Devendra Patel

Journalist and Author

Date: August 5, 2013

શું ક્યામતના દિવસે પણ મારા ગુનાઓનો બોજ તું ઊંચકીશ ?

હજરત મોહંમદ (સલ્લ.)ના દેહાંત બાદ હજરત અબુ બક્ર (રદિ.) પણ થોડો જ સમય ખલીફા રહ્યા અને તેમનો પણ ઈન્તિકાલ થઈ ગયો. આ ટૂંકા સમયગાળામાં પણ તેમણે આરબ દેશને ઈસ્લામનો અનુયાયી બનાવી દીધો હતો. તેમના પછી હજરત ઉમર ખલીફા બન્યા. તેઓ આરબ રાષ્ટ્રના શક્તિશાળી સમ્રાટ હતા. એક દિવસ તેઓ મસ્જિદમાં અલ્લાહની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે અધવચ્ચેથી જ તેમને રોકતાં એક બુઢિયાએ મોટા અવાજે પૂછયું: ”હે ઉમર! પહેલાં તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો પછી જ હું તમારી વાત માનીશ. ગનીમતનું જે વસ્ત્ર મને મળ્યું હતું તેમાંથી મારો કુર્તો ના બની શક્યો. તમને પણ એટલું જ વસ્ત્ર પણ મળ્યું હતું તો તમારો કુર્તો કેવી રીતે બન્યો?”

શું ક્યામતના દિવસે પણ મારા ગુનાઓનો બોજ તું ઊંચકીશ ?

મસ્જિદમાં સન્નાટો છવાઈ ગયો. હજરત ઉંમરના ગુસ્સાવાળા સ્વભાવથી બધા પરિચિત હતા. લોકો ગભરાઈ ગયા કે હવે આ બુઢિયાની કત્લ જ કરી દેવાશે. પણ લોકોની ધારણાથી વિરુદ્ધ ઉમરે (રદિ.) વલણ લીધું. હવે તેઓ પહેલાંના ઉમર નહોતા. હવે તેઓ જનતાના સંરક્ષક અને વલી હતા. તેઓ શાસક હતા પણ એક એક પૈસાનો હિસાબ દેવાની જવાબદારી સમજતા હતા, અને એ જવાબ જનતાને અને પાલનકર્તાને પણ. ખૂબ જ નમ્રતાથી તેમણે કહ્યું: ”આ વૃદ્ધ મહિલાના સવાલનો જવાબ મારો પુત્ર અબ્દુલ્લા આપશે.”

હજરત અબ્દુલાહ (રદિ.) ઊભા થયા. તેઓ ધીમેથી બોલ્યાઃ ”ભાઈઓ ! ગનીમતનો જે હિસ્સો મારા પિતાજીને મળ્યો હતો તે વસ્ત્ર એક કુર્તો બનાવવા માટે પૂરતું નહોતું, તેથી મેં મારા ભાગમાં આવેલું વસ્ત્ર મારા પિતાને આપી દીધું. આમ બે હિસ્સા જોડીને મારા પિતાનો એક કુર્તો સીવડાવ્યો છે.”

મસ્જિદમાં બેઠેલા સહુ આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. બુઢિયા ડરી ગઈ અને ભયથી કાંપવા લાગી. માફી પણ માંગવા લાગી. પરંતુ હજરત ઉમરે એ બુઢિયાના સાહસને બિરદાવ્યું અને પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું: ”જ્યાં સુધી આ દેશમાં આવા લોકો જીવિત છે ત્યાં સુધી શાસન ભલાઈના માર્ગે ચાલશે. ભાઈઓ ! મારામાં કોઈ ભૂલ દેખાય તો મને જરૂરથી ટોકજો, જેથી હું સાચા રસ્તા પર ચાલી શકું.”

આ હતા મુસલમાનોના બીજા ખલીફા, જેના પગ નીચે અબજોનો ખજાનો હતો, પરંતુ એક પૈસો પણ તેમણે પોતાના માટે તેમાંથી ખર્ચ્યો નહોતો. ઈસ્લામની એ સુંદર શિક્ષા હતી, જેમાં રાજા અને પ્રજા વચ્ચે કોઈ જ અંતર નહોતું. આઠમી સદીના તેઓ મહાન સમ્રાટ હતા. એક દિવસ આખા નગરને સજાવવામાં આવ્યું હતું. બાળકો રંગબેરંગી વસ્ત્રો પહેરીને બજારમાં અને ગલીઓમાં ઘૂમી રહ્યા હતા. ઈદગાહમાં લોકો નમાજ પઢવા જઈ રહ્યા હતાં. એમાં ખલીફા પણ પોતાનાં બાળકો સાથે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. નગરના તમામ લોકોએ સુંદર નવાં વસ્ત્રો પહેર્યાં હતા. ત્યારે હજરત ઉમર ખલીફાનું ખમીસ જૂનું અને ફાટેલું હતું. કેટલીયે જગાએથી સાધેલું હતું. બાળકોએ પણ રોજ સ્કૂલમાં જતી વખતે પહેરવાનાં વસ્ત્રો પહેરેલાં હતા. એ સમયે ત્યાં ઊભેલી એક ગરીબ બુઢિયા કોઈ મદદ માંગવા ઈચ્છતી હતી પણ એમના દીદારને તે જોઈ જ રહી અને માંગવાનું મોકૂફ રાખ્યું. પણ એ વૃદ્ધાની તકલીફ સમજી જતાં હજરત ઉમર ખલીફાએ કહ્યું: ”બુઢ્ઢીમાં ! આપ મને ના જુઓ, હું તો આપનો સેવક છું. તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરી દેવામાં આવશે. મને ખલીફા એટલા માટે નથી બનાવાયો કે હું મારા ઐશોઆરામ માટે બધું ભેગું કરું. બોલો તમારે કઈ ચીજ વસ્તુની જરૂર છે.”

અને તરત જ ઉમર ખલીફાએ રાજ્યના ખજાનચીના નામે એક ચિઠ્ઠી લખી દીધી કે, ”આ વૃદ્ધાની તમામ જરૂરિયાતો પૂરી કરી દેવામાં આવે.”

એક અંધકારભરી રાતની વાત છે.

આઠમી સદીના મહાન સમ્રાટ હજરત ઉમર નિયમોનુસાર રાત્રીના સમયે સામાન્ય વસ્ત્રોમાં જ મદીનામાં લોકોની હાલત જોવા ચૂપચાપ નીકળ્યા હતા. તેમની સાથે તેમનો ગુલામ અસલમ પણ હતો. નગરથી થોડેક દૂર તેમણે સળગતી આગ જોઈ. તેમણે પોતાના ગુલામ અસલમને કહ્યું : ”અસલમ! લાગે છે કે, રાત્રે દૂરથી આવેલો કોઈ કાફલો અહીં આવીને રોકાઈ ગયો છે. ચાલ તેમની પાસે જઈને પુછીએ કે તેમને કોઈ ચીજની જરૂર તો નથી ને?”

ખલીફા તેમના સેવકને લઈ એ જલતી આગ તરફ ગયા. તેમણે નજીક જઈ જોયું તો એક ઔરત ત્યાં બેઠેલી હતી. ચૂલા પર હાંડી મૂકેલી હતી. ચૂલાની નીચે લાકડાં સળગતાં હતા અને એ મહિલાનાં બાળકો રડી રહ્યા હતાં.

ખલીફાએ પૂછયું: ”અહીં તમે શું કરી રહ્યાં છો?”

એ સ્ત્રીએ કહ્યું: ”અમારો કાફલો આગળ નીકળી ગયો છે. હું પાછળ રહી ગઈ છું. રાત અહીં જ રહીશ.”

ઉમર ખલીફાએ પૂછયું: ”પરંતુ આ બાળકો કેમ રડી રહ્યાં છે?”
એ મહિલાએ કહ્યું: ”બાળકો ભૂખ્યા થયા છે તેથી રડે છે.”
ઉમર ખલીફાએ પૂછયું: ”હાંડીમાં શું રંધાઈ રહ્યું છે?”

એ સ્ત્રીએ કહ્યું: ”હાંડીમાં ફક્ત પાણી જ છે. મારી પાસે અનાજ નથી.”

”તો ચૂલો કેમ સળગાવ્યો ?”

ઔરતે કહ્યું: ”કારણ કે બાળકો સળગતા ચૂલા પર હાંડી જોઈને ચૂપ થઈ જાય. રાહ જોતાં જોતાં થાકીને ઊંઘી તો જશે ને…. પણ ખુદાના ઘેર અમે જઈશું ત્યારે ઉમરથી બદલો લઈશું.”

ઉમર ખલીફાએ કહ્યું: ”પરંતુ ઉમરને કેવી રીતે ખબર કે તમારી પાસે રાંધવાનું કોઈ અનાજ નથી?”

એ સ્ત્રીએ ગુસ્સાથી કહ્યું: ”જો આટલા જ બેરહમ રહેવું હતું તો ઉમર અમારા ખલીફા કેમ બન્યા?
ઉમરે તેમના સેવક અસલમને બાજુમાં લઈ જતાં કહ્યું : ”ચાલો ભાગો અહીંથી.”

બંને જણ ભાગતા ભાગતા રાજ્યના અનાજના ગોદામ પર પહોંચ્યા. ગોદામમાંથી એક બોરી લોટ અને રસોઈનો બીજો સામાન પણ લીધો. ઉમર ખલીફાએ કહ્યું: ”અસલમ,આ ગુણ મારા માથા પર ચઢાવી દે.”

અસલમે કહ્યું: ”નહીં! અમીરુલ મોમીન, આ તો હું ઉઠાવી લઈશ.”

ઉમર બોલ્યાઃ ”અરે અસલમ! શું ક્યામતને દિવસે પણ મારા ગુનાઓનો બોજ તું ઉઠાવીશ? આ બોરી તું મારા માથા પર ચડાવી દે.”

અસલમે તે બોરી ઉમર ખલીફાના માથે ચઢાવી દીધી અને બેઉ દોડતા દોડતા નગરના છેવાડે રાત ગાળી રહેલી ઔરત પાસે પહોંચ્યાં. તેમણે લોટ અને રાંધવાના બીજા સામાનની બોરી તે મહિલાની સામે મૂકી દીધી. ઉમરે કહ્યું:”એ અલ્લાહના બંદાઓ, તમે હટી જાવ. હું જ રસોઈ પકાવી દઉં છું.” એમ કહી આગ ફૂંકવા લાગ્યા. આટો ગૂંદીને રોટી પકવવા લાગ્યા. બાળકોની માતા અને અસલમ તો આ દૃશ્ય જોઈ રહ્યાં. રસોઈ તૈયાર થઈ ગયાં બાદ તેમણે એ મહિલાને કહ્યું: ”હવે બાળકોને ખવરાવો.”

બાળકોએ નિરાંતે જમી લીધું ત્યાં સુધી તે બેઉ ત્યાં જ બેસી રહ્યા. તેઓ ઊભા થયા એટલે તે સ્ત્રી દુઆ દેતાં બોલીઃ ”અલ્લાહ,તમારું ભલું કરે. તમે જ અમીરુલ મોમીન હોવા જોઈએ. સ્વયં ખલીફા સિવાય આવું કોઈ જ કરી શકે નહીં.”

ઉમરે કહ્યું: ”કોઈ વાંધો નહીં. કાલે સવારે તમે જ્યારે અમીરુલ મોમીન પાસે આવશો ત્યારે હું પણ તમને ત્યાં જ મળીશ.”

એવું કહીને ઉમર ખલીફા તેમના સેવક સાથે રવાના થઈ ગયા. પહેલાં તેઓ પ્રજા પ્રત્યેની જવાબદારી પૂરી ના થવાથી સજાના ડરથી કાંપી રહ્યા હતા પરંતુ હવે એક મોટી જવાબદારી પૂરી કર્યાના આનંદથી સંતુષ્ઠ અને ખુશ હતા. આ હતા બે શક્તિશાળી રાજ્યો પર વિજય હાંસલ કરનાર અને સંપૂર્ણ ઈસ્લામી રાષ્ટ્રના આદર્શ સમ્રાટ હજરત ઉમર ખલીફા. આવા શાસકો આજે ક્યાં છે? આવા ખલીફા આજે ક્યાં છે? ખુદ ઈસ્લામી રાષ્ટ્રોમાં પણ આવા પ્રજાવત્સલ સત્તાધીશો ક્યાં છે? પવિત્ર કુઆર્નમાં રાજનીતિથી માંડીને દરેક વ્યક્તિનાં જીવનની આચારસંહિતા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપેલું છે. કુઆર્ને હકૂમત માટે જે આચારસંહિતા તૈયાર કરી એ તેમાંથી થોડાંક દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ (૧) ”કિસી જાન કો કત્લ ના કરો, જિસકે કત્લ કો અલ્લાહને હરામ કર દિયા હૈ,સિવાએ હક કે” (બની ઈસરાઈલ ૩૩) (૨) ”અપને ધન કો આપસ મેં અવૈધ રૂપ સે મત ખાઓ.” (બકરા- ૧૮૮) (૩) ”કોઈ ગિરોહ દૂસરે ગિરોહ કા મજાકના ઉડાયે…. ઔર એક દૂસરે કા અપમાન ના કરે. ઔર ન હી બુરે નામોં સે યાદ કરે, ના કોઈ કિસી કા પીઠ પીછે બુરાઈ બયાન કરે… (હુજરાત ૧૧-૧૨) (૪) ”અપને ઘરોં કે સિવા દૂસરે ઘરોં મેં બિના આજ્ઞા દાખિલ ન હો.” (નૂર-૨૭) (૫) ”ધર્મ કે વિષય મેં કિસી પર કોઈ જબરદસ્તી નહીં.” (બકરા-૨૫૬) (૬) ”ક્યા તૂ લોંગો કે મજબૂર કરેગા કિ મોમીન હો જાએ (ઐસા મત કરના)” (યુનુસ-૯૯) (૭) ”કિસી ઐસી બાત કે પીછે ન લગ જાઓ, જિસ કા તુમ્હે જ્ઞાન નહીં હૈ.” (બની ઈસરાયેલ-૩૬) (૮) ”ઔર ઉન કે ધન મેં માંગને વાલોં કા ઔર ઉનકા હક હૈં, જો પાને સે રહ ગયે (મજબૂર અને લાચારોનો હક) (જારિયાત-૧૯)

લાગે છે કે વિશ્વની તમામ પ્રજાઓ અને તમામ કોમોને ઈસ્લામની સાચી ઓળખથી પરિચિત કરાવવા જોઈએ. કુઆર્નની વાતો ખરેખર તો માનવીને શિતલ છાયા બક્ષનારી છે.

રમઝાનના પવિત્ર દિવસોમાં ઈસ્લામની એક સુંદર કથા વાંચકોને અર્પણ છે.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

લિક્વિડ વેપન : એસિડ એટેક

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.

વડોદરામાં રઝિયા નામની એક ટીનએજ કિશોરી શહેરની એક કોન્વેન્ટમાં ભણતી હતી. તે એક શિક્ષિત પરિવારની પુત્રી હતી. બારમા ધોરણમાં આવી ત્યારે એનું રૂપ ખીલી ઊઠયું. સ્કૂલ તેના ઘરથી થોડે જ દૂર હતી. રોજ ચાલીને જ સ્કૂલે જતી હતી. રસ્તા પરથી પસાર થાય તો લોકો એને જોઈ રહેતા. રસ્તામાં મોટર સાયકલ રિપેર કરવાનું એક ગેરેજ હતું. આ ગેરેજમાં કામ કરતા એક મુસ્લિમ મિકેનિકની તેની પર નજર હતી. તે અવારનવાર રસ્તા વચ્ચે રઝિયાને રોકી તેની સાથે વાત કરવા પ્રયાસ કરતો હતો. એક વાર એણે રઝિયાને રોકી તેની સાથે બહાર ફરવા આવવા માંગણી કરી. રઝિયાએ સાફ ઇન્કાર કરી દીધો. થોડા દિવસ પછી એણે ફરી રઝિયાને રોકતાં કહ્યું : “હું તને ચાહું છું.”

લિક્વિડ વેપન : એસિડ એટેક

રઝિયાએ મોં ફેરવી લીધું. થોડા દિવસ બાદ એ યુવકે તેને કહ્યું, “તું મને પ્રેમ નહીં કરે તો હું તારી જિંદગી બગાડી નાંખીશ.”

રઝિયા તેને વશ થઈ નહીં. તે રસ્તો બદલીને સ્કૂલે જવા લાગી. મોટર મિકેનિક રોજ તેના ઘર સામે ઊભો રહેતો.રઝિયા પરેશાન થઈ ગઈ. રઝિયાએ તેનાં માતા-પિતાને વાત કરી. રઝિયાનાં માતાપિતાએ ગેરેજના માલિકને ફરિયાદ કરી. ગેરેજ માલિકે તેના મિકેનિકને સખત ઠપકો આપ્યો. તે પછી બધું શાંત થઈ ગયું. મિકેનિક હવે રઝિયાનો રસ્તો રોકતો નહોતો.

કેટલાક સમય બાદ ઉનાળામાં રાત્રે રઝિયા તેના ઘરના કંપાઉન્ડમાં તેના પરિવારના સભ્યો સાથે સૂતી હતી. અડધી રાત્રે તેને લાગ્યું કે તેના ચહેરા પર કંઈક ભીનું ભીનું છે. તે જાગી ગઈ. થોડી ક્ષણો બાદ તેને અસહ્ય બળતરા ઊપડી. એણે બૂમાબૂમ કરી મૂકી. બીજા સભ્યો પણ જાગી ગયા. એમણે જોયું તો મિકેનિક દીવાલ કૂદીને ભાગતો હતો. એણે ઊંઘતી રઝિયાના ચહેરા પર એસિડ રેડી દીધો હતો. રઝિયા હવે કદરૂપી થઈ ચૂકી હતી. એણે આંખો ગુમાવી દીધી હતી. મિકેનિક પકડાઈ ગયો અને ભરી અદાલતમાં રઝિયાએ કહ્યું : “સાહેબ, એને જેલની સજા થાય એમ હું ઇચ્છતી નથી. એણે મારી સાથે જે કર્યું તે જ હું તેની સાથે કરવા માંગું છું.”

કોર્ટમાં હાજર સહુ સ્તબ્ધ થઈ રઝિયાની વાત સાંભળી રહ્યા. કોર્ટે મિકેનિકને યોગ્ય સજા પણ કરી, પરંતુ કદરૂપી થઈ ગયેલી રઝિયા એટલું જ બોલતી રહી. મારે રૂપ નહીં, રોશની જોઈએ છે.

કમનસીબે દેશ અને દુનિયાનું કોઈ વિજ્ઞાન તેને રોશની અપાવી શક્યું નહીં અને દુઃખી હાલતમાં રઝિયાએ આ દુનિયામાંથી વિદાય લીધી.

આવી ઘટનાઓ વર્ષોથી ભારતમાં ઘટતી રહી છે. ઘણાં વર્ષો બાદ ભારતની સર્વોચ્ચ અદાલતે એસિડ ફેંકનાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. નોંધનીય વાત એ છે કે એસિડ હંમેશાં સ્ત્રીઓ તરફ જ ફેંકવામાં આવે છે. હવે એસિડ ફેંકવાની ઘટના એક ગંભીર ગુનો ગણવામાં આવશે અને આવું કૃત્ય આદરનારને ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકશે. કેટલાંક રાજ્યો તો એસિડ ફેંકવાની ઘટનાને હવે હત્યાના ગુનાની બરાબર ગણવા માંગે છે તે આવકારદાયક છે.

આ પ્રકારના ગુનાઓ વકર્યા છે. તેનું એક કારણ એ પણ છે કે બજારમાં એસિડ આસાનીથી ઉપલબ્ધ છે. માત્ર એસિડ જ નહીં પરંતુ એસિડયુક્ત સામગ્રી રોજ વ્યવહારમાં વપરાય છે. જૂની મોટરકારોનાં રેડિયેટર્સ સાફ કરવાથી માંડીને બાથરૂમની ગંદી ટાઈલ્સ પરના ડાઘ દૂર કરવા એસિડ વપરાય છે. ફેરિયાઓ લારીઓમાં એસિડની બાટલીઓ લઈ વેચવા નીકળતા હોય છે. એસિડ એક સાવ સસ્તામાં મળતું ઘાતક શસ્ત્ર છે અને તેને પણ હવે બંદૂક કે રિવોલ્વરની કક્ષામાં મૂકવું જોઈએ.

અનુ મુકરજી નામની એક યુવતીની વાત સાંભળવા જેવી છે. એ કહે છેઃ એ બાટલીમાં ભરેલા પ્રવાહીની કિંમત માત્ર રૂપિયા ૩૦ હતી, પરંતુ માત્ર ૩૦ સેકંડમાં એ પ્રવાહીએ મારી જિંદગી બરબાદ કરી દીધી.

અનુ મુકરજી દિલ્હીની એક હોટેલમાં બાર ડાન્સર હતી. તેની વય ૩૨ વર્ષની છે. તેના રૂપથી ઈર્ષ્યા પામેલા તેના જ એક સાથી અને તેના કઝીને તેની પર એસિડ છાંટી દીધો. તે કદરૂપી તો થઈ ગઈ પણ આંધળી પણ થઈ ગઈ. એકમાત્ર અનુ જ તેના ઘરનું ભરણપોષણ કરતી હતી. હવે તે ખુદ બેસહારા થઈ ગઈ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક કેસમાં એસિડનો ભોગ બનેલી પીડિતાને રૂપિયા ત્રણ લાખની મદદ નક્કી કરી આપી. અનુ મુકરજીના કેસમાં તેના પર હુમલો કરનારાઓને પાંચ વર્ષની જેલની સજા કરી છે અને બે લાખ રૂપિયાનો દંડ કર્યો છે. અનુ મુકરજીને વળતર પેટે રૂપિયા ૧.૪૦ લાખ મળ્યા છે, પરંતુ તેના પરની શસ્ત્રક્રિયા અને સારવારનો ખર્ચ અત્યાર સુધીમાં રૂપિયા ૧૦ લાખ જેટલો થઈ ગયો છે. અત્યાર સુધીમાં તેની પર ૧૦ ઓપરેશન્સ થઈ ગયાં છે અને બીજાં દસ બાકી છે. બીજાં ૧૦ ઓપરેશનનું બીલ રૂપિયા ૩૦ લાખ જેટલું આવનાર છે. અનુ મુકરજીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી વધુ વળતર માટે અને તેના પર એસિડ છાંટનારાઓને જનમટીપની સજા કરવા માંગણી કરી છે.

અનુ મુકરજી જેવી કેટલીયે કરુણ કથાઓ ભારતીય સમાજમાં જોવા મળે છે. દેશમાં કેટલી સ્ત્રીઓ એસિડ એટેકનો ભોગ બને છે તેના અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ એસિડ સર્વાઇવર્સ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાના જણાવ્યા અનુસાર ૨૦૦૬થી ૨૦૧૧ દરમિયાન એકમાત્ર પશ્ચિમ બંગાળમાં જ ૭૭ જેટલા એસિડ એટેકના બનાવો નોંધાયા હતા. કર્ણાટકમાં ૧૯૯૮થી ૨૦૦૮ સુધીમાં એસિડ એટેકના ૭૦ બનાવો નોંધાયા હતા. નેશનલ વિમેન્સ કમિશનના જણાવ્યા અનુસાર એકમાત્ર ૨૦૧૨ની સાલમાં દેશમાં એસિડ એટેકના ૧૩ કિસ્સા નોંધાયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં આઠ કિસ્સા નોંધાયા છે.

એસિડ એટેકનો ભોગ બનનાર સ્ત્રીઓનું જીવન અત્યંત દુઃખદાયક બની જાય છે. કોઈ આંખો ગુમાવે છે તો કોઈ રૂપ, કોઈ ગળું ગુમાવે છે તો કોઈ ફેફસાં. એથીયે વધુ ખરાબ તો એ વાત છે કે લોકો એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ તરફ ટગર ટગર જોઈ રહે છે. સમાજનું આ વલણ સહુથી વધુ દુઃખદાયક છે. એસિડ એટેકનો ભોગ બનેલી પીડિતાઓની બાકીની જિંદગી હોસ્પિટલ અને અદાલતોનાં ચક્કર કાપવામાં જ પૂરી થઈ જાય છે. તેઓ નાણાકીય રીતે પણ બરબાદ થઈ જાય છે. તેમની સાથે કોઈ પરણતું નથી. પોતાના ખૌફનાક બની ગયેલા ચહેરાના કારણે તેઓ સ્વયં પોતાનો ચહેરો દર્પણમાં જોતાં ડરે છે. લોકો પણ તેમને જોઈ ભયભીત બની જાય છે. એસિડ એટેકનો ભોગ બનેલી સ્ત્રીઓ બહાર હોટેલમાં, રેસ્ટોરાંમાં કે થિયેટર્સમાં પણ જતા ક્ષોભ અનુભવે છે.

આવી પીડિતાઓના પુનર્વસન માટે ભાગ્યે જ કોઈ બહાર આવે છે. એક વાર એસિડ એટેકનો ભોગ બન્યા બાદ તેઓ જીવતા નર્ક જેવું જીવન જીવે છે. એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓને પણ બજારમાં ખરીદી કરવા જવાની ઇચ્છા હોય છે. તેમને પણ શેરીમાં જઈ ભાજીપાઉં કે ચાટ ખાવાની ઇચ્છા હોય છે પણ તેમને લઈ જાય કોણ? અને જાય તો લોકો તેમને જ જોઈ રહે છે. દુનિયાના ઘણા બધા દેશો હવે એસિડને લિક્વિડ વેપન ગણવા લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં એસિડ ફેંકનારને ૧૦ વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે. જનમટીપ પણ થઈ શકે છે. બાંગલાદેશમાં એસિડ ફેંકનારને મૃત્યુ દંડની સજાની જોગવાઈ છે. આફ્રિકામાં એકમાત્ર કંબોડિયા જ એવો દેશ છે કે જ્યાં સહુથી વધુ એસિડ એટેકના કિસ્સા બને છે. કમનસીબે કંબોડિયા પાસે એસિડ એટેક અટકાવવા કોઈ ચોક્કસ કાનૂન જ નથી. હા, તેને એક ગુનો ગણવામાં આવે છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ૧૯મી સદીમાં એસિડ એટેકના સહુથી વધુ કિસ્સા બનતા હતા, પરંતુ સામાજિક સભાનતા અને પોલીસ તથા ન્યાયતંત્રની જાગરૂકતાના કારણે હવે એસિડ એટેકના કિસ્સા એકદમ ઘટી ગયા છે. યુ.કે. ઇટાલી, અમેરિકા અને કેનેડામાં હવે માત્ર નહીંવત્ કિસ્સા જ બને છે. 

www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén