Devendra Patel

Journalist and Author

Date: May 16, 2014

મૃત્યુ પામેલી અમારી મમ્મીને આ ચૂંટણીમાં વિજયી બનાવો

શોભા રેડ્ડી.

આખું નામ છે શોભા નેગી રેડ્ડી. આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડીએ શોભા રેડ્ડીને અલાગાડા મતવિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. શોભા રેડ્ડી અત્યાર સુધીમાં ચાર વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યાં હતાં, પરંતુ ચૂંટણીના એક સપ્તાહ પૂર્વે જ કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું. મતદાનને હજુ વાર હતી. શોભા રેડ્ડીના અવસાન બાદ ચૂંટણીપંચ માટે પેચીદો પ્રશ્ન ઊભો થયો. ચૂંટણી બંધ રાખવી કે ચૂંટણી ચાલુ રાખવી તેની દ્વિધા હતી, પરંતુ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો.

મૃત્યુ પામેલી અમારી મમ્મીને આ ચૂંટણીમાં વિજયી બનાવો

શોભા રેડ્ડીના મૃત્યુના શોક છતાં તેમના બે દીકરીઓ અખિલા પ્રિયા, મોનિકા પ્રિયા અને પુત્ર જગત વિખ્યાત રેડ્ડીએ મૃત્યુ પામેલી માતા માટે ચૂંટણી ઝુંબેશ ચાલુ રાખવા નિર્ણય લીધો.

ચૂંટણીપંચે જાહેરાત કરી કે, શોભા રેડ્ડી ભલે મૃત્યુ પામ્યાં, પરંતુ મતપત્રક પરથી તેમનું નામ હટાવવામાં આવશે નહીં. ચૂંટણીપંચના પ્રિન્સિપલ સેક્રેટરી કે. એફ. વિલ્ફ્રેડે પક્ષના મહામંત્રીને એક પત્ર લખી જાણ કરી છે કે, ચૂંટણીપંચના ચૂંટણીઓ માટેના નિયમ ૬૪ મુજબ મૃત્યુ પામેલ ઉમેદવાર જ છે અને જો તે સૌથી વધુ મત મેળવશે તો તેમને (શોભા રેડ્ડી)ને ચૂંટાયેલા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે. અલબત્ત, સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર હયાત ના હોય તો ‘રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, ૧૯૫૧’ મુજબ તે પછી પેટાચૂંટણી યોજવી.

ચૂંટણીપંચનું કહેવું છે કે, જે જે વિસ્તારોમાં ત્રાસવાદીઓ કે એવાં કોઈ હિંસક ઉપદ્રવ છે તે તે વિસ્તારોમાં આવો નિર્ણય લેવો પડે છે. નક્સલવાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં ચૂંટણીની જાહેરાત તથા નામાંકન બાદ કેટલીકવાર કેટલાક ઉમેદવારોની હત્યા થવાના બનાવો બનવા પામ્યા હતા. ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા રોકવા કેટલાક ઉમેદવારોની હત્યાઓ પણ થઈ હતી. આંધ્રપ્રદેશ પણ રાજકીય હિંસાઓનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે, પરંતુ કોઈવાર આવા વિસ્તારોમાં અકસ્માતના કારણે અથવા તો કુદરતી રીતે મૃત્યુ નીપજ્યું હોય તો પણ ચૂંટણીપ્રક્રિયા ચાલુ રાખવાના નિર્ણયો લેવા પડે છે. આ કારણથી મૃત્યુ પામેલા ઉમેદવારને પણ મત આપવાનો અધિકાર ચૂંટણીપંચ આપે છે. મૃત્યુ પામેલા ઉમેદવાર પણ ચૂંટણી લડે અને તેને મત આપી શકાય તેવું તો એક અજીબોગરીબ ઘટના છે.

આતંકવાદથી ત્રસ્ત જમ્મુ અને કાશ્મીરમાં આવું વલણ અગાઉ પણ ચૂંટણીપંચે અપનાવેલું છે. ઝારખંડમાં પણ ચૂંટણીપંચે આવી પરવાનગી આપેલી છે. અલબત્ત, બધા જ રાજ્યોમાં અને બધા જ કેસોમાં મૃત્યુ પામેલા ઉમેદવારને મત આપવાની જોગવાઈ નથી. દરેક કેસ ચૂંટણીપંચ પોતાની રીતે મેરીટ્સ પર નક્કી કરે છે.

ચાલો હવે શોભા રેડ્ડીની વાત. ઉમેદવાર હોવા છતાં તેમનું કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું, પણ તેમની બે યુવાન દીકરીઓ અને એક ટીનએજ પુત્રએ મૃત્યુ પામેલી માતાને જીતાડવાની ઝુંબેશ કરવાની હિંમત દાખવી છે. તેમનો મતવિસ્તાર રાયલસીમા બેલ્ટ પાસે આવેલો છે. બંને દીકરીઓ અને નાનકડો પુત્ર ૪૩ ડિગ્રી ગરમીની પરવા કર્યા વિના ખુલ્લી જીપમાં મૃત્યુ પામેલી માતાને જીતાડવા માટે લોકો પાસે જઈ વોટ્સ માગે છે. સૌથી મોટી પુત્રી અખિલા પ્રિયા ૨૭ વર્ષની છે. મોનિકા ૨૧ વર્ષની છે. નાનકડો ભાઈ જગત વિખ્યાત ૧૪ વર્ષની વયનો છે. તેઓ કોઈ પણ સંજોગોમાં તેમની મૃત્યુ પામેલી માતાને વિજયી બનાવવા માગે છે. લોકો સાથે વાત કરતાં કરતાં કોઈ કોઈવાર ભાંગી પડે છે. લાગણીશીલ બની જાય છે. બહુ જ ઓછું બોલે છે. પરંતુ મૃત્યુ પામેલી માતા-શોભા રેડ્ડી માટે સહાનુભૂતિનું મોજું પેદા કરવામાં તેઓ સફળ નીવડયા છે. શોભા રેડ્ડીનું ગઈ તા. ૨૪મી એપ્રિલે અવસાન થયું હતું. તેઓ ૪૫ વર્ષની વયનાં હતાં.

શોભા રેડ્ડીની પુત્રીઓ અને પુત્ર લોકોને મળે છે ત્યારે કોઈ સૂત્રો પોકારવામાં આવતાં નથી. કોઈ તાળીઓ પાડવામાં આવતી નથી. પ્રતિસ્પર્ધી ઉમેદવારો માટે કોઈ વિરોધી ઉચ્ચારણો કરવામાં આવતાં નથી. કોઈનીયે સામે આક્ષેપો કરવામાં આવતાં નથી. બસ,બે હાથ જોડી તેઓ કહે છે : “અમારી મૃત્યુ પામેલી વહાલી મમ્મીને જીતાડજો. એમને સાંભળનારા લોકો પણ આંખમાં આંસુ સાથે શોભા રેડ્ડીના સંતાનોને ખાતરી આપે છે.

શોભા રેડ્ડીને ટિકિટ આપનાર વાયએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડીએ આ મતવિસ્તારથી ૩૩૨ કિલોમીટર દૂર આવેલા હૈદરાબાદથી એક શોક સંદેશામાં લોકોને અપીલ કરી હતી કે, “સ્વ. શોભા રેડ્ડીને જીતાડવાથી વધુ શ્રેષ્ઠ બીજી કઈ શ્રદ્ધાંજલિ હોઈ શકે ?”

શોભા રેડ્ડીનો વિધાનસભા મતવિસ્તાર લોકસભાના નાદિયાલ મતવિસ્તારનો એક ભાગ છે અને તે કુર્નુલ જિલ્લામાં આવેલો છે. લોકસભાની સાથે સાથે જ વિધાનસભાની આ બેઠક માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે. આ મતવિસ્તારમાં કુલ બે લાખ મતદારો છે. તેમાંથી ૪૮ ટકા મતદારો મહિલાઓ છે. મૃત્યુ પામેલાં શોભા રેડ્ડી સામે તેલુગુદેશમ્ પાર્ટીના ઉમેદવાર તરીકે ગંગુલા પ્રભાકર રેડ્ડી છે. તેઓ પણ સ્વીકારે છે કે, મારા કરતાં સ્વ. શોભા રેડ્ડી આગળ છે. ૨૦૦૯માં શોભા રેડ્ડી આ જ મતવિસ્તારમાંથી ૮૦ હજાર મતોની સરસાઈથી જીત્યાં હતાં.

શોભા રેડ્ડીની પુત્રી અખિલા પ્રિયા કહે છે : “મમ્મી, હું તમને મિસ કરી રહી છું. અલ્લાગાડા મતવિસ્તારના લોકો પણ તમને મિસ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે મારી મમ્મી એક લાખ મતની સરસાઈથી જીતશે.”

વિધિની વક્રતા તો જુઓ. વાયએસઆર કોંગ્રેસ તરફથી શોભા રેડ્ડીને ટિકિટ મળી તે પછી શોભા રેડ્ડીએ ઉમેદવારીપત્ર ભર્યું અને તેમનાં પુત્રી અખિલા પ્રિયાએ તેમના ડમી તરીકે ફોર્મ ભર્યું હતું. ફોર્મ પાછાં ખેંચી લેવાના દિવસે અખિલા પ્રિયાએ ડમી ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું તેના બીજા જ દિવસે તેની મમ્મીનું કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું. હવે મૃત્ચુ પામેલાં શોભા રેડ્ડી ચૂંટણી જીતી જાય છે તો તે પછી આવનારી પેટાચૂંટણીમાં તેમની મોટી પુત્રી અખિલા પ્રિયા જ પક્ષની ઉમેદવાર હશે. અખિલા પ્રિયા એમ.બી.એ. છે.

