Devendra Patel

Journalist and Author

Date: June 17, 2013

‘આજે હું ફૂલોના ગજરા વેચી ગુજરાન ચલાવું છું’

એનું નામ સંજના છે.

એના હાથમાં ફૂલોનો ગજરો છે. બધાં જ ફૂલો મોગરાનાં છે. દિલ્હીના બદનામ જી.બી. રોડ પરની એક ગંદી બદનામ ગલીના ખૂણે ઊભેલી સંજના ફૂલોના ગજરા વેચવા ઊભી છે. રાતનો સમય છે. ચારે તરફ લોકોએ કચરો ફેંકલો છે. સારા લોકો પરિવાર સાથે અહીં આવાનું ટાળે છે. સંજનાની હવે ૫૪ વર્ષની વય છે. કોઈ જમાનામાં તે અત્યંત ખૂબસૂરત રહી હશે. એક સમયે તે આ ગલીની મશહૂર રૂપજીવીની હતી. હવે તેની પાસે યુવાની રહી નથી. ગ્રાહકો પણ આવતા નથી તેથી ફૂલોના ગજરા વેચીને તે જીવન નિર્વાહ કરે છે.

'આજે હું ફૂલોના ગજરા વેચી ગુજરાન ચલાવું છું'

આ વાત દિલ્હીના જી.બી. રોડની છે. દિલ્હીના મેટ્રો સ્ટેશનથી ઊતરીને અજમેરી ગેટના ઉત્તરે થઈ અહીં પહોંચી શકાય છે. અહીં એક જુદી જ પ્રકારનું દિલ્હી છે, કહે છે કે અહીં ‘ગોડ’ નહીં ‘ગોડેસીસ’ વસે છે, અલબત્ત, તે બધાના ચહેરા પર દુઃખનો વાદળોની છાયા છવાયેલી છે. ચુસાઈ ગયેલા દેહના કારણે કેટલીક તો ભરજુવાનીમાં મોટી વયની લાગે છે. કોઈ વટેમાગું ત્યાંથી પસાર થતો હોય તો બસ આટલું જ સાંભળવા મળે છેઃ ”રુકના… કહાં જાતા હૈ?… દેખ તો સહી.” ગ્રાહકોને લલચાવવા તે આમંત્રણ આપતી હોય તેમ બોલે છે.

દિલ્હીના લાહોરી ગેટથી ઉત્તરે અને અજમેરા ગેટથી દક્ષિણ સુધીનો આ વિસ્તાર નોટોરિયસ છે. આ રસ્તા પર રાત્રીના સમયે આવી હજારો સ્ત્રીઓ તેમનો દેહ વેચી ગુજરાન ચલાવે છે. આમ તો આ રોડનું નામ સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ છે. સ્વામી શ્રદ્ધાનંદ આર્ય સમાજી નેતા હતા. તેમનું ૧૯૨૬માં એક કટ્ટરવાદીએ ખૂન કરી નાખ્યું હતું. પણ આ રસ્તો અંગ્રેજોના સમયથી જી.બી. રોડ તરીકે જ ઓળખાય છે. જેના નામથી આ રસ્તો ઓળખાય છે તે અંગ્રેજનું નામ ‘ગાર્સ્ટીન બાસ્ટીઓન’ હતું. એ માણસ કોણ હતો તે કોઈ જાણતું નથી. કોઈને એ જાણવાની ઈચ્છા પણ નથી. કહેવાય છે કે ૧૮૫૭ના ગાળામાં તે બ્રિટીશ જનરલ હતો.

કોઈ કહે છે કે તે એક અંગ્રેજ અધિકારી હતો અને તેણે વર્ષોથી ચાલી આવતા દેહવેપારના ધંધાથી આ રોડને મુક્ત કરાવવા પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો.

આવા જી.બી. રોડના એક ખૂણામાં ઊભેલી સંજના કહે છેઃ ”હવે મારી ઉંમરના કારણે આ ધંધાથી બહાર થઈ ગઈ છું. દિવસે આ વિસ્તારના કોઠાઓમાં ઘરકામ કરું છું અને રાત્રે ગજરા વેચું છું. કોઠાઓનાં હું વાસણો ધોઉં છું. કપડાં ધોઉં છું. કોઠાઓમાં રહેતી યુવાન છોકરીઓ માટે શાકભાજી ખરીદી લાઉં છું. તેમના માટે રસોઈ બનાવું છું, હવે મારો બીજો કોઈ ઉપયોગ રહ્યો નથી.”

સંજના કહે છે : ”હું જ્યારે ૨૦ વર્ષની હતી ત્યારે મારી મોટી ડિમાન્ડ હતી. હવે મારા માટે કોઈ ગ્રાહક આવતો નથી. હા, કોઈ વાર મારા જૂના એક બે આશિક આવી ચડે છે, પણ કોઈક જ વાર.”

તે કહે છેઃ ”હું ૧૪ વર્ષની હતી ત્યારે એટલે કે ૧૯૭૦માં હું દિલ્હી આવી હતી. તે વખતે મારું લગ્ન થઈ ગયું હતું. હું ઉત્તરપ્રદેશના ગામડામાંથી આવું છું. મને મારો પતિ કોઈ કામના બહાને દિલ્હી લઈ આવ્યો હતો. જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર તે કોઈ નાસ્તો લેવાના બહાને મને પ્લેટફોર્મ પર એકલી મૂકીને ઈરાદાપૂર્વક જતો રહ્યો હતો. તે પછી એક માણસ મારી પાસે આવ્યો હતો. એણે મને ખાવાનું આપવાનું કહી આ વિસ્તારમાં લઈ આવ્યો હતો. બસ તે દિવસથી મારા પેટની ભૂખ મીટાવવા મેં શરણાગતિ સ્વીકારી લીધી હતી. હકીકતમાં મારા પતિએ મને એક કોઠાવાળાને વેચી દીધી હતી. એ દિવસથી હું જી.બી. રોડના એક કોઠાનો હિસ્સો બની ગઈ. કોઠાનો માલિક એ વખતે ૪૦ વર્ષની વયનો હતો.”

સંજના કહે છેઃ ”અહીં આવ્યા પછી મેં ઘણું બધું જાણ્યું. મારા કોઠાના માલિકે મને જી.બી. રોડનો ઈતિહાસ કહ્યો. દેશના ભાગલા થયા તે પહેલાં આ રોડ પર લોકો માત્ર દેહ ભોગવવા જ આવતા નહોતા. ભાગલા પહેલા દિલ્હી એક અનોખું શહેર હતું. ગરીબી હતી પણ દિલ્હીની એક આગવી ઓળખ હતી. દિલ્હીનું એક આગવું કલ્ચર હતું. આ વિસ્તારમાં રહેતી રૂપજીવીનીઓ મીર અને હાફિઝની શાયરી ગાતી. પ્રોસ્ટીટયૂટસ ર્પિશયન ગીતો ગાતી. મોગલોના જમાના કોઠાઓનું એક આગવું કલ્ચર હતું. મોગલ બાદશાહો આ વિસ્તારની રૂપજીવીનીઓને કે નર્તકીઓને તેમના દરબારમાં બોલાવતા. કેટલીક રૂપજીવીનીઓ તો કથક અને હિન્દુસ્તાની ગાયકીની શ્રેષ્ઠ નિષ્ણાત હતી.”

તે કહે છે : ” બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ભાગલા પહેલા જી.બી. રોડ પર રહેતી સ્ત્રીઓ નવાબી સંસ્કૃતિની રખેવાળ ગણાતી. એ વખતે અહીં રહેતી વેશ્યાઓ માત્ર વાસનાનું સાધન નહોતી. નવાબોના પુત્રોને વાણી, વર્તન અને વિવેક શીખવવા રૂપજીવીનીઓ પાસે મોકલવામાં આવતા. મોગલોના જમાનામાં રૂપજીવીનીઓને સમાજની ગંદકી ગણવામાં આવતી નહોતી. પણ સંસ્કૃતિનો એક ભાગ ગણવામાં આવતી હતી.”

પણ હવે એ બધું બદલાઈ ગયું છે. અહીં ગંદકી બંને પ્રકારની વધી છે, ગરીબી પણ વધી છે, ગ્રાહકો અને રૂપજીવીનીઓએ બેઉ માટે એચઆઈવીના જોખમો પણ વધ્યાં છે.

સંજના કહે છે : ભાગલા પહેલા તો આ વિસ્તારની રોનક રાત્રે જ જામતી. ગીત સંગીતના મધુર સ્વર સંભળાતા. ૭૦નાં દાયકાના અંતિમ વર્ષો સુધી અહીં બધું બરાબર હતું. ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી એ પહેલાં અહીં પોલીસ ભાગ્યે જ આવતી,કોઠામાં તો પ્રવેશતી જ નહીં. કટોકટીના ગાળામાં પોલીસ આવવા લાગી અને બધું જ બદલાઈ ગયું. શહેરનાં રઈસ લોકોએ અહીં આવવાનું બંધ કરી દીધું. તેમના બદલે ફાલતું લોકો આવવા લાગ્યા.ઈમરજન્સી પછી આવતા ગ્રાહકોને તત્કાળ સેક્સ જોઈતું હતું. કોઠાઓની અંદર જે નૃત્ય ખંડો હતા તેમાં નાચગાન બંધ થઈ ગયાં. કેટલાંક ડાન્સિંગ હોલ તો નાની નાની રૂમોમાં ફેરવાઈ ગયા.

મયંક ઓસ્ટિન સૂફી નામના લેખકે દિલ્હીના ‘રેડ લાઈટ’ એરિયા વિષે ”નો બડી કેન લવ યુ એની મોર’ પુસ્તક લખ્યું છે. તેમાં તે લખે છેઃ ”પહેલા એક માત્ર જી.બી. રોડ જ દિલ્હીનો રેડલાઈટ એરિયા હતો. હવે રેડલાઈટ એરિયા દિલ્હીની બહાર ચાલ્યો ગયો છે. સેક્સનું બજાર જ બદલાઈ ગયું છે. જી.બી. રોડના રેડલાઈટ એરિયાને મસાજ પાર્લરો, બ્યુટી સલૂનો તથા ફ્રેન્ડશિપ કલબોએ ઉજ્જડ અને વેરાન કરી દીધો છે. હવે ઈન્ટરનેટ પર જઈ કોલગર્લ શોધી શકાય છે, ફાઈવસ્ટાર હોટલોમાં ઊતરતા ધનવાનોને તથા કોર્પોરેટ કંપનીઓના બડા બડા એક્ઝિક્યુટીવ્સને કેટલીક એજન્સીઓ ”એસ્કોટર્સ” પૂરાં પાડે છે. આ એસ્કોટર્સ અત્યંત પ્રભાવશાળી, રૂપાળી અને ખૂબ સુંદર ઈંગ્લિશ જાણતી કોર્પોરેટ કલ્ચરની યુવતીઓ હોય છે. દિલ્હીમાં તો છેક ૧૯૮૦થી એક કંપની આવી એસ્કોટર્સ ર્સિવસ પૂરી પાડે છે. દિલ્હીમાં રહેતા કંવલજીત નામના એક શખસે આવી એસ્કોટર્સ ર્સિવસનો ધંધો શરૂ કર્યો હતો,તે આજે મહિને રૂ. ૧૦ લાખ કમાય છે. ૧૦૦ જેટલી પ્રોસ્ટીટયૂટસ તેની કંપની માટે કામ કરે છે. ૨૦૦૫માં કંવલજીતની ધરપકડ થઈ હતી. દિલ્હી પોલીસના આંકડા અનુસાર તેના સેક્સ ટ્રેડનો આંકડો ૫૦૦ કરોડનો હતો. કંવલજીત પકડાઈ ગયા બાદ એ ધંધો સોનું પંજાબણના હાથમાં ચાલ્યો ગયો હતો. સોનું પંજાબણના ગ્રાહકો મધ્યમવર્ગના હતા. દિલ્હી પોલીસે ૨૦૧૧માં તેને પણ પકડીને જેલમાં પૂરી દીધી હતી. દિલ્હીનું સેક્સ ટ્રેડ રેકેટસ હવે અનજાન હાથોમાં ચાલ્યું ગયું છે.

બદલાતા સમયમાં દિલ્હીના જી.બી.રોડે તેની આગવી સંસ્કૃતિ અને આગવી ઓળખ ગુમાવી છે. જી.બી. રોડ પર આજે પણ સંજના જેવી અનેક પૂર્વ અને વર્તમાન રૂપજીવીનીઓને રોજી આપતા ૮૦ જેટલા કોઠા આજે પણ હયાત છે. પણ જી.બી. રોડે તેની રોનક અને અસલિયત ગુમાવી દીધી છે. પહેલાં અહીં ગીત-સંગીતના શોખીન કળા પ્રેમીઓ આવતા હતા. હવે તો આ રસ્તા પર ધોળે દહાડે લૂંટી લે તેવા ગુંડાઓ ફરતા દેખાય છે.

(સંજના એ પરિવર્તીત નામ છે)

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

હવામાન માપવાની પદ્ધતિ પણ રાધાનાથે આપી

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.

પણ એક અંગ્રેજે સર્વે મેન્યુઅલ‘ પુસ્તકમાંથી રાધાનાથનું નામ ગાયબ કરી દીધું

માઉન્ટ એવરેસ્ટની ખોજ જ્યોર્જ એવરેસ્ટે નહીં પણ રાધાનાથ સિકદરે કરી હતી, પણ એ શ્રેય એ વખતની અંગ્રેજ સરકારે ભારતીય સર્વેયર રાધાનાથ સિકદરને કદી આપ્યું નહીં. આવું બીજા અનેક કિસ્સાઓમાં થયેલું છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સહુથી પહેલાં વાયરલેસ એટલે કે રેડિયો તરંગોની ખોજ કરી હતી, પરંતુ રેડિયોની શોધ કરવાનું શ્રેય માર્કોનીને આપી દેવામાં આવ્યું હતું. આવી જ જાલસાજી રાધાનાથ સિકદર સાથે થઈ હતી.

હવામાન માપવાની પદ્ધતિ પણ રાધાનાથે આપી

રાધાનાથ સિકદરે સર્વેના કામની સાથે સાથે ભારતના હવામાનના અભ્યાસની પણ જવાબદારી સંભાળી હતી. ઈ.સ.૧૮૫૨માં ભારતના મોસમ વિભાગના વડા વી.એલ. નિકસન નિવૃત્ત થતાં એ પદ પર બ્રિટિશ સરકારે રાધાનાથ સિકદરની નિમણૂક કરી. આ પદ સંભાળ્યા બાદ રાધાનાથે જોયું કે જે પદ્ધતિથી હવામાનની જાણકારી મેળવવામાં આવે છે તે પદ્ધતિ યોગ્ય નથી. એ વખતે તાપમાન સૂર્યોદય અને સૂર્યાસ્તના વખતે જ માપવામાં આવતું હતું, પરંતુ સૂરજ રોજ એક સમયે જ ઊગતો કે આથમતો નથી. તેથી તે હિસાબે તાપમાન માપવું ઠીક નથી એમ રાધાનાથને લાગ્યું. એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટલ કરેક્શન અથવા બાર કરેક્શન પદ્ધતિનો ઉપયોગ થતો નહોતો.

રાધાનાથે મોસમ વિભાગના વડા તરીકેનું પદ સંભળ્યા બાદ તાપમાન, હવાનું દબાણ, પવનની દિશા, પવનની ગતિ દર એક કલાકે માપવાનું અને તેનો રોજનો અને મહિનાનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું. યુરોપમાં એ વખતે ૩૨ ડિગ્રી ફેરનહાઈટને આધાર માની તાપમાનનું નિર્ધારણ શરૂ થઈ ગયું હતું, પરંતુ ભારતમાં એ વિષે કોઈ જ જાણકારી નહોતી. રાધાનાથે પોતાના મૌલિક વિચારોથી આ પદ્ધતિનો આવિષ્કાર કર્યો.

ઈ.સ. ૧૮૫૩થી આ કામ નિયમિતરૂપે શરૂ થયું. તે પછી વૈજ્ઞાનિક લેખો અને પત્રિકાઓમાં પણ એમની વાત સ્વીકારવામાં આવી. ૧૮૫૨થી ૧૮૭૭ સુધી રાધાનાથની પદ્ધતિ જ મોસમની જાણકારી માટે અમલમાં રહી. ઈ. સ. ૧૮૬૪માં કલકત્તામાં ભયંકર વાવાઝોડું આવ્યું. એની ગતિ માપવા માટે પણ બલાન ફોર્ડ અને ગેસ સ્ટ્રાલે રાધાનાથની પદ્ધતિની જ મદદ લીધી.

૧૮૫૬માં ભારતના હવામાના ખાતાના વડા તરીકેનું પદ સંભાળ્યા બાદ બીજા વર્ષે બંદરગાહ તરફથી આવતાં જહાજોનાં ‘ટાઈમ સિગ્નલિંગ’નો તેમણે ઉપયોગ કર્યો. સમુદ્રમાં આવનજાવન કરતાં જહાજો માટે ચોક્કસ સમયનું જ્ઞાન બેહદ જરૂરી હતું. એક બંદરથી બીજા બંદર પહોંચતા જ સમય પણ બદલાઈ જતો હતો. એ કારણથી જહાજોમાં રાખવામાં આવતી સમયસૂચિ અને હવામાનની જાણકારી વચ્ચે કોઈ તાલમેલ નહોતો. આ મુશ્કેલી દૂર કરવા રાધાનાથે બંદરો માટે ટાઈમ બોલ ચાલુ કર્યો, જેથી બદલાતા સમયની સાથોસાથ સાચો સ્થાનિક સમય પણ દર્શાવવાનું શરૂ થયું. જહાજો માટે આ એક મોટી સુવિધા સાબિત થઈ.

કેટલાંક વર્ષો પહેલાં એટલે કે ૧૯૭૫માં ભારત સરકારે તેના હવામાન વિભાગની ૧૦૦મી જયંતી ઊજવી, પરંતુ મોસમ વિભાગે રાધાનાથની બાબતમાં બે શબ્દ પણ ઉચ્ચાર્યા નહીં.

એ જ રીતે ભારત સરકારના સર્વે ઓફ ઇન્ડિયાએ પણ રાધાનાથની ધરાર અવગણના કરી છે. ઈ.સ. ૧૮૫૧માં કેપ્ટન એચ.એસ થુઈલરે અને કેપ્ટન એફ. સ્મિથે ‘સર્વે મેન્યુઅલ’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં જે પણ અધ્યાય ટેકનિકલ અને ગણિત સાથે સંકળાયેલા છે તે બાબુ રાધાનાથ સિકદરે લખેલા છે. એ સમયે ભારતની સર્વે પદ્ધતિ પર લખાયેલું આ એકમાત્ર પુસ્તક હતું. એ વિશાળ ગ્રંથનું ત્રીજું, પાંચમું, પંદરમું, વીસમું, એકવીસમું અને છવ્વીસમું પ્રકરણ રાધાનાથ સિકદરે લખેલું છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તે પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે તે વખતના સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેસર્વા થુઈલ નામના અંગ્રેજે રાધાનાથનું નામ ગાયબ કરી દીધું, કારણ કે એ પુસ્તકનો બધો જ શ્રેય એચ.એસ. થુઈલર પોતે લઈ લેવા માંગતા હતા.

થુઈલરે આમ એટલા માટે કર્યું, કારણ કે ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ તેના થોડા સમય પહેલાં જ રાધાનાથ સિકદર આ ફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા. થુઈલરની આ દગાખોરી સામે રાધાનાથના મૃત્યુનાં ૧૧ વર્ષ બાદ ઘણી મોટી હસ્તીઓએ અવાજ ઉઠાવ્યો, જેમાં કેટલાક અંગ્રેજો પણ સામેલ હતા.

આવા અંગ્રેજો પૈકી એક હતા લેફ્ટનન્ટ કર્નલ મેકડોનાલ્ડ. મેકડોનાલ્ડે એચ.એસ. થુઈલરના આ ષડ્યંત્રનો કરારો જવાબ આપતાં’ધી ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા’ નામના એ વખતના અખબારના તા. ૨૪ જૂન, ૧૮૭૬ના અંકમાં લખ્યું કે પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં જે વ્યક્તિએ વાયુની ગતિ, દબાણ, તાપમાનને યોગ્ય રીતે માપવાની પદ્ધતિ શરૂ કરી અને જે વ્યક્તિએ વિશ્વનું ઊંચામાં ઊંચું શિખર કયું છે તે નક્કી કરી આપ્યું તેનું શ્રેય બેઈમાનીથી થુઇલરે ચોરી લીધું છે. આ ડાકુગીરી એક વાર નહીં પણ ચાર વાર કરવામાં આવી છે. આનો ન્યાય થવો જોઈએ.

એક અંગ્રેજે બીજા અંગ્રેજ વિરુદ્ધ આવું સાફ લખતાં થુઈલર મેકડોનાલ્ડથી નારાજ થઈ ગયા અને બ્રિટિશ સરકાર સમક્ષ પોતાની બુરાઈ કરવા માટે મેકડોનાલ્ડ નામના અધિકારી પર કામ ચલાવવવા અરજી કરી. મેકડોનાલ્ડ સાચા હોવા છતાં થુઈલર તેમના ઉપરી હોવાના કારણે બ્રિટિશ સરકારે થુઈલરની ફરિયાદના આધારે મેકડોનાલ્ડને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા અને તેમને એક પદ ઉતારી પાડયા. બ્રિટિશ સરકારની આ કાર્યવાહીથી ત્યારે હોબાળો મચી ગયો. એ વખતનાં જાણીતાં અખબારો (૧) ધ ઇંગ્લિશમેન (૨) ધી ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા, (૩) ધી હિન્દુ વગેરેએ મેકડોનાલ્ડની હિંમત અને ઇમાનદારીની સરાહના કરી અને અંગ્રેજ સરકારની કડક આલોચના કરી. સાથે સાથે થુઈલરની પણ આલોચના કરી. મીડિયાના દબાણ સમક્ષ થુઈલરે નમવું પડયું અને ત્રીજી આવૃત્તિને ફરી સુધારીને બહાર પાડી અને એ પુસ્તકમાં રાધાનાથ સિકદરને ફરી એમનું સ્થાન મળ્યું.આ વાત ઈ.સ. ૧૮૮૭ની છે.

આમ તો ઈ.સ. ૧૮૬૨માં જ રાધાનાથ સિકદરે માત્ર ૪૯ વર્ષની વયે જ નોકરી છોડી દીધી હતી. નોકરી છોડયા બાદ તેઓ સરળ ભાષામાં વિજ્ઞાન સંબંધી લેખો લખતા રહ્યા હતા. જેથી સામાન્ય લોકોને પણ વિજ્ઞાન પ્રત્યે રુચિ અને જાગરૂકતા પેદા થાય.

રાધાનાથ સિકદર સ્ત્રીઓ શિક્ષિત બને તે માટે પણ પ્રયત્નશીલ હતા. આ હેતુથી તેમણે પૌરાણિક કથાઓનો સરળ ભાષામાં અનુવાદ કર્યો હતો. નારી શિક્ષાના પ્રસાર માટે બાલિકા વિદ્યાલય બેથુન સ્કૂલની સમિતિના સભ્ય પણ બન્યા હતા. તા. ૧૭મી મે, ૧૮૭૦ ના રોજ ૫૫ વર્ષની વયે તેઓ અચાનક મૃત્યુ પામ્યા.

હિમાલયનું સહુથી ઊંચું શિખર શોધી કાઢનાર રાધાનાથ સિકદરનું નામ ભારતના ઇતિહાસનાં પાનાંમાંથી ગાયબ છે. આજે લોકો માઉન્ટ એવરેસ્ટ, એવરેસ્ટ પર ચડનાર એડમંડ હિલેરી અને તેનસીંગને યાદ કરે છે પણ આ શિખરની ખોજ કરનારને કોઈ જાણતું નથી. માત્ર બ્રિટિશ સરકારે જ નહીં પણ આઝાદી પછીની ભારત સરકારે પણ રાધાનાથ સિકદર સાથે અન્યાય કર્યો છે. હવે તેમની ૨૦૦મી જયંતી આવી છે ત્યારે ભારત સરકારે એ ભૂલ સુધારી લઈને રાધાનાથ સિકદરને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. 

Powered by WordPress & Theme by Anders Norén