- રૂપાળા ચહેરાનું એટ્રેક્શન ફેટલ જ હોય છે પાક. પત્રકાર મેહર તરારની કૈફિયત શું છે ?
પા કિસ્તાન સરહદ પારથી આતંકવાદની નિકાસ માટે જાણીતું છે,પરંતુ જાણે અજાણે ભારતના દુશ્મન દેશ તરફથી આવેલા એક ખૂબસુરત અને નજાકતભર્યા આતંકે ભારતના એક રાજપુરુષની રાજનીતિનો અને તેમની સ્વરૂપવાન પત્નીની જિંદગીનો અંત લાવી દીધો. એ આતંકનું નામ છે : મેહર તરાર. મેહર તરાર પાકિસ્તાનની રૂપાળી મહિલા પત્રકાર છે. એ આવી હતી ભારતના કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની મુલાકાત લેવા, પરંતુ દેખાવડા ભારતીય મંત્રીના તે પ્રેમમાં પડી ગઈ. તેમના વ્યક્તિત્વ, તેમની ભાષા, તેમની છટા અને તેમના કાવ્યોથી તે પ્રભાવિત થઈ ગઈ. બની શકે કે એ સંબંધો ઉત્કૃષ્ટ કક્ષાના હોઈ શકે, પરંતુ શશિ થરૂરનાં સ્વરૂપવાન પત્ની સુનંદા પુષ્કરથી એ સહન ના થયું અને સુનંદાએ દિલ્હીની ફાઈવસ્ટાર હોટલના એક કમરામાં આપઘાત કરી લીધો.
મેહર તરાર તા. ૨ માર્ચ,૧૯૬૮ના રોજ લાહોર, પાકિસ્તાનમાં જન્મેલી છે. અમેરિકાના વેસ્ટ ર્વિજનિયા પ્રાંતમાં આવેલી વેસ્ટ ર્વિજનિયા યુનિર્વિસટી દ્વારા તેણે પત્રકારત્વના વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું છે. મેહર તરાર હાલ ‘ડેઈલી ટાઈમ્સ’ અખબારમાં આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરે છે. મેહર તરાર પરણેલી છે અને તેને ૧૩ વર્ષની વયનો એક પુત્ર પણ છે.
કેન્દ્રના માનવ સંશાધન ખાતાના મંત્રી રાજ્યમંત્રી શશિ થરૂરનાં પત્ની સુનંદાને એવો શક હતો કે, તેમના પતિ અને મેહર તરાર વચ્ચે પ્રણય સંબંધો છે. એક તબક્કે સુનંદા પુષ્કરે ટ્વિટ કરીને એવો આક્ષેપ મૂક્યો કે, ‘મેહર તરારને મારા પતિ સાથે અનૈતિક સંબંધો છે અને મેહર તરાર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની એજન્ટ છે.’
સુનંદા પુષ્કરના આ આરોપ બાદ પાકિસ્તાનની પત્રકાર મેહરની કૈફિયત પર બહુ ઓછું ધ્યાન કેન્દ્રીત થયું છે. સુનંદાના એ આક્ષેપ બાદ મેહર તરારે ટ્વિટર પર કહ્યું હતું કે, ”હું કોઈ ટીનએજર નથી કે જે ત્રણ વખત પરણેલા ૪૫ વર્ષના પુરુષના પ્રેમમાં પડું. એ વાત સાચી છે કે હું શશિ થરૂરને જાણતી હતી, અને તેમની પ્રશંસક પણ છું. મારી અને તેમની વચ્ચે તેમનાં પુસ્તકો, ક્રિકેટ અને તેમના હોમ સ્ટેટ કેરાલા અંગે થતી વાતચીતને ગેરસમજથી લેવી ના જોઈએ. ”
”શું તમે શશિ થરૂર સાથે ટ્વિટર પર સંપર્કમાં હતા ?”- એવા પ્રશ્નના જવાબમાં તે કહે છેઃ ” કોઈ પણ વ્યક્તિ પબ્લિક ડોમેઈન ટ્વિટર પર શું પ્રણયના સંદેશા મોકલે ખરી ?”
શશિ થરૂરના સ્વર્ગસ્થ પત્ની સુનંદા પુષ્કરે એવો દાવો કર્યો હતો કે ‘એ બંને જણ વચ્ચે ટ્વિટર પર જે પ્રેમાલાપ થતો હતો તે ટ્વિટર પર જ હતો.’
આ સંદર્ભમાં મેહર તરાર કહે છેઃ ” હું શશિ થરૂર સાથે ફોન અને ઈ-મેલ દ્વારા સંપર્કમાં હતી. મારા થરૂર સાથેના સંબંધ વિશે હું આખાબોલી અને ખુલ્લી છું. શશિ થરૂરની હું પ્રશંસક છું- એ વાત મેં કદી છૂપાવી નથી, પણ તે વાતનો બીજો કોઈ અર્થ કાઢવાની જરૂર નથી.”
મેહર તરાર કહે છેઃ ”હું ગયા વર્ષે એપ્રિલ માસમાં શશિ થરૂરનો ઈન્ટરવ્યુ લેવા ભારત ગઈ હતી. તે પછી પણ હું તેમની સાથે અવારનવાર ફોન પર વાત કરતી રહી હતી, કારણ કે હું ભારતમાં આવી રહેલી ચૂંટણીઓ વિશે એક પુસ્તક લખવા માંગતી હતી. અમારો વાર્તાલાપ એમણે લખેલા પુસ્તકો પૂરતો જ મર્યાદિત હતો. એથી યે આગળ તેમનાં એક પુસ્તક પર મેં મારું અવલોકન પણ લખ્યું હતું. અમે પુસ્તકોની ચર્ચા કરતા હતા. અમે રાજનીતિની ચર્ચા કરતાં હતા. અમે ક્રિકેટની પણ ચર્ચા કરતા હતા. એ ચર્ચાને કારણે કોઈએ ગેરસમજ ઊભી કરવી જોઈએ નહીં.”
એની સામે શશિ થરૂરનાં પત્ની સુનંદા પુષ્કરે બ્લેક બેરી મેસેન્જર પર આવેલા સંદેશા ટ્વિટર પર મૂકી દઈ લખ્યું હતું: ”જુઓ, આ છે મેહર તરારના બીબીએમ મેસેજિસ. કેવી ભયંકર સ્ત્રી છે તે ? તે મારા પતિને ફસાવવા પ્રયત્ન કરી રહી છે.”
તેની સામે મેહર તરારે ટ્વિટર પર જ જવાબ આપતાં કહ્યું હતું કે ”હું તમારું લગ્નજીવન સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવું છું. થરૂરના પત્ની મને કોઈ વિવાદમાં ના ઘસડે તેવી આશા રાખું છું. સુનંદા મને ‘હોરીબલ’ અર્થાત ભયાનક સ્ત્રી અને આઈએસઆઈની એજન્ટ કહે છે તે જ કેટલી ભયાનક વાત છે! સુનંદાએ મને આઈએસઆઈની જાસૂસ કહીને ખૂબ ભયંકર કૃત્ય કર્યું છે.”
સુનંદા પુષ્કરે ટ્વિટર પર શરૂ કરેલા યુદ્ધ બાદ જે જે લોકોએ શશિ થરૂરને નૈતિક ટેકો આપ્યો તે બધાનો થરૂરે આભાર માન્યો હતો. તેનો ઉલ્લેખ કરતાં મેહર તરાર કહે છેઃ ”થરૂરના આવા સમર્થકો પૈકી એક શિવાંગીની પાઠકે મને સંબોધીને લખ્યું હતું કે,મેહર અમે બધાં તારા ટેકામાં છીએ. તું ડિગ્નીફાઈડ છે. વી લવ યુ.”
મેહર તરાર ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહે તે માટેના લખાણો માટે જાણીતી છે.
મેહર તરાર વધુ ખુલીને લખે છેઃ હું તેમને એપ્રિલ, ૨૦૧૩માં દિલ્હી ખાતેની તેમની ઓફિસમાં મળી હતી. અમે તેમની ઓફિસમાં ૪૫ મિનિટ સુધી વાત કરી હતી, અને તે પછી અમારો ઈન્ટરવ્યુ તેમની કારમાં જારી રાખ્યો હતો. તે પછી જૂનમાં એક એવોર્ડ સમારંભ દરમિયાન હું તેમને દુબઈમાં મળી હતી. એ પછી ફોન અને ઈ-મેલ્સ દ્વારા અમે કેરાલાની ચૂંટણીઓ અંગે વાતચીત કરતાં રહ્યા હતાં. હું કેરાલા અંગે એક પુસ્તક લખવા માંગતી હતી. તેમણે મને કેટલીક ટીપ્સ આપવા હા પાડી હતી. તેમનાં પત્ની કહે છે કે હું તેમની બ્લેક બેરી મેસેન્જર હતી. સત્ય એ છે કે હું થરૂર સાથે બ્લેકબેરી મેસેન્જર નહોતી. તેથી તેમનાં પત્નીના આક્ષેપથી હું ડઘાઈ ગઈ હતી. હું તેમનાં પત્નીને કદી રૂબરૂ મળી નથી. સુનંદા કહે છે કે, હું તેમના પતિને ફસાવી રહી છું અને અમારી વચ્ચે અફેર છે. હું પૂછું છું કે, એ બંને એકસાથે કેવી રીતે હોઈ શકે? સુનંદાના એ આક્ષેપો વાઈલ્ડ એલિગેશન્સ જ છે.’
સુનંદાના અકુદરતી મૃત્યુ પહેલા મેહર તરારે કહ્યું હતું: ”જે સ્ત્રી પોતાના પતિને પ્રેમ કરે છે તે જ સ્ત્રી તેના પતિ પર ગંદકી ઉછાળી રહી છે અને કાલ્પનિક વાતો મીડિયાને કહી રહી છે, તે બધું છેવટે તો હાસ્યાસ્પદ જ લાગે છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને પોતાના પતિ સાથે જોડી રહી છે તે એક પ્રકારની નીમ્ન કક્ષાની બીમારી જ છે. સુનંદાને તેમના લગ્નજીવનનું કોઈ સન્માન નથી. લાગે છે કે તેમનામાં વ્યાકરણ અને જોડણી કરતાં બુદ્ધિ ઓછી છે. માય નેમ ઈઝ મેહર, એન્ડ આઈ એમ નોટ એન આઈએસઆઈ એજન્ટ. ઓર રો. ઓર સીઆઈડીએ. ઓર મોસાદ, ઓર ડેડ કેજીબી.”
તે પછી સુનંદા પુષ્કરે કહ્યું હતું : ‘જે સ્ત્રી મારા પતિને દિવસમાં ૨૦ વખત ફોન કરે તે સ્ત્રી કેવી? પુરુષને સહેજ છુટ્ટા મૂકો એટલે બીજી સ્ત્રીઓ પાછળ પાગલ જ થઇ જતા હોય છે.’
-ટ્વિટર પરના આ બધા જ વાક્યુદ્ધના અંતે સુનંદા પુષ્કરે અચાનક જ તેની જીવનલીલા સંકેલી લીધી. આ ઘટના પછી ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી. ઘણાં લોકોએ આ ઘટનાને ”મર્ડર બાય ટ્વિટર” કહ્યું. કોઈએ ”ર્ફ્સ્ટ મર્ડર બાય ટ્વિટર ઈન્ડિયા.” કહ્યું. સુનંદા બિચારી જીવી ત્યાં સુધી તેની પાસે બધું જ હોવા છતાં સુખને પામી શકી નહીં. તેની પાસે પોતાનું રૂપ હતું, પૈસો હતો, સુંદર દેખાવડો પતિ હતો, રાજનીતિમાં નામ હતું, ઐશ્વર્ય હતું, મિત્રો હતા છતાં તેના જીવનનો દુઃખદ અંત આવ્યો. કોઈએ તેને ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ કહી, કોઈએ તને ડ્રગ્સની બંધાણી કહી, કોઈએ તને અક્કલ વગરની કહી, કોઈએ તેને સતત અસલામતી અનુભવતી સાયકિક મહિલા કહી, કોઈએ તેને અસહિષ્ણુ કહી, પણ હવે સુનંદા આ જગતમાં નથી. શાયદ તે તેના પતિ પ્રત્યે વધુ પડતાં માલિકીપણાની લાગણી અનુભવતી હતી. એ જે હોય તે પરંતુ દેશની રાજનીતિના સ્ક્રીન પરના એક રૂપાળા યુગલની કથા દુઃખદ કથાનો ટ્રેજેડીમાં અંત આવ્યો. રૂપાળા ચહેરાઓનું આકર્ષણ હંમેશા ફેટલ જ હોય છે. આ કડવી વાસ્તવિકતાનો અનુભવ સુનંદા પુષ્કર શશિ થરૂર અને મેહર તરાર- એમ ત્રણેયને થઈ ગયો.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "