Devendra Patel

Journalist and Author

Month: April 2013 (Page 2 of 2)

સુનિતા માતા બનવા માગે છે પણ નાસા રૂલબુક ના પાડે છે

ભારતીય મૂળની સુનિતા બેવાર અંતરીક્ષયાત્રા કરી ચૂકી છે. હાલ તેમની વય ૪૭ વર્ષની છે. અમેરિકાનાં એ સ્પેસ શટલ ‘એટલાન્ટિસ’ અને ‘ડિસ્કવરી’માં ઉડ્ડયન કરવાની તેમને તક મળી ચૂકી છે. અંતરીક્ષમાં રહેલા રશિયન સ્પેસ વેહિકલ સોયુઝમાં પણ કેટલોક સમય ગાળ્યો છે. તે કહે છે : “હું નાની હતી ત્યારે મેં કદીયે કલ્પના કરી નહોતી કે, એક દિવસ હું અંતરીક્ષયાત્રી બનીશ. શરૂઆતમાં ઘણી બધી નિષ્ફળતાઓ બાદ મને સફળતા મળી છે.”

સુનિતા વિલિયમ્સ એક અંતરીક્ષ પરી છે

૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫માં અમેરિકાના ઓહાયો પ્રાંતમાં જન્મેલી સુનિતાના પિતા ગુજરાતી છે અને માતા સ્લોવેનિયાનાં છે. અંતરીક્ષયાત્રા વખતે તેઓ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઉપનિષદ લઈ ગઈ હતી. અંતરીક્ષમાં સૌથી વધુ સમય વીતાવવાનો રેકોર્ડ ધરાવતી સુનિતા ભારતીય બાળકોની અંતરીક્ષ વિજ્ઞાનમાં રુચિ જોઈને પ્રભાવિત છે. તેઓ કહે છે : “ભારતનાં બાળકો અને યુવાનો પ્રતિભાનો ખજાનો છે. તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો ભવિષ્યમાં તેઓ બ્લેક હોલનું રહસ્ય ઉજાગર કરી શકશે.”

અંતરીક્ષમાં કુલ સાત વખત યાત્રા કરનાર સુનિતાએ આજ સુધીમાં કુલ ૫૦ કલાક અને ૪૦ મિનિટનું સ્પેસ વોક પણ કર્યું છે. તે કહે છે : “શરૂઆતમાં અંતરીક્ષમાં જતા પહેલાં હું નર્વસ હતી, પણ હવે ફરી એકવાર તક મળે તો હું અંતરીક્ષમાં જવા માગું છું. અંતરીક્ષયાત્રા અત્યંત જોખમી છે, પણ અંતરીક્ષની ખોજ ચાલુ જ રહેવી જોઈએ. મને ભારતના અને અમેરિકાના સ્માર્ટ બાળકોને જોઈને ઇર્ષા થાય છે. હું ૨૦ વર્ષ પાછળ જઈ ફરી યુવાન બની જવા માગું છું જેથી હું મારી કારકિર્દી ફરી શરૂ કરી શકું. મને લાગે છે કે નવી પેઢી નવા પડકારો ઝીલી લેવા તૈયાર છે.”

તે કહે છે : “હું જ્યારે નાની હતી ત્યારે એક વેટરનરી ડોક્ટર બનવા માગતી હતી, પરંતુ હું વેટરનરી ડોક્ટર ના બની તેનું કારણ મારે કઈ કોલેજમાં જવું તે હતું. વેટરનરીની એક કોલેજ ન્યૂયોર્કમાં હતી જેનાથી હું બહુ જ ડરી ગઈ હતી. હું બોસ્ટનમાં રહું છું. બોસ્ટન અને ન્યૂયોર્ક વચ્ચે એક પ્રકારની સ્પર્ધા-દુશ્મનાવટ છે. તેથી હું નેવલ એકેડેમીમાં ગઈ અને મેં સબમરીનમાં- જહાજમાં રહેવાનો અનુભવ લીધો. નેવીમાં હું હેલિકોપ્ટરની પાઈલટ બની. તે પછી મને લાગ્યું કે જો હું હેલિકોપ્ટર ઉડાડી શકું છું તો અંતરીક્ષયાન કેમ નહીં… અને આજે હું આપની સામે છું.”

કેટલાક અનુભવોનું વર્ણન કરતાં સુનિતા કહે છે : “છેલ્લી અંતરીક્ષયાત્રાનું ઉડ્ડયન શરૂ કરતાં પહેલાં ખ્રિસ્તી ધર્મગુરુ-પાદરીઓએ અંતરીક્ષયાત્રીઓની ટીમ પર પવિત્ર જળનો છંટકાવ કર્યો હતો. અંતરીક્ષમાં ગયા બાદ સ્નાન કરવાનું હોતું નથી તેથી પૃથ્વી પર જ છેલ્લું સ્નાન કરી લેવાનું હોય છે. અંતરીક્ષમાં પહોંચ્યા બાદના અનુભવો રોમાંચક હોય છે. તમારે વજનવિહીન દશામાં અંતરીક્ષ યાનમાં માછલીની જેમ હવામાં તરવાનું હોય છે. વાંદરાની જેમ કૂદકા મારવાના હોય છે. તમે પૃથ્વીથી ૨૫૦ માઈલ ઉપર જાવ એટલે આપણી પૃથ્વી ગોળ અને અત્યંત સુંદર લાગે છે. પ્રેક્ષણીય લાગે છે. પૃથ્વી પરના સમુદ્રો નીલા-ભૂરા લાગે છે. અંતરીક્ષમાં ગયા બાદ વિવિધ રાષ્ટ્રોના કોઈ રાજકીય સીમાડા દેખાતા નથી. બ્રહ્માંડની વિશાળતામાં તમારું કોઈ અસ્તિત્વ જ નથી એમ લાગે છે. અંતરીક્ષયાત્રા વખતે ૨૪ કલાકમાં ૧૬ સૂર્યોદય અને ૧૬ સૂર્યાસ્ત જોવા મળે છે. મને અંતરીક્ષમાં કદીયે કંટાળો આવ્યો નથી.”

તે કહે છે : “હું અધ્યાત્મવાદી વ્યક્તિ છું. હું અંતરીક્ષમાં હોઉં ત્યારે બીચ પર રોજ મારા ડોગ સાથે ફરવા જવાનું મિસ કરું છું. મારા હસબન્ડ મને ખૂબ જ પ્રોત્સાહન આપે છે. અત્યાર સુધી અંતરીક્ષયાત્રીઓ પુરુષોથી અને ગોરાઓથી પ્રભાવિત હતી, પરંતુ તમને તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. તમે કોઈ ટીમમાં જોડાઓ છો ત્યારે તમે તેમનાથી અલગ દેખાવ છો. માટે ટીમથી અલગ થવાનો પ્રયાસ ના કરો. તમને જે તક મળી છે તેની તરફ અને તમે જે છો તે તરફ જ ધ્યાન કેન્દ્રિત કરો.”

રશિયાના કઝાકીસ્તાન ખાતે આવેલા બિકાનૌર કોસ્મોડ્રોમથી ઊડતા પહેલાં અંતરીક્ષયાત્રીઓ કેટલીક વિધિઓ કરતાં હોય છે. દા.ત. અંતરીક્ષયાત્રીઓ અંતરીક્ષયાત્રા શરૂ કરતાં પહેલાં તેમના રૂમ્સનાં બારણાંની પાછળના ભાગે કેટલાક સંદેશાઓ લખી ચોંટાડતા હોય છે. સ્પેસ સેન્ટરની બહાર વૃક્ષો વાવે છે અને પાદરીઓ અંતરીક્ષયાત્રીઓ પર પવિત્ર જળ છાંટે છે.

સુનિતા કહે છે : અંતરીક્ષમાં ઘણી નાની નાની ઉલ્કાઓ ઊડતી હોય છે. તેનાથી બચવા એવી સૂક્ષ્મ ઉલ્કાઓનું પણ ટ્રેકિંગ કરવું પડે છે. કેટલીક ઉલ્કાઓ કલાકના ૧૭,૦૦૦ માઈલની ઝડપે ઊડતી હોય છે. તે સ્પેસ સ્ટેશન સાથે અથડાય તો ઘણું નુકસાન પહોંચાડી શકે છે. જેથી વારેવારે સ્પેસ સ્ટેશનનો એંગલ બદલતા રહેવું પડે છે. અંતરીક્ષયાત્રીઓ જે સ્પેસ સૂટ પહેરે છે તે પણ ૧૭ લેયર્સનો હોય છે. અંતરીક્ષમાં ગયા બાદ મગજમાં રહેલા પ્રવાહીમાં પણ ઘણાં ફેરફાર થઈ જાય છે. એ જ રીતે પૃથ્વી પર હોઈએ ત્યારે શરીરનું પ્રવાહી ચુંબકીય શક્તિના લીધે નીચે જાય છે, પરંતુ અંતરીક્ષમાં ચુંબકીય શક્તિ ના હોવાના કારણે શરીરની અંદરનું પ્રવાહી શરીરના ઉપરના ભાગમાં જાય છે, પરિણામે ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે અને આપણે યુવાન થઈ ગયા હોઈએ એમ લાગે છે. તે પછી પૃથ્વી પર આવીએ છીએ ત્યારે ગ્રેવિટીના કારણે શરીરની અંદરનું પ્રવાહી નીચેના ભાગમાં જતું રહે છે અને ફરી કરચલીઓ દેખાય છે.

તે કહે છે : “હવે ચંદ્ર પર પણ એક સ્પેસ સ્ટેશન ઊભું કરવું જોઈએ. ચંદ્ર પર અંતરીક્ષ સ્ટેશન સ્થપાશે તો બ્રહ્માંડનાં ઘણાં રહસ્યો ઉકેલવામાં તે મદદરૂપ સાબિત થશે. એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં આપણા યુવાનો મંગળ ગ્રહ પર પણ પગ મૂકવા સમર્થ બનશે.”

‘નાસા’ના નિયમો મુજબ સુનિતા વિલિયમ્સ કુદરતી માતૃત્વ ધારણ કરીને માતા બની શકે નહીં. અને કોઈ બાળકને પણ દત્તક લઈ શકે નહીં. હવે સુનિતાનું માતૃત્વનું સ્વપ્ન પૂરું કરવા માટે સુનિતાની બહેન કોઈ બાળક દત્તક લઈ શકે કે કેમ તે શક્યતાની તપાસ થઈ રહી છે. નાસાની રૂલબુક અત્યંત કડક છે. એક ગ્લોબલ બિઝનેસ ગ્રૂપ સુનિતા વિલિયમ્સને ગુજરાતમાં જમીન ભેટ આપવા માગતું હતું, પણ સુનિતાએ ઇનકાર કરી દીધો. એક ઉદ્યોગજૂથ સુનિતાને રૂ. ૨૫ લાખના બેંગલ્સ ભેટ આપવા માગતું હતું, પણ સુનિતાએ નાસાના નિયમ પ્રમાણે તેનો પણ ઇનકાર કરી દીધો.

‘નાસા’માંથી નિવૃત્ત થયા બાદ સુનિતા વિજ્ઞાન શિક્ષિકા બનવા માગે છે.

એ સુખદ્ આશ્ચર્યની વાત છે કે, દેશની અને ખાસ કરીને ગુજરાતની નવી પેઢીનાં બાળકો રાજકારણીઓને નહીં, પણ સુનિતા વિલિયમ્સને પોતાનો આદર્શ-રોલ મોડેલ માને છે.

– દેવેન્દ્ર પટેલ

ઉત્તર કોરિયા અમેરિકા પર અણુહુમલો કરે તો?

ઉત્તર કોરિયા અમેરિકા પર અણુહુમલો કરે તો?રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
ઉત્તર કોરિયા પાસે હવે ન્યુક્લિઅર બોમ્બ છે. ન્યુક્લિઅર બોમ્બને ફેંકવા માટે મિસાઈલ્સ પણ છે. એણે જરૃરી પરીક્ષણો કરી લીધાં છે. કોઈનીયે પરવા કર્યા વિના તે અમેરિકાને પણ પડકાર ફેંકે છે. ચીને વ્યક્ત કરેલી ચિંતાની પણ એને પરવા નથી. અમેરિકા પર પ્રહાર કરવાની પણ એ ધમકી ઉચ્ચારી ચૂક્યું છે. અમેરિકા પર ક્યાંયથી પણ અણુહુમલા માટે મિસાઈલ છોડવામાં આવે તો તેને આકાશમાંથી જ આંતરી આકાશમાં જ ઉડાડી દેવાની એક સિસ્ટમ છે. આ સિસ્ટમનું સંચાલન નોરાડ નામનું એક લશ્કરી ઓર્ગેનાઇઝેશન કરે છે. ‘નોરાડ’ નો ઉદ્ભવ આમ તો શિતયુદ્ધ દરમિયાન રશિયાના સંભવિત હુમલાને ખાળવા થયો હતો, પરંતુ ઉત્તર કોરિયાની ધમકી બાદ અમેરિકાએ ફરી એક વાર નોરાડને સતર્ક કરી દીધું છે.

ભારત પર હુમલો થાય તો ચીન ભારતને મદદ કરી શકે તેમ નથી. પાકિસ્તાન મદદ કરી શકે તેમ નથી. બાંગલાદેશ કે શ્રીલંકા પણ મદદ કરી શકે તેમ નથી, કારણ કે ભારતના તમામ પડોશી દેશ સાથે એક યા બીજા પ્રકારનો સંઘર્ષ છે. એથી ઉલટું વિશ્વમાં એકમાત્ર અમેરિકા અને કેનેડા જ એવા પડોશી દેશ છે કે હજારો કિલોમીટર દૂરથી પણ કોઈ દેશ તેમની પર બોમ્બ ઝીંકવા ઇન્ટિક કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ છોડે તો એ મિસાઈલને આકાશમાં ઉડાડી દેવા આ બંને દેશોેએ ભેગા મળીને નોરાડ નામનું એક ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે.

નોરાડ એટલે શું ?
નોરાડનું આખું નામ ધી નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ છે. અમેરિકા અને કેનેડા વચ્ચે થયેલી સમજૂતીના આધારે આ ઓર્ગેનાઇઝેશન અસ્તિત્વમાં આવ્યું છે. આ ઓર્ગેનાઈઝેશનનું કામ છે બહારથી આવતી કોઈ પણ મિસાઈલને ઓળખી અને અગાઉથી એક બીજા દેશને ચેતવી દેવા. એક બીજા દેશો પર કોઈ પણ અજાણ્યું વિમાન, મિસાઈલ કે અંતરીક્ષયાન આવતું હોય તો તેના શક્તિશાળી રડાર તેને શોધી કાઢે છે અને નોર્થ અમેરિકા કે કેનેડા પરના સંભવિત હવાઈ ન્યુક્લિઅર હુમલાને સમયસર ખાળી દે છે. આ કામ માટે અમેરિકા અને કેનેડા એ બેઉ દેશોએ એકબીજા સાથે સમજણ ઊભી કરી છે. બંને દેશોના આકાશનું સાર્વભૌમત્વ જળવાઈ રહે તે માટેની ગોઠવણ હતી પરંતુ હવે તાજેતરમાં જ કરેલ નવી ગોઠવણ પ્રમાણે એ સમજૂતીમાં બેઉ દેશની દરિયાઈ સાર્વભૌમત્વની સુરક્ષા પણ સામેલ કરવામાં આવી છે. ટૂંકમાં અમેરિકાની કે કેનેડાની માલિકીની આકાશી અને દરિયાઈ સરહદોમાં કોઈ પણ દુશ્મન દેશ ઘૂસણખોરી કરે તો અગાઉથી ચેતવણી આપવાનું કામ નોરાડ કરે છે.

નોરાડનો ઇતિહાસ
વર્ષો પહેલાં અમેરિકા અને રશિયા વચ્ચે ભયંકર તનાવ હતો. બેઉ દેશો વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું. અમેરિકાને સતત એવી દહેશત હતી કે રશિયા ગમે ત્યારે તેની પર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ દ્વારા ન્યુક્લિઅર બોમ્બ ઝીંકી દેશે. એવો જ ભય રશિયાને અમેરિકા તરફથી હતો. એ વર્ષોમાં રશિયાએ હજારો કિલોમીટર દૂર જઈ પ્રહાર કરી શકે તેવી લોંગ રેન્જ મિસાઈલ્સ વિકસાવી હતી. ૧૯૫૦ના ગાળામાં આ દહેશત વધુ હોવાના લીધે અમેરિકા અને કેનેડા તેમની આકાશી સરહદોની રક્ષા માટે એક થયાં. એટલાન્ટિક કે પેસિફિક દરિયામાંથી ગમે ત્યારે હુમલો આવે તેવો તેમને ડર હતો. તે માટે તેમણે દરિયામાં અર્લી ર્વોિંનગ સિસ્ટમનું કામ નેવીને સોંપ્યું હતું. ૧૯૫૦માં અમેરિકા અને કેનેડા રશિયાના સંભવિત હુમલાથી બચવા કેટલાંક સંયુક્ત રડાર મથકો ઊભા કરવા સંમત થયા હતા. આ કામ ૧૯૫૪માં પૂરું થયું અને તેના ભાગરૃપે દક્ષિણ કેનેડામાં ૩૩ રડાર મથકો ઊભાં કરવામાં આવ્યાં. તેમાં ઘણી ટેકનિકલ ખામીઓ રહી જતાં ૧૯૫૭માં કેટલાંક વધુ રડારમથકો ઊભાં કરવામાં આવ્યાં. કેટલાંક નીચે ઊડતાં હવાઈજહાજોને રડાર પકડી શકતાં ના હોઈ ડોપ્લર રડાર ઊભાં કરવામાં આવ્યાં. આ રડાર ૪૮૦ કિલોમીટર સુધી પથરાયેલાં હતાં. તે પછી ૧૯૫૭માં ‘ડિસ્ટન્ટ અર્લી ર્વોિંનગ લાઈન’ પૂરી કરવામાં આવી . આ સિસ્ટમ માટે ૫૮ રડારમથકો કાર્યરત કરવામાં આવ્યાં. કોઈ પણ માનવ વસ્તીવાળા શહેર પર દુશ્મનનો હવાઈ હુમલો થાય તેના ત્રણ કલાક અગાઉ ચેતવણી આપવાની આ સિસ્ટમમાં ગોઠવણ હતી એટલે કે ન્યૂયોર્ક પર હુમલો થવાનો હોય તો ન્યૂયોર્કના લોકોને ખસેડવા માટે ત્રણ કલાકનો સમયગાળો મળી રહે તેવી અર્લી ર્વોિંનગ સિસ્ટમ વિકસિત કરવામાં આવી હતી, પરંતુ આ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ જટિલ હતી અને તેની સામે અનેક પડકારો હોઈ અમેરિકા અને કેનેડાએ તા. ૧૨મી, મે ૧૯૫૮ના રોજ એક સમજૂતી પર હસ્તાક્ષર કરી નોરાડની રચના કરી.

કેટલીક ક્ષતિઓ
૧૯૬૦ના ગાળામાં નોરાડ હેઠળ
૨૫,૦૦૦ જેટલા લશ્કરી સૈનિકો કામ કરતા હતા. તેના આરોહ અવરોહ પણ આવ્યા અને વર્ષો બાદ તેનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્યું. તેનાં પરિક્ષણો દરમિયાન કેટલીક નિષ્ફળતાઓ પણ મળી અને તે કારણે તેમાં જરૃરી ફેરફારો પણ કરવામાં આવ્યા. વર્ષો બાદ અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ સમાપ્ત થઈ જતા નોરાડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને અમેરિકામાં ન્યૂયોર્ક પર નાઈન ઇલેવનની ઘટના બાદ અમેરિકા ફરી જાગૃત થઈ ગયું, કારણ કે આ વખતે અમેરિકામાંથી જ ઊડેલાં વિમાનોનો કબજો ત્રાસવાદીઓએ લઈ લીધો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે નાગરિક વિમાન ટકરાવી દીધું. નોરાડનો મુખ્ય કમાન્ડ સેન્ટર કોલોરાડો ખાતે આવેલા ચેચેન પર્વતો પર છે. એ સાઇટ્સને વધુ અપગ્રેડ કરવામાં આવી છે. આ સ્થળની જટિલ તપાસ કરવામાં

આવી, કારણ કે બે વખત તેની સિસ્ટમ નિષ્ફળ નીવડી હતી. તા. ૯ નવેમ્બર, ૧૯૭૯માં આવું બન્યું હતું. બીજો મોટો ખતરો એ હતો કે ધારો કે નોરાડ ટેકનિકલ ભૂલથી ખોટી ચેતવણી આપી દે અને અમેરિકા કે કેનેડા ભૂલથી ન્યુક્લિઅર મિસાઈલનું બટન દબાવી દે તો અણુયુદ્ધ પણ થઈ જાય. આવી જ ભૂલ તા. ૨ જૂન, ૧૯૮૦ રોજ કોમ્પ્યુટર કોમ્યુનિકેશન્સ ડિવાઇસ ફેઈલ થવાના કારણે થઈ હતી. એના કારણે અમેરિકાના એર ડિફેન્સ કંટ્રોલના સ્ક્રીન પર ખોટી ર્વોિંનગનો મેસેજ પહોંચી ગયો હતો. એ વખતે પેસિફિક એરફોર્સનાં હવામાં ઊડી રહેલાં યુદ્ધ વિમાનો ન્યુક્લિઅર બોમ્બથી સજ્જ હતાં. જો તેમણે ન્યુક્લિઅર મિસાઈલો છોડી દીધી હોત તો ભયંકર હોનારત થઈ જાત. હવે એ ક્ષતિઓ નિવારી લીધી હોવાનો દાવો કરાય છે, પરંતુ અમેરિકા તેની ક્ષતિઓ ઘણી વાર છુપાવે છે.

નોરાડનું કામ ક્રિટિકલ મિશન પાર પાડવાનું છે. નોરાડને એક કમાન્ડર હોય છે અને કમાન્ડરની નિમણૂક અમેરિકાના પ્રેસિડેન્ટ અને કેનેડાના વડાપ્રધાન સાથે મળીને કરે છે. એ કમાન્ડર અમેરિકાના પ્રેસિડેન્ટ અને કેનેડાના વડાપ્રધાનને જ જવાબદાર રહે છે. તેમનું હેડ ક્વાર્ટર કોલોરાડો ખાતે આવેલું પીટરસન એરફોર્સ બેઝ છે. તે પછીનું સર્બોિડનેટ હેડ ક્વાર્ટર એલમેન્ડ્રોફ એરફોર્સ બેઝ, અલાસ્કા, (૨) કેનેડિયન એરફોર્સ બેઝ, વીનીપેગ અને (૩) તિન્ડાલ એરફોર્સ બેઝ, ફ્લોરિડા ખાતે આવેલાં છે. આ જટિલ કામગીરી માટે નોરાડ અનેક ઉપગ્રહો, અનેક રડારમથકો અને વિમાનોનો ઉપયોગ કરે છે.

નોરાડ હવે નીચે ઊડતાં પ્રાઇવેટ વિમાનો દ્વારા ડ્રગ ટ્રાફિકિંગ પર પણ નજર રાખે છે. નોરાડને એવી ખબર પડે કે કોઈ નાનું વિમાન ડ્રગ્સની હેરાફેરી કરે છે તો સ્થાનિક લિગલ એજન્સીઓને માહિતી પહોંચાડી દે છે.

નોરાડની શરૃઆતની ટેકનિકલ ક્ષતિઓને બાદ કરતાં તેની કામગીરી અમેરિકા અને કેનેડા એમ બેઉ દેશો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે. નોરાડ એક રીતે ડિટરન્ટ એટલે કે પ્રતિરોધક રીતે પણ કામ કરે છે. ખાસ કરીને હવે આખા વિશ્વ માટે ત્રાસવાદ એક ભયંકર ખતરા તરીકે ઉભરી રહ્યો છે ત્યારે અમેરિકા કે કેનેડાની સુરક્ષા માટે નોરાડની વધુ જરૃરિયાત છે એમ એ બંને દેશો માને છે. જે દિવસે ત્રાસવાદીઓના હાથમાં ન્યુક્લિઅર બોમ્બ આવી જશે તે દિવસે તેનો ઉપયોગ કરતાં ખચકાશે નહી. એવા સમયે નોરાડ જ તેમને આગોતરી ચેતવણી આપવા અને આકાશમાં જ ન્યુક્લિઅર મિસાઈલને ધ્વસ્ત કરવા સક્ષમ હશે.

ભારત પાસે તો કેનેડા જેવો કોઈ મિત્ર કે પડોશી દેશ પણ નથી. ભારતે તો ભગવાન પર જ ભરોસો રાખવો રહ્યો.

www.devendrapatel.in

લોહીનાં નિશાન ઘણું કહી દેવાની તાકાત ધરાવે છે

દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારના રહસ્યમય ટ્રીપલ મર્ડર કેસનો ભેદ કેવી રીતે ઉકેલાયો ?

અડધી રાત વીતી ચૂકી હતી.

દિલ્હીની ગ્રેટર કૈલાસ કોલોનીમાં હજી સન્નાટો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની એક જીપ્સી વાન એસ. બ્લોકના એક બંગલા પાસે પહોંચી. ચોકીદારે પોલીસને ઇશારાથી કહ્યું : “સાબ, યહ બંગલેમેં કુછ હુઆ હૈ.”

“બંગલે મૈં કોન રહતા હૈ”

“સહગલ સાબ, ઉનકી મેમસાબ ઔર નૌકર શેરસિંહ રાત કો એક ટેમ્પો યહાં સે ભાગા થા. અંદર સે ચીખને કી આવાજ મૈંને સુનીથી ઇસલિયે પુલીસ કો ફોન કિયા.”

પોલીસ ટોર્ચના પ્રકાશના સહારે બંગલામાં પ્રવેશ્યા. ડ્રોઇંગરૂમની ફર્શ પર લોહીનાં ડાઘ હતા. રૂમની બત્તી પ્રજવલિત કરવામાં આવી. પોલીસને ઠેર-ઠેર લોહીનાં નિશાન જોતાં જ ખ્યાલ આવી ગયો કે કોઇ ગંભીર ઘટના ઘટી ગઇ લાગે છે. ડ્રોઇંગરૂમના બધા જ સોફા ઊલટા પડયા હતા. કાચનું ટેબલ તૂટી ગયું હતું. કોઇ ખૂની ખેલ ખેલાઇ ગયો હોવાનું સ્પષ્ટ લાગતું હતું. બેડરૂમના પલંગ પર પણ લોહીનાં નિશાન હતાં. કબાટનું બારણું ખુલ્લું હતું. અંદરનો સામાન ગૂમ હતો. તિજોરીના લોકને તોડી નાંખવામાં આવ્યું હતું. અંદરનું ઝવેરાત ગાયબ હતું. અલબત્ત, બંગલામાં કોઇ મૃત કે ઘાયલ વ્યક્તિ હતી જ નહીં. પહેલી નજરમાં મામલો લૂંટનો લાગતો હતો. લૂંટારુ અને ઘરના સભ્યો વચ્ચે સંઘર્ષ થયાનું સ્પષ્ટ જણાતું હતું.

થોડીવારમાં ફોરેન્સિક લેબ.ના નિષ્ણાતો આવી પહોંચ્યા. ડો. દેવ અને તેમની ટીમે લોહીનાં નમૂના લીધા. ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવી. બે દિવસ બાદ ફોરેન્સિક લેબ.નો રિપોર્ટ આવી ગયો. પોલીસ પાસે બીજી કોઇ માહિતી હતી જ નહીં. સહગલ દંપતીનો પત્તો પણ નહોતો. ફોરેન્સિક લેબ.ના વડા ડો. દેવે કહ્યું : “ઇન્સ્પેકટર, મારી દૃષ્ટિએ સહગલ દંપતીની હત્યા થઇ ચૂકી છે. હત્યારા એક નહી પણ બે છે. અને હત્યારાઓમાં એક સ્ત્રી અને એક પુરુષ છે.

ઇન્સ્પકેટરે આશ્ચર્ય સાથે પૂછયું : “દેવ સાહેબ, બંગલામાંથી કોઇની લાશ તો મળી નથી. આ કેવી રીતે સંભવ છે? વળી ખૂનીઓ પૈકી એક સ્ત્રી અને એક પુરુષ છે એમ તમે કેવી રીતે કહી શકો?”

“તો શું સહગલ દંપતીની હત્યા તેમના નોકર શેરસિંહે જ કરી?”

“ના. સહગલ દંપતીની સાથે તેમના નોકરની પણ હત્યા થઇ ગઇ છે.”

પોલીસને ફોરેન્સિક લેબ.ના વડાની વાત પર વિશ્વાસ બેસતો નહોતો. છતાં ડો. દેવે દૃઢતાથી કહ્યું : “પુરુષ અને સ્ત્રીના યુગલમાં ગુનાખોરીમાં અગાઉ પકડાયેલા ગુનેગારોની હીસ્ટ્રી તપાસો. તમારી પાસે રેકોર્ડ હશે જ. એમાંથી જ કોઇ ગુનેગાર હશે.”

પોલીસે સ્ત્રી-પુરુષના યુગલમાં ચોરી કરતા ગુનેગારોની યાદી શોધી કાઢી. ત્રણ યુગલોને તેમના ભૂતકાળના રેકોર્ડસના આધારે પકડી લીધાં. પહેલા બે યુગલ મામૂલી ચોર નીકળ્યાં. પરંતુ ત્રીજા યુગલે થર્ડ ડિગ્રીનો અમલ થતાં જ ગુનો કબૂલ કરી લીધો : “હા સાહેબ, અમે જ સહગલ દંપતીની અને તેમના નોકર શેરસિંહની હત્યા કરી છે. અમે લૂંટ કરવા આવ્યા હતા પરંતુ એ લોકો જાગી જતાં એમણે બૂમરાણ મચાવી એટલે અમે ચાકુથી હુમલો કરી એ ત્રણેય જણને મારી નાખ્યાં.”

આ ટ્રીપલ મર્ડર કેસ માત્ર પાંચ દિવસમાં ઉકેલાઇ ગયો.પરંતુ પોલીસ ઇન્સ્પેકટરને મૂંઝવણ એ હતી કે ફોરેન્સિક લેબ.ની ટીમને કોઇપણ વ્યક્તિને કે લાશને જોયા વિના જ કેવી રીતે ખબર પડી કે ત્રણેય વ્યક્તિની હત્યા થઇ છે? તેમની આ દ્વિધાના ઉકેલ માટે ઇન્સ્પેકટર યાદવ બીજા દિવસે ફોરેન્સિક લેબ. પહોંચ્યા. તેમણે લેબ.ના વડા ડો. દેવને પૂછયું : “સાહેબ, તમે કેવી રીતે નક્કી કરી નાખ્યું કે ત્રણની હત્યા થઇ છે, અને હત્યારાઓમાં એક સ્ત્રી અને એક પુરુષ છે.”

ડો. દેવે સ્પષ્ટતા કરતા કહ્યું : “ઇન્સ્પેકટર, સહગલ દંપતીના બંગલામાંથી લોહીનાં નિશાન હતાં તે બધા જ અલગ-અલગ સ્થળે હતા. તે બધાના જ અમે અલગ અલગ નમૂના લીધા હતા. લોહીનાં નમૂનાની જ્યારે અમે તપાસ કરીએ છીએ ત્યારે અમને ખબર પડી જાય છે કે લોહીના એ નિશાન કોઈ જીવિત વ્યક્તિના છે કે મૃત વ્યક્તિના. વળી અમને એ પણ ખબર પડી જાય છે કે એ લોહી શિરાનં છે કે ધમનીનું. એજ રીતે અમને એ પણ ખબર પડી જાય છે કે લોહી કોઇ બાળકનું છે કે વયસ્કનું. એટલું જ નહીં એ લોહી કોઇ પુરુષનું છે કે સ્ત્રીનું એક પણ અમે નક્કી કરી શકીએ છીએ.”

“કેવી રીતે?”

“ઘટના સ્થળ પરથી લોહીનાં ડાઘના નમૂના લેતાં પહેલાં અમે તેની તસવીરો લઇએ છીએ જેથી ખબર પડે કે લોહીનાં ડાઘ ક્યાં ક્યાં હતા. લોહીનાં ડાઘ લાકડી, કપડાં, માટી કે કોઇ સામાન પર પડયાં હોય તો તે બધું જ અમે પ્રયોગશાળામાં લઇ આવીએ છીએ. વિશ્વમાં માનવીના લોહીને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યું છે. એ, બી, એબી અને ઓ. લોહીના નમૂનાઓનું રાસાયણિક પૃથક્કરણ કરવાથી ખબર પડી જાય છે કે તે કયા ગ્રૂપનું છે. સહગલ દંપતીના ઘરમાંથી મળેલાં લોહીના નમૂનાઓ પરથી અમોએ શોધી કાઢયું કે સહગલ દંપતિ અને તેમના નોકર ઉપરાંત હત્યારાઓના લોહીનાં ડાઘ પણ હતા.

“પરંતુ એ કેવી રીતે ખબર પડી કે કયો ડાઘ સહગલ દંપતીનો છે અને કયો નોકરનો? અને કયો ડાઘ હત્યારાનો? એક ગ્રૂપ લાખો લોકોનું હોય છે. વળી સંયોગથી સહગલ પતિ-પત્નીનું પણ એકજ ગ્રૂપ હોઇ શકે છે.”

ડો. દેવે કહ્યું : “તમારા સવાલો સાચા છે. માનવ રક્તમાં એ, બી, એબી, અને ઓ ઉપરાંત બીજી પણ કેટલીક રક્ત પ્રણાલીઓ છે. જેને અમે “આરએચ” કહીએ છીએ. તે બે પ્રકારના હોય છે. આરએચ નેગેટિવ અને આર એચ પોઝિટીવ. આ ઉપરાંત જેમાં આરએચ નથી તેને “આરએચટી” કહીએ છીએ. આ રીતે દરેક બ્લડગ્રુપનું આરએચ હોય છે. તેની સાથે પ્રત્યેક વ્યક્તિના લોહીમાં અલગ અલગ પ્રકારના પ્રતિજન અને એન્જાઇમનું હોય છે. જે એક ગ્રુપનું લોહી હોવા છતાં દરેક વ્યક્તિને બીજાથી અલગ કરે છે.”

“પરંતુ હત્યારાઓમાં એક વ્યક્તિ સ્ત્રી અને એક પુરુષ હતો એ કેવી રીતે નક્કી થયું?” : ઇન્સ્પેકેટરે સવાલ કર્યો.

ડો. દેવે સ્પષ્ટતા કરી : “મારી ટીમના સાથીઓએ સહગલ દંપતીના ઘરમાંથી તેમની એક મેડિકલ ફાઇલ શોધી કાઢી હતી. તેમાં સહગલ દંપતીના બ્લડનું ગ્રૂપ લખેલું હતું. તેના મિસ્ટર સહગલનું બ્લડ ગ્રુપ “બી-પ્લસ” હતું અને મિસીસ સહગલનું બ્લડ ગ્રૂપ “એ”હતું. તેમના નોકર શેરસિંહનું બ્લડ ગ્રૂપ “ઓ” હતું. બંગલામાંથી આ ત્રણેયના લોહીનાં નિશાન મળ્યા હતાં. એટલે કે હત્યારાઓએ તેમને ઘાયલ કર્યા હતા. લોહીના આ નમૂના ઉપરાંત ત્યાંથી “ઓ પોઝિટીવ” અને “બી” ગ્રૂપના રક્તના નમૂના પણ મળ્યા. જે આ ત્રણેય પૈકી કોઇનાયે નહોતા. મતલબ સાફ હતો કે ત્રણેય પર હૂમલો કરનાર વ્યક્તિઓ બે હતી, જેમના બ્લડ ગ્રૂપ “ઓ પોઝિટિવ” અને “બી” હતાં. લોહીનાં આ નમૂનાઓના પ્રતિજન અને એન્જાઇમ્સનું વિશ્લેષણ કરતાં તેમની ઉંમર પણ નક્કી કરી દેવાઇ.

“પણ તેમાં એક સ્ત્રી છે તે કેવી રીતે નક્કી થયું?”

ડો. દેવે વાત આગળ ચલાવી : “દરેક પુરુષની કોશિકાઓમાં “એક્સફોર” નામના ક્રોમોસોમ્સ હોય છે. જ્યારે સ્ત્રીઓની કોશિકાઓમાં “એક્સએક્સ” ક્રોમોસોમ્સ હોય છે. આ ક્રોમોસોમ્સ કોશિકાના કેન્દ્રમાં હોય છે અને તે લોહીના શ્વેત કણમાં હોય છે. આ રીતે સહગલ દંપતીના બંગલામાંથી મળેલા બે વધારાના લોહીના ડાઘના “બી” અને “ઓ” પોઝિટિવના નમૂનાઓના શ્વેતકણોની અને બારીકાઇથી તપાસ કરીને તે “બી” ના કેન્દ્રમાં “એકસ એક્સ”ક્રોમોસોન્સ દેખાયાં.જે કોઇ સ્ત્રીનું લોહી હોવાનો નિર્દેશ કરતું હતું. મતલબ કે હત્યારાઓ પૈકી કોઇ એક સ્ત્રી પણ છે. તે સાફ હતું.”

“પરંતુ સહગલ દંપતીના નોકરનું પણ ખૂન થઇ ગયું છે તે કેવી રીતે ખબર પડી?”

ડો. દેવે સ્પષ્ટતા કરતાં કહ્યું : “કારણ કે લોહીનાં એ નમૂનામાં ફાઇબ્રીન નહોતું. કોઇ જીવતી વ્યક્તિના શરીરમાંથી લોહી નીકળે છે ત્યારે તેમાંથી એક એવી પ્રક્રિયાનું નિર્માણ થાય છે જે ફાઇબ્રિન નામની રસાયણનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા લોહીને વહેતું અટકાવવા માટે કુદરતે બક્ષેલી બક્ષિસ છે. પરંતુ કોઇ વ્યક્તિ મૃત્યુ પામી ચૂકી હોય અને તેના મૃતદેહમાંથી લોહી નીકળતું હોય તો ફાઇબ્રિન બનાવવાની પ્રક્રિયા થતી નથી. તેથી તો રક્તમાં ફ્રાઇબ્રિન હોતુ નથી. એથી એ લોહીના નમૂના કોઇ જીવિત વ્યક્તિના છે કે મૃત વ્યક્તિના છે તે નક્કી થઇ શકે છે. સહગલ દંપતી અને નોકરના લોહીના નમૂના મૃત વ્યક્તિના છે તે પણ નક્કી થઇ શક્યુ. જ્યારે હત્યારાઓ માત્ર ઘાયલ થયા હતા તે પણ ફાઇબ્રિનના ટેસ્ટના આધારે નક્કી થઇ શક્યું.

તેમણે એક વાત વધુ વિસ્તારથી સમજાવી : “લોહીનાં જે નમૂનાઓમાં ફાઇબ્રિન હશે તે નમૂનાઓ ફર્શ પરથી પાપડીની જેવા દેખાશે. જ્યારે ફાઇબ્રિન વગરનું લોહી ચૂર્ણ જેવું બની જતું હોય છે. સહગલ દંપતીના ઘરમાં નોકરના લોહીના નમૂના પાપડી જેવા મળી આવ્યા હતા જ્યારે હત્યારાઓના રક્તના નમૂના ચૂર્ણ જેવા મળી આવ્યા હતા. આ રીતે અમે નક્કી કરી શક્યા કે ઘરમાં રહેનાર ત્રણેય વ્યક્તિની હત્યા થઇ ચૂકી છે. અને પોલીસને ગુમરાહ કરવા માટે જ હત્યારા સ્ત્રી-પુરુષે ત્રણેયની લાશ ટેમ્પોમાં નાખી ક્યાંક ફેંકી દીધી હતી.

પોલીસ ઇન્સ્પેકટરની તમામ દ્વિધાઓનો ઉકેલ આવી ગયો. એક અવાવરુ કૂવાઓમાં ફેંકી દેવાયેલી ત્રણેયની લાશનો કબજો લઇ લેવાયો.

દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારના આ ટ્રીપલ મર્ડર કેસનું રહસ્ય ફોરેન્સિક લેબ.ની ટીમે રેકોર્ડ સમયમાં ખોલી દીધું.

અપરાધ વિજ્ઞાનની કળાનો આ એક કલાસિક કિસ્સો છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ઓટિઝમ – કેન્સર અને એઈડ્સ કરતાં પણ વધુ પ્રમાણમાં બાળકોમાં વકરતો નવો ખતરનાક રોગ

બીજી એપ્રિલે ‘વર્લ્ડ ઓટિઝમ ડે’ છે. વિશ્વમાં આ નવો વકરતો જતો રોગ છે. આ બીમારી બાળકોને થાય છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં કેન્સર કે એઈડ્સથી પીડાતાં બાળકો કરતાં ઓટિઝમના રોગથી પીડાતાં બાળકોની સંખ્યા વધુ છે. ઘણાં બધાને તો ઓટિઝમ શું છે તેની ખબર જ નથી. ભારતમાં અને વિશ્વમાં ઓટિઝમથી પીડાતાં બાળકોની સંખ્યા લાખ્ખોમાં છે. સમગ્ર વિશ્વમાં ૬૭ મિલિયન બાળકોને આ રોગ છે. જેમાંના ૮૦ લાખ બાળકો ભારતમાં છે.

આ રોગ અંગે વિશ્વભરમાં હવે જાગૃતિ આવી રહી છે. લોકોમાં આ રોગ વિષે જાણકારી વધે તે માટે તા.બીજી એપ્રિલના દિવસે ન્યૂયોર્ક ટાવર, લંડન બ્રીજ, દુબઈનું બુર્જ ખલીફા ટાવર, ઓસ્ટ્રેલિયાનું ઓપેરા ટાવર અને મલેશિયાના ટ્વિન ટાવરને બ્લૂ લાઈટથી પ્રકાશિત કરવામાં આવે છે.

કેટલીક વાર મા-બાપ ફરિયાદ કરતાં હોય છે. ડોક્ટર સાહેબ, મારું બાળક બે વર્ષનું થયું. બોલતું નથી. પોતાની દુનિયામાં છે,ઘરમાં બીજાં ત્રણ બાળકો ને પાડોશમાં બીજાં ચાર એમ કરીને સાત બાળકો છે, આ સાતેય બાળકોમાંથી કોઈની જોડે રમતો નથી. સાતમાંનાં બાળકો રમતાં હોય તો તેને જોતો પણ નથી ને એકલો એકલો કોઈ એક જ એક્ટિવિટી કર્યા કરે છે. નામથી બોલાવીએ તો સામું પણ જોતો નથી ને સતત હાથ હલાવ્યા કરે છે ને ચિચિયારીઓ પાડે છે. આ શબ્દો આંધ્રપ્રદેશના સુપર સ્પેશિયાલિસ્ટ સર્જ્યન ડોક્ટરના છે.

વર્ષોથી ઓટિઝમ પર કામ કરતા અમદાવાદના હોમિયોપથી નિષ્ણાત ડો. કેતન પટેલ કહે છે કે “ઓટિઝમ તે નાનાં બાળકોમાં જોવા મળતી ન્યૂરોલોજીને લગતી બીમારી છે. ઓટિઝમને ગુજરાતીમાં ‘સ્વલીનતા’ કહે છે. આ રોગથી પીડાતા બાળકને ‘ઓટિસ્ટિક ચાઈલ્ડ’ કહે છે.

જ્યારે તબીબી ભાષામાં આ રોગ ઓટિઝમ સ્પેક્ટ્રીમ ડિસઓર્ડરના નામે ઓળખાય છે. વિશ્વમાં દર એક હજાર બાળકે એક બાળક ઓટિઝમથી પીડાય છે. ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ છે.

ઓટિઝમ બીમારી શું છે?

ઓટિઝમ ૨ થી ૨.૫ વર્ષનાં બાળકોમાં જોવા મળતી જ્ઞાનતંતુ, પાચનતંત્ર ને અંતઃસ્રાવી ગ્રંથિને અસર કરતી આ બીમારી બાળકને સ્વલીન રાખે છે. આ બીમારીથી પીડાતા બાળકને ઓટિસ્ટિક ચાઈલ્ડ કહે છે અને આ બીમારીને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવાય છે. વિશ્વમાં દરેક ૬ બાળકે ૧ બાળક આ ઓટિઝમ નામની બીમારીનો ભોગ બને છે, આમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં પાંચ ગણી જોવા મળી છે.

ઓટિઝમનાં લક્ષણો

બાળક દોઢથી બે વર્ષની ઉંમર સુધી બોલતું ન હોય. નજરથી નજર મિલાવવાનું તેમજ આંખથી સીધા સંપર્કમાં આવી શકતાં નથી. પોતાની ઉંમરનાં બાળકો સાથે ભળીને રમવા કરતાં એકલા રમવાનું પસંદ કરે છે.

કોઈ પણ એક પ્રકારની સ્થિતિમાં કલાકો સુધી બેસી રહે છે. જેમ કે, રમકડાંની ગાડીથી રમવું, બોલને કલાકો સુધી પોતાની પાસે રાખવો. સતત બાથરૂમમાં જઈ નળ ખોલી નાખવો.હાથને હલાવ્યા કરવા. હોર્ન, કૂકરની સીટી કે ફટાકડાના અવાજથી ડરીને પોતાના હાથ કાન પર મૂકી દે. માતાની કે અન્ય કોઈ વસ્તુ પાછળ અવાજ સાંભળી છુપાવવાનો પ્રયાસ કરે.હાયર એક્ટિવ હોય ત્યારે કૂદકો મારે, કારણ વગર હસ્યા કરે. પોતાને જ માર્યા કરે, પોતાના હાથને કે બીજાને દાંત મારીને બટકું ભરે.

ઓટિઝમ થવાનાં કારણો

આ બીમારી માટે કોઈ એક કારણ જવાબદાર નથી, વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ દરમિયાન આ પ્રકારનાં કારણો હોવાનું જણાવ્યું છે.

ગર્ભાવસ્થા દરમિયાન : માતા દ્વારા અજાણતા ગર્ભને હાનિકારક દવાનું સેવન, માતાના શરીરમાં ફોલિક એસિડની ઉણપ,ગર્ભાશયમાં ટોર્ચ નામનું ઇન્ફેક્શન, હાઇપોથાઇરોડિઝમ તથા માનસિક તણાવ, આઘાત, પ્રસૂતિ દરમિયાન બાળકને ઓક્સિજનનો અભાવ, જન્મ્યા પછી બાળકનું થોડી સેકન્ડો બાદ રડવું, ખેંચ આવવી.

બાળકના જન્મ બાદ : દવાની આડઅસર, ખેંચ આવવી, મોટાભાગના બાળકમાં એમએમઆર વેક્સિનેશન પછી બાળકમાં ઓટિઝમનાં લક્ષણો આવવાનું ચાલુ થયેલ જાણવા મળે છે.

જિનેટિકની ખામીથી ઓટિઝમ થતું હોવાનું કહે છે પણ તેમાં કોઈ ખાસ જનીન જાણવા મળ્યું નથી. બાળકના મગજમાં સેરોટોનીન તેમજ અન્ય ન્યુરો ટ્રાન્સમીટરમાં ખામી જણાય છે.

એન્વાયર્નમેન્ટલ પોલ્યુશનને પણ આ રોગના એપિડેમિક માટે જવાબદાર ગણવામાં આવ્યું છે. ૨૦૧૩ની સાલમાં દર ૬૦ બાળકે ૧ બાળક ઓટિઝમ ધરાવે છે. આ સંખ્યા દુનિયાભરમાં જન્મતા ડાયાબિટીસ, કેન્સર, એચઆઈવીની સંખ્યાના સરવાળા કરતાં વધારે છે.

ઓટિઝમની સારવાર

ડો. કેતન પટેલના મંતવ્ય અનુસાર એલોપથીમાં કોઈ સારવાર આ બીમારી માટે છે નહીં, બાળકોની હાઇપર એક્ટિવિટી કાબૂમાં રાખવા એકમાત્ર દવા રેસ્પીડોન વાપરવામાં આવે છે. ઓટિઝમમાં સૌથી વધારે દુનિયાભરમાં વપરાતી ટ્રીટમેન્ટમાં હોમિયોપથી સારવાર છે. હોમિયોપથી દવા, ખોરાકમાં નિયંત્રણ, કસરત જો આ ત્રણ નિયમોનું ડોક્ટરની સૂચના અનુસાર પાલન કરવામાં આવે તો ઓટિઝમવાળું પાંચ વર્ષ સુધીનું બાળક નોર્મલ સ્કૂલમાં ભણી શકે છે.

ઓટિઝમવાળા બાળકમાં ફંગસ હોવાથી તે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આવા બાળકને ઘઉં ને તેની બનાવટ જેવી કે રવો, મેંદો ને તેમાંથી બનતી વસ્તુ જેવી કે રોટલી, બિસ્કિટ, ઉપમા, બ્રેડ તેમજ બેકરીની વસ્તુ બંધ કરવી, દૂધ ને દૂધની બનાવટ જેવી કે દહીં, છાસ, માખણ, ચીઝ ને ઘી બંધ કરવાથી અને શરીરમાં ખાંડનું પ્રમાણ ઓછું કરવાથી ધ્યાન કેન્દ્રિત કરવાના સમયમાં વધારો જોવા મળ્યો છે ને હાઇપર એક્ટિવિટી ઘટાડી શકાય છે. ચોકલેટ, પેપ્સી, કોક ને મેકડોનાલ્ડ, કેએફસીનાં જંકફૂડ પેકેટ આ બીમારીની તીવ્રતામાં વધારો કરવામાં જવાબદાર છે. તો તે આવા બાળકને સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ.

સ્વિમિંગ (તરણ) સાયકલિંગ, સ્કેટિંગ, દોડવાનું તેમજ અન્ય કસરતોથી ઓટિસ્ટિક બાળકોમાં સુધારો જોવા મળે છે.

એક બાળક ઓટિસ્ટિક હોય ને બીજું ન આવે તે માટે શું કરવું?

  • જિનેટિક કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.
  • ફોલિક એસિડની ગોળી શરૂ કરો.
  • થાઇરોઇડ પ્રોફાઈલ કરાવવો જરૂરી રહે છે. ૪૦ વર્ષ કરતાં વધારે ઉંમર થઈ હોય તો બીજું બાળક લાવવાનું પ્લાનિંગ કરવું જોઈએ નહીં.
  • ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત કસરત કરવી અને પ્રદૂષિત વાતાવરણથી દૂર રહેવું જોઈએ. એલોપથી કરતાં હોમિયોપથી સારવાર વધુ અસરકારક સાબિત થયાનાં વિશ્વમાં પ્રમાણ છે.
www.devendrapatel.in
 

Page 2 of 2

Powered by WordPress & Theme by Anders Norén