શોભા રેડ્ડીનાં ત્રણેય સંતાનો રોજ પાંચથી છ કલાક સુધી લોકો વચ્ચે ફરી ચૂંટણીપ્રચાર કરે છે. તેમની સાથે ફૂલોની માળા પહેરાવેલી માતાની મોટી સાઈઝની તસવીર જીપ પર રાખે છે. કોઈ વાર શોભા રેડ્ડીના પતિ પણ ચૂંટણીપ્રચારમાં જોડાય છે, પરંતુ પ્રચારની અસલી કમાન તો સંતાનો પાસે જ છે. શોભા રેડ્ડીની બીજા નંબરની પુત્રી મોનિકા કહે છે : “મારી મમ્મીએ જે કોઈ વચનો આપ્યાં છે તે પૂરા કરવામાં અમારા ડેડીનો પૂરો સહકાર છે.” મોનિકા ફેશન ડિઝાઈનિંગની વિર્દ્યાિથની છે અને નાનકડો જગત વિખ્યાત ૯મા ધોરણમાં ભણે છે. શોભા રેડ્ડી જીતી જશે તો મૃત્યુ પામેલા ઉમેદવારનો વિજય એક ઐતિહાસિક ઘટના હશે અને તે પછી તેમની પુત્રી અખિલા પ્રિયાને પેટાચૂંટણીમાં ટિકિટ મળશે તો તે ‘એક્સિડેન્ટલ પોલિટિશિયન’ હશે.

– દેવેન્દ્ર પટેલ

ભાજપના તમામ દિગ્ગજો મોદીમ્ શરણમ્ ગચ્છામિ!

લોકસભા ૨૦૧૪ની ચૂંટણી અનેકવિધ બાબતો માટે ઐતિહાસિક બની રહેશે. ભારતમાં બંધારણીય લોકશાહી અને સમવાયી તંત્ર છે. દેશના વડા પ્રધાન કોણ બને તે માટે પ્રજા સીધું બટન દબાવતી નથી,પરંતુ લોકસભામાં ચૂંટાયેલા સાંસદો નક્કી કરે છે, પરંતુ આખીયે ચૂંટણી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની જેમ લડાઈ. ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ જાહેર કરી દીધું કે, અમારો પક્ષ અને એનડીએની બહુમતી આવશે તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે. પક્ષે પણ ‘અબ કી બાર મોદી સરકાર’નું સૂત્ર આપ્યું. નરેન્દ્ર મોદીના પ્રભાવ હેઠળ ભાજપા, ભાજપાના નેતાઓ અને સંઘ પણ વામણો બની ગયો.

ભાજપના તમામ દિગ્ગજો મોદીમ્ શરણમ્ ગચ્છામિ!

મીડિયા દ્વારા યુદ્ધ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બીજી અનેક રીતે લોકોને યાદ રહેશે. આ ચૂંટણી મીડિયાના પ્લેટફોર્મ પર, મીડિયાને કેમેરા સામે જ અને મીડિયા દ્વારા જ લડવામાં આવી. નેતાઓએ પણ મીડિયાની ઉપસ્થિતિમાં જ બોલવાનું પસંદ કર્યું. જો મીડિયા ગાયબ તો પ્રચાર પણ ગાયબ તેવી પરિસ્થિતિ રહી. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ મીડિયા પણ બે ભાગમાં વહેંચાઈ ગયું. કોણ કોની તરફેણ કરે છે તે સ્પષ્ટ થઈ ગયું. ક્યાં પેઈડ સ્લોટ છે તે પણ સ્પષ્ટ થઈ ગયું. કેટલાક ઈન્ટરવ્યૂઝ તો ‘ફિક્સ મેચ’ જેવા રહ્યા. નેતાઓએ પણ જ્યાં મૈત્રીપૂર્ણ એન્કર્સ હતા ત્યાં મૈત્રીપૂર્ણ જવાબો આપ્યા અને જ્યાં તટસ્થ રીતે પ્રશ્નો પૂછાયા ત્યાં ઉદ્ધત જવાબો આપ્યા. નેતાઓનો અહંકાર પણ દેખાયો. નરેન્દ્ર મોદી માટે મીડિયા તેમને ઊંચકનારું સાબિત થયું. જ્યારે રાહુલ ગાંધીનો ‘ટાઈમ્સ નાઉ’સાથેનો ઈન્ટરવ્યૂ તેમના માટે હોનારત સાબિત થયો.

પ્રિયંકા ગાંધી

ચૂંટણીના અંતિમ તબક્કામાં મીડિયાએ અચાનક જ પ્રિયંકા ગાંધી તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડયું. પ્રિયંકા ગાંધીનાં કેટલાંક વિધાનો લાંબા પ્રવચનો કરતાં વધુ ધારદાર અને સીધાં તીર જેવા જણાયાં. કોંગ્રેસે તેના નેતા તરીકે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કર્યા, પરંતુ પ્રિયંકા ગાંધી રાહુલને ઓવરટેક કરી ગયાં. પ્રિયંકા ગાંધીએ રાયબરેલી અને માત્ર અમેઠીમાં જ પ્રચાર કર્યો, પરંતુ લોકો સાથે સીધી વાતચીત કરવાની તેમની શૈલીથી તેઓ છવાઈ ગયાં. કોંગ્રેસમાં આજે પણ ઘણો મોટો એવો વર્ગ છે કે જેઓ માને છે કે,કોંગ્રેસનું નેતૃત્વ ખરેખર તો પ્રિયંકા ગાંધીને વહેલાથી સોંપવાની જરૂર હતી. લેમન યલો સાડીમાં સ્ટેજ પર ચડતાં પ્રિયંકા પર કેમેરા તકાયેલા રહ્યા. નોંધપાત્ર વાત એ રહી કે, પ્રિયંકા કલાક સુધી બોલવાના બદલે માત્ર ૭ મિનિટ જ બોલે છે, પરંતુ શ્રોતાઓ માટે એટલું જ પૂરતું રહ્યું. એવું લાગે છે કે, રાહુલ ગાંધી આખા ઉત્તર પ્રદેશમાં અનેક મીટિંગો કરીને જે મેળવી ના શક્યા તે પ્રિયંકા ગાંધીએ છેલ્લા ચાર જ દિવસમાં હાંસલ કરી દીધું. તા. ૧૬મીએ કોંગ્રેસ માટે પરિણામો વિપરીત આવે તો કોંગ્રેસના નેતૃત્વમાં ક્રાંતિકારી ફેરફારો આવી શકે છે. ચૂંટણી પછી પ્રિયંકા ગાંધીએ મોટો રોલ ભજવવાનો આવશે તેમ દિલ્હીનાં વર્તુળો કહી રહ્યાં છે. પ્રિયંકાનો દેખાવ, રંગીન સાડીઓ, સ્મિતભર્યો ચહેરો અને લોકો સાથે સીધા સંવાદ કરવાની તેમની શૈલી કેમેરા ફ્રેન્ડલી રહી.

મોદી આગળ વામણા

આ ચૂંટણીની નોંધપાત્ર વાત એ રહી કે ચૂંટણીપ્રચાર અને ભાષણો દરમિયાન નરેન્દ્ર મોદીએ માત્ર વિપક્ષોના જ નહીં, પરંતુ પોતાના પક્ષના તમામ દિગ્ગજનોને વામણા સાબિત કરી દીધા. ચૂંટણીપ્રચારમાં ૧થી ૨૦ નંબર સુધી માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી જ રહ્યા. ફિલ્મી સિતારા પણ મોદી જેટલી ભીડ એકત્ર કરાવી શક્યા નહીં. પક્ષની સ્થાપના કરનાર એલ. કે. અડવાણીની કોઈએ ક્યાંય પણ નોંધ ના લીધી. પક્ષના પ્રમુખ રાજનાથસિંહ મોદીના સચિવ જેવા જ રહ્યા. મુરલી મનોહર જોશી, લાલજી ટંડન જેવા દિગ્ગજો પણ મોદી શરણમ્ ગચ્છામિ કરતાં રહ્યાં. અરુણ જેટલી પણ નાના અને સ્થાનિક નેતા જ બની રહ્યા. સુષ્મા સ્વરાજની હાલત તો એટલી ખરાબ રહી કે મધ્યપ્રદેશમાં એક સ્થળે તેઓ ભાષણ કરવા ગયાં, પરંતુ એરપોર્ટ પર તેમને લેવા જ કોઈ ના આવ્યું. વેંકૈયા નાયડુનો તો કોઈએ ભાવ જ ના પૂછયો. યશવંત સિંહા પણ ગુમ રહ્યા. ભાજપામાં એકમાત્ર મોદી જ સ્ટારપ્રચારક રહ્યા અને બાકીના ઝાંખા પડી ગયેલા ઉપગ્રહો જેવા લાગ્યા. મોદી માત્ર સ્ટાર પ્રચારક જ નહીં, પરંતુ સૌથી વધુ રેલીઓ સંબોધવાની બાબતમાં, સૌથી વધુ થ્રીડી સભાઓ સંબોધવામાં, સૌથી વધુ ચાય પે ચર્ચા કરવાની બાબતમાં અને સૌથી વધુ વાયુવેગે પ્રવાસ-ઉડ્ડયન કરવામાં પણ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ બ્રેક કરી નાખ્યા. મીડિયાને સૌથી વધુ ઇન્ટરવ્યૂઝ પણ તેમણે જ આપ્યા.

અમિત શાહ

ઉત્તર પ્રદેશમાં પ્રભારી તરીકે અમિત શાહને મૂકવાની નરેન્દ્ર મોદીની વ્યૂહરચના કામિયાબ રહી હોય તેમ લાગ્યું. ચૂંટણીની રણનીતિ ઘડવામાં અમિત શાહ કુશાગ્ર રાજકારણી છે. તેઓ પરિણામ હાંસલ કરવા સામ, દામ, દંડ અને ભેદ એમ તમામ રીતિનીતિઓ વાપરવાની કળા જાણે છે. ઉત્તર પ્રદેશની ભૂમિ અને રાજનીતિથી અપરિચિત હોવા છતાં તેમણે થોડાક જ દિવસોમાં ઉત્તર પ્રદેશની પોલિટિકલ કેમિસ્ટ્રી સમજી લીધી. મીડિયાવાળાઓએ પણ નરેન્દ્ર મોદી પછી એલ. કે. અડવાણી કે મુરલી મનોહર જોશીના ઇન્ટરવ્યૂઝ લેવાના બદલે અમિત શાહના ઇન્ટરવ્યૂઝ લેવાનું વધુ પસંદ કર્યું. એન.ડી.એ.ની સરકાર રચાશે તો અમિત શાહનું પ્રભુત્વ દિલ્હીમાં અને દેશમાં વધશે. વારાણસીમાં નરેન્દ્ર મોદીના નામાંકન પ્રસંગે પ્રચંડ જનમેદની એકત્ર કરી અમિત શાહે પોતાની આવડત, તાકાત અને રણનીતિનો પરચો પોતાના જ પક્ષના દિગ્ગજોને આપી દીધો. તા. ૧૬મી પછી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર રચાશે તો દિલ્હીમાં અમિત શાહનો દબદબો રહેશે.

ગુજરાતનો દબદબો

દેશની રાજનીતિમાં વર્ષોથી ગુજરાત મહત્ત્વપૂર્ણ રોલ ભજવતું આવ્યું છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે પહેલાં અંગ્રેજોને હાંકી કાઢવાના મુદ્દે દેશના સ્વાતંત્ર્ય સેનાની નેતાઓ વહેંચાયેલા હતા. કેટલાક રાજાઓ અંગ્રેજોના પીઠ્ઠુ હતા. ગાંધીજીના આગમન પછી જ ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદી માટે લડતા નેતાઓ એક થયા. ગુજરાતે એક માત્ર ગાંધીજી જ નહીં, પરંતુ સરદાર સાહેબ પણ આપ્યા. દિલ્હીની રાજનીતિ માટે એવું કહેવાયું કે, નહેરુ વડા પ્રધાન છે, પરંતુ સરકાર તો સરદાર જ ચલાવે છે. ગાંધીજી અને સરદાર સાહેબના અવસાન પછી નહેરુના જમાનામાં મોરારજી દેસાઈનો દિલ્હીમાં પ્રભાવ હતો. મોરારજીભાઈને નહેરુ સાથે બનતું નહોતું, પરંતુ નહેરુ મોરારજી દેસાઈની ઉપેક્ષા કરી શકે તેમ નહોતા. નહેરુના અવસાન બાદ મોરારજી દેસાઈ અને ઈન્દિરા ગાંધી વચ્ચે સંઘર્ષ થયો અને એક તબક્કે મોરારજીભાઈ પણ દેશના વડા પ્રધાન થયા. નહેરુના જ સમયમાં ગુજરાતના ઉચ્છરંગરાય ઢેબર પણ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા. ઇન્દિરા ગાંધીના સમયમાં દિલ્હીમાં ગુજરાતનું પ્રભુત્વ મોરારજી દેસાઈના કારણે ઘટયું, પરંતુ રાજીવ ગાંધીના સમયમાં ગુજરાતના અહેમદ પટેલ દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય નેતા બની રહ્યા. રાજીવ ગાંધીના સમયથી માંડીને આજ સુધી દિલ્હીમાં લેવાતા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં અહેમદ પટેલની ભૂમિકા ચાવીરૂપ રહી. કેન્દ્રમાં હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર રચાશે તો એ સ્થાન અમિત શાહ લઈ શકે છે. અલબત્ત,તા. ૧૬મી સુધી રાહ જોવી રહી.

ભારત ફરી અણુધડાકો કરશે?

તારીખ ૧૬મી મે પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં એનડીએની સરકાર રચાય તો ભારતની વિદેશનીતિ કેવી હશે? ભારતમાં ચાલી રહેલી ચૂંટણી પર માત્ર દેશની જ નહીં, પરંતુ પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અને જાપાન સહિતના દેશોની પણ નજર છે. યુરોપ અને અમેરિકા પણ બારીકાઈથી ભારતના આ મહાચૂંટણી પર્વનું નિરીક્ષણ કરી રહ્યાં છે. પાકિસ્તાનનાં મીડિયા પર તો કેટલાંક લોકો એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની શક્યતા હોઈ પાકિસ્તાને અત્યારથી જ સરહદ પર લશ્કર ગોઠવી દેવું જોઈએ. આનાથી વધુ બેવકૂફીભરી ચર્ચા બીજા કોઈ હોઈ ન શકે.

ભારત ફરી અણુધડાકો કરશે?

ઇન્દિરા ગાંધીની નીતિ

હા, એ વાત સુનિશ્ચિત છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો ભારતની વિદેશનીતિમાં કેટલાંક પરિવર્તનો આવશે. ઇિંન્દરા ગાંધીને બાદ કરતાં દેશની વિદેશનીતિ હંમેશાં નરમ રહી છે. એમાં એક નામ ઉમેરી શકાય અને તે લાલ બહાદુર શાસ્ત્રીનું. પાકિસ્તાનના આક્રમણનો તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો અને યુદ્ધ વખતે જ ભારત-રશિયા મૈત્રીકરાર કરી પાકિસ્તાનને મદદ કરી રહેલી વિદેશી તાકાતોને ઠંડી પાડી દીધી હતી. જવાહરલાલ નહેરુની વિદેશનીતિ નિષ્ફળ હતી અને કૃષ્ણમેનનની બેવકૂફીને કારણે જવાહરલાલ નહેરુને છેતરીને ચીને ભારત પર આક્રમણ કરી દીધું હતું. નહેરુને કારણે જ કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અટવાઈ ગયો. એક માત્ર ઇન્દિરા ગાંધીએ યુરોપ-અમેરિકાની પરવા કર્યા વિના પાકિસ્તાનના બે ટુકડા કરી બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. તે પછી લંડનમાં બીબીસીના પત્રકાર ડેવિડ ફ્રોસ્ટના આકરા પ્રશ્નોનો જવાબ આપતાં ઇન્દિરા ગાંધીએ અમેરિકા અને પશ્ચિમના દેશોએ કરેલ યુદ્ધો અને આચરેલા નરસંહારની યાદ અપાવી ડેવિડ ફ્રોસ્ટને મૌન કરી દીધા હતા.

પાકિસ્તાન અંગે

ખેર! ફરી નરેન્દ્ર મોદી પર આવીએ. એ વાત નક્કી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો ખુદ ભારતની પ્રજા તેમની પાસે ભારતનાં ગૌરવ અને ગરિમા પુનઃ પ્રસ્થાપિત થાય તેની અપેક્ષા રાખશે. એનો મતલબ એ નથી કે મોદી આવશે એટલે યુદ્ધ કરી દેશે. ન્યુક્લિઅર આયુધોથી સજ્જ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું શક્ય નથી. હા, અટલ બિહારી વાજપેયીના સમયમાં તેઓ બસમાં બેસી લાહોર ગયા હતા અને કવિતાઓ ગાતા હતા. તેવી વિદેશનીતિને હવે કોઈ સ્થાન નથી, કારણ કે વાજપેયીજી લાહોરમાં ફરતા હતા તે જ વખતે પાકિસ્તાનનું લશ્કર કારગિલમાં પ્રવેશી રહ્યું હતું. અમેરિકાની સખ્તાઈ અને પાબંધીને કારણે ભારતે પાકિસ્તાનની ભૂમિમાં પ્રવેશ કર્યા વિના જ કારગિલમાં મર્યાદિત એક્શનથી સંતોષ માનવો પડેલો અને તેનું બિલ ૧૦ હજાર કરોડ આવ્યું હતું. પાડોશી દેશોને પાઠ ભણાવવો એ મુત્સદ્દીગીરી નથી. પાકિસ્તાનની સાન ઠેકાણે રાખી પાકિસ્તાનને મિત્ર બનાવી અમેરિકાની ભાગલા પાડો અને રાજ કરોની કૂટનીતિને ખતમ કરવી એ જ સાચી મુત્સદ્દીગીરી છે. અમેરિકાને શસ્ત્રો વેચવામાં રસ છે અને તે માટે ભારત પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશો યુદ્ધ કરતાં રહે તે અમેરિકા માટે જરૃરી છે. આ પરિપ્રેક્ષ્યમાં નરેન્દ્ર મોદી માટે સાચો લક્ષ્યાંક પાકિસ્તાન નહીં પરંતુ અમેરિકા હોવો જોઈશે.

અમેરિકા જ સંહારક

આમેય અમેરિકાએ લોકતાંત્રિક રીતે ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા નરેન્દ્ર મોદીને વિઝા નહીં આપીને ભારતના લોકતાંત્રિક નાગરિકનું અપમાન જ કર્યું છે. ગોધરા કાંડ માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવનાર અમેરિકા એ વાત ભૂલી જાય છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ઝીંકીને ગણતરીની મિનિટોમાં ૧૦ લાખ લોકોને રાખ કરી દીધા હતા. બીજા લાખ્ખો લોકો વર્ષ સુધી કેન્સરથી પીડાઈને રીબાઈ રીબાઈને મૃત્યુ પામ્યા. મોદીને નરસંહારક કહેતા અમેરિકાએ વિયેતનામ પર આક્રમણ કરીને તેના પર બોમ્બ ઝીંક્યા હતા અને લાખ્ખો નાગરિકોને મારી નાંખ્યા હતા. અમેરિકન સૈનિકોએ સેંકડો વિયેતનામ સ્ત્રીઓને ગર્ભવતી બનાવી દીધી હતી. અમેરિકાએ તેલના રાજકારણ માટે સદ્દામ હુસેન પર ખોટો આરોપ મૂકી ઇરાક પર ચઢાઈ કરી હતી અને એક રાતમાં હજારો બોમ્બ ઝીંકી ૧૦ લાખ ઇરાકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જર્મનીના હિટલર પછી સહુથી વધુ માનવ હત્યાઓ અમેરિકાએ કરી છે એ અમેરિકાને મોદી પર આક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. અપેક્ષા એવી હશે કે નરેન્દ્ર મોદી પાકિસ્તાન આજે જેમ અમેરિકાનું ખંડિયું રાજ છે તેવી પરિસ્થિતિમાંથી પાકિસ્તાનને પણ ઉગારે અને ભારતની ૧૨૫ કરોડની પ્રજાનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કરે. ભારતમાં ધંધો કરી દેશના નાના વેપારીઓને લૂંટવાનો પરવાનો અમેરિકાની વોલમાર્ટ જેવી કંપનીઓને ન મળે તે જોવું રહેશે. એ જ રીતે અમેરિકા જવા માગતા ભારતના યુવાનોને વિઝા આપતી વખતે અમેરિકન કોન્સ્યુલેટ કચેરીમાં જે રીતે અપમાનિત કરવામાં આવે છે, તે બંધ કરાવી ભારત આવવા માગતા અમેરિકન નાગરિકો માટે વિઝાનાં ધોરણો ભારત કડક બનાવે તે જરૃરી હશે. મોદી વડાપ્રધાન બનશે તો અમેરિકાના પ્રમુખ જ મોદીનું ભવ્ય સ્વાગત કરશે એમાં કોઈ શંકા નથી.

મસ્કુલર પોલિસી?

ઘણા લોકો એવું માને છે કે નરેન્દ્ર મોદી સત્તા પર આવશે તો ભારતની વિદેશનીતિ ‘મસ્કુલર’ હશે. એનો અર્થ મસલ પાવરનો ઉપયોગ કરવો કે કેમ તે હજુ સંદિગ્ધ છે, પરંતુ વિદેશીનીતિના તજ્જ્ઞાોની માન્યતા છે કે નરેન્દ્ર મોદી ચોક્કસ અને જરૃર પડયે સખત નિર્ણયો લેવાની ક્ષમતાવાળા હશે. દેશના શ્રેષ્ઠ હિતમાં જે નિર્ણયો લેવા પડશે તે નિર્ણયો તેઓ લેશે જ. મોદી એક એક્શન ઓરિએન્ટેડ લીડર છે. આજે આખા વિશ્વમાં ભારત એક સોફટ નેશન હોવાની છાપ છે તે દૂર થવી જોઈએ. ‘ગરીબ કી જોરૃ સબ કી ભાભી’ એ દિવસોનો હવે અંત આવવો જોઈએ.

જાપાન સાથે મિત્રતા

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ભવિષ્યમાં બિનજોડાણવાદી વિદેશનીતિ અપનાવે તેમ લાગતું નથી. બિનજોડાણવાદી નીતિ બોલવામાં સારી લાગે છે, પરંતુ તેનો અર્થ એમ કરી શકાય કે બિનજોડાણવાદી નીતિ એટલે ન કોઈ મિત્ર ન કોઈ દુશ્મન. આજના કપરા કાળમાં આવી માયકાંગલી નીતિ ચાલે નહીં. ભારતને મજબૂત મિત્રો હોવા જોઈએ. બની શકે કે નરેન્દ્ર મોદી અમેરિકા અને યુરોપિયન યુનિયન સામે એક મજબૂત એશિયન પાવર ઊભો કરે. નરેન્દ્ર મોદીના ચીન અને જાપાનના દેશોના રાજકારણીઓ સાથે સુમધુર સંબંધો છે. ભારતના આજે પણ જાપાન સાથેના સંબંધો સારા છે. મોદીના આવ્યા બાદ તેમાં વેગ મળશે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે વ્યક્તિગત સંબંધો છે. ૨૦૦૭માં જાપાનના વડાપ્રધાને ટોકિયોમાં મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એ વખતે મોદી રાષ્ટ્રીય નેતા ન હોવા છતાં જાપાનમાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચીન સાથે સંબંધો

ચીનને લાગેવળગે છે ત્યાં સુધી પ્રશ્ન પેચીદો છે. તાજેતરમાં અરુણાચલમાં પ્રવચન વખતે નરેન્દ્ર મોદીએ કેટલીક રિમાર્ક્સ કરી હતી. એ અંગે કેટલાકે એવી દહેશત વ્યક્ત કરી હતી કે અરુણાચલની સુરક્ષા માટે મોદીનું શાસન ચીન સામે કોઈ એક્શન લેશે,પરંતુ ચીને જાતે જ એવું નિવેદન કરીને એ વાતને ખારીજ કરી દેતાં કહ્યું હતું કે “ચૂંટણી ઝુંબેશ વખતે આવા સ્થાનિક મુદ્દા પર બોલવું જ પડે છે.” નિષ્ણાતો માને છે કે મોદીના નેતૃત્વ હેઠળ ભારત-ચીન વચ્ચે વેપારી સંબંધો ખીલી ઊઠશે. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી ચાર વખત ચીનનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. ચીનના ગ્રેટ હોલ ઓફ ધી પીપલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત થઈ ચૂક્યું છે. આ અસાધારણ ઘટનાની ભારતનાં મીડિયાએ ઉપેક્ષા કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભારત અને ચીનના સંબંધો મજબૂત બનવાની સંભાવના છે.

વળી ઇન્દિરા ગાંધીએ પહેલો અને વાજપેયીએ બીજો પ્રાયોગિક પરમાણુ ધડાકો કર્યો તે પછી દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. હવે પાકિસ્તાન, કોરિયા અને શાયદ ઈરાન પાસે પણ પરમાણુ બોમ્બ છે ત્યારે ભારતે તેના ન્યુક્લિઅર પ્રોગ્રામને અપગ્રેડ કરવો પડશે. પરમાણુ બોમ્બ ધડાકો કરવાથી વિશ્વનું ધ્યાન ભારત પર કેન્દ્રિત કરી શકાય છે.

ન્યુક્લિઅર પોલિસી

હવે સહુથી અગત્યની વાત ભારતની ન્યુક્લિઅર પોલિસીની. સામાન્ય માનવી એવું માનવા જરૃર પ્રેરાય કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં સરકારની રચના થશે તો મોદી પણ ઇન્દિરા ગાંધી અને વાજપેયીની જેમ પોખરણમાં પરમાણુ વિસ્ફોટ કરી ભારતની તાકાતનું પ્રદર્શન કરશે, પરંતુ તેમ કરવાથી દેશને કોઈ ફાયદો થતો નથી, કારણ કે વિશ્વને હવે ખબર જ છે કે ભારત એક ન્યુક્લિઅર પાવર ધરાવતો દેશ છે. જ્યારે જ્યારે ભારતે પરમાણુ ધડાકા કર્યા છે ત્યારે ત્યારે ભારતે અનેક આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડયો છે. પરમાણુ પ્રયોગ કરવાથી ભારતની આર્થિક યાતનાઓ વધી શકે છે. ભારત અનેક પ્રકારની સહાય ગુમાવી શકે છે. ભારતની અગ્રતા યુદ્ધ નહીં પરંતુ ગરીબી સામેના યુદ્ધની છે. હા, એક વાત ચોક્કસ છે કે ભાજપે ‘ઈન્ડિપેન્ડેન્ટ સ્ટ્રેટેજિક ન્યુક્લિઅર પ્રોગ્રામ’ને અપડેટ કરવાનો ઈશારો કર્યાે છે. બની શકે કે, ન્યુક્લિઅર શસ્ત્રોનો ‘નો ફર્સ્ટ યુઝ’ સિદ્ધાંત હવે ત્યજી દેવો પડે. અત્યારે ભારત કે પાકિસ્તાને પહેલાં ન્યુક્લિઅર શસ્ત્રનો ઉપયોગ કરવો નહીં એવી સમજૂતી છે. મોદીના નેતૃત્વ હેઠળ આ બદલાવ આવે તેવી શક્યતા કેટલાક જોઈ રહ્યા છે. એ વાત ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં સરકાર રચાશે તો ભારતની ન્યુક્લિઅર પોલિસીમાં પણ ફેરફાર આવશે અને તેને સમયની માગ પ્રમાણે અપડેટ કરાશે. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી જ કે પાકીસ્તાન સાથે સંઘર્ષની નીતિ અખત્યાર કરવામાં આવશે નહીં પરંતું રાષ્ટ્રહીતને સૌથી વધુ અગ્રતા આપવામાં આવશે. અણુંધડાકો કર્યા વગર પણ લાલ આંખ રાખી શકાય છે અને તે તરકીબો મોદી સારી રીતે જાણે જ છે. પડોશી દેશો એ વાત ન ભુલે કે નરેન્દ્ર મોદી એક એક્ક્શન ઓરિએન્ટેડ લીડર છે

Powered by WordPress & Theme by Anders Norén