દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારના રહસ્યમય ટ્રીપલ મર્ડર કેસનો ભેદ કેવી રીતે ઉકેલાયો ?
દિલ્હીની ગ્રેટર કૈલાસ કોલોનીમાં હજી સન્નાટો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની એક જીપ્સી વાન એસ. બ્લોકના એક બંગલા પાસે પહોંચી. ચોકીદારે પોલીસને ઇશારાથી કહ્યું : “સાબ, યહ બંગલેમેં કુછ હુઆ હૈ.”
“સહગલ સાબ, ઉનકી મેમસાબ ઔર નૌકર શેરસિંહ રાત કો એક ટેમ્પો યહાં સે ભાગા થા. અંદર સે ચીખને કી આવાજ મૈંને સુનીથી ઇસલિયે પુલીસ કો ફોન કિયા.”
પોલીસ ટોર્ચના પ્રકાશના સહારે બંગલામાં પ્રવેશ્યા. ડ્રોઇંગરૂમની ફર્શ પર લોહીનાં ડાઘ હતા. રૂમની બત્તી પ્રજવલિત કરવામાં આવી. પોલીસને ઠેર-ઠેર લોહીનાં નિશાન જોતાં જ ખ્યાલ આવી ગયો કે કોઇ ગંભીર ઘટના ઘટી ગઇ લાગે છે. ડ્રોઇંગરૂમના બધા જ સોફા ઊલટા પડયા હતા. કાચનું ટેબલ તૂટી ગયું હતું. કોઇ ખૂની ખેલ ખેલાઇ ગયો હોવાનું સ્પષ્ટ લાગતું હતું. બેડરૂમના પલંગ પર પણ લોહીનાં નિશાન હતાં. કબાટનું બારણું ખુલ્લું હતું. અંદરનો સામાન ગૂમ હતો. તિજોરીના લોકને તોડી નાંખવામાં આવ્યું હતું. અંદરનું ઝવેરાત ગાયબ હતું. અલબત્ત, બંગલામાં કોઇ મૃત કે ઘાયલ વ્યક્તિ હતી જ નહીં. પહેલી નજરમાં મામલો લૂંટનો લાગતો હતો. લૂંટારુ અને ઘરના સભ્યો વચ્ચે સંઘર્ષ થયાનું સ્પષ્ટ જણાતું હતું.
થોડીવારમાં ફોરેન્સિક લેબ.ના નિષ્ણાતો આવી પહોંચ્યા. ડો. દેવ અને તેમની ટીમે લોહીનાં નમૂના લીધા. ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવી. બે દિવસ બાદ ફોરેન્સિક લેબ.નો રિપોર્ટ આવી ગયો. પોલીસ પાસે બીજી કોઇ માહિતી હતી જ નહીં. સહગલ દંપતીનો પત્તો પણ નહોતો. ફોરેન્સિક લેબ.ના વડા ડો. દેવે કહ્યું : “ઇન્સ્પેકટર, મારી દૃષ્ટિએ સહગલ દંપતીની હત્યા થઇ ચૂકી છે. હત્યારા એક નહી પણ બે છે. અને હત્યારાઓમાં એક સ્ત્રી અને એક પુરુષ છે.
ઇન્સ્પકેટરે આશ્ચર્ય સાથે પૂછયું : “દેવ સાહેબ, બંગલામાંથી કોઇની લાશ તો મળી નથી. આ કેવી રીતે સંભવ છે? વળી ખૂનીઓ પૈકી એક સ્ત્રી અને એક પુરુષ છે એમ તમે કેવી રીતે કહી શકો?”
“તો શું સહગલ દંપતીની હત્યા તેમના નોકર શેરસિંહે જ કરી?”
“ના. સહગલ દંપતીની સાથે તેમના નોકરની પણ હત્યા થઇ ગઇ છે.”
પોલીસને ફોરેન્સિક લેબ.ના વડાની વાત પર વિશ્વાસ બેસતો નહોતો. છતાં ડો. દેવે દૃઢતાથી કહ્યું : “પુરુષ અને સ્ત્રીના યુગલમાં ગુનાખોરીમાં અગાઉ પકડાયેલા ગુનેગારોની હીસ્ટ્રી તપાસો. તમારી પાસે રેકોર્ડ હશે જ. એમાંથી જ કોઇ ગુનેગાર હશે.”
પોલીસે સ્ત્રી-પુરુષના યુગલમાં ચોરી કરતા ગુનેગારોની યાદી શોધી કાઢી. ત્રણ યુગલોને તેમના ભૂતકાળના રેકોર્ડસના આધારે પકડી લીધાં. પહેલા બે યુગલ મામૂલી ચોર નીકળ્યાં. પરંતુ ત્રીજા યુગલે થર્ડ ડિગ્રીનો અમલ થતાં જ ગુનો કબૂલ કરી લીધો : “હા સાહેબ, અમે જ સહગલ દંપતીની અને તેમના નોકર શેરસિંહની હત્યા કરી છે. અમે લૂંટ કરવા આવ્યા હતા પરંતુ એ લોકો જાગી જતાં એમણે બૂમરાણ મચાવી એટલે અમે ચાકુથી હુમલો કરી એ ત્રણેય જણને મારી નાખ્યાં.”
આ ટ્રીપલ મર્ડર કેસ માત્ર પાંચ દિવસમાં ઉકેલાઇ ગયો.પરંતુ પોલીસ ઇન્સ્પેકટરને મૂંઝવણ એ હતી કે ફોરેન્સિક લેબ.ની ટીમને કોઇપણ વ્યક્તિને કે લાશને જોયા વિના જ કેવી રીતે ખબર પડી કે ત્રણેય વ્યક્તિની હત્યા થઇ છે? તેમની આ દ્વિધાના ઉકેલ માટે ઇન્સ્પેકટર યાદવ બીજા દિવસે ફોરેન્સિક લેબ. પહોંચ્યા. તેમણે લેબ.ના વડા ડો. દેવને પૂછયું : “સાહેબ, તમે કેવી રીતે નક્કી કરી નાખ્યું કે ત્રણની હત્યા થઇ છે, અને હત્યારાઓમાં એક સ્ત્રી અને એક પુરુષ છે.”
ડો. દેવે સ્પષ્ટતા કરતા કહ્યું : “ઇન્સ્પેકટર, સહગલ દંપતીના બંગલામાંથી લોહીનાં નિશાન હતાં તે બધા જ અલગ-અલગ સ્થળે હતા. તે બધાના જ અમે અલગ અલગ નમૂના લીધા હતા. લોહીનાં નમૂનાની જ્યારે અમે તપાસ કરીએ છીએ ત્યારે અમને ખબર પડી જાય છે કે લોહીના એ નિશાન કોઈ જીવિત વ્યક્તિના છે કે મૃત વ્યક્તિના. વળી અમને એ પણ ખબર પડી જાય છે કે એ લોહી શિરાનં છે કે ધમનીનું. એજ રીતે અમને એ પણ ખબર પડી જાય છે કે લોહી કોઇ બાળકનું છે કે વયસ્કનું. એટલું જ નહીં એ લોહી કોઇ પુરુષનું છે કે સ્ત્રીનું એક પણ અમે નક્કી કરી શકીએ છીએ.”
“ઘટના સ્થળ પરથી લોહીનાં ડાઘના નમૂના લેતાં પહેલાં અમે તેની તસવીરો લઇએ છીએ જેથી ખબર પડે કે લોહીનાં ડાઘ ક્યાં ક્યાં હતા. લોહીનાં ડાઘ લાકડી, કપડાં, માટી કે કોઇ સામાન પર પડયાં હોય તો તે બધું જ અમે પ્રયોગશાળામાં લઇ આવીએ છીએ. વિશ્વમાં માનવીના લોહીને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યું છે. એ, બી, એબી અને ઓ. લોહીના નમૂનાઓનું રાસાયણિક પૃથક્કરણ કરવાથી ખબર પડી જાય છે કે તે કયા ગ્રૂપનું છે. સહગલ દંપતીના ઘરમાંથી મળેલાં લોહીના નમૂનાઓ પરથી અમોએ શોધી કાઢયું કે સહગલ દંપતિ અને તેમના નોકર ઉપરાંત હત્યારાઓના લોહીનાં ડાઘ પણ હતા.
“પરંતુ એ કેવી રીતે ખબર પડી કે કયો ડાઘ સહગલ દંપતીનો છે અને કયો નોકરનો? અને કયો ડાઘ હત્યારાનો? એક ગ્રૂપ લાખો લોકોનું હોય છે. વળી સંયોગથી સહગલ પતિ-પત્નીનું પણ એકજ ગ્રૂપ હોઇ શકે છે.”
ડો. દેવે કહ્યું : “તમારા સવાલો સાચા છે. માનવ રક્તમાં એ, બી, એબી, અને ઓ ઉપરાંત બીજી પણ કેટલીક રક્ત પ્રણાલીઓ છે. જેને અમે “આરએચ” કહીએ છીએ. તે બે પ્રકારના હોય છે. આરએચ નેગેટિવ અને આર એચ પોઝિટીવ. આ ઉપરાંત જેમાં આરએચ નથી તેને “આરએચટી” કહીએ છીએ. આ રીતે દરેક બ્લડગ્રુપનું આરએચ હોય છે. તેની સાથે પ્રત્યેક વ્યક્તિના લોહીમાં અલગ અલગ પ્રકારના પ્રતિજન અને એન્જાઇમનું હોય છે. જે એક ગ્રુપનું લોહી હોવા છતાં દરેક વ્યક્તિને બીજાથી અલગ કરે છે.”
“પરંતુ હત્યારાઓમાં એક વ્યક્તિ સ્ત્રી અને એક પુરુષ હતો એ કેવી રીતે નક્કી થયું?” : ઇન્સ્પેકેટરે સવાલ કર્યો.
ડો. દેવે સ્પષ્ટતા કરી : “મારી ટીમના સાથીઓએ સહગલ દંપતીના ઘરમાંથી તેમની એક મેડિકલ ફાઇલ શોધી કાઢી હતી. તેમાં સહગલ દંપતીના બ્લડનું ગ્રૂપ લખેલું હતું. તેના મિસ્ટર સહગલનું બ્લડ ગ્રુપ “બી-પ્લસ” હતું અને મિસીસ સહગલનું બ્લડ ગ્રૂપ “એ”હતું. તેમના નોકર શેરસિંહનું બ્લડ ગ્રૂપ “ઓ” હતું. બંગલામાંથી આ ત્રણેયના લોહીનાં નિશાન મળ્યા હતાં. એટલે કે હત્યારાઓએ તેમને ઘાયલ કર્યા હતા. લોહીના આ નમૂના ઉપરાંત ત્યાંથી “ઓ પોઝિટીવ” અને “બી” ગ્રૂપના રક્તના નમૂના પણ મળ્યા. જે આ ત્રણેય પૈકી કોઇનાયે નહોતા. મતલબ સાફ હતો કે ત્રણેય પર હૂમલો કરનાર વ્યક્તિઓ બે હતી, જેમના બ્લડ ગ્રૂપ “ઓ પોઝિટિવ” અને “બી” હતાં. લોહીનાં આ નમૂનાઓના પ્રતિજન અને એન્જાઇમ્સનું વિશ્લેષણ કરતાં તેમની ઉંમર પણ નક્કી કરી દેવાઇ.
“પણ તેમાં એક સ્ત્રી છે તે કેવી રીતે નક્કી થયું?”
ડો. દેવે વાત આગળ ચલાવી : “દરેક પુરુષની કોશિકાઓમાં “એક્સફોર” નામના ક્રોમોસોમ્સ હોય છે. જ્યારે સ્ત્રીઓની કોશિકાઓમાં “એક્સએક્સ” ક્રોમોસોમ્સ હોય છે. આ ક્રોમોસોમ્સ કોશિકાના કેન્દ્રમાં હોય છે અને તે લોહીના શ્વેત કણમાં હોય છે. આ રીતે સહગલ દંપતીના બંગલામાંથી મળેલા બે વધારાના લોહીના ડાઘના “બી” અને “ઓ” પોઝિટિવના નમૂનાઓના શ્વેતકણોની અને બારીકાઇથી તપાસ કરીને તે “બી” ના કેન્દ્રમાં “એકસ એક્સ”ક્રોમોસોન્સ દેખાયાં.જે કોઇ સ્ત્રીનું લોહી હોવાનો નિર્દેશ કરતું હતું. મતલબ કે હત્યારાઓ પૈકી કોઇ એક સ્ત્રી પણ છે. તે સાફ હતું.”
“પરંતુ સહગલ દંપતીના નોકરનું પણ ખૂન થઇ ગયું છે તે કેવી રીતે ખબર પડી?”
ડો. દેવે સ્પષ્ટતા કરતાં કહ્યું : “કારણ કે લોહીનાં એ નમૂનામાં ફાઇબ્રીન નહોતું. કોઇ જીવતી વ્યક્તિના શરીરમાંથી લોહી નીકળે છે ત્યારે તેમાંથી એક એવી પ્રક્રિયાનું નિર્માણ થાય છે જે ફાઇબ્રિન નામની રસાયણનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા લોહીને વહેતું અટકાવવા માટે કુદરતે બક્ષેલી બક્ષિસ છે. પરંતુ કોઇ વ્યક્તિ મૃત્યુ પામી ચૂકી હોય અને તેના મૃતદેહમાંથી લોહી નીકળતું હોય તો ફાઇબ્રિન બનાવવાની પ્રક્રિયા થતી નથી. તેથી તો રક્તમાં ફ્રાઇબ્રિન હોતુ નથી. એથી એ લોહીના નમૂના કોઇ જીવિત વ્યક્તિના છે કે મૃત વ્યક્તિના છે તે નક્કી થઇ શકે છે. સહગલ દંપતી અને નોકરના લોહીના નમૂના મૃત વ્યક્તિના છે તે પણ નક્કી થઇ શક્યુ. જ્યારે હત્યારાઓ માત્ર ઘાયલ થયા હતા તે પણ ફાઇબ્રિનના ટેસ્ટના આધારે નક્કી થઇ શક્યું.
તેમણે એક વાત વધુ વિસ્તારથી સમજાવી : “લોહીનાં જે નમૂનાઓમાં ફાઇબ્રિન હશે તે નમૂનાઓ ફર્શ પરથી પાપડીની જેવા દેખાશે. જ્યારે ફાઇબ્રિન વગરનું લોહી ચૂર્ણ જેવું બની જતું હોય છે. સહગલ દંપતીના ઘરમાં નોકરના લોહીના નમૂના પાપડી જેવા મળી આવ્યા હતા જ્યારે હત્યારાઓના રક્તના નમૂના ચૂર્ણ જેવા મળી આવ્યા હતા. આ રીતે અમે નક્કી કરી શક્યા કે ઘરમાં રહેનાર ત્રણેય વ્યક્તિની હત્યા થઇ ચૂકી છે. અને પોલીસને ગુમરાહ કરવા માટે જ હત્યારા સ્ત્રી-પુરુષે ત્રણેયની લાશ ટેમ્પોમાં નાખી ક્યાંક ફેંકી દીધી હતી.
પોલીસ ઇન્સ્પેકટરની તમામ દ્વિધાઓનો ઉકેલ આવી ગયો. એક અવાવરુ કૂવાઓમાં ફેંકી દેવાયેલી ત્રણેયની લાશનો કબજો લઇ લેવાયો.
દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારના આ ટ્રીપલ મર્ડર કેસનું રહસ્ય ફોરેન્સિક લેબ.ની ટીમે રેકોર્ડ સમયમાં ખોલી દીધું.
અપરાધ વિજ્ઞાનની કળાનો આ એક કલાસિક કિસ્સો છે.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "