Devendra Patel

Journalist and Author

Date: June 18, 2014

એક ભાભીએ દિયર સાથે વેર લેવા યોજના ઘડી કાઢી

હરપ્રીત કૌરનું આજે લગ્ન હતું. ભાવિ પિયા સાથે ડોર બાંધવામાં હવે માત્ર ત્રણ જ કલાક બાકી હતા. હરપ્રીત મનમાં ઇન્દ્રધનુષી સ્વપ્નો નિહાળી રહી હતી. લુધિયાણાના સુપ્રસિદ્ધ ર્સ્ટિંલગ રિસોર્ટમાં લગ્નમંડપ સજાવવામાં આવ્યો હતો. મમ્મીએ કહ્યું : “બેટા! જલ્દી તૈયાર થઇ જા. બ્યુટીપાર્લરમાં સમય લાગશે.”

“હા, મમ્મીજી! ચાલો. હું તૈયાર છું.” : કહેતાં હરપ્રીત કૌરે તેની સખીઓ સાથે ઇનોવા કારમાં બેસી ‘આશા હેર એન્ડ કેર’ નામના સલૂન-બ્યૂટીપાર્લર પહોંચી. સલૂનના સંચાલક સંજીવ ગોયેલે મેકઅપ શરૃ કર્યો. સવારે બરાબર નવ વાગે એક યુવક પાર્લરમાં પ્રવેશ્યો. એણે મોં પર રૃમાલ બાંધી રાખ્યો હતો. તેના હાથમાં કોલ્ડડ્રીંકસની લીલા કલરની પ્લાસ્ટિકની બોટલ હતી. તે સીધો હરપ્રીતકૌર પાસે પહોંચી ગયો. સંજીવ ગોયેલ સમજ્યા કે દુલ્હનનો કોઇ સંબંધી પાર્લરની ચેરમાં બેઠેલી હરપ્રીત માટે કોલ્ડ ડ્રીંક લઇને આવ્યો છે. હરપ્રીત કૌર તેને જોઇ રહી. કોઇ કાંઇ સમજે તે પહેલાં અજાણ્યા યુવકે કોલ્ડડ્રીંકની બોટલમાં ભરેલુ તરલ પ્રવાહી હરપ્રીતકૌરના ચહેરા પર ઢોળી દીધું, અને બોટલ ત્યાં ફેંકી તે ભાગી ગયો.

હરપ્રીત કૌર એકદમ ચીસો પાડવા લાગી. તેના ચહેરા પરથી ધૂમાડા ઊઠી રહ્યા હતા. તેની પર તેજાબ ઢોળી દેવામાં આવ્યો હતો. તેજાબ છેક ગળા સુધી પ્રસરી ગયો હતો. બ્યુટીપાર્લરના માણસો અજાણ્યા યુવકને પકડવા બહાર દોડયા પરંતુ એ શખસ મારુતિ ઝેન કાર લઇ ભાગી ગયો.

હરપ્રીત કૌરને બેહદ નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તે તડપી રહી હતી. તેની હાલત ગંભીર હોઇ આઇસીયુમાં દાખલ કરવામાં આવી. ઘટના પણ બેહદ ગંભીર હોઇ પોલીસે ઉચ્ચ અધિકારીઓની એક ટીમને તપાસ સોંપી. શહેરમાં આ અગાઉ પણ ચાર-પાંચ યુવતીઓ પર તેજાબ ફેંકવામાં આવ્યો હતો. હરપ્રીતકૌર ૫૦ ટકા કરતા વધુ દાઝી ગઇ હતી.

પોલીસે તપાસ શરૃ કરી. પહેલી નજરમાં મામલો પ્રેમ સંબંધી લાગ્યો પરંતુ સવાલ એ હતો કે હરપ્રીતકૌર પર તેજાબ ફેંકવાવાળો અજાણ્યો શખસ કોણ હતો જેણે લગ્નના થોડા કલાક પહેલાં જ ખુશીને માતમમાં બદલી નાંખી. પોલીસે બ્યુટીપાર્લર જઇ તપાસ શરૃ કરી. સદભાગ્યે બ્યુટીપાર્લરની અંદર અને બહાર સીસીટીવી કેમેરાજ લાગેલા હતા. સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા ફૂટેજમાં એક શખસ દેખાયો પણ તેણે ચહેરા પર રૃમાલ બાંધી રાખ્યો હતો, પરંતુ તેની મારુતિકારનો નંબર દેખાતો હતો. પોલીસે કારના નંબરની તપાસ કરી પરંતુ એ નંબર પણ બનાવટી નીકળ્યો.

પોલીસે હવે હરપ્રીતકૌરની માતા દેવિન્દર કૌર સાથે પૂછપરછ કરી એમણે કહ્યું : હા, મારી દિકરીની શાદી નક્કી થઇ તે પછી અમારા ઘેર ફોન પર ધમકીના ફોન આવતા હતા. ફોન પર અમને કહેવામાં આવતું હતું કે, તમારી છોકરીનું લગ્ન એ છોકરા સાથે ના કરો. હરપ્રીત કૌરનું લગ્ન થવાનું હતું એ યુવકનું નામ નીલમ છે.”

પોલીસને લાગ્યું કે, આ એકતરફી પ્રેમનો કિસ્સો લાગે છે. કોઇ યુવક હરપ્રીત કૌરને એકતરફી પ્રેમ કરતો હોવો જોઇએ. એ પછી પોલીસ ફરી આશા હેર એન્ડ કેર નામના બ્યુટીપાર્લર પહોંચી. પોલીસ એ શોધવા માંગતી હતી કે ઘટનાને અંજામ આપવાવાળી વ્યક્તિને કેવી રીતે ખબર પડી કે હરપ્રીત કૌર અમુક જ સમયે આ બ્યુટીપાર્લર આવવાની છે. પોલીસ બ્યુટીપાર્લરના સંચાલકને પૂછયું : હરપ્રીત કૌરના મેકઅપ માટે કોણે બુકીંગ કરાવ્યું હતું અને બીજા કોના કોના ફોન આવ્યા હતા?”

બ્યુટીપાર્લરના સંચાલકે કહ્યું : ‘હરપ્રીત કૌરના પરિવારે બુકિંગ કરાવ્યું હતું પરંતુ એક મહિલાના ફોન પણ અવારનવાર આવતા હતા તે વારંવાર પૂછતી હતી કે ‘હરપ્રીત કૌર મેકઅપ માટે ક્યારે આવવાની છે?’

પોલીસે ઇન કમિંગ કોલ્સની ડિટેઇલ્સ લીધી. હરપ્રીતકૌર માટે ફોન કરનાર મહિલાનો ફોન નંબર શોધી તેનું સરનામું પણ ટેલિફોન કંપની પાસેથી મેળવી લીધું. હરપ્રીત કૌર માટે પૂછપરછ કરનાર મહિલાનું નામ અમિતા હતું. તે પતિયાલા રહેતી હતી. પોલીસે એક ટીમ પતિયાલા મોકલી અને અમિતાને તેના ઘરમાંથી જ પકડી લીધી. શરૃઆતમાં તો એણે કાંઇપણ કહેવા ઇન્કાર કર્યો પરંતુ પોલીસે મનોવૈજ્ઞાાનિક રીતે કડકાઇથી પૂછપરછ કરી તો ખબર પડી કે, હરપ્રીતકૌર પર તેજાબ ફેંકાવવાવાળી માસ્ટર માઇન્ડ અમિતા હતી.

અમિતાએ તેજાબ કેમ ફેંકાવરાવ્યો તે કારણ પણ રસપ્રદ છે. અમિતાને હરપ્રીત કૌર સાથે કોઇજ દુશ્મનાવટ નહોતી. હકીકત એ હતી કે હરપ્રીત કૌરનું લગ્ન જે યુવક સાથે થવાનું હતું તે યુવક-નીલમની અમિતા સગી ભાભી હતી.

વાત જાણે એમ હતી કે હરપ્રીત કૌરની સગાઇ સરદાર રણજીતસિંહના પુત્ર નીલમ સાથે ગોઠવવામાં આવી હતી. આ સગાઇ બાદ કેટલાક અજાણ્યા લોકોના ફોન બંને પરિવારોના ઘેર આવવા લાગ્યા હતા. એ ધમકીઓની પરવા કર્યા વિના બંને પરિવારોએ નીલમ અને હરપ્રીત કૌરના લગ્ન માટે આગળ વધવા નિર્ણય કર્યો હતો પરંતુ લગ્નના થોડા કલાક અગાઉ જ નવવધૂ પર તેજાબ ફેંકવામાં આવ્યો. પોલીસે અમિતાની પૂછપરછ શરૃ કરી તો એક દિલચશ્પ કહાણી બહાર આવી.

અમિતા લુધિયાણામાં રહેતા સોહનસિંહની પુત્રી હતી. અમિતા બચપણથી મહત્ત્વાકાંક્ષી અને સ્વચ્છંદી હતી. તે ખૂબસુરત પણ હતી. લગ્ન પહેલાંથી જ કેટલાયે યુવકો સાથે તેના સંબંધ હતા. તે ઝઘડાળુ અને જિદ્દી પણ હતી. તેણે પોતાની મરજીથી સરદાર રણજીતસિંહના મોટા પુત્ર તરનજીત સિંહ સાથે લગ્ન કર્યુ ંહતું. નીલમ તેનો દિયર થતો હતો. તરનજીત અને તેના પિતા પાસે કરોડોની સંપત્તિ હતી. લગ્નના થોડા દિવસમાં જ અમિતાને ખબર પડી કે પતિ પૈસાદાર છે પરંતુ શરીર સુખ આપી શકવા સમર્થ નથી. થોડા દિવસો બાદ બધું ઠીક થઇ જશે પણ એમ થયું નહીં. અમિતા કામુક સ્ત્રી હતી. થોડા જ દિવસોમાં ઘરમાં ઝઘડા શરૃ થઇ ગયા. માત્ર કરોડોની સંપત્તિની તે માલિકણ હોવાથી હજુ તે એ જ ઘરમાં રહેતી હતી.

થોડા જ વખતમાં તરનજીત સિંહને ખ્યાલ આવી ગયો કે તેની પત્ની અમિતાને બીજા કેટલાક પુરુષો સાથે પણ અનૈતિક સંબંધો છે. વળી તે ઘરની બહાર જ વધુ સમય રહેતી હતી. ઝઘડો વધી ગયો. વાત આગળ વધતાં મામલો કોર્ટમાં ગયો. કોર્ટે છૂટાછેડા મંજૂર રાખ્યા. અમિતા ૭૪ લાખ રૃપિયા રોકડા અને બંગલો લઇ તેની ઇચ્છા વિરુદ્ધ છૂટી થઇ. અમિતા પૂરી સંપત્તિ પર આધિપત્ય જમાવવા માંગતી હતી પરંતુ કોર્ટે કહ્યું કે, સરદાર રણજીતસિંહની સંપત્તિમાં અમિતાના પતિ તરનજીત ઉપરાંત તેનો ભાઇ નીલમ પણ ભાગીદર-હિસ્સો ધરાવે છે તેથી બધી સંપત્તિની અડધી સંપત્તિ અમિતાને આપી ના શકાય. આ કારણથી અમિતા ભારે ગુસ્સા સાથે છૂટી થઇ. અલગ રહેવા લાગી હતી.

એક દિવસ તેને ખબર પડી કે તેના પૂર્વ દિયર નીલમનું હરપ્રીતકૌર સાથે લગ્ન થવાનું છે. આ સમાચાર મળતાં જ તેને સનક ચડી ગઇ. છૂટાછેડા પછી પણ તેને જે અનેક લોકો સાથે સંબંધ હતા તેમાં એક પલવિન્દર હતો. પલવિન્દર અપરાધી વૃત્તિ વાળો માણસ હતો. અમિતાએ પલવિન્દરને કહ્યું : ‘મારે મારા સાસરિયા સાથે બદલો લેવો છે. મારા દિયર નીલમની શાદી છે.’

પલવિન્દેર વ્હિસ્કી પીતાં પીતાં કહ્યું : ‘તું કહે તો નીલમને ઉડાવી દઉં.’

‘ના’ અમિતા બોલી : ‘મારે નીલમને કાંઇ કરવું નથી. હું મારા સાસરિયાના ઘરમાં શહેનાઇ વાગતી જોવા માંગતી નથી. તું નીલમને કાંઇ ના કર પણ તેની થનાર પત્ની હરપ્રીતકૌરના ચહેરાની સુંદરતા ખતમ કરી નાખ. એના ચહેરા પર તેજાબ ફેંક. બસ,આટલુ પૂરતુ છે. હરપ્રીત કૌરનો બેડોળ ચહેરો જોઇ નીલમ પરણશે નહીં. લગ્ન અટકી જશે. એ પછી એ પરિવારને બીજો કોઇ છોકરી નહીં આપે. મને મારા સાસરિયાના પરિવારની તમામ મિલકતમાં અડધો ભાગ જોઇએ છે તેથી ન તો મારા પૂર્વ પતિને પરણવા દઇશ કે ન તો મારા દીયરને. એ પરિવારને વાંઝિયો રાખીશ તો જ મારા આત્માને પણ શાંતિ મળશે. અને એક દિવસ મારા પતિ અને દીયરની મિલકતમાં હું અડધો અડધ ભાગ માંગવા હકદાર બનીશ.’

અમિતાના પ્રેમી પરવિન્દર સિંહે રૃ. ૧૦ લાખમાં હરપ્રીત કૌર પર નાંખવાની સોપારી લીધી. સવા લાખ રૃપિયા એડવાન્સ પણ લીધા. પલવિન્દરે તેની પ્રેમિકા અમિતાને યોજનાને અંજામ દીધો અને તેના પિત્રાઇ ભાઇ સનીને ચહેરા પર રૃમાલ બાંધી તેજાબ ફેંકવા મોકલ્યો. હરપ્રીત કૌર દાઝી ગઇ, પરંતુ અમિતાની ધરપકડ બાદ પલવિન્દર પણ ઝડપાયો. સની પણ ઝડપાયો પરંતુ હરપ્રીતકૌર કે જેનો આ મામલામાં કોઇ જ દોષ નહોતો તેણે ૨૦ દિવસ બાદ હોસ્પિટલમાં જ દમ તોડી લીધો.

કેવી ખતરનાક સ્ત્રી?

દીયરને કુંવારો રાખવા એક ભાભી એ તેના દીયરની થનાર વાગ્દત્તાની જિંદગીને ખતમ કરી નાંખી. કેરમની રમત યાદ છે ને! બાજુમાં પડેલી કૂકરીને મારવા જોમેટ્રીનો ઉપયોગ કરવામાં આવે છે! અમિતા એ પણ એવું જ કાંઇ કર્યું.

 
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

‘બળદનાં પૂંછડાં આમળનાર વાઇસ ચાન્સેલર બની ગયા છે’

ગુજરાતના પૂર્વ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર ઠાકોરભાઇ દેસાઇ જે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા તે જ વિદ્યાપીઠના તેઓ કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર થયા હતા. ડો. રાજેન્દ્ર પ્રસાદના અવસાન બાદ મોરારજી દેસાઇ ગૂજરાત વિદ્યાપીઠના ચાન્સેલર બન્યા હતા. કોઇએ તેમને પૂછયું કે, “ગૂજરાત વિદ્યાપીઠમાંથી તમે શું શીખ્યા?”

તો ઠાકોરભાઇ દેસાઇને જવાબ આપ્યો હતો : “ગાંધીજી, જગદગુરુ શંકરાચાર્ય, અંબાલાલ સારાભાઇ (મિલમાલિક અને મારો રવિયો દૂબળો એ સહુ સમાન છે.”

રવિયો દૂબળો

રવિયો દૂબળો એટલે કોણ?

ઠાકોરભાઇ દેસાઇ મૂળ નવસારી પાસેના ખરસાડ ગામના વતની. તેમના વડવાઓ મોસાળમાં ગણદેવી જિલ્લાના વેગાળ ગામે ગયા હતા. તેઓ અનાવિલ હતા. મોરારજી દેસાઇ પણ અનાવિલ હતા. વાપીથી તાપી વસતાં અનાવિલ ખેડૂત કુટુંબોમાં હાળીની પ્રથા હતી, હાળી એટલે સુખી જમીનદાર ખેડૂતના ત્યાં કાકા કરતો જમીનવિહોણો ખેત મજૂર. એક એક પ્રકારની ગુલામીની જ પ્રથા હતી. ઠાકોરભાઇ યુવાન હતા ત્યારે તેમના ઘેર ‘રવિયો’ નામનો હાળી-ખેતમજૂર કામ કરતો હતો. આ ‘રવિયો’ ઠાકોરભાઇના મનમાં વસી ગયો હતો. રવિયો એટલે સમાજનો નબળામાં નબળો છેવાડાનો ગરીબ માણસ. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા બાદ ઠાકોરભાઇ દેસાઇ વાઇસ ચાન્સેલરથી માંડીને ગુજરાત સરકારમાં પ્રધાન બન્યા પરંતુ આ સમગ્ર કાળ દરમિયાન ‘રવિયો’- ગરીબ માણસની સેવા જ તેમનો જીવનમંત્ર બની ગયો. એટલે જ તેઓ રવિયા દૂબળાને અને મિલમાલિકને એક સરખા ગણતા.

પાંચ એડમિશન રિઝર્વ

એ વખતે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક એટલે કે વાઇસ ચાન્સેલર કોને બનાવવા તેની શોધ ચાલતી હતી. ઠાકોરભાઇ દેસાઇ તેમના સ્વભાવ પ્રમાણે કોઇ પદ માગે જ નહીં. વિદ્યાપીઠના વરિષ્ઠોએ નક્કી કર્યું કે, ‘ઠાકોરભાઇ દેસાઇને જ વાઇસ ચાન્સેલર બનાવો.’ ઠાકોરભાઇને વાઇસ ચાન્સેલર બનાવવાનું નક્કી થયું તે વખતે ઠાકોરભાઇએ વરિષ્ઠો આગળ એક શરત મૂકી : “તમારે દર વર્ષે મારા માટે પાંચ એડમિશન રિઝર્વ રાખવાં. હું જેના નામની ભલામણ કરું તેને એડમિશન આપવાં.”

પ્રસ્તાવ લઇને ગયેલા રામલાલ પરીખ તેમને ઓળખે એટલે એમણે તરત જ એ શરત મંજૂર રાખી. પણ વાત બહાર આવી ગઇ. અધ્યાપકોમાં ગણગણાટ શરૂ થયો : “આ શરત કેવી? પાંચ એડમિશન વાઇસ ચાન્સેલર ધારે તેને આપે તે કેવું?”

આદિવાસી વિદ્યાર્થી

કેટલાક સમય બાદ એક આદિવાસી ગરીબ વિદ્યાર્થીએ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે અરજી કરી. તે લેખિત પ્રવેશ પરીક્ષામાં નાપાસ થયો. તે વિદ્યાર્થી ઠાકોરભાઇ દેસાઇ પાસે આવ્યો. ઠાકોરભાઇ દેસાઇએ તે ગરીબ વિદ્યાર્થીને પ્રવેશ આપવા સૂચના આપી. કોઇએ પૂછયું : “આમ કેમ કર્યું?”

તો ઠાકોરભાઇ દેસાઇએ જણાવ્યું : “કોઇ વિદ્યાર્થી પછાત વિસ્તારમાંથી આવતો હોય અને તેને ભણવાની તીવ્ર ઇચ્છા હોય તો તેને પ્રવેશ મળવો જ જોઇએ. આવા પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ભણાવવા જ મેં ગૂજરાત વિદ્યાપીઠનું કુલનાયકપદ સ્વીકાર્યું છે. મેં શરત કરી હતી ને કે દર વર્ષે પાંચ એડમિશન મારા માટે રિઝર્વ રાખવાં. મેં આવા કામ માટે એ શરત મૂકી હતી.”

જેને ભણવું છે અને કોઇ ગરીબ રવિયા દૂબળાનો દિકરો છે તેથી તેને નિયમાનુસાર પ્રવેશ મળતો નથી એ વાત ઠાકોરભાઇ દેસાઇને ખૂંચતી.

શિક્ષણ ધનવાનો માટે જ

આજે અમદાવાદ જેવા શહેરોની સ્કૂલો, કોલેજો, ટેકનિકલ ઇન્સ્ટિટયૂટસ, બિઝનેસ મેનેજમેન્ટ કોલેજો કે યુનિર્વિસટીઓ ક્યાં તો મેરીટ્સ પર જ એડમિશન આપે છે અથવા તો ક્યાં તો પૈસા-ડોનેશન લઇને ‘પેમેન્ટ સીટ’ પર એડમિશન આપે છે ત્યારે ઠાકોરભાઇ દેસાઇ જેવી એકપણ વ્યક્તિ આજે ગુજરાતમાં નથી કે જે પછાત વિસ્તારમાંથી કે ગામડામાંથી કે ઝૂંપડપટ્ટીમાંથી આવેલા અને ભણવાની તીવ્ર ઇચ્છા રાખતા ઓછા માર્કસવાળા વિદ્યાર્થીની ચિંતા કરતી હોય! ખરેખર તો ભણવામાં નબળો છે તેને જ સહુથી વધુ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની જરૂર છે. જે કુપોષિત છે તેને સારામાં સારુ પોષણ આપવાની જરૂર છે એમ સરકાર અને સમાજ માનતો હોય તો આ વાત શિક્ષણજગતમાં લાગુ કેમ પડતી નથી? શિક્ષણ એક લકઝરી બની ગયું છે. જેઓ ધનવાનો છે તેઓ તેમના સંતાનોને ઊંચી ફી ચૂકવીને દેશ-વિદેશની શ્રેષ્ઠ સ્કૂલોમાં મોકલે છે. જ્યારે ગરીબ માણસ તેના બાળકને મ્યુનિસિપલ કોર્પોરેશનની કે સરકારી પ્રાથમિક શાળામાં મોકલે છે. જ્યાં શિક્ષણનું ધોરણ ખાડે ગયું છે. આજે ગુજરાતના કે બીજા રાજ્યોના એક પણ મંત્રી કે ધારાસભ્યનો પુત્ર સરકારી પ્રાથમિક શાળા કે મ્યુનિસિપલ શાળામાં કેમ ભણતો નથી? એટલે ઠાકોરભાઇ દેસાઇને યાદ કરવા પડે છે. તેઓ માનતા હતા કે ગૂજરાત વિદ્યાપીઠ માત્ર ઊંચા ગુણ લાવનાર વિદ્યાર્થીઓ માટે જ નથી પરંતુ ભણવાની તીવ્ર ઇચ્છા ધરાવતા નબળા વિદ્યાર્થીઓ માટે પણ છે.

ઠાકોરભાઇ આઠમાવાળા

ઠાકોરભાઇ દેસાઇ આઠમા ધોરણથી અંગ્રેજી ભણાવવાના હિમાયતી હતા. યુનિર્વિસટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ તે માટેના આગ્રહી હતા. તેમના સાથી મગનભાઇ દેસાઇ કે તેઓ પણ એક તબક્કે ગુજરાત યુનિર્વિસટીના વાઇસ ચાન્સેલર થયા હતા. તેઓ પણ માતૃભાષાના કડક આગ્રહી હતા. મગનભાઇ દેસાઇના માતૃભાષાના ખૂબ હઠાગ્રહના કારણે ગુજરાતી માધ્યમ માટે’મગન માધ્યમ’ શબ્દ પ્રચલિત થયો હતો. કેટલાક લોકો ગુજરાત યુનિર્વિસટીના ટાવરને મગન ટાવર કહેતા. ઠાકોરભાઇ દેસાઇ અને મગનભાઇ દેસાઇના આઠમાથી જ અંગ્રેજી ભણાવવાના આગ્રહના કારણે એ વખતના કટાર લેખકો આ બંને મહાનુભાવો પર વ્યંગ કરતા : “જેમને અંગ્રેજી આવડતું ના હોય તે લોકો જ અંગ્રેજીનો વિરોધ કરે છે.’ એક કટાર લેખકે તો લખી નાંખ્યું કે ‘બળદીયા ચારનારા આ બે જણ બળદના પૂંછડા આમળતાં આમળતાં યુનિર્વિસટીના વાઇસ ચાન્સેલર બની ગયા છે.” એ બંને જણ ઉઠાં સુધી ભણેલા છે એવી વાત વહેતી થઇ હતી. દેખાવમાં પણ તેઓ પહેરવેશના કારણે ગામડીયા લાગતા.

વાસ્તવિકતા શું હતી?

પણ વાસ્તવિકતા કાંઇ જુદી જ હતી. ઠાકોરભાઇ દેસાઇ ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને અંગ્રેજી અને સંસ્કૃત સાથે ભાષાવિશારદની પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા તો પાસ કરી પરંતુ પદવીદાન સમારંભમાં તેઓ પદવી લેવા ગયા નહોતા. કારણ ખબર નથી. ઘણાં વર્ષો સુધી તેમની પદવી વિદ્યાપીઠમાં અનામત પડી રહી હતી. ઘણાં વર્ષો બાદ તેમણે પદવી લીધી હતી. કાકા કાલેકરના તેઓ પ્રિય શિષ્ય હતા. ઠાકોરભાઇ દેસાઇએ વિનોબાજીના ગીતા પ્રવચને નામના મરાઠી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તે પછી વિનોબાજીના ‘સ્થિતપ્રજ્ઞા દર્શન’ પુસ્તકનો અનુવાદ કર્યો. એ પછી જવાહરલાલ નહેરૂએ જેલમાંથી તેમના પુત્રી ઇન્દિરાજીને જે પત્રો લખ્યા હતા તે પત્રો ‘લેટર, ફ્રોમ ફાધર ટુ વ્હિઝ ડોટર’ નામે પ્રગટ થયા હતા. તે અંગ્રેજી પુસ્તકનો અનુવાદ પણ ઠાકોરભાઇ દેસાઇએ ‘ઇન્દુને પત્રો’ ના નામે ગુજરાતીમાં કર્યો હતો. આ ઉપરાંત અચ્યુત પટવર્ધન અને અશોક મહેતાના ‘ધી કોમ્યુનલ ટ્રાયંગલ’ પુસ્તકનો પણ અનુવાદ તેમણે જ કર્યો હતો. મજાની વાત એ છે કે આ તમામ પુસ્તકોના અનુવાદક ઠાકોરભાઇ દેસાઇ હોવા છતાં તેમણે ક્યાંયે અનુવાદક તરીકે પોતાનું નામ મૂક્યું નથી. નોંધપાત્ર વાત એ છે,Collected Works of Mahatma પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ ઠાકોરભાઇ દેસાઇની કલમે થયો. તે પુસ્તકનું નામ “ગાંધીજીનો અક્ષર દેહ” છે. એ નામ પણ ઠાકોરભાઇએ જ આપ્યું હતું. કાકા સાહેબ કાલેલકર તો આ નામ પર જ વારી ગયા હતા. તેઓ બોલ્યા હતા : ‘આ નામ તો ઠાકોરભાઇને જ સૂઝે.”

અસ્ખલિત અંગ્રેજી

સહુથી અગત્યની વાત એ છે કે પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ ઠાકોરભાઇનું અંગ્રેજી તેમના સમકાલીનોના અંગ્રેજી કરતાં ઘણું ઉત્તમ હતું. ગૂજરાત વિદ્યાપીઠના યુનિર્વિસટીનો દરજ્જો આપવાના મુદ્દે યુજીસી તરફથી ડો. કોઠારીના અધ્યક્ષપદે એક ઉચ્ચ કમિટી ગૂજરાત વિદ્યાપીઠ આવી હતી. તે વખતે ઠાકોરભાઇ દેસાઇ વિદ્યાપીઠના કુલનાયક હતા. ડો. કોઠારી અને તેમના સભ્યો અંગ્રેજીમાં જ રજૂઆત સાંભળવાનો આગ્રહ રાખતા હતા. તે પછી ઠાકોરભાઇ દેસાઇએ અસ્ખલિત અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. ડો. કોઠારી અને તેમના સાથીઓ ઠાકોરભાઇ દેસાઇના પ્રભાવશાળી અંગ્રેજીથી સ્તબ્ધ થઇ ગયા અને તેઓ તેમનું અંગ્રેજી બરાબર સમજી શકે તે માટે વાક્પ્રવાહ ધીમે કરવા વિનંતી હતી. ઠાકોરભાઇની મશ્કરી કરનાર એ વખતના કટારલેખકોને ખબર જ નહોતી કે ઠાકોરભાઇ દેસાઇ એલેકઝાન્ડર ડૂમા અને ચાર્લ્સ ડિકન્સન બધા જ પુસ્તકો અંગ્રેજીમાં વાંચી ચૂક્યા હતા. ઠાકોરભાઇ દેસાઇ સ્વયં એક સાક્ષર હતા.

આવા હતા ઠાકોરભાઇ દેસાઇ.

(ક્રમશઃ)

મગનભાઇ દેસાઇ અને ઠાકોરભાઇ દેસાઇની જ્યારે કટારલેખકો આવી મજાક કરતા હતા

રાજસભામાં જઇને મારે ત્યાં શું મંજીરા વગાડવાના છે?

નવી પેઢી માટે ઠાકોરભાઇ દેસાઇ અજાણ્યું નામ હશે. સ્વાભાવિક છે. હા આજની પેઢી અમદાવાદમાં લો-ગાર્ડન પાસે આવેલા ઠાકોરભાઇ દેસાઇ હોલને સારી રીતે જાણે છે. એ હોલ એમના નામનો જ છે. બસ એ જ ઠાકોરભાઇ દેસાઇની આ વાત છે. મોરારજી દેસાઇના જમાનાના તેઓ નેતા હતા. ૧૯૦૩ની સાલમાં જન્મેલા ઠાકોરભાઇ સ્વાતંત્ર્યસેનાની હતા અને અનેકવાર જેલમાં જઇ આવ્યા હતા,હિતેન્દ્રભાઇ દેસાઇના મંત્રીમંડળમાં તેઓ મંત્રી બન્યા હતા. માતૃભાષામાં જ શિક્ષણ આપવાના અને અંગ્રેજી આઠમા ધોરણથી જ શીખવવાના આગ્રહી હોઇ તેઓ ઠાકોરભાઇ આઠમાવાળા તરીકે પણ જાણીતા બન્યા હતા. સાદગી તેમની સ્વાભાવિક હતી. ગળી અને ઇસ્ત્રી વગરના જાડા ધોતિયા, કફની અને ગોળ મટોળ ટોપીવાળા ઠાકોરભાઇ દેસાઇ ગુજરાતી માધ્યમના આગ્રહી હોવા છતાં અંગ્રેજી ભાષાના અચ્છા જાણકાર હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને તે જ સંસ્થાના વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા. રોટલો ને મરચુ ખાઇને જીવન ગુજારતા. રળિયા-દુબળા (ગરીબ લોકોના) તેઓ હિતચિંતક હતા.

ઠાકોરભાઇ દેસાઇઃ ગુજરાતના રાજકારણનું એક આખાબોલુ વિલક્ષણ વ્યક્તિત્વ હતા !

મંજીરા વગાડવા નથી

ધારાસભા કે પાર્લામેન્ટમાં જવા માટે આજે લોકો જાતજાતની રીતરસમો અને ખુશામતો કરે છે ત્યારે ઠાકોરભાઇ એક ભિન્ન પ્રકૃતિના માણસ હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને તે પછી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. રાજકારણમાં રહી પ્રજાના કામો કરવા માટે વિધાનસભા કે સંસદમાં જવું જોઇએ કે પ્રધાનપદુ મેળવવું જોઇએ અને એમ કરવાથી જ પ્રજાના કામો થાય એમ તેઓ માનતા નહોતા. પક્ષના પ્રમુખપદે પહોંચ્યા પછીય તેમણે ક્યારેય વિધાનસભા કે સાંસદની ટિકિટ મળે તેવી ઇચ્છા રાખી નહોતી. ૧૯૫૭ના અરસામાં તેમને રાજ્યસભાની ટિકિટ આપવાનું સૂચન થયું ત્યારે તેનો ઇન્કાર કરતાં તેમણે લાક્ષણિક રીતે કહ્યું હતું : ‘ત્યાં જઇને મારે શું મંજીરા વગાડવાના છે?’ તેમણે મંજીરા વગાડવાનો વિકલ્પ ના સ્વીકાર્યો અને ગુજરાતના સંસ્થાકીય રાજકારણના કેન્દ્રમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું?

ચાલીને કોંગ્રેસભવન જતાં

હાલ જ્યાં સરદાર સ્ટેડિયમ છે ત્યાં ૧૯૫૦ના સમયમાં બે તલાવડીઓ અને ટેકરો હતો. તેની સામે નવજીવન બ્લોકસ બાંધવામાં આવ્યા હતા. ૧૯૫૩ પછી ઠાકોરભાઇ નવજીવન પ્રેસના ટ્રસ્ટી તરીકે અહીં રહેવા આવ્યા હતા. નદી પારનો આ વિસ્તાર વગડા જેવો હતો. બસ પકડવી હોય તો હાલના સરદાર સ્ટેડિયમવાળી જગાએથી ઇન્કમટેક્સ સુધી ચાલીને જવું પડતું. એ જમાનામાં ટૂંકી પોતડી, ઝભ્ભો અને માથે તીરછી ટોપી પહેરી ઠાકોરભાઇ દેસાઇ ધગધગતા ઉનાળામાં નવજીવન બ્લોકસ (સરદાર સ્ટેડિયમ પાસે) થી કોંગ્રેસ હાઉસ, ભદ્ર, લાલદરવાજા સુધી ચાલીને જતા. એ વખતે નહેરુબ્રિજ નહોતો. નદી ઓળંગવા ગાંધી પુલ કે એલિસ્બ્રિજ જ ઓળંગવો પડતો. ઠાકોરભાઇ ગાંધી પુલ ઓળંગી કોર્ટની રાંગે રાંગે ચાલતા ભદ્ર-કોંગ્રેસ હાઉસના રોજ ચારથી પાંચ કલાક બેસતા.

ફી ભરવા પૈસા નહોતા

ઠાકોરભાઇ દેસાઇ મૂળ સુરત જિલ્લાના ખરસાડ ગામના વતની હતા પરંતુ અમદાવાદ આવી ઘર વસાવ્યું. ત્યારે ફર્નીચરમાં તેમણે બે ખુરશીઓ, એક ટેબલ, આરામ કરવા એક પાટિયું, બાળકોને રાખવા માટે બે ઢાળીયા, રેંટિયા મૂકવા અડધીયુ કબાટ, પાટીવાળા બે ખાટલા, અને લાકડાની બે પેટી બનાવરાવી હતી. અમદાવાદમાં ઉનાળો આકરો છતાં ઘરમાં સિલીંગ ફેન વસાવ્યો નહોતો. રેડિયો તે વખતે લકઝરી ગણાતો. ઠાકોરભાઇને સમાચાર સાંભળવાની ટેવ છતાં રેડિયો વસાવી શક્યા નહોતા. રેડિયો સાંભળવા તેઓ રોજ જીવણકાકાના ઘેર જતા. ઠાકોરભાઇ દેસાઇના પુત્ર જીતેન્દ્ર દેસાઇ પિતાના સંસ્મરણો આલેખતાં ‘રવિયા દુબળાના રખેવાળ’ પુસ્તકમાં લખે છે ‘૧૯૪૮માં હું અને કિલબિલ સી.એન.સ્કૂલમાં ભણતા હતા. એક મહિને ફી ના ભરી શક્વાના કારણે અમને બંનેને વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.’ બીજા દિવસે ઠાકોરભાઇ દેસાઇએ સીએનના આચાર્ય મણિભાઇ દેસાઇ’સ્નેહરશ્મિ’ ને ચિઠ્ઠી લખી સમયસર ફી ના ભરી શકવા માટે દિલગીરી વ્યક્ત કરી ફી ભરવા માટે મુદત માંગી હતી. એ ચિઠ્ઠી વાંચ્યા બાદ ઠાકોરભાઇ દેસાઇના સંતાનોને વર્ગમાં બેસવા દેવામાં આવ્યાં હતાં. ૧૯૫૬માં ઠાકોરભાઇ દેસાઇના પુત્ર જિતેન્દ્ર દેસાઇને પત્રકારત્વના અભ્યાસ માટે નાગપુરની કોલેજમાં જવું હતું પરંતુ ત્યાં હોસ્ટેલમાં રહી, ભણવાનું હોઇ એ ખર્ચ માટેની આર્િથક વ્યવસ્થા ના હોઇ ઠાકોરભાઇ દેસાઇએ પુત્રને ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ કર્યો હતો. અહીં પણ ફી મોડી ભરવા બદલ નોટિસ મળી હતી.

કંકોતરી ના છપાવી

પુત્રી કિલબિલના લગ્ન વખતે ઠાકોરભાઇએ કંકોત્રી પણ છપાવી નહોતી. લગ્ન મુંબઇમાં હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવ ચવાણને પણ ઠાકોરભાઇ કંકોતરી વગર રૂબરૂ જ આમંત્રણ આપવા ગયા હતા. યશવંતરાય ચવાણને દિલ્હી જવાનું હોઇ તેઓ આવી શકશે નહીં તેમ તેમણે કહ્યું ત્યારે ઠાકોરભાઇએ ચવાણના પટાવાળા વિઠુને લગ્નમાં મોકલવા કહ્યું હતું. મુંબઇમાં પ્રાંતિય સરકારો રચાઇ ત્યારે ખરે સાહેબ મુખ્યમંત્રી અને મોરારજી દેસાઇ ગૃહમંત્રી હતા. એ વખતે વિઠુ પણ દોરીદાર પાઘડી, સફેદ કોટ અને લાલ પટ્ટો પહેરતો પટાવાળો હતો. એ વખતે ઠાકોરભાઇ મોરારજીભાઇના પીએ હતા. તે પછી મોરારજીભાઇ કેન્દ્રમાં ગયા અને વિઠુ પણ યશવંતરાય ચવાણ સાથે આવી ગયો. ઠાકોરભાઇએ વિઠુને જોતા જ કહ્યું, ‘ચવાણ સાહેબ, તમે આવી ના શકો તો કોઇ વાંધો નહીં પણ આ વિઠુને ખાસ રજા આપજો જેથી તે મારી પુત્રીના લગ્નમાં આવે એ મારો જૂનો સાથી છે. કિલબિલને એણે નાનપણમાં હેતથી રમાડી છે.’ લગ્નમાં વિઠુ આવ્યો. ઠાકોરભાઇ માટે યશવંતરાય ચૌહાણ અને તેમના પટાવાળો એક સમાન હતા.

હાર્યા એટલે હાર્યા

૧૯૬૪માં ચૂંટણી આવી. એ વખતે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવાનું કામ ઠાકોરભાઇ દેસાઇએ કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ઠાકોરભાઇને આગ્રહ કર્યો કે, ઠાકોરભાઇને હવે વિધાનસભામાં મોકલવા જોઇએ. વાત સ્વીકારાઇ. ઠાકોરભાઇ માટે નવસારી મતવિસ્તાર વધુ અનુકૂળ હતો પરંતુ પોતાના વતન (વેગામ)ની અને ગણદેવીના જૂના સાથી કાર્યકર્તાઓની લાગણીથી તેઓ ગણદેવીમાંથી ચૂંટણી લડયા અને હાર્યા. ધનવાનો ઇચ્છતા નહોતા કે ગરીબોના હિતચિંતક ઠાકોરભાઇ વિધાનસભામાં આવે. ઠાકોરભાઇ હાર પચાવી શક્યા પરંતુ કાર્યકર્તાઓ તેમ કરી શક્યા નહીં તેમણે એવો મુદ્દો શોધી કાઢયો કે મતદાનના ચોવીસ કલાક પહેલા પ્રચાર બંધ થઇ જવાની આચારસંહિતા છતાં સામેના ઉમેદવારે સભાઓ ભરી હતી તેના પુરાવા અને ફોટા રજૂ કરી ચૂંટણી રદ કરાવવા કોર્ટમાં જવું. પણ ઠાકોરભાઇએ એમ કરવા સંમતિ ના આપી. અંતે કહ્યું ‘હાર્યા એટલે હાર્યા… હવે આ બધાનો કોઇ અર્થ નથી.’ તે પછી પણ કાર્યકરોના ચહેરા પર નિરાશા જોઇ ઠાકોરભાઇ બોલ્યા ‘તમારા મોંઢા આવા કાળી શાહી જેવા કેમ થઇ ગયા છે? શું તમે કોઇ ગુનો કર્યો છે? તમે મહેનત કરવામાં કોઇ કચાશ રાખી નથી. પછી આ હતાશા શાની? હતાશા ખંખરી નાંખો અને ટટ્ટાર થઇ જાવ. આવી સાત ચૂંટણીઓ હારી જઇએ તો પણ નિરાશ થવાનું ના હો….” અને કાર્યકરો સ્વસ્થ થઇ ગયા. એટલું કહી તેઓ ગણદેવીથી અમદાવાદ આવવા નીકળ્યા. અમદાવાદ આવીને તેમણે પહેલું કામ રેંટિયો કાંતવાનુ કર્યું, તેમણે કોંગ્રેસ જેટલું જ રેંટિયામાં મન પરોવ્યું.

આજના કોંગ્રેસીઓ કારમી હાર પછી ઠાકોરભાઇ પાસેથી કંઇક શીખે.   (ક્રમશઃ)

નાપાસ થયા છો? ઓછા માર્ક્સ આવ્યા છે?

ફરી એક વાર ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ થઈ ગયો છે. એ પહેલાં ઉચ્ચતર અભ્યાસક્રમો, કોલેજો અને વિશ્વવિદ્યાલયોનાં પરિણામો આવી ગયાં. ઘણાં નાપાસ થયાં. ઘણાંના માર્ક્સ ધાર્યા પ્રમાણે ન આવ્યા. ઘણા નિરાશ થયા.

નાપાસ થયા છો? ઓછા માર્ક્સ આવ્યા છે?

ડોન્ટ વરી!

જેઓ ૯૦ ટકા કરતાં વધુ ગુણ મેળવે છે, તેઓ જ સુખ, સમૃદ્ધિ અને ઉચ્ચતમ પદો પ્રાપ્ત કરે છે, એવું નથી. તેઓ માત્ર ચૂંટણી જ જીતે છે, તેઓ જ ભારતના ભાગ્યવિધાતા બને છે તેવું નથી. ગાંધીજી, સરદાર, જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, દેવગૌડા કે નરેન્દ્ર મોદીને કદીયે પરીક્ષાઓમાં ફર્સ્ટક્લાસ માર્ક્સ આવ્યા નહોતા. ગાંધીજી ભણતા હતા ત્યારે કદીયે તેમની તસવીર શ્રેષ્ઠ પરિણામ માટે કોઈ અખબારમાં છપાઈ નહોતી. તેમના અક્ષરો પણ ગરબડિયા હતા છતાં તેઓ ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા. અમદાવાદના ડો. વિક્રમ સારાભાઈ તો પિતા અંબાલાલ સારાભાઈની’રીટ્રીટ’ બંગલામાં ચાલતી ઘરશાળામાં ભણ્યા હતા. તેમ છતાં તેઓ દેશના મહાન વિજ્ઞાાની અને ભારતના અણુપંચના અધ્યક્ષ પણ બન્યા હતા. તેમનાં બહેન લીના મંગલદાસ પણ એવી જ ઘરશાળામાં ભણ્યાં હતાં છતાં ગુજરાતનાં શ્રેષ્ઠ કેળવણીકાર બન્યાં.’શ્રેયસ’ જેવી નવતર પ્રયોગવાળી શાળાની સ્થાપના કરી. લીનાબહેને તો મહાકવિ હોમરની કૃતિ ‘ઈલિયડ’નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.

એ લોકો શું કહે છે?

સીબીએસ અને વાયકોમના ચેરમેન સમર રેડસ્ટોન કહે છેઃ “સફળતાની ઉપર સફળતાની ઈમારત ચણાતી નથી. નિષ્ફળતાના ભંગાર પર જ સફળતાની ઈમારત ચણાય છે. ઘણી વાર તો દુર્ઘટના પછી જ જીત થાય છે. યાદ રાખો કે નિષ્ફળતા બે રીતે મળે છે. એક તો આગળ વધવાથી અને બીજું આગળ ન વધવાથી અર્થાત્ નિષ્ક્રિય રહેવાથી.” એપલ કોમ્યુનિકેશન્સના સ્થાપક સ્ટીવ જોબ્સ કહે છેઃ “તમારો સમય મર્યાદિત છે. બીજાના અભિપ્રાયને મહત્ત્વ આપવાનું બંધ કરી દો. અન્યના વિચારોના કોલાહલને તમારા અંતરાત્માના અવાજ પર હાવી થવા ન દો. તમારા આત્માના અવાજને અનુસરો. તમે જ તમારી જાતને તારી શકો. તમારા કામના પ્રેમમાં પડી જાવ મજા આવશે.” ઓરેકલના સ્થાપક લેરી એલિસન કહે છેઃ “સફળતાની આડે આવે તેવી બધી જ નિર્બળતાઓ મારામાં હતી.”

રાઈટ બ્રધર્સ

નિષ્ફળતા પર સફળતાની ઈમારત ચણનારાં કેટલાંક નક્કર ઉદાહરણો આ રહ્યાં.

વિમાનની શોધ કરનાર રાઈટ બ્રધર્સ ડિપ્રેશન જેવી કાયમી પારિવારિક માંદગીના દર્દીઓ હતા. ૧૯૦૦ની સાલમાં તેમણે સાઇકલની દુકાન શરૂ કરી હતી અને પછી વિમાન ઉડાડવાના પ્રયોગો કર્યા હતા. વર્ષો સુધી તેમણે વિવિધ યંત્રો અને ગ્લાઇડર્સની મદદથી વિમાન ઉડાડવાના નિષ્ફળ પ્રયોગો કર્યા હતા. છેક તા.૧૭મી ડિસેમ્બર, ૧૯૦૩ના રોજ તેઓ ક્રિટી હોક, કેલિફોર્નિયા ખાતે પ્રથમ વિમાન ઉડાડી શક્યા હતા. આજે પણ તેમણે શોધેલી થ્રી એક્સિસ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. દરેક નિષ્ફળ પ્રયોગોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

વિન્સ્ટન ચર્ચિલ

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છેઃ “સફળતા એ એક એવી ક્ષમતા છે જે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ઘટાડયા વિના આગળ લઈ જાય છે.” વિન્સ્ટન ચર્ચિલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા હતા. બે વખત ઈંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ ૧૯૨૯થી ૧૯૩૩ના સમયમાં તેઓ રાજનીતિમાંથી ફેંકાઈ ગયા હતા. ૧૯૪૫માં પણ ચૂંટણી હારી ગયા હતા. એ પછી હ્ય્દયરોગના અનેક હુમલા છતાં ૧૯૫૧માં ફરી ચૂંટાયા હતા અને બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. ૧૯૫૫માં તેમને તેમના પુસ્તક ‘ધી સેકન્ડ વર્લ્ડ વોર’ પુસ્તક માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.

વોલ્ટ ડિઝની

મિકી-માઉસ જેવાં પાત્રોનાં સર્જક વોલ્ટ ડિઝનીને તેમના જીવનમાં સફળતા પહેલાં અનેક નિષ્ફળતાઓ મળી હતી. શરૂઆતમાં તેઓ એક અખબારમાં નોકરી કરતાં હતા. અખબારના તંત્રીએ તેમને કલ્પના અને નવા વિચારોના અભાવવાળી વ્યક્તિ કહી નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તે પછી તેમણે કેટલાંયે ધંધા કર્યા. એ બધાં જ નિષ્ફળ ગયા અને તેઓ દેવાદાર બની ગયા. એક દિવસ તેમને એનિમેશન ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. તેમણે ‘સ્નો વ્હાઈટ એન્ડ ધી સેવન ડ્વાર્ફસ’ ફિલ્મ બનાવી. કોઈ વિતરક તેને ખરીદવા તૈયાર નહોતો. એ ફિલ્મ ભારે ડિસ્કાઉન્ટ સાથે છબીઘરોમાં રજૂ થઈ અને એક ઇતિહાસ રચાઈ ગયો. વોલ્ટ ડિઝનીની કંપનીનું સામ્રાજ્ય આજે ૧૦૨.૨૫ બિલિયન ડોલરનું છે.

સિડની પોઈટર

અમેરિકન સિનેમામાં દંતકથા ગણાતા સિડની પોઈટર જ્યારે ૧૭ વર્ષની વયના હતા ત્યારે ન્યૂ યોર્કમાં ગંદકી સાફ કરનાર મજદૂર હતા. એ વખતે તેઓ બસ ર્ટિમનલના ટોઇલેટમાં સૂઈ જતા. એ પછી અમેરિકન લશ્કરમાં પણ મજદૂર તરીકે જ જોડાયા. ફરી ન્યૂ યોર્કના હાર્લેમ વિસ્તારમાં ગંદકી સાફ કરવાનું કામ કર્યું. એમનો પહેલો ઓડિશન ટેસ્ટ લેવાયો ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને કહ્યુંઃ “અમારા લોકોનો સમય બગાડવાના બદલે બહાર જઈ ડિશો ધોવાનું કામ કેમ કરતો નથી?” એ પછી સિડની પોઈટરે અભિનયમાં પોતાની ક્ષમતા વધારવા અને ભાષાશુદ્ધિ માટે પ્રયાસો શરૂ કર્યા. બીજા પ્રયાસે તેમને સફળતા મળી. બ્રોડવે પ્રોડક્શનમાં તેમને નાનકડો રોલ મળ્યો તેની અદ્ભુત સરાહના થઈ. ૧૯૬૩માં ‘લીલીર ઓફ ધી ફીલ્ડ’ નામની ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે ઓસ્કર એવોર્ડ મેળવનાર તેઓ પહેલા અશ્વેત અભિનેતા હતા.

માઈકલ જોર્ડન

વિશ્વના સર્વશ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડી તરીકે નામના પામેલા માઈકલ જોર્ડન સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્કૂલની બાસ્કેટ બોલ ટીમમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. એમણે ઘણી વાર કહ્યું હતું કે, “I have missed ૯૦૦૦ shots in my career. I have lostalmost ૩૦૦ games on ૨૬  occasions, I have been entrousted to take the game winning shots and I missed. I have failed over and over and over again in my life. and that is why I succeeded.”

અકિઓેેે મોરિતા

અકિઓ મોરિતાએ ધંધાની શરૂઆત કરી ત્યારે તેમણે સૌથી પહેલાં રાઈસકૂકર બજારમાં મૂક્યું હતું. જે એક નિષ્ફળ પ્રોડક્ટ હતી. માંડ ૧૦૦ કૂકર્સ વેચાયાં હતાં અને કેટલાંકના પાર્ટ્સ તો રાંધતી વખતે જ બળી ગયા હતા. આ ઘોર નિષ્ફળતા પછી અકિઓ મોરિતાએ અને તેમના ભાગીદારોએ નિષ્ફળતાથી હતાશ થવાના બદલે તેમણે નવાં ઉત્પાદનો માટે એક નવી જ કંપની ઊભી કરી જે આજે વિશ્વભરમાં ‘સોની કોર્પોરેશન’ તરીકે ઓળખાય છે. સોની કોર્પોરેશન મલ્ટિ બિલિયન ડોલરની કંપની છે.

નિષ્ફળતાઓના પાયા પર સફળતાની ઈમારત ચણાય છે. નિષ્ફળતાથી નિરાશ ન થાવ. હતાશા ખંખેરી નાંખો અને નવાં કામ માટે સજ્જ થાવ, સફળતા જરૂર મળશે.

ઓલ ધી બેસ્ટ!
www. devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén