રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.
છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નંદકુમાર પટેલની હત્યા બાદ માઓવાદીઓએ તેમના મૃતદેહને આ રીતે ત્યજી દીધો હતો. નંદકુમાર પટેલની બાજુમાં જ બ્લૂ ચેક્સનું જે શર્ટ દેખાય છે તે તેમના પુત્ર દિનેશનો મૃતદેહ છે. નંદકુમાર પટેલના હાથ પાછળથી બાંધી દેવાયા હતા અને તે પછી તેમના ગળા પર અને પેટમાં ગોળીઓ મારવામાં આવી હતી.
છત્તીસગઢમાં જગદલપુરની ઘાટીમાં માઓવાદીઓએ લોહિયાળ ખેલ ખેલ્યો. માઓવાદના આંચળા હેઠળ ૧૦૦૦ જેટલા ભારતીય માઓવાદીઓએ ૨૮ જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરી નાંખી. પૂરા ત્રણ કલાક સુધી આ ખૂની ખેલ થતો રહ્યો. ત્રણ કલાક સુધી કોંગ્રેસના નેતાઓ પર ગોળીઓ વરસતી રહી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત અનેક લોકો માર્યા ગયા. આઘાતજનક વાત એ છે કે ત્રણ કલાક સુધી આ લોહીની હોળી ખેલાતી રહી, પરંતુ ના તો રાજ્ય સરકારના ગૃહખાતાને તેની ખબર પડી કે ના તો કેન્દ્રના ગૃહખાતાને. નોંધપાત્ર વાત એ છે કે માઓવાદીઓએ સહુથી પહેલી વાર કોઈ રાષ્ટ્રીય પાર્ટીને પોતાનું લક્ષ્ય બનાવ્યું. અત્યાર સુધી નકસલવાદીઓ કે માઓવાદીઓ કોઈ પોલીસ અધિકારી કે વહીવટી અધિકારીને પોતાનું નિશાન બનાવતા હતા, પરંતુ છત્તીસગઢનાં જંગલોમાં એક હજાર માઓવાદીઓએ જે કાંઈ કર્યું તે આતંકવાદી કૃત્ય નહીં પરંતુ ભારત સરકારની સામે માઓવાદીઓની રીતસરની બગાવત જ છે.
આ જંગલિયતભર્યું કૃત્ય કરનારા કોઈ પાકિસ્તાની નહોતા. ધર્ર્મઝનૂનથી ગુમરાહ થયેલા કોઈ કટ્ટરપંથીઓ નહોતા. તે બધા જ ભારતીય નાગરિકો હતા. નકસલ વિરોધી સંગઠન ‘સલવા જુડૂમ’ ના સંસ્થાપક મહેન્દ્ર કર્મા કે જેઓ કોંગ્રેસના આદિવાસી નેતા છે. તેમના પર માઓવાદીઓએ ૧૦૦ જેટલી ગોળીઓ મારી. કર્માના મૃતદેહ પર નૃત્ય કર્યું અને રાતભર મોતના આ તાંડવની ઉજવણી કરી.
ઓપરેશન ગ્રીનહંટ
ઉત્તરાખંડના માઓવાદીઓએ ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નંદકુમાર પટેલ અને ‘સલવા જૂડુમ’ સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર કર્માની હત્યા કરીને ‘ઓપરેશન ગ્રીન હંટ” અભિયાનનો બદલો લીધો છે. નંદકુમાર અગાઉની સરકાર વખતે રાજ્યના ગૃહમંત્રી હતા અને તે વખતે રાજ્યમાંથી માઓવાદને ખતમ કરવા “ઓપરેશન ગ્રીન હંટ”ના નામ હેઠળ નકસલ પ્રભાવિત જંગલોમાં સૈનિકો અને અર્ધ સૈનિક દળો તહેનાત કરી સશસ્ત્ર માઓવાદીઓની સાફસૂફીનું અભિયાન હાથ ધર્યું હતું. માઓવાદીઓ આ દળોને ખસેડવા માંગતા હતા. એ વખતે કેટલાક નકસલવાદીઓ માર્યા પણ ગયા હતા. તેનો બદલો લેવા નંદકુમાર પટેલ અને મહેન્દ્ર કર્મા સહિત કોંગ્રેસી નેતાઓની હત્યા કરી દેવાઈ. અત્રે એ જાણવું જરૂરી છે કે માઓવાદ પ્રભાવિત ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં સડક કેમ જતી નથી. માઓવાદીઓ સડક બનવા દેતા નથી. સ્કુલો, શરૂ કરવા દેતા નથી, વીજ થાંભલા નાંખવા દેતા નથી. કોઈ પોલીસ સ્ટેશન કે કોર્ટ પણ નથી. અહીં માઓવાદી નેતાઓના જ કાનૂન અને તેમનું રાજ ચાલે છે. દેશના વડાપ્રધાન કોણ છે તેની ગરીબ અને અભણ આદિવાસીઓને ખબર નથી. માઓવાદી નેતાઓ વિકાસના કામો થવા દેતાં જ નથી. અહીં જાણે કે ભારત સરકારનું રાજ જ નથી એવી પરિસ્થિતિ છે.
માઓવાદ વકર્યો
આશ્ચર્યની વાત એ છે કે દેશનાં કેટલાંક મોટાં રાજ્યોનું વિભાજન કરીને બનાવવામાં આવેલાં નાનાં નાનાં રાજ્યોમાં નકસલવાદ અથવા માઓવાદ વધુ વકર્યો છે. દેશનાં ૨૦ રાજ્યોના ૨૨૩ જિલ્લાઓ નકસલવાદથી વધુ પ્રભાવિત છે. દેશનો ૯૨ હજાર કિલોમીટરનો વિસ્તાર નકસલ – માઓવાદના પ્રભાવ હેળ છે. આ વિસ્તારોમાં ૨૦૦૦થી વધુ પોલીસ સ્ટેશન છે, પરંતુ તે બધું જ નિરર્થક. સરકારે ત્રણ વર્ષમાં થયેલા નકસલી હુમલાઓના આધાર પર જે ૨૬ જિલ્લાઓ સહુથી વધુ પ્રભાવિત માન્યા છે તેમાં ૮૦ ટકા હુમલા થયા. છે. છત્તીસગઢમાં બસ્તર, બીજાપુર, દંતેવાડા, કાંકેરા, કાંડોગાવ,નારાયણપુર, રાજનંદગાવ અને સુકમા માઓવાદથી પ્રભાવિત છે. ઝારખંડમાં ગઢવા, ગિરિહાડ, ગૂમણ, ખૂંટી, લાતેહાર, પલામૂ, સમડેગ અને પશ્ચિમ સિંહભૂમ પ્રભાવિત છે. બિહારમાં ઔરંગાબાદ, ગયા અને જુમઈ નકસલવાદીઓનો હોટ બેડ માનવામાં આવે છે. ઓરિસ્સામાં કોરાપુર,મલ્કાનગીરી અને બોલાનગીર નકસલવાદ પ્રભાવિત છે. આંધ્રપ્રદેશમાં ખમ્મમ, અને વિશાખાપટ્ટનમમાં નકસલવાદની આગ છે. મહારાષ્ટ્રમાં ગઢચિરોલી તથા પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ મીદનાપુર જિલ્લાઓમાં નકસલવાદ વકર્યો છે.
વર્ષ ૨૦૧૨માં ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડમાં નકસલવાદી હુમલાઓમાં ૩૦૦થી વધુ નાગરિકો માર્યા ગયા છે. ૧૧૪ જવાનો શહીદ થયા છે. ૭૪ નકસલીઓ માર્યા ગયા છે. ૧૮૮૨ નકસલી પકડાયા છે. ૧૩૪ જેટલા હુમલા સુરક્ષા બળો પર થયા છે. ૨૧૭ વખત સુરક્ષાદળોએ નકસલીઓને ઘેર્યા છે.
સહુથી મોટી ઘટનાઓ
૨૯ જૂન, ૨૦૦૮ ઓરિસ્સાના બેલિમિસા કુંડમાં નૌકામાં જઈ રહેલા પોલીસદળ પર હુમલો. ૩૮ જવાનો માર્યા ગયા.
૧૬ જુલાઈ, ૨૦૦૮ : ઓરિસ્સાના મલ્કાગિરિ જિલ્લામાં પોલીસવાનને સુરંગથી ઉડાવી દીધી. ૨૧ પોલીસકર્મીઓ માર્યા ગયા.
૨૨ મે, ૨૦૦૯ મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લાનાં જંગલોમાં પોલીસકર્મીઓ પર હુમલો થયો. ૧૬ પોલીસ જવાનો માર્યા ગયા.
૧૬ જૂન, ૨૦૦૯ ઝારખંડના પલામી જિલ્લામાં બારૂદી સુરંગથી વિસ્ફોટ. ૧૧ પોલીસ કર્મીઓ માર્યા ગયા.
૬ એપ્રિલ, ૨૦૧૦ દેતવાડા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર હુમલો. ૭૬ જવાનો માર્યા ગયા. ૫૦ ઘાયલ થયા.
૨૯ જૂન, ૨૦૧૦ છત્તીસગઢના નારાયણ જિલ્લામાં સીઆરપીએફનાં વાહનો પર હુમલો, ૧૫ જવાનોનાં મોત.
પ્રોક્સી વોર
આ ઘટનાઓને ગરીબ આદિવાસીઓના હક્ક માટેની લડત તરીકે હવે લઈ શકાય
નહીં. એ વાત સાચી છે કે નકસલવાદનો આરંભ ૧૯૬૭માં ગરીબ આદિવાસીઓના શોષણ વિરુદ્ધ તેમના હક્કો માટે ચારુ મજુમદાર અને કનુ સંન્યાલ દ્વારા થયો હતો. પશ્ચિમ બંગાળના સિલીગુડી જિલ્લાની પાસે આવેલા નકસલબાડી નામના વિસ્તારથી આ લડતની શરૂઆત થઈ હોઈ તેને નકસલવાદ નામ અપાયું, પરંતુ હવે છત્તીસગઢમાં જે ઘટનાઓ ઘટી તે નકસલવાદ નહીં પરંતુ ચીન અને પાકિસ્તાન પ્રેરિત માઓવાદ છે. ચીન ભારતના જંગલ વિસ્તારના લોકોને પૈસા, શસ્ત્રો,કોમ્પ્યુટર્સ અને લેટેસ્ટ સાધનો આપે છે.
આ કામ તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા કરે છે.
ચીન અને પાકિસ્તાનનો અસલી મકસદ ભારતના સાર્વભૌમત્વને અને બંધારણીય લોકશાહીને ખતમ કરવાનો છે. છત્તીસગઢની છેલ્લી લોહિયાળ ઘટના બાદ ૧૦૦૦ માઓવાદીઓએ લાશો પર પણ ફરીથી ગોળીબાર કરી માઓવાદ જિન્દાબાદનાં સૂત્રો પોકાર્યાં હતાં. માઓત્સે તુંગ તો ચીનના નેતા હતા, ભારતના નહીં. ભારતના નાગરિકો ચીનના નેતાનાં સૂત્રો પોકારે તે જ દર્શાવે છે કે ભારતના જ કેટલાક નાગરિકોએ ભારત સરકાર સામે બળવો પોકાર્યો છે. માઓવાદીઓએ ભારતના જ બંધારણ વિરુદ્ધ યુદ્ધનો આરંભ કર્યો છે. ચીન અને પાકિસ્તાનનું ભારત સાથેનું આ પ્રોક્સી વોર છે. આ બંને પડોશી દેશો ભારતની વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી દેવા માંગે છે. ભારતમાં એક ખૌફ પેદા કરવા માંગે છે. આવા દરીંદાઓ સાથે ભારત સરકારે અને જે તે રાજ્ય સરકારોએ સખ્ત હાથે કામ લેવાની જરૂર છે. તેઓ સમજદારી કે વિકાસની ભાષા સમજતા નથી. તેમને તેમની ભાષામાં જ જવાબ આપવો પડશે. જરૂર પડે તો ભારતના લશ્કરને પણ તહેનાત કરી આવા નકસલ – માઓવાદીઓની સાફસૂફીનું કામ સોંપવું પડશે. લાગે છે કે માઓવાદીઓનો પ્રશ્ન રાજનૈતિક રીતે ઉકેલાશે નહીં. તેમને શસ્ત્રની ભાષા જ સમજાય તેમ છે.
આ આતંકવાદ નથી.
આ કામ કરવા માટે રાજનૈતિક ઇચ્છાશક્તિની જરૂર છે. છેલ્લા કેટલાયે સમયથી છત્તીસગઢ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં માઓવાદીઓ આપણા પોલીસકર્મીઓ અને જવાનોને મોતને ઘાટ ઉતારતા રહ્યા છે અને આપણે એ નજારો ચૂપચાપ જોતા આવ્યા છીએ. એટલું જ નહીં પણ આવી ઘટનાઓ બાદ દેશના નેતાઓ એકબીજા પ્રત્યે આરોપો અને પ્રત્યારોપો કરવામાંથી નવરા પડતા નથી એ આ દેશની કમનસીબી છે. એટલું જ વિચારો કે અમેરિકાના કોઈ એક રાજ્યમાં ૧૦૦૦ અમેરિકનોએ અમેરિકાની જ કોઈ એક પાર્ટીના ૩૦ જણને મારી નાંખ્યા હોય તો તે કેવું ઓપરેશન હાથ ધરત?
ભારતની એ કમનસીબી છે કે ભારતના ક્રિકેટજગત પર ડોન દાઉદ રાજ કરે છે અને ભારતના ગરીબ આદિવાસી ઇલાકાઓમાં હવે ચીન અને પાકિસ્તાન રાજ કરે છે. માઓવાદના નામે ભારતીયો પર હુમલાની ઘટનાને રાષ્ટ્રદ્રોહની વ્યાખ્યામાં મૂકવી જોઈએ અને ચીને પાકિસ્તાને આપેલાં શસ્ત્રોથી લડતા માઓવાદીઓની સાફસૂફી કરી દેવી જોઈએ, કારણ કે આ આતંકવાદી ઘટના નહીં પરંતુ ભારતને અસ્થિર કરી દેવાની રાજનૈતિક ઘટના છે. માઓવાદીઓને દેશના દુશ્મનો તરીકે ગણવા જોઈએ. માઓવાદીઓ અને નકસલવાદીઓ પ્રત્યે હમદર્દી ધરાવનારા દંભી માનવ અધિકારીવાદીઓને પણ કિનારે કરી દેવા જોઈએ. કેટલાક પબ્લિસિટી ભૂખ્યા માનવ અધિકારવાદીઓ એક નકસલવાદી મરે છે તો બૂમરાણ મચાવી દે છે પણ સેંકડો નાગરિકો, પોલીસકર્મીઓ કે જવાનો મરે છે તો ચૂપ રહે છે .
ખનીજ સંપત્તિ પર નજર
સવાલ એ પણ છે કે છત્તીસગઢ અને ઝારખંડ જેવાં નવાં રાજ્યો શું માઓવાદીઓનો પગદંડો જમાવવા માટે રચવામાં આવ્યાં હતાં? શું માઓવાદીઓ બંદૂકની નાળથી લોકોને ડરાવતા રહે તે માટે આ રાજ્યો અલગ કરવામાં આવ્યાં હતાં? આ માઓવાદીઓએ ૧૯૯૦ના ગાળામાં પશ્ચિમ બંગાળના પુરુલિયા વિસ્તારમાં વિમાનમાંથી વિદેશી હથિયારો નીચે ફેંક્યાં હતાં તે ઘટનાનું રહસ્ય આજ સુધી ખૂલવા પામ્યું નથી. સરકારે એ વાત સમજી લેવાની જરૂર છે કે છત્તીસગઢ અને ઝારખંડની ભૂમિમાં અઢળક ખનીજ સંપત્તિ છે. અને તેની પર કેટલાકની નજર છે. જ્યાં આવી અપાર ખનીજ સંપદા છે ત્યાં જ માઓવાદીઓ બંદૂકની અણીએ ખૌફ પેદા કરે છે. અસલી રહસ્ય આ છે , માઓવાદીઓના માસ્ટર માઈન્ડ ગણપતિ અને ગગન્ના જેવા લોકોનો અસલી મકસદ આ ખનીજ સંપત્તિ લૂંટવાનો છે. તેઓ જો ગરીબ જ હોત તો તેમની પાસે એ.કે. ૫૬, આધુનિક શસ્ત્રો, લેપટોપ અને હિમાલિયન બ્રાન્ડની મિનરલ વોટરની બોટલ્સ ક્યાંથી આવી? ખરેખર તો ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડ જેવા વિસ્તારોના આદિવાસી યુવકોને ભારતની જ સેનામાં દાખલ કરી દઇ તેમને માઓવાદીઓની સામે મૂકી દેવા જોઈએ. ઝેરનું ઓસડ ઝેર જ.
www.devendrapatel.in
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "