંકમાં તેમનો એકાઉન્ટ નહોતો. ૧૯૬૭માં હિતેન્દ્રભાઇ દેસાઇના મંત્રીમંડળમાં તેઓ પ્રધાન બન્યા અને મંત્રી તરીકેના વેતનનો પહેલો ચેક તેમને મળ્યો ત્યારે તેમના અંગત મદદનીશ છોટુભાઇએ ઠાકોરભાઇના પુત્ર જિતેન્દ્ર દેસાઇને પૂછયું : “સાહેબનો બેંક એકાઉન્ટ કઇ બેંકમાં છે?”

જિતેન્દ્ર દેસાઇએ કહ્યું : “પિતાજીના નામના કોઇ બેંક એકાઉન્ટ છે જ નહીં!” તે પછી આશ્રમ રોડની સેન્ટ્રલ બેંકમાં એમને બોલાવવામાં આવ્યા. ૧૯૭૧માં તેમનું અવસાન થયું ત્યારે તેમાં નજીવું બેલેન્સ હતું. ઠાકોરભાઇ દેસાઇએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી હતી.

બીજું કાંઇ છે?

ઠાકોરભાઇ દેસાઇનું વ્યક્તિત્વ સ્પષ્ટ નિખાલસ અને ભાતીગળ હતું. પત્રકારોને તેઓ ગમતા પણ ખરા અને ક્યારેક સાવ વિચિત્ર પણ લાગતા. એ વખતના દેશના રાષ્ટ્રીય નેતા ગોવિન્દ વલ્લભ પંત ગુજરી ગયા. ગોવિન્દ વલ્લભ પંતે આજે જાઉં કે કાલે જાઉં કરતા ખાસ્સા ૩૦ થી ૪૦ દિવસ મૃત્યુને પાછું ધકેલ્યું હતું. એ પછી એક મધરાતે તેઓ ગુજરી ગયા. એક ઉત્સાહી પત્રકારે મધરાતે ફોન કરી ઠાકોરભાઇને ઊંઘમાંથી ઉઠાડતાં કહ્યું : “ઠાકોરભાઇ, ગોવિંદ વલ્લભ પંત ગયા.”

ઠાકોરભાઇએ કહ્યું “સારું. બીજું કાઇ છે?”

પત્રકાર શું કહે? બોલ્યા વગર ફોન મૂકી દીધો.

બંદૂકની ગોળીઓ પર

ઠાકોરભાઇ કેટલીયવાર બોલે જ એવું કે અખબારોને મસાલો મળી જતો. મહાગુજરાતની ચળવળ વખતે ભદ્ર કોંગ્રેસ ભવન પરથી વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો હતો. વિદ્યાર્થીઓ શહીદ થયા. કોઇએ ઠાકોરભાઇને પૂછયું તો તેમણે કહ્યું હતું : “બંદૂકની ગોળી પર કોઇના નામ સરનામાં હોતા નથી.”

એકવાર તેઓ ભરૂચ કાર્યકર સંમેલનમાં ગયા હતા. એ વખતે દક્ષિણ ગુજરાતની અલગ યુનિર્વિસટી શરૂ થઇ હતી. એ વખતે કોઇકે તેમને યુનિર્વિસટી અને વાઇસ ચાન્સેલર અંગે પ્રશ્ન પૂછયો. એના જવાબમાં ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું હતું : “પહેલાં મુંબઇની એક જ યુનિર્વિસટી હતી. તેમાં વાઇસ ચાન્સેલરને મળવું હોય તો પણ મળાય નહીં તેવી સ્થિતિ હતી. આજે સાત યુનિર્વિસટી થઇ જતાં વાઇસ ચાન્સેલર તો હવે બજારમાં મળે છે.” અખબારોએ ઠાકોરભાઇ દેસાઇના આ વિધાનને બોક્સ બનાવી છાપ્યા હતા.

કચરો સાફ થઇ ગયો

એ જ રીતે ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઇ વચ્ચે મતભેદો થતાં કોંગ્રેસના ભાગલા થયા. તેની ઘણી મોટી અસર ગુજરાતમાં હતી. એ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ઠાકોરભાઇ દેસાઇ હતા. તેઓ મોરારજી દેસાઇની સ્પષ્ટ તરફેણમાં હતા. ઠાકોરભાઇ દેસાઇ મોરારજી દેસાઇના ચુસ્ત સમર્થક હતા. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. એ સમયે મોરારજી દેસાઇ અને ઇન્દિરા ગાંધી વચ્ચે મતભેદો પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા ત્યારે ઠાકોરભાઇ દેસાઇએ કોંગ્રેસ ભવનમાં પ્રવચન કરતાં જાહેરમાં કહ્યું હતુ કે, “ઇન્દિરા ગાંધીને વડાપ્રધાનની ખુરશીમાંથી ઉઠાડી મૂકો. જેમને કોંગ્રેસમાં વિશ્વાસ ના હોય તેઓ કોંગ્રેસ છોડી જાય.” આવું બોલવાની હિંમત બીજા કોઇ કોંગ્રેસીમાં નહોતી.

બીજા દિવસના અખબારોમાં ઠાકોરભાઇ દેસાઇનું આ વિધાન હેડલાઇન્સ તરીકે પ્રગટ થયું. તે પછી કોઇ પત્રકારે ઠાકોરભાઇને પૂછયું : “જે લોકો કોંગ્રેસ છોડી ગયા છે તેમના માટે તમે શું માનો છો?”

ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું : “ગયા તે સારું થયું. કચરું સાફ થઇ ગયું.” ઠાકોરભાઇના આ વિધાને પણ ખૂબ ચર્ચા ઊભી કરી હતી.

ચા અને બીડીના શોખીન

ઠાકોરભાઇ દેસાઇ ચા પીવાના શોખીન હતા. કોઇના ઘેર ગયા હોય અને યજમાન ચા પીવાની ઓફર કરે તો ઠાકોરભાઇ ભાગ્યે જ નકારતા. રાત્રે લાંબો પ્રવાસને અંતે ઘેર આવે તો પણ એક કપ ચા પીને ઘસઘસાટ ઊંઘી જતા. એ જ રીતે બીડી પીવાના પણ તેઓ શોખીન હતા. ઘરમાં કકળાટ છતાં તેઓ બીડી છોડી શક્યા નહોતા. ઘરમાં નિયંત્રણ આવતાં ક્યારેક બાથરૂમમાં જઇ બીડી પી લેતા. તે પછી કાળજીથી બાથરૂમ ધોઇ નાંખતા અને બાથરૂમમાંથી બીડીની વાસ ના જાય ત્યાં સુધી બહાર આવતા નહીં. બહાર ગયા હોય અને તેમની બીડીઓ ખલાસ થઇ ગઇ હોય તો કાર્યકર પાસેથી પણ બીડી માંગીને પીતા તેમને સંકોચ થતો નહીં. નવસારીમાં બીડી વાળનાર કેટલાક મુસલમાન કારીગરોએ પોતે વાળેલી બીડી જાતે જ વેચવી તેમ નક્કી કર્યું હતું. તે માટે તેમણે દુકાન રાખવાનું નક્કી કર્યું. એક દુકાન રાખ્યા બાદ તેનું ઉદ્ઘાટન કોની પાસે કરાવવું તે મૂંઝવણ હતી. કારીગરોએ નક્કી કર્યુ કે બીડીની દુકાનના ઉદ્ઘાટન માટે બીડીની લિજ્જત માણનાર વ્યક્તિ જ હોવો જોઇએ. તે બધાની નજર ઠાકોરભાઇ દેસાઇ પર ઠરી. બધા કારીગરો ઠાકોરભાઇ પાસે ગયા અને તેમની બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરવા આવવા વિનંતી કરી. ઠાકોરભાઇ દેસાઇએ તરત જ હા પાડી દીધી. ઠાકોરભાઇ દેસાઇ બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરી ઘેર આવ્યા ત્યારે તેમની પાસે પચાસેક બીડીની ઝૂડીઓ હતી.

ઠાકોરભાઇ દેસાઇ જેવું તળપદું અને સ્વચ્છ વ્યક્તિત્વ આજે જાહેર જીવનમાં શોધ્યું પણ જડે તેમ નથી.

ઠાકોરભાઇ દેસાઇએ કાર્યકરોના આગ્રહ છતાં મુખ્યમંત્રી બનવા ઇનકાર કરી દીધો

રાજનીતિની રૂલબુક કઇ?

ગાંધીજી સાહિત્ય પરિષદની ચૂંટણી હાર્યા.અબ્રાહમ લિંકન અનેક વાર ચૂંટણીઓ હાર્યા.ચર્ચિલને પણ લોકોએ હરાવી દીધા.ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં હતાં.મોરારજી દેસાઇ ચૂંટણી હારી ગયા હતા.

રાજનીતિની રૂલબુક કઇ?

 લોકસભાની ચૂંટણી પૂરી થઈ. પરિણામો પણ આવી ગયાં. નવી સ્થિર સરકારની રચના પણ થઈ. કેટલાંક જીતી ગયા. બહુ બધાં હારી ગયા. ક્યાંક ભારે ઉત્સવ તો ક્યાંક શોકની કાલિમા જોવા મળી. હંમેશાં જીતનારાઓ કરતાં હારનારાઓની સંખ્યા વધારે હોય છે. પરાજિત ઉમેદવારો અને પાર્ટીઓને કળ વળતાં સમય લાગશે. યાદ રહે કે રાજનીતિ એ અનિશ્ચિતતાથી ભરપૂર બાબત છે. રાજનીતિ ક્રૂર પણ છે અને પ્રવાહી પણ છે. હાર-જીતના કોઈ ચોક્કસ નિયમો હોતા નથી. તેની કોઈ પ્રમાણિત રૂલબુક પણ નથી. જેઓ માત્ર ચૂંટણી જ જીતે છે તેઓ જ જીવનનાં તમામ ક્ષેત્રોમાં કામયાબ છે તેવું નથી. જેઓ માત્ર ચૂંટણી જ જીતે છે તેઓ જ ભારતના ભાગ્યવિધાતા બને છે તેવું પણ નથી. ગાંધીજી ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખપદની સામાન્ય ચૂંટણી હારી ગયા હતા. તેઓ કદીયે લોકસભાની ચૂંટણી લડયા નહીં છતાં તે ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા. ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગોર, દાદાભાઈ નવરોજી કે મોતીલાલ નહેરુ ચૂંટણી લડયા વગર દેશમાં સહુના આદરણીય રહ્યા. ઇંદિરા ગાંધી એક વાર ચૂંટણીમાં પછડાટ ખાધા પછી પણ વડાપ્રધાન બન્યાં હતાં. ચૂંટણીમાં હાર-જીત એ કુદરત અને જીવનની રમતનો એક ભાગ છે. જેઓ જીતે છે તેમણે હારવાની તૈયારી રાખવી જોઈએ અને જેઓ હારે છે તેમણે જીતવાની તૈયારી રાખવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર સામે બ્રિટન અને સાથી પક્ષોને જીત અપાવનાર બ્રિટનના વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલને લોકોએ હરાવી દીધા હતા.

પોલિટિકલી ઇનકરેક્ટ છતાં ચૂંટણીમાં હારજીત તો ચાલ્યા કરે છે. અમેરિકાના સન્માનનીય પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન અનેક વાર ચૂંટણીઓ હાર્યા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા. અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ બરાક ઓબામા શ્વેત માતાની કૂખે જન્મેલા કાળા પિતાના બાળક હતા. જેને ગોરાઓ કાળો અને કાળાઓ ગોરો સમજતા, જે બન્નેના રોષ અને અવિશ્વાસનું પાત્ર હતો. આજે એ માણસ વ્હાઈટ હાઉસમાં ગયો છે. કાળાઓએ પણ એને પોતાનો માન્યો છે અને ગોરાઓએ પણ. બરાક ઓબામાની ઉમેદવારી દુન્યવી રીતે ‘પોલિટિકલી કરેક્ટ’ નહોતી છતાં માત્ર અમેરિકાએ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સમાજે તેમને સ્વીકૃતિ આપી છે.

ઓબામાની સફળતા એમના એટિટયુડ્સમાં છુપાયેલી છે. જે વાત માટે એમને રંજાડવામાં આવ્યા હતા એ જ વાત એમની આઉટસ્ટેન્ડિંગ ગુણવત્તાનો સજ્જડ પુરાવો બની ગઈ છે. એવું નથી કે બરાક ઓબામાએ ભૂલો કરી નથી, પણ દરેક વખતે તેમણે નવી ભૂલો કરી અગાઉની ભૂલોનું પુનરાવર્તન કર્યું નથી. પરાજયથી નિરાશ થવાને બદલે દરેક વખતે તેમની વિજયની ભૂખ વધતી રહી. બહુ ઓછા લોકો જાણે છે કે નાનપણમાં શાળામાં તેમને ‘ઢોલુ’ કહી અન્ય બાળકો ચીડવતાં હતાં. બાલ્યાવસ્થામાં તેઓ દારૂ, સિગારેટ અને ડ્રગ્સના શિકાર બન્યા હતા, પરંતુ યુવાનીમાં હોસ્ટેલમાં રહી અભ્યાસુ બની ગયા અને તે પછી જીવનની ક્ષિતિજો વિસ્તારવા આયોજન કરવા લાગ્યા. ઓબામાના દોસ્તો કહે છેઃ “એમના જેટલું સૂક્ષ્મ આયોજન ભાગ્યે જ કોઈ કરતું હશે. માણસો આળસુ હોતા નથી, પરંતુ તેમની પાસે સર્જનાત્મક સ્વપ્નો હોતાં નથી. માણસો કામચોર હોતા નથી પરંતુ તેમની પાસે કામનું કોઈ પ્રયોજન હોતું નથી. રાજનીતિમાં બીજાં કાર્યો હોતાં નથી, પરંતુ બીજા ક્રમાંકની પોઝિશન હોતી નથી. આવું માનનારા માણસો પાસે વિજય સિવાય બીજું કાંઈ મળતું નથી.”

પૂર્ણ સમયની રમત

પ્રેસિડેન્ટ બરાક ઓબામા કહે છેઃ “રાજકારણ એ પૂર્ણ સમયની રમત છે અને અધવચ્ચેથી છોડી શકાય નહીં. તેમાં રહેલી મજા જોતાં રહેવાથી પણ ચાલતું નથી. થોડી તડજોડ પણ કરવી પડે છે, પણ છેવટે તો તમારે મેદાન પર જ પરફોર્મ કરવું પડે છે. એકમાત્ર સાચું છે કે, એ માટે ખેલદિલી અર્થાત્ સ્પોર્ટ્સમેન સ્પિરિટ જોઈએ અને જીતવા માટે સખત વ્યૂહરચના જોઈએ. જીતવા માટે એનાથી વધુ કાંઈ કરવું પડતું નથી.”

લિંકનને ટિકિટ ન મળી
હવે થોડોક ફલેશબેક.

ગુલામોના તારણહાર અબ્રાહમ લિંકનની વાત કરી લઈએ. અબ્રાહમ લિંકન ઈલિનોય રાજ્યના ધારાસભ્ય તરીકે આઠ વર્ષના અનુભવ બાદ હવે રાષ્ટ્રીય ભૂમિકા પર ‘કોંગ્રેસ’માં જવા માગતા હતા. ભારતમાં કોંગ્રેસ એ રાજકીય પક્ષનું નામ છે પણ અમેરિકામાં પાર્લમેન્ટને કોંગ્રેસ કહે છે. પક્ષમાં તેમના અનેક મિત્રો હોવા છતાં તેમને કોંગ્રેસ (પાર્લમેન્ટ)માં જવાની ટિકિટ ન મળી. ફરી ટિકિટ માટે તેમણે ચાર વર્ષ રાહ જોવાનું નક્કી કર્યું. છેવટે તા.૧ મે, ૧૮૪૬ના રોજ વિગ પક્ષના સંમેલનમાં તેમને કોંગ્રેસમાં જવા માટે પક્ષના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા.

ક્યાં જવા માગો છો?

એ વખતે લિંકનની સામે પીટર કાર્ટરાઈટ નામનો ડેમોક્રેટિક પક્ષનો ઉમેદવાર ખૂબ જ પ્રભાવશાળી અને આગઝરતાં ધર્મોપદેશક ભાષણો આપનાર મજબૂત ઉમેદવાર હતો. તે ઝનૂની હતો. પીટર કાર્ટરાઈટ લિંકનની વિરુદ્ધ કંઈ કહી શકે તેમ નહોતો તેથી તે બધી જ સભાઓમાં લિંકનને નાસ્તિક કહેતો હતો. અબ્રાહમ લિંકન કોઈ પણ ખ્રિસ્તી સંપ્રદાયના કે ચર્ચના સભ્ય નહોતા. ચૂંટણી દરમિયાન તેમના હરીફે એક પેંતરો રચ્યો. તેમની સામેનો ઉમેદવાર પીટર કાર્ટરાઈટ એક સ્થળે ધાર્મિક પ્રવચન આપવાનો હતો. જાણીબૂઝીને યોજનાના ભાગરૂપે એણે એ સભામાં લિંકનને પણ આવવા આમંત્રણ આપ્યું. મિત્રોએ લિંકનને એ સભામાં ન જવા સલાહ આપી હતી, પરંતુ એ સલાહને અવગણીને લિંકન એ ધાર્મિક સભામાં ગયા. હવે લાગ જોઈને પીટર કાર્ટરાઈટે લિંકનને સાણસામાં લેવા એક યુક્તિ કરી. એણે સભાજનોને સંબોધતાં કહ્યું: ” જેઓ નવું જીવન જીવવા તથા પોતાનું હ્ય્દય ઈશ્વરને સર્મિપત કરવા ઇચ્છતાં હોય તથા જેઓ સ્વર્ગમાં જવા ઇચ્છતા હોય તે બધાં ઊભા થાય.”

લિંકન સિવાયના તમામ સભાજનો ઊભા થઈ ગયા. એ પછી કાર્ટરાઈટે બધાંને બેસી જવા કહી ફરી કહ્યું: “જેઓ નર્કમાં જવા ન ઇચ્છતા હોય તે બધાં ઊભા થાય.” આ વખતે પણ લિંકન સિવાયના બધાં જ સભ્યો એકદમ ઊભા થઈ ગયા.

એ પછી પીટર કાર્ટરાઈટે અબ્રાહમ લિંકનને પૂછયું: “મિ.લિંકન, તમે ક્યાં જવા માગો છો? હું એ પૂછી શકું?”

અબ્રાહમ લિંકને ઊભા થઈ જવાબ આપ્યોઃ “હું ન તો સ્વર્ગમાં જવા માગું છું કે ન તો નર્કમાં, હું કોંગ્રેસ (પાર્લમેન્ટ)માં જવા માગુ છું.”

નવા મતદારો મળ્યા

અબ્રાહમ લિંકનના આ સ્પષ્ટ જવાબની અસર પીટર કાર્ટરાઈટે ધારી હતી કે એ કરતાં ઊલટી થઈ અને મોટા ભાગના સભાજનો લિંકનની તરફેણમાં થઈ ગયા. લિંકનને અનાયાસે જ નવા મતદારો મળી ગયા. મણિશંકર ઐયરે જે રીતે નરેન્દ્ર મોદીને ચાવાળો કહી ફસાવવા કોશિશ કરી અને મોદીને અનાયાસે પણ આ રીતે જ નવા મતદારો મળી ગયા તેમ. ચૂંટણીનું પરિણામ અબ્રાહમ લિંકનની તરફેણમાં આવ્યું!

સહુને જીતવા માગું છું

ચાલો, ફરી બરાક ઓબામા પર આવીએ. ઓબામા ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ જે શિકાગો યુનિવર્સિટીમાં ભણ્યા હતા તે રાઈડ પાર્કમાં આવેલી છે. ઓબામા ગોરા અને કાળાઓ વચ્ચે એક સેતુ બનવા માગતા હતા. આ સંદર્ભમાં તેમના એક અધ્યાપકે ઓબામાને સલાહ આપી કે ગોરા-કાળાઓને ભેગા કરવાની મથામણમાં એ બેઉ તારાથી દૂર થઈ જશે. આ રમત ડેન્જરસ છે.

એ વખતે તેમની કોલેજના એક પ્રિન્સિપાલે પૂછયું: “મિ.ઓબામા, તમારી વોટબેન્ક કઈ?”

“હાલ તો આફ્રિકન-અમેરિકન” ઓબામાએ જવાબ આપ્યો.

“તમે આ ગોરા અને કાળાઓને સાથે લાવવા પ્રયત્ન શા માટે કરો છો?”

“કારણ કે મારે ફક્ત ચૂંટણી જ જીતવી નથી.”

“એટલે?”

“આપણે સહુ કોઈએ જીતવું છે.”

“એટલે?”

“એટલે એનો અર્થ એ છે કે, વર્ષો સુધી આપણા દેશના લોકોને રોજગાર મળવાનો ન હોય, વર્ષો સુધી લોકોને સારી આરોગ્યની સેવાઓ મળવાની ન હોય, વર્ષો સુધી બાળકોને સારું શિક્ષણ મળવાનું ન હોય, વર્ષો બાદ પણ લોકોનાં ઘરમાં સાદું ફ્રીજ પણ ન હોય તો આપણે મતોનું રાજકારણ કરતા રહેવાનો કોઈ અર્થ નથી.”

અને કોલેજના પ્રિન્સિપાલે કહ્યું: “મિ.ઓબામા, તમારા જેવો યોગ્ય પ્રાધ્યાપક શોધેય નહીં મળે.”

ભારતની લોકસભામાં ચૂંટાયેલા અને નહીં ચૂંટાયેલા તમામ સભ્યો માટે આ પ્રસંગો એક સાંત્વન અને દિશાસૂચન છે. યાદ રહે કે રાજનીતિમાં કોઈ સ્ટાન્ડર્ડ રૂલબુક નથી. પરિણામનો મતલબ ધી એન્ડ નથી.

www. devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén