Devendra Patel

Journalist and Author

Date: October 21, 2013

તું સારો મિત્ર બની શકે છે પણ સારો જીવનસાથી નહીં

કભી કભી – દેવેન્દ્ર પટેલ

Ÿ  તું સારો મિત્ર બની શકે છે પણ સારો જીવનસાથી નહીંઐશ્વર્યા અને ભરત બે સારાં મિત્રો હતાં પણ બેઉના વિચારોમાં ઘણો ફરક હતો

૨૪વર્ષની વયનો ભરત એ મનોહર જોશી પરિવારનો સહુથી મોટો પુત્ર હતો. તે જયપુરમાં રહેતો હતો. ભરતની એક બહેનનું નામ ડોલી. ડોલીની એક સહેલીનું નામ ઐશ્વર્યા. ઐશ્વર્યા અવાર નવાર ડોલીને મળવા આવતી હતી. એ કારણે ઐશ્વર્યાનો ડોલીના ભાઈ ભરત સાથે પણ પરિચય હતો. ઐશ્વર્યા તેને ગમવા લાગી હતી. ઐશ્વર્યામાં ગજબનું આકર્ષણ હતું. ભરત તેના તરફ આર્કિષત થતો જ ગયો. તે હવે પોસ્ટગ્રેજ્યુએશન કરતો હતો. પરંતુ તેનું મન ભણવામાં લાગતું નહોતું. આમ તો ભરતને તેના બધા જ મિત્રો સાથે ઘરોબો હતો. ક્યારેક ક્યારેક ઐશ્વર્યા પણ તેને મળતી હતી. ઐશ્વર્યા તેને ગમતી હતી, તેથી તે તેને નજીકથી જાણવા પ્રયાસ કરતો હતો પરંતુ ઐશ્વર્યા વધુ ગંભીર રહેતી હતી. તે ભણવામાં વધુ વ્યસ્ત રહેતી હતી. ગ્રેજ્યુએશન કરી લીધા બાદ તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી.

ભરત હવે ઐશ્વર્યામાં વધુને વધુ રુચિ લેવા માંડયો હતો. તે ઐશ્વર્યાની નાનામાં નાની વાતોનો ખ્યાલ રાખતો હતો. ઐશ્વર્યા પણ ભરતનો ખ્યાલ રાખતી હતી. એક દિવસ ભરતે પૂછયું: ”ઐશ્વર્યા ! તેં ભવિષ્યની બાબતમાં શું વિચાર્યું છે?”

તે બોલીઃ ”ભરત ! હું કોઈ સારું કામ કરવા માંગુ છું. મારા પોતાના પગ પર ઊભી રહેવા માંગુ છું. મારા માતા-પિતાનું નામ રોશન કરવા માંગુ છું.”

ભરતે કહ્યું: ”આ તો સારી વાત છે, તારું સ્વપ્ન પૂરું કરવામાં મારી કોઈ જરૂર હોય તો કહેજે.”

ઐશ્વર્યાએ કહ્યું : ”થેંક્સ”.

એ પછી ભરત અને ઐશ્વર્યા વચ્ચે અવારનવાર ફોન પર વાત થયા કરતી. ભરતને હવે અહેસાસ થઈ ગયો કે ઐશ્વર્યા હવે માત્ર એની મિત્ર જ નહીં પણ તેનો પ્રેમ પણ છે. તે ઐશ્વર્યાને પ્રેમ કરવા લાગ્યો હતો. આ તરફ ઐશ્વર્યા એરહોસ્ટેસ બનવાની તૈયારી કરવા લાગી હતી, છતાં વચ્ચે વચ્ચે ભરતને મળવાનો સમય કાઢી લેતી હતી. બંનેની દોસ્તી પ્યાર તરફ આગળ વધવા લાગી હતી. ભરતના ઘરમાં પણ બધાને ખ્યાલ આવી ગયો કે ભરત અને ઐશ્વર્યા વચ્ચે કાંઈક ચાલી રહ્યું છે. બંને પરિવારો અતિ શિક્ષિત હોઈ તેમને એ સંબંધો પર કોઈ એતરાજ નહોતો. ભરતનું પરિવાર આર્થિક રીતે વધુ સંપન્ન હતું. જ્યારે ઐશ્વર્યા મધ્યમવર્ગના પરિવારની પુત્રી હતી. ભરતની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવતી. જ્યારે ઐશ્વર્યા સ્વયં કરકસરથી રહેતી હતી. ભરત ધનવાન પિતાનો પુત્ર હોવાથી જીદ્દી હતો જ્યારે ઐશ્વર્યા અત્યંત સ્વરૂપવાન હોવા છતાં સાદગીથી જીવતી હતી. કેટલીકવાર બેઉ કલાકો સુધી વાતો કરતા. એ દરમિયાન ઐશ્વર્યા ભરતને સમજવા કોશિશ કરતી હતી. અલબત્ત, તે પોતાના ભવિષ્ય અંગે ગંભીર હતી.

આ તરફ ઐશ્વર્યા માત્ર ભરતને જ નહીં પરંતુ તેના આખા ઘરને ગમતી હતી. એક તો તે અત્યંત સુંદર હતી અને બીજું તે એકદમ ગંભીર હતી. આવી રૂપાળી છોકરી ઘરમાં વહુ બનીને આવે તો એક શ્રીમંત ઘરની શોભા વધી જાય તેમ ભરતના ઘરવાળા માનતા હતા. ઘરમાં બધાએ ભરતની લગ્નની ઈચ્છા વિશે પૂછયું તો એણે ઐશ્વર્યાનું નામ આપ્યું. ભરતનાં માતા-પિતા એ બેઉના સંબંધો જાણતાં જ હતા. તેઓ રાજી થઈ ગયા. પરિવારે નક્કી કર્યું કે ”હવે શુભ કાર્યમાં વિલંબ કરવો જોઈએ નહીં. કાલે જ ભરતની મમ્મીએ ભરત અને ઐશ્વર્યાની સગાઈની વાત કરવા જવી” એમ નક્કી થયું. હવે ભરતે જ ઐશ્વર્યાને ફોન કરી કહ્યું :”ઐશ્વર્યા! તું અત્યારે જ મારા ઘેર આવી જા. એક ખુશખબર આપવા માંગું છું.”

ઐશ્વર્યાએ કહ્યું: ”ભરત ! હું અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું. આજે નહીં આવી શકું. અઠવાડિયા પછી મળીશું.”

”થોડીવાર માટે પણ નહીં આવી શકે ?”

”ના ભરત. હું વાંચી રહી છું. લક્ષ્યની પ્રાપ્તિ માટે એક એક મિનિટ કિંમતી છે.”

ભરતે કહ્યું: ”તારો સમય મારા કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે?”
ઐશ્વર્યા બોલીઃ ”હા… દરેક ચીજનું પોતાનું મહત્ત્વ હોય છે. પણ તને એ નહીં સમજાય, કારણ કે, તેં જે માંગ્યું તે તને મળી ગયું છે.”

ભરતને ઐશ્વર્યાની આ વાત ગમી નહીં. એણે ફટાક દઈ ફોન મૂકી દીધો. એને લાગ્યું કે, સગાઈ પછી બધું બરાબર થઈ જશે. બીજા દિવસે તેની મમ્મી વિવાહની વાત કરવા જવાની હતી પરંતુ મુલાકાત નક્કી કરવા માટે ભરતની મમ્મીએ ફોન કર્યો ત્યારે ઐશ્વર્યાની મમ્મીએ નમ્રતાથી કહ્યું: ”બહેન! અત્યારે ઐશ્વર્યા પરીક્ષાની તૈયારી કરી રહી છે. એક વાર તેની પરીક્ષા પતી જવા દો.”

”ઠીક છે. પરીક્ષા પછી વાત કરીશું.” ભરતની માતાએ એ વાત સમજદારીપૂર્વક સ્વિકારી લીધી. બીજા જ દિવસે ભરત ઐશ્વર્યાને મળવા તેના ઘેર ગયો પરંતુ ખબર પડી કે ઐશ્વર્યા પરીક્ષા આપવા દિલ્હી જતી રહી છે. તે પરીક્ષા આપવા જવાની છે એ વાત ઐશ્વર્યાએ તેને કહી ના હોઈ ભરતને ગુસ્સો આવ્યો. ઐશ્વર્યાને તે લડવા માંગતો હતો પણ તેનો મોબાઈલ બંધ હતો. ભરત હવે તનાવમાં રહેવા લાગ્યો. તેને લાગ્યું કે, તે જેટલો ઐશ્વર્યાની નજીક જાય છે એટલી જ તે દૂર જઈ રહી છે. ઐશ્વર્યા દિલ્હીથી ક્યારે પાછી આવી તે વાતની જાણ પણ તેણે ભરતને ના કરી. એ પરીક્ષામાં પાસ થઈ ગઈ એ વાતની જાણ પણ તેણે ભરતને ના કરી. એે વાતની ખબર એને બીજા દોસ્તો મારફતે પડી. આમ છતાં ઐશ્વર્યાને અભિનંદન આપવા તે એના ઘરે ગયો પરંતુ તેના આવવાથી ઐશ્વર્યાના ચહેરા પર કોઈ ખુશી ના જોઈ. આમ છતાં એણે કહ્યું: ”ઐશ્વર્યા, હવે તો એરહોસ્ટેસની તાલીમ માટે તારી પસંદગી થઈ ગઈ છે. હવે આપણી સગાઈ થઈ જવી જોઈએ.”

ઐશ્વર્યાએ કહ્યું: ”હમણાં સગાઈની ઉતાવળ શું છે ? મારા જીવનનું લક્ષ્ય લગ્ન નહીં, પણ કારકિર્દી છે. હજુ તો મારી પસંદગી થઈ છે, તાલીમ બાકી છે, તાલીમ બાદ મને ખબર નથી કે હું ક્યાં હોઈશ ? હમણાં હું લગ્નના બંધનમાં પડવા માંગતી નથી.”

”પણ તારે એરહોસ્ટેસની નોકરી કરવાની શું જરૂર છે? મારા પિતા પાસે કાફી જાયદાદ છે.”

”જો ભરત! હું લગ્ન કરીને એશ આરામ કરવા માંગતી નથી. હું રોજ નવાં વસ્ત્રો પહેરીને પાર્ટીઓમાં જવા માંગતી નથી. હું બાળકો પેદા કરનારી ફેકટરી બનવા માંગતી નથી. જે માતા-પિતાએ મને જન્મ આપ્યો છે, મને ભણાવી છે અને મારો ઉછેર કર્યો છે તેમના પ્રત્યે પણ મારે કેટલીક જવાબદારી નિભાવવાની છે. હું કોઈની પુત્રવધૂ તરીકે નહીં પણ કોઈની પુત્રી તરીકે ઓળખાવા માંગુ છું. હું લગ્ન કરીશ પણ અત્યારે નહીં, અત્યારે મને મારી કારકિર્દી બનાવવી છે અને મારા માતા-પિતા પ્રત્યેનું ઋણ અદા કરવું છે.”

”પણ તું મારી સાથે લગ્ન કરીને પણ એ ફરજ નિભાવી શકે છે. ઐશ્વર્યા?” ભરતે કહ્યું.

ઐશ્વર્યાએ મક્કમતાથી કહ્યું: ”ભરત! હવે મારે તને સાચી વાત કહેવી જ પડશે. જો સાંભળ ! તારા અને મારા વિચારોમાં ફરક છે. તું સારો મિત્ર બની શકે છે. સારો જીવનસાથી નહીં. તું પિતાના પૈસા પર જીવવા માંગે છે. તું તારી કારકિર્દી માટે કદીયે ગંભીર નહોતો, અને આજે પણ નથી. પિતાની સંપત્તિનો તો ક્યારેય પણ અંત આવી જતો હોય છે, પણ જેની પાસે જ્ઞાાન છે, કેળવણી છે, તાલીમ છે તે જ લાંબુ ચાલે છે, તારે મારી સાથે લગ્નનો ખ્યાલ હવે છોડી દેવો જોઈએ.”

ઐશ્વર્યાનો આ જવાબ સાંભળી ભરત સ્તબ્ધ થઈ ગયો. છ વર્ષના પ્રેમ સંબંધનો એક ઝાટકે ઐશ્વર્યા અંત લાવી દેશે એની તેને કલ્પના પણ નહોતી. હવે ઐશ્વર્યાના ઘેર વધુ રોકાવું તેને ઠીક ના લાગ્યું. તે સીધો જ ઘેર આવ્યો. એની મમ્મીને લાગ્યું કે કાંઈક ગરબડ થઈ ગઈ છે. મમ્મીએ પૂછયું : ”શું થયું, બેટા ?”

ભરત બોલ્યોઃ ”મમ્મી ! ઐશ્વર્યાએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.”

”એમાં પરેશાન થવાની જરૂર શું છે ? આપણે બીજી છોકરી શોધી કાઢીશું”: ભરતની મમ્મીએ કહ્યું!

ભરત કાંઈ જ બોલ્યા વગર પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. એને લાગ્યું કે, ઐશ્વર્યા અત્યાર સુધી મારી ભાવનાઓ સાથે જ ખેલતી રહી. જરૂર એના જીવનમાં બીજો કોઈ યુવાન આવ્યો હશે. એ જાતજાતના વિચારો કરતો રહ્યો. તે બીજા દિવસે તે મિત્રોને મળ્યો. મિત્રોએ પણ તેને સમજાવ્યો કે ”તને તો કેટલીયે છોકરીઓ લગ્ન માટે મળી જશે. આખો દિવસ ભણભણ કરતી પંતુજી જેવી છોકરી સાથે લગ્ન કરીને તું શું સુખી થવાનો? જે થયું તે સારું થયું. ભૂલી જા ઐશ્વર્યાને.” પરંતુ ભરત પોતાના મનને ના મનાવી શક્યો. એ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો. બહુ જલ્દીથી નર્વસ બ્રેકડાઉનનો શિકાર બની ગયો. તે એકલો જ બેસી રહેવા લાગ્યો. કોઈની યે સાથે વાત કરવાનું એણે બંધ કરી દીધું. હવે તો ઐશ્વર્યાના ફોન આવતા પણ બંધ થઈ ગયા હતા. તે માનસિક રીતે પરેશાન થવા લાગ્યો. તેને વાતાવરણ બદલવા જયપુરથી તેના મામાના ઘરે દિલ્હી મોકલવામાં આવ્યો. એક દિવસે એણે તેની ભાભીને ફોન કર્યોઃ ”ભાભી! હવે હું જીવવા માંગતો નથી. મમ્મી- પપ્પાનો ખ્યાલ રાખજો.”

અને તા. ૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ એણે પોતાની ફેસબુક પર લખ્યું: ”ઐશ્વર્યાને ભૂલવી મારા માટે મુશ્કેલ છે. ૨૪ કલાકમાં હું મારી જીવનલીલા સમાપ્ત કરી રહ્યો છું.”

એ પછી એ રાત્રે તેના મિત્ર નીરજને ફોન કરી પોતાની ફેસબુક ખોલવા વિનંતી કરી. નીરજે ભરતની ફેસબુક ખોલી. તેના હોશ ઊડી ગયા. નીરજે ભરતની મમ્મીને ફોન કરી કહ્યું: ”આન્ટી ! ભરત ૨૪ કલાકમાં આત્મહત્યા કરવાનો છે ?”

ઘરમાં પણ બધાએ ભરતની ફેસબુક ખોલી. બધાં સ્તબ્ધ થઈ ગયા. તેમણે દિલ્હી ફોન કર્યો તો ખબર પડી કે ભરત દિલ્હી છોડી ચુક્યો હતો. પરોઢિયે તે જયપુર આવ્યો અને ઘરના પગથિયાંમાં જ બેસી ગયો. તેના હાથમાં તમંચો હતો. ઘરના બધા જ સભ્યોએ તેને રોકવા કોશિશ કરી. બધાં જ સભ્યો રડવા લાગ્યા. કેટલાંકે તેની પાસે જવા કોશિશ કરી પરંતુ ભરતે તમંચાનું ટ્રીગર દબાવી દીધું. ગોળી તેના લમણાની આરપાર નીકળી ગઈ. થોડી જ વારમાં લોહીના ખાબોચીયામાં તે ઢળી પડયો. પોલીસ આવી પહોંચી,પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસે સ્વેચ્છાએ આત્મહત્યાનો કેસ નોંધી ફાઈલ બંધ કરી દીધી. લાગણીઓ અને કારકિર્દી વચ્ચેનો સંઘર્ષ કદીક આવા દુઃખદ પરિણામો પણ લાવી શકે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

રાજનીતિમાં સેલિબ્રિટીઝ કેટલી જરૂરી?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

રાજનીતિમાં સેલિબ્રિટીઝ કેટલી જરૂરી?ચૂંટણીઓ હવામાં ઘૂમરાઈ રહી છે. દેશનાં મોટાં મોટાં શહેરોમાં અત્યારથી જ હોર્ડિંગ્સ લાગી રહ્યાં છે. મોટી મોટી પ્રચાર સભાઓ યોજાઈ રહી છે. વડાપ્રધાનપદના સંભવિત ઉમેદવારો દેશભરમાં ફરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ પ્રચાર અને પ્રહારનો મારો થઈ રહ્યો છે. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં નોંધપાત્ર વાત એ છે કે આવનારી લોકસભાની ચૂંટણી માટે જેઓ રાજનીતિમાં નથી, પરંતુ બીજી રીતે જાણીતી પ્રતિભાઓ છે તેમની પણ ખોજ થઈ રહી છે. વિવિધ રાજકીય પક્ષો આવી વ્યક્તિઓને તેઓ આગામી ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતારવા માગે છે.

 

કેટલીક સેલિબ્રિટીઝ

નંદન નિલેકણી ઇન્ફર્મેશન ટેક્નોક્રેટ છે. આમ તો તેઓ પહેલાં ઇન્ફોસિસ સાથે સંકળાયેલા હતા. તે પછી તેમને ‘આધાર કાર્ડ’બનાવવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટી તેમને બેંગલુરુમાંથી ચૂંટણી લડાવવા માગે છે. વી.કે. સિંહ ભારતીય લશ્કરના નિવૃત્ત વડા છે. તાજેતરમાં જ તેઓ નરેન્દ્ર મોદી સાથે મંચ પર દેખાયા હતા. એવી જ રીતે કૃષ્ણા પુનિયા એક એથ્લીટ છે. તેમને પણ કોંગ્રેસ ટિકિટ આપવા માગે છે. વિશ્વ ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર રાજ્યવર્ધનસિંહ રાઠૌર પણ ભારતીય લશ્કરમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ૪૩ વર્ષના રાઠૌર કહે છે : “રાજનીતિ મારા જીવનને સંપૂર્ણ બનાવશે.”

રાજનીતિમાં સેલિબ્રિટીઝ

રાજનીતિ અને સેલિબ્રિટીઝનો સંબંધ પુરાણો છે. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.જી. રામચન્દ્રન એક જમાનાના મશહૂર તમિલ અભિનેતા હતા. તે પછી તેઓ રાજનીતિમાં આવ્યા હતા. તામિલનાડુનાં હાલનાં મુખ્યમંત્રી જયલલિતા પણ એક જમાનામાં તમિલ અભિનેત્રી હતાં અને એમ.જી. રામચન્દ્રનના આશીર્વાદથી જ રાજનીતિમાં આવ્યાં હતાં. એ જ પ્રમાણે આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવ પણ મશહૂર એકટર હતા. તેઓ રામનો રોલ કરતા હતા. તે પછી રાજનીતિમાં આવ્યા હતા. ચન્દ્રાબાબુ નાયડુ તેમના જમાઈ થાય છે. બોલિવૂડના જાણીતા અભિનેતા સુનીલ દત્ત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી લોકસભામાં ચૂંટાયા હતા. એ સિવાય વિનોદ ખન્ના, ગોવિંદા, ધર્મેન્દ્ર, રાજ બબ્બર, શત્રુઘ્ન સિંહા, કીર્તિ આઝાદ અને મોહંમદ અઝરુદ્દીન જેવી જાણીતી પ્રતિભાઓ પણ રાજનીતિમાં પ્રવેશીને તેનો સ્વાદ ચાખી ચૂક્યાં છે. રાજેશ ખન્નાને કોંગ્રેસે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. ફિલ્મમેકર પ્રકાશ ઝા પણ રામવિલાસ પાસવાનની પાર્ટીમાંથી ટિકિટ લઈને પરાજય પામી ચૂક્યા છે. એ ચૂંટણીમાં હાર્યા બાદ પ્રકાશ ઝા હવે ફરી ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા છે.

ગુજરાતી કલાકારો

ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ભાજપમાંથી ચૂંટાઈને ગુજરાત વિધાન સભામાં પ્રવેશ્યા હતા. તેમના ભાઈ અને ‘મહાભારત’ ટીવી સિરિયલમાં રાવણનો રોલ કરનારા એકટર અરવિંદ ત્રિવેદી પણ ભાજપની ટિકિટ પર ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. રામાયણમાં સીતાનો રોલ કરનાર દીપિકા ચીખલિયા પણ ચૂંટણી લડી ચૂક્યાં છે. ગુજરાતની જાણીતી સંગીતબેલડી મહેશકુમાર અને નરેશકુમાર પણ સફળતાપૂર્વક ચૂંટણી લડી ચૂક્યા છે. આજે બક્ષીપંચની ઠાકોર જ્ઞાતિની બહુમતી વસ્તીવાળા મતવિસ્તારમાંથી વિક્રમ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તો ગુજરાતનો એક પણ નેતા તેમની સામે જીતી શકે નહીં. અલબત્ત,બધા જ કલાકારો ચૂંટણી જીતે છે એવું નથી. ગુજરાતનાં જાણીતાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ ચૂંટણી હારી ગયાં હતાં. ‘સાસ ભી કભી બહૂ’થી નામની ટેલિવિઝન શ્રેણીનાં જાણીતાં અભિનેત્રી સ્મૃતિ ઈરાની ભાજપમાં જોડાયાં છે. તેમને ૨૦૦૪માં દિલ્હીમાંથી ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કપિલ સિબ્બલ સામે હારી ગયાં. ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો વખતે નરેન્દ્ર મોદીની ટીકા કરનાર સ્મૃતિ ઈરાની આજકાલ મોદીનાં પ્રશંસક બની ફરી ટિકિટ લેવા માગે છે. ટેલિવિઝનની ન્યૂઝ ચેનલો પર વધુ ને વધુ ઉગ્રતાપૂર્વક ચર્ચા કરતાં જણાય છે.

અમિતાભ બચ્ચન -જયા

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ગાંધી પરિવારની ખૂબ નિકટ હતા. રાજીવ ગાંધી સાથે તેમને મૈત્રી હતી. અમિતાભ બચ્ચન પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટયૂટ દ્વારા અભિનયની તાલીમ લઈને બહાર આવી સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ કે. અબ્બાસ નામના મશહૂર લેખક અને ફિલ્મમેકરને ભલામણ કરી અમિતાભ બચ્ચનને ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં કામ અપાવ્યું હતું. પાછળથી રાજીવ ગાંધી તેમને કોંગ્રેસ તરફથી ટિકિટ આપી અલાહાબાદ મતક્ષેત્રમાંથી ચૂંટણી લડાવી લોકસભામાં લઈ આવ્યા હતા. પાછળથી અમિતાભના ગાંધી પરિવાર સાથે સંબંધો બગડી ગયા હતા અને બચ્ચન પરિવાર અમરસિંહ સાથેની દોસ્તીના કારણે મુલાયમસિંહની પાર્ટીનો સમર્થક બની ગયો હતો. આજે જયા બચ્ચન મુલાયમસિંહના આશીર્વાદથી રાજ્યસભામાં છે અને તેમને મુલાયમસિંહ સાથે દોસ્તી કરાવનાર અમરસિંહ મુલાયમસિંહની પાર્ટીમાંથી આઉટ થઈ ગયા છે. એ જ રીતે અમિતાભ બચ્ચન સાથે ‘શરાબી’ ફિલ્મમાં રોલ કરનાર અભિનેત્રી જયાપ્રદા પણ અમરસિંહને કારણે રાજનીતિમાં છે. અમિતાભ બચ્ચન પર જેમના અનેક ઉપકાર છે તેવા ગાંધી પરિવારને છેહ દેવાની ઘટના બાદ યુપીએ સરકારે અભિનેત્રી રેખાને રાજ્યસભામાં નિયુક્ત કરી મોટી સોગઠી મારેલી છે.

અન્ય પ્રતિભાઓ

જેઓ રાજનીતિમાં નહોતા છતાં રાજનીતિમાં આવ્યા હોય તેવું સહુથી મોટું ઉદાહરણ હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ખુદ છે. તેઓ અર્થશાસ્ત્રી છે. તેઓ અગાઉ ભારતની રિઝર્વ બેન્કના ગવર્નર હતા. તેમને રાજનીતિમાં લાવવાનું કામ પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવે કર્યું હતું. ભાજપના યશવંત સિંહા ખુદ એક આઈએએસ ઓફિસર છે અને બ્યુરોક્રસીમાંથી આવેલા છે. ભાજપના જસવંતસિંહ આર્મીમાંથી આવેલા છે. કોંગ્રેસના શશી થરૂર રાજનીતિમાં આવતા પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં ન્યૂ યોર્ક ખાતે મહત્ત્વપૂર્ણ ફરજ બજાવતા હતા. ભાજપનાં મહિલા પ્રવક્તા નિર્મલા સીતારામન રાજકારણમાં આવતા પહેલાં લંડનના એક ઔદ્યૌગિક ગૃહમાં મોટો હોદ્દો ધરાવતાં હતાં. ભાજપના નવજોતસિંહ સિદ્ધુ ક્રિકેટર હતા. આજકાલ રાજનીતિમાં વિદૂષકનો રોલ ભજવે છે.

લોકપ્રિયતા અને મત

ફિલ્મ કલાકારોની લોકપ્રિયતાથી લોકોની ભીડ એકત્ર કરી શકાય છે, પરંતુ દરેક વખતે એ માનવ ભીડને મતમાં પરિવર્તિત કરી શકાતી નથી. દા.ત. એકટર ચિરંજીવી આંધ્રમાં ૨૦૦૯ની ચૂંટણી લડયા હતા. તેમની જાહેરસભામાં લાખોની માનવભીડ એકત્ર થતી હતી, પરંતુ આંધ્ર વિધાનસભાની કુલ ૨૯૪ બેઠકોમાંથી તેમની પ્રજારાજ્યમ્ પાર્ટીને માત્ર ૧૮ બેઠકો જ મળી શકી હતી. વળી આવી સેલિબ્રિટીઝ ઘણી વાર વિધાનસભા કે લોકસભા- રાજ્યસભામાં માત્ર શો-પીસ જ બની રહે છે. કેટલાક તો ચર્ચામાં ભાગ્યે જ ભાગ લે છે, કારણ કે વિવિધ રાજકીય પાર્ટીઓ ચૂંટણીઓ દરમિયાન તેમની લોકપ્રિયતા વટાવવા જ તેમને ટિકિટ આપે છે. કેટલાક સભ્યો તો પાર્લમેન્ટમાં દેખાતા જ નથી. કેટલાંક દેખાય છે તો ભાગ્યે જ કોઈ પ્રશ્નો પૂછે છે. કેટલાક પ્રશ્નો પૂછે છે તો ભાગ્યે જ ચર્ચામાં ભાગ લે છે. અલબત્ત, વિવિધ ક્ષેત્રોમાંથી સારા માણસો રાજનીતિમાં આવે તે જરૂરી છે.

www.devendrapatel.in

આસારામ આરોપી છે કે ગુજરાત સરકારના અતિથિ?

આસારામ આરોપી છે કે ગુજરાત સરકારના અતિથિ?મોદીએ આસારામથી ડરવાની જરૂર નથી આસારામ કરતાં મોદી વધુ શક્તિશાળી છે

આસુમલ ઉર્ફે આસારામ ઉર્ફે ગોડમેન ઉર્ફે તાંત્રિક, ઉર્ફે બાપુ, ઉર્ફે બળાત્કારના આરોપી ઉર્ફે લેન્ડ માફિયા, ઉર્ફે મર્દ બનવાની યુક્તિ શીખવતા સેક્સોલોજિસ્ટ, ઉર્ફે રાજકીય નેતાઓના ગુરૂ એવા આસારામને સુરતની બે બહેનો ઉપર યૌન પીડનના આરોપ સર અમદાવાદ લાવવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે આટઆટલા ગંભીર આરોપો ધરાવતા આસારામ ગુજરાતની પોલીસ માટે આરોપી છે કે અતિથિ ?

આસારામની સેવામાં

એ વાત સુનિશ્ચિત છે કે, આસારામ અને અડવાણી વચ્ચે સિંધી ભાષાનો નાતો છે. એ વાત સુવિદિત છે કે, આસારામ અડવાણી સહિત ભાજપાના અનેક નેતાઓના ગુરૂ છે. એ વાદ સુવિદિત છે કે, આસારામ ગુજરાતના કેટલાક પોલીસ અધિકારીઓના પણ ગુરૂ છે. એ વાત સુવિદિત છે કે આસારામ પાસે એક વોટબેંક પણ છે. શું એ જ કારણસર તેમના ચેલાઓ તેમના ગુરૂને જેલની યાતનાઓથી બચાવવા ગુજરાતમાં આસારામને કેટલીક સુખ સગવડો આપી રહ્યા છે ? જોધપુરની જેલમાં હતા ત્યારે મહિલા સાધ્વીની માગણી કરતા હતા પરંતુ રાજસ્થાનની પોલીસે કે કોર્ટે તેવી કોઈ જ સુવિધા આપવાનો ઈનકાર કર્યો હતો, પણ હવે ગુજરાતમાં તો વૈકુંઠ મળી ગયું છે. ગુજરાતમાં ત્રણ જિલ્લાઓની પોલીસની સુરક્ષા આસારામને મળી છે. પોલીસની હાજરીમાં જ સેવિકાઓ આસારામ સુધી પહોંચી જાય છે. આસારામને કોઈક પડીકું આપ્યાની વાત પણ ચર્ચાઈ રહી છે. રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો પર આસારામ અફીણ કે એવા કોઈ નશીલા દ્રવ્યના બંધાણી હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે. ગુજરાતની પોલીસ એરપોર્ટ પર પણ આસારામને વીઆઈપી- ગેટ દ્વારા બહાર લઈ જાય છે. ગુજરાતની પોલીસ આસારામને પગે લાગે છે. ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડની કચેરીમાં ત્રીજા માળે એરકન્ડિશન્ડ ઓફિસમાં તેમને સૂઈ જવાની વ્યવસ્થા કરાઈ હોવાની વાતો અખબારોમાં ચર્ચાઈ રહી છે. શું ગુજરાતની પોલીસ આસારામને તેમના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી સમજે છે ? ગુજરાત પોલીસનો બહુ વર્ગ પણ આસારામની વિરૂદ્ધ છે. તો પછી આ સુવિધા કોના ઈશારે અપાઈ રહી છે તે એક રહસ્ય છે. દિલ્હીના કોઈ વૃદ્ધ નેતા તો આસારામને બચાવવા મેદાનમાં આવ્યા નથી ને ?

આસારામ કહેશે તેમ-

એ વાત સુવિદિત છે કે આસારામના એક સમારંભમાં ગુજરાત સરકારના એક મંત્રી રમણલાલ વોરા એવું બોલ્યા હતા કે, ”આસારામ બાપુ કહેશે તે પ્રમાણે ગુજરાત સરકાર ચાલશે.” રમણલાલ વોરાના આ વક્તવ્યને ગુજરાતની ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ પણ દર્શાવ્યું છે. એ જ રીતે સરસ્વતી નદીમાં નર્મદાનાં નીર ઠાલવવામાં આવ્યાં તે પ્રસંગે આસારામ બાપુએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બાથમાં લઈ કહ્યું હતું કે સ્વામી રામદાસને તેમનો શિવા (ચેલો) મળી ગયો. શું ભારતીય જનતા પાર્ટી- એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ આસારામના શિષ્ય છે ? શું આ જ કારણસર ગુજરાતની કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડનાર લેન્ડ માફિયા એવા આસારામ સાથે ગુજરાત સરકારનું કૂણું વલણ રહ્યું છે ? શું આ જ કારણે દિપેશ- અભિષેક જેવા નાનાં બાળકોના રહસ્યમય મૃત્યુ માટે આસારામ સામે આરોપ હોવા છતાં ગુજરાતની પોલીસ હજુ આસારામને સ્પર્શતી નથી ? શું આ જ કારણસર ગાંધીનગરના સાનિધ્યમાં આવેલો આસારામનો મોટેરા આશ્રમ અનેક ગુનાઓના આરોપ ધરાવતો અડ્ડો બની ગયો છે ? શું આ જ કારણસર ગુજરાતના બે અખબારોના માલિકોને હત્યાની સોપારી આપવાનો આસારામ સામે એક તાંત્રિકે આરોપ મૂક્યો હોવા છતાં ગુજરાતની પોલીસ આસારામ સામે એફ.આઈ.આર. નોંધવા પણ તૈયાર નથી ?

મોદી વધુ લોકપ્રિય

નરેન્દ્ર મોદી દેશના એક શક્તિશાળી અને રાષ્ટ્રીય નેતા છે. ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર છે. માત્ર

ગુજરાતમાં નહીં પરંતુ ગુજરાતની બહાર અને વિદેશોમાં પણ લોકપ્રિય છે. હવે તો મુસ્લિમો પણ તેમના ચાહકો હોવાનું કહેવાય છે. ત્યારે દેશના આટલા તાકાતવર રાષ્ટ્રીય નેતાએ વ્યભિચાર, બળાત્કાર, મર્ડર તથા જમીનો પચાવી પાડનાર લેન્ડ માફિયા જેવા અનેક આરોપો ધરાવતા એક ખતરનાક આરોપી સામે લાચાર થઈ જવાની શું જરૂર છે ? શા માટે આખા પ્રશાસનને આસારામની સેવામાં તૈનાત કરી દેવામાં આવ્યું છે ? શું આસારામ જેવો દાવો કરે છે તેમ તેઓ મોદીના ગુરૂ છે ? કે પછી અડવાણીને રાજી કરવા તેઓ આસારામ પર કૃપા વરસાવી રહ્યા છે ? સાચી વાત એ છે કે મોદીની તાકાત આગળ આસારામની કોઈ જ વિસાત નથી. મોદી સ્વચ્છ પ્રતિભા ધરાવે છે જ્યારે આસારામની પ્રતિભા કલંક્તિ છે. આસારામને પોતાનો પરિવાર છે, ૪૦૦ જેટલા આશ્રમો છે, અબજોની સંપત્તિ છે. જ્યારે મોદીને પોતાનો કોઈ પરિવાર નથી, કોઈ અંગત માલમિલકત કે આશ્રમો નથી. આસારામ સામે અનેક કેસો છે, મોદી સામે કોઈ જ કેસ નથી. તો પછી મોદીની સરકારે આસારામથી ડરવાની શું જરૂર છે ? શું નરેન્દ્ર મોદીને ગુજરાતની કન્યાઓના યૌનપીડન અને મૃત્યુ પામેલા નાનકડા બાળકોની માતા- પિતાની વેદના સ્પર્શતી નથી ?

મોદીમાં પ્રજાને વિશ્વાસ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારની આસારામ ભક્તિ કદાચ થોડા વોટસ અપાવશે પરંતુ આસારામના કરતૂતો હવે દેશ સમક્ષ ખુલ્લા પડી ગયાં હોઈ દેશની આમ જનતાનો એક અતિવિશાળ અને જાગૃત વર્ગ આસારામને સારા માણસ ગણતો નથી. ભણેલા ગણેલા, મધ્યમ વર્ગના પરિવારો તેમની બહેન-દીકરીઓને આસારામના આશ્રમમાં મોકલવા હવે તૈયાર નથી. લાંબુ જીવવા માટે કુંવારિકાઓ સાથે સેક્સ કરવાના આરોપો ધરાવતા આસારામ સામે દેશની કરોડોની પ્રજા ગુસ્સામાં છે. આસારામની વિરૂદ્ધ દેશમાં પ્રચંડ જનમત ઊભો થયો છે. આસારામની તરફેણ કરનારાઓ આ બહુમતી વોટસ ગુમાવી શકે છે. આ વાતને ધ્યાનમાં લઈ નરેન્દ્ર મોદી જેવા સ્વપ્રતિભાવાન રાષ્ટ્રીય નેતાએ તમામ કાયદાકીય પગલાં લઈને દેશની કરોડો પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીતી લેવા જોઈએ. મોદી હવે રાષ્ટ્રીય નેતા બની ચુક્યા છે ત્યારે તેમણે આસારામથી અંતર રાખવું પણ જરૂરી છે. નરેન્દ્ર મોદીએ એ વાત સમજી લેવી જોઈએ કે તેઓ સ્વયં એક લોકપ્રિય નેતા છે જ્યારે આસારામ બદનામ વ્યક્તિ છે. મોદીએ તેમની કારકિર્દીની શરૂઆત ચણા,મમરા ખાઈને અને સંઘની ઓફિસમાં રહીને એક સાદગી ભર્યા પ્રચારક તરીકે કરી હતી જ્યારે આસારામે તેની કારકિર્દીની શરૂઆત દારૂ વેચવાના ધંધાથી શરૂ કરી હતી. આસારામને દારૂ સપ્લાય કરનાર કાળુજી આજે પણ ગાંધીનગરમાં હયાત છે. નરેન્દ્ર મોદીની તાકાત સામે આસારામ એક તણખલું છે. આસારામ સામે કડકમાં કડક પગલાં લઈ મોદીએ એક શક્તિશાળી નેતા તરીકે હવે આખા દેશ સમક્ષ દાખલો બેસાડવાની જરૂર છે. ગુજરાતની અને દેશની પ્રજાને નરેન્દ્ર મોદીની તાકાત અને નિયતમાં શ્રદ્ધા છે. મોદી લોકોનો એ વિશ્વાસ ડગવા નહીં દે તે તેમના ઉજળા ભવિષ્ય માટે અને રાજનૈતિક વ્યૂહની દૃષ્ટિએ પણ જરૂરી છે. ગુજરાતની કન્યાઓની લાજ લૂંટનારને સખ્ત સજા કરાવવા મોદી સમર્થ છે.

આજ ભી લાલુ, કલ ભી લાલુ, હમ ભી લાલુ, તુમ ભી લાલુ

આજ ભી લાલુ, કલ ભી લાલુ, હમ ભી લાલુ, તુમ ભી લાલુલાલુ પ્રસાદ યાદવ જેલમાં ગયા છે.

લાલુ કહેતા હતા કે, “જબ તક રહેગા સમોસે મેં આલુ, તબ તક રહેગા બિહાર મેં લાલુ.” લાલુ બિહારમાં નહીં, પણ રાંચીની જેલમાં છે.

લાલુએ એક પત્રકારને કહ્યું : તો ક્યા મૈં તુમ્હારી બીબી કો ચીફ મિનિસ્ટર બના દું ?”

લાલુની ખાસિયતો

લાલુ પ્રસાદ યાદવ તેમની રમૂજથી માંડીને ગ્રામ્ય શૈલી માટે જાણીતા રહ્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી તેઓ મુખ્યમંત્રીના અધિકૃત નિવાસસ્થાને ગાયો રાખતા હતા અને જાતે જ દોહવા બેસતા હતા. ટેલિવિઝન ન્યૂઝ ચેનલોના પત્રકારો મળવા જાય તો બાંય વગરની બંડી પહેરીને જ કેમેરા સામે આવતા હતા. તે જો ઝભ્ભો પહેરે તો હાથ કરતાં ઝભ્ભાની બાંય લાંબી રાખતા આવ્યા છે. પહેલાં નોનવેજ ખાતા હતા, પછી બંધ કર્યું અને ફરી નોનવેજ ચાલુ કર્યું. કેટલીક વખત જાતે જ રસોડામાં જઈ રસોઈ બનાવતા હતા. એક વખત દેશની અનેક નદીઓના જળ મંગાવી તે જળ એક સ્વિમિંગ પુલમાં નાખી તેમાં સ્નાન કર્યું હતું. રાબડીદેવીને પણ સ્નાન કરાવ્યું હતું. જેલમાં ના જવું પડે તે માટે એક તાંત્રિક બાવા પાસે વિધિ પણ કરાવી હતી, પરંતુ એ કાંઈ જ કામ ના આવ્યું.

લાલુની રમૂજો

લાલુ પ્રસાદ યાદવ તેમની રમૂજો માટે પણ જાણીતા હતા. તેઓ મુખ્યમંત્રી બન્યા પછી વારંવાર હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા ત્યારે કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! આપ તો ટેક્સી કી તરહ હેલિકોપ્ટર કા ઇસ્તેમાલ કરતે હો.”

ત્યારે લાલુએ જવાબ આપ્યો હતો : “અરે ભાઈ !વહ મશીન હૈં. ઇસકા ઇસ્તેમાલ નહીં કરેંગે તો વહ બીગડ જાયગા.”

ઘાસચારા કાંડમાં તેમની સામે ફરિયાદ થઈ અને પહેલીવાર જેલમાં જવાનું થયું ત્યારે તેમણે તેમનાં પત્ની રાબડીદેવીને મુખ્યમંત્રી બનાવી દીધાં હતાં, કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! આપને તો અપની બીબી કો સી.એમ. બના દિયા.”

તો લાલુએ જવાબ આપ્યો : “તો ક્યા તુમ્હારી બીબી કો સી.એમ. બના દું ?”

એકવાર લોકસભામાં ચર્ચા દરમિયાન તેઓ બોલ્યા હતા કે : “મૈં ભી પ્રધાનમંત્રી બનના ચાહતા હું.” તે પછી કોઈ પત્રકારે તેમને પૂછયું : “લાલુજી ! ક્યા આપ ભી પ્રધાનમંત્રી બનના ચાહતે હૈ ?”

તો લાલુએ પત્રકારને સામો પ્રશ્ન પૂછયો હતો : “ક્યા તુમ એડીટર બનના નહીં ચાહતે હો ?”

બે ગુરુબંધુઓ

લોકનાયક જયપ્રકાશ નારાયણના બે ચેલા પૈકી એક નીતીશકુમાર અને બીજા લાલુ પ્રસાદ યાદવ. બેઉ આજે એકબીજાની સામે છે. નીતીશકુમારની છબી એકંદરે સ્વચ્છ રહી છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવની છબી ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ૧૯૯૬માં બિહારમાં રૂ. ૯૫૦ કરોડનું ઘાસચારા કૌભાંડ જાહેરમાં આવ્યું હતું. જેમાં ઘાસચારો, દવાઓ અને પશુઓ માટેના આહારની ખરીદીનાં બોગસ બિલોથી રાજ્યની તિજોરી ખાલી કરી દેવામાં આવી હોવાનું ‘કેગ’ના રિપોર્ટમાં બહાર આવ્યું હતું. ‘કેગ’ના એ રિપોર્ટને લાલુ પ્રસાદ યાદવે વિધાનસભાના મેજ પર રજૂ કર્યો નહોતો. ૧૯૯૬માં બિહાર ભાજપાના પ્રમુખ સુશીલકુમાર મોદીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો હુકમ કર્યો અને સુપ્રીમ કોર્ટે પણ તેની પર મંજૂરીની મહોર મારતાં તા. ૨૪ જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ પોલીસે એફ.આઈ.આર. દાખલ કરી હતી. પરિણામ સ્વરૂપ લાલુ પ્રસાદ આજે જેલમાં છે.

લાલુની કારકિર્દી

આ કાનૂની પ્રક્રિયાને સંપૂર્ણ થતાં ૧૯ વર્ષ લાગ્યા છે. આટલાં વર્ષો દરમિયાન બિહારમાં લાલુ પ્રસાદે જાતિવાદના સહારે પોતાની રાજનીતિ ચલાવી હતી. તેઓ યાદવ અને મુસ્લિમોની ધરી બનાવી સત્તા પર આવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે બિહારને જાપાન બનાવી દેવાની અને બિહારની સડકોને હેમા માલિનીના ગાલ જેવી સુંવાળી અને ચમકીલી બનાવી દેવાની વાતો કહી હતી. આમ તો તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત માત્ર ૨૯ વર્ષની વયે જ શરૂ થઈ હતી. ૨૯ વર્ષની વયે તેઓ ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. તેના ૧૩ વર્ષ પછી તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા હતા અને પાછળથી કેન્દ્રમાં રેલવેમંત્રી બન્યા હતા. ૧૯૯૦માં એલ. કે. અડવાણીએ તેમની રથયાત્રા કાઢી ત્યારે બિહારમાં અડવાણીની ધરપકડ કરીને તેઓ જાણીતા બની ગયા હતા. કેન્દ્રમાં રેલવેમંત્રી બન્યા બાદ તેમણે રેલવેને નફો કરતી કરી દીધી હતી, પણ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, લાલુએ રેલવેની સંપત્તિ વેચી વેચીને ચોર દરવાજેથી તેનું ખાનગીકરણ શરૂ કર્યું હતું. રેલવેભાડાં નહીં વધારવા પાછળ સસ્તી લોકપ્રિયતા જ હાંસલ કરવાનો તેમનો દાવ હતો. તેમની વાતોથી પ્રભાવિત થઈને આઈઆઈએમ જેવી સંસ્થાઓએ પણ તેમને પ્રવચનો આપવા બોલાવ્યા હતા, પરંતુ લાલુનો અસલી ખેલ તેઓ જાણતા નહોતા એ વખતે આવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓને ખબર નહોતી કે જે વ્યક્તિ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પાઠ ભણાવી રહ્યા છે તે એક અપરાધી છે.

સમીકરણો બદલાશે

દિલ્હીની પ્રેસ ક્લબમાં જઈને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જે વટહુકમ ફાડીને ફેંકી દેવાની વાત કરી તે વટહુકમ પર જો રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ હોત તો ભારતની રાજનીતિમાં લાલુ જેવા મુજરીમોની લાઈન લાગી જાત. રાહુલ ગાંધીના આક્રોશ બાદ ગુનેગારોની રાજકીય કારકિર્દી બચાવે તેવા વટહુકમ પર હવે ફરી વિચારણા કરવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ અને વટહુકમ પાછો ખેંચવો પડયો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, રાહુલ ગાંધીના એક ગુસ્સાએ અનેક અપરાધીઓની રાજકીય કારકિર્દી પર બ્રેક મારી દીધી. લાલુને હવે સજા થતાં બિહારના મુસ્લિમો નીતીશકુમાર તરફ ઢળે તેવી શક્યતા છે. લાલુ હવે ચૂંટણી નહીં લડી શકે તેથી તેનો સીધો ફાયદો જનતાદળ-યુને થશે. રાહુલ ગાંધીના આ વટહુકમ પર આક્રોશ બાદ નીતીશકુમાર અને કોંગ્રેસ એકબીજાની વધુ નજીક આવશે. તેની સામે નારાજ થયેલા યાદવોને ભાજપા પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરશે. હવે લાલુની પાર્ટી નબળી પડશે જેથી બિહારમાં હવે ભાજપા અને જનતાદળ (યુ) વચ્ચે સીધો મુકાબલો થશે. બિહારમાં રામવિલાસ પાસવાન પણ એલજેપી નામની નાનકડી પાર્ટી ચલાવે છે. તેઓ હવે લાલુની પાર્ટી સાથેનું જોડાણ છોડી દેશે જે લાલુની આરજેડીનું વધુ ધોવાણ કરશે. અલબત્ત, લાલુ જેલમાં રહીને પણ રાજનીતિ ચલાવવાની આવડત ધરાવે છે. આ વખતે તેમાં તેઓ કેટલા કામિયાબ નીવડે છે તે જોવું રહ્યું. લાલુ જેલમાં જતાં પક્ષનું નેતૃત્વ લેવા બીજા ઘણા તૈયાર થઈ ગયા હતા, પરંતુ હવે સ્વસ્થતા ધારણ કર્યા બાદ તેમના પુત્ર તેજસ્વીએ જાહેર કર્યું છે કે, “આજ ભી લાલુ, કલ ભી લાલુ. હમ ભી લાલુ, તુમ ભી લાલુ.”

મતલબ કે લાલુ જેલમાંથી જ રાજનીતિ કરશે.

Powered by WordPress & Theme by Anders Norén