Devendra Patel

Journalist and Author

Date: June 9, 2014 (Page 1 of 2)

ભારત અને પાકિસ્તાન એક થઇ જાય, તો તાકાત નથી કે-

નામ છે, અંસાર બર્ની.

અંસાર બર્ની પાકિસ્તાનના નાગરિક છે. પાકિસ્તાનમાં રહી માનવ અધિકારના ક્ષેત્રમાં કામગીરી બજાવે છે. કરાચીમાં જન્મેલા અંસાર બર્ની એક સામાજિક કાર્યકર્તા પણ છે અને પાકિસ્તાનમાં માનવ અધિકારના મુદ્દાના જોરશોરથી ઉઠાવી રહ્યા છે. તેઓ પાકિસ્તાનમાં માનવ અધિકાર મંત્રી પણ રહી ચૂક્યા છે.

તાજેતરમાં તેઓ ભારત આવ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન પ્રવચન આપતા તેમણે જે વાતો કરી તે પાકિસ્તાનના સત્તાલક્ષી રાજકારણીઓ કરતાં સાવ અલગ હતી.

મારો ધર્મ ઇન્સાનિયત

અંસાર બર્નીએ કહ્યું : ‘મને અહીં (ભારત) આવવાથી બહુ જ ખુશી થઇ છે. આપ લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તે બદલ હું આપનો આભારી છું. મિત્રો, આ સમયે હું આપને કહેવા માંગુ છું કે, હું માત્ર ઇન્સાનિયતમાં વિશ્વાસ રાખું છું. મારો ધર્મ ઇન્સાનિયત છે, મારો મુલ્ક ઇન્સાનિયત છે. હિન્દુ, શિખ, ઇસાઇ, મુસલમાન અને યહૂદી તો ખાનદાન છે. આ બધા જ ધર્મ એક પરિવાર છે. એક ઘરમાં રહેવાવાળાનું નામ મુસલમાન છે. તો બીજા ઘરમાં રહેવાવાળાને આપણે હિન્દુ કહીએ છીએ. ઇસાઇ, શિખ અને યહૂદી અલગ અલગ ઘરોમાં રહે છે. એ બધાના નામ અલગ અલગ છે, પણ તેઓ એકબીજાથી જુદા નથી.

લોહીનો રંગ એક

આપણા બધાનો જન્મ એકજ રીતે થાય છે. આપણા અહેસાસ અને ભાવનાઓ એક સમાન છે. એટલે કે ઇશ્વરે આપણી વચ્ચે કોઇ ભેદ ઊભો કર્યો નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે, આપણે બધા એક જ છીએ, તો આપણે એકબીજાથી નફરત કેમ કરીએ છીએ? એક ધર્મનો માનવી બીજા ધર્મના માનવીની કતલ કેવી રીતે કરી શકે કે ખૂન વહાવી શકે? શુ કોઇએ બીજાને મારતાં પહેલા પોતાના શરીર પર સોંય ભોંકીને જોયું છે કે તેમ કરવાથી ખુદને જ કેટલું દર્દ થાય છે? શું કોઇએ બીજાનું ખૂન વહાવતા પહેલાં એ જોયું છે કે એના લોહીનો રંગ કેવો છે? જો આપણા લોહીનો રંગ એક છે, આપણાં દુઃખ-દર્દ એક છે, તો આપણે એકબીજાને નુકસાન કેવી રીતે પહોંચાડી શકીએ છીએ? એ કોણ લોકો છે, જે ધર્મના નામે બીજાઓની કત્લ કરાવવા માંગે છે?

ધર્મ શું કહે છે?

કોઇપણ મજહબ નફરતનું શિક્ષણ આપતો નથી. પછી તે હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ હોય કે ઇસાઇ, મેં કોઇ ધર્મમાં નફરત નિહાળી નથી. દરેક ધર્મ ઇન્સાનિયતનો સંદેશ જ આપે છે નહીં તો, એ આપણને જાનવર જ બનાવી શકતો હતો. ઇશ્વરે આપણને ઇન્સાન બનાવ્યો, જેથી આપણે નેક કામ કરી શકીએ. એણે આપણને ઇન્સાન બનાવવાની સાથે કેટલીક જવાબદારીઓ પણ સોંપી છે. ઇન્સાન હોવાના નાતે આપણી એ જવાબદારી છે કે આપણે આસપાસમાં રહેતા લોકોની મદદ કરીએ, તેમનો ખ્યાલ રાખીએ, ના કે તેમનું લોહી વહેવરાઇએ. અગર બીજા લોકો દુઃખો સહન કરતા હોય તો આપણે ખુશ કેવી રીતે રહી શકીએ? આ તો માનવતાની ખિલાફ છે. અગર બીજાનું દર્દ તમને ખુશી દેતું હોય તો એ જીવન બેકાર છે. હું એવી જિંદગીને શરમજનક સમજુ છું, જે બીજાઓની તકલીફોની વચ્ચે ખુશીઓ મનાવે છે. જે સ્થળ પર આપણે ઇબાદત કરીએ છીએ, ત્યાં ફક્ત પ્યાર અને શાંતિની વાત હોવી જોઇએ. ત્યાં બીજાઓને દર્દ દેવાની વાત હોઇ શકે નહીં. દરેક ધર્મ કહે છે કે, દુઃખી અને મજબૂર લોકોની મદદ કરો.

જે લોકો ખૂનામરકી કરે છે, તેમને હું પૂછું છું કે શું તેમણે કદી વિચાર્યું છે કે અગર તેમનો એક હાથ કે પગ કાપી લેવામાં આવે, તો તેમને કેટલું દર્દ થશે? આખરે એ આપણા ભાઇઓને આટલું દર્દ શા માટે આપે છે? શા માટે આપણને એકબીજાથી દૂર કરવાની કોશિશ થઇ રહી છે? આપણને શા માટે આવી નફરતોની આગમાં જલાવવામાં આવે છે? શા માટે આપણને વહેંચી દેવામાં આવી રહ્યા છે? આપણે એ વિચારવું જોઇએ કે, આ બધી તાકાતોની મંશા શુ છે, એમના ઇરાદા શું છે?

અવાજ ઉઠાવો

હવે સમય આવી ગયો છે કે, આપણે આવી તાકાતોની વિરુદ્ધ અવાજ ઉઠાવીએ આ ઇન્સાનિયતની માંગ છે. આ આજની જરૂરિયાત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે, સમુદ્રમાં એક જહાજ જઇ રહ્યું હતું. સમુદ્રની નીચે તળ પર મોજુદ કેટલાક લોકો જહાજમાં છીદ્ર પાડી રહ્યા હતા. શાયદ એ લોકો જહાજને ડૂબાડવાની ઇચ્છા રાખતા હતા. જહાજના ઉપરના હિસ્સામાં બેઠેલા લોકો બડા આરામથી આ નજારો જોઇ રહ્યા હતા. એમણે કહ્યું : ‘જે થાય તે થઇ રહ્યું છે તે થવા દો, આપણને શું?’ એ લોકોએ જહાજમાં છેદ કરી રહેલાઓને રોક્યા નહીં. એમને લાગ્યું કે, ‘જહાજ ડૂબશે તો ફક્ત નીચેવાળા લોકો જ ડૂબશે અને આપણે ઉપર છીએ માટે બચી જઇશું.’ તેથી જ કહું છું મારા ભાઇ, આપ લોકો પણ એવી ભૂલ કરશો નહીં. અગર જહાજ ડૂબશે તો આપણે બધા જ મરી જઇશું, કોઇ બચશે નહીં.

આવો આજે આપણે બધા જ પ્રતિજ્ઞાા કરીએ કે, આપણે જહાજને ડૂબવા દઇશું નહીં. એ જહાજ શું છે? એ જહાજ છે ઇન્સાનિયતની અજમત એ નક્કી કરી નાંખીએ કે આપણે ઇન્સાનિયતને ઊની આંચ આવવા નહીં દઇએ. આપણી કોશિષ રહે કે આપણે ભારત અને પાકિસ્તાનને એકબીજાની કરીબ લાવીએ, એમની વચ્ચે શાંતિ પ્રસ્થાપિત કરીએ. એ કઇ તાકાતો છે કે જે બે મુલ્કોને કરીબ આવવા દેતી નથી. કોણે એમને એકબીજાથી દૂર રાખવા કોશિશ કરે છે? મેં અહીં આવતા પહેલાં કોઇને કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન એક થઇ જાય, તો બંને દેશ એટલી તરક્કી કરી દેશે કે ત્રીજા કોઇની જરૂર જ નહીં રહે. આપણે બંને મુલ્કોને કરીબ લાવવાના છે.

આ કેવી રાજનીતિ?

આ કેવી રાજનીતિ છે? અગર પાકિસ્તાનમાં કોઇ શખસ પકડાય છે, તો કહેવામાં આવે છે કે તે ભારતનો જાસૂસ છે. અગર ભારતમાં કોઇ શખસ પકડાઇ જાય તો કહેવામાં આવે છે કે, તે પાકિસ્તાનનો જાસૂસ છે. આ કેવી વાત? કોણ જાસૂસી કરે છે, ‘કોની જાસૂસી કરાવે છે, અને કેમ? અગર કોઇ જાસૂસી કરે છે તો એ બંધ થાય. આ સિલસિલો અટકવો જોઇએ. હું કોઇ નેતા નથી. મારે અને રાજનીતિને કોઇ લેવાદેવા નથી. મારી ખ્વાહીશ છે કે બંને દેશો એકબીજાની નજીક આવે. યુદ્ધ અને વિસ્ફોટોમાં કાંઇ જ નથી. મેં હિંસામાં કોઇ હિન્દુ, શીખ, ઇસાઇ કે મુસલમાનને મરતાં નથી જોયો. મેં અગર કોઇને મરતા જોયા છે તો તે એક પિતા, એક પત્ની, એક મા અગર એક પુત્રને છે. આપણે આ રિશ્તાઓને બચાવવા છે, તો આપણે એક પિતા, એક ભાઇ અને એક મા બની વિચારવું પડશે ત્યારે જ આપણે સમજી શકીશું કે યુદ્ધ અને વિસ્ફોટ કેટલી હદે ઇન્સાનિયતને તબાહ કરી રહ્યા છે.”

અંસાર બર્નીની વાત અહીં પૂરી થાય છે. જે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે, તે જ પાકિસ્તાનમાં અલ્લાહનો એક સાચો બંદો અને ઇન્સાનિયતનો ફરિશ્તો પણ વસે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

એક ઋષિના આશીર્વાદથી એ મત્સ્યગંધા સુગંધા બની ગઇ

અયોધ્યામાં હસ્તસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને તેર રાણીઓ હતી પણ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. રાજા વૃદ્ધ થયો અને પરિવારમાં પ્રજા ન હોવાથી વૈરાગ્ય થતાં પાળેલા પોપટ સાથે ઘોડા પર બેસી તપ કરવા વનમાં ચાલ્યો ગયો. તે એક વડલા નીચે આસન ધારણ કરીને બેઠો અને પ્રભુનુું નામ લેવા માંડયો. એ વૃક્ષ ઉપર ઘુવડ પક્ષીનો માળો હતો. નર ઘુવડ ફરવા ગયો હતો, માદા ઘુવડ ઉદાસ હતી. થોડા સમય પછી નર ઘુવડ આવ્યો.

ત્યારે પક્ષિણીએ પૂછયું, “મને એકલી મૂકીને ક્યાં ગયા હતા? નીચે રાજા તપ કરે છે.”ઘુવડે પક્ષિણીને કહ્યું, “હું સુરસભામાં ગયો હતો.” એ દેવસભામાં વિશ્વામિત્ર ઋષિ બોલ્યા કે, “આજનો દિવસ એવો છે કે વાંઝણી પણ પુત્ર પામે, શાપિત પ્રાણી પણ પ્રજા પામે, પાપી પણ સંતાન પામે.”એમ કહી ઘુવડે ક્રીડા આરંભી. પણ ઘુવડ પક્ષી-પક્ષિણીની વાત સાંભળી ગયેલા રાજાએ નિસાસો નાખ્યો, “અરેરે! આજે હું ઘરે હોત તો હું પણ પુત્ર પામત.”

રાજાનું રુદન સાંભળી તેમનો પાળેલો પોપટ બાલ્યો, “મહારાજ! એક ઉપાય છે. કામ પેદા કરો અને તમારું જીવનસત્ત્વ મને એક દડિયામાં આપો. હું તે જીવનસત્ત્વ રાણીને આપીશ.”

રાજાએ કામજ્વર પેદા કર્યો અને પાંદડાંનો દડિયો બનાવી તેમનું જીવનસત્ત્વ તેમાં ભરી પોપટને આપ્યું. પોપટ ચાંચમાં દડિયો લઈ ઊડયો, પરંતુ રસ્તામાં શકરો બાજ તેને જોઈ ગયો. શકરો બાજ સમજ્યો કે પોપટની ચાંચમાં કોઈ ભક્ષ હશે. શકરા બાજે પોપટને આંતરી તેની પર પ્રહાર કર્યો. પોપટ ઘવાયો અને તેની ચાંચમાંથી દડિયો નીચે સમુદ્રમાં પડયો. એ વખતે સમુદ્રનાં જળમાંથી એક માછલી બહાર આવી. માછલીએ રાજાના જીવનસત્ત્વના બે ઘૂંટ પી લીધા. વાત એમ હતી કે બ્રહ્માના શાપથી એક અપ્સરા માછલી બની ગઈ હતી, એ જ માછલીએ રાજાનું જીવનસત્ત્વ ભક્ષ સમજીને પી લીધું. એ માછલીને ગર્ભ રહ્યો અને તેને દસમો મહિનો બેઠો. માછલીથી હવે ગર્ભ સહન થતો નહોતો. તે તણાઈને નદીકિનારે આવી.

એ જ સમયે એક માછીમાર નદીકિનારે માછલી પકડવા આવ્યો હતો. એણે પાણીમાં જાળ નાખી. તેમાં આ શાપિત માછલી ફસાઈ ગઈ. માછીમાર કે જે નાવિક પણ હતો તે માછલીને પકડી ઘરે લઈ આવ્યો. એણે માછલી ચીરી તો અંદરથી બે બાળકો નીકળ્યાં. એને પણ સંતાનસુખ નહોતું અને અયોધ્યાના રાજા હસ્તસેનને પણ પ્રજાસુખ નહોતું. પોપટને જીવનસત્ત્વ આપ્યા બાદ રાજા વનમાંથી પાછો ફર્યો હતો અને પોપટને ઘરે આવેલો ન જોઈને તે બહુ જ દુઃખી થયો.

આ તરફ માછલીના ઉદરમાંથી નીકળેલા બે બાળકો પૈકી એક પુત્રી હતી અને બીજો પુત્ર હતો. માછીમાર બંને બાળકોને લઈ રાજા પાસે ગયો. રાજાને બ્રાહ્મણોએ કહ્યું, “આ તમારાં જ સંતાનો છે.”

રાજાના ક્રોધથી બ્રાહ્મણોને બચાવવા નારદમુનિ આવી ચડયા. એમણે રાજાને ઘુવડ પક્ષી-પક્ષિણીની વાત અને પોપટને આપેલા દડિયાની વાત કહી. રાજાને બધી વાત સમજાવતાં એમણે પુત્ર પોતાની પાસે રાખ્યો અને પુત્રી માછીમારને સોંપી. માછીમાર પુત્રીને ઘરે લઈ આવ્યો. તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોવાથી તેનું નામ મત્સ્યગંધા રાખવામાં આવ્યું. તે યોજનગંધા તરીકે પણ ઓળખાય છે. બીજી બાજુ રાજાએ પુત્રનું નામ ઉલ્મુખ રાખ્યું. માછીમારના ઘરે રહી ઉછરતી મત્સ્યકન્યા પાછળથી સત્યવતી તરીકે ઓળખાઈ. મત્સ્યકન્યા અર્થાત્ સત્યવતી હવે પિતાની જેમ નાવ ચલાવતાં પણ શીખી ગઈ હતી. એના પિતાનો એ ધંધો પણ હતો.

એક વાર રાત્રિના સમયે પરાશર મુનિ યમુનાના કિનારે આવી ગયા. તેઓ રાત્રે જ યમુના પાર કરી સામે તીરે જવા માગતા હતા. મત્સ્યગંધાના પિતાએ રાત્રે નાવ ચલાવવા ઇન્કાર કર્યો. એ વાતચીત મત્સ્યકન્યા સાંભળી ગઈ. એ બહાર આવી. એણે ઋષિને વંદન કર્યાં. મત્સ્યકન્યા બોલી, “પિતાજી! આપની આજ્ઞાા હોય તો હું ઋષિને સામે તીરે મૂકી આવું?”

પિતાએ હા પાડી. મત્સ્યકન્યાએ વાંસડો હાથમાં લીધો અને ઋષિને અંદર બેસાડી નૌકા ચલાવી. નાવ જળ કાપતી હતી ત્યારે મત્સ્યકન્યાનું રૂપ જોઈ પરાશર મુનિને કામ પ્રગટયો. તેમણે મત્સ્યકન્યા પ્રત્યે કુદૃષ્ટિ કરી. મુનિએ કહ્યું, “હે દેવી! હું તમારી સાથે સહવાસ કરવા માગું છું.”

મત્સ્યકન્યા ગભરાઈ ગઈ. એણે વિચાર કર્યો કે, હું ના પાડીશ તો મને શાપ આપશે. એમ વિચારી તે એટલું તો બોલી, “હે મુનિવર! આપ તો બ્રહ્મજ્ઞાાની છો અને હું એક માછીમારની દીકરી. આપણો સહવાસ સંભવ નથી.”

પરાશર મુનિ બોલ્યા, “બાલિકે! તું ચિંતા ન કર. પ્રસૂતિ બાદ પણ તું કુમારી જ રહીશ.”

એમ કહી પરાશર મુનિએ મત્સ્યગંધા સાથે સહવાસ કર્યો. પરાશર મુનિએ મત્સ્યકન્યા અર્થાત્ સત્યવતીને આશીર્વાદ આપતાં કહ્યું, “તારા શરીરમાંથી હવે માછલીની ગંધ નહીં આવે. એના બદલે તું સુગંધા બની જઈશ. તારા શરીરમાંથી કસ્તૂરીની સુગંધ ફેલાશે.”

સત્યવતીને હવે ગર્ભ રહ્યો. પુત્રીને ગર્ભવતી થયેલી જાણી તેનો પિતા તેને વનમાં મૂકી આવ્યો. વનમાં કુટિર બનાવી સત્યવતી રહેવા લાગી. દસમા મહિને તેને એક પુત્ર અવતર્યો. જન્મની સાથે જ પુત્ર ચાલવા લાગ્યો. માતા સત્યવતીએ પૂછયું, “હે પુત્ર! તું ક્યાં જાય છે?”

પુત્રએ કહ્યું, “માતા સાંભળ! મેં તો જગતના કલ્યાણ માટે જ જન્મ લીધો છે. હું પુસ્તકો રચીશ જે કળિયુગના કુબુદ્ધિના લોકોને જ્ઞાાન આપશે. હે માત! હવે આપણી સગાઈ પૂરી થઈ.”

ગભરાઈ ગયેલી સત્યવતીએ પૂછયું, “તો મારી શું ગતિ થશે?”

પુત્રે કહ્યું, “થોડા દિવસ પછી કોઈ ક્ષત્રિય રાજવંશી તમને પરણી જશે. તમને જ્યારે પણ દુઃખ પડે ત્યારે તમે મને યાદ કરજો. હું હાજર થઈ તમારું દુઃખ દૂર કરીશ.”

એમ કહી પુત્ર ચાલ્યો ગયો અને સત્યવતીનો એ પુત્ર એટલે બીજું કોઈ નહીં પણ ભગવાન વેદવ્યાસ. અને તે પછી સમુદ્રનો અવતાર ગણાતો હસ્તિનાપુરનો રાજા શાંતનુ પહેલાં ગંગાને વર્યો હતો જેનાથી તેને એક પુત્ર થયો ગાંગેય (ભીષ્મ) અને પાછળથી તે મત્સ્યગંધા ઉર્ફ સત્યવતીને પરણ્યો.

આ તરફ માતાથી જુદા પડયા બાદ બાળક વેદવ્યાસ તપસ્યા કરવા દ્વૈપાયન નામના દ્વીપ પર ચાલ્યા ગયા. એ બાળક રંગે શ્યામ હોવાથી તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા અને એ કૃષ્ણ દ્વૈપાયન એ જ મર્હિષ વેદવ્યાસ. એમણે વેદોની વ્યાખ્યા અને વિભાજન કર્યાં તેથી તેઓ વેદવ્યાસ તરીકે પણ ઓળખાયા. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર મર્હિષ વેદવ્યાસ ત્રિકાળજ્ઞાાની હતા. તેમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈને જાણી લીધું હતું કે, કળિયુગમાં ધર્મ ક્ષીણ થઈ જશે. ધર્મ ક્ષીણ થઈ જતાં લોકો નાસ્તિક, કર્તવ્યહીન અને અલ્પ આયુવાળા થઈ જશે અને એ વિશાળ વેદનું સાંગોપાંગ અધ્યયન કળિયુગના લોકો કરવાનું સામર્થ્ય ધરાવતા નહીં હોય એ હેતુથી મર્હિષ વેદવ્યાસે વેદોને ચાર ભાગોમાં વહેંચી નાખ્યા, જેથી ઓછી બુદ્ધિવાળા અને ઓછી સ્મરણશક્તિવાળા લોકો પણ વેદોનો અભ્યાસ કરી શકશે. વેદવ્યાસે એક મહાન વેદને ચાર ભાગોમાં વહેંચ્યા તે (૧) ઋગ્વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ તરીકે ઓળખાય છે. વેદોમાં રજૂ થયેલું જ્ઞાાન અત્યંત ગૂઢ અને શુષ્ક હોવાને કારણે તેમણે એ જ વેદોને પુરાણોમાં પરિર્વિતત કર્યા. પુરાણોમાં રોચક પ્રસંગો મૂક્યા જેથી કળિયુગના લોકો વેદોના જ્ઞાાનને સરળતાથી સમજી શકે.

પૌરાણિક મહાકાવ્ય યુગની આ મહાન વિભૂતિએ મહાભારત, અઢાર પુરાણ, શ્રીમદ્ ભગવદ્ગીતા, મીમાંસા જેવાં અદ્વિતીય સાહિત્યનું સર્જન કર્યું. તેમનો જન્મ ઇસુના જન્મનાં ૩૦૦૦ વર્ષ અગાઉ થયો હતો. એટલે કે આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં અષાઢ માસની ર્પૂિણમાએ જન્મ્યા હતા. આજે ભારતભરમાં જે ગુરુર્પૂિણમાની ઉજવણી થાય છે તે મર્હિષ વેદવ્યાસની જન્મતિથિ સાથે સંકળાયેલી છે. હિન્દુ ધર્મના તમામ સંતો અને કથાકારો ગુરુર્પૂિણમાના દિવસે સહુ પ્રથમ મર્હિષ વેદવ્યાસની પૂજા કરે છે. વેદવ્યાસ તમામ સંતો-કથાકારોના સદ્ગુરુ ગણાય છે. વેદવ્યાસનું એક મંદિર કાશીથી પાંચ માઇલ દૂર વ્યાસપુરીમાં વિદ્યમાન છે. મહારાજ કાશીનરેશના રામનગર દુર્ગમાં પણ વ્યાસેશ્વરની ર્મૂિત બિરાજમાન છે. વાસ્તવમાં વેદવ્યાસની સહુથી પ્રાચીન ર્મૂિત એ જ છે. મર્હિષ વેદવ્યાસ ભગવાન વિષ્ણુના અવતાર જ ગણાય છે. મર્હિષ વેદવ્યાસને ભગવાન વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મર્હિષ વેદવ્યાસ ‘મહાભારત’ના રચયિતા છે. વેદવ્યાસ ‘મહાભારત’ના રચયિતા જ નહીં, પરંતુ મહાભારતની ઘટનાઓના સાક્ષી પણ છે. વેદવ્યાસ કૃષ્ણ દ્વૈપાયન તરીકે પણ ઓળખાય છે. કહેવાય છે કે પ્રત્યેક દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વેદવ્યાસના રૂપમાં અવતર્યા હતા અને ચાર વેદોને વર્ગીકૃત કર્યા હતા. પહેલા દ્વાપર યુગમાં સ્વયં બ્રહ્મા વેદવ્યાસ થયા. બીજામાં પ્રજાપતિ, ત્રીજામાં શુક્રાચાર્ય અને ચોથામાં બૃહસ્પતિ વેદવ્યાસ થયા. હિન્દુઓની પરંપરાગત માન્યતા અનુસાર વિશ્વમાં જે સાત વ્યક્તિઓ આજે પણ હયાત છે – અમર છે તેમાંના એક મર્હિષ વેદવ્યાસ પણ છે.

ઋષિ વેદવ્યાસે શ્રીગણેશની સહાયતાથી ધર્મગ્રંથોને પહેલી વાર ભોજપત્ર પર લખ્યા. એટલા માટે જ તેમણે એકાંત સ્થળને પસંદ કર્યું. ત્યારબાદ તેમણે દિવ્ય જ્ઞાાન અને ભગવાન શ્રીગણેશ સાથે ધર્મ અને જીવન સાથે સંકળાયેલી વાતોને ધર્મગ્રંથોમાં ઉતારી, જે પૂર્વે માત્ર સાંભળવામાં આવતી હતી. ઋષિ વેદવ્યાસ વેદ અને ધર્મનાં રહસ્યોને પહેલી વાર લેખિત સ્વરૂપે જગત સામે લાવ્યા.

મહાગ્રંથ મહાભારતના રચયિતા મર્હિષ વેદવ્યાસને આપણા પૌરાણિક ગ્રંથોમાં ભગવાન વેદવ્યાસ તરીકે પણ સંબોધવામાં આવેલ છે. જેમ આ સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર સર્વ તત્ત્વોમાં સમાયેલા છે તેમ સમગ્ર સૃષ્ટિનું એવું એક પણ તત્ત્વસ્થાન નથી જે મહાભારતમાં ન હોય. એટલે જે જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી એ ઉક્તિ જાણીતી છે. આ મહાભારત એક મહાન જ્ઞાાનકોશ પણ છે જેને ભારતીય સંસ્કૃતિમાં પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહાભારત દ્વારા મર્હિષ વેદવ્યાસે માણસે કેવું આચરણ કરવું જોઈએ તે દર્શાવવા પાંડવો તેમજ કૃષ્ણનું ચરિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું અને કેવું આચરણ ન કરવું જોઈએ તે દર્શાવવા માટે કૌરવોનું ચરિત્ર આલેખ્યું છે. મર્હિષ વેદવ્યાસ મહાભારતના કથાનકનું ઉદ્બોધન જે પીઠ ઉપરથી આપતા તે પીઠ વ્યાસપીઠ તરીકે ઓળખાય છે. આ વ્યાસપીઠ ઉપર બેસીને સંસ્કૃતિની ઉપાસના અને સેવા કરનાર વ્યાસની પૂજા એટલે કે વ્યાસપીઠની પૂજા અષાઢ સુદ પૂનમને દિવસે કરવામાં આવે છે. મહામુનિ વેદવ્યાસના જ્ઞાાનનો જોટો ન માત્ર ભારતીય સંસ્કૃતિમાં, વૈશ્વિક સ્તરે પણ મળવો મુશ્કેલ છે. કોઈ પણ સાહિત્યકારની રચનાઓ જોઈએ તો જીવન પ્રત્યેનો એક જ પ્રકારનો દૃષ્ટિકોણ જોવા મળશે, હકારાત્મક અથવા નકારાત્મક વ્યક્તિના સદ્ગુણો અથવા દુર્ગુણો, પરંતુ વ્યાસજીએ તેમની રચનાઓમાં જીવનમાં રહેલ દરેક પાસાને વણી લીધું છે. પ્રકાશ, અંધકાર, ભરતી, ઓટ, સુખ-દુઃખ અને આ બંને વચ્ચે રહેલું પરિવર્તન વેદવ્યાસે મહાભારતની પોતાની રચનામાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે હકારાત્મક બાજુએ હોવા છતાં તેઓમાં રહેલી ત્રુટિઓ દર્શાવી છે, તે જ રીતે દુર્યોધન, દુઃશાસન કે કર્ણ જેવાં નકારાત્મક પાત્રોમાં રહેલ સદ્ગુણો બતાવવાનું પણ ચૂક્યા નથી. બીજી બાજુ ભીષ્મ પિતામહ જેવા વિદ્વાન, હંમેશાં સત્યનો પક્ષ લેનાર પ્રતાપી પુરુષ નકારાત્મક બાજુએ હોઈ તેની સામે અર્જુનને યુદ્ધ કરવા જણાવે છે. આમ, દરેક વ્યક્તિમાત્રના જીવનમાં રહેલી સંપૂર્ણતા અને અપૂર્ણતાનું આપણને દર્શન કરાવે છે. જે રીતે ન્યાયાલયમાં ન્યાય આપનાર ન્યાયાધીશને ચોક્કસ યોગ્યતા હોય તો જ ન્યાયની ગાદી ઉપર બેસી શકે તેવું જ સ્થાન વ્યાસપીઠનું છે. કોઈ પણ વ્યક્તિએ જે સાહિત્યનું વ્યાસપીઠ ઉપર બેસીને જ્ઞાાન આપવાનું છે તે સાહિત્ય વિશે તેને સંપૂર્ણ જ્ઞાાન હોવું તે વ્યાસપીઠ ઉપર બેસવાની પહેલી યોગ્યતા છે. કથામાં રહેલાં પાત્રો સાથે તેને વ્યક્તિગત રીતે કોઈ પ્રિયભાવ કે દ્વેષભાવ ન હોવા જોઈએ. કથા ઉદ્બોધનનો એકમાત્ર હેતુ સમાજનું હિત હોવું જોઈએ. મર્હિષ વેદવ્યાસ સર્વગુણસંપન્ન ગુરુ હતા.

“બાલિકે! તું ચિંતા ન કર. પ્રસૂતિ બાદ પણ તું કુમારી જ રહીશ.”

કુમારસંભવમ્

એ જેવા હોય તેવા, પણ મારુંમન તો તેમના પર જ ઠર્યું છે

‘કુમારસંભવમ્’ એ મહાકવિ કાલિદાસની પ્રથમ કૃતિ હતી. એમાં રાક્ષસને હણનાર કુમાર એટલે કે ર્કાતિકેયના જન્મની રસપ્રદ કથા છે.

તારકાસુર નામનો રાક્ષસ દેવોને પીડા આપતો હતો. તારકાસુરની પરેશાનીથી બચવા દેવો બ્રહ્યા પાસે ગયા. બ્રહ્યાએ જ તારકાસુરને વરદાન આપી શક્તિશાળી બનાવ્યો હતો. નિરૂપાય બ્રહ્યાએ કહ્યું, “શંકરના તેજથી પાર્વતીની કૂખે જન્મેલો પુત્ર જ તારકાસુરને હણી શકે.”

પરંતુ, આ ઘટના અગાઉ દક્ષનાં પુત્રી તો પિતાના ઘરે પતિ શંકરનું અપમાન થતાં જ દક્ષના રાજમહેલમાં જ અગ્નિકુંડમાં પોતાની જાતને સમાવી દઈ મૃત્યુ પામ્યાં હતાં, પરંતુ હવે પર્વતરાજ હિમાલય અને તેમનાં પત્ની મેનાના ઘરે તેઓ પાર્વતીરૂપે પુત્રી બની ફરી અવતર્યાં હતાં. પત્નીના મૃત્યુ બાદ શંકર પણ હિમાલયના એક શિખર પર જ તપ કરતાં હતા. દેવોના દેવ ઇન્દ્ર ચતુર હતા. એણે તપસ્વી શંકર અદ્વિતીય સૌંદર્ય ધરાવતી પાર્વતી તરફ આકર્ષાય તેવું કાંઈક કરવાનું કામ કામદેવને સોંપ્યું. કામદેવે તેના પ્રિય મિત્ર વસંતની સહાય લીધી.

હિમાલયનાં બર્ફીલાં શિખર પર તપ કરતાં શંકરને વિચલિત કરવા વસંતે અચાનક જ તપોભૂમિમાં વસંતઋતું જેવું વાતાવરણ સર્જી દીધંુ. આમ્રમંજરીઓ મહેકવા લાગી. ફૂલો ખીલી ઊઠયાં, પરંતુ શંકર અચલ હતા. કામદેવ નિરાશ થયો, પરંતુ અચાનક તેને ખ્યાલ આવ્યો કે હિમાલયની સ્વરૂવાન પુત્રી રોજ અહીં પૂજા કરવા આવે છે. એક દિવસ પાર્વતીએ મહાદેવને પ્રણામ કર્યાં. એ જ વખતે કામદેવ શંકર પર સંમોહન નામનું બાણ છોડવાની તૈયારી કરવા લાગ્યો. શંકર વસંતની મહેક અને કામદેવના સજ્જ થયેલા બાણથી એક ક્ષણે વિચલિત થઈ ગયા, પરંતુ બીજી જ ક્ષણે વૃત્તિઓને કાબૂમાં લેતા ફરી ધ્યાનસ્થ થઈને જોયું તો ખબર પડી કે કામદેવ પોતાને એક કુંવારિકા તરફ આર્કિષત કરવા તૈયારી કરી રહ્યો છે. શંકર ક્રોધે ભરાયા અને ત્રીજું નેત્ર ખોલી એમણે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો. આ દૃશ્ય જોઈને કામદેવની પત્ની રતિ ર્મૂિછત થઈ ગઈ. હવે રતિ પણ પોતાના માટે ચિતા તૈયાર કરાવી બળી જવા તૈયાર થઈ, પરંતુ દેવવાણી થઈ કે “કામદેવનો પુનર્જન્મ થશે અને શંકર-પાર્વતીનાં લગ્ન થશે ત્યારે તેનું તેના પતિ સાથે પુર્નિમલન થશે.”

કામદેવને પોતાની હાજરીમાં જ ભસ્મીભૂત થતા જોઈ પાર્વતી મનમાં ને મનમાં પોતાના સૌંદર્યને તુચ્છકારવા લાગી. પાર્વતી મનથી જ શંકરને પામવા કૃતનિશ્ચયી હતી. પાર્વતીએ હવે પોતાના તપોબળથી શંકરને પામવા નિર્ણય કર્યો. માતા-પિતાની રજા લઈ પાર્વતી બે સખીઓ સાથે તપ કરવા હિમાલયના એક શિખર પર ગઈ, જે શિખર પાછળથી ગૌરીશિખર તરીકે ઓળખાયું. અહીં પાર્વતીએ અતિ કઠોર તપ અને વ્રત શરૂ કર્યાં. સ્નાન કરીને પવિત્ર બનેલી પાર્વતી હવે વલ્કલ ધારણ કરી અગ્નિમાં હોમ આપવા લાગી. વેદોનું અધ્યયન કરવા લાગી. ઋષિઓ પણ તેનું તપ જોવા આવ્યા. પાર્વતીનું તપ જોઈ હિંસક પ્રાણીઓ પણ અંદરોઅંદરનું વેર ભૂલી શાંત થઈ ગયાં. વૃક્ષો ઇચ્છા પ્રમાણે ફળ આપવા લાગ્યાં. પોતાના દેહની નાજુકતાને ગણકાર્યા વિના પાર્વતીએ કઠોર તપનો આરંભ કર્યો. ગ્રીષ્મમાં તે પાણી અને ચાંદની પર જીવતી રહી. વર્ષાઋતુમાં ચાંદનીના દેખાતાં માત્ર મેઘજળ પર નિર્વાહ ચલાવ્યો. હેમંતઋતુમાં માત્ર પાંદડાં જ ખાતી રહી. સમય જતાં એણે ખરેલાં પાંદડાં પણ ખાવાનું બંધ કર્યું. ઋષિઓના તપને પણ એક દિવસ ઝાંખું પાડી દીધું.

એક દિવસ પાર્વતીના તપોવનમાં મૃગચર્મ અને પલાશદંડ ધારણ કરેલો એક જટાધારી બ્રહ્યચારી આવ્યો. પાર્વતીએ બ્રહ્મચારીનો સત્કાર કર્યો. કેટલાક પ્રશ્નો પૂછયા બાદ બ્રહ્મચારીએ પાર્વતીને સહજતાથી પૂછયું, “તમે આદિ પ્રભુ બ્રહ્માના કુળમાં જન્મેલાં છો. ત્રણેય લોકમાં જોવા ન મળે તેવું અદ્વિતીય સૌંદર્ય ધરાવો છો. ઐશ્વર્ય તો તમારી પાસે છે જ, વળી યુવાન પણ છો. આ બધું જ હોવા છતાં આટલું કઠોર તપ કયા ફળ માટે કરો છો? વરપ્રાપ્તિ માટે તમારે કોઈ તપ કરવાની જરૂર નથી, કારણ કે વર તો તમને શોધતો આવશે.”

વરપ્રાપ્તિની વાત સાંભળી પાર્વતીએ નિસાસો નાખ્યો. પાર્વતીના નિસાસા પરથી બ્રહ્યચારી કળી ગયો કે પાર્વતીનું તપ વરપ્રાપ્તિ માટે જ છે. બ્રહ્મચારીએ પાર્વતીની માનસિક સ્થિતિ પામી ગયા બાદ કહ્યું, “તમને જે યુવક ગમે છે તે તેના રૂપથી છકી ગયો લાગે છે.”

પાર્વતી તો કાંઈ બોલી નહીં, પરંતુ તેની સખીએ કહ્યું, “કામદેવ ભસ્મીભૂત થતાં અમારી સ્વમાની પાર્વતી સૌંદર્યથી નહીં જીતી શકાતા શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા તપ કરી રહી છે.”

બ્રહ્મચારીએ કહ્યું, “મહાદેવ તો મને પરિચિત છે. તમે એવી વ્યક્તિને વર તરીકે પ્રાપ્ત કરવા કેમ ઉત્સુક થયાં છો? મીંઢળ બાંધેલો તમારો હાથ શંકરના સાપથી વીંટળાયેલા હાથથી પાણિગ્રહણ કેવી રીતે સ્વીકારી શકશે? તમારું સુંદર પાનેતર અને લોહી નીંગળતું શંકરનું હસ્તિચર્મ કેવી રીતે સાથે રહી શકશે? લગ્નમંડપમાં પુષ્પો પર પડનારા તમારા સુકોમળ પગ પતિગૃહે સ્મશાનમાં વીખરાયેલા વાળ પર કેવી રીતે પડશે? તમને મહાદેવનું વક્ષઃસ્થળ આલિંગન વખતે સુલભ થાય તોપણ હરિચંદનનો લેપ કરવાને લાયક તમારાં વક્ષઃસ્થળ પર ચિતાની રાખોડી લાગશે તે કેવું અયોગ્ય હશે? તમે શ્રેષ્ઠ હાથી પર બેસવાને લાયક છો ત્યારે મહાદેવ વૃદ્ધ પોઠિયા પર બેસાડીને તમને લઈ જશે ત્યારે લોકો તમારો કેવો ઉપહાસ કરશે? વળી શંકરની આંખો વિકૃત છે. તેમનાં માતા-પિતા વિશે કોઈ કાંઈ જાણતું નથી. શરીર ઢાંકવા તેમની પાસે પૂરતું વસ્ત્ર નથી.”

બ્રહ્મચારી બ્રાહ્મણની વાત સાંભળતાં મૃગનયની પાર્વતીએ લાલઘૂમ થઈ ગયેલી આંખોની તીખી નજર બ્રહ્મચારી પર નાખી. તેના હોઠ ક્રોધથી ધ્રૂજવા લાગ્યા. પાર્વતીએ બ્રહ્મચારીની દલીલોનું ખંડન કરતાં કહ્યું, “ખરેખર, તમે મહાદેવને તાત્ત્વિક રીતે ઓળખતા જ નથી. સામાન્ય માનવીઓ આપત્તિ ટાળવા માટે અથવા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે માંગલિક પદાર્થોનું સેવન કરે છે, પરંતુ આ જગતના મહાદેવ તો એ બધાથી પર છે. મહાદેવ દરિદ્ર છે પણ સંપત્તિના કારણરૂપ છે. તેઓ સ્મશાનમાં વસે છે પણ ત્રણેય લોકના સ્વામી છે. બિહામણા દેખાતા હોવા છતાં તેઓ ‘શિવ’ એટલે કે કલ્યાણકારી કહેવાય છે. મહાદેવ નિરાકાર અને સ્થળકાળથી પર હોઈ તેમનું સાચું સ્વરૂપ ઓળખી શકાતું નથી. ચિતાની ભસ્મ તો તેમના શરીરના સ્પર્શથી પવિત્ર બની જાય છે. તાંડવનૃત્ય વખતે તેમના શરીર પરથી ખરેલી ભસ્મ તો દેવતાઓ પણ પોતાના માથે ચડાવે છે. મહાદેવ તેમના વૃદ્ધ પોઠિયા પર બેસીને પસાર થતા હોય ત્યારે ઐરાવત હાથી પર સવાર થઈને જતો ઇન્દ્ર પણ શંકરનાં ચરણોમાં પોતાનું મસ્તક નમાવે છે. વળી,મહાદેવ તો સ્વયં બ્રહ્માની ઉત્પત્તિનું કારણ છે ત્યારે તેમના જન્મ વિશે કેવી રીતે જાણી શકાય? તમે શિવની કરેલી નિંદા તમારી દુષ્ટતાનું પ્રદર્શન

કરે છે.”

પાર્વતી એકીશ્વાસે બોલી ગઈ અને છેલ્લે કહ્યું, “તમે કહો છો તેવા શંકર ભલે હોય પરંતુ મારું પ્રણયથી ભીંજાયેલું મન તો તેમના પર જ ઠર્યું છે.”

એટલું બોલ્યા બાદ પાર્વતીએ એની સખીને કહ્યું, “અલી, કાઢી મૂક આ વાચાળ બ્રહ્મચારીને. એની વાત સાંભળતાં પણ પાપ લાગે. અગર તો હું જ અહીંથી ચાલી જાઉં છું.”

પાર્વતીએ ચાલવા માંડયું. એવામાં એક અલૌકિક ઘટના ઘટી. બ્રહ્મચારી અલોપ થઈ ગયા અને એમના સ્થાને સ્વયં મહાદેવ પ્રગટ થયા. સાક્ષાત્ શંકરને સામે ઊભેલા જોઈ પાર્વતી કાંઈ બોલી શકી નહીં. મહાદેવે સસ્મિત થઈને કહ્યું, “હે નાજુક સ્ત્રી! તારાં તપથી ખરીદાયેલો હું આજથી તારો દાસ થઈ ગયો.”

આનંદના અતિરેકમાં પાર્વતીનો કઠોર તપશ્ચર્યાનો બધો જ થાક ઊતરી ગયો.

એ પછી પિતા હિમાલય અને માતા મેનાની સંમતિથી શંકર અને પાર્વતીનાં લગ્નનું નક્કી થયું. હિમાલયે પોતાના નગરને સુંદર રીતે શણગાર્યું. શંકર વર બની નંદી પર સવાર થઈ જાનૈયાઓ સાથે ઔષધિપ્રસ્થમાં આવ્યા. શંકરના મોહક રૂપને જોઈ નગરની સ્ત્રીઓનાં મુખમાંથી પ્રશસ્તિના ઉદ્ગાર સરી પડયા. લગ્નવિધિ બાદ સરસ્વતીએ આશીર્વાદ આપ્યા. તે પછી શંકર પાર્વતી સાથે મેરૂ, મંદાર, કૈલાસ અને નંદનવન વગેરે સ્થળે વિચર્યા. છેવટે ગન્ધમાદન પર્વત પર તેમણે નિવાસ કર્યો. ચાંદની રાત્રે પ્રસન્ન દાંપત્યસુખ માણ્યું. અહીં પચીસ વર્ષ પસાર કર્યાં.

પરંતુ, હવે દેવોને શિવ-પાર્વતીના પુત્રનો ઇન્તજાર હતો. અગ્નિદેવ હોલાના સ્વરૂપે શંકર પાસે ગયા અને તારકાસુરથી દેવોને થતી પીડાની યાદ અપાવી. શંકરે પોતાનું તેજ અગ્નિમાં ફેંક્યું. અગ્નિથી તે જીરવી ન શકાતાં એણે એ તેજ ગંગામાં નાખ્યું. ગંગાએ તેને છ કૃતિકાઓમાં સંક્રાત કર્યું. એથી છ મુખવાળા બાળકનો ઉદ્ભવ થયો. શિવ-પાર્વતીના બાળક તરીકે ઓળખાતાં આ સંતાનને પાર્વતી કૈલાસ લઈ ગયાં. તેને ર્કાિતકેય એવું નામ આપવામાં આવ્યું અને ઇન્દ્રદેવની વિનંતીથી શંકરે ર્કાિતકેયને તારકાસુર સામેના યુદ્ધમાં દેવોના સેનાપતિ બનવા કહ્યું. ર્કાિતકેયે શંકરની આજ્ઞાા પાળી અને દેવો અને તારકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવોના સૈન્યના સેનાપતિ બનેલા ર્કાિતકેયે તારકાસુરનો વધ કર્યો.

આવી રસપ્રચુર કથા એક મહાકાવ્ય રૂપે મહાકવિ કાલિદાસે લખી છે. મહાકવિ કાલિદાસ પાસે આગવી પ્રતિભા, ભવ્ય કલ્પનાશક્તિ, અવલોકન, જીવનના પ્રત્યેક પાસાનું સૂક્ષ્મ નિરીક્ષણ, ઉચ્ચ સંવેદનશીલતા, ભાષા પરનું પ્રભુત્વ અને બધું જ છે. શંકરે કામદેવને ભસ્મીભૂત કર્યો એ કથા પુરાણોમાં પણ આવે છે. મહાકવિ કાલિદાસ રચિત ‘કુમારસંભવમ્’ કુલ આઠ સર્ગમાં લખાયેલું છે. બધા જ સર્ગ જુદા જુદા છંદોમાં લખાયેલા છે. મહાકવિ કાલિદાસને પ્રાચીન કાળથી આજ સુધીના ભારત સહિત પાશ્ચાત્ય દેશોના વિવેચકોએ મુક્ત કંઠે વખાણ કર્યાં છે. કવિ જયદેવે ‘કવિકુલગુરુ’ તરીકે બિરદાવી કવિતા કામિનીના વિલાસ કહ્યા છે. ઉપમા આપવામાં કવિ બેજોડ હોઈ ‘ઉપમા કાલિદાસસ્ય’ ઉક્તિ સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે. ‘કુમારસંભવમ્’માં કવિએ શૃંગારરસનો ભરપૂર ઉપયોગ કર્યો છે. Style is the men’ એ સૂત્ર પ્રચલિત છે, પરંતુ મહાકવિ કાલિદાસની શૈલી માટે એમ કહી શકાય કે Man is Style.’ કવિ માને છે કે દેહનો સ્થૂળ પ્રેમ ભૌતિક વાસનાઓથી સભર હોય છે. સાચો પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ પરસ્પરના અંતર્ગત સાથે સંબંધ ધરાવે છે અને પરસ્પરનાં અધ્યાત્મ સ્વરૂપ પ્રગટ કરે છે. આ પ્રકારનો પ્રેમ ઝંખતાં દંપતીના હૃદયમાં પ્રેમનું અદ્વૈત હોય છે. અલબત્ત, આવા પ્રેમમાં શારીરિક પ્રેમ, ભૌતિક સમાગમને કોઈ સ્થાન જ નથી એમ કવિ માનતા નથી. ઉચ્ચતમ પ્રેમના દોરથી સંકળાયેલું યુગલ નિષ્કામ વાસનાથી શારીરિક કામને લાલન આપે છે. કવિએ આ મહાકાવ્યમાં ભૌતિક અને અધ્યાત્મના મિલનનું શ્રેષ્ઠ સંમિશ્રણ ઉદાત્ત રીતે રજૂ કર્યું છે. કવિએ અહીં કામદેવને નિષ્ફળ બતાવ્યો છે જ્યારે તપ, પૂજા અને એકનિષ્ઠાને સફળ બતાવ્યાં છે. મોહ અકૃતાર્થ છે જ્યારે તે મંગલમય બને છે ત્યારે કૃતાર્થ બને છે. કવિ એ કહેવા માગે છે કે જે સૌંદર્ય ધર્મથી સંયત છે તે જ ધ્રુવ અને પ્રેમનું શાંત, સંયત અને કલ્યાણરૂપ જ શ્રેષ્ઠ છે. સંયમમાં જ સૌંદર્યની ખરી શોભા છે,ઉચ્છૃંખલતામાં નહીં. ભારતના આ પુરાતન કવિએ પ્રેમને શ્રેયના અંતિમ લક્ષ્ય તરીકે સ્વીકાર્યો નથી. કલ્યાણ જ પ્રેમનું લક્ષ્ય છે એમ રવીન્દ્રનાથ ટાગોર કહે છે.

મહાકવિ કાલિદાસે રામાયણ તથા મહાભારતમાંથી કથાવસ્તુ લઈને, તેમાં પોતાની ભવ્ય કલ્પનાશક્તિનો ઉમેરો કરી, પોતાની નવનવોન્મેષશાલિની પ્રજ્ઞાાથી પૂરા સાહિત્યોચિત પરિવર્તન કરીને ‘કુમારસંભવમ્નું સર્જન-નવસર્જન કર્યું છે.  

“હે નાજુક સ્ત્રી! તારાં તપથી ખરીદાયેલો હું આજથી તારો દાસ થઈ ગયો.”

હવે પાનખરમાં પણ વસંત ખીલવતા રાજકારણીઓ

જનીતિ આમ તો શુષ્ક વિષય છે પરંતુ તેમાં પ્રણય ભળે તો પાનખરમાં વસંત ખીલી ઊઠી હોય એવું લાગે છે. મધ્યપ્રદેશના રઘુગઢના પૂર્વ જાગીરદાર દિગ્વિજયસિંહ ૬૭ વર્ષની વયના છે પરંતુ તેમનાથી ૨૫ વર્ષ નાની ટીવી એન્કર અમૃતા રાયની જુલ્ફોમાં ઉલઝી ગયા અને સોશિયલ મીડિયામાં ઘમાસાણ મચી ગચું. પાછલા દિવસોમાં તેઓ નરેન્દ્ર મોદીના લગ્ન સંબંધે આકરી ટીકાઓ કરતા હતા પરંતુ તેઓ ભૂલી ગયા કે તેઓ ખુદ કાચના ઘરમાં રહે છે. અમૃતા રાય સાથેના સંબંધો જાહેર થઈ જતાં મોદીના લગ્નજીવન વિશે બકવાશ કરતાં દિગ્ગીરાજા અચાનક જ મૌન થઈ ગયાં.

રૂબીના શું કહે છે ?

દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમને પાંચ સંતાનો છે. જે બધાં જ પરણેલા છે. દિગ્વિજયસિંહના પત્ની આશાનું ગયા વર્ષે જ કેન્સરની બીમારીના કારણે અવસાન થયેલું છે. અમૃતા રાય રાજ્યસભાનાં ટીવી એન્કર છે અને એક મુલાકાત બાદ બેઉએ એક બીજાના કાર્ડની આપલે કરી હતી. દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહના પત્ની રૂબીના શર્મા કહે છે : ”અમે અમારા પરિવારમાં અમૃતાને આવકારીએ છીએ પરંતુ લક્ષ્મણ સાથે મારા લગ્ન થવાના હતા તે વખતે દિગ્વિજયસિંહે જ અમારા લગ્નનો વિરોધ કર્યો હતો કારણ કે હું મારા થનાર પતિથી નાની હતી. હવે તેઓ અમારા માટે શું કહેવા માંગે છે ? હું આજ સુધી એ બધાના મહેણાં સાંભળતી રહી છું. દિગ્વિજયસિંહને પણ દીકરીઓ છે અને દિગ્વિજયસિંહની દીકરીઓ તેમની નવી પત્ની અમૃતા કરતાં મોટી છે.”

દિગ્વિજયસિંહની પ્રેયસી અમૃતા રાયના પતિ આનંદ પ્રધાન ટેલિવિઝન પર ચર્ચા માટે આવતી મશહુર હસ્તી છે. પ્રેમ કરવાનો દિગ્ગીબાબુને અધિકાર છે. પરંતુ કોઈની પત્નીને પ્રેમપાશમાં જકડવી તેને શું કહેવાય ?

એન.ટી. રામારાવ ને લક્ષ્મી

બુઢાપામાં પ્રણય પાશમાં ફસાનાર દિગ્વિજયસિંહ એકલા નથી. તેલુગૂ દેશમ્ પાર્ટીના સંસ્થાપક અને લેજન્ડરી એક્ટર એન.ટી. રામારાવ પણ પાછલી વયમાં- ૭૦ વર્ષની ઉંમરે તેમનાથી ૩૦ વર્ષ નાની લક્ષ્મી પાર્વતી નામની મહિલાના પ્રેમમાં પડી ગયા હતા. લક્ષ્મી પાર્વતી એક પ્રોફેસરની પત્ની હતી અને એન.ટી. રામારાવનું જીવન ચરિત્ર્ય લખવાના મામલે એન.ટી. રામારાવને મળી હતી. તે બે સંતાનોની માતા પણ હતી પરંતુ રામારાવના ઈશ્કના જુનૂનથી પ્રભાવિત લક્ષ્મી પાર્વતીએ પતિથી છૂટાછેડા લેવા પડયા અને તેણે એન.ટી.રામારાવ સાથે લગ્ન કરી લીધું હતું. આ લગ્નના કારણે આંધ્રની રાજનીતિમાં ભારે ઊહાપોહ થયો હતો અને રામારાવ તેલુગૂ જનતામાં બેહદ લોકપ્રિય છતાં પ્રજાને તેમનો આ પ્રેમકાંડ પસંદ આવ્યો નહોતો. તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ રામારાવ વિરુદ્ધ બગાવત કરી દીધી હતી અને રામારાવે આંધ્રનું મુખ્યમંત્રીપદ અને પક્ષનું પ્રમુખપદ- બેઉ ગુમાવવા પડયા હતા. લક્ષ્મીપાર્વતી આજે પણ હૈદરાબાદમાં ગુમનામ જીવન વ્યતિત કરી રહ્યા છે.

કરુણાનિધિ ને દયાલુ

ડીએમકેના સર્વોચ્ચ નેતા એન.કરુણાનિધિ પણ પ્રયણજાળમાં ફસાયા હતા. તેમની બે પત્ની તો પહેલાથી જ મોજૂદ હતી તેમ છતાં પણ ૫૭ વર્ષની વયે તેઓ ૩૫ વર્ષની વયની દયાલુ અમ્મા નામની મહિલાના પ્રેમમાં પડી ગયા હતા અને દયાલુ સાથે પ્રેમલગ્ન કરી તમિલ રાજનીતિમાં તોફાન ઊભું કરી દીધું હતું. કરુણાનિધિથી દયાલુ અમ્માને જે પુત્રી થઈ તેનું નામ કનીમોઝી, જે ૨જી સ્પેક્ટ્રમ ગોટાળામાં જેલ પણ જઈ આવી છે. કરુણાનિધિની બાકીની પત્નીઓથી થયેલા પુત્રો સ્ટાલિન અને અલાગીરી પણ પિતાની રાજકીય વિરાસત માટે એકબીજા સામે તલવારો ખેંચી રહ્યા છે.

નારાયણદત્ત તિવારી

વયોવૃદ્ધ કોંગ્રેસી નેતા નારાયણદત્ત તિવારી તો શરૂઆતથી જ ગોપીઓથી ઘેરાયેલા રહેતા. કનૈયા જેવા રહ્યા છે. એમની તો એક ડઝન જેટલી પ્રેમકથાઓ છે. ૧૯૭૮માં હરિયાણાના એક મંત્રીની વિવાહિત પુત્રીની નજરના તેઓ શિકાર બન્યા. તેનું નામ ઉજવલા શર્મા હતું. તેનો પતિ એક બિહારી હતો પરંતુ તિવારીજી અને તેમની પ્રેમિકા બધી જ સામાજિક મર્યાદાઓનો ભંગ કરી મોજમસ્તી કરતાં રહ્યાં. આ સંબંધોના કારણે તિવારીજી એક બાળક રોહિત શેખરના પિતા પણ બની ગયા પરંતુ તેમણે તેમના ‘લવ ચાઈલ્ડ’ને પિતા-પુત્રનો કાનૂની દરજ્જો આપવા ઈન્કાર કર્યો. નારાયણદત્ત તિવારી ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના તેમની પ્રેમિકા ઉજવલ શર્મા સાથેના સંબંધો બગડયા અને ઉજવલા માટે મુખ્યમંત્રીનિવાસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. તેમનો ગેરકાનૂની પુત્ર રોહિત શેખર ૨૮ વર્ષનો થયો ત્યારે તે તેના ૮૯ વર્ષના બાયોલોજિક પિતા તિવારીજીને કોર્ટમાં ઘસડી ગયો. તિવારીજીનો ડીએનએ ટેસ્ટ લેવાયો અને તે પછી ૮૪ વર્ષની વયે ઉજવલા શર્માને પત્ની અને રોહિત શેખરને પુત્રનો કાનૂની દરજ્જો આપવો પડયો. આ ઉંમરે ઉજવલા શર્માને સામાજિક દરજ્જો આપવા માટે તિવારીજીએ ઉજવલા શર્મા સાથે વિધિસરના લગ્ન પણ કરી લીધાં.

ચંદ્રમોહન- અનુરાધા

હરિયાણાના તાકાતવર નેતા ચૌધરી ભજનલાલના મોટા પુત્ર ચંદ્રમોહને પોતાનાથી ૨૦ વર્ષ નાની અનુરાધા બાલીને પ્રેમપાશમાં જકડી લીધી હતી. આ વખતે ચંદ્રમોહનની પત્ની અને તેના ચાર સંતાનો મોજૂદ હતાં. એ વખતે ચંદ્રમોહન હરિયાણાના નાયબ મુખ્યમંત્રી પણ હતા. તેમની પ્રેમિકા અનુરાધા તેમના રાજ્યની સહાયક એડવોેકેટ જનરલના પદ પર નિયુક્ત હતી. પ્રેમમાં આંધળા બની ગયેલા ચંદ્રમોહને પ્રેમિકા સાથે લગ્ન કરવા ધર્મપરિવર્તન કર્યું અને તેઓ ચાંદ મોહમ્મદ બની ગયા. તેમની પ્રેમિકા અનુરાધામાંથી ફિજાં બની ગઈ. આ લગ્નના કારણે ચંદ્રમોહને ઉપમુખ્યમંત્રીપદ ગુમાવ્યું. અનુરાધા બાલીએ સરકાર દ્વારા થયેલી નિયુક્તિ ગુમાવી. કહેવાય છે કે ચૌધરી ભજનલાલે શામ, દામ, દંડ અને ભેદની પ્રયુક્તિનો સહારો લઈ ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહંમદને અનુરાધા ઉર્ફે ફિજાંથી તલાક લેવરાવ્યા. તેના કેટલાક સમય બાદ અનુરાધા બાલીનું રહસ્યમય મોત નીપજ્યું અને ચાંદ મોહમ્મદ ફરી તેમની અસલ પત્ની પાસે જતા રહ્યા.

પ્રફુલ્લ મોહંતા

આસામના પૂર્વ મુખ્યમંત્રી અને આસામ ગણ પરિષદના પ્રમુખ પ્રફુલ્લ મોહંતા પણ ૫૩ વર્ષની વયે તેમનાથી ૨૫ વર્ષ નાની જોરહાટની એક અધ્યાપક યુવતીના પ્રેમમાં પડી ગયા અને તેની સાથે કોલકાતામાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. આ સમાચાર અખબારોમાં પ્રગટ થતાં હંગામો થયો. પ્રફુલ્લ મોહંતાની પત્ની જયશ્રીએ તોફાન મચાવી દીધું. દિવસો સુધી મોહંતા પરિવારની ભીતર ચાલેલા સંઘર્ષે અખબારોને રસપ્રદ મસાલો પૂરો પાડયો.

મદરેણા- ભંવરીદેવી

રાજસ્થાનના પૂર્વ મંત્રી મહિપાલ મદરેણા અને ભંવરીદેવીની પ્રણયકથા એક થ્રીલર જેવી છે. ભંવરીદેવી સાથેના તેમના પ્રેમપ્રકરણના કારણે તેમણે મંત્રીપદ તો ગુમાવ્યું પરંતુ જેલની હવા ખાવી પડી. ભંવરીદેવી તેમને બ્લેક મેલ કરતી હોવાની કથાઓ પણ પ્રગટ થતી રહી અને એક દિવસ ભંવરીદેવી ગૂમ થઈ ગઈ. કેનાલમાંથી તેના અવશેષો જ મળ્યા. ભંવરીદેવીની કોઈએ રહસ્યમય હત્યા કરી નાંખી હતી.

મુલાયમ-સાધના

પાછલી ઉંમરમાં કોઈને દિલ દઈ દેવાવાળા નેતા એક માત્ર દિગ્ગીરાજા જ નથી. સામ્યવાદીપક્ષના પૂર્વ નેતા ઈન્દ્રજીત ગુપ્તા યુવાનીમાં સુરૈયા નામની યુવતીને પ્રેમ કરતા હતા પરંતુ સુરૈયા સાથે તેમણે છેક ૬૦માં વર્ષે લગ્ન કર્યું. યુવાનીમાં તેઓ સુરૈયાને પ્રપોઝ કરી શક્યા નહીં અને ૪૦ વર્ષ બાદ જ તેમનામાં હિંમત આવી. ૬૦માં વર્ષે લગ્ન કર્યા. ગાંધી પરિવારના વિશ્વાસુ આર.કે.ધવન ૭૪ વર્ષની વય સુધી કુંવારા રહ્યા અને ૭૪માં વર્ષે તેમનાથી ૧૫ વર્ષ નાની અચલા સાથે તેમણે લગ્ન કર્યા. સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ માલતીદેવી સાથે પરણેલા હતા. ૨૦૦૩માં માલતીદેવીનું અવસાન થયા બાદ ૭૪ વર્ષના મુલાયમસિંહ યાદવે તેમની પ્રેમિકા સાધના યાદવ સાથે લગ્ન કરી લીધું. આ લગ્નના પાંચ વર્ષ સુધી કોઈને મુલાયમ- સાધનાના લગ્નની ખબર જ નહોતી. સમાજવાદી પૂર્વ નેતા ડો. રામમનોહર લોહિયાની અનેક સ્ત્રી મિત્રો હતી પરંતુ લોહિયાજી આખી જિંદગી અવિવાહિત જ રહ્યા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના પાકિસ્તાની બહુ ર્ચિચત પત્રકાર આરુષી આલમ સાથેના સંબંધોની માદક હવા પણ અખબારોને મંદ મંદ ખુશ્બુ બક્ષતી રહી છે. પંજાબના પૂર્વ રાજા ભૂપેન્દ્રસિંહને ૩૬૬ રાણીઓ હતી.

બોલો, છે ને મજા !
 
– દેવેન્દ્ર પટેલ

આપણે પરમાણુ બોમ્બ નહીં પરંતુ શ્રેષ્ઠ સ્કૂલ બનાવીએ

ભારતમાં રાહુલ ગાંધીને વિપક્ષ ‘શાહજાદા’ કહે છે તો પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટોને પણ ભુટ્ટો પરિવારના પ્રિન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બેનઝીર ભુટ્ટો અને આસીફ અલી ઝરદારીના પુત્ર છે. પિતા પાકિસ્તાનના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તેમના નાના ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પણ પાકિસ્તાનમાં વડાપ્રધાન રહી ચૂક્યા છે અને પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયાઉલ હક્કે તેમને ફાંસીએ લટકાવી દીધા હતા. માતા બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ ગઈ હતી. માતાના મૃત્યુ બાદ તેમણે પાકિસ્તાન પિપલ્સ પાર્ટીની કમાન સંભાળી હતી.

પાકિસ્તાન આતંકવાદીઓની ફેક્ટરી તરીકે નામના પામ્યું છે અને કટ્ટરવાદીઓની તથા આઈએસઆઈની ચુંગાલમાં ફસાયેલું છે ત્યારે બિલાવલ ભુટ્ટોએ તાજેતરમાં પાકિસ્તાનના યુવાનો સમક્ષ આપેલા પ્રવચને પાકિસ્તાને તો ઠીક પરંતુ ભારતના રાજનેતાઓએ ધ્યાનપૂર્વક વાંચવા સમજવાની જરૃર છે.

બિલાવલ ભુટ્ટોના પ્રવચનના અંશ આ પ્રમાણે છેઃ

” હું પોતે અહીં યુવા નેતા છું એવું સાબિત કરવા આવ્યો નથી. તમે બધા જ નવજુવાન છો તેથી આજે આપણે માત્ર મુદ્દાઓ પર વાત કરીશું. હું એવા પાકિસ્તાનનું સ્વપ્ન લઈને આવ્યો છું જેમાં માત્ર શાંતિ અને વિકાસ હોય. આવો દેશ બનાવવા માટે આપણે જૂની પેઢીના નેતાઓને કહેવું પડશે કે તેઓ આપણને શાંતિ ઉપલબ્ધ કરાવે, જેથી આપણે તરક્કી હાંસલ કરી શકીએ.

હું હિંસાના દર્દને બરાબર સમજું છું. હું એવા લોકોનું દુઃખ સમજી શકું છું કે જેમણે હિંસામાં સ્વજનોને ગૂમાવ્યાં છે. મેં મારા જ દેશની ધરતી પર મારી માતા ગુમાવી છે. આતંકવાદીઓએ મારી માતા મારી પાસેથી છીનવી લીધી. હું એ ક્ષણો ભૂલી શક્તો નથી. આપણાથી આપણું કોઈ સ્વજન દૂર થઈ જાય ત્યારે કેટલું દુઃખ થાય છે તે વાત હું સારી રીતે જાણું છું. હું એવા બહાદુર જવાનોનો આભાર માનવા માગું છું કે જેઓ આગળ વધીને આતંકી તાકાતોનો મુકાબલો કરી રહ્યા છે, જેથી આપણે નવયુવાનો શાંતિથી ઊંઘી જઈ શકીએ.

હું એવા હજારો બાળકોનું દર્દ અને તકલીફોને સમજી શકું છું કે જેમણે ત્રાસવાદી હુમલાઓમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. લોહીના તરસ્યા એ હત્યારાઓએે આ માસૂમોના પરિવારોને છીનવી લીધા છે. ધર્મના નામ પર જેઓ હિંંસા કરે છે તેઓ દરઅસલ ધર્મની ખોટી વ્યાખ્યા કરે છે. હું એવા રાજનેતાઓથી બેહદ ખફા છું, જેઓ સત્યથી મોં ફેરવી લેવા માંગે છે. તેઓ એવી રીતે પેશ આવે છે કે જાણે આવી ત્રાસવાદી ઘટનાઓ સાથે એમને કોઈ લેવા-દેવા જ નથી. આવા ગંભીર મામલાઓને કેવી રીતે નજર અંદાજ કરી શકાય? આ બહારની સમસ્યા નથી. દુશ્મનો આપણા મુલ્કની અંદર જ મોજુદ છે. આ લોકોએ જ બેનઝીર ભુટ્ટોને આપણી પાસેથી છીનવી લીધા.

આવા આતંકવાદીઓ બાળકોનો ઉપયોગ કરે છે તે એક ખતરનાક વાત છે. આવા લોકો બાળકોના શરીરમાં બોમ્બ લગાવી દે છે. આવા લોકો વિદ્યાર્થીઓની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દે છે. આ લોકો આપણી બહેનોને તાલીમથી દૂર રાખવા માંગે છે અને સ્કૂલ બસમાં જઈ રહેલી બાળકીઓ પર હુમલો કરી દે છે. શિક્ષણની ખ્વાહીશ રાખવાવાળી બાળકીઓને સજા આપે છે આ લોકો આપણી નવી પેઢીને તબાહ કરી દેવા માગે છે. આ લોકોના મનસૂબા ખતરનાક છે. કેટલાક નેતાઓ આવા રાક્ષસોને તાલિબાનીઓ કહે છે,પરંતુ હું તેની સાથે સહમત નથી કારણ કે આવી તાકાતોને કોઈ પણ નામ આપો પરંતુ હું તેમને ”હત્યારા” જ કહું છું.

આપણે સહુ કોઈ યુવાનો પરિવર્તન ચાહીએ છીએ. એ સારા સમાચાર છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકારના પ્રયાસો સફળ નીવડી રહ્યા છે. આપણે સ્વાતઘાટીને તાલિબાનથી મુક્ત કરાવી શક્યા છીએ. પરિણામો આવી રહ્યા છે. આપણે ઈચ્છીએ છીએ કે મુલ્કને અંદર અને બહારના દુશ્મનોથી બચાવવામાં આવે. મુલ્કના સાર્વભૌમત્વનું રક્ષણ થવું જોઈએ. આપણે દેશની વિદેશનીતિમાં પારદર્શીતા ઈચ્છીએ છીએ, જેથી મુલ્કના હિતને લક્ષમાં રાખી ફેસલા લઈ શકાય. આપણે એવું નથી ઈચ્છતા કે આપણી સરકાર પહેલાની સરમુખત્યારોની જેમ બીજા કોઈ દેશ પાસેથી ટેલિફોન પર આદેશ લે અને ગુપ્ત સમજુતી કરે. આપણો દેશ એના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન બરદાસ્ત કરશે નહીં.

એ બહુ ખરાબ લાગે છે કે આપણા દેશની અંદર સામુદાયીક ઝઘડા થાય છે. શિયા અને સુન્ની અંદરોઅંદર ઝઘડે છે અને એક બીજા પર હુમલા કરે છે. બલુચિસ્તાનમાં અલ્પ સંખ્યકોની હત્યાઓ હોય કે કરાચીમાં જાતીય હિંસા હોય, આપણે પીડિતોને ન્યાય મળે તેવું ઈચ્છીએ છીએ. હિંસા અટકવી જોઈએ. હિંસાથી દેશની બદનામી થાય છે. આપણે શરમ અનુભવવી પડે છે. એથી કોઈ ફરક પડતો નથી કે આપણો ધર્મ શું છે કે આપણી નીતિ કઈ છે. આપણે બધા પાકિસ્તાની છીએ.

આપણે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાનનો વિકાસ થાય. હું હમણાં જ ભારતની યાત્રા કરી પાછો આવ્યો છું. આ પ્રવાસનો મકસદ શાંતિ અને મૈત્રીનો હતો. આપણે એ દિશામાં કોશિશ શરૃ કરીએ. તેમાં મને બહેતર ભવિષ્યની ઉમ્મીદ નજર આવે છે. આપણે હવે આપણા પૂર્વજોની કડવાશને આગળ લઈ જવાની નથી. હા, મને એ વાતનો ગર્વ છે કે મારા નાના ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ આ દેશને પહેલો ઈસ્લામિક બોમ્બ આપ્યો અને મારી માતાએ દેશને પહેલો મિસાઈલ કાર્યક્રમ આપ્યો. એમાં હવે કોઈ સંદેહ નથી કે આપણે આપણા દેશની સુરક્ષા કરવામાં આજે સક્ષમ છીએ. પરંતુ આજની યુવા પેઢી યુદ્ધ ઈચ્છતી નથી. આપણે બધા યુવાનો શાંતિ અને વિકાસ ઈચ્છીએ છીએ .

શું હવે આપણે બધાએ પરમાણુક્ષેત્રમાં નાણાનું રોકાણ બંધ કરી દેવું જોઈએ ? હવે બહુ થઈ ગયું. શક્તિશાળી પરમાણુ ટેન્ક બનાવવાના બદલે બહેતર એ હશે કે આપણા દેશમાં બહેતરીન સ્કૂલ બનાવીએ. યુદ્ધ માટેના જેટ વિમાનો બનાવવાના બદલે શ્રેષ્ઠ ડોક્ટરો અને કુશળ નર્સ તૈયાર કરીએ. લોકોને શસ્ત્રથી સજ્જ કરવાના બદલે તેમને પૌષ્ટિક ભોજન અને વસ્ત્ર ઉપલબ્ધ કરાવીએ, જેથી તેઓ સુંદર જીવન જીવી શકે. અત્યાર સુધી આપણે દેશના રક્ષણ માટે બહુ ધ્યાન આપ્યું હવે આપણે લોકોના કલ્યાણ પર ધ્યાન આપીએ. હું એ બહાદુર જવાનોેની કદર કરું છું કે જેેમણે સિયાચીનની ઊંચાઈ પર રહી દેશની પહેરદારી કરી છે,પરંતુ મને એ દિવસનો બેસબ્રીથી ઈન્તજાર છે જ્યારે એક દિવસ તેઓ હંમેશા માટે પોતાના ઘેર પાછા ફરે. આપણું ભવિષ્ય દાવ પર લાગેલું છે. હું ઈચ્છું છું કે દેશના તમામ યુવાનો મારી સાથે જ તેમના અવાજને બુલંદ કરે.”

– અને બિલાવલ ભુટ્ટોનું પ્રવચન અહીં પૂરું થાય છે. પાકિસ્તાન માત્ર આતંકવાદીઓનો જ કે માત્ર આઈએએસ અધિકારીઓનો દેશ નથી. પાકિસ્તાનમાં આવા અમનપરસ્ત યુવા નેતા પણ છે. પાકિસ્તાનમાં બધા જ લોકો ભારતને શત્રુ માનતા નથી. બધા જ નેતાઓ ભારત સાથે યુદ્ધ ઈચ્છતા નથી. બિલાવલ ભુટ્ટો જેવું વિચારનારા નેતા પણ છે, જેઓ શાંતિ અને તરક્કી ઈચ્છે છે. જેઓ બોમ્બ નહીં બહેતર સ્કૂલ ઈચ્છે છે. શાયદ ભારતના યુવાનો પણ આવું જ ઈચ્છે છે, નેતાઓની ખબર નથી.

– દેવેન્દ્ર પટેલ

મોદી, ધી ‘સ્ટેટ્સમેન’ અને શાહજાદાઓની બાદબાકી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારંભ એક આંતરરાષ્ટ્રીય મેગા-ઇવેન્ટ બની રહ્યો. પક્ષના વયોવૃદ્ધ નેતા એલ.કે.અડવાણીએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે, ‘નરેન્દ્રભાઇ એક સારા ઇવેન્ટ મેનેજર છે.’ અડવાણીજી ભલે વ્યંગમાં બોલ્યા હોય પંરતુ તેમના શિષ્યએ એમના કથનને સત્ય સાબિત કરી બતાવ્યું. ભારતના વડાપ્રધાનની શપથવિધિના પ્રસારણમાં પાકિસ્તાનની ન્યૂઝ ચેનલોએ આટલો ઊલટભેર રસ લીધો હોય તેવું પહેલીવાર બન્યું. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલોએ પહેલી જ વાર હકારાત્મક વલણ દર્શાવ્યું.

બદલાતું વ્યક્તિત્વ

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથગ્રહણ દરમિયાન પાકિસ્તાન સહિત પડોશી દેશો અને સાર્કના દેશોના વડાઓને હાજર રાખવાની મુત્સદ્દી દ્વારા નરેન્દ્ર મોદી એક સ્ટેટસમેન-અર્થાત રાજપુરૃષ સાબિત થયા. એક મહિના પહેલા કોઇએ કલ્પના પણ કરી નહોતી કે મોદી પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવશે અને નવાઝ શરીફ પણ એ આમંત્રણ સ્વીકારશે. કાર્યભાર સંભાળતા જ તેમણે કામ કરતી સરકારનો પરિચય આપ્યો. સમય કાઢીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મળવા જઇ તથા જવાહરલાલ નહેરુને અંજિલ આપી. તેમના વ્યક્તિત્વમાં આવેલા પરિવર્તનના અણસાર આપ્યા. અડવાણીજી કરાચી જઇ મોહંમદઅલી ઝીણાની કબર પર નમ્યા હતા પરંતુ નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઇ ગાંધીજીની સમાધિ પર મસ્તક નમાવ્યું. વડાપ્રધાનની ખુરશીમાં બેસતા પહેલાં ગાંધીજીની તસવીરને ગુલાબના પુષ્પ ચડાવ્યા. કોંગ્રેસે ચિંતા કરવા જેવો વિષય છે. ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબ છીનવી લીધા હવે ગાંધીજી.

વૃદ્ધોને વનવાસ

નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ તબક્કાની કેબિનેટમાંથી ૭૫ પ્લસના નેતાઓને લગભગ નિવૃત્ત કરી નાખ્યા છે. એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષીને કોઇ જ કામ આપવામાં આવ્યું નથી. આરએસએસએ ૭૫ વર્ષની વયને રાજનીતિ માટે ‘એક્સપાયરી ડેટ’ જાહેર કરી છે. આ વયના નેતાઓને નથી તો મંત્રીપદ, નથી તો સ્પીકરપદ કે નથી તો એનડીએના ચેરમેનપદ માટે વાયદો કરાયો. તેમને એટલું જ કહેવામાં આવ્યું છે કે પક્ષ તેમના બહોળા અનુભવનો યોગ્ય ઉપયોગ કરશે. હા, અડવાણીજીને શપથગ્રહણ વિધિ વખતે અન્ય પૂર્વ વડાપ્રધાનો એચ.ડી.દેવગૌડા તથા. ડો. મનમોહનસિંહની બાજુમાં પ્રથમ હરોળમાં બેસાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અડવાણીજીની છેલ્લી આશા લોકસભાનું અધ્યક્ષપદ પ્રાપ્ત થાય તેવી હતી પરંતુ તે પદ માટે પણ હવે સુમિત્રા મહાજનના નામની વિચારણા થઇ રહી છે. હા, અડવાણીજીએ કેબિનેટમાં સુષ્મા સ્વરાજ અને અનંથકુમારને સમાવવા કરેલી ભલામણોને માન્ય રાખી એટલા પૂરતુ તેમનું માન જાળવ્યું છે.

ડાયનેસ્ટી ડાઉન

વંશવાદ માટે અંગ્રેજીમાં ‘ડાયનેસ્ટી’ શબ્દ વપરાય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવારના વંશવાદ પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમના એ વિધાનોની અસર તેમના મંત્રીમંડળની રચના પર પણ જોવા મળે છે. યુપીએ સરકાર વખતે દીપીન્દર હુડ્ડા, સચિન પાયલોટ, મિલિન્દ દેવરા, જ્યોતિરાદિત્ય સિંધિયા, જતીનપ્રસાદ અને રાહુલ ગાંધી એ બધા તેમના પિતાના કારણે રાજનીતિમાં આવેલાં સંતાનો હતા. નરેન્દ્ર મોદીએ ભાજપાના અને સાથીઓના ૧૧ જેટલા રાજકીય પરિવારોમાંથી માત્ર બે ને જ સ્થાન આપ્યું છે. કોઇ એક રાજનેતાના પુત્રને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું હોય તો તે પીયૂષ ગોયેલ છે. પીયૂષ ગોયેલ પૂર્વ શિપિંગ મિનિસ્ટર વેદપ્રકાશ ગોયેલના પુત્ર છે. તેમના પક્ષના ખજાનચી પણ છે. સાથી પક્ષોને લાગે વળગે છે ત્યાં સુધી એકમાત્ર અકાલીદળના પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલના પત્ની હરસિમરત કૌરને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યાં છે.

બાકીનાઓની બાદબાકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જ પક્ષના રાજકીય ખાનદાનોના જે ફરજંદોની બાદબાકી કરી નાખી છે તે જાણવા જેવું છે. મેનકા ગાંધીને મંત્રી બનાવ્યા છે પરંતુ તેમના પુત્ર વરુણ ગાંધીની બાદબાકી કરવામાં આવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંહ લોકસભામાં ચૂંટાયા છે પરંતુ તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવાયા નથી. ભાજપાના વરિષ્ઠ નેતા યશવંતસિંહાના પુત્ર જયંત સિંહા લોકસભામાં ચૂંટાયા છે પરંતુ તેમને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. એ જ રીતે હિમાચલપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુર અને છત્તીસગઢમાં ત્રણ વખતથી રહેલા મુખ્યમંત્રી રમણસિંહના પુત્ર અભિષેક પણ લોકસભામાં ચૂંટાયા હોવા છતાં મંત્રીમંડળમાંથી તેમની બાદબાકી કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના પુત્ર ભાજપાના નેતા સ્વ. પ્રમોદ મહાજનના પુત્રી પૂનમ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર પ્રચેશ વર્મા પણ લોકસભામાં ચૂંટાયા હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. એલ.જે.પી.ના પ્રમુખ રામવિલાસ પાસવાનને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે પરંતુ તેમના એકટરમાંથી રાજકારણી બનેલા પુત્ર ચિરાગને મોદી મંત્રીમંડળમાં કોઇ રોલ મળ્યો નથી. ચૂંટણી પહેલાં ભાજપા સાથે ગઠબંધન કરવામાં ચિરાગ પાસવાને ચાવીરૃપ ભાગ ભજવ્યો હતો. પરંતુ પિતાને મંત્રી બનવા દેવા પુત્રએ સત્તાનો ત્યાગ કરવો પડયો છે. આ સમીકરણે ભાજપા-એલજેપીના ગઠબંધનને બિહારમાં ૪૦માંથી ૩૧ બેઠકો પર વિજય અપાવ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને’શાહજાદા’ કહી પ્રહારો કર્યા હતા. હવે ભાજપાના તથા સાથી પક્ષોના શાહજાદાઓને પણ મંત્રીપદથી દૂર રાખી નરેન્દ્ર મોદીએ જે બોલ્યા તે કરી બતાવ્યું છે.

કઇ જ્ઞાાતિના કેટલા?

ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે બ્રાહ્મણ, વૈશ્ય અને રાજપૂતો જેવા સવર્ણોની પાર્ટી હોવાની છાપ રહી ચે પરંતુ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં જ્ઞાાતિવાર બંધારણ પણ સમજવા જેવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ગુજરાતના બક્ષીપંચ હેઠળની પછાત જાતિ હેઠળ આવે છે. મોદીના મંત્રીમંડળમાં ૨૦થી વધુ મંત્રીઓ ઉચ્ચ વર્ણના છે. તેમાં ૭ બ્રાહ્મણ, પાંચ રાજપૂત અને બે વૈશ્ય છે. સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, નીતિન ગડકરી, કલરાજ મિશ્રા અને અનંથ કુમાર બ્રાહ્મણ છે. રાજનાથસિંહ રાજપૂત છે. ડો. હર્ષવર્ધન વૈશ્ય છે. મોદી મંત્રીમંડળમાં ત્રણ દલિતોને સ્થાન મળ્યું છે. તેમાં એક રામવિલાસ પાસવાન પણ છે. ઉમા ભારતી અને ગોપીનાથ મુંડે અન્ય પછાત જ્ઞાાતિમાંથી આવે છે. મુસ્લિમ સમાજના બે જાણીતા પ્રવક્તા શાહનવાઝ હુસેન અને મુક્તાર નકવીની બાદબાકી કરી દેવામાં આવી છે. નકવીએ એકવાર કહ્યું હતું કે હવે તો દાઉદ ઇબ્રાહીમને પણ પાર્ટીમાં પ્રવેશ મળશે.’ એ વિધાન એમને ભારે પડી ગયું. ભાજપાના આ બે ચહેરાની બાદબાકી કરીને ૨૦૦૪માં કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાયેલા નજમા હેપતુલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. મોદીના મંત્રીમંડળમાં તેઓ એકમાત્ર મુસ્લિમ ચહેરો હશે. તેઓ ૭૪ વર્ષના છે.

મોદીના મંત્રીમંડળમાં સહુથી યુવાન સ્મૃતિ ઇરાનીએ તેમને માનવ સંશાધન ખાતું મળ્યું છે. તેમાં શિક્ષણ ખાતાનો પણ સમાવેશ થાય છે. પરંતુ સ્મૃતિ ઇરાની ખુદ સ્નાતક સુધી ભણેલાં નથી. મંત્રીમંડળનો વિસ્તાર ટૂંકમાં થવાનો છે. અરુણ જેટલીને નાણાં ઉપરાંત સંરક્ષણ ખાતું પણ અપાયું છે. સંરક્ષણ ખાતા માટે નવા મંત્રી શોધવા પડશે. શિવસેના પણ નારાજ હતી પણ તેને મનાવી લીધી છે. વસુંધરા રાજે પણ નારાજ છે, તેમને પણ રાજી કરવાં પડશે.

ગુડબાય ગુજરાત- ઓલ ધી બેસ્ટ મિ.પ્રાઈમ મિનિસ્ટર !

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક દાયકાથીયે વધુ સમય માટે એકધારી સેવાઓ આપ્યા બાદ દેશના વડાપ્રધાનપદે નિયુક્ત થવા જઈ રહેલા નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે બુધવારે ગુજરાત વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું. આ સત્રમાં ગુજરાતના ઉદ્યોગજગતના શ્રેષ્ઠીઓ, અખબાર જગતના માલિકો, લેખકો- સાહિત્યકારો, કલાજગતની હસ્તીઓ અને અગ્રગણ્ય નાગરિકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું. પૂરા બે કલાક સુધી જેમણે પહેલી જ વાર વિધાનસભાની કાર્યવાહી નિહાળી તેનો સૌ એક ચિરંજીવ યાદ લઈને ગયા.આખોયે કાર્યક્રમ લાગણી સભર હતો. ”નરેન્દ્ર મોદીએ ‘ગુજરાતને ગુડબાય’ કહેતાં કહ્યું કે ગુજરાત વિધાનસભા મારી પાઠશાળા હતી. ખબર નથી હવે અહીં ક્યારે પાછો આવીશ.”

રાષ્ટ્રીય ઈવેન્ટ

સામાન્ય રીતે વિધાનસભામાં શરૃઆતનો કાળ પ્રશ્નોત્તરીનો હોય છે. પ્રશ્નો અને જવાબમાં થ્રિલ હોય છે, બાકીની પ્રક્રિયા ઘણાને નિરસ લાગે. પરંતુ બુધવારના સત્રનો એજન્ડા અલગ હોઈ અને કેન્દ્ર સ્થાને નરેન્દ્ર મોદી હોઈ એ સત્ર સ્વયં એક નાનકડા પર્વ જેવું બની ગયું. વિધાનસભાનું સત્ર બરાબર ૧૧ વાગે શરૃ થયું ત્યારે બહાર ૪૩ ડિગ્રી તાપમાન હતું જ્યારે વિધાનસભા ગૃહના એરકન્ડિશનર્સને ૨૦ ડિગ્રી તાપમાન પર સેટ કરવામાં આવ્યા હતા. આખું યે ગૃહ ખૂબ જ પ્રકાશ આપતી લાઈટથી દૈદિપ્યમાન હતું. ગૃહને સુંદર ફુલોથી સજાવવામાં આવ્યું હતું. ક્ષણે ક્ષણના લાઈવ કવરેજ માટે આઠ જેટલા વીડિયો કેમેરાઝ ગોઠવી દેવાયા હતા. તમામ સ્થાનિક અને રાષ્ટ્રીય ચેનલ્સને બહારથી જ જોડાણ આપી દેવાયા હતા. ગૃહની કાર્યવાહી ગુજરાતીમાં ચાલી હોવા છતાં ચેનલોના પત્રકારોએ હિન્દી કે અંગ્રેજી ભાષાંતર સાથે કામગીરીનું જીવંત પ્રસારણ કર્યું. નરેન્દ્ર મોદીની હાજરી માત્ર જ ન્યૂઝ ચેનલ્સ માટે એક ‘ઈવેન્ટ’ બની રહે છે.

કોંગ્રેસ- ભાજપ એક

આ સત્ર એક ખાસ બાબત માટે ઐતિહાસિક બની રહેશે. જેમને વિધાનસભાની અંદરની કાર્યવાહી નિહાળવવાનો જેમને અનુભવે છે તેમને ખબર છે કે ગૃહની કામગીરી દરમિયાન વિપક્ષના સભ્યો સરકાર પર આકરા પ્રહારો કરતા હોય છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરતા હોય છે. વિપક્ષનું કામ જ હોય છે વિરોધ કરવાનું, પરંતુ બુધવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં નરેન્દ્ર મોદીને વિદાય અને શુભેચ્છા આપવા ભાજપા અને કોંગ્રેસ એમ બેઉ પક્ષોએ ભેગા મળી આ સત્રનું આયોજન કર્યું. ગૃહના અધ્યક્ષ વજુભાઈ વાળાએ ગૃહ બોલાવતા પહેલા પ્રતિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને દંડક બળવંતસિંહ રાજપૂત સમક્ષ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવા ખાસ સત્ર બોલાવવાની વાત કરી અને વિપક્ષના નેતાઓએ તરત જ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો, એ પછી આ ઐતિહાસિક સત્ર બોલાવવામાં આવ્યું. ગુજરાતે દેશને સ્વતંત્રતા અપાવવાથી માંડીને બીજી અનેક બાબતોમાં નેતૃત્વ આપેલું છે. ગુજરાતની એક પ્રતિભા સંપન્ન વ્યક્તિ દેશનું નેતૃત્વ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષે પરસ્પદનો રાજકીય વિરોધ, હરીફાઈ, કાપાકાપી કે ગાળાગાળી ભૂલીને નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવા એકબીજાની સાથે ભાવનાત્મક સૂર પૂરાવ્યો, એ ઘટના ભારતની લોકશાહીના ઈતિહાસમાં એક ઐતિહાસિક અને અસાધારણ ઘટના બની રહેશે. દેશના બીજાં રાજ્યોની વિધાનસભાઓએ પણ ગુજરાત વિધાનસભાએ શરૃ કરેલી આ શ્રેષ્ઠ લોકતાંત્રિક પ્રણાલીને અનુસરવાની પ્રેરણા લેવાની રહેશે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ એક થઈને એક ગુજરાતી નેતાને વિદાય શુભેચ્છા પાઠવે તેવું આ પહેલું ઉદાહરણ છે.

યાદોની ઝાલર

અલબત્ત ગૃહમાં બેઠેલા સહુકોઈ પ્રેક્ષકોને બે જૂના મિત્રો અને રાજકીય શત્રુઓનો પ્રેમ અને મીઠા ચાબખા પણ જોવા- સાંભળવા મળ્યા. ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટીને રેશમી ખેસ પહેરાવ્યો અને શુભેચ્છા આપતા આપતા ચૂંટણીમાં આપેલા વચનો પણ યાદ અપાવરાવ્યાં. તેના જવાબમાં મોદીએ પણ મર્માળો કટાક્ષ કરતાં કહ્યું કે ”ઓહોહો… પાછલી સરકાર આટલી બધી સમસ્યાઓ ઉકેલવાની બાકી રાખીને ગઈ છે ? ” એજ રીતે મોદીએ ભૂતકાળમાં તેઓ શંકરસિંહ વાઘેલાની મોટરબાઈક પર બેઉ સાથે ઘૂમતા હતા તે યાદ પણ તાજી કરી. શંકરસિંહ વાઘેલાએ પણ નરેન્દ્ર મોદીને તેમની એકલતા દૂર કરવા ક્યારેક સમય મળે તો હીરાબાના ખોળામાં માથું મૂકી આંસુ સારવાની શીખ આપી. નરેન્દ્ર મોદી અને બાપુ એ બેઉ આરએસએસની નીપજ છે. બેઉ ભાજપામાં જ ઉછેર્યા છે. બંનેના જીવન પર આરએસએસના એ વખતના ગુજરાતના વડા લક્ષ્મણરાવ ઈનામદારનો પ્રભાવ છે. તેમ છતાં બંને મિત્રો મટી રાજકીય હરીફો થયા હતા પરંતુ બુધવારની બેઠકમાં મીઠા વાક્બાણ વચ્ચે જૂની ભાવનાત્મક લાગણીઓની ટશરો પણ ફૂટતી હતી અને એ પ્રભાવના કારણે જ બાપુ કોંગ્રેસના નેતા હોવા છતાં તેમણે નરેન્દ્ર મોદીને બંધારણની મર્યાદામાં રહી રામમંદિરનું કામ પૂરું કરવા સલાહ આપી. નરેન્દ્ર મોદીએ કહ્યુંઃ”હવે વડાપ્રધાનના નિવાસસ્થાને ગુજરાતીમાં વાત થતી હશે અને ખમણ-ઢોકળાં પણ બનશે.” અલબત્ત, બાપુ એ ખમણ-ઢોકળાં ખાવા જશે કે કેમ એની ખબર નથી.

ધી સ્ટેટ્સમેન-મોદી

નરેન્દ્ર મોદીનો જવાબ અને પ્રતિભાવ સાંભળવા સહુ કોઈ આતુર હતા. આગલા દિવસે નવી દિલ્હી ખાતે પાર્લામેન્ટમાં પ્રવેશ કરતાં પહેલા અને તે પછી પાર્લામેન્ટરી બોર્ડને સંબોધતી વખતે નીપજેલા ઈમોશનલ દૃશ્યો બાદ બુધવારના સત્રમાં મોદી પ્રમાણમાં વધુ સ્વસ્થ અને ઔપચારિક હતા. ભૂલી જવું અને માફી આપવી કે માગવી એ તેમની ડિક્ષનેરીમાં નથી, પરંતુ વિધાનસભાના સત્રમાં વિદાય લેતી વખતે તેઓ પહેલી જ વાર બોલ્યાઃ ”૧૨ વર્ષના મારા કાર્યકાળ દરમિયાન મારી કોઈ ઉણપ રહી ગઈ હોય, મારા વ્યવહારમાં કોઈ દોષ રહી ગયો હોય, કોઈને ઠેસ પહોંચાડી હોય તો આ પળ ‘મિચ્છામી દુક્કડમ’ની છે. આ શબ્દો તેમણે અત્યંત ભાવપૂર્વક ઉચ્ચાર્યા હતા. લાગતું હતું કે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વમાં એક પરિવર્તન પણ આવી રહ્યું છે. તેઓ એક રાજ્યના પોલિટિશિયનમાંથી પરિર્વિતત થઈને રાષ્ટ્રીય ફલક પર ”ધી સ્ટેટસમેન”નો રોલ ભજવવા જઈ રહ્યા છે. રાજનીતિમાં ‘ધી સ્ટેટસમેન’ શબ્દ રાષ્ટ્રીય કક્ષાના ગૌરવપૂર્ણ રાજનેતાઓ માટે વપરાય છે. મોરારજી દેસાઈ પછી વર્ષો બાદ એક ગરીમાપૂર્ણ ગુજરાતી દેશનું નેતૃત્વ કરશે અને જે રીતે તેમણે ચૂંટણીમાં રાજનીતિનાં સમીકરણો અને રાજનીતિના રૃલ્સ બદલી નાખ્યા તે રીતે ૧૨૫ કરોડની વસ્તીવાળા દેશના પ્રશાસનમાં પણ તેઓ ક્રાંતિકારી બદલાવ લાવશે. દેશની સમસ્યાઓ દૂર કરવા હવે પ્રોફેશનલ અભિગમની જરૃર છે. જ્ઞાાતિ-જાતિના ચીલાચાલુ રાજકારણની નહીં, અને નરેન્દ્ર મોદી પાસે એ પ્રોફેશનલ- અભિગમ છે.

ઓલ ધી બેસ્ટ, મી.પ્રાઈમ મિનિસ્ટર

દેશના લોકતંત્રના ઈતિહાસમાં ગુજરાત વિધાનસભાએ શ્રેષ્ઠ ઉદારણ પૂરું પાડયું

૧૨૮ વર્ષ પુરાણી કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ ?

૧૨૮ વર્ષ જૂની કોંગ્રેસ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કરારી હારનો ભોગ બની. શરૃઆતમાં માનવામાં આવતું હતું કે, આ પરાજયની જવાબદારી પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના માથે નાખવી અને રાહુલ ગાંધીનો બચાવ કરવો, પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, સોનિયા ગાંધીએ વિદાય લેતા ડો. મનમોહનસિંહના માનમાં તેમના ઘરે ૧૦, જનપથ ખાતે રાત્રી ભોજનનું આયોજન કર્યું ત્યારે કોંગ્રેસ પ્રમુખે કોઈપણ એક વ્યક્તિ પર પરાજયની જવાબદારી નાખવાના બદલે સૌએ એ હારની જવાબદારી સ્વીકારવી અને વડા પ્રધાને બે ટર્મ દરમિયાન કરેલી કામગીરી બદલ તેમનો આભાર માનવો તેવી શીખ આપી. તે પછી ચૂંટણી પરિણામો આવ્યાં અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મીડિયા સમક્ષ આવ્યા અને પરાજયની જવાબદારી સ્વીકારી.

મોંઘવારી-ભ્રષ્ટાચાર

કોંગ્રેસના પરાજયનાં કારણો એક નથી, અનેક છે. યુપીએ-૧ અને યુપીએ-૨ સરકારે ૧૦ વર્ષ સુધી સતત રાજ કર્યું અને સ્વાભાવિક રીતે જ સરકાર વિરોધી લહેર આવા સંજોગોમાં બનતી હોય છે. યુપીએ-૨ સરકાર ભાવવધારો અને મોંઘવારી ડામવામાં નિષ્ફળ રહી. ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ, કોમનવેલ્થ ગેમ કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ જેવાં કૌભાંડોથી સરકારની છબી ખરડાઈ હતી. અણ્ણા હઝારેના આંદોલને યુપીએ-૨ સરકારને ભ્રષ્ટ સરકાર તરીકે ઉપસાવી દીધી હતી, તેનો સીધો લાભ યુપીએના વિકલ્પ તરીકે નરેન્દ્ર મોદીને મળ્યો. નરેન્દ્ર મોદીએ દરેક રેલીમાં યુપીએ સરકારના ભ્રષ્ટાચાર પર પ્રહારો કર્યા. અણ્ણા હઝારેએ ઊભી કરેલી ભૂમિ પર મોદીએ સફળતાની ખેતી કરી લીધી. માહિતીના અધિકારનો ધારો યુપીએ સરકારે જ આપ્યો અને એ ધારાના આધારે એના કૌભાંડો બહાર આવ્યાં.

કોંગ્રેસના નેતા કોણ ?

બીજી નોંધપાત્ર વાત એ રહી કે, નરેન્દ્ર મોદી આખીયે ચૂંટણી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિથી લડયા. મોદીએ પહેલાંથી જ પક્ષ પાસે જાહેર કરાવી દીધું કે, એનડીએની બહુમતી આવશે તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે. તેની સામે રાહુલ ગાંધી એક’રિલક્ટંટ પોલિટિશિયન’ જેવા લાગ્યા. મોદી તેના વિચારોમાં-ઇરાદાઓમાં સ્પષ્ટ અને નિર્ણાયક શક્તિ ધરાવનાર નેતા તરીકે પેશ આવ્યા, જ્યારે રાહુલ ગાંધી અસ્પષ્ટ અને નિર્ણય ન કરી શકનાર નેતા તરીકે પેશ આવ્યા. રાહુલ ગાંધી પોતાની વાત લોકોના ગળે ઉતારવામાં નિષ્ફળ રહ્યા. બીમારીના કારણે સોનિયા ગાંધીની સક્રિયતા ઘટી. ભાજપ પાસે એક જ નેતા હતા- નરેન્દ્ર મોદી. જ્યારે કોંગ્રેસની નેતાગીરી ‘હેડલેસ’ સાબિત થઈ. પક્ષનું નેતૃત્વ સોનિયા ગાંધી પાસે છે કે રાહુલ ગાંધી પાસે છે કે ડો. મનમોહનસિંહ પાસે છે તે સ્પષ્ટ થઈ શક્યું નહીં. વડા પ્રધાન ડો. મનમોહનસિંહ પાંચ વર્ષ દરમિયાન મૌન રહ્યા. આ કારણે સરકાર કામ કરતી જ નથી તેવી છાપ ઊભી થઈ. ચિદમ્બરમ્ની ખોટી આર્િથક નીતિઓએ સરકારનું સત્યાનાશ વાળી દીધું.

મોદી અને ટેક્નોલોજી

જાહેર સભાઓ અને રેલીઓ યોજવામાં નરેન્દ્ર મોદી કોંગ્રેસને ઓવરટેક કરી ગયા. એમણે ચાર રાજ્યોની પેટાચૂંટણીઓ પછી તરત જ એટલે કે છ મહિનાઓ પૂર્વે દેશભરના પ્રવાસનું અને રેલીઓને સંબોધિત કરવાનું આગોતરું આયોજન કરી લીધું હતું. મોદીએ ૪૦૦થી વધુ રેલીઓ, ૨૦૬૦ જેટલી થ્રી-ડી સભાઓને સંબોધી. ત્રણ લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો. રોજ ચારથી પાંચ રેલીઓ સંબોધી. તેની સામે રાહુલ ગાંધીએ ચૂંટણી ઝુંબેશ ખૂબ મોડી શરૃ કરી. મોદીથી અડધી રેલીઓ પણ માંડ સબોધી. છેલ્લે છેલ્લે રોજની માંડ બે કે ત્રણ રેલીઓ જ સંબોધી. સૌથી મોટી મહત્ત્વની વાત એ છે કે, દેશમાં સૌથી પહેલો અણુ ધડાકો કરનાર ઇન્દિરા ગાંધી હતાં. દેશમાં સૌથી પહેલું રંગીન ટી.વી. લાવનાર રાજીવ ગાંધી હતા. દેશમાં સૌથી પહેલાં સુઝુકી-મારુતિ કાર લાવનાર ગાંધી પરિવાર હતું. એ જ ગાંધી પરિવારના રાહુલ ગાંધીએ આ ચૂંટણી દરમિયાન ટેક્નોલોજીનો બહુ ઓછો ઉપયોગ કર્યો. એની સામે નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો. થ્રીડી ટેક્નોલોજી દ્વારા તથા સોશિયલ મીડિયા પર મોદી જ છવાયેલા રહ્યા. રાહુલ ગાંધીએ મોડે મોડે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૃ કર્યો, પરંતુ તે વખતે બહુ મોડું થઈ ગયું હતું. મોદી તેમનાથી ઘણા આગળ હતા. મોદી પાસે દેશના સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો અને આઈ.ટી.ટેક્નીશિયનોની ટીમ હતી.

શ્રેષ્ઠ વક્તા જ ‘લીડર’

એવું કહેવાયું છે કે, ‘શ્રેષ્ઠ વક્તાઓ જ નેતા બને છે.’ નરેન્દ્ર મોદી રાજકારણીઓમાં શ્રેષ્ઠ વક્તા સાબિત થયા. તેની સામે રાહુલ ગાંધી એક સામાન્ય વક્તા તરીકે જ ઉપસ્યા. મોદી પ્રવચન કરતા હતા ત્યારે જે તે વિસ્તારોમાં તેમણે શું બોલવું તેની નોંધ મળી જતી હતી. રાહુલ ગાંધી પાસે લોકોને સત્તા આપવામાં આવશે તે સિવાય કોઈ નવી વાત કે નવા મુદ્દા નહોતા. કોંગ્રેસ પાસે એ સિવાય પણ કોઈ શ્રેષ્ઠ વક્તા નહોતા. હા, પ્રિયંકા ગાંધી જેટલા સમય માટે પ્રચાર માટે આવ્યાં તેટલા સમય માટે છવાયેલાં રહ્યાં,પરંતુ ભારતીય જનતા પાર્ટીએ રોબર્ટ વાડ્રાની ફિલ્મ દર્શાવી પ્રિયંકાને આગળ વધતાં રોકી લીધાં. પ્રિયંકા ગાંધીનું પ્રચારકાર્ય અમેઠી અને રાયબરેલી પૂરતું જ સીમિત રહ્યું. ભાજપાએ રોબર્ટ વાડ્રાની જમીનનાં પ્રકરણો દ્વારા પ્રતિરોધાત્મક દીવાલ ખડી કરી દીધી. દેશનાં કરોડો યુવાનો અને મહિલાઓને આકર્ષવામાં ‘હી-મેન’ની ઇમેજ ધરાવતા મોદી સફળ રહ્યા.

ખોટા સલાહકારો

કોંગ્રેસની ચૂંટણી ઝુંબેશ આમ તો રાહુલ ગાંધીના જ હાથમાં હતી, પરંતુ તેમના સલાહકારો ખોટા હતા. રાજકીય સલાહકારો અને યુવાન નિષ્ણાતો પણ ખોટા હતા. રાહુલ ગાંધી પાસે જે યુવા વ્યવસાયિકોની સલાહકાર ટીમ હતી તેઓ સ્ટેટિસ્ટિક્સ પર જ વધુ આધાર રાખતી હતી. તેમને વાસ્તવિકતા અને ભૂમિગત હકીકતોનું ભાન જ નહોતું. કોમ્પ્યુટર પર ઉપસાવેલા આંકડાથી ચૂંટણી જીતી શકાતી નહોતી. દિગ્વિજયસિંહ, જનાર્દન દ્વિવેદી, અજય માકન, જયરામ રમેશ, મધુસૂદન મિસ્ત્રી, સી. પી. જોષી તથા મોહન પ્રકાશ જેવા રાજકીય સલાહકારો પાસે કોંગ્રેસને જીતાડવાની કોઈ રણનીતિ જ નહોતી. રાહુલ ગાંધી મુઠ્ઠીભર સલાહકારોના સાંકડા વર્તુળમાં ફસાઈ ગયા. જ્યારે પક્ષ અને પ્રજાની અભિપ્સાઓને સમજનાર સોનિયા ગાંધીના નિષ્ઠાવાન સલાહકારોને તેમણે દૂર રાખ્યા. આખા યુ.પી.માંથી બે જ બેઠક અપાવે તે સલાહકારો અને પ્રભારીઓ કેવા ? રાહુલ ગાંધી ખુદ યુવાન હોવા છતાં દેશનાં યુવા મતદારોને આકર્ષવામાં નિષ્ફળ ગયા. મોદીએ ચૂંટણી ઝુંબેશ અદ્યતન શૈલીથી ચલાવી. જ્યારે રાહુલ ગાંધીએ વર્ષોથી ચાલી આવતી જરી પુરાણી અને આઉટ ઓફ ડેટ પદ્ધતિથી ચલાવી.જે નેતાઓ ભૂતકાળમાં ખુદ ચૂંટણી હારી ગયા હતા એવાને જ તેમણે ચૂંટણી જીતવા સલાહકાર તરીકે રાખ્યા.

હિન્દુત્વના નેજા હેઠળ

૨૦૧૪ની ચૂંટણી નવા જ રૃલ પર આધારિત ગેમ હતી, એ વાત કોંગ્રેસ સમજી શકી નહીં. ૨૦૧૪ની ચૂંટણીએ રાજનીતિનાં ઘણાં બધાં સમીકરણો બદલી નાખ્યા છે. માંડલ યુગ પછી દેશની પોલિટિકલ પાર્ટીઓ જ્ઞાાતિ અને જાતિ આધારિત ચૂંટણી લડતી હતી,પરંતુ નરેન્દ્ર મોદીના હિન્દુત્વ અને વિકાસના બ્લેન્ડ કરેલા એજન્ડાએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના હિન્દુ બેનર હેઠળ આવતી તમામ જાતિઓને આકર્ષી. લોકોએ તેમની જાતિઓના સાંકડા મનવાળા નાના નેતાના બદલે એક બૃહદ્ હિન્દુ ‘લીડર’ પસંદ કરી લીધો. એ જ રીતે મુસ્લિમ મતદારો પણ વિભાજિત રહ્યા. કેટલાક મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીને, કેટલાકે બહુજન સમાજ પાર્ટીને અને કેટલાકે જેડીયુને, તો કેટલાકે આમઆદમી પાર્ટીને મત આપ્યા. મુસ્લિમોનો કોઈ એક નેતા આજે દેશમાં નથી. મુસ્લિમ મતદાર વહેંચાયો છે. તેના કારણે કોંગ્રેસને નુકસાન થયું. એ જ રીતે આમઆદમી પાર્ટીએ પણ કોંગ્રેસના જ મત તોડયા. માયાવતી, મુલાયમની પાર્ટીએ પણ કોંગ્રેસની જ પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડયું.

કાર્યકરો જ નથી

ટૂંકમાં કોંગ્રેસ પાસે ૨૦૧૪ની ચૂંટણી જીતવા કોઈ સ્ટ્રેટેજી જ નહોતી, ઇચ્છાશક્તિ નહોતી, અમલ કરાવનાર ટીમ નહોતી, બુથ મેનેજમેન્ટ જેવું કાંઈ જ નહોતું. આજે કોંગ્રેસમાં માત્ર નેતાઓ જ છે, કાર્યકરો નથી. ઈન્દિરા ગાંધીના સમયમાં મતદારોને બુથ સુધી લઈ જવા કોંગ્રેસ પાસે મોટી ફોજ નહોતી. આજે એવા કોઈ કાર્યકરો જ નથી. કોંગ્રેસ સેવાદળ પણ ખતમ થઈ ચૂક્યું છે. તેની સામે ભાજપા પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આરએસએસના હજારો નિષ્ઠાવાન કાર્યકરોની ફોજ હતી જેણે માઈક્રો લેવલ પર બુથ મેનેજમેન્ટની જવાબદારી સંભાળી લીધી. કોંગ્રેસ પાસે બુથ મેનેજમેન્ટને નામે મીંડુ હતું. કોંગ્રેસને કોર્પોરેટ વર્લ્ડનો ટેકો ના મળ્યો. યુ.પી.એ. સરકાર ફરી આવવાની નથી એ ખ્યાલથી ઉદ્યોગપતિઓએ કોંગ્રેસને ચૂંટણીફંડ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં. જે વચનો આપ્યાં હતાં તે રકમ પણ આપી નહીં. ચૂંટણી એ પૈસાનો ખેલ છે એ વાત જાણવા છતાં કોંગ્રેસના ઉમેદવારો માટે “સગાં દીઠાં મેં શાહઆલમના ભીખ માગતાં શેરીએ’ જેવી હાલત હતી.

LOST & NEVER FOUND

રાતના ૧.૧૯ વાગ્યા હતા. મલેશિયાના પાટનગર કુઆલાલુમ્પુર એરપોર્ટથી બૈજિંગ જવા ઉપડેલા વિમાન સ્ઁ ૩૭૦ના કો-પાઇલટ ફારિક અબ્દુલ હમીદે કોકપીટમાંથી કહ્યું: “ગૂડનાઈટ મલેશિયન થ્રી સેવન ઝીરો” અને રડાર ટ્રાન્સપોન્ડર સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યું.બસ, એ જ ક્ષણથી ૨૩૯ ઉતારુઓને કુઆલાલુમ્પુરથી બૈજિંગ લઈ જતું મલેશિયન એરલાઈન્સનું વિમાન ગુમ છે. તેને શોધવા ૧૪ રાષ્ટ્રો, ૪૩ નૌકાજહાજો અને ૫૮ એર ક્રાફ્ટસની મથામણ બાદ આજ સુધી એનો પત્તો લાગ્યો નથી. આ વિમાનને શોધવા જે દેશો સામેલ છે તેમાં કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાનથી માંડીને ભારત,પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, મ્યાનમાર, લાઓસ, વિયેટનામ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાથી માંડીને અમેરિકા સુધીના દેશોનો સમાવેશ થાય છે. આ ખોજ ગલ્ફ ઓફ થાઈલેન્ડથી માંડીને સાઉથ ચાઇના સમુદ્ર અને મલાક્કાથી માંડીને આંદામાન સુધીના સમુદ્રથી માંડીને અરબી સમુદ્ર સુધી પથરાયેલી છે, છતાં ગુમ થયેલા વિમાનનો કોઈ જ પત્તો કે ભાળ નથી. નથી તો વિમાનના અવશેષને મળ્યા કે નથી તો કોઈ માનવીનો મૃતદેહ. નથી તો પ્લેનના પેટ્રોલનો તરલ પદાર્થ મળ્યો કે નથી મળ્યું બ્લેક બોક્સ.

આવું પહેલી વાર જ નથી બન્યું. એવિએશનના ઇતિહાસમાં ૧૯૪૮ પછી આજ સુધીમાં ૮૦ વિમાનો ગુમ થઈ ચૂક્યાં છે. જેની ભાળ આજ સુધી મળી નથી. જોકે, તેની પણ પહેલાં ૧૯૩૭ની સાલમાં એમિલિયા ઈયરહાઈ નામની ૩૯ વર્ષની યુવતી એક નાનકડા વિમાન દ્વારા દરિયો ઓળંગી રહી હતી અને તેનું વિમાન અદૃશ્ય થઈ ગયું. આ વિમાનને શોધવા એ જમાનામાં અમેરિકાએ એક ડઝન નૌકાજહાજો, બોટ્સ અને વિમાનો પેસિફિક સમુદ્રમાં મોકલ્યાં હતાં, પરંતુ એ જ વિમાનના ગુમ થવાનું રહસ્ય કદી ન ઉકેલાયું. એ વિમાનને શોધવા ૪ મિલિયન ડોલરનું ખર્ચ કરવામાં આવ્યું હતું અને તા. ૧૯ જુલાઈ, ૧૯૩૯ના રોજ એ ખોજ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. વાત કંઈક આમ હતી. તા.૨ જુલાઈ, ૧૯૩૭ના રોજ મધ્યરાત્રિએ એમિલિયા અને ફેડ નૂનાને લેઈ એરપોર્ટથી ટેકઓફ કર્યું. તેઓ હોલેન્ડ આઈલેન્ડ જવા માગતાં હતાં. વહેલી સવારે ૭-૪૨ વાગ્યે એમિલિયાએ રેડિયો સંદેશો આપ્યો. “હવે અમે નજીક છીએ, પરંતુ ગેસ ખલાસ થવા આવ્યો છે. અમે ૧૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઊડી રહ્યાં છીએ.” તે પછી ૭-૫૮ વાગ્યે એમિલિયાએ રેડિયો મેસેજ પર કંટ્રોલ ટાવરને કહ્યું: “મને કાંઈ સંભળાતું નથી, મોટેથી બોલો.” હવે વોઈસ મેસેજ પહોંચતો નહોતો. ફ્રીકવન્સી બદલી પરંતુ એમિલિયા પ્લેનની દિશા નક્કી કરી શકતી નહોતી.

એ પછી એ નાનકડા વિમાનનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો. કેટલાક કહે છે કે, વિમાનમાંથી બળતણ ખૂટી પડતાં એમિલિયા અને નૂનાન પ્લેનમાંથી કૂદી પડયાં હતાં. બીજા થિયરી એવી છે કે, એમિલિયા જાપાનીઓ પર જાસૂસી કરતી હતી અને તે કામ તે વખતના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે તેને સોંપ્યું હતું. એ વિમાન દુર્ઘટનામાંથી તે બચી ગઈ હતી અને તે જાસૂસ હોઈ નામ બદલીને ન્યૂજર્સીમાં પાછળથી જીવન વિતાવતી રહી. ૧૯૬૬માં અમેરિકાની ટેલિવિઝન કંપનીના પત્રકાર ફ્રેડ ગોર્નરે એક પુસ્તક પ્રગટ કર્યું હતું તેમાં તેણે એવો દાવો કર્યાે હતો કે, એમિલિયા અને નૂનાન પ્લેન તૂટી ગયા બાદ મરિના આઈલેન્ડ પર પકડાઈ ગયાં હતાં અને એ ટાપુ એ વખતે જાપાનીઓના કબજામાં હોઈ જાપાની સૈનિકોએ એમિલિયા અને નૂનાનની હત્યા કરી નાખી હતી. તે પછી ૨૦૦૯માં એમિલિયાના એક સંબંધીએ એવું વિધાન કર્યું હતું કે, ” એમિલિયા અને નૂનાન પકડાઈ ગયા બાદ જાપાનની કસ્ટડીમાં હતાં અને તેઓ કસ્ટડીમાં જ મૃત્યુ પામ્યાં. જાપાનીઓએ એમિલિયાના નાનકડા વિમાનને કાપી તેના ટુકડા કરી ભંગાર દરિયામાં ફેંકી દીધો હતો.”

તે પછી પોસ્ટલ આર્મી યુનિટમાં કામ કરનાર થોમસ ઈ.ડિવાઈને “ઈઅીુૈંહીજજ : ંરી ટ્વદ્બીઙ્મૈટ્વ ીટ્વરિટ્વિી ૈહષ્ઠૈઙ્ઘીહં” પુસ્તકમાં લખ્યું કે, “મારી પાસે જાપાનના એક પોલીસ અધિકારીની દીકરીનો એવો પત્ર છે જેમાં એણે લખ્યું હતું કે મારા પિતાએ જ એમિલિયાને ફાંસી આપી દીધી હતી.”

આવાં તો બીજાં અનેક વિમાનો ગુમ થયેલાં છે, જેની ભાળ આજ સુધી મળી નથી. તા. ૧૬ માર્ચ, ૧૯૬૨ના રોજ લોકહ્યુ એલ-૧૦૪૯ સુપર કોન્સ્ટેલેશન ટાઈગર વિમાન ફિલિપાઈન્સના ક્લાર્ક એરબેઝથી ઉપડયું હતું, જેમાં ૩૯ જેટલાં અમેરિકન સૈનિકો હતા. એ વિમાન અચાનક ગુમ થઈ ગયું. એ વિમાનને શોધવા પેસિફિક મહાસાગર ખૂંદી વળ્યા બાદ પણ તેનો પત્તો આજ સુધી લાગ્યો નથી. તેનો ભંગાર કે માનવ મૃતદેહો પણ મળ્યા નથી.

એ પછી ૧૯૭૪માં ડગ્લાસ ડીસીએમ ટેમ-૫૨ વિમાન સાન્તા રોમી એરપોર્ટથી લા પાઝ ખાતે જવા ઊપડયું તે અધવચ્ચે જ ગુમ થઈ ગયું. એ વિમાનમાં ૨૧ ઉતારુઓ હતા. વિમાન કે ઉતારુઓની આજ સુધી કોઈ ભાળ મળી નથી.

તા. ૧૭ નવેમ્બર, ૧૯૬૫ના રોજ ૬૮ ઉતારુઓને લઈ આર્જેન્ટિના સી-૫૪ વિમાન કોસ્ટારિકા જઈ રહ્યું હતું. અધવચ્ચે જ તેનાં સિગ્નલ્સ તૂટી ગયાં અને વિમાન ગુમ થઈ ગયું. વિમાનનો ભંગાર કે માનવ મૃતદેહ તો ન મળ્યા પરંતુ ૨૫ જેટલી લાઈફ બોટ્સ મળી.

૨૦૦૩માં અમેરિકન એરલાઈન્સના વિમાન બોઈંગ ૭૨૭- ૨૨૩એ એંગોલાના એરપોર્ટ પરથી ઉડાન ભરી તે વખતે તેની સાઈટો બંધ થઈ ગઈ હતી અને ટ્રાન્સપોન્ડર કામ કરતું નહોતું. આ વિમાન પણ ગુમ થઈ ગયું. એફબીઆઈ અને સીઆઈએએ તેની વિશ્વવ્યાપી ખોજ કરી પણ તેનો કોઈ જ પત્તો લાગ્યો નહીં. તે વિમાન ક્યાં જતું રહ્યું તે આજે પણ એક રહસ્ય છે.

એ નોંધપાત્ર છે કે બર્મુડા ટ્રાયેંગલ પાસે આજ સુધીમાં ૧૦૦ જેટલાં વિમાનો અને સમુદ્રી જહાજો ગુમ થઈ ચૂક્યાં છે. આ ટ્રાયેંગલમાં દરિયામાં ગુમ થનારાં વિમાનો કે નૌકાજહાજોમાં મુસાફરી કરી રહેલા ૧૦૦૦ માણસો પણ ગુમ થઈ ગયા છે. ૧૯૪૫માં પાંચ અમેરિકન બોમ્બર વિમાનો તાલીમ માટે આ વિસ્તારમાં ઊડયાં હતાં અને એનો આજ સુધી કોઈ પત્તો નથી.

૧૯૪૮ અને ૧૯૪૯માં બે બ્રિટિશ સાઉથ અમેરિકન એરબેઝ વિમાનો પણ ઉતારુઓ સાથે ગુમ થઈ ગયાં. તેની ખોજ માટે અનેક સર્ચ મિશન મોકલવામાં આવ્યાં પરંતુ પરિણામ શૂન્ય. તા. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બીએસએ એ એવરો ટયૂડર ફાઈવ વિમાન ગુમ થઈ ગયું. જેની ભાળ આજ સુધી મળી નથી. તેમાં ૨૫ ઉતારુઓ અને છ ક્રૂ મેમ્બર્સ હતા. વિમાનનો ભંગાર કે મૃતદેહો પણ મળ્યા નથી.

તા. ૧૭ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ સ્ટાર એરિયલ વિમાને ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈથી કંટ્રોલ ટાવરને સંદેશો મોકલ્યો અને તે પછી વિમાન ગુમ થઈ ગયું, જેની ભાળ આજ સુધી મળી નથી.

તા. ૮ માર્ચ, ૨૦૧૪ના રોજ કુઆલાલુમ્પુરથી મિગ ૩૭૦ વિમાન સવારે ૬-૩૦ વાગ્યે ટેઈક ઓફ કર્યો હતો અને તેમાં ૨૨૭ મુસાફરો તથા ૧૨ ક્રૂ મેમ્બર્સ હતા. વિમાન ઊપડવાના એક કલાક બાદ વિમાનનો કંટ્રોલરૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લે છેલ્લે તે વિમાન મલેશિયાના પૂર્વ કિનારા પર આવેલા કોટાભારુ નગરથી ૧૨૦ નોટિકલ્સ માઈલ દૂર હતું. જેનો આજ સુધી પત્તો નથી.

મલેશિયન એરલાઈન્સના વિમાન મિગ ૩૭૦ સહિત બીજાં ૮૦ વિમાનો આજે પણ લાપતાં છે. દુનિયા પાસે શ્રેષ્ઠ ટેક્નોલોજી હોવા છતાં એ વિમાનો ગુમ છે. તે ક્યાં છે તે એક રહસ્ય છે.   

 
www. devendrapatel.in

દેશના કરોડો લોકોની અસાધારણ અપેક્ષાઓ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓનાં પરિણામો ખુદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એમ બેઉ પક્ષો માટે આશ્ચર્યજનક છે. ભાજપ માટે એટલે કે તેણે પોતે પણ વિચાર્યું નહોતું કે પક્ષને સ્પષ્ટ બહુમતી કરતાં પણ બેઠકો મળશે. ૩૦ વર્ષ બાદ દેશની લોકસભાના ઇતિહાસમાં કોઈ એક જ પાર્ટીને આટલી સ્પષ્ટ બહુમતી મળી હોય તો તે પહેલી વાર બન્યું છે. એ સારું થયું કે હવે ગઠબંધનની મજબૂરીમાંથી ભાજપ બહાર આવી શકશે. ભાજપના નેતૃત્વવાળી એનડીએની સરકાર પાસે હવે સ્પષ્ટ બહુમતી છે તેથી દેશનાં વિકાસનાં જે કામો કરવાં હશે તે નિર્ણયો સરકાર લઈ શકશે. પ્રજાને અપાયેલાં વચનો પૂરાં નહીં કરવા માટે ભાજપ-એનડીએ કોઈ બહાનું કાઢી શકશે નહીં.વર્ષો પહેલાં એક નવલકથા લખાઈ હતી. ‘Great expectations’અર્થાત્ દેશની પ્રજાએ હવે ખોબલે ખોબલે નરેન્દ્ર મોદીના નામે જ મત આપ્યા છે તો લોકોની અપેક્ષાઓ પણ પારાવાર છે. આ સમસ્યાઓ પણ એટલી જ છે જેટલી એની વસ્તી છે, જેટલાં એનાં ગામો છે, જેટલાં એનાં નગરો અને ઉપનગરો છે.

જેટલી એની સરહદો અને જેટલો એનો દરિયાકિનારો છે. દેશની ૪૦ કરોડની વસ્તી હજુ ગરીબીરેખાની નીચે જીવે છે. બિહાર અને ઝારખંડ જેવા વિસ્તારોમાં કેટલાંક અંતરિયાળ વિસ્તારો એવા છે કે જ્યાં લોકો કીડી-મંકોડા જેવાં જીવજંતુ ખાઈને જીવે છે. દેશનાં લાખો ગામોમાં વીજળી નથી. સ્કૂલો નથી. દવાખાનાં નથી. સ્કૂલો છે તો ટોઇલેટ્સ નથી. ટોઇલેટ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પારાવાર પીડા ભોગવે છે. દેશનાં કેટલાંક મોટાં શહેરોમાં ૬૦૦૦ લોકોની વસ્તીવાળી ઝૂંપડપટ્ટીઓમાં ૬૦ શૌચાલયો છે અને સવારે લાંબી કતારો હોઈ કેટલીક યુવતીઓ રાતના ભોજનનો ત્યાગ કરે છે, તેથી સવારે કતારમાં ઊભા રહી કલાકો સુધી ઈન્તઝાર કરવો ન પડે. એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી ધારાવી મુંબઈમાં છે. અહીં સેંકડો શ્રમજીવીઓ, સેંકડો કારીગરો, સેંકડો વેપારીઓ, સેંકડો રૂપજીવિનીઓ, સેંકડો બાર ગર્લ્સ, સેંકડો અશિક્ષિત બાળકો, સેંકડો અસામાજિક તત્ત્વો રહે છે. આખોયે વિસ્તાર નર્કાગાર જેવો છે. વિદેશી ફિલ્મમેકર્સે આ વિસ્તારમાં રહેતાં લોકોને સ્લમડોગ્સ એવું અપમાનજનક નામ આપેલું છે. એવી કેટલીયે ઝૂંપડપટ્ટીઓ આખા દેશનાં તમામ નગરો અને ઉપનગરોમાં છે એ બધાને જીવતાં નર્કાગારમાંથી બહાર કાઢવાની જરૂર છે. ‘સ્લમ્સ’ એ ગુનેગારો પેદા કરવાનું ઉદ્ગમસ્થાન ન બની જાય તે જોવાનું છે.

નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું તે પછી ગુજરાતને તો ચોવીસ કલાક વીજળી મળી, પરંતુ દેશના પાટનગર દિલ્હીમાં દિવસમાં અનેક વાર વીજળી જતી રહે છે. દરેક દુકાનદારે જનરેટર રાખવું પડે છે. મુંબઈ, પૂના કે બેંગલુરુ જેવાં શહેરોને બાદ કરતાં દેશનાં સેંકડો નગરો અને મહાનગરોમાં પણ એ જ પરિસ્થિતિ છે. જ્યાં વીજળી છે ત્યાં મોંઘા ભાવે અપાય છે. લોકોનું કલ્યાણ કરવું જ હોય અને દેશમાંથી અંધકાર દૂર કરવો જ હોય તો મોદી સરકારે દેશ આખા દેશને ૩૬૫ દિવસ ૨૪ કલાક વીજળી આપીને રાષ્ટ્રને ઝળહળતું કરવું પડશે. ઘરવપરાશના વીજળી દર રૂ.૩ પ્રતિ યુનિટ અને કોર્મિશયલ વપરાશકારોને રૂ. ૫ પ્રતિ યુનિટથી વધુ વીજદર પોસાય તેમ નથી.

આઝાદીના સાડા છ દાયકા બાદ પણ દેશનાં હજારો ગામડાંઓમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. દિલ્હીમાં તો પાણી વેચવાનો ધંધો કરતા માફિયાઓનું રાજ ચાલે છે. પાણીનું ટેન્કર આવે તો મહિલાઓ વચ્ચે રોજ સંઘર્ષ થાય છે. દેશની તમામ નદીઓ પ્રદૂષિત છે. પીવાના પાણીની તંગીની સાથે સાથે દેશના કિસાનો પણ સિંચાઈના પાણી માટે વલખાં મારે છે. ખેડૂતો બેહાલ છે. કૃષિ વીજ જોડાણ મારે લાખ્ખો ખેડૂતો વર્ષોથી ઈન્તઝાર કરી રહ્યા છે. પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે અને દેવાને કારણે દર વર્ષે સેંકડો ખેડૂતો દેશમાં આપઘાત કરી રહ્યા છે. ભારત દેશ કહેવાય છે કૃષિપ્રધાન પણ લોકસભામાં બેસતા મોટાભાગના સાંસદો ઔદ્યોગિક ગૃહોનું જ પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. દેશમાં ખેડૂતોની સરકાર બને તેનો ઈન્તઝાર છે.

નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશ અને બિહારમાં પ્રવચન કરતા હતા ત્યારે હજારો લોકો ‘મોદી-મોદી’ એવી ગર્જના કરતા હતા. યાદ રહે કે એ હજારો યુવાનોને નોકરી-ધંધો જોઈએ. વિશાળ સભામાં મોદીના નામના પોકારો કરતાં યુવાનો પૈકી મોટા ભાગના બેરોજગાર હતા. એ બધાને મોદીમાં એક ‘મસીહા’નાં દર્શન થયાં છે. એ બધાને એવો વિશ્વાસ છે કે મોદી આવશે એટલે યુપી-બિહારમાં નવાં કારખાનાં સ્થપાશે અને તેમને નોકરી મળશે. કમાવા માટે મુંબઈ જવું નહીં પડે અને રાજ ઠાકરેની ગાળો ખાવી નહીં પડે. યુપી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં નવા ઉદ્યોગો સ્થપાય તો જ એ યુવાનોને રોજી મળશે અને એ રાજ્યોને પણ ગુજરાતની જેમ વિકાસ મોડલ આપી એમને વાઇબ્રન્ટ બનાવવાં પડશે.

ગુજરાત સિવાયનાં રાજ્યોમાં પાકી સડકો નથી. સારા રસ્તા ન હોવાને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. દેશને માત્ર વર્લ્ડ ક્લાસ રસ્તા જ નહીં, પરંતુ આરામદાયક સ્પીડ ટ્રેન્સની પણ જરૂર છે. દેશમાં સારી સરકારી હોસ્પિટલ્સ નથી. આખા દેશના તમામ વર્ગોને વર્લ્ડ ક્લાસ તબીબી સેવાઓ મળવી જોઈએ અને ગરીબોને તો મફત. આજે દૂર દૂરના વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્યનાં કેન્દ્રો જ નથી અને છે તો ડોક્ટર જ નથી. ડોક્ટર છે તો દવાઓ નથી. સમગ્ર દેશને શ્રેષ્ઠ તબીબી સેવાઓથી સજ્જ કરવો પડશે.

ભારતમાં હાલ જે કર પદ્ધતિ છે તે જટિલ અને અટપટી છે. વિવિધ રાજ્યો વચ્ચે એકસૂત્રતા નથી. આવકવેરા ખાતાની તથા બીજાં ખાતાંઓ તરફથી ઉઘરાવવામાં આવતા કરની પદ્ધતિ જરીપુરાણી છે. દેશમાં ટેક્સ માળખું સુધારવું હોય તો સિંગલ ટેક્સ સિસ્ટમ દાખલ કરવી જોઈએ અને હિસાબી ચોપડા જ રાખવા ન પડે તે માટે ટેક્સ એટ સોર્સ અથવા તો ટર્નઓવર ટેક્સ દ્વારા આ પદ્ધતિ સરળ બનાવી શકાય તેમ છે. હાલની કર પદ્ધતિથી વેપાર ધંધાવાળા ત્રાહિમામ્ છે. આવકવેરા ખાતાની દરોડા પાડવાની પદ્ધતિ પણ અત્યંત ખરાબ છે. જેમના ઘરે દરોડા પાડયા હોય તેમને નજરકેદ કર્યા હોય તેવી પદ્ધતિ જંગલિયાતભરી લાગે છે. અમેરિકા કે યુરોપમાં પણ ભારે કરવેરા છે પણ આવી ત્રાસ આપતી દરોડા પદ્ધતિ નથી. વેપાર-ધંધાવાળા લોકો પ્રામાણિકતાથી પૂરો કર ભરે તેવી સરળ અને નક્કર પદ્ધતિ આપવી પડશે.ભ્રષ્ટાચાર અને મોંઘવારી આ દેશના મૂળભૂત અને વણઉકેલ્યા પ્રશ્નો છે. સરકારી કામકાજના તમામ તબક્કે  ભ્રષ્ટાચાર છે. રેશનકાર્ડ કે આરટીઓનું લાઇસન્સ લેવાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી વ્યાપક ભ્રષ્ટાચાર છે. યુપીએ સરકાર કોમનવેલ્થ કૌભાંડ અને ટુજી સ્પેક્ટ્રમ જેવા ગોટાળાને કારણે જ ગઈ છે. દેશના રાજકારણીઓ સાથેની સાંઠગાંઠને કારણે ઔદ્યોગિક ગૃહો દેશની સંપદાને લૂંટી રહ્યાં છે. આ સાંઠગાંઠ ખતમ કરવી પડશે. મોંઘવારી ઘટાડવા દેશના અર્થતંત્રમાં નાણાકીય શિસ્ત લાવવી પડશે. સરકારે પોતે જ પોતાના બેફામ ખર્ચ બંધ કરી સરકારી તિજોરીને ખાલી થતી અટકાવવી પડશે. એ માટે કઠોર કદમ ઉઠાવવાં પડશે. નરેન્દ્ર મોદી એક કર્મઠ રાજનીતિજ્ઞા છે. એક્શન ઓરિએન્ટેડ લીડર છે અને તેઓ કઠોર કદમ ઉઠાવવા સક્ષમ છે. યાદ રહે કે તેમની પાસે લોકોની અપેક્ષાઓ અસાધારણ છે. નરેન્દ્ર મોદી હવે દેશમાં સત્તાના સર્વોચ્ચ સિંહાસન પર બિરાજ્યા છે ત્યારે બચપણમાં તેમણે ભોગવેલી તકલીફોને યાદ કરી બીજા લાખ્ખો ‘બાલ નરેન્દ્ર’ને પૌષ્ટિક ખોરાક મળી રહે, બાળમજૂરી કરવી ન પડે, શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે અને રોજી મળી રહે તે માટે જબરદસ્ત યોજનાઓ તૈયાર કરી તેનો અમલ શરૂ કરવો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારે તો તે કરી શકે તેમ છે.

www. devendrapatel.in

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